Opinion Magazine
Number of visits: 9456359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વુમનિયા! શારીરિક અને સામાજિક બળાત્કારનો હાહાકાર!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|30 March 2025

‘વુમનિયા’માં જિગ્ના વ્યાસ

કાલે વ્યાપારી ધોરણે ભજવાયેલું એક નિતાંત સામાજિક નાટક જોયું. નામ છે ‘ઓ વુમનિયા’. સૌમ્ય જોશી એના લેખક અને દિગ્દર્શક બંને. આખું નાટક એક કલાકનું જ. પણ વ્યાપારી ધોરણે એ ભજવાયું અને અમદાવાદના પ્રેક્ષકો દ્વારા ઝિલાયું એ તો નાટક પત્યા બાદ તેમણે ઊભા થઈને સતત એકદોઢ મિનિટ સુધી પાડેલી તાળીઓથી જ ખ્યાલ આવે. 

શું ‘બૈરું’ શબ્દનો અંગ્રેજી અનુવાદ છે આ ‘વુમનિયા’? કારણ કે એક સ્ત્રી પાત્ર સતત એક કલાક સુધી રંગમંચ પર નાટક ભજવે અને એમાં વાત માત્ર સ્ત્રીઓની જ આવે એવા આ નાટકમાં વિચાર છે માનવ માત્રની સમાનતાનો, ચિંતન છે સામાજિક વ્યવસ્થા વિશે; અને ઉપાય માટે મનન કરવા પ્રેરે તેવો માહોલ.

વિજાપુરથી મુંબઈ જતી ટ્રેનમાં જુદી જુદી સામાજિક ભૂમિકા ધરાવતી થોડીક ગ્રામનિવાસી સ્ત્રીઓ ભેગી થાય છે અને એમાં એક પાત્ર તરીકે જિગ્ના વ્યાસ બધી સ્ત્રીઓની ભૂમિકા એકસાથે ભજવે છે. કમાલ કરી છે એણે! એ બધી જ સ્ત્રીઓ કોઈક ને કોઈક સામાજિક પીડા સાથે બંધાયેલી છે. પણ એમને કદાચ એ પીડાનો અનુભવ થતો નથી કારણ કે એ એમને કોઠે પડી ગઈ છે. ત્રીસેકની વયની એક અપરણિત છોકરી એવી જિગ્ના માટે જે ચિંતા પરણિત સ્ત્રીઓ વ્યક્ત કરે છે ત્યાંથી નાટક શરૂ થાય છે અને છેલ્લે બળાત્કારોના કઠોર માહોલમાં એ પૂરું થાય છે. 

આરંભમાં હાસ્ય રસની ભરપૂરતા એ તો એ છોકરીનું પાત્ર ભજવતી જિગ્ના વ્યાસ તેમ જ એકોક્તિના લેખકની હથોટી અને કમાલ બંને. ટ્રેનના ડબ્બાને જિંદગીની સફરનું માધ્યમ બનાવીને જિગ્ના સમાજની મોટા ભાગની સ્ત્રીઓના જીવનની સાચુકલી સફરની વાત કરે છે. એ સફર પોતે જ એક પ્રચ્છન્ન બળાત્કાર કેવી રીતે છે એ બખૂબીથી વ્યક્ત થાય છે એ છોકરીના અભિનયમાં અને સહેજ પણ કશું કાચું કાપ્યા વગરના તેમ જ કશાની તમા રાખ્યા વગરના શબ્દોમાં. 

નટખટ લાગતી એક બંગાળી છોકરી પછી તેની સાથે જોડાય છે ટ્રેનના ડબ્બામાં અને એ પોતાના શહેર કલકત્તાની સુંદરતા અને ભવ્યતાનાં મોંફાટ વખાણ કરતાં થાકતી નથી. 

સૌમ્ય જોશી

અને પછી શરૂ થાય છે તાજેતરમાં કલકત્તાની હોસ્પિટલમાં થયેલા બળાત્કારની કહાણી. પેલી ભવ્યતા અને સુંદરતા સામેનો એ વાસ્તવિક સામાજિક ચહેરો. સૌમ્ય જોશી એ વાત દેશ આખામાં ચોરે ને ચૌટે, ઘરેબાહિરે, ઉંમરના કશા બાધ વિના સાવ સામાન્ય બીના બની ગયેલ બળાત્કાર સુધી ખેંચી જાય છે અને પ્રેક્ષકોની બચી ગયેલી સંવેદનાને ઢંઢોળે છે, એમ કહીને કે એ અસરગ્રસ્ત સ્ત્રી વ્યક્તિ છે, વસ્તુ નહીં; અને એ આપણી પરિચિત કે સંબંધી હોય તો જ આપણને એની અસર થાય એમ નહીં, કોઈ પણ સ્ત્રી પર થયેલો બળાત્કાર એ આપણા પોતાના પર થયેલો બળાત્કાર છે એમ સમજવું પડે. 

નાટકનો અંતરંગ હિસ્સો બનેલા ગીતસંગીતમાં બીજા આઠેક કલાકાર જોડાય છે; અને એ તમને મનોરંજક રીતે ન ડોલાવે, પણ તમારી સૂતેલી માનવ ચેતનાને તમે જાગવાનો પ્રયાસ કરો તો જગાડે. 

સૌમ્ય જોશી તો દોસ્ત અને જિગ્ના વ્યાસ પણ. બંનેને આવા મંચન બદલ અભિનંદન આપું એટલા ઓછા..

તા.૩૦-૦૩-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભાષાના ભેખધારી

'અદમ' ટંકારવી|Diaspora - Features|30 March 2025

પ્રસ્તાવના

અદમ ટંકારવી

બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટે ઝઝૂમનારાંની યાદી ખાસ્સી લાંબી થાય, પણ એમાં બે નામ મોખરે : વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકર. બેઉ વચ્ચેના ભેરુબંધના મૂળમાં ભાષાપ્રીતિ અને માતૃભાષા પ્રત્યેનો અનુરાગ. અંગ્રેજી સામેની હુતુતુતુમાં બંને ભિલ્લુ. આમ તો રમત tough-હંફાવનારી, પણ બંનેમાં નર્મદી જોસ્સો, રમવાનું જિગર, અને ટકી રહેવાની જિદ. માન્ચેસ્ટરમાં મેં આ બેઉને પૂરા તાદાત્મ્યથી રૂડી ગુજરાતી વાણીની વાત કરતા સાંભળેલા ત્યારે વર્જિનિયા વુલ્ફ[૧૮૮૨•૧૯૪૧]ના આ કથનનું તાત્પર્ય સમજાયેલું : લૅંગ્વિજ ઇઝ વાઈન અપોન ધ લિપ્સ – ભાષા એટલે હોઠે સુરા.

બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે. આ બે વિભૂતિઓ એમની સામેના પડકારથી સભાન હોય જ. છેક ૧૯૮૭માં રઘુવીર ચૌધરીએ કહેલું : આ કામ નેવાંનું પાણી મોભે ચઢાવવા જેવું છે, અને જ્યાં ઢાળ વધુ છે એવા બ્રિટનમાં તો ગુજરાતી ભાષા-સાહિત્યના સેવનને સીધા ચઢાણ સાથે જ સરખાવી શકાય. પણ આ બે ભાષાપ્રેમીઓએ આ પડકાર ઝીલ્યો, અને પૂરા ખમીરથી એની સામે ઝૂઝ્યા. વિપરીત પરિણામથી એમણે કરેલ પુરુષાર્થનું મૂલ્ય જરી ય ઓછું થતું નથી.

દીપક બારડોલીકર

દીપકસાહેબ ૧૯૯૦માં બ્રિટનસ્થિત થયા, પણ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સાથેનો એમનો નાતો તો કરાંચીવાસી હતા ત્યારથી. ઑગસ્ટ ૧૯૮૬માં અકાદમીએ દશાબ્દી મહોત્સવ ઉજવ્યો ત્યારે કરાંચીના ‘ડૉન ગુજરાતી’ કાર્યાલયમાંથી સંદેશ પાઠવી અકાદમી ‘યુ.કે.માં ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસ માટે જે નક્કર કાર્યો કરી રહી છે’ તે માટે એને બિરદાવેલી, અને “આપના પ્રયાસોમાં સમ્પૂર્ણ સફળતા મળો” એવી શુભેચ્છા દર્શાવેલી. ત્યારે કોને ખબર હતી કે ચારેક વરસ પછી ‘આપના પ્રયાસો’માં ખભો દેવા એ સ્વયં હાજર થશે, અને ‘આપના’ પ્રયાસો ‘આપણા’ પ્રયાસો બનશે!

ગુજરાતી વાણી રાણીની તહેનાતમાં વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકરની સહોપસ્થિતિ સહજ છે, કેમ કે બંનેની ભાષાપ્રીતિ ઉત્કટ અને પ્રતિબદ્ધતાની વેવ-લૅન્થ સરખી. આવું હંમેશાં બનતું નથી. અમૃત ‘ઘાયલ’ કહે છે :

મિલનસાર દાના જવલ્લે મળે છે

મનુષ્યો મજાના જવલ્લે મળે છે

નથી એમ મળતા અહીં જીવ, ઘાયલ

પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

વિપુલભાઈ તો બ્રિટનની ગુજરાતી ભાષા-સાહિત્યની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હતા જ, અને દીપકને એ વગર ચાલે નહીં. આને પ્રમાણતાં ૧૯૯૪માં ચિનુ મોદીએ કહેલું : “આ શખ્સ સો એ સો ટકા શાયર છે. પાકિસ્તાનમાં, એ પૂર્વે હિન્દુસ્તાનમાં, અને હવે ઇંગ્લિસ્તાનમાં આ શખ્સને ગઝલ વિના ચાલ્યું નથી. આ વાત એટલી સરળ નથી. ગઝલ જો શ્વાસ જેટલી સ્વાભાવિક ન હોય તો ના બને આવું.”

દીપકનો જન્મ નવેમ્બર ૧૯રપમાં બારડોલીમાં. બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કૂલના અભ્યાસકાળ વિશે એમણે કહ્યું છે, “આ શાળાએ ‘વિદ્યા આપી, માનસઘડતર કર્યું, અને શબ્દ સાથે નાતો જોડી આપ્યો.” આમ, શબ્દ તો શૈશવમાં જ જડ્યો. યૌવનકાળમાં મહાગુજરાત ગઝલ મંડળના પરિવેશમાં એમના ગઝલસર્જનનો પ્રારંભ થયો. ૩૬ વર્ષની વયે પાકિસ્તાનના કરાંચીમાં જઈ વસ્યા. ત્યાં પણ ગઝલસર્જન ચાલતું રહ્યું. ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત ઉર્દૂ શાયરો અને સિંધી કવિઓની સંગત રહી. એ દિવસોને યાદ કરતાં દીપકે કહેલું કે ઉમદા માહોલ હતો, ખુશગવાર ફિઝા હતી, અને સાહિત્યિક ચેતનાનો જુવાળ હતો.

૧૯૯૦માં બ્રિટન આવી વસ્યા ત્યારે અહીં પણ યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગુજરાતી સાંભળીએ-બોલીએ-વાંચીએ-લખીએ-જીવીએ-નો નાદ હવામાં ગુંજતો હતો. દીપકે આવતાં જ એમાં સૂર પુરાવ્યો, અને તે પણ પૂરજોશથી. દીપક પોતાના ભાષા-સાહિત્ય સાથેના સંબંધને ‘મહોબત’ કહે છે. એવો સંબંધ રાખનાર અન્યોને પણ ચાહે છે, અને એ ચાહના ક્યારેક એમની કાવ્યપંક્તિઓમાં વ્યક્ત થાય છે. અદબપૂર્વક અમૃત ‘ઘાયલ’ને યાદ કરતાં કહે છે :

માર ના ડંફાસ દીપક, કે ગઝલ

એ છે અમૃતલાલ ઘાયલનો પ્રદેશ

ગઝલકાર તરીકે ઘાયલને પોતાનાથી ઊંચેરા આસને બેસાડવામાં નાનમ અનુભવતા નથી. એ જ રીતે દૂર દેશાવરમાં હોવા છતાં શૂન્ય પાલનપુરી સાથે નિકટતા અનુભવતાં કહે છે :

શૂન્યનો ડાયરો છે ખ્યાલોમાં

યાદ કરશું ને સાંભળી લેશું.

બ્રિટનનિવાસી થતાં વેંત ગુજરાતી ભાષા-સાહિત્યના મતવાલાના કાફલાના સહયાત્રી મળ્યા વિપુલ કલ્યાણી અને દીપકની કલમ ઊપડી. ભાવવ્યંજક શૈલીમાં સર્જાઈ એક નઝમ. અભિધાના સ્તરે જુઓ તો વિષય વિપુલ કલ્યાણી. વ્યંજના પકડો તો અર્થચ્છાયામાં મળે નિતાંત ભાષાપ્રીતિ અને માતૃભાષાની સાચવણ માટેની ખેવના. ૧૯૯૩માં ચંદ્રકાન્ત બક્ષીએ ઇંગ્લૅન્ડના ગુજરાતી સમાજનાં ‘પ્રતિબદ્ધ, કર્મઠ, સમર્પિત’ નામોની યાદી બનાવેલી, તેમાં પ્રથમ નામ વિપુલ કલ્યાણી. એ જ લેખમાં બક્ષીબાબુએ તારસ્વરે ફરિયાદ કરતાં કહેલું : “ગુજરાતી ભાષા માટે ઇંગ્લૅન્ડમાં એક માણસે જે કામ કર્યું છે એનું મૂલ્યાંકન થયું નથી, અને હવે મર્દનું કૃતિત્વ મૂલ્યાંકનથી પર ચાલ્યું ગયું છે. નામ : વિપુલ કલ્યાણી.” પણ દીપક બારડોલીકરે બ્રિટન વસવાટના આરંભે જ વિપુલ કલ્યાણીની ન્યોછાવરીનું ધિંગું કાવ્ય રચીને આ મહેણું ભાંગ્યું. આ કાવ્ય વિપુલ કલ્યાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વને આબાદ ઉજાગર કરે છે :

કેવો માણસ છે, શું કહું, લોકો

ગુર્જરીનું છે છાપરું, લોકો

એ તો યુ.કે.માં કક્કો ઘૂંટાવે

કાના-માતરનો ફેર સમજાવે

હા, અટંકી અને એ છે બંકો

હા, વગાડે ઉસૂલનો ડંકો

…

એ સભાઓમાં ખૂબ ગાજે છે

ભાષા માટે તો જીવ કાઢે છે

ઘરને ઑફિસ કરીને બેઠો છે

પોતે સંસ્થા બનીને બેઠો છે

એનો થેલો ય એક દફતર છે

એ જ તકિયો ને એ જ બિસ્તર છે

…

લોકો એને કહે છે કલ્યાણી

સ્નેહે સોંપી છે એને સરદારી

એના યત્નોને યશ મળો, દીપક

એના અરમાન સૌ ફળો, દીપક.

આ કાવ્ય યશોગાન નથી. આ ગુજરાતી ભાષાનુરાગીના હૃદયનો ઉદ્દગાર છે, અને એમાં પોતાની ભાષા માટે અવિરત ઝૂઝનાર સમર્પિત શખ્સ પ્રત્યેનો ઓશિંગણભાવ છલકાય છે. દીપક જે દુઆ દઈને ગયા તે આજે ફળે છે. વિદેશમાં આપણી ભાષાને જીવ પેઠે સાચવનાર અને એનાં અછોવાનાં કરનાર બે વિભૂતિઓ – વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકર –ને એમનાં જીવનકાર્ય માટે યશ આપવા આપણે અહીં ભેગાં થયાં છીએ.

સાચું પૂછો તો, અંગત રીતે મારા માટે પુસ્તક વિમોચનની આ ઘટના એક કૌતુક છે, અજાયબી છે, અચરજ છે. બારડોલીનો માણસ કરાંચી થઈ બ્રિટન આવે છે, જીવનની ઉત્તરાવસ્થામાં માન્ચેસ્ટરમાં બેઠાં ગુજરાતી ભાષામાં પુસ્તકો સર્જે છે, યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમી એનું પ્રકાશન કરે છે, અમદાવાદના ‘એન્હાન્સર ઓન્લી’ના કેતન રૂપેરા એનો પ્રકાશન-પ્રબંધ કરે છે, અને સર્જન થયું ત્યાંથી પાંચ હજાર માઈલ દૂર અબીહાલ પ્રકાશ ન. શાહ અને ભેળો હું, અમે સાથે એનું વિમોચન કરીએ છીએ! ગુજરાતી વાણી રાણીની આ બધી લીલા છે.

દીપકના સાહિત્યસર્જન દ્વારા ‘દીપક’ ઉપનામ સાર્થક થયું. દીપક શબ્દનું ઓજસ મૂકીને ગયા, અને એ રોશની વિલાયતથી ગુજરાત સુધી પથરાયેલી છે. દીપક સાહેબના એક શેરથી સમાપન :

હજી પણ રોશની છે આ નગરમાં

હજી પણ આપનો દીપક બળે છે.

***

e.mail :ghodiwalaa@yahoo.co.uk

‘ધૂળિયું તોફાન’ (૨૦૦૩-૦૫), ‘બખ્તાવર’ (૨૦૧૨-૧૩) ‘પરવાઝ’,  ‘… અને કવિએ છેલ્લે કહ્યું’ તેમ જ  ‘બુલંદીના વારસ’ પુસ્તકો ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ પ્રાકાશિત કર્યાં તે માટેની પ્રસ્તાવના

Loading

જમ્મુ કાશ્મીર બળતું ઘરઃ ભારત સરકારની ચતુરાઈ અને પાકિસ્તાનની સરકારની લાચારી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 March 2025

ચિરંતના ભટ્ટ

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે જેમાં જાનહાનિ પણ થઈ છે. થોડા વખત પહેલાં આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે એવું વિધાન કર્યું છે કે જો પાકિસ્તાન તેના કબજામાં રહેલા કાશ્મીરને છોડી દે તો કાશ્મીરનો આખેઆખો પ્રશ્ન જ ઉકેલાઈ જાય. વર્તમાન કેન્દ્ર સરકારને લાગે છે કે કલમ 370ને દૂર કરી જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખસેડી લેવાયો એ કાશ્મીરના મુદ્દાને ઉકેલવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું હતું. કાશ્મીરમાં ચૂંટણી પણ થઈ તો ત્યાં માળખાંકીય સવલતો પર પણ કામ ચાલી રહ્યું છે, વડા પ્રધાન જલદી જ કાશ્મીર પહોંચાડનારી ડાયરેક્ટ ટ્રેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, આ પહેલાં પણ સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન થયું છે. ટૂંકમાં કાશ્મીરમાં એક સાથે ઘણું બધું થઈ રહ્યું છે. ત્યાં રાજકીય, સામાજિક અને આર્થિક સંજોગોમાં એક સાથે ફેરફાર આવી રહ્યા છે.

ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી કાશ્મીરને મામલે ભારત, પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે અને એમાં ચીન ત્રીજો દાવેદાર છે. લાઇન ઑફ કન્ટ્રોલ 1971માં નિયત થઈ, પણ છતાં ય સરહદ પર સંઘર્ષ ચાલ્યા કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 47 મુજબ કાશ્મીરીઓ ભારતનો ભાગ બનવા માગે છે કે પાકિસ્તાનનો તે નક્કી કરવા માટે લોકમત મેળવવાની જવાબદારી ભારતની છે પણ ભારતે એવું કંઇ કરવાની તસ્દી નથી લીધી. 2014માં ભારતમાં કેન્દ્રમાં ભા.જ.પા.ની સરકાર આવી અને ત્યારથી કાશ્મીરના સંજોગો પરિવર્તનના વાયરામાં વધુને વધુ સંવેદનશીલ બનતા રહ્યા છે. 

ચીને પહેલાં કરતાં પોતાનું વણલ સહેજ બદલ્યું છે કારણ કે પાકિસ્તાન સાથેની દોસ્તી વૈશ્વિક રાજકારણમાં નડતર બની શકે છે. તો ય ચીને  370ની નાબૂદીથી પોતાની પ્રાદેશિક માલિકીનો ભંગ થયો હોવાની વાત ભૂતકાળમાં કરી હતી જેને કારણે 2020માં સરહદ પર ભારત અને ચીન વચ્ચે 1975 પછી પહેલીવાર અથડામણ થઈ હતી. ભલે ભારત અને ચીને સરહદી અથડામણ ન કરવાની જાહેરાત કરી છે, પણ મામલો ગમે ત્યારે બિચકે તેમ છે. ભારત કાશ્મીરમાં જે પણ કરે છે તે જોઇને ચીનને તો એમ જ લાગે છે કે ભારત પોતાના પ્રદેશમાં ઘુસી રહ્યો છે. ચીન પોતાના ન્યુક્લિઅર શસ્ત્રોની ક્ષમતા વધારી રહ્યો છે. જો ચીન અને ભારત વચ્ચે સીધો સંઘર્ષ થાય તો પાકિસ્તાનને આખા કાશ્મીર પર કાબૂ કરી લેવાનો મોકો મળી જશે કારણ કે ભારત કાશ્મીર અને ચીન એમ બે મોરચા સાચવી શકે એવું શક્ય જ નહીં હોય.

જ્યારથી બંધારણના અનુચ્છેદ 370ને નાબૂદ કરાયો તેનાથી કાશ્મીરમાં રાજકીય અને સામાજિક હાલત ડહોળાઈ. પહેલાંનું રાજ્ય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયું અને વહીવટ કેન્દ્ર પાસે ગયો. દાયકાઓ પછી પહેલીવાર ગયા વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ. જો કે ભા.જ.પા.ને અહીં સત્તા પર આવવું હતું તે અપેક્ષા ઠાલી નિવડી અને એ પક્ષ જે પહેલેથી જ અનુચ્છેદ 370ની નાબૂદીનો વિરોધી રહ્યો છે તેના હાથમાં સત્તા આવી. ભા.જ.પા.ને હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીત મળી તો ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી ભા.જ.પા. કરતાં વધુ બેઠકો મેળવી. હવે અહીં ચૂંટણી કરીને સરકાર ચૂંટાઈ આવી છે છતાં પણ પ્રદેશ પર કેન્દ્રનું નિયંત્રણ છે અને સ્થાનિક સરકારના હાથમાં મર્યાદિત સત્તા છે. 

અહીં પ્રશ્નો ઉકેલાયા નથી પણ પેચીદા બન્યા છે; જેમ કે પ્રવાસીઓ વધ્યા હોવાની વાત ઠોસ છે પણ આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા પડકારો યથાવત્ છે. વળી ડોમેસાઈલ કાયદા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 15 વર્ષથી રહેનારી વ્યક્તિઓને ડોમેસાઈલ સ્ટેટસની અરજી કરવાની છૂટ મળે છે અને તે જમીન માલિક બની શકે તથા સરકારી નોકરી પણ મેળવી શકે – ઉપર છલ્લી રીતે યોગ્ય લાગતી આ નીતિનું સીધું પરિણામ આર્થિક વિસ્થાપન હોય તેવી પૂરી શક્યતા છે. જે લોકો ત્યાંના છે તેમની પાસે કામ નથી, અને જે લોકો માત્ર દોઢ દાયકાથી ત્યાં છે તેમને અધિકારો મળી રહ્યા છે.

ભારત સરકાર બહુ જ વ્યૂહાત્મક રીતે કાશ્મીરમાં એક પછી એક વિકાસના કાર્યો શરૂ કરી રહી છે. વિવાદો યથાવત્ હોવા છતાં આ યોજનાઓની જાહેરાત, ઉદ્ઘાટનો ભારત સરકારના વલણનો ચિતાર આપે છે. આ સારું છે કે ખોટું તેની ચર્ચા નથી પણ જોવાનું એ છે કે ભારત સરકાર ધીમી ગતિએ જમ્મુ કાશ્મીરમાં પકડ મજબૂત કરે છે અને તેમાં સામ-દામ-દંડ-ભેદની નીતિનો સુપેરે ઉપયોગ થઇ રહ્યો છે.

આ બધામાં પાકિસ્તાનની અકળામણ વધી ગઈ છે. તેના આંતરિક સંઘર્ષોનો અંત નથી અને ભારત ધીમા અને મક્કમ પગલે કાશ્મીરમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. અત્યારે પાકિસ્તાનની કાશ્મીર અંગેની પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ છે કારણ કે ઘર આંગણે તે અફરાતફરી છે તેનો નિવેડો પાકિસ્તાનને ચપટીભરમાં નથી મળવાનો. વડા પ્રધાન શેહબાઝ શરીફે કાશ્મીર સહિત ભારત સાથેના તમામ મુદ્દે વાટાઘાટ કરવાની તૈયારી બતાડી છે. કાશ્મીર એકતા દિવસ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં તેમણે ભારતને 2019ની ઘટનાઓથી આગળ વધીને અર્થપૂર્ણ સંવાદ સાધવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. આ તરફ આપણા વિદેશ મંત્રીએ તો બિંધાસ્ત કહી દીધું છે કે પાકિસ્તાન જો પોતાના હિસ્સાનું કાશ્મીર જતું કરે તો કોઈ પ્રશ્નો રહેવાના જ નથી. પાકિસ્તાન બધી તરફથી કફોડી સ્થિતિમાં છે છતાં પણ ત્યાં સત્તાપક્ષનો દાવો છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અનુસાર કાશ્મીરીઓના સ્વનિર્ણયના અધિકારને ટેકો આપે છે. આ રાજદ્વારી પ્રયત્નો એક તરફ પણ વાસ્તવિક્તા એ છે કે પાકિસ્તાનમાં રાજકીય અશાંતિ અને આર્થિક અસ્થિરતા તેની પરાકાષ્ઠાએ છે અને માટે જ કાશ્મીરને મામલે બીજું કંઇ પણ કરવું અત્યારે પાકિસ્તાન માટે શક્ય નથી. પાકિસ્તાનમાં સુરક્ષાના પ્રશ્નો છે તેમાં બહારના મુદ્દે નવો મોરચો ખોલવાની મૂર્ખામી કરવી પાકિસ્તાનને પોસાય એમ નથી અને એટલે જ ભારત કાશ્મીરમાં જે પણ કરી રહ્યો છે તે મામલે પાકિસ્તાનની પ્રતિક્રિયા પ્રમાણમાં મંદ છે.

આ ભૌગોલિક રાજકીય ફેરફારોને પગલે કાશ્મીરમાં ક્યાંક પણ અસંમતિનો અવાજ ઊઠે છે તો ભારત સરકાર તેને નાથવા આકરા પગલાં લઈ રહી છે. પ્રતિબંધિત સંસ્થાનો સાથે સંકળાયેલા લોકોએ લખેલાં પુસ્તકો જ્યાં વેચાય છે, તેવી દુકાનો પર દરોડા પડ્યા છે. ભા.જ.પા. સરકારને નેરેટિવ – કથાનક બદલવાની આદત છે. બદલી ન શકાય તો તેને નષ્ટ કરી દેવામાં પણ તેની હથોટી છે. ભા.જ.પા. સરકારને મતે જે લોકો રાષ્ટ્રીય હિતોના વિરોધી છે તેમનો અવાજ અટકી જાય તે જરૂરી છે તો જ તેઓ ધાર્યું કરી શકશે. ટીકાકારોને મતે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે અને જે કટ્ટરવાદી નથી તેવા અવાજોને નાથવાનો પ્રયાસ છે જે કાશ્મીરમાં તણાવ વધારી શકે છે. કાશ્મીરમાં મુસલમાનો બહુમતીમાં છે તો જમ્મુમાં હિંદુઓ બહુમતીમાં છે. કાશ્મીરી પંડિતોની વેદનાને ભા.જ.પા. લાંબા સમયથી રાજકીય મુદ્દાઓમાં ઈંધણ તરીકે વાપરી જ રહી છે જો કે તે માટે કાશ્મીરી પંડિતોએ જ તેમની ટીકા કરી છે.

અત્યારે કાશ્મીરમાં જે સતત પરિવર્તનશીલ પરિસ્થિતિ છે તેમાં ભારત બહુ વ્યૂહાત્મક પહેલ લઈ રહ્યો છે અને પાકિસ્તાન પણ પોતાનાથી બનતું કરવાનો પ્રયાસ તો કરે છે, પણ ત્યાં તો તેમના પોતાના જ પ્રશ્નો બહુ મોટા છે એટલે અત્યારે કાશ્મીર તેમની પ્રાથમિકતા ન હોય તે સ્વાભાવિક છે. ભારતના માળખાંકીય વિકાસ અને રાજકીય દાવપેચનો હેતુ સ્પષ્ટ છે – તેઓ કાશ્મીરીઓનો વિશ્વાસ જીતવા તો માગે છે પણ સાથે સાથે અહીં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે. જો કે બીજી તરફ મુક્ત વિચારોને નાથવાના કેન્દ્ર સરકારના સીધા કે આડકતરા  પ્રયાસો તેમના દેખીતી રીતે સારાં કામોનું મૂલ્ય ઘટાડશે. પાકિસ્તાનની તો હાલત એવી છે કે તે ધારે તો ય વાટાઘાટો કરવાની તેમની માગ વગેરે શાલીન અને રાજદ્વારી રાહે હશે તો ય તેની ધારી અસર થવાની નથી.

યુ.એન.એ 1948માં સૂચવેલા લોકમતને ભારત ગણકારતો નથી. 1947માં પાકિસ્તાનના આક્રમણના ડરના ઓથારમાં કાશ્મીર ભારતમાં ભળ્યું અને ભારતને ડર છે કે મુસ્લિમ બહુમતીને લીધે લોકમત પાકિસ્તાનમાં જોડાવા તરફ હશે, જેની અસર હિંદુ બહુમતી જમ્મુ પર પડશે. 1950ની ડિક્સન યોજનાની પુનઃવિચારણા કરી શકાય જેમાં જમ્મુ અને કાશ્મીરને અલગ સંસ્થાનો તરીક માન્યતા ન આપી માત્ર કાશ્મીર વેલી – ખીણ પ્રદેશ માટે જ લોકમતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જુદું કરી દઈને બળજબરીથી થતું એકકીકરણ અટકાવી શકાય. આમ થાય તો ચીનની દખલને પણ મર્યાદિત કરી શકાય. જો કે રાજકીય પડકારો બહુ સંકુલ છે અને આ પ્રશ્નનો કોઈ તાત્કાલિક ઉકેલ દેખાતો નથી.

બાય ધી વેઃ 

આ શતરંજનો એવો ખેલ છે જેમાં એક ખેલાડી પોતાના અંગત સંજોગોને કારણે સરખું રમી શકે તેમ નથી, તો બીજો ખેલાડી વિકાસ અને સુરક્ષાની આડમાં પોતાની ચાલ ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીનું નસીબ ચમકે અને પાકિસ્તાન (એવું આમ તો કોઈ કાળે થાય નહીં જ પણ આ તો એક કલ્પના) કહી દે કે ભાઈ સા’બ અમારે ત્યાં આમે ય બળતું ઘર છે, તમ તમારે જે કરવું હોય એ કરો, અમારે કંઇ ન જોઈએ તો માળું બગાસું ખાતા પતાસું મળ્યુંનો ઘાટ થાય. જો કે આ તો માત્ર કલ્પના છે. કાશ્મીરની હાલત સ્વાયત્તતા છતાં ગુલામ જેવી છે કારણ કે તે નિયંત્રણોમાં બંધાયેલો પ્રદેશ છે. એક તરફ વિકાસની ભેટ છે તો બીજી તરફ દરોડાના ચાબખા પણ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે કાશ્મીરમાં ‘બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ એવું બધાએ માની લેવું જોઇએ પણ અધિકારોનું હનન ક્યાં સુધી લોકોને માફક આવશે તે જોવું રહ્યું. જો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચીનની નજર મંડાયેલી છે એ પણ આપણે યાદ રાખવું પડશે. પોતાના સ્વાર્થ માટે ચીને પાકિસ્તાન સાથે સારી દોસ્તી કેળવી છે જે આપણે માટે જોખમી છે. આ સંજોગોમાં લોકશાહી, માનવાધિકાર જેવા પાસાંને ગણતરીમાં લેવાય તો કદાચ ભારત સરકારને ટેકો મળે.  

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025

Loading

...102030...200201202203...210220230...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved