Opinion Magazine
Number of visits: 9572530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલ ઇનામો : ઉમદા ઇતિહાસ અને થોડો વર્તમાન

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|3 January 2021

ભાગ્યે જ કોઈ એવી શિક્ષિત વ્યક્તિ હશે, જેણે નોબેલ ઇનામોનું નામ નહીં સાંભળ્યું હોય. દર વર્ષે વિજ્ઞાનની ત્રણ શાખાઓ, સાહિત્ય અને શાંતિ એમ પાંચ ક્ષેત્રે નોબેલ ઇનામો અપાય છે. છેક ૧૯૦૧થી અપાતાં આ ઇનામોનું આ ૧૨૦મું વર્ષ છે. આ ઉપરાંત એક ઇનામ અર્થશાસ્ત્રનું પણ છે, જે મૂળથી નોબેલ ઇનામ નહોતું, પરંતુ ૧૯૬૯માં રૉયલ સ્વીડિશ બૅન્કે તે પોતા તરફથી શરૂ કર્યું છે, અને બીજાં ઇનામો જોડે જ જાહેર થવાથી હવે તેને લોકો નોબેલ ઇનામ જ ગણે છે. બધાં ઇનામોના વિજેતાઓનાં નામોની એક પછી એક જાહેરાત ઑક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થાય છે અને ઇનામો નોબેલની જન્મતારીખ દશમી ડિસેમ્બરને દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અને શાંતિનું ઇનામ નૉર્વેના પાટનગર ઑસ્લોમાં અપાય છે. 

જેના નામે આ પારિતોષિકો અપાય છે, તે ઓલ્ફ્રેડ નોબેલનો જન્મ તો સ્વીડનમાં થયો, પરંતુ તે રશિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને છેવટ અમેરિકામાં રહી ચૂક્યો હતો. એની પ્રતિભા સર્વતોમુખી હતી; ઇજનેર હતો, પણ રસાયણશાસ્ત્ર જાણતો અને ઉદ્યોગપતિ હતો. તેની અનેક શોધોમાંથી મુખ્ય તે ડાયનેમાઇટની. રશિયાની ખનીજતેલની કંપનીઓમાં પણ તેનું રોકાણ હતું. પ્રખ્યાત તોપ બોફોર્સની કંપનીમાં ય તેનો હિસ્સો હતો. આ બધાથી તેને પુષ્કળ ધન મળ્યું. આજીવન અપરિણીત અને શરમાળ પ્રકૃતિના નોબેલને પોતાની જાતને આગળ ધકેલવાની ટેવ ન હતી. થોડો શોખ સાહિત્યનો હતો. એક ઑસ્ટ્રિયન મહિલા બર્થા વોન સટનર(જે એનાં સેક્રેટરી હતાં)ના પરિચયથી તેમને શાંતિના વિષયમાં બહુ રસ પડ્યો. આથી ૧૮૯૩માં તેણે જ્યારે વસિયતનામું બનાવ્યું ને ઇનામોની રચના કરી, ત્યારે શાંતિનો પણ તેમાં સમાવેશ કર્યો. લોકકથા એવી છે કે તેના મૃત્યુની ખોટી ખબર છપાયા બાદ જેવી ‘અંજલિ’ તેને મળી, તેનાથી તેનો આત્મા જાગ્યો અને તેણે ઇનામોનું દાન કર્યું; એ વાતને આધાર મળે તેવું કંઈ એની જીવનકથામાં વાંચવામાં ન આવ્યું. વિજ્ઞાનને ક્ષેત્રે કશુંક ઉપયોગી શોધી કાઢનારાઓને સન્માનવા તે જ મુખ્ય ઉદ્દેશ દેખાય છે. આથી જ ઇનામો માટે જાતિ, ધર્મ કે દેશની સીમાઓને તેણે શરત તરીકે અંકિત નથી કર્યાં.

નોબેલનું મૃત્યુ થયું ૧૮૯૬માં, પરંતુ ઇનામો ૧૯૦૧માં જ શરૂ થઈ શક્યાં કારણ કે એના ભત્રીજાઓએ ‘વિલ’ સામે વિવાદ કર્યો અને તેને ઉકેલતા પાંચ વર્ષ ગયાં. સૌથી પહેલું ઇનામ ક્ષ-કિરણોના શોધક વિલિયમ કોનરાડ રોન્જન(૧૮૪૫-૧૯૨૩)ને ગયું. ખાસ કરીને વિજ્ઞાનને લગતાં ઇનામોની જાહેરાતની વૈજ્ઞાનિકો રાહ જોતા હોય છે. તેમાં કોને મળ્યું તે કરતાં કયા વિષયને મળ્યું તેનું નામ વધુ લેવાય છે. જેમ કે આ વરસે મેડિસીનનું ઇનામ હિપેટાઈટિસ ‘C’ના વાઇરસની શોધને મળ્યું; વિજેતાનાં નામ હાર્વે અલ્ટર, માઇકલ હફટન અને ચાર્લ્સ રાઇસ ઓછાં મહત્ત્વના બને. સામાન્ય રીતે દર વર્ષે પહેલું જે ઇનામ જાહેર થાય તે ‘શરીરશાસ્ત્ર અથવા ઔષધવિજ્ઞાન’નું હોય છે. (આ ઇનામનું નામ વસિયતનામામાં Physiology OR Medicine એ રીતે લખાયું છે, એટલે કે આ બંને વિષય મળીને એક જ ઇનામ આપવાનું છે.) કમળાના એક પ્રકાર ‘હિપેટાઇટિસ-સી’નું કારણ એક વાઇરસ છે, તે બતાવી તેને જુદું તારવવા માટે આ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે વહેંચાયું છે. અગાઉ કમળો થવા માટે A તથા B નામે ઓળખાતા વિષાણું જવાબદાર છે, તે નક્કી થઈ ગયું હતું. પરંતુ તે બંનેની ગેરહાજરીમાં પણ કમળો થાય છે અને તે આ વાઇરસ તેમ આ ત્રણ જણાએ દર્શાવ્યું. લોહીની તપાસમાં આ વિષાણુને પકડી શકાય છે. જેના યકૃત(લિવર)ને આ વાઇરસ લાગુ પડે તેમને લિવરનું કૅન્સર થવાની શક્યતા રહે છે. 

પદાર્થવિજ્ઞાન (Physics) માટેનું ઇનામ પણ ત્રણ જણ વચ્ચે સંયુક્ત રીતે મળ્યું. રોજર પેનરોઝ, ગેન્ઝેલ અને એન્દ્રિયા ઘેઝ (મહિલા) એ ત્રણે એ અલગ-અલગ સમયે Black Hole ‘શ્યામગર્ત’ ઉપર કાર્ય કરેલું. બ્લૅક-હૉલ એવા અવકાશી પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે તેમાં ગયેલો કોઈ પદાર્થ પાછો નીકળી શકતો નથી, તે એટલે સુધી કે પ્રકાશ પણ નહિ! જેમાંથી પ્રકાશ ન નીકળે તેને જોઈ કેમ શકાય? એટલે તેનું નામ ‘કાળું કાણું’ એવું પડ્યું. આપણી આકાશગંગાના કેન્દ્રમાં પણ આવું જ એક બ્લૅક-હૉલ છે. પેનરોઝે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો ઉપયોગ કરી તેનું અસ્તિત્વ સમજાવ્યું, પરંતુ તે વાસ્તવમાં છે કે નહિ તેની સાબિતી ગેન્ઝેલ અને ઘેઝે આડકતરી રીતે આપી. તેઓએ અવલોકન કર્યું કે બ્રહ્માંડમાં અમુક તારાઓનું ટોળું એક અદૃશ્ય બિંદુની આસપાસ પ્રદક્ષિણા કરે છે. એનો અર્થ કે ત્યાં આગળ એક ભારે પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ તેમને ફેરવે છે. પેનરોઝે કોલકાતાના એક પ્રોફેસર અમલકુમાર રાય ચૌધરીનું ગણિત વાપરેલું, એટલે અગાઉ એમને મળવા ખાસ કોલકાતા પણ આવી ગયા છે.

રસાયણશાસ્ત્રનું ઇનામ પણ આમ જુઓ તો બાયૉલૉજીને જ ગયું કહેવાય. આનુવંશિકતાના મહા અણુ DNAમાં આપણી ઓળખના જિન્સ (જનીન) રહેલા હોય છે. જિનેટિક એન્જિનિયરિંગમાં DNAના અમુક ભાગમાં રહેલા જિનને કાઢી નાખવાનું અથવા તેમાં ફેરફાર કરવાનો હોય છે. તો ખાસ જગ્યાએ એ મહા અણુમાં નવું જિન બેસાડવું હોય, તો તેને બરાબર જગ્યાએથી કાપવો પડે. અમુક રસાયણો આ કામ કરી આપે છે, જેને અણુને કાપવાની કાતર કહી શકાય. CRISPR Cas૧૯ નામની આ ટેક્‌નોલૉજી ઇમેન્યુઅલ ચાર પેન્ટિયર અને જેનિફર ડૂડના નામનાં બે સ્ત્રીવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. CRISPRએ લાંબા નામના પ્રથમ અક્ષરોથી  બનેલું નામ છે. આ યુક્તિ વનસ્પતિ તેમ જ પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરવા માટે વપરાય છે. કેટલાકે તેનો ઉપયોગ માણસની પ્રજાતિ સુધારવાના સંશોધન માટે પડકાર અને એમ કંઈક વિવાદ પણ ઊઠેલો. નોબેલ પ્રાઇઝના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે સંયુક્ત ઇનામનાં બંને દાવેદાર મહિલા હોય, પરંતુ ભાભા પરમાણુકેન્દ્રના ડૉ. રથે આ વિષયે વ્યાખ્યાન આપતાં કહ્યું કે આ બંને ઉપરાંત લિથુયાનિયાના ડૉ. સિકિસ્નસે પણ આ જ શોધ કરી હતી, અને એમનું શોધપત્ર આ બંને કરતાં પહેલા પ્રકાશન માટે અપાયું હતું (મે ૨૦૧૨), પરંતુ આ લોકોએ જે જર્નલને પેપર મોકલ્યું, તેના તંત્રીને આ વિષય નવો લાગતાં તેમણે મોડા આવેલ પેપરને જલદી (જૂનમાં મળેલ પેપરને જૂનમાં જ) છાપ્યું. નોબેલ કમિટીએ ધાર્યું હોત, તો ત્રણેને સંયુક્ત ઇનામ આપી શકી હોત, પણ તેણે જે શોધપત્ર વહેલું છપાયું તેને ઇનામ આપ્યું. (એ વાત જુદી છે કે આમાંથી એક મહિલા સ્વીડનનાં છે, જ્યાં આ ઇનામોનો નિર્ણય થાય છે.)

સાહિત્યનું ઇનામ ૭૭ વર્ષનાં અમેરિકન કવિયિત્રી લુઇસ ગ્લુકને અપાશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૬૮માં પ્રકાશિત થયો હતો. એમ કહે છે કે એમની ખાસિયત છે કે બધાને સમજાય તેવી કવિતા લખવી. એમના કાર્ય વિષે સિતાંશુભાઈએ ગયા મહિનાના ‘નવનીત સમર્પણ’માં વિસ્તારથી વાત કરી છે. શાંતિનું પારિતોષિક યુનોની એક સંસ્થા વર્લ્ડ ફૂડપ્રોગ્રામને અપાયું. ફૂડપ્રોગ્રામ અનેક દેશોમાં શાળાનાં કુપોષિત બાળકોને ખોરાક પહોંચાડવાનું કામ છેલ્લાં સાઠેક વર્ષથી કરે છે. શાંતિ અને સાહિત્યનાં ઇનામો બાબતે ક્યારેક નોબેલ કમિટી થોડું ઍક્ટિવિઝમ કરી લેતી હોય છે. અર્થશાસ્ત્ર (જેને નોબેલ કમિટી Econonomic Science કહે છે!) માટે પોલ મીલ્ગ્રોમ અને રૉબર્ટ વિલ્સનની વરણી થઈ છે. એ લોકોએ નીલામી (Auction) કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને તેની વિવિધ રીતો પેશ કરી છે. આપણા દેશમાં સ્પેક્ટ્રમ અને કોલસાની ખાણોના પટ્ટાના નીલામી બાબતે બહુ ચર્ચા થઈ. પરંતુ આ અર્થશાસ્ત્રી જોડીએ દર્શાવ્યું છે કે મોઘા ભાવે ખરીદાયેલ પટ્ટા સરકારોને ગમે, પરંતુ સરવાળે પ્રજાને માથે જ ભારે પડે છે. 

ઇનામ મેળવનારે સામાન્ય રીતે મંચ પર પોતાના કામ વિષે વ્યાખ્યાન આપવાનું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કદાચ અર્પણવિધિ પ્રત્યક્ષ નહિ હોય. આમ છતાં વ્યાખ્યાન હોઈ પણ શકે. નોબેલ ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર આજ લગી થયેલા દરેક ભાષણની પ્રતિલિપિ મળે છે. બી.બી.સી. વર્લ્ડ ન્યૂઝ ડિસેમ્બરની દશમી તારીખે ઇનામ અપાયાં પછી આ બધી વ્યક્તિઓ સાથે વાતચીતનો કાર્યક્રમ કરે છે, જેમાં તેઓના અભિગમ તેમ જ કાર્યક્ષેત્ર વિષે વધુ જાણવા મળે છે. આમ તો નોબેલ ઇનામો વિષે બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે, જેમ કે કોને બે વાર મળ્યું, એક કુટુંબમાં કેટલાને મળ્યું, કોને મળવું જોઈતું હતું ને ન મળ્યું અથવા ના મળવું જોઈતું હતું, તેને મળ્યું વગેરે … પણ તે ટ્રિવિયા વિષે ક્યારેક પછીથી.

E-mail : pr_vaidya@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 13 તેમ જ 15

Loading

સેક્સવર્કરની સંગાથેઃ ૭

ગૌરાંગ જાની|Opinion - Opinion|3 January 2021

૩૮ : જયપુર રેલવે-સ્ટેશન પર સેક્સવર્કર બહેનો સાથે મુલાકાત.

વર્ષ ૨૦૦૬માં રાજસ્થાન એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટી હેઠળ જયપુર સહિત રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં સેક્સવર્કર બહેનોને ઓળખી, તેઓને એઇડ્‌સ-નિયંત્રણ અર્થે સક્રિય કરવાનો પ્રોજેક્ટ શરૂ થયો. ગુજરાતની તુલનાએ ત્યાં આ પ્રકારના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્‌સ મોડા શરૂ થયા હતા. તેઓની એક ટીમ જ્યોતિ સંઘનો પ્રોજેકટ સમજવા અમદાવાદ આવી હતી. તેઓની મુલાકાત બાદ નક્કી થયું કે મારે રાજસ્થાન જઈ ત્યાંના કાર્યકરોને તાલીમ આપવી, ખાસ કરીને જ્યોતિ સંઘના અનુભવોની વાત કરવી.

તેઓની એક રજૂઆત એવી હતી કે જયપુરમાં કામ કરતા યુવા કાર્યકરો સેક્સવર્કર બહેનોને શોધવામાં મુશ્કેલી અનુભવે છે. ડર અને સંકોચ અનુભવાય છે. એટલે પ્રોજેક્ટની મજબૂત શરૂઆત થઈ શકતી નથી. મારે ત્રણ દિવસની કાર્યશાળા સંચાલિત કરવાની હતી. કાર્યકરોને તૈયાર કરવાના હતા, પણ મને એ ખ્યાલ ન હતો કે ત્યાં સેક્સવર્કર બહેનો કેવી રીતે વ્યવસાય કરે છે. હું પ્રથમ વાર જયપુર જઈ રહ્યો હતો. આ સ્થિતિમાં મેં નક્કી કર્યું કે તાલીમ કાર્યશાળા શરૂ થાય એ પૂર્વે જ જયપુરનાં સેક્સવર્કર બહેનોને શોધી, તેમની મુલાકાત લેવી અને તે અનુભવ ત્યાંના કાર્યકરોને વહેંચવો, જેથી તેઓને માર્ગદર્શન મળે.

તાલીમના આગલા દિવસે જ હું જયપુર પહોંચી ગયો અને હોટલમાં સામાન મૂકી સાંજ પડતાં જ જયપુર રેલવે-સ્ટેશને પહોંચી ગયો. સામાન્ય રીતે મોટાં શહેરોમાં રેલવે અને બસસ્ટોપની આસપાસ આ બહેનો ધંધો કરતી હોય છે, એવો મારો જાતઅનુભવ ગુજરાતનાં અને દેશનાં શહેરોની મુલાકાત બાદ થઈ ચૂક્યો હતો. સ્ટેશન પર અહીંતહીં ફરી થોડું નિરીક્ષણ કર્યું. ચા વેચતા રેંકડીવાળાને, કુલીને અને ત્યાં આંટા મારતા પોલીસવાળાને વિશ્વાસમાં લઈ સ્થિતિ જાણી લીધી. એ દરમિયાન સ્ટેશન પર ગ્રાહકો શોધતી બે બહેનોને મેં ઓળખી લીધી અને સ્વાભાવિક રીતે મારી ઓળખ આપીને વાતચીત શરૂ કરી દીધી. સામાન્ય રીતે સાંજ ઢળતાં આ બહેનો ગ્રાહકો શોધી કાઢે અને રાતનો ધંધો ક્યાં કરવો તે સ્થળ અને પૈસા નક્કી થઈ જાય. હું જ્યારે મળ્યો, ત્યારે બહેનો ગ્રાહકો શોધી ચૂકી હતી અને એટલે નવરાશ હતી, હું મોટે ભાગે મારી સાચી ઓળખ આપીને જ તેઓ સાથે ઘરોબો બાંધવાનો પ્રયત્ન કરતો અને મને સફળતા મળતી. તેઓ સાથે વાતચીતમાં કૉન્ડોમનો ઉપયોગ, એઇડ્‌સનો ખતરો એવી વાતો પણ ઝડપથી કરી લીધી. પણ મને રસ હતો સ્ટેશનની આસપાસના ગેસ્ટહાઉસમાં જઈ ધંધો કરતી બહેનોને મળવાનો.

બન્યું એવું કે એ બે બહેનો સાથે વાત કરતાં જ એક ત્રીજી બહેનને તેઓએ એમ કહી બોલાવી કે કોઈ ગુજરાતી સાહેબ આવ્યા છે. એ બહેન ગાંધીધામની હતી અને કોન્ટ્રાકટ પર જયપુરમાં ધંધો કરવા આવી હતી. આ ઉત્તમ મોકો મને મળી ગયો. તેને પણ મારામાં વિશ્વાસ બેઠો અને રાત્રે નવ વાગે તે મને સ્ટેશનની બહાર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ. પછી તો મેં ત્યાંના મૅનેજર સાથે જયપુરની સેક્સ ઇન્ડસ્ટ્રીની ‘કૂંડળી’ મેળવી લીધી. તેને પણ બહુ રસ પડ્યો અને અમને ખ્યાલ ન આવ્યો કે અમે બન્ને અજનબી સેક્સવર્કર, એઇડ્‌સ, પોલીસ, ટૂરિઝમ અને સેક્સવર્ક એવા વિષયોમાં ચર્ચા માંડી બેઠાં. પણ મારા એ ચાર કલાકે મને ત્રણ દિવસની કાર્યશાળાનું અણમોલ ભાથું ભેટ ધર્યું.

બીજે દિવસે કાર્યશાળામાં સવાલો ઊઠ્યા કે રાજસ્થાન રૂઢિચુસ્ત છે, એટલે સેક્સવર્કરને શોધવી, તેની પાસે માહિતી લેવી લોઢાના ચણા ચાવવા જેવું છે. ડર અને સંકોચની જ વાતો શરૂ થઈ અને મેં મારી આગલી રાતનો અનુભવ વર્ણવવો શરૂ કર્યો, તો સૌની આંખો પહોળી થઈ ગઈ. કોઈ માનવા તૈયાર ન હતું, પણ તાલીમના બીજા જ દિવસે સાંજે કાર્યકરોને લઈ જયપુર સ્ટેશને પહોંચ્યો અને ત્યાંની બહેનોએ મને જોતાંવેંત આવકાર આપ્યો અને કાર્યકરો તેમ જ બહેનો માટે શરૂ થઈ એક નવી સફર અને સર્જાયો ઇતિહાસ. આવી સફળતા મળે ત્યારે કહેવત યાદ આવે છે, ’પૂછતાં પંડિત થવાય’!

૩૯ : મૂકબધિર સેક્સવર્કરની વાત.

અમદાવાદમાં ૪,૦૦૦થી વધુ સેક્સવર્કર બહેનોને અમે સંગઠિત કરી પણ તે સૌ સુધી વિવિધ પ્રકારની સેવાઓ અને જાગૃતિ પહોંચાડવા માટે તેઓમાંથી જ પ્રતિનિધિઓ નિમાતા જેને પિયર-એજ્યુકેટર કહેવામાં આવે છે. તેઓ શહેરના જુદા-જુદા વિસ્તારોનું અને ત્યાં કામ કરતી કે રહેતી સેક્સવર્કરનું પ્રતિનિધિત્વ કરે. આવી ૬૦થી વધુ પિયર-એજ્યુકેટરમાં એક હતી છાયા, જે જન્મથી મૂકબધિર હતી. અનાથ કહી શકાય એવી છાયા જીવન ટકાવવા આર્થિક ઉપાર્જન અર્થે સેક્સવર્કર બની. ખાસ ભણી ન હતી. પણ ઇશારાઓથી પોતાની વાત કરતી.

અમારા પ્રોજેક્ટમાં શરૂઆતમાં તે શનિવારની મીટિંગમાં આવતી પણ તેને કંઈક મદદ કરવાની ઇચ્છા રહેતી. પરિણામે અમારા કાર્યકરોએ તેનો ઉત્સાહ જોઈ પિયર-એજ્યુકેટર બનાવી. પછી તો એ સતત તેના વિસ્તારમાં બીજી બહેનોને મળતી. તેઓને કૉન્ડોમ પહોંચાડતી. અમારા ગુરુવારના અને શનિવારના ક્લિનિક પર બહેનોની જાતીય સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવા તે બહેનોને લઈ આવતી. શનિવારની મીટિંગ હું લઉં ત્યારે પણ શક્ય બને એમ તેની વાત ઇશારાથી સૌને સમજાવે અને સમય જતાં કેટલીક સાઇન લૅંગ્વેજ તો અમે પણ શીખેલા.

તેના ગ્રાહકો સાથે પણ તે સહજતાથી ધંધાની વાત કરી શકતી હતી. ‘ના બોલે, ના સાંભળે’ એ સ્થિતિમાં જાતભાતના ગ્રાહકો સાથે કામ લેવું કેવું અઘરું હશે, એ સમજી શકાય એવું છે. તેનું એવું માનવું હતું અને મેં પણ વાંચેલું કે શારીરિક મર્યાદા ધરાવતી સેક્સવર્કર, પછી તે પ્રજ્ઞાચક્ષુ હોય કે મૂકબધિર તેને મુશ્કેલી ઘણી પડે, પણ તેઓને અન્ય સેક્સવર્કર કરતાં પૈસા વધુ મળે. પણ મુદ્દો એ છે કે ગ્રાહકોને તો સેક્સવર્કર જોઈએ પછી તે ગમે તેવા પડકાર કેમ ના ધરાવતી હોય. સમાજ પણ કેવો કે શારીરિક મર્યાદા ધરાવતી મહિલાઓને દેહવિક્રય કરવા સુધી જવું પડે !

૪૦ : એઇડ્‌સ દિનની ઉજવણી સેક્સવર્કર બહેનો વિના અધૂરી.

દુનિયાભરમાં વર્ષ ૧૯૮૭થી એઇડ્‌સ દિવસ ઊજવવાની શરૂઆત થઈ. પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્રસંઘ આ દિવસ માટે એક વિશિષ્ટ સૂત્ર આપે છે. આ સૂત્રોનો અભ્યાસ કરવાથી એ  સમજાય છે કે દુનિયાએ એઇડ્‌સ-પ્રતિકાર માટે કેવું અને કેટલું યોગદાન આપ્યું છે. આ વર્ષનું સૂત્ર છે, “Global Solidarity, Shared Responsibility”.

વિશ્વની સાથે ભારત, ગુજરાત અને અમદાવાદની સેક્સવર્કર બહેનોએ અદ્‌ભુત જાગૃતિ દર્શાવી પોતાનો અને ગ્રાહકોને એચ.આઇ.વી.-સંક્રમણથી બચાવ્યા છે. મર્યાદિત શિક્ષણ, આર્થિક પડકારો અને સામાજિક અસ્વીકૃતિ વચ્ચે પણ આ બહેનોએ ‘નો કૉન્ડોમ, નો સેક્સ’ના સૂત્રને સતત ચરિતાર્થ કર્યું. હંમેશાં ઓળખ છુપાવીને જીવવાનું તેમના નસીબમાં રહ્યું છે, પણ પ્રતિવર્ષ પહેલી ડિસેમ્બરે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સેંકડોની સંખ્યામાં તેઓ રેલીમાં ભાગ લે છે. આ વર્ષે કોરોનાં મહામારીએ ઉજવણી પર બ્રેક મારી છે, પણ તેઓનો એઇડ્‌સ-પ્રતિકાર બરકરાર છે. સામાજિક અંતરની સ્થિતિમાં તેઓનો વ્યવસાય બંધ છે અને બેકારી છે. એ સ્થિતિમાં તેઓને સરકાર અને સમાજ બનતી તમામ મદદ કરે એવી અપીલ.

E-mail: gaurangjani@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 12 

Loading

ચલ મન મુંબઈ નગરી—77

દીપક મહેતા|Opinion - Opinion|2 January 2021

એશિયા ખંડની પહેલી મેડિકલ કોલેજ મુંબઈમાં

પહેલી ગુજરાતી સ્ત્રી-ગ્રેજ્યુએટ કોર્નેલિયા સોરાબજી

જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર

યુનિવર્સિટી પરીક્ષાઓનાં વહાણ ચાલતાં

‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’

ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીના જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં મુંબઈથી પ્રગટ થતાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ : વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, ખોજ, જ્ઞાન, સત્ય, બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે મુંબઈમાં અને આખા પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તે હકીકતમાં નવજાગૃતિ યુગ છે. અને પશ્ચિમ ભારતમાં એ યુગનાં મંડાણ થયાં મુંબઈથી.

માનશો? ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૫૯માં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી, પણ ૧૮૭૫ સુધી એક પણ છોકરી આ પરીક્ષામાં બેઠી જ નહોતી! કારણ છોકરી પણ મેટ્રિકની પરીક્ષા આપી શકે એવો વિચાર જ કોઈને આવ્યો નહોતો! ૧૮૭૫માં યુનિવર્સિટીને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનું ‘હી’ સર્વનામ જ વપરાયું હતું. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને મેટ્રિકની પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ. એમનું કટુંબ મૂળે તો પારસી, પણ કોર્નેલિયાના જન્મ પહેલાં તેમના પિતા ખરસેતજી લંગડાનાએ સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો, અને ‘સોરાબજી’ અટક અપનાવી હતી.

કોર્નેલિયા સોરાબજી

બીએની ડિગ્રી તો મળી. પણ પછી શું? અમદાવાદની ગુજરાત કોલેજમાં સરકારે ‘ટીચિંગ ફેલોશિપ’ની ઓફર કરી. પણ છોકરીઓનાં શિક્ષણ માટે કામ કરવાનો ઈરાદો હતો એટલે પહેલાં તો એ ઓફર નકારી. પણ પછી વિચાર આવ્યો કે એક છોકરીના હાથ નીચે ભણવાથી છોકરાઓનું પણ ભલું થશે, એટલે ઓફર સ્વીકારી. ત્યાં જઈ પ્રિવિયસ અને બી.એ.નો અભ્યાસ કરતા છોકરાઓને (એ વખતે કોઈ છોકરી ત્યાં ભણતી નહોતી) અંગ્રેજી ભણાવ્યું. જોડાયા પછી ત્રણ મહિને તેમની નિમણૂંક અંગ્રેજીના પ્રોફેસર તરીકે કરવામાં આવી. અગાઉ આ જગ્યાએ કોઈને કોઈ બ્રિટિશરની જ નિમણૂંક થતી. એટલે કોર્નેલિયા પહેલાં બિન-બ્રિટિશ અંગ્રેજીના અધ્યાપક બન્યાં. ત્યારે તેમની ઉંમર હતી ફક્ત બાવીસ વરસ!

આ કોર્નેલિયા સોરાબજી વખત જતાં ગ્રેટ બ્રિટનમાં સ્થાયી થયાં હતાં. પણ પોતાના દેશને, તેની સંસ્કૃતિને ભૂલ્યાં નહોતાં. આ અંગેનો એક રસપ્રદ કિસ્સો : ગ્રેટ બ્રિટનના લોકો કોર્નેલિયાને ‘ન્યૂ વુમન ફ્રોમ ઇન્ડિયા’ તરીકે ઓળખવા લાગ્યા. વધતાં વધતાં કોર્નેલિયાની નામના રાણી વિક્ટોરિયા સુધી પહોંચી. એટલે રાણીએ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. પણ રાણીના અધિકારીઓને કોર્નેલિયાએ કહ્યું કે રાણીસાહેબાને મળવા તો હું જરૂર આવું, પણ એક મુશ્કેલી છે : મુલાકાત વખતે હું પશ્ચિમી ઢબનો પોશાક નહિ પહેરું. મારા દેશના રિવાજ પ્રમાણે સાડી જ પહેરીશ. ‘નહિ રાણીજીનો હુકમ પણ પાછો કદિ ફરે’ એ નિયમથી ટેવાયેલા અધિકારીઓ મૂંઝાયા. શું કરવું? થોડી હિંમત કરી રાણીસાહેબાને કાને વાત નાખી. ઉદારતા અને સૌજન્યપૂર્વક મહારાણી વિક્ટોરિયાએ સંદેશો મોકલ્યો કે તું તારા દેશનો પોશાક પહેરીને આવે તેનો મને વાંધો નથી. આ સંદેશો પહોંચાડતી વખતે અધિકારીઓએ દબાતે અવાજે એક અરજ કરી : ‘આપ રોજ પહેરો છો તેવી સફેદ સાડી નહિ, પણ રંગીન સાડી પહેરો તો સારું.’ કોર્નેલિયાએ આ વાત સ્વીકારી અને પીળાશ પડતા ગુલાબી રંગની સાડી પહેરીને મહારાણીને મળવા ગયાં. યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે કોન્વોકેશન હોલમાં તેમને ડિગ્રી મળી હતી તે જ કોન્વોકેશન હોલમાં બરાબર સો વર્ષ પછી, ૧૯૮૮માં, કોર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.

૧૮૭૦ની આસપાસની હિંદુ કન્યાશાળા

એટલે, કન્યા-કેળવણી એ સુધારાનું કહો કે નવજાગૃતિનું પહેલું પગથિયું. પણ એ જમાનામાં છોકરીઓ અને છોકરાઓને સાથે ભણાવી શકાય એ તો શક્ય જ નહોતું. એટલે ધ બોમ્બે એજુકેશન સોસાયટીએ ૧૮૧૮માં મુંબઈમાં એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ હિંદુ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિંદુ છોકરી ભણતી નથી. આ પરિસ્થિતિ પાછળ માત્ર ઉપેક્ષા જવાબદાર નહોતી. પરંપરાવાદી જૂથો દ્વારા ભોળા લોકોમાં જાતજાતની અફવાઓ ફેલાવવામાં આવતી હતી. જેમ કે જો છોકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા થાય. અથવા ભણવા માટે નિશાળે જતી છોકરીઓ વંઠી જતી હોય છે અને મોટેરાંનું કે વરના કહ્યામાં રહેતી નથી, વગેરે.

પણ વખત જતાં એક મુશ્કેલી નજર સામે આવી. છોકરો ભલે થોડુંઘણું, પણ ભણેલો હોય, અને છોકરી તદ્દન અભણ હોય તો એ પણ એક પ્રકારનું કજોડું બની શકે. એટલે માબાપને વધુ સારી દીકરી, છોકરાને વધુ સારી પત્ની, અને સાસરિયાંને વધુ સારી વહુ મળી રહે એટલા ખાતર પણ છોડીઓને થોડું ભણાવવી જોઈએ એમ લાગવા માંડ્યું. એટલે પહેલાં મુંબઈમાં, અને પછી ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પહેલાં પારસીઓએ અને પછી બીજા વર્ગોના ઉજળિયાત લોકોએ દીકરીને મર્યાદિત પ્રમાણમાં ભણવા માટે ‘છોડીઓ માટેની નિશાળો’માં મોકલવાનું શરૂ કર્યું. તો તવંગર કુટુંબોમાં છોકરીઓને (અને છોકરાઓને પણ) ભણાવવા માટે ‘ઘર શિક્ષક’ રાખવાનું શરૂ થયું. અત્યંત તવંગર અથવા મોભાદાર કુટુંબોમાં આ માટે ‘ગોરી’ અને તે ન મળે તો એન્ગલો ઇન્ડિયન કે પારસી શિક્ષિકાઓ પણ રાખવામાં આવતી.

ગુજરાત અને કાઠિયાવાડમાં તો નવી કેળવણી સામેનો વિરોધ લાંબો વખત ટક્યો. પ્રમાણમાં પ્રગતિશીલ કહી શકાય એવા ભાવનગર રાજ્યમાં પણ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ છેક ૧૮૫૬માં કેટલાક બ્રિટિશ સાહેબો અને દીવાન ગૌરીશંકર ઉદયશંકરના આગ્રહથી સ્થપાઈ હતી. પણ એ જ દીવાને જ્યારે કન્યાશાળા સ્થાપવાનો વિચાર કર્યો ત્યારે એ માટે જગ્યા ભાડે આપવા કોઈ તૈયાર ન થયું. એટલે તેમણે એ પોતાના ઘરમાં શરૂ કરી અને તેમાં ભણવા માટે પોતાના કુટુંબની અને નજીકનાં સગાંઓની આઠથી દસ વરસની ઉંમરની દસ જેટલી છોકરીઓને દાખલ કરી. એટલું જ નહિ ઘણી સમજાવટ પછી એ કન્યાશાળાના ઉદ્ઘાટન વખતે પોતાની છ વરસની ઉંમરની રાજકુંવરી હાજર રહે એ માટે રાજવી દંપતીની સમ્મતિ મેળવી.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું મૂળ મકાન

અલબત્ત, શરૂઆતનાં ઘણાં વર્ષો છોકરાઓ અને છોકરીઓને એક સરખું શિક્ષણ આપવાની જરૂર ભાગ્યે જ કોઈને જણાઈ હતી. ‘બાળોઢાભ્યાસ પ્રકરણ’ નામના લાંબા નિબંધમાં કવીશ્વર દલપતરામ છોડીઓને કેવી ચોપડીઓ ભણાવવી જોઈએ તેની ખાસ્સી લાંબી યાદી આપે છે. તેમાંની કેટલીક : નીતિની, ચાલ-મિજાજની, શિયળની, આબરૂની, પાકશાસ્ત્રની, ધીરજ વિષે, સંપ વિષે, ઘરસૂત્ર વિષે, સંતોષ વિષે. કન્યા થોડુંઘણું વાંચતાં, લખતાં, ગણતાં શીખે અને કહ્યાગરી કુલવધૂ થઈને રહે એથી વધું બીજું શું જોઈએ? પણ આ ચોકઠામાંથી પહેલાં મુંબઈ બહાર નીકળ્યું અને પછી ગુજરાત તેને અનુસર્યું.

સર બહેરામજી જીજીભાઈ

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તેના કરતાં પણ પહેલાં, ૧૮૪૫માં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ ચૂકી હતી અને તે પોતાની ડિગ્રી પણ આપતી હતી. આખા એશિયા ખંડની એ પહેલી મેડિકલ કોલેજ. પછીથી તે યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈ. એટલે મેડિકલ શિક્ષણ, એલોપથિક ડોકટરો અને સારવાર પદ્ધતિ, શસ્ત્રક્રિયા વગેરેની શરૂઆત પણ મુંબઈથી જ થઈ. અમદાવાદ મેડિકલ સ્કૂલ નામની ગુજરાતની પહેલી મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા છેક ૧૮૭૧માં શરૂ થઈ હતી. મુંબઈના સખાવતી પારસી વેપારી સર બહેરામજી જીજીભાઈએ ૧૮૭૯માં વીસ હજાર રૂપિયાનું દાન આપ્યા પછી તેનું નામ બી.જે. મેડિકલ સ્કૂલ કરવામાં આવ્યું. છેક ૧૯૧૭માં તે સ્કૂલમાંથી કોલેજ બની હતી. ૧૮૭૮માં શરૂ થયેલી પૂનાની મેડિકલ કોલેજ માટે પણ સર જીજીભાઈ બહેરામજીએ માતબર દાન આપ્યું હતું. 

૧૮૬૨ની મેટ્રિકની પરીક્ષાનો ગુજરાતીનો એક પેપર

અંગ્રેજી માધ્યમ દ્વારા અપાતા શિક્ષણ માટે આપણે મોટે ભાગે લોર્ડ મેકોલેને જવાબદાર ગણીને તેને ગાળો ભાંડીએ છીએ. પણ તેમની શિક્ષણ અંગેની વિચારણાની અસર જેટલી કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં પડી એટલી બોમ્બે પ્રેસિડેન્સીમાં લાંબા વખત સુધી પડી નહિ. તેનું મુખ્ય કરણ એ કે બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની અહીં શરૂઆત થઈ ત્યારે તેના બે મુખ્ય પુરસ્કર્તા માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસ, બંને દૃઢપણે માનતા હતા કે ‘દેશી’ઓને શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ અપાવું જોઈએ. એ વખતે પણ અંગ્રેજી માધ્યમની નિશાળો તો હતી જ, પણ મુખ્યત્ત્વે પરદેશી અને સ્થાનિક ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે. પછી વખત જતાં જ્યારે બીજા વિદ્યાર્થીઓને પણ તેમાં દાખલ કરવા જોઈએ એવી માગણી ઊઠી ત્યારે સરકારે ‘એન્ગલો વર્નાક્યુલર’ સ્કૂલો શરૂ કરી. જેમાં શિક્ષણની શરૂઆત તો માતૃભાષામાં જ થાય, પણ પછી આગળ જતાં અમુક વિષયો અંગ્રેજીમાં ભણાવાય. યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારથી મેટ્રિકથી માંડીને બીએ સુધી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓ શીખવવાની સગવડ હતી. શરૂઆતમાં ઘણાં વર્ષો સુધી તો મેટ્રિકની પરીક્ષામાં ‘દેશી’ ભાષાઓનાં ત્રણ પેપર રહેતા. એક વ્યાકરણનો, બીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો અને ત્રીજો અંગ્રેજીમાંથી ‘દેશી’ ભાષાઓમાં અનુવાદનો. એ જમાનાની તાસીર કેવી હતી એનો એક દાખલો : આજે તો પરીક્ષાઓમાં ગેરરીતિ થતી અટકાવવા માટે યુનિવર્સિટીઓએ જાતજાતના નુસખા અજમાવવા પડે છે, અને છતાં પરીક્ષાઓનાં પરિણામોમાં ગોલમાલ થતી જ રહે છે. પણ મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી ઘણાં વર્ષો સુધી દરેક પ્રશ્નપત્રને મથાળે તેના પેપર સેટર્સનાં નામ છપાતાં! અને વિદ્યાર્થીઓને નંબર આપવામાં આવતા નહોતા. ઉત્તરપત્રના દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું રહેતું. એ વખતે સ્કૂલ-કોલેજોની સંખ્યા પ્રમાણમાં ઓછી, એટલે ઘણુંખરું વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને ઓળખાતા હોય એવું બને. છતાં કોઈને ‘ગોલમાલ’ની બીક રહેતી નહિ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર પરીક્ષાઓનાં વહાણ ચાલતાં.

શિક્ષણ એ એક એવો દરવાજો છે કે એક વાર એ ખોલો પછી અનેક નવી નવી બાબતો સમાજમાં દાખલ થયા વગર રહે જ નહિ. પણ આ રીતે આપણા સમાજમાં જે નવું અજવાળું પથરાયું, એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : ‘ગુજરાતી મિડ-ડે”, 02 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0392,0402,0412,042...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved