Opinion Magazine
Number of visits: 9964209
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ અને જય જગત

આરાધના ભટ્ટ|Diaspora - Features|21 April 2021

‘ઓપિનિયન’ એ વિચારપત્ર છે અને એના રજત પડાવે આ અવસર રચાયો છે તેથી બે શબ્દોની વાતથી શરૂઆત કરું. એક શબ્દ છે ‘ઓપિનિયન’, એ શબ્દના ગુજરાતી પર્યાય અભિપ્રાય, મત, મંતવ્ય કરીએ. બીજો શબ્દ છે ‘વિચાર’. અભિપ્રાય અને વિચાર – આ બંને શબ્દો વિદેશમાં વસતા સમુદાય સંદર્ભે મહત્ત્વના છે. વિચાર એ અભિપ્રાયનું ઉદ્ગમસ્થાન છે. વિચાર પ્રેરવા માટે માહિતી અને સંવેદનક્ષમતા જરૂરી છે. લોકો જ્યારે દેશમાંથી પોટલાં બાંધીને વિદેશ નિવાસાર્થે ગમન કરે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ સાથે લઇ જાય છે. પણ સાથે લઇ જવાની એ બધી ભૌતિક વસ્તુઓની યાદીમાં આ બે અભૌતિકો પાછળ રહી જાય છે. બાલમુકુંદ દવેનું કાવ્ય ‘જૂનું ઘર ખાલી કરતાં’ની પંક્તિ છે ‘શું શું સાથે લઇ જઈશ હું?’ − કહેવાનું તાત્પર્ય એ છે કે નવા દેશમાં જઈને ઠરીઠામ થવામાં અને રોટલો રળવામાં આપણે એવાં જોતરાઈ જઈએ છીએ કે દેશ-વિદેશના પ્રવાહો વિષેની માહિતી અને એના આધારે વિચાર, વિચારમાંથી ઉદ્દભવતા અભિપ્રાય, અને લોકશાહી ઢબે એ અભિપ્રાયની અભિવ્યક્તિ અને આદાન-પ્રદાનની પ્રક્રિયાથી આપણને છેટું થઇ જાય છે. વાંચન, વિચાર, બંને દેશોના અને દુનિયાના સાંપ્રત સામાજિક-સંસ્કૃતિક-રાજકીય પ્રવાહોની માહિતી અને વિચાર વિમર્ષમાં આપણે ક્યાંક પાછાં પડીએ છીએ એવો મારો અનુભવ છે. અને તેથી ‘ઓપિનિયન’ જેવી વેબસાઈટ એ દેશાંતરિતોની આજની અને આવતી પેઢીઓ માટે અત્યંત ઉપકારક છે.

વારસાની ભૂમિ એટલે શું? પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ વચ્ચે, રેખાઓથી બનેલા કોઈક ચોક્કસ આકારનો જમીનનો એક ટૂકડો? ના, ભૂમિ એટલે જે તે ભૂમિ પર વસતા લોકો, એ લોકોનો બનેલો સમાજ, જે સંસ્કૃતિના પાયા પર એ સમાજ રચાયો છે એ સંસ્કૃતિ, અને જે પરંપરાની ધરોહર પર એ સંસ્કૃતિ ટકી છે એ પરંપરા. વળી વારસાની ભૂમિ એકથી વધુ પણ હોઈ શકે છે. ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આફ્રિકાના કોઈક દેશમાં જન્મી હોય, વિલાયતમાં અભ્યાસ કર્યો હોય અને પછી જો એ ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થાય તો એનો વારસો, એની જીવન જીવવાની તરેહ, એની વિચાર પદ્ધતિ ભારત, આફ્રિકા, વિલાયત એમ ત્રણે ભૂમિ સાથે સંકળાયેલી સંસ્કૃતિની ઉપજ હોય. વળી સમાજો પરિવર્તનશીલ છે. સમય સાથે દરેક સ્થળ અને એનું જનજીવન પરિવર્તનોમાંથી પસાર થાય છે. ડાયાસ્પોરાના લોકો જ્યારે વતન જઈને પાછા ફરે છે ત્યારે વતનના પરિવર્તનથી ક્યારેક વ્યથિત થાય છે તો ક્યારેક એના વિષે ટીકાત્મક વલણ ધરાવે છે. પણ શું પરિવર્તન સાર્વત્રિક અને અનિવાર્ય નથી? આપણે જે દેશને અપનાવ્યો છે એ દેશ પણ ક્યાં પરિવર્તનથી પર છે? હકીકત એ છે કે આપણે જ્યાં આવીને વસ્યાં છીએ એ સમાજનું પરિવર્તન આપણે વધુ સરળતાથી સ્વીકારી શકીએ છીએ કારણ કે આપણે એ પરિવર્તનના ભાગ છીએ. સમાજોની આ પરિવર્તનશીલતાને કારણે વતનઝૂરાપો એક બહુ જ જટિલ અને પેચીદો મુદ્દો બને છે. આપણને કયા વતનનો ઝૂરાપો છે અથવા હોઈ શકે? જે વતનને આપણે પાછળ મૂકીને આવ્યાં એ વતન? જો દાયકાઓ પહેલાંના એ વતનને આપણે શોધતાં હોઈએ તો એ વતન તો હવે ક્યાં ય નથી. અને વતન આજે જેવું છે એને તો આપણે ઓળખતાં જ નથી. તે વખતે પ્રશ્ન એ થાય અને કરવો રહ્યો કે આપણા વતનનો ચહેરો બદલાયો છે કે આત્મા બદલાયો છે? દેશાંતર કરીને વિદેશોમાં વસતા કોઇ પણ વ્યક્તિના જીવનમાં છેલ્લાં દસેક વર્ષમાં આવેલી ટેકનોલોજીની ક્રાંતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઈન્ટરનેટને કારણે પ્રત્યાયનની વધેલી સુવિધાઓએ ઘરઝૂરાપાને ધરમૂળથી ઉખેડવા માંડ્યો છે, અથવા ઓછો કર્યો છે. આજનો માઈગ્રન્ટ માત્ર ભૌગોલિક દૃષ્ટિએ વતનથી દૂર છે, તે સિવાય બધી જ રીતે એ વતન સાથે સંકળાઈ શકે છે.

ડાયસ્પોરાની દરેક વ્યક્તિ એ દ્વિજ છે. એને એક જન્મમાં બેવડો જન્મ મળ્યો છે. પણ તેની સાથે એનું બેવડું ઉત્તરદાયિત્વ પણ બને છે. દાખલા તરીકે હું ઓસ્ટ્રેલિયામાં વસું છું ત્યારે અહીંના સમાજમાં હું ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરું છું અને જ્યારે હું ભારત જાઉં ત્યારે ઓસ્ટ્રેલિયાના સમાજમાંથી મેં જે આત્મસાત કર્યું છે એની હું વાહક બનું. ડાયસ્પોરા માટે દેશપ્રેમનું વિભાવન પણ સમજણ માંગી લે એવું છે. આપણે ભારતીયો ક્યારેક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચે ગૂંચવાતા હોઈએ એવું મેં જોયું છે. જો તમે રાષ્ટ્રવાદી છો તો તમે તમારા દેશબંધાવો સિવાય સર્વને ધિક્કારો છો, પરંતુ તમે જો રાષ્ટ્રપ્રેમી છો તો તમે સૌનો સ્વીકાર અને સૌને પ્રેમ કરી શકો છો.

દેશાંતર હવે સામાન્ય બનતું જાય છે ત્યારે એ રાજકારણનો, સમાજકારણનો અને મનોવિજ્ઞાનનો મુદ્દો બન્યો છે. બીજા દેશમાં જઈને વસવાટ કરીએ ત્યારે integration, assimilation જેવા શબ્દો રાજ્યકર્તાઓ પાસેથી વારંવાર સાંભળીએ છીએ. સમાનાર્થી જણાતા આ બે શબ્દો વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે. Integrationનો અર્થ પોતાનું જે છે એ જાળવીને બીજું અપનાવવું એવો થાય છે, જ્યારે assimilationમાં પોતાનું જે છે એ ત્યજીને નવા સાથે તાદાત્મ્ય સાધવાનો અર્થ સમાયેલો છે. ગુજરાતી ડાયસ્પોરા સંદર્ભે જોઈએ તો આ બંને શબ્દો સાથે સંકળાયેલો બીજો એક શબ્દ છે bi-lingualism અથવા દ્વિભાષીપણું. ભાષાવિજ્ઞાનીઓ બે જાતના દ્વિભાષીપણાની વાત કરે છે : Subtractive bi-lingualism અને additive bi-lingualism. પહેલા પ્રકારના દ્વિભાષીપણામાં વ્યક્તિ પહેલી ભાષા અથવા મૂળ ભાષાને ભૂલતી જાય અને બીજી ભાષા અપનાવે, જ્યારે બીજા પ્રકારમાં વ્યક્તિ પહેલી ભાષા જાળવી રાખે અને બીજી ભાષા સમાંતરે ચાલે. ગુજરાતીઓ પર પહેલી ભાષા ભૂલી જઈને અંગ્રેજી ભાષા અંગીકાર કરવાનો આરોપ છે. ડાયસ્પોરાની પહેલી પેઢી કદાચ મૂળ ભાષા જાળવી શકે છે, પરંતુ જ્યારે બીજી પેઢીનો સવાલ આવે ત્યારે મોટે ભાગે મૂળ ભાષા ભૂંસાતી જોવા મળે છે.

નવા દેશમાં વસવાટ કરવામાં જે તે દેશની સ્થાનિક પ્રજા દ્વારા નવાગંતુક વસાહતીઓનો સ્વીકાર થાય અને બધી જ પ્રજાઓ હળીમળીને સંવાદી સમાજનું ઘડતર કરે એ એક આદર્શ છે. પરંતુ આજે પણ દુનિયાભરમાં વંશવાદથી પ્રેરિત અનેક દુર્ઘટનાઓ ઘટે છે. વંશવાદી વૃત્તિનાં મૂળ કદાચ મનુષ્યની અન્ય કરતાં પોતાને ચડિયાતા માનવાની જરૂરિયાતમાં રહેલાં છે. પોતે બીજા કરતાં જુદો છે એનાથી એને સંતોષ નથી તેથી એ પોતાને બીજાથી ચડિયાતો ગણે છે અને એમાંથી એ અન્ય પ્રત્યે દુર્વ્યવહાર અને તિરસ્કારયુક્ત વર્તન કરે છે. આજે અનેક દેશોની સરકારોએ વંશવાદ વિરોધી કાયદાઓ ઘડ્યા છે, એનાથી વંશવાદી વર્તનના પ્રકાર બદલાયા છે, વંશવાદ હવે વધુ સૂક્ષ્મ સ્વરૂપે વ્યક્ત થાય છે અને તેથી સૂક્ષમ સ્વરૂપે એનો સામનો કરવાનો સમય આવ્યો છે. વંશવાદ બંને પક્ષે હોઈ શકે, અને જેમ જેમ ડાયસ્પોરા સંખ્યાની દૃષ્ટિએ વિસ્તરતો જાય છે એમએમ રીવર્સ રેસિઝમ એટલે કે અવળો વંશવાદ પ્રગટ થઇ રહ્યો છે. પોતાના વતનમાંથી દેશાંતર કરીને બીજા દેશમાં સ્થિર થયેલો જનસમૂહ ત્યાંની મૂળ વતની પ્રજા સાથે ભેદભાવયુક્ત વર્તન કરે એવા ઘણા કિસ્સા નોંધાઈ રહ્યા છે. ‘હું મારા ધંધામાં આપણા ગુજરાતીઓને/ભારતીયોને જ નોકરી આપું.’ અથવા એનાથી પણ આગળ જઈને ‘હું મારા ધંધામાં આપણી જ્ઞાતિના લોકોને જ નોકરી આપું’ આવી ઘટનાઓ એ આજની વાસ્તવિકતા છે. આજે પણ દેશ-વિદેશમાં પથરાયેલો ભારતીય ડાયસ્પોરા અનેક જાત-જ્ઞાતિ- ભાષા-રાજ્ય-ગામના આધારે રચાતાં મંડળો અને સંસ્થાઓમાં વિભાજીત છે એની સખેદ નોંધ લેવી જ પડે.

પહેલી પેઢીના દેશાંતરિતો પોતાનું મોટા ભાગનું જીવન પોતાની અસ્મિતા શોધવામાં અને પોતાના ચિત્તમાં એ અસ્મિતાને પ્રસ્થાપિત કરવામાં ગાળે છે. અસ્મિતાની શોધમાંથી ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે, જેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ માટેનો અને મનોવિજ્ઞાનીઓ માટેનો વિષય છે. પરંતુ જગતનો છેલ્લાં પચીસ-પચાસ વર્ષનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના આતંકી હુમલાઓ પાછળ ઇમિગ્રન્ટસની બીજી પેઢી રહેલી છે. અસ્મિતાની કશ્મકશમાંથી સર્જાતી આંતરિક કટોકટીનું આ પરિણામ હોઈ શકે. તો બીજી તરફ બેવડી અસ્મિતાનો સ્વીકાર કરવાથી સકારાત્મક પરિણામો પણ આવી શકે જો આ દ્વૈતનો ઉપયોગ પ્રજાઓ વચ્ચે સંવાદ રચવામાં કરી શકીએ. વ્યક્તિમાત્રમાં plurality છે, એ હકીકતનો સ્વીકાર કરી શકીએ તો સમાજમાં પ્રવર્તતી વિવિધતા સાથે આપોઆપ તાલમેલ થઇ શકે અને જય જગતનો મંત્ર ચરિતાર્થ થાય, કારણ કે નાગરિક ધર્મ અને માનવ મૂલ્યો આખરે દેશ-કાળથી પર છે.

ફાધર વાલેસના પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઈફ : એન એન્કાઉન્ટર ઓફ કલ્ચર્સ’માં એમણે નોંધેલી એક વાતથી સમાપન કરું છું. રૂડયાર્ડ કિપલિંગના ‘બેલડ ઓફ ધ ઇસ્ટ’ની જાણીતી પંક્તિ છે ‘East is East and West is West and never the twain shall meet’. એ વિષે ફાધર આ પુસ્તકમાં લખે છે કે આ પંક્તિને એના સંદર્ભ બહાર લેવાથી ઘણી ગેરસમજ સર્જાઈ છે. એ કાવ્યની ચાર પંક્તિઓ જોઈએ તો કિપલિંગ શું કહેવા માંગે છે સ્પષ્ટ થશે.

“Oh East is East, and West is West, and never the twain shall meet,
Till Earth and Sky stand presently at God’s great Judgement Seat;
But there is neither East nor West, Border nor Breed, nor Birth
When two strong men stand face to to face tho’ they come from the ends of the earth!”

દુનિયાના બે છેડે વસતી બે સક્ષમ વ્યક્તિઓ જ્યારે મળે ત્યારે જન્મ, જાત કે રાષ્ટ્રોની સીમાઓ નિરર્થક બને છે.

e.mail : aradhanabhatt@yahoo.com.au

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Loading

પક્ષપલટાવિરોધી કાયદાની મહત્તા અને મર્યાદા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 April 2021

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી કૉન્ગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. પરંતુ ત્રણ જ વરસોમાં કૉન્ગ્રેસના ૧૫ ધારાસભ્યો તેમની પક્ષીય વફાદારી બદલી, ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ૧૯૮૫ના પક્ષપલટાવિરોધી કાયદામાં વ્યક્તિગત પક્ષાંતર પ્રતિબંધિત હોઈ, હવે ધારાસભ્યોએ રાજીનામાનો માર્ગ અખત્યાર કરવો પડે છે. એટલે આ પંદર પૈકી મોટા ભાગના પેટાચૂંટણી લડીને ભા.જ.પ.ના ધારાસભ્ય પણ બની ગયા છે. મધ્ય પ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોના પક્ષપલટુઓને કારણે બી.જે.પી. સત્તા મેળવી શકી છે. રાજસ્થાનમાં કૉન્ગ્રેસની  અને બિહારમાં જનતા દળ (યુ)-ભા.જ.પ.ની પાતળી બહુમતી બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોના પક્ષપલટાથી મજબૂત થઈ છે. રાજ્યસભામાં એન.ડી.એ.ની બહુમતી માટે તેલુગુ દેશમ પક્ષના ચાર રાજ્યસભા સભ્યોને પક્ષપલટો કરાવાયો હતો. વિધાનસભા ચૂંટણીના આરે ઊભેલા પશ્ચિમ બંગાળના સત્તાધારી તૃણમૂલ કૉન્ગ્રેસના સાંસદો અને ધારાસભ્યો પક્ષપલટા કરી રહ્યા છે. હવે તેમાં પડુચેરી પણ ઉમેરાશે. અરુણાચલમાં બી.જે.પી.એ બિહારના તેના સાથી પક્ષ જે.ડી.યુ.ના ૬ ધારાસભ્યોને પક્ષ બદલાવી બી.જે.પી.માં સામેલ કરી દીધા છે. ૨૦૧૭થી ૨૦૨૦ના ચાર જ વરસોમાં ૧૬૮ સાંસદો-ધારાસભ્યોએ તેમની પક્ષીય વફાદારી બદલી છે. તેમાંથી ૭૯ ટકા એટલે કે ૧૩૮ ભા.જ.પ.માં જોડાયા છે.

ભારતમાં પક્ષપલટાનું દૂષણ આઝાદી પહેલાંની પ્રાંતીય સરકારોમાં કે આઝાદી પછીના તરતના વરસોમાં, ૧૯૫૨માં, મદ્રાસમાં જોવા મળ્યું હતું. જો કે આ પક્ષાંતરો છૂટક અને સિદ્ધાંત ખાતર થયેલા હતા. પરંતુ ૧૯૬૭ પછી પક્ષપલટા રોજિંદી બીના બની ગયા છે. હરિયાણા પક્ષપલટાનું પિયર ગણાય છે. ૧૯૬૬ની ૧લી નવેમ્બરે રચાયેલા આ રાજ્યમાં ૧૯૬૭માં પહેલી ચૂંટણી થઈ હતી. કૉન્ગ્રેસના ભગવતદયાળ શર્મા મુખ્ય પ્રધાન બન્યા. પણ રાવ વિરેન્દ્રસિંઘે પક્ષપલટાથી સાત જ દિવસમાં સરકાર ઉથલાવી હતી. પક્ષપલટુઓ માટે વપરાતો ‘આયારામ-ગયારામ’ શબ્દ આજ ભૂમિની દેન છે. હરિયાણાના ગયારામ નામક ધારાસભ્યે ૧૫ દિવસમાં ૩ વખત પાટલી બદલી હતી. ૧૯૭૬-૭૭ના સમયગાળામાં ૧૦ પૈકી ૭ રાજ્ય સરકારો પક્ષપલટાથી રચાઈ હતી. ૧૯૭૭-૭૮ના તેર માસમાં પક્ષપલટાને કારણે ૧૧ વખત પ્રધાનોના સોગંદવિધિ યોજાયા હતા. ધારાસભ્ય હીરાનંદ આર્યે નવ માસમાં પાંચ પક્ષાંતર કર્યા હતા. ૧૯૮૦માં જનતાપક્ષના મુખ્ય પ્રધાન ભજનલાલે એમના આખા વિધાનસભા પક્ષ સાથે સાગમટે કૉન્ગ્રેસમાં પક્ષપલટો કર્યો હતો. પૂર્વોત્તર રાજ્યોનો તો પક્ષપલટાનો ઇતિહાસ છે.

હજુરિયા-ખજૂરિયાખ્યાત ગુજરાત પક્ષપલટામાં લગીરે પાછળ નથી. ૧૯૬૦ની  ડો. જીવરાજ મહેતાની પહેલી કૉન્ગ્રેસી સરકારથી તેનો આરંભ થયો હતો જે વિજય રૂપાણીની હાલની બી.જે.પી. સરકાર સુધી યથાવત છે. ૧૯૬૭થી ૧૯૭૧માં ૧૬૮ પૈકી ૧૦૧ એટલે કે ૬૧ ટકા ધારાસભ્યોએ પક્ષપલટા કર્યા હતા. ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલે પક્ષપલટુઓનો સામનો કરવાનો થયો હતો.

મોટા ભાગના પક્ષપલટા અંગત લાભ, સત્તા અને પદની પ્રાપ્તિ માટે જ થયા છે. ૧૯૫૩થી ૧૯૮૩ના ત્રણ દસકામાં આશરે ૫,૦૦૦ પક્ષપલટા થયા હતા. બંધારણવિદ નાની પાલખીવાલાના મતે, લોકસભાના ૧,૦૦૦માંથી ૯૦૦ પક્ષપલટા સત્તા માટેના હતા. ચૂંટણી કમિશનરના એક અહેવાલ પ્રમાણે ૧૯૬૭થી ૧૯૭૩ સુધીમાં જે ૨,૭૦૦ જેટલા પક્ષપલટા થયા તેનાથી ૪૫ રાજ્ય સરકારો ઉથલી પડી હતી. પક્ષપલટો કરનારા ૧૫ને મુખ્ય પ્રધાનનું પદ અને ૨૧૨ને પ્રધાન પદ મળ્યાં હતા. મૂલ્યનિષ્ઠ, સૈદ્ધાંતિક કે વિધાયક પક્ષપલટાનું એકેય ઉદાહરણ ગુજરાતમાં પણ જોવા મળતું નથી.

પક્ષપલટાની રાજરમતને ડામવાના પ્રયાસો ચોથી લોકસભાથી જ શરૂ થઈ ગયા હતા. ૧૯૭૩માં, પાંચમી લોકસભામાં, આ અંગેનો ૩૨મો બંધારણ સુધારા ખરડો, રજૂ થયો હતો. તે પ્રવર સમિતિને સોંપાયો તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં ખરડો વિસર્જિત થયો. ૧૯૭૮માં જનતા પક્ષની સરકારે પણ આ માટે પ્રયત્નો કર્યા હતા. ૩૭૦મી કલમ ધરાવતા કશ્મીરે ૧૯૭૯થી પક્ષપલટા વિરોધી કાયદો ઘડાયો હતો. રાજીવ ગાંધીએ બાવનમા બંધારણ સુધારા દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો ઘડ્યો અને તમામ રાજકીય પક્ષોનું સમર્થન મેળવ્યું હતું. અભૂતપૂર્વ એકમતીથી બંધારણના અનુચ્છેદ ૧૦૧, ૧૦૨, ૧૯૦ અને ૧૯૧માં ફેરફાર સાથેનો અનુસૂચિ-૧૦ને સામેલ કરતો આ બાવનમો બંધારણ સુધારા ખરડો દેશભરમાં તમામ સ્તરે લાગુ પડે છે. આ કાયદાની મહત્તા એ છે કે તેનાથી પક્ષાંતરનો નિષેધ થયો છે. કાયદા મુજબ પક્ષના વ્હીપનું ઉલ્લંઘન પણ પક્ષપલટો ગણાય છે.

લોકશાહીને મજબૂત કરનારા અને ઉત્તમ હેતુ ધરાવતા કાયદાને પણ રીઢા રાજકારણીઓ નકામો કરી શકે છે. ૧૯૮૫નો પક્ષપલટાવિરોધી કાયદો તેનું ઉદાહરણ છે. વળી આ કાયદો કેટલીક પાયાની ખામીઓ ધરાવે છે. તે વ્યક્તિગત પક્ષપલટાને તો રોકે છે, પણ સામૂહિક પક્ષપલટાને માન્ય રાખે છે ! આ કાયદામાં એક તૃતિયાંશ સભ્યો પક્ષ બદલે તો તેને પક્ષપલટો નહીં પણ પક્ષ વિભાજન ગણી સભ્યપદ યથાવત રાખવાની જોગવાઈ હતી. અનુભવે તેમાં સુધારા થતા રહ્યા છે અને ૨૦૦૩ના છેલ્લા સુધારા મુજબ એકને બદલે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન ઠેરવવામાં આવ્યું છે.

તેમ છતાં છૂટક અને જથ્થાબંધ પક્ષપલટા ચાલુ જ છે. તેનું કારણ પક્ષપલટો કરનાર કે વ્હીપનું ઉલ્લંઘન કરનાર ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાની સત્તા વિધાનગૃહોના અધ્યક્ષ(સ્પીકર)ને છે અને તેઓ પક્ષીય ભૂમિકાથી ઉપર ઊઠીને તટસ્થ નિર્ણયો લેતા નથી. આ બાબતે નિર્ણય લેવાની સમયમર્યાદા ન હોઈ સ્પીકર અસહ્ય વિલંબ કરે છે. એટલે હવે સુપ્રીમ કોર્ટે સભ્યને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને બંધારણ સમીક્ષામાં સમાવ્યો છે અને કોર્ટો અધ્યક્ષના નિર્ણયને યોગ્ય-અયોગ્ય ઠરાવી શકશે. પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય ન ઠરાય એટલે જનપ્રતિનિધિઓ રાજીનામુ આપે છે અને પેટાચૂંટણીથી ફરી ચૂંટાઈને ધારાસભ્ય કે સંસદસભ્ય પદ જાળવી રાખી છે. ઊગતા સૂરજને પૂજવાનું, જિસકે તડમેં લડ્ડુ ઉસકે તડમેં હમ કે સત્તા અને પ્રધાન પદની લાલચમાં પક્ષપલટા થયા જ કરે છે. મતદાનની નિશાનીરૂપ અવિલોપ્ય શાહી મતદારની આંગળી પરથી ભૂંસાય તે પહેલાં તેણે ચૂંટેલા પ્રતિનિધિ પક્ષ બદલી નાંખે તેવું પણ બને છે. ખાસ તો નીચલા લેવલે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અને પંચાયત-પાલિકામાં આવું ઘણીવાર બન્યું છે. 

ભારતમાં બહુપક્ષીય લોકશાહી અસ્તિત્વમાં છે. તેમાં રાજકીય પક્ષની નીતિ કે વિચારધારા સાથે અસંમતિથી કોઈ પક્ષ છોડે તે આવકાર્ય જ હોય. પરંતુ અંગત સ્વાર્થ માટે થતા વ્યક્તિગત પક્ષપલટાને અટકાવવા સંબંધિત સંસદ કે વિધાનગૃહના સમયગાળા કે પાંચ વરસ સુધી તે ચૂંટણી લડી શકશે નહીં તેવા સુધારાની આવશ્યકતા છે. વ્યાપક ચૂંટણી સુધારા અને રાઈટ ટુ રિકોલ કહેતાં જનપ્રતિનિધિને પાછો બોલાવવાની સત્તાસહિતના વ્યાપક ચૂંટણી સુધારા થાય તો જ આ દૂષણને ડામી શકાશે અને રાજસત્તા પર લોકસત્તાનો અંકુશ રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (54)

સુમન શાહ|Opinion - Opinion|21 April 2021

આજકાલ ભારતમાં ભમી રહ્યો છે એ કોરોના મહા રાક્ષસ છે. નાનપણમાં ‘ટચૂકડી ૧૦૦ વારતાઓ’-ની ચૉપડી વાંચેલી. એમાં કેટલીયે વારતાઓમાં રાક્ષસની વાત આવે, બોલતો ને હાંફતો ને ધૂણતો ને ફાંફાં મારતો જતો હોય – માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં. આ કોરોના એવો છે, કહો કે એથીયે ભૂંડો છે.

‘ધ વૉશિન્ગ્ટન પોસ્ટ’ આજે લખે છે કે ભારતમાં કોરોનાનો ઉછાળ અતિ ગમ્ભીર સ્વરૂપ પકડી રહ્યો છે. એ વિશ્વવ્યાપી ત્રીજો નવો ચેપ છે. સૂરતના એક સ્મશાનગૃહે એ છાપાના પ્રતિનિધિને જણાવ્યું કે રોજ ૧૦૦ શબ આવે છે, અમારી ચિમનીઓના સ્ટિલના બે પાઇપ નિરન્તરના વપરાશે કરીને પીગળી ગયા છે …

કોરોના-કોવિડની માહિતી WorldOmeter દર્શાવે છે :

વિશ્વમાં : કુલ કેસ : ૧૪,૩૧,૦૩,૭૯૫ : કુલ મૃત્યુ : ૩૦,૪૮,૯૦૧

ભારતમાં : કુલ કેસ : ૧,૫૫,૨૮,૧૮૬ : : નવા કેસ : ૨,૧૩,૪૭૨ કુલ મૃત્યુ : ૧,૮૧,૮૭૦ : નવાં મૃત્યુ : ૧,૩૨૦

આ આંકડા આ ક્ષણના છે, લખાતાં, પ્રકાશિત થતાં અને વંચાઈ રહેતાં, વધ્યા જ હોય, કેમ કે સર્વત્ર કોરોનાસંલગ્ન તમામ આંકડા નિત્યવર્ધમાન છે – સરકારો ખોટા આપે ને છાપાં છાપે, તે પછી પણ.

પહેલા વિશ્વયુદ્ધમાં ૨૦ મિલિયન મૃત્યુ થયેલાં, બીજમાં ૭૫ મિલિયન. ૧ મિલિયન = ૧૦ લાખ. આ આંકડા કોરોનાના આંકડા કરતાં મોટા છે !

કોરોનાને ઈશ્વરદત્ત ગણીએ ને યુદ્ધને માનવસરજિત કહીએ તો બધા દોષ સંસ્કૃતિઓમાં, સભ્યતાઓમાં અને પ્ર-ગતિશીલ આાચરવિચારમાં જોવા જોઈશે. કોરોનાને મૅનમેડ કહેવાયો છે, મનુષ્ય-સરજિત. કોઈકે તો એ માટે ચિનને દોષી ઠેરવ્યું છે. આ જો સાચું હોય તો એથી વધારે નઠારું ને ઘોર અ-માનવીય શું હોઈ શકે?

જો કે, ઈશ્વરમાં માનનારા ઘણા બધાઓ રોજ પ્રાર્થનાઓ કરે છે – હે ઈશ્વર ! બહુ થયું, બસ કર. પણ ઈશ્વરમાં માનનારા કેટલાક એમ પણ કહે છે કે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની જ યોજનાથી થઈ રહ્યું છે, સહી લો.

વિજ્ઞાનમાં માનનારા અને વિજ્ઞાનીય દૃષ્ટિમતિ ધરાવનારાઓ એમ કહે છે કે જે થઈ રહ્યું છે એનાં ચૉક્કસ કારણો છે. એ કારણો મળી ગયાં છે ને રસી શોધાઈ ગઈ છે. અમુક સમયના અન્તરે હર્ડ ઈમ્યુનિટી વધશે ને લગભગ બચી જવાશે. 'લગભગ' એટલા માટે કે સૌએ જીવનશૈલી બદલવી પડશે, નહીં બદલે એમના બારામાં રસી કે કોઈ પણ ઔષધ નિષ્ફળ નીવડશે.

સમાજવિજ્ઞાનીઓ પ્રજાજનોનો વાંક જુએ છે – માસ્ક પ્હૅરતા નથી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. એ લોકો સરકારોના પણ દોષ જુએ છે – કારગત ઉપાયો કરતી નથી. પ્રજાને માટે થાય એ કરે છે પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સરકારોનાં લટિયાં એકબીજાં સાથે ઘણાં ગૂંચવાયેલાં છે.

એક જ રસ્તો છે : તમામ બાબતોથી શક્ય તેટલા દૂર થઈ જવું ને બસ ઘરમાં રહેવું. પણ સામો સવાલ એ છે કે જેઓ રોજે રોજ જાતમહેનતથી કમાયા પછી જ પેટનો ખાડો ભરી શકે છે એમને તો બહાર જવું જ પડવાનું, એમનું શું? મુમ્બઈના ધારાવીમાંથી ૨૫ હજાર જેટલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી છે. સામો સવાલ એ પણ છે કે વતનમાં ય એમને આશરો કેટલો ને કેવોક મળશે.

આ બધું જણાવનારા સૌ અંશત: સાચા છે. પણ કોરોના સ્વાયત્ત છે, નિરંકુશ છે, બેફામપણે પોતાનું કામ કરી રહ્યો છે. એ સંજોગોમાં કોઈને કશું પણ ચૉક્કસ – લાજવાબ – સૂઝતું નથી એ કરુણતા છે, એ મહા મોટી વાસ્તવિકતા છે.

કાવ્યો ને ગઝલો કરવાથી ગાયનો ગાવાથી નવલકથાઓ વાંચવાથી ફિલ્મો જોવાથી ઘડીભર સારું લાગે, પણ એ એક પ્રકારે તો પલાયન જ છે; અને એ પલાયન પણ ક્યાં લગી?

મેં હમણાં જ એક ફિલ્મ જોઈ ‘ધ પિયાનિસ્ટ’. ૧૯૩૯થી ૧૯૪૫ સુધી વિસ્તરેલા બીજા વિશ્વયુદ્ધમાં એક પોલિશ પરિવાર ફસાયું હોય છે. પુત્ર, સુખ્યાત પિયાનોવાદક, વિખૂટો પડી જાય છે ને બૉમ્બાર્ડિન્ગથી ધ્વસ્ત શેરીઓમાં ને ઘરોમાં આશરા ને મદદો શોધતો અથાક ભટકે છે … વગેરે, વગેરે.

સત્તાથી થતા હજારો નિર્દોષોની નિર્ઘૃણ હત્યાઓને હું સહી શકેલો નહીં. લાઈનમાં ઊભા રાખે, તું બહાર આવ, તું બહાર આવ, કરી લાઈનની બહાર કરે ને એ દરેકને વારાફરતી ગોળી મારે. પેલાઓ ઢળી પડે. લાશોનો ઢગલો કરાય ને પછી બાળી નંખાય.

એ અમેરિકન ઍક્ટર ઍડ્રિયન બ્રોડીની સર્જકતાભરી કલાએ મને ખુશ કરેલો. બ્રોડીને આ ફિલ્મમાં ૨૦૦૩માં લીડિન્ગ રોલ માટે ઍકેડેમી અવૉર્ડ અપાયેલો, ત્યારે એ માત્ર ૨૯-નો હતો, ૧૯૭૩માં જન્મ્યો છે.

પણ છેલ્લે હું ખૂબ વ્યથિત હતો.

ધર્મ, સાહિત્ય કે કલાઓ આજે સમ્મૂઢ ભાસે છે – સત્પ્રયાસ ભરપૂર કરે છે, તો પણ. આંશિક સત્ય, જૂઠાણાં અને પોસ્ટ ટ્રુથ વચ્ચેનો ભેદ ભુસાઈ ગયો છે. આ બધાનો આડકતરો અર્થ એ છે કે માણસ ઇચ્છે તો પણ અર્થ શોધી શકતો નથી. અનર્થની આ પરમ કોટિ છે.

મેં એક ઍપિગ્રામ લખ્યો છે :

અનર્થમાં અર્થ ન શોધ
આકાશને ન માપ
અર્થ પણ ક્યારેક અનર્થ હતો
આકાશ આકાશી ખયાલ છે

= = =

(April 20, 2021: USA)

Loading

...102030...2,0412,0422,0432,044...2,0502,0602,070...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved