Opinion Magazine
Number of visits: 9456462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલા સાહિત્યકાર : રમેશ આચાર્ય (૧૯૪૧-૨૦૨૫)

અભિમન્યુ આચાર્ય|Opinion - Opinion|28 March 2025

રમેશચંદ્ર આચાર્ય

પહેલીવાર મારા જીવનમાં હું કોઈ સાહિત્યકારને મળ્યો હોય તો તે મારા નાના બાપુજી : રમેશચંદ્ર આચાર્ય. ગુજરાતી કવિ. તાન્કા અને મોનો-ઈમેજ જેવા ઓછા ખેડાયેલા કાવ્યપ્રકારોમાં તેમના પ્રદાન બદલ જાણીતા. સુરેન્દ્રનગરમાં વર્ષો સુધી સાહિત્યિક વાતાવરણ તેમણે ન્હાનાલાલ સાહિત્ય સભા જેવી સંસ્થા ચલાવીને ઊભું કર્યું અને જાળવી પણ રાખ્યું.

અમે સૌ તેમને નાના બાપુજી કહેતા. કારણ કે તે મારા દાદાના સગા નાના ભાઈ. 

નાનો હતો ત્યારે અવનવા લેખકોને વાંચી મને થતું કે આ લોકો કેવા હશે! સમજણો થયો ત્યારે ખબર પડી કે સાહિત્યકાર સામાન્ય માણસો જેવો જ હોય છે. જવાબદારીઓ ઉપાડતો, ઘર પરિવારને સંભાળતો, વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે વાર્તા-કવિતા લખી નાખતો. સંવેદનશીલ. સાહિત્યકાર એટલે એવો માણસ જેને કળા-સાહિત્ય તરફ ઝુકાવ હોય, પ્રીતિ હોય, છતાં જે જીવનને પ્રાધાન્ય આપે. જે જીવનના પડકારો દરવાજે ટકોરા મારે ત્યારે વાર્તા-કવિતાની આડમાં છુપાઈ ન જાય. 

સારું થયું કે બહુ નાની ઉંમરે આ સમજ આવી ગઈ. આ સમજ આવવાનું કારણ નાના બાપુજી. 

નાના બાપુજી સાથે મારે ઝાઝી વાતો ક્યારે ય થઈ નથી. અમે બંને ઓછાબોલા, અંતર્મુખી, બે શબ્દોથી કામ ચાલે તો ત્રણ ન વાપરીએ એવા. પણ મને અંદર અંદર એમ થતું કે વાર્તા કવિતામાં પડવું હશે તો મને આંગળી ચીંધી રસ્તો બતાવનાર માણસ મારા પરિવારમાં જ છે. એ વાતની એક ધરપત રહેતી, એક હાશકારો. 

મને હજી એક પ્રસંગ યાદ છે. હું તેર-ચૌદ વર્ષનો હોઈશ. એ સમયે મને વાર્તા લખવાનો એવો ચસકો હતો કે રોજની એક લખતો. મને હતું કે જલદી જલદી વાર્તાઓ લખી નાખું, એ છપાઈ જાય, એના પૈસા મળે, મારું નામ બને—તો કેવી મજા પડે!

એવી એક અધકચરી વાર્તા લખીને હું નાના બાપુજી પાસે ગયેલો. તેમને સંભળાવેલી. છાપામાં આવતી કોલમોમાં જે ચીલા-ચાલુ કચરો હોય છે એવી જ એ વાર્તા હતી. તેમણે ખૂબ અણગમા સાથે મને કહેલું કે આવું જ લખવું હોય તો ન લખવું જોઈએ. આનો કોઈ અર્થ નથી. અને હું આ રસ્તે ચડીશ તો મારી પ્રતિભા ઊગે એ પહેલા જ કરમાઈ જશે. 

તેમણે કહેલું કે જો લખવું જ હોય તો એવું લખવું કે વાચકને યાદ રહે. ચાલીસ ભૂલી જવાય એવી વાર્તાઓ લખવા કરતા એક યાદ રહી જાય એવી વાર્તા લખવી સારી. તે દિવસ પછી મારી રોજની એક વાર્તા લખવાની પ્રેક્ટિસ મેં બંધ કરી. જલદી જલદી છપાઈને નામ કરી લેવાની ઘેલછા છોડી દીધી. 

એ વાતને પંદર-સોળ વર્ષ વીતી ગયા છે, અને મેં ઘણું લખ્યું છે. સારું પણ લખાયું છે, ખરાબ પણ લખાયું છે, પણ એ દિવસ પછી ક્યારે ય લખવામાં દિલચોરી નથી કરી. લેખન પ્રત્યેનો મારો અભિગમ ધરમૂળથી બદલાયો એનું કારણ મારા નાના બાપુજી.

મારી વાંચનયાત્રામાં પણ તેમનો ફાળો હતો. ચંદ્રકાંત બક્ષીનો ફેન હોવાને કારણે એ સમયે હું બીજા લેખકોને નહોતો વાંચતો. મને થતું કે બક્ષી જેવું તો કોઈ લખી જ ન શકે. તેમણે મને કહેલું : તું સુરેશ જોષીને વાંચ. તું મધુ રાયને વાંચ. તું જયંત ખત્રીને વાંચ. 

જેમ વાંચતો ગયો એમ સમજાયું કે સાહિત્ય તો દરિયો છે. ઘણીબધી અલગ અલગ નદીઓનું પાણી એમાં છે. તેનાથી એક નવી સમજ આવી. કોઈ એકલ-દોકલ લેખકને દરિયો માનવાની ભૂલ ન કરાય. દરિયો થવાની મથામણ ય ન કરાય. નાનકડી, સરસ નદી થઈ શકીએ, અને દરિયા જેવા સાહિત્યમાં સ્વસ્થતાથી, સરળતાથી, ગૌરવભેર ભળી શકીએ તો પણ ઘણું. એનું મૂલ્ય જરા ય ઓછું નથી. 

સુરેન્દ્રનગર છોડ્યું પછી નાના બાપુજીને પ્રસંગોપાત મળવાનું થતું. ગયા વર્ષે મારા લગ્ન પછી મારી પત્નીને લઈને તેમને મળવા ગયેલો. છેલ્લે છેલ્લે મળી શક્યો એ વાતનો એક સંતોષ છે.      

ત્રણ દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું. આજે બેસણું હતું. દેશથી દૂર હોવાને કારણે ઘણા સારા-ખરાબ પ્રસંગો ચૂકી જવાય છે મારાથી. સારા પ્રસંગોમાં એવું થયા કરે કે હું પરિવારની સાથે હોત તો સારું હોત. માઠા પ્રસંગોમાં એવું થયા કરે કે પરિવાર મારી સાથે હોત તો સારું હોત.

મારો પહેલો વાર્તાસંગ્રહ “પડછાયાઓ વચ્ચે” મેં મારા માતા-પિતાની સાથે મારા નાના બાપુજીને પણ અર્પણ કરેલો. 

અમદાવાદ રહેવા આવ્યા ત્યારે અવનવા સાહિત્યકારોને મળતો, મારું નામ કહેતો. પછી સામેથી જ જણાવતો : “શું તમે રમેશ આચાર્યને ઓળખો છો?” 

“હા, ઓળખુંને. પેલા કવિ જ ને? એ તમારા શું થાય? દાદા?”

હું કહેતો : “ના, એ મારા નાના બાપુજી”.

આજે સમજાય છે કે નાના બાપુજી મારી ઓળખ બની એ પહેલાંની મારી ઓળખ હતા.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મોંઘવારી : પ્રજાને નડી ને સાંસદોને ફળી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 March 2025

રવીન્દ્ર પારેખ

મોંઘવારીની બૂમ કાયમ પ્રજામાંથી જ ઊઠે છે. એ બૂમ કોર્પોરેટરથી માંડીને સાંસદોમાંથી ઊઠતી નથી, કારણ ભાવ વધે તેમ પ્રજાને પૈસાની ટાંચ પડે છે, જ્યારે સત્તાધીશોને, હોજરી ભરવાની આગોતરી વ્યવસ્થા થઈ જાય છે. પગાર વધારા માટે હડતાળ પ્રજા પાડે છે. એ સાંસદોએ પાડવી પડતી નથી. એમને પગાર કે ભથ્થાં વધારા માટે કારણો હાથવગાં હોય છે. ઘણી વાર તો પગાર કે ભથ્થાંમાં થતો માસિક વધારો કોઈ નોકરિયાતના માસિક પગાર કરતાં પણ વધારે હોય છે. આ વધારા માટે કોઈ સાંસદ કે ધારાસભ્ય કે કોર્પોરેટરને વાંધો નથી હોતો, એટલું જ નહીં, ઢગલો વાંધાઓ પાડનાર વિપક્ષો પણ આ મામલે એક થઈ જાય છે. કોઈને આ વધારો ક્યારે ય વધારે લાગતો નથી. હજી તો સાંસદોનો 24 ટકા પગાર વધારો 24મીએ જાહેર જ થયો છે, ત્યાં ગુજરાત વિધાનસભા ગૃહમાં આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તથા કાઁગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ તમામ ધારાસભ્યોની ઇચ્છાનો પડઘો પાડતા હોય તેમ પગારમાં તથા ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ કરી છે, તે સાથે જ પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજ્યોને અપાતાં પેન્શનની સમકક્ષ પેન્શન આપવાની માંગ પણ દોહરાવાઈ છે. સરકારે પેન્શનને મામલે ફોડ પાડ્યો નથી, પણ ગ્રાન્ટ દોઢ કરોડથી સીધી વધીને પાંચ કરોડ થઈ જાય તો નવાઈ નહીં ! 

આમ તો સાંસદો કે ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં વધારો થઈને જ રહે છે, પણ અન્ય નોકરિયાતોને વધારો આપવામાં સરકારનો હાથ કાયમ તંગ રહે છે. મોટે ભાગે તો હડતાળ કે વિરોધ વગર પ્રજાની ગાડી પાટે ચડતી જ નથી. જેમનો વિરોધ વાંઝિયો છે એ બેન્ક પેન્શનર્સ, પત્રકારો કે નાના પેન્શનર્સનું પેન્શન અપડેટ થતું જ નથી. સરકાર જાણે છે કે એવા વિરોધીઓથી તેને કૈં નુકસાન નથી, એટલે એ લોકો તો લેખામાં જ નથી. બેન્ક પેન્શન અપડેટ કરવાને મામલે કે મેડિક્લેમમાં પ્રીમિયમ ઘટાડવાને મામલે યુનિયન લીડર્સ કેન્દ્રીય નાણાં મંત્રી સાથે બેઠકો કરતાં રહે છે ને પરિણામ બીજી નવી બેઠકમાં આવે છે. બેઠકો થતી રહે છે, પણ પરિણામ મળતું નથી.

એક સમય હતો જ્યારે 1960ની આસપાસ સ્કૂલના વિદ્યાર્થીઓને, વાલીની વાર્ષિક આવક 900 હોય તો EBC માફી મળતી. છે ને કમાલ, કે 900 જેવી આવક માફીને પાત્ર હતી ! એ પછીના વર્ષોમાં પણ શિક્ષકનો કે પત્રકારનો કે ઇવન બેંક ક્લાર્કનો પગાર શરૂઆતમાં 500 રૂપિયા માંડ હતો. ઘણાને તો એથી ય ઓછો પગાર મળતો. એ રિટાયર થાય ત્યારે જે પેન્શન બંધાતું તેમાં ચીંથરાં ય ન આવતાં. એ પછી પગાર વધ્યા, પેન્શન પણ વધ્યું, પણ હજી સિનિયર્સને મોંઘવારીના પ્રમાણમાં પેન્શન અપડેશનનો લાભ મળ્યો નથી તે દુ:ખદ છે. સાંસદોનું પેન્શન સીધું 6,000 વધીને, 25,000નું 31,000 થયું, તો કેટલાકને આજની તારીખમાં પગાર જ 6,000 ન હોય તો તેનું પેન્શન કેટલુંક હોય તે સમજી શકાય એવું છે.

દેશભરના 75 લાખથી વધુ, વિવિધ વર્ગના પેન્શનરોને EPF-95માં 417, 541, 1250 જેવું પેન્શન મળે છે, તે કેવી રીતે જીવતા હશે તે તેઓ જ જાણે, તેઓ 65-70ની ઉંમરે ‘આત્મનિર્ભર’ હોવા જોઈએ, પણ  લાચાર છે, દયાપાત્ર છે, અપમાનિત છે. સંતાનો, ઓછાં પેન્શનિયાં માબાપને સાચવી લે તો નસીબ, બાકી, એટલાં પેન્શનમાં તો મરવાનું ય મોંઘું પડે એ સ્થિતિ છે. જો કે, નિવૃત્ત કર્મચારી મંડળે વડા પ્રધાનને આવેદન આપી માસિક પેન્શન 7,500 કરવા રજૂઆત કરી છે. સરકાર પેન્શનમાં જ 6,000નો વધારો જરા ય સંકોચ વગર કરી શકે, તો આ 75 લાખથી વધુ વૃદ્ધોની ચામડી ઢંકાઈ રહે એટલું થાય તો ય ઉપકાર જ થશે. 

સરકારને એ વાતનો પણ સંકોચ નથી કે પૂર્વ સાંસદોની ટર્મ પૂરી થતાં પેન્શન ઉપરાંત વધારાનું પેન્શન 2,000થી વધારીને 2,500 કર્યું, તો બીજી તરફ ઘણાં ક્ષેત્રોમાં પેન્શન નકારીને પેન્શનરોનું ભવિષ્ય જ રૂંધી નાખ્યું છે. એ તો ઠીક, નિવૃત્તિ પછી પેન્શન વગેરે લાભો ન આપવા પડે એટલે સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોથી ચલાવે છે. સરકાર સાંસદોને કે ધારાસભ્યોને ભલે આપે, પણ તે સાથે જ જેમણે જિંદગી ખર્ચી છે એમને નિવૃત્તિ પછીનાં લાભો આપવામાં કંજૂસાઈ કરે એ શરમજનક છે. ફુગાવો સાંસદોને લાગતો હોય તો સામાન્ય માણસ પણ એનો ભોગ બને એવું, નહીં? સાંસદોનો 1 લાખનો પગાર 1.24 લાખ થઈ જતો હોય ને તેનું એરિયર્સ એપ્રિલ, 2023થી અપાવાનું હોય, તો બીજા લાખો વંચિતોનો વિચાર કરવાનો કે કેમ? 

2006માં સાંસદોનો પગાર 12,000 હતો, તે 2025 સુધીમાં 933 ટકા વધીને 1,24,000 થઈ જતો હોય, તો એ વાજબી છે એવું ન પુછાય, પણ એવું જરૂર પુછાય કે બીજા કોના પગારમાં 19 વર્ષમાં 933 ટકાનો વધારો થયો છે? પગાર ઉપરાંત દૈનિક ભથ્થું 2,000 હતું, તે પણ 500 વધીને 2,500 થયું છે. આ વખતના પગાર વધારાની ખૂબી એ છે કે તે ફુગાવાને અનુરૂપ છે. જો કે, ફુગાવો ઘટે, તો પગાર પણ ઘટે કે કેમ તેની કોઈ ચોખવટ નથી. પડે છે ત્યારે સઘળું પડે છે એ ન્યાયે, સંસદમાં પગાર વધે છે તો બધું જ વધે છે. ટૂંકમાં, લોકસભા અને રાજ્યસભાના 788 સાંસદોને બે વર્ષનું એરિયર્સ જ 45 કરોડ 38 લાખ ચૂકવવાનું થશે. સાંસદોને એ ઉપરાંત 34 મફત હવાઈ મુસાફરી મળે છે. તેમાં 8 મુસાફરી તો તે અન્ય સંબંધી કે સ્ટાફને ટ્રાન્સફર પણ કરી શકે છે. મફતનું 81.5 કરોડ લોકો જ ખાય છે એવું નથી. સાંસદો પણ, મફત રેલવે મુસાફરી કરી શકે છે. રોડ મુસાફરીમાં 16 રૂપિયા પ્રતિ કિ.મી.નો લાભ, હવાઈ કે રેલ મુસાફરી શક્ય ન હોય ત્યારે લઈ શકે છે. અમુક મર્યાદામાં એ લાભ નિવૃત્ત સાંસદોને પણ મળે છે. દિલ્હી નિવાસ દરમિયાન 50,000 યુનિટ મફત વીજળી, 4 લાખ લિટર પાણી, લોકસભાના સાંસદને 1,50,000 અને રાજ્યસભાના સાંસદને 50,000 મફત કોલનો લાભ … મળે છે. તેમને દેશમાં ને અમુક સંજોગોમાં વિદેશમાં સારવાર મફત મળે છે. સાંસદોને મતવિસ્તાર ભથ્થું દર મહિને 70 હજાર મળતું હતું તે 87 હજાર થઈ ગયું છે. એ જ રીતે ઓફિસ ખર્ચ 60,000 મળતો હતો તે 75,000 થઈ ગયો છે. વળી ટકાઉ અને બિનટકાઉ ફર્નિચર ખરીદવા માટે કાર્યકાળ દરમિયાન અનુક્રમે 1 લાખ અને 25 હજાર મળે છે. (એ ખરું કે 2020ના કોરોના કાળમાં એક વર્ષ માટે મંત્રીઓ અને સાંસદોએ 30 ટકા પગાર કાપ વેઠેલો) આ ઉપરાંત સંસદ કેન્ટિનમાં મફતના ભાવે ભોજનનો લાભ પણ સાંસદોને મળે છે. એ જોતાં સોંસરું પૂછવાનું એ થાય કે આમ ધરાયેલાની ભૂખ 933 ટકા વધતી હોય, તો જન્મજાત ભૂખ્યાની ભૂખ કેટલા ટકા વધી હોય ને તેને કેટલું આપવું જોઈએ ને ખરેખર તેને કેટલું અપાય છે? નોકરીઓ લાખોમાં આપવાની વાતો થાય છે, પણ શિક્ષિત બેકારી ઘટતી નથી. બે છેડા ભેગા કરતાં ઘણી વાર છેડો મુકાઈ જતો હોય, ત્યાં વિના વિરોધ બધા છેડા સંસદમાં પગારને મામલે ભેગા થઈ જતા હોય, એ કેવું? 

એક તબક્કે સંસદમાં પગાર વધારા માટે ભલામણો કરવી પડતી હતી. એ સ્થિતિ 2018માં બદલાઈ. તે વખતના નાણાં મંત્રી અરુણ જેટલીએ સાંસદોનો પગાર 50,000થી વધારીને 1,00,000 કર્યો. તે પછી ફુગાવાને અનુરૂપ દર પાંચ વર્ષે આપોઆપ પગાર-ભથ્થાં વધે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી, એટલે ભલામણો કરવાનું ટળ્યું. કોઈ વાર દેશ કેટલો દેવાદાર છે એના આંકડા બહાર પડે છે, ત્યારે સવાલ થાય કે એ દેવા જોડે સરકારને લેવાદેવા હશે કે એ બોજ જનતાનો જ છે? જો દેવાની ખબર હોય તો આવા ભવ્ય પગાર-ભથ્થાં, સાંસદો કે ધારાસભ્યોને પુનર્વિચાર કરવા પ્રેરે છે ખરા? એની સામે ઓછી આવકને કારણે આર્થિક અસમાનતાના પ્રશ્નો ઉદ્દભવે છે તે ખરું કે કેમ? એક તરફ 100 રૂપિયે નજીકનું લિટર પેટ્રોલ ઠલવાતું હોય ને શહેરી આવક દૈનિક 550 પણ ન હોય કે ગ્રામીણમાં તો એ 450થી ય ઓછી હોય ને તેમાં ય મહિલાઓને તો તેથી ય ઓછું મળતું હોય ને બીજી તરફ દૈનિક ભથ્થું 2,000નું 2,500 રમતમાં થઈ જતું હોય, તો એટલું નક્કી છે કે આ અસમાનતા અહિંસક રીતે સરભર થાય એ અશક્યવત્ છે. પ્રજા જુએ છે. જોઈ રહે છે. વેઠે છે. વેઠી રહે છે. પછી તેની આંખો ફરે તો પૃથ્વી પણ ફરવાનું ચૂકી જાય એમ બને. અમથું નથી કહ્યું, ચેતતો નર સદા સુખી. ન ચેતે તો પછી ઘણું ‘ચેતે’ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 માર્ચ 2025

Loading

‘પોતાનાં મંદિરો ભારતની ધરતી ઉપરથી ઊંચે આકાશમાં લઈ જાય !’

રમેશ સવાણી|Opinion - Opinion|27 March 2025

મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય કોણ હતા? તેઓ મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ હતા. જ્યારે સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું ત્યારે કાઁગ્રેસ પક્ષે સરદારની ખાલી પડેલી પાર્લામેન્ટની જગ્યા માટે તેમની પસંદગી કરી હતી. તે સમયે મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી મોરારજી દેસાઈ હતા; તેમણે કહેલ કે “ભાઈ મૂળદાસ, મહાત્મા ગાંધીજીના એકનિષ્ઠ સેવક છે અને તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવામાં તેઓ મારા કરતાં એક ડગલું આગળ છે.” મૂળદાસ વૈશ્ય 13 ફેબ્રુઆરી 1951ના રોજ બિનહરીફ ચૂંટાયા હતા. 1952માં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પણ કાઁગ્રેસ પક્ષે ભૂદરદાસ વૈશ્યને ટિકિટ આપી અને તેઓ ચૂંટાયા. ત્યારબાદ 1962માં સંસદસભ્ય તરીકે ફરી ચૂંટાયા હતા. 

સ્વામિનારાયણ સંપ્રદાયે પોતાના મંદિરમાં દલિતો માટે પ્રવેશબંધી કરી, તેની સામે મૂળદાસ ભૂદરદાસ વૈશ્યએ સુપ્રીમકોર્ટ સુધી લડીને જીત મેળવી હતી તે અંગે મેં ફેસબૂક પર લખ્યું હતું ત્યારે મને પણ આ મૂળદાસ વૈશ્ય વિશે બીજી કોઈ માહિતી ન હતી. પરંતુ ફેસબૂક પર મારી પોસ્ટ વાંચ્યા બાદ, મૂળદાસ વૈશ્યનાં પૌત્રી રુચિરા ચૌહાણે પોતાના પિતા બ્રહ્મદત્ત વૈશ્યએ સંકલિત કરેલ ‘ગુરુજી : મૂળદાસ ભૂદરદાસ વૈશ્યના જીવનપ્રસંગો’ પુસ્તક મને મોકલી આપ્યું. 112 પેજનું આ પુસ્તક સમકાલીન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. 

સ્વામિનારાયણ સંપ્રદાય દલિત ઉદ્ધારનું કામ કરે છે, તેવી ભ્રમણા સાહિત્યકારો ફેલાવે છે. પરંતુ વાસ્તવિકતા શું હતી? આઝાદી મળ્યાને હજુ થોડો સમય થયો હતો. અમદાવાદની કાપડ મિલોમાં મોટા ભાગના દલિતો થ્રોસલ ખાતામાં કામ કરતા હતા. તેઓ એકત્ર થઈ હરિકીર્તન કરતા કરતા, સ્વામિનારાયણ મંદિરે પ્રભુદર્શને ગયા, પરંતુ મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા. દલિતોએ દરવાજા બહાર ભજન-કીર્તન ચાલુ રાખ્યા. Bombay Harijan Temple Entry Act of 1947 મુજબ દલિતોને અન્ય હિન્દુઓની સાથે ધાર્મિક સ્થળોમાં દર્શન કરવાનો સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો, છતાં મંદિર-પ્રવેશ સામે સ્વામિનારાયણ મંદિરને વાંધો હતો. દલિતો સાથે ભેદભાવ થવાથી દલિતો મંદિરે એકત્ર થવા લાગ્યાં. સૌએ સંકલ્પ કર્યો કે ‘જ્યાં સુધી મંદિર ખૂલે નહીં ત્યાં સુધી એક પણ દલિતે મિલમાં કામે જવું નહીં.’ આ સંકલ્પનાં કારણે અમદાવાદની દરેક મિલના થ્રોસલ ખાતાં બંધ થઈ ગયાં. પરિણામે મિલો બંધ થઈ ગઈ. ત્રણ-ચાર દિવસ મિલો બંધ રહી. આની અસર મંદિરના ધર્મગુરુઓને ન થઈ પણ દિલ્હીમાં પડઘા પડ્યા. ગૃહ મંત્રી સરદાર પટેલ ખાસ વિમાનથી અમદાવાદ આવ્યા. તેમણે જાહેરસભામાં કહ્યું : “સ્વામિનારાયણ મંદિરવાળાઓ પોતાના મંદિરમાં દલિતોનો પ્રવેશ કરાવે અથવા પોતાનાં મંદિરો ભારતની ધરતી ઉપરથી ઊંચે આકાશમાં લઈ જાય ! આ ભારતની ધરતી ઉપરનું એક પણ મંદિર દલિત પ્રવેશ વગર રહી શકશે નહીં.”

સરદારના આ સધિયારા બાદ દલિતો કામે ચડી ગયાં. આ સમય દરમિયાન ડાકોરના મંદિરમાં રવિશંકર મહારાજની આગેવાનીમાં મૂળદાસ વૈશ્યએ દલિતોનો પ્રવેશ શક્ય બનાવ્યો હતો. અમદાવાદના દલિતોએ તથા મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ વૈશ્યએ, 14 જાન્યુઆરી 1948ના રોજ, કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરી સમૂહદર્શન અને પ્રાર્થના કરવાનું ઠરાવ્યું. પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરુષદાસજીએ ચાલાકી કરી. 12 જાન્યુઆરી 1948ના રોજ, અમદાવાદની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી કહ્યું કે “સ્વામિનારાયણ પંથ હિન્દુ ધર્મથી અલગ છે. સ્વામિનારાયણ મંદિરમાં દલિતો સત્સંગી બને તો જ તેમને મંદિર પ્રવેશ મળે. મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય અને બીજા દલિતો સત્સંગી નથી એટલે તેઓ મંદિરમાં દાખલ ન થઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો Bombay Harijan Temple Entry Act of 1947ના ક્ષેત્રમાં આવતાં નથી.” સિવિલ કોર્ટે યજ્ઞપુરુષદાસજીની તરફેણમાં સ્ટે પણ આપ્યો !

સિવિલ કોર્ટમાં આ કેસ 10 વરસ ચાલ્યો. કોર્ટે યજ્ઞપુરુષદાસજીનો દાવો મંજૂર રાખ્યો. દરમિયાન, 26મી જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, અને આર્ટિકલ-17થી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. કોઈપણ સ્વરૂપમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધિત મૂક્યો. છતાં સિવિલ કોર્ટે 24 સપ્ટેમ્બર 1951ના રોજ યજ્ઞપુરુષદાસની તરફેણમાં ચૂકાદો આપ્યો. આ ચુકાદા સામે મૂળદાસ વૈશ્યએ 8 માર્ચ 1957ના રોજ, મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે 25મી માર્ચ, 1957ના રોજ ‘શું અમદાવાદ ખાતેનું સ્વામિનારાયણ મંદિર અને તેના ગૌણ મંદિરો બંધારણની કલમ 25 (2) (b)ના અર્થમાં હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે?’ આ મુદ્દા પર તારણો નોંધવા માટે કેસ ટ્રાયલ કોર્ટમાં પાછો મોકલ્યો.

યજ્ઞપુરુષદાસજી નમતું મૂકવા તૈયાર ન હતા. તેમણે મુંબઈ હાઈકોર્ટના ચુકાદા સામે 23 માર્ચ 1959ના રોજ, સુપ્રીમકોર્ટમાં અપીલ કરી. સુપ્રીમકોર્ટના જસ્ટિસ પી.બી. ગજેન્દ્રગડકર / પી. સત્યનારાયણ રાજુ / કે.એન. વાંચ્છું / એમ. હિદાયતુલ્લા / વી. રામસ્વામીની બેન્ચે 14 જાન્યુઆરી 1966ના રોજ યજ્ઞપુરુષદાસજીની અપીલ રદ્દ કરતાં કહ્યું : “અપીલકર્તા યજ્ઞપુરુષદાસની દલીલ છે કે ‘સ્વામિનારાયણ સંપ્રદાયના સભ્યો હિન્દુ ધર્મનો સ્વીકાર કરતા નથી, તેથી અમારા મંદિરોને હિન્દુ મંદિરો કહી શકાય નહીં.’ આ દલીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. દલિતોને સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર છે. અમે એ બાબત ઉપર ભાર મૂકવા માગીએ છીએ કે જે ધારાને યજ્ઞપુરુષદાસે પડકારેલ છે, તે દલિતોને અપાયેલા મંદિર પ્રવેશનો હક; તમામ સામાજિક સગવડો અને હકો ભોગવવાના દલિતોના અધિકારના પ્રતિક તરીકે છે, કેમ કે સામાજિક ન્યાય એ ભારતીય બંધારણની જોગવાઈઓમાં દર્શાવેલી જીવનની લોકશાહી રીતનો મુખ્ય પાયો છે. આથી દલિતોને મંદિર પ્રવેશ કરવામાંથી બાકાત રાખી શકાય નહીં.”

સુપ્રીમ કોર્ટ સમક્ષની કાર્યવાહીમાં ધણો સમય / મહેનત / નાણાં જોઈએ. યજ્ઞપુરુષદાસજી પાસે અઢળક નાણાં હતા, જ્યારે ભૂદરદાસ વૈશ્ય પાસે ‘ન્યાયની આશા’ સિવાય કશું નહોતું. આ કેસની શરૂઆતનો દલિતોનો જુસ્સો ઓસરી ગયો હતો. ઘણાં તો આવો કેસ ચાલે છે તે પણ ભૂલી ગયા હતાં. તેથી દલિતો પાસે જઈ આ કેસ લડવા માટેની મુખ્ય જરૂરિયાત ‘નાણાં’ માગી શકાય તેમ ન હતા. આ સ્થિતિનો લાભ લેવા સ્વામિનારાયણ મંદિરવાળાએ દાણા દાબી જોયા, પણ ભૂદરદાસ વૈશ્ય ઝૂક્યા નહીં. આ જીત જે દલિતો માટે હતી તે તો ઊંઘતા જ હતા. તેમણે આ જીત પ્રત્યે કોઈ ઉમળકો ન બતાવ્યો. સામે ભૂદરદાસ વૈશ્યએ પણ પોતાની જીતનો કોઈને અણસાર પણ ન આવવા દીધો. કેસના કાગળિયાં બાંધીને મૂકી દીધાં. તેમનો એક જ જવાબ હતો : ‘મેં તો ફક્ત ફરજ બજાવી છે તેથી વિશેષ કાંઈ નહીં !’

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...204205206207...210220230...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved