Opinion Magazine
Number of visits: 9663879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષાને ધર્મ કે સંપ્રદાયના વાડાથી મુક્ત રાખીએ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 July 2025

ચંદુ મહેરિયા

તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રિભાષા ફોર્મ્યુલા ઊંધા માથે પટકાઈ છે. જો રાજભાષા હિન્દીના આ હાલ હોય તો ઉર્દૂનું તો પૂછવું જ શું?

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગરપાલિકાની નવી ઈમારત પરના સાઈન બોર્ડમાં  નગરપરિષદ, પાતુર મરાઠી ઉપરાંત ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું. સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ કેટલાકને ન ગમ્યો. પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બાગડેએ આ બાબતે પહેલાં નગરપાલિકા, કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી. પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. એટલે તેમણે પાલિકાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો. ૧૯૫૬થી ચાલી આવતી મરાઠી ઉપરાંત ઉર્દૂ સાઈન બોર્ડની આ પરંપરાની વિરુદ્ધ ૨૦૨૦થી આજ સુધીમાં બે વાર બોમ્બે હાઈકોર્ટ અને બેવાર સુપ્રીમ કોર્ટમાં તેમણે દાદ માંગી. ૧૯૬૫ અને ૨૦૨૨ના મહારાષ્ટ્રના રાજભાષા સંબંધી કાયદાઓનો હવાલો આપી વર્ષાતાઈએ પાતુર નગરપાલિકાના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ ભાષા હઠાવી લેવા માંગ કરી હતી. પરંતુ અદાલતોએ તેમની માંગણીને ગેરકાયદે ઠેરવી છે. એક નગરપાલિકાની ઈમારત પરના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ દૂર કરવા છેક સુપ્રીમ સુધી લડવાની આ હિંમત ભાષાના મુદ્દે આપણે કઈ હદે આડા, ઝનૂની અને સંકીર્ણ છીએ તે તો દર્શાવે છે જ સાથે સહિષ્ણુતાની આવશ્યકતા અને ભાષાની વિવિધતાની સરાહનાની જરૂરિયાત કેટલી બધી છે તે પણ સ્પષ્ટ કરે છે. 

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સુધાંશુ ધૂલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે પિટિશનરના વકીલોની એ દલીલ સ્વીકારી નહીં કે રાજ્ય સરકારના રાજભાષા સંબંધી અધિનિયમોથી નગરપાલિકાઓનો વહીવટ મરાઠીમાં કરવાનો હોય છે એટલે સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ થઈ શકે નહીં. ન્યાયાધીશોએ મરાઠીમાં વહીવટનો મતલબ એ નથી કે અન્ય ભાષાનો સાઈન બોર્ડમાં પણ ઉપયોગ ન થઈ શકે તેમ જણાવી તેમની અપીલ નામંજૂર કરી છે. ખંડપીઠ વતી જજમેન્ટ લખતાં જસ્ટિસ ધૂલિયાએ ઉર્દૂ ભાષા અંગે કરેલી ટિપ્પણીઓ ખૂબ જ મહત્ત્વની છે અને ભાષા મુદ્દે દેશમાં ચાલતા વર્તમાન વિવાદોમાં વિચારણીય છે.

જીવનની કોઈ પણ બાબતને ધર્મનાં ચશ્મે જોવાની આપણને આદત પડી છે. એટલે ભાષાને પણ આપણે એ જ નજરે જોઈએ છીએ. અદાલતે ઉર્દૂને મુસલમાનોની, પારકી કે પરદેશી ભાષા ગણવાની ગેરસમજમાંથી બહાર આવવા અપીલ કરી છે. ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી ભારતીય ભાષા કે ઈન્ડો આર્યન ભાષા છે. તેને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં ઉદ્દભવેલી ઉર્દૂ ગંગા-જમની તહજીબ કે હિંદુસ્તાની તહજીબનું બહેતરીન ઉદાહરણ છે. ઉર્દૂ અદબ (વિનમ્રતા, સન્માન, માન-મર્યાદા) ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વસ્તીની જેમ દેશમાં ભાષાઓ પણ મિશ્ર છે અને ઉર્દૂ તો વળી હિન્દીની ભગિની ભાષા છે. બંનેની ઉત્પતિ અને વિકાસ લગભગ સાથે સાથે જ થયા છે. લિપિ ભેદ સિવાય બંનેમાં ઘણી સમાનતા છે. મુન્નવર રાણા સાચું જ કહે છે, 

લિપટ જાતા હું માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ. 

ઉર્દૂ મેં ગઝલ કહેતા હું ઔર હિંદી મુસ્કુરાતી હૈ. 

ભારતમાં પેદા થયેલી ઉર્દૂ ખરેખર ક્યાં જન્મી તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. તેનું જન્મસ્થાન વ્રજ, દિલ્હી અને દખ્ખન હોવાના દાખલા દેવાય છે. ઉર્દૂ શબ્દ તુર્કી ભાષાના ઓરદુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ છાવણી કે શાહી પડાવ થાય છે. તે ફારસી, અરબી અને તુર્કીથી પ્રભાવિત ભાષા છે. ભારતમાં ઉર્દૂ શબ્દ વપરાયો તે પહેલાંની તેની દીર્ઘ સફરમાં તે હિન્દવી, જબાન-એ હિંદ, હિન્દી, જબાન-એ-દેહલી, રેખ્તા, ગુજરી, દક્ખની, જબાન-એ ઊર્દૂ-એ-મુઅલ્લા, જબાન-એ ઉર્દૂ અને અંતે ઉર્દૂ કહેવાઈ હતી. ઉત્તર પ્રદેશના અમરોહામાં ઈ.સ. ૧૭૫૧માં જન્મેલા કવિ-શાયર ગુલામ હમદાની મુસહફીએ સૌથી પહેલા ઈ.સ. ૧૭૭૦માં ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. મોગલોના આગમન સાથે જન્મેલી અને પછી તેમના રાજ દરબારમાં સ્થાન પામેલી ઉર્દૂ આમ જનતાની બોલી છે. 

પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ દેશ આખામાં વસ્તીનો કોઈને કોઈ ભાગ ઉર્દૂનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા દેશમાં ૫.૭૭ કરોડ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એ પાંચ રાજ્યોમાં જ કુલ ઉર્દૂ બોલનારી વસ્તીના ૮૫ ટકા વસ્તી છે. જમ્મુ-કશ્મીરની તે રાજભાષા છે. તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલગંણા અને દિલ્હીમાં તેને બીજી રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. બંધારણની આઠમી અનુસૂચિમાં જે બંધારણમાન્ય ૨૨ ભાષાઓ છે તેમાં ઉર્દૂનો સમાવેશ થયેલો છે. દક્ષિણ એશિયાઈ ભાષા ઉર્દૂ ભારત અને પાકિસ્તાનમાં વધુ બોલાય છે. તે ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ખાડી દેશો, અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તે બોલાય છે. ઉર્દૂ સાહિત્ય ઘણું સમૃદ્ધ છે અને તેમાં મહાન સાહિત્યકારો જન્મ્યા છે. આ સાહિત્યકારોમાં મુસલમાનો જેટલા હિંદુઓ પણ છે. 

૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કાઁગ્રેસની કાર્યવાહીમાં હિન્દુસ્તાનીનો ઉપયોગ કરવાનો ઠરાવ થયો હતો. ભાષાના સાંપ્રદાયિકરણ અને અંગ્રેજોના હાથે ભાષાના રાજનીતિકરણને અનુભવી ચૂકેલા ગાંધીજી હિન્દી અને ઉર્દૂના મિશ્રણસમી હિંદુસ્તાનીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા માંગતા હતા. તેમાં ઉર્દૂ કે દેવનાગરી બંનેમાંથી કોઈ પણ લિપિમાં લખવાની અનુમતી હતી. તેઓ એમ પણ ઈચ્છતા હતા કે ફારસીનિષ્ઠ ઉર્દૂ અને સંસ્કૃતનિષ્ઠ હિન્દી ન હોય પણ બેઉનું સંમિશ્રણ હોય તેવી ભાષા હોવી જોઈએ. 

આજે ઉર્દૂને સંકીર્ણ દૃષ્ટિએ કે તેને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. તેના મૂળમાં ભારતના કોમી ધોરણે થયેલા ભાગલા અને પાકિસ્તાને ઉર્દૂને કૌમી જબાન (રાષ્ટ્રભાષા) બનાવી તે છે. પાકિસ્તાનની જેમ તેની રાષ્ટ્રભાષાને પણ  ભારતીયોનો એક વર્ગ દુ:શ્મન કે પરાયાની નજરે જુએ છે. ઉર્દૂ ભારતમાં જ જન્મી છે અને પાંગરી છે તે હકીકત ભૂલાવી દેવાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના શક્તિશાળી માધ્યમના રૂપમાં વિકસિત થયેલી ઉર્દૂ મિશ્રિત વારસો ધરાવતી ભાષા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ ભાષાને કોઈ ધર્મ નથી તે એક સમુદાય, પ્રદેશ અને લોકોની ભાષા છે અને પરસ્પરના આદાન-પ્રદાનનું માધ્યમ છે. ભાષા સંબંધી સંકીર્ણ અને સાંપ્રદાયિક વિવાદોમાં લોકોની સંવેદનાઓ, જૂની માન્યતાઓ અને રાજનીતિની ભૂમિકા રહેલી છે. 

સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઉર્દૂ ભાષા વિષે ટાંકેલી આ પંક્તિઓ સૌને વિચારવા પ્રેરે છે: 

ઉર્દૂ હૈ મેરા નામ

 મૈં ખુસરો કી પહેલી 

 ક્યોં મુઝ કો બનાતે હૌ

 તાજ્જુબકા નિશાના

 મૈંને ખુદ કો કભી મુસલમાન નહીં માના

 દેખા થા કભી મૈંને ભી ખુશિયોં કા જમાના

 અપને હી વતન મૈં હું 

 મગર આજ અકેલી

 ઉર્દૂ હૈ મેરા નામ 

મૈં ખુસરો કી પહેલી.

“પોતાને માત્ર હિન્દી કે ઉર્દૂ સુધી મર્યાદિત રાખવો તે બુદ્ધિમત્તા અને દેશભક્તિની ભાવના વિરુદ્ધનો ગુનો છે”, એવી ગાંધીજીની ચેતવણી પણ અનેક વિચારજાળા સાફ કરતા સુપ્રીમના ચુકાદા સાથે સંભારીએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઉમાશંકર : સત્યની ખોજ માટે પંકાયેલા દેશમાં જ સત્યનો ભય?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 July 2025

ભારતમાં ક્યારે ય પ્રી–સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. દેશ આખાને આવરી લેતો ભય–આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી?

જન્મ : 21-7-1911 — મૃત્યુ : 19-12-1988

હમણાં જ ઉમાશંકર જયંતી (21 જુલાઈ) ગઈ. થાય છે, એ નિમિત્તે પચાસ વરસ પરના એમના રાજ્યસભાના વક્તવ્યને જરી સંભારી લઉં. કટોકટીની જાહેરાત પછી સંસદ મળી ત્યારે થયેલી ચર્ચા દરમ્યાન એમણે વિચારો વ્યક્ત કરવાની તક 22મી જુલાઈએ ઝડપી હતી. જોગાનુજોગ, 21મીએ જ ચંડીગઢના જેલવાસમાંથી જયપ્રકાશે વડાં પ્રધાન ઇંદિરા ગાંધી જોગ પત્રમાં પોતાની ભૂમિકા દો ટૂક શબ્દોમાં મૂકી હતી. આ પત્ર અને એ વક્તવ્ય બેઉમાં આર્ત પુકાર અને સ્પષ્ટ કથનનું દર્શન થતું હતું.

કેમ કે તેઓ ઉપલા ગૃહમાં બોલી રહ્યા હતા, ઉમાશંકરે ગૃહમાંના વડેરાઓને ય વિશેષ રૂપે સંબોધવાની તક ઝડપી હતી, પણ એની વાત ઘડીક રહીને. વક્તવ્યના પૂર્વાર્ધમાં એમણે કહ્યું હતું :

‘ભારતમાં ક્યારે ય પ્રી-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય-આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી? … આ છે સત્યનો ભય ને તે એવા દેશમાં કે જે સત્યની ખોજ માટે પંકાયેલો છે. બીજા કશા કરતાં પણ આ બાબતે દુનિયાના દરબારમાં દેશને માથે કાળી ટીલી તાણી છે.’

આ સન્માન્ય ભવન મારફતે મારે પ્રધાન મંત્રીને વિશેષ રૂપે એ વાત પહોંચાડવી છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના જમાનામાં આ દેશ જ્યારે ધૂળ સોતો ગરીબીમાંથી ઊઠવા મથામણ કરી રહ્યો હતો ત્યારે પણ દેશની દુનિયાના દરબારમાં આબરૂ હતી. એનું મસ્તક ઉન્નત હતું. જવાહરલાલે પોતાના પુસ્તક ‘દુનિયાના ઇતિહાસની ઝાંખી’ને અંતે તમામ શુદ લખતી વેળા ટાગોરના નીચેના શબ્દો ટાંક્યા હતા :

‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર …’- જ્યાં મન ભયથી સર્વથા મુક્ત છે … એવા સ્વર્ગમાં હે પ્રભુ મારા દેશને જાગૃત કર!’

વક્તવ્યના ઉત્તરાર્ધમાં ઉમાશંકરે ‘એલ્ડર સ્ટેઈટ્સમેન’ને વ્યાસનાં વચનો સંભારી ઠમઠોર્યા હતા :

‘ન સા સભા યત્ર ન સન્તિ વૃદ્ધા:,

ન તે વૃદ્ધા: યે ન વદન્તિ ધર્મમ્.’

‘- જ્યાં વૃદ્ધો ન હોય તે સભા નથી અને ખરી વાત – ધર્મની વાત ન બોલે તે વૃદ્ધો નથી. હું પૂછું છું કે ભારતની લોકશાહી માટે તમે શું કર્યું? તમે પ્રધાન મંત્રી પાસે ગયા છો ને એમને કહ્યું છે કે અમારું જે થવાનું હોય એ થાય, પણ અમારા આ વિચારો દૃઢ છે …’

‘શાસક પક્ષને અને એમના નેતાને મારી એક જ અપીલ છે : આ લોકતંત્રીય પ્રથમ પ્રજાસત્તાક (ફર્સ્ટ રીપબ્લિક) ઉપર પરદો પાડી દેવાની ઉતાવળ રખે કરી બેસતા!’

રાજ્યસભામાં અપાયેલા આ અંગ્રેજી વક્તવ્યનો ચુનીભાઈ વૈદ્યે કરેલો ગુજરાતી અનુવાદ ત્યારે ‘ભૂમિપુત્ર’માં પ્રગટ થયો હતો અને ‘સમયરંગ’(1978)માં તે સહેજસાજ સુધારા સાથે ઉમાશંકર જોશીએ સમાવ્યો હતો. 

ઉમાશંકર અને બીજા બચ્યાખૂચ્યા ગૃહમાં અવાજ ઉઠાવી રહ્યા હશે એ જ દિવસોમાં, 21મી જુલાઈએ જયપ્રકાશે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. (ચંડીગઢના આ મિસાબંદી વિશે, પાછળથી, નવેમ્બર 1975માં ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં લખ્યું હતું : ‘શ્રી જયપ્રકાશને શું જોઈએ છે? કોઈ પણ પદ માટે એમણે જીવનભરની અનિચ્છા પ્રગટ કરેલી છે. ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો ત્યારે એ પરાણે બહાર આવ્યા. લોકોનું કંઈક કરવા અને ભ્રષ્ટાચાર ટાળવા માટે એમને આકાશ પણ જોવા ન મળે એ રીતે પૂરી દેવાની જરૂર હતી? બુદ્ધ અને મહાવીરની ભૂમિમાંથી પ્રગટેલા આ નિ:સ્પૃહ કરુણાસંપન્ન મહાનુભાવનું સ્વાસ્થ્ય જલદી સુધરે તે માટે પ્રાર્થના કરીએ.’)

હવે થોડું, જયપ્રકાશના 21મી જુલાઈના પત્રમાંથી. સામાન્યપણે ‘પ્રિય ઇન્દુ’ને લખાતો પત્ર ‘પ્રિય વડાં પ્રધાન’ને સંબોધીને લખાયો છે :

‘તમારી વાતચીત અને વક્તવ્યોના હેવાલો અખબારોમાં જોઈ મનને આઘાત પહોંચે છે …’

‘તમે જે વાત સતત રટ્યાં કરો છો તેનું ધ્રુવપદ મારા જાણવા પ્રમાણે આ છે કે સરકારને ખોટકાવી નાંખવા માટે એક કાવતરું ઘડાયું હતું … વાત વાતમાં તમે બીજાં પણ કેટલાંક સૂત્રો ફંગોળતાં રહ્યાં છો. દા.ત. લોકશાહી કરતાં રાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે …’

ના જી. વડાં પ્રધાન, સરકારને ખોટકાવી નાખવાની કોઈ યોજના નહોતી … તા. 25મી જૂને … મારા ભાષણનો જે મુખ્ય સૂર હતો … એ યોજના પ્રમાણે, તમારા કેસનો ચુકાદો આવી જાય ત્યાં સુધીને માટે તમારે પદાધિકાર છોડી દેવો. એની માગણીના ટેકામાં તમારા નિવાસસ્થાનની સામે રોજ કેટલાક લોકો સત્યાગ્રહ કરવાના હતા … અને તે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા સુધી જ … બીજા બધા જ માર્ગો બંધ થઈ જાય તો તેવા સંજોગોમાં નાગરિક પાસે સવિનય કાનૂનભંગનો અવિચ્છેદ અધિકાર રહે છે. અને કહેવાની જરૂર નથી કે એમ કરવા જતાં સત્યાગ્રહી કાયદેસરની શિક્ષાને જાણી જોઈને પોતા પર નોતરે છે અને સ્વીકારે છે …

‘… તમે જાણો છો કે હું તો પાકેલું પાન છું … ભણતર પૂરું થયા બાદ મેં મારું સમગ્ર જીવન કશા પણ બદલાની આશા વગર રાષ્ટ્રને ચરણે ધર્યું છે. એટલે હવે તમારા રાજછત્રમાં એક કેદી તરીકે મરીશ તોયે મને સંતોષ છે.’

‘આવા એક જણની સલાહ કાને ધરશો? આ રાષ્ટ્રના પિતાએ તથા સાથે તમારા મહાન પિતાએ પણ જે પાયાઓ નાખ્યા છે એનો નાશ ન કરશો …’

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 જુલાઈ 2025

Loading

બટાકાનું સંગ્રહાલય !

રમેશ સવાણી|Diaspora - Features|23 July 2025

21 જુલાઈ 2025ના રોજ સવારે 7.30 વાગ્યે અમે આગલા ડેસ્ટિનેશન તરફ રવાના થયા અને બપોરે 1 વાગ્યે Salt Lake City પહોંચ્યા.

રસ્તામાં 9.15 વાગ્યે Idaho – ઇડાહો રાજ્યના રોડ સાઈડે એક બટાકાના ખેતર પાસે રોકાયા. ત્યાં એક નાની કેબિન હતી, કેબિનના મથાળે ‘Potatoes’ અને બંધ બારણા પર લખેલ હતું : ‘Open Come in’.  કેબિનમાં કોઈ ન હતું. પરંતુ ત્યાં વેરાઈટી મુજબ બટેકાના બોક્સ મૂકેલા હતા. જ્યાં પેમેન્ટની રકમ બોક્સની અંદર મૂકી બટાકા લઈ શકાય તેવી વ્યવસ્થા હતી ! થોડાં બટાકા ખરીદ્યા અને પેમેન્ટ પેટીમાં નાખી દીધું. પેમેન્ટ કર્યા વિના બટાકાનું બોક્સ લઈને કોઈ જતું નહીં હોય એટલે જ આ વ્યવસ્થા ટકી રહી હશે ! આપણે ત્યાં કથાઓ / પારાયણો / મંદિરો / મસ્જિદોમાં ઊભરાતા કરોડો ભક્તો છે; છતાં આવી વ્યવસ્થા અમલમાં મૂકી શક્યા નથી !

કેબિન પાછળ એક મહિલા પોતાની શાકભાજીની ખેતીકામમાં વ્યસ્ત હતી. તેમની મંજૂરી લઈને અમે એપ્રિકોટ અને સફરજન ઝાડ પરથી તોડ્યાં અને ખાધાં.

ઇડાહો બટાકા, અદ્દભુત કુદરતી લેન્ડસ્કેપ્સ અને કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોનાં કારણે જાણીતું છે. તેનું ઉપનામ ‘જેમ સ્ટેટ’ છે. ઇડાહો વિશાળ જંગલ વિસ્તારો માટે જાણીતું છે. ઇડાહો યુનાઇટેડ સ્ટેટ્સમાં બટાકાનું ટોચનું ઉત્પાદક રાજ્ય છે, જે USના બટાકાનો 30 ટકા હિસ્સો ઉત્પાદન કરે છે. ઘઉં, મકાઈ અને અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ થાય છે. ઈડાહોને ‘Potato Capital of the World’ કહે છે. બટાકાના ખેતરો કોઈપણ અન્ય પાક કરતાં વધુ ખોરાક ઉત્પન્ન કરી શકે છે. રસેટ બટાકા એ ઇડાહોની સૌથી પ્રચલિત બટાકાની જાત છે. તેમાં ઉચ્ચ સ્ટાર્ચ અને ઓછો ભેજ હોવાથી fluffy baked potatoes અને crisp French fries બને છે. એક મધ્યમ, બેકડ બટાકામાં 200 કેલરી કરતાં ઓછી કેલરી હોય છે અને તે ફાઇબર, વિટામિન C, B6 અને પોટેશિયમનો સારો સ્રોત છે. હકીકતમાં, બટાકામાંથી ખૂટતા વિટામિન્સ ફક્ત A અને D છે. 1995માં, જ્યારે સ્પેસ શટલ કોલંબિયા પર બીજ અંકુરિત કરવામાં આવ્યા ત્યારે બટાકા અવકાશમાં ઉગાડવામાં આવતી પ્રથમ શાકભાજી બની હતી !

પછી અમે બ્લેકફૂટ સિટીમાં, રસ્તા પરનું ‘Idaho Potato Museum’ જોયું. આ એક અનોખું મ્યુઝિયમ છે જે ઇડાહોના પ્રખ્યાત બટાકાને યોગ્ય રીતે પ્રદર્શિત કરે છે. બટાકાના ઇતિહાસને દર્શાવતા સમૃદ્ધ ગ્રાફિક્સ / બટાકા ઉદ્યોગની ક્રાંતિની સફર કરાવે છે. અહીં અમે ફ્રેન્ચ ફ્રાઈસ અને બટાકાના અમેરિકન ભજિયાં પેટ ભરીને ખાધાં. 

આ સંગ્રહાલયના પ્રદર્શનોમાં વિશ્વની સૌથી મોટી બટાકાની ચિપ, 25 બાય 14 ઇંચની, અને USમાં બટાકાના વપરાશનો ઇતિહાસ છે. થોમસ જેફરસનના રાષ્ટ્રપતિકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના મેનુ પસંદગીમાં ફ્રાઈસનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત પેરુવિયન-નિર્મિત 1,600 વર્ષ જૂનાં વાસણો પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે, જે ખાસ કરીને બટાકાના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા પ્રથમ કન્ટેનર હોવાનું માનવામાં આવે છે.

બટાકા મૂળ તો દક્ષિણ અમેરિકાના Andes mountains – એન્ડીઝ પર્વતોમાંથી ફેલાયા છે. જે આધુનિક દક્ષિણ પેરુ અને ઉત્તરપશ્ચિમ બોલિવિયા વચ્ચે છે. બટાકા લગભગ 7,000-10,000 વર્ષ પહેલાં ઉદ્દભવ્યા હતા. ઇન્કા લોકો 1,800 વર્ષ પહેલાં બટાકાની ખેતી કરતા હતા. તે પછી 16મી સદીમાં યુરોપમાં ફેલાયા. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ વેપારીઓ ભારતમાં બટાકા લાવ્યા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પાછળથી તેની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપ્યું હતું. બટાકા બીજમાંથી ઉગાડવામાં આવતા નથી. બટાકાને ટુકડાઓમાં કાપીને જમીનમાં રોપવામાં આવે છે. બટાકા ઉગાડવામાં સરળ હોવાને કારણે તે દુનિયા આખીમાં લોકપ્રિય બન્યા છે.

વિશ્વભરમાં બટાકાની 4,000થી વધુ જાતો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, બટાકાની 200થી વધુ જાતો ઉપલબ્ધ છે, જેમાં સાત મુખ્ય પ્રકારો છે : રસેટ, લાલ, સફેદ, પીળો, વાદળી / જાંબલી, Fingerling – ફિંગરલિંગ અને Petite – પેટાઇટ. રસેટ સૌથી લોકપ્રિય પ્રકાર છે, ખાસ કરીને બેકિંગ, મેશિંગ અને ફ્રાયિંગ માટે.

યુનાઇટેડ સ્ટેટ્સના 30 રાજ્યોમાં બટાકા ઉગાડવામાં આવે છે. જેમાં ઇડાહો, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન અગ્રણી છે. બટાકાનું ઉત્પાદન US અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપે છે અને અસંખ્ય નોકરીઓ પૂરી પાડે છે. બટાકાનાં વાવેતર, લણણી અને પ્રક્રિયા કરવા માટે અદ્યતન મશીનરીનો ઉપયોગ થાય છે. બટાકાની લણણી સામાન્ય રીતે ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે.

વિશ્વમાં 150થી વધુ દેશોમાં બટાકાની ખેતી થાય છે. જેમાં ચીન અને ભારત આગળ છે. ચીન લગભગ 95.5 મિલિયન ટન તથા ભારત 56 મિલિયન ટન ઉત્પાદન કરે છે. બટાકા ઉદ્યોગ પરિવહન વિક્ષેપો, ભાવમાં અસ્થિરતા અને અન્ય પાકોની સ્પર્ધા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું બટાકા ઉત્પાદક રાજ્ય છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને આસામનો સમાવેશ થાય છે. ભારતમાં, લોકપ્રિય જાતોમાં કુફરી જ્યોતિ, કુફરી ચંદ્રમુખી, કુફરી બાદશાહ, કુફરી જવાહર, કુફરી લાલિમા, કુફરી સિંધુરી, કુફરી બહાર, કુફરી ચિપ્સોના, કુફરી સતલજ, કુફરી અલંકાર, કુફરી અશોક, કુફરી દેવા, કુફરી મોહન, કુફરી નીલકંઠ અને કુફરી પુખરાજ સહિત અનેક બટાકાની જાતો ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં, બટાકા ઉત્પાદનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ આગળ છે. CPRI – સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 2050 સુધીમાં ભારતને વિશ્વનું સૌથી મોટું બટાકા ઉત્પાદક બનાવવાનું લક્ષ્ય રાખે છે.

અમેરિકામાં બટાકાના ખેડૂતો અનેક પડકારોનો સામનો કરે છે, જેમાં અણધારી હવામાન પેટર્ન, આબોહવા પરિવર્તન, માટીનું ધોવાણ, જીવાત અને રોગોનો ફેલાવો, મજૂરોની અછત અને બજારની અસ્થિરતાનો સમાવેશ થાય છે. ભારતીય બટાકાના ખેડૂતોને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભાવમાં વધઘટ, આબોહવા પરિવર્તનની અસરો, સંગ્રહ મર્યાદાઓ અને ઊંચા ઇનપુટ ખર્ચનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ ખેડૂતોને તેમના બટાકા ઓછા ભાવે વેચવાની ફરજ પાડે છે કારણ કે બજારમાં વધુ પડતા બટાકાના કારણે ભાવ ઘટે છે. બીજી બાજુ, જ્યારે બટાકાનો સંગ્રહ કરવામાં આવે છે અને પછી કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢવામાં આવે છે, ત્યારે તે ઊંચા ભાવે વેચાય છે, જેનાથી ખેડૂતો કરતાં વેપારીઓને વધુ ફાયદો થાય છે. વધુમાં, ખેડૂતો મોંઘા બિયારણ, ખાતરો અને વધતા મજૂરી ખર્ચનો સામનો કરે છે, જેના કારણે ખેડૂતો દેવાદાર બને છે. 

અમેરિકા હોય કે ગુજરાત, બટાકાના ખેડૂતોએ રસ્તા પર બટાકા ફેંકી દીધા હોવાના કિસ્સાઓ બન્યા છે, જે મુખ્યત્વે વધુ પડતા પુરવઠા અને માંગના અભાવને કારણે બને છે !

22 જુલાઈ 2015 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...203204205206...210220230...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved