Opinion Magazine
Number of visits: 9663880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેંકો સૌથી વધુ અન્યાય પેન્શનર્સ સાથે કરી રહી છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 August 2025

રવીન્દ્ર પારેખ

વૃદ્ધો બધી રીતે પરવારી ચૂકેલા હોય છે, એટલે તેમની કુટુંબમાં કે સમાજમાં બહુ ગણના થતી નથી કે જરૂર પણ હોતી નથી, સિવાય કે તેમની કારકિર્દી કે બચત માર્ગદર્શક રહી હોય. પેન્શન આવતું હોય તો વૃદ્ધો સચવાઈ જતાં હોય છે, તે સિવાય તો તેમનો ભાવ ભાગ્યે જ કોઈ પૂછે છે. મોટે ભાગના પેન્શનર્સ તેમની મૂડી બેન્કોમાં વ્યાજે મૂકતા હોય છે ને તેમનો મોટા ભાગનો વ્યવહાર વ્યાજ પર જ ચાલતો હોય છે. પેન્શનર્સ આર્થિક બાબતોમાં બહુ સાહસિક હોતા નથી. તે એટલે કે તેમની બચત ડૂબી જાય તો જીવવાનો આધાર જ ન રહે, એટલે બહુ બચત ન હોય તો પેન્શનર્સ બેંકો સિવાય બીજે રોકાણ કરતા નથી. બેન્કોમાં તેમનું રોકાણ તેમને સલામત લાગે છે ને બહુ લોભ નથી હોતો, એટલે વ્યાજ પર તેમનો કારભાર ચાલ્યા કરે છે.

પણ, હવે ચાલે એમ લાગતું નથી, કારણ બેંકો નાના મોટા ચાર્જિસ કોઈને કોઈ બહાને વધારતી રહે છે. એવી એવી ફાલતુ બાબતે ચાર્જ વસૂલાય છે કે જતે દિવસે બેંકમાં ગ્રાહકોની આવ-જા પર પણ ચાર્જ વસૂલાય તો નવાઈ નહીં. એક તબક્કે બેંકમાં મિનિમમ બેલન્સ માટે ચાર્જ વસૂલાતો હતો. હવે કંઇ રામ વસ્યા તો તે ન વસૂલવાની વાત છે. સરકારે આ પેનલ્ટી ન વસૂલવાની સૂચના આપી છે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં 11 સરકારી બેન્કોએ 9,000 કરોડ મિનિમમ બેલન્સ ન રાખવા માટે ગ્રાહકો પાસેથી ખંખેરી લીધા છે- એવું કાલના જ સમાચાર કહે છે.

એક તરફ ચાર્જિસ વધતા જાય છે ને નાની બચતના વ્યાજ દર ઘટતા આવે છે. જે વ્યાજ પર પેન્શનર્સને ટકવાનું હોય તેમાં કાપ પડતો રહે ને મોંઘવારી વધતી જ જતી હોય તો તેમણે કેમ જીવવું એ ચિંતા તેમનું આયુષ્ય કોતરતી રહે છે. ભારતીય રિઝર્વ બેંક(આર.બી.આઈ.)ના છેલ્લા ફતવા મુજબ જાહેર અને ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકોમાં ઐતિહાસિક સ્તરે વ્યાજ દરોમાં ઘટાડો થયો છે, તે નાગરિકો અને અર્થવ્યવસ્થા સંદર્ભે દુખદ છે. 2011માં કેન્દ્રીય બેન્કે વ્યાજદરો સ્વતંત્ર રીતે નક્કી કરવાની છૂટ આપી ત્યારે એનો હેતુ બજાર આધારિત સ્પર્ધાને ઉત્તેજન આપવાનો હતો. આજે સ્થિતિ એવી છે કે કેટલીક જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોનાં બચત ખાતાના વ્યાજ દર ઘટીને 2.5 ટકા સુધી આવી ગયા છે. આટલા ઓછા વ્યાજ દરો ચિંતા ઉપજાવનારા છે. તે એટલે કે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ગૃહિણીઓ, વડીલો, પેન્શનરો બેન્કોમાં નાની મોટી બચત મૂકે છે, જેથી તેમને વ્યાજની આવકથી થોડોઘણો ટેકો થઈ શકે, પણ વ્યાજ દરોમાં ઘટાડો તે આવકને નહિવત કરી રહ્યો છે, પરિણામે નાના ખાતેદારોમાં ભારે નિરાશા વ્યાપી છે.

એ સાચું છે કે રિઝર્વ બેંક પ્રમાણે ફેબ્રુઆરી, 2025 મુજબ રેપોરેટમાં બેઝિક પોઈન્ટના ઘટાડા સંદર્ભે બેન્કોએ લોનના દરોમાં ફેરફાર કર્યા છે ને તેથી લોન સસ્તી પણ થઇ છે, દેશના વિકાસ માટે લોન સસ્તી કરવામાં આવે એ જરૂરી પણ છે, પણ તેની સામે બચત પર જીવનારા નાના લોકોને ઓછા વ્યાજને કારણે ઘણું વેઠવાનું આવ્યું છે. આ મામલે વિચાર થવો જોઈએ એવી એક સાર્વત્રિક માંગ પણ નાના ખાતેદારોમાં ઊઠી છે. આ માંગ નજર અંદાજ કરવામાં અર્થવ્યવસ્થા ખોરવાવાનો ભય પણ છે. ભય એટલે કે વ્યાજ ઓછું જ મળવાનું હોય તો નાના ખાતેદારો વધુ આવકના લોભમાં એવી જગ્યાએ રોકાણ કરવા લલચાય જ્યાં આવક તો ઠીક, મૂડી પર પણ જોખમ રહે. એ સ્થિતિમાં બેંકો તો ડિપોઝીટ ગુમાવે જ છે, તો એ ઈચ્છવા જેવું ખરું? વારુ, છેલ્લાં સપ્ટેમ્બર કવાર્ટરમાં પણ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, મતલબ કે વ્યાજદરો વધ્યા નથી, એ સ્થિતિમાં વધુ ડિપોઝીટ બેન્કોમાંથી ઊપડે એ શક્યતાઓ પણ છે જ. આ સ્થિતિ કોઈ પણ રીતે બેંકો માટે ઉત્સાહવર્ધક નથી ને બચતકારો માટે તો જોખમ વધારનારી જ છે. કોણ જાણે કેમ પણ ડિપોઝીટમાં રસ જ ન હોય એ રીતે બેંકો વર્તે છે, તો સવાલ એ થાય કે ઓછા વ્યાજની લોન આપ આપ કરતી બેંકોને ડિપોઝીટ વગર ચાલે એવો કોઈ કીમિયો હાથ લાગ્યો છે? વળી લોન તો માંડવાળ કરવાનું પણ આજકાલ વધ્યું છે, ત્યારે બેંકોને ટકવાનો આધાર કયો છે તે નથી સમજાતું.

આશ્ચર્ય ઉપજાવનારા સમાચાર એ પણ છે કે બેન્કિંગ ક્ષેત્રમાં આજથી શરૂ થતા ઓગસ્ટથી ડી.એ.માં પેન્શનર્સ માટે (કદાચ) એકાદ સ્લેબનો ઘટાડો થયો છે અને કમ સે કમ આ ઘટાડો ફેબ્રુઆરી, 2026 સુધી તો રહેવાનો જ છે. (એ પછી પણ ચાલુ રહે તો નવાઈ નહીં !) છે ને કમાલ, ક્યાં ય મોંઘવારી ઘટવાનો અણસાર નથી, પણ પેન્શનર્સને મોંઘવારી નડતી ન હોય તેમ ડી.એ.માં ઘટાડો જાહેર થયો છે. આ ઘટાડો છ મહિના સુધી તો લાગુ રહેશે જ ને એ છ મહિનામાં મોંઘવારી વધે તો પણ આ ઘટાડો ચાલુ જ રહે એ આ ડી.એ.ની વિશેષતા છે. એ કેવળ શરમજનક છે કે ભ્રષ્ટાચારમાં આખો દેશ વગોવાઇ રહ્યો છે ને તે ઘટાડવાનો ઉપાય થતો નથી, પણ બેન્કર્સનું ડી.એ. ઘટાડીને, વ્યાજદરો ઘટાડીને સાધારણ માણસોની યાતના વધારવાનું ગૌરવ લેવાતું જ રહે છે.

એક સમયે નિવૃત્ત વ્યક્તિનો વીમો, કંપનીઓ ઉતારતી ન હતી. હવે એવું થયું છે કે નિવૃત્ત બેંક કર્મચારીઓનો ગ્રૂપ હેલ્થ ઇન્સ્યુરન્સ (મેડિક્લેઇમ) ઊતરે છે. એમાં ઘણાં જોડાય છે, કારણ આજકાલ માંદા પડવાનું ભયંકર રીતે મોંઘું છે. એ વખતે આરોગ્ય વીમો હોય તો રાહત રહે. પણ, દર વર્ષે પ્રીમિયમમાં એટલો વધારો થાય છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે. ઘણાંના તો બબ્બે મહિનાના પેન્શન જ મેડિક્લેઇમ લેવામાં ખતમ થઇ જાય છે. શોષણના એવા એવા પ્રકારો વધી રહ્યા છે કે સાધારણ માણસ એનાથી બચી શકે એમ જ નથી.

છેલ્લે, એક વાત બેંક રિટાયર્ડ સ્ટાફનાં પેન્શન અપડેશનની. આર.બી.આઈ. મુજબ પેન્શન સ્કિમ 1993માં સાઈન થઈ. એ પછી કોઇ પેન્શન અપડેટ થયું નથી. બીજી તરફ રિઝર્વ બેંકે બે વખત પેન્શન અપડેટ કર્યાની વાત છે, પણ એનો લાભ એ જ લાઈન પર અન્ય બેન્કોને મળવો જોઈએ તે જુલાઈ, 2025 સુધી નથી જ મળ્યો એ હકીકત છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ’ એસોશિએશને (AIBOA) 5 જુલાઈ, 2022ને રોજ બધાં યુનિટોને/સ્ટેટ કમિટીઝને પત્ર લખીને જાણ કરી, જેનો વિષય હતો, ‘અપડેશન ઓફ પેન્શન ઓન ધ લાઈન્સ ઓફ આર.બી.આઈ. બ્રૂક્સ નો ડિલે’. સીધી વાત એ છે કે બેંક પેન્શનર્સનું અપડેશન આર.બી.આઈ.ની ગાઈડલાઈન્સ મુજબ થવું જોઈએ. થવું જ જોઈએ. પેન્શન રેગ્યુલેશન એકટ પણ એના પર આધારિત છે. પત્રનો બીજો મુદ્દો એ છે કે પેન્શનર્સને કેટેગરાઈઝ ન કરવામાં આવે. આ વન ટાઈમ સેટલમેન્ટ હોવું જોઈએ. અન્ય સેટલમેન્ટ્સ વખતો વખત થતાં રહે છે, પણ રિટાયર્ડ સ્ટાફનું પેન્શન અપડેશન થતું નથી. જો રિઝર્વ બેંક રિટાયરીઝને બબ્બે વખત પેન્શન અપડેશનનો લાભ મળ્યો હોય તો એની જ અન્ય બેન્કોના નિવૃત્તોને એ લાભથી વંચિત રાખવાનું કારણ શું છે એનો ખુલાસો થવો જોઈએ. કેન્દ્રીય બેન્કનું અન્ય બેંકો સાથેનું ભેદભાવ ભરેલું આ વલણ અકળ છે.

એ સાચું કે નિવૃત્ત બેન્કર્સ પાસેથી સરકારને કોઈ લાભ નથી, નથી એમના મતનું એવું કંઇ મૂલ્ય ને ઘણાં તો ગુજરી પણ ગયાં હોય. એ રીતે આ નિવૃત્તો સ્પેન્ટફોર્સથી વિશેષ કંઇ નથી, એટલે એ તરફ સરકારનું કે રિઝર્વ બેન્કનું બહુ ધ્યાન ન જાય એ સમજી શકાય એવું છે. મેડિક્લેઈમનું પ્રીમિયમ ઘટાડવા સંદર્ભે કે પેન્શન અપડેશન સંદર્ભે સંબંધિત મંત્રીઓ સુધી વખતોવખત રજૂઆત થઇ છે, પણ પરિણામ આવતું નથી. આ એવા કથળી રહેલા નિવૃત્તો છે કે તે સભા ભરીને કે સરઘસ-રેલી કાઢીને કે બુલંદ સૂત્રો પોકારીને વિરોધ કરી શકે એમ નથી. એ લાચારીનો લાભ લેવાતો હોય એવું લાગે છે.

આ સ્થતિ સુધરવી જોઈએ ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑગસ્ટ 2025

Loading

વસિયતનામું

વલ્લ્ભ નાંઢા|Opinion - Short Stories|31 July 2025

આખરે દક્ષાબહેનની દોડધામનો અંત આવ્યો. બ્રેંટ બરોની હાઉસિંગ કાઉન્સિલે, નિઝડન વિસ્તારમાં એમને રહેવા માટે બે બેડરૂમનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. દિયાને આવો ઇમેલ મોકલ્યો હતો, ને દક્ષાબહેને હાશકારો અનુભવ્યો. આ પહેલાં મા-દીકરીએ ફ્લેટ ભાડે મેળવવા ક્યાં ઓછી દોડધામ કરી હતી? મકાનોની દલાલી કરનારા ને ભાડૂતી મકાનો શોધી આપનારા દલાલો અને એપોઇંટમેંટ લઈને ઇસ્ટેટ ઍજંટોની ઑફિસોની મુલાકાતો લીધી હતી. ફલાણા ઢિંકણા લતામાં બે બેડરૂમવાળો ફ્લેટ ભાડે દેવાનો છે એવી બાતમી કાને પડતાં દિયા અને દક્ષાબહેન સઘળાં કામ એકકોર ઠેલીને ફ્લેટ માલિકને મળવા દોડી જતાં. દિયાએ તેની ફ્રેંડ્સને પણ ભલામણ કરી રાખી હતી અને બોસના કાનમાં પણ ફૂંક મારી દીધી હતી. પણ પાસાં સીધા પડતાં નહોતાં. લંડનમાં રહેણાક જગા ભાડે મેળવવા આટલો ઉદ્યમ કરવો પડશે એવું ધાર્યું ન હતું. આ તો સંજોગોએ એમને લંડન શિફ્ટ થવા મજબૂર કર્યા, એથી આવી દોટમદોટ કરવી પડી, બાકી બે જણનાં માથાં ઢાંકવા પૂરતી સગવડ ઍલ્સ્બરીમાં ક્યાં નહોતી? સાડા ચાર દાયકા પહેલાં યુગાન્ડાથી નિષ્કાસિત થઈને અજાણ્યા દેશની ધરતી પર પગ મૂક્યા, પછી થોડાક અઠવાડિયામાં જ સ્થાનિક કાઉન્સિલ અને યુગાંડા રિસેટલમેન્ટ બોર્ડની મહેરબાનીથી, ઍલ્સબરીમાં થ્રી બેડરૂમવાળું ટૅરેસ મકાન એ લોકોને ભાડે મળ્યું હતું અને બધું થાળે પડી ગયેલું. અને ચારેક દાયકા પહેલાં થોડાં ઉછીનાં ઉધારાં અને થોડાં બચાવેલાં નાણાંની ડિપોઝિટ ભરીને આ મકાન કાઉન્સિલ પાસેથી મોર્ગેજ પર ખરીદી લીધેલું. કેટલાં સ્મરણો સાચવીને બેઠું છે આ મકાન! અને હવે લાખ પાઉન્ડ દેતાં ય ન મળે એવો સો ટચ સોનાનો આ મહેલ વેચી દેવાનો?

દિયાની આઈ.ટી નું અંતિમ વર્ષ પૂરું થયું હતું. જૉબ માટે દિયા  નૅટ પર અરજીઓ મોકલવા લાગી. નહીં નહીં તો ય ત્રીસેક ફર્મોને અરજીઓ કરી હશે. કેટલીક ફર્મો તરફથી નકારો આવ્યો હતો અને બે ચાર શોર્ટલિસ્ટમાં મુકાઈ હતી. એક જગ્યા પૂરવા હજારો અરજીઓ આવતી હોય ત્યારે જોબ પોતાને જ મળશે એવી કલ્પના કરવી પણ મુશ્કેલ.

ચારે તરફથી નિરાશા ભરડો લઈ રહી હતી, એ જ ગાળામાં લંડનની એક સોફ્ટવેર કંપનીએ દિયાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. નૅટ પર મૅસેજ આવતાં દિયાના ચહેરા પર થોડું તેજ આવ્યું. બીજા જ દિવસે એ ઈંટરવ્યૂ આપી આવી હતી. અને બીજા અઠવાડિયે કંપની તરફથી નોકરી મળી ગયાનો તેના પર ઇમેલ આવી ગયેલો! 

દીકરી માટે ભવિષ્યનો ઊજળો માર્ગ ખૂલતો જોઈ, દક્ષબહેને દિયાને બાથમાં લઈ લીધી હતી. 

બસ, એ પછી દિયા લંડન જવાની તૈયારીમાં લાગી પડી હતી.

દીકરી લંડન જાય એથી દક્ષાબહેન રાજી હતાં, પણ અંદરથી મન થોડું હચુડચુ પણ હતું. ઍલ્સબરીથી લંડનની મુસાફરી એટલે એકાદ કલાકની લાંબી મજલ! દીકરી ટ્રેનમાં રોજ પચીસત્રીસ માઈલ કૉમ્યુટ કરે, એ વિચારે દક્ષાબહેન થોડાં અસ્વસ્થ થઈ જતાં – આ ટ્રેનુનાં શા ભરોસા? ટ્રેન હાલતાં ને ચાલતાં કૅન્સલ થઈ જાય! અને વિંટરમાં તો સિગ્નલ ફેઈલ્યર કે ટ્રેન કૅન્સલેશન્સ પણ છાશવારે થતાં રહે! ગમે તેમ તો ય છોકરીની જાત! ન કરે નારાયણ ને કોઈ લફંગો ડબામાં ચડી જાય અને …. દક્ષાબહેન આગળ વધુ વિચારી શક્યાં નહીં …

આટલા દૂરના ધોડા કરવા કરતાં થોડી ધીરજ રાખી ઍલ્સબરીમાં જૉબ શોધી લીધી હોત તો? આડીતેડી કોઈ જફા જ ન રહેત ને! એમણે દિયાને ઘણી સમજાવી પણ એ હઠ લઈને બેઠી હતી : “આ ખોબા જેવડા ગામમાં હવે રહેવું નથી.” એ માને કહેતી; “મમ્મી, તું મારા પર બધું છોડી દે. લંડનમાં આગળ વધવાની અનેક તકો મારા માટે રાહ જોઈ રહી છે, તું જોજે ને, બે પાંચ વર્ષમાં તારી આ ઢીંગલી ક્યાંથી ક્યાં પહોંચી જાય છે!” દિયાની દલીલ દક્ષાબહેનની તમામ દલીલોને ઠારી નાખતી. એ પછી દક્ષાબહેને દીકરી સામે લડવાનાં તમામ હથિયાર હેઠાં મૂકી દીધાં. અને પુત્રીની ઈચ્છાને સમર્થન આપી દીધું.

એક તરફ મા-દીકરી એક્મત થઈ ઉજળા ભાવિની દિશામાં કદમ ભરી રહ્યાં હતાં તો બીજી તરફ ઘર ચલાવવા પૈસાની તાણ એમને મૂંઝવી રહી હતી. 

કૅન્સરની જીવલેણ માંદગીમાં કરુણાનાથનું અવસાન થયું પછી પ્રતિકૂળ સંજોગો ઘેરી વળ્યા. પણ દક્ષાબહેને થોડી નાણાંભીડ વેઠીને વહેવાર સાચવ્યો હતો, ઘર સાચવ્યું હતું અને પુત્રીને ‘ગ્રેજ્યુએટ’ કરી હતી.

***

દિયાનું લંડન જવું લગભગ નક્કી થઈ ગયું. દિયાએ નોકરી સ્વીકારી લીધી. ઍલ્સ્બરીનું મકાન સત્વરે સૅલ પર મૂકી લંડન શિફ્ટ થઈ જવું, એમ નક્કી થયું. દિયાના કામની ફર્મની આજુબાજુના લતામાં ક્યાંક બે જણની સગવડ સાચવી શકે એવો ફ્લેટ ભાડે રાખી નવા જીવનની શરૂઆત કરી દેવી, એવું ગણિત મંડાયું. દક્ષાબહેનની ભાણેજ સુલોચના લંડનમાં રહેતી હતી. લંડનમાં ભાડે ફ્લેટ મળી જાય ત્યાં સુધી એને ત્યાં રહેવું અને પછી પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ જવું. સુલોચનાનું ઘર નીઝડન ટ્યૂબ સ્ટેશનની સાવ નજીક હતું એટલે જૉબ પર પહોચવામાં પણ થોડી રાહત રહેશે, એવી ધારણા સાથે એ લોકો લંડન શિફ્ટ થઈ  ગયાં.

ફ્લેટ શોધી આપવામાં સુલોચનાની વગ અને અનુભવનો લાભ મળતાં ફ્લેટ માટે ઝાઝી રાહ જોવી પડી નહિ. નીઝ્ડનના ડોગ લેનમાં વિસ્તરેલા બ્લોક ઓફ ફ્લેટ્સમાં બ્રેંટ કાઉન્સિલે એક ટુ બેડરૂમ ફ્લેટ એ લોકોને ફાળવી દીધો. એ લોકોને જોઈતો હતો એવો જ સગવડિયો ફ્લેટ! શાંત વાતાવરણ, પ્રેમાળ પાડોશીઓ, બે વિશાળ રૂમ, આગળ કોઝી હૉલ, એક તરફ નાનકડું કિચન અને મેઈન રૉડ પર પડતી આલા ગ્રાંડ બાલ્કની! 

કામ પરથી આવી સાંજે દિયા બાલ્કનીમાં જઈ ઊભી રહી જતી. ફૂટપાથ પર આવનજાવન કરતા રાહદારીઓ અને વાહનોની યતાયતના માહોલને આંખોમાં કેદ કરી લેતી. અડધોયેક કલાક ત્યાં ઊભતી. અને દિવસ ભરનું ટેંશન ગાયબ થઈ જતું! 

*** 

બહુ ઝડપથી એ લોકો ડોગ લેન કૉમ્પલેક્ષમાં ઠરીઠામ થઈ ગયાં. દિયાને જોઈતો જોબ મળી ગયો હતો, ને દક્ષાબહેનને સારું નૅબરહૂડ! આથી વધારે બીજું શું જોઈએ? 

ફ્લેટની નીચે પડતા રસ્તા પર થોડાં ટેરેસ મકાનો હતાં, જેમાં બેચાર ગુજરાતી કુટુંબોને બાદ કરતાં થોડા ગોરા કુટુંબો અને બીજા વેસ્ટ ઇંડિયન, શીખ, પંજાબી અને બંગાળી કુટુંબો રહેતાં હતાં. દક્ષાબહેન ઈલિંગ રોડ તરફ શોપિંગ કરવા નીકળતાં ત્યારે આ મકાનો પાસે થઈને જવાનું થાય. ટેરેસ મકાનોમાં રહેતી બેચાર પાડોશણો સાથે કેમ છો, કેમ નહિ પૂછવા જેટલો પરિચય બંધાયો હતો. બધા પાડોશીઓ સાથે આછી પાતળી ઓળખાણ થઈ ગઈ હતી. પણ પરેડના છેવાડે આવેલા મકાનમાં રહેતી એક અંગ્રેજ બાઈ સાથે હજી પરિચયનો તાંતણો જોડાયો નહોતો. એ બાઈનું નામ માર્ગરેટ. એ નામની દક્ષાબહેનને એ બાઈના હસબંડનું  મૃત્યુ થયા પછી જ ખબર પડી હતી. 

માર્ગરેટ ફંકશનોમાં ભાગ્યે જ હાજરી આપતી. નાની મોટી પાર્ટીઓમાં પણ જોવામાં આવતી નહીં. બધા પાડોશીઓથી અતડી અતડી રહેતી! આવા એકલપંડા સ્વભાવને કારણે માર્ગરેટ ફ્લેટવાસીઓમાં અળખામણી બની હતી. એના વિશે જાતજાતની અફવાઓના ગુબ્બારા ઊડતા રહેતા. કોઈ કહેતું એનો હસબંડ ડેવિડ કોરોનાકાળમાં કોવિડનો શિકાર બનતાં મૃત્યુ પામ્યો હતો, એ પછી માર્ગરેટે સ્વૈચ્છિક એકાંતવાસ સ્વીકારી લીધો છે. કોઈ એમ પણ કહેતું ડેવિડના ગયા પછી એ માનસિક સંતૂલન ખોઈ બેઠી છે એટલે કોઈ સાથે ભળતી નથી. કોઈ કહે તેના પર પૈસાનું ભૂત સવાર છે એટલે એકલસૂરી રહે છે. તો કોઈ એના પક્ષે સારો અભિપ્રાય પણ આપતું – બહુ ધાર્મિક બાઈ છે. રવિવારે નિયમિત ચર્ચની સર્વિસમાં જાય છે. 

માર્ગરેટનો પતિ ડેવિડ જોન લુઈસ સુપરસ્ટોરની હેરો શાખાનો મૅનેજર હતો. અને આર્થિક રીતે સધ્ધર હતો. પત્ની માટે ઠીક ઠીક પૂંજી મૂકી ગયો હતો. પતિના વીમાની સારી એવી રકમ માર્ગરેટના એકાઉન્ટમાં જમા હતી. હંસલોમાં ઍરપોર્ટ પાસે બે ફ્લેટનું ધીકતું ભાડું આવતું હતું, અને વળી બેંકના ખાતામાં દર મહિને એના નામે વીડોપૅન્સનના પૈસા જમા થાય છે! આમ માર્ગરેટ પૈસાટકે સધ્ધર હતી, પણ પતિના મૃત્યુના આઘાતે તેને તોડી નાખી હતી. વળી કેટલીક નાની મોટી બિમારીઓએ પણ તેને ઘેરી લીધી હતી. અને માનસિક તનાવ દૂર કરવા તેને થોડા દિવસ સારવાર માટે ‘સેંટ લુકસ પીસ હૉમ’માં  રહેવા જવું પડ્યું હતું.

***

દક્ષાબહેન કોઈ કોઈ વાર માર્ગરેટના વિચારે ચડી જતાં. એ બાઈ બધાથી અતડી કેમ રહે છે એ સમજાતું નો’તું. એ માર્ગરેટ પાસે જઈને દોસ્તીનો હાથ લંબવવા માગતાં હતાં. આ કોયડાનો તાળો મેળવવા એમણે માર્ગરેટને ઘેર જવાનો નિશ્ચય કર્યો. 

શનિવાર અને રવિવારે તો આમે ય દક્ષાબહેનને નવરાશ જ હોય. દિયા પણ ઘેર હોય એટલે દક્ષાબહેન પાસે વીકેંડમાં ફુરસદ રહેતી. અને એક સવારે એ માર્ગરેટને મળવા ટેરેસ હાઉસ તરફ નીકળી પડ્યાં. 

બારણા પાસે આવી ડોરબેલના પુશબટન પર આંગળી મૂકી અને એકાદ મિનિટ પછી એક બાઈએ બારણું ખોલ્યું. “તમે કોણ? કોને મળવા આવ્યા છો?’ દક્ષાબહેનને સામે ઊભેલાં જોતાં તેણે પૂછ્યું.

“માર્ગરેટને” કહી દક્ષાબહેને પોતાની ઓળખાણ આપી. એ બાઈએ નમ્રતાપૂર્વક જણાવ્યું, “મમ્મીની તબિયત ઠીક નથી. પણ તમે અંદર આવો. હું એમને પૂછી આવું.” કહી એ માર્ગરેટને પૂછવા તેના બેડરૂમ તરફ ગઈ. જરા વાર પછી આવીને દક્ષાબહેનને જણાવ્યું, “મમ્મી અત્યારે આરામ કરે છે. અત્યારે તમને મળી શકે એવી હાલતમાં નથી. તમારે એને કાંઈ પૂછવા કરવાનું હોય તો મને જણાવો. તમારો મેસેજ આપી દઈશ.” 

“ઓહ! તો તું માર્ગરેટની કેરર છે, રાઈટ?’

“ના, હું એમની કેરર નથી. હું એમનું ધ્યાન રાખું છું. મારું નામ જયા.”

“હું તો અમસ્તી એમને મળવા આવી હતી. પણ આ માર્ગરેટને એકાએક શું થઈ ગયું?’ દક્ષાબહેને જયાને પૂછ્યું.

“મમ્મીને બ્રેસ્ટ કેંસર છે.’ 

“અરેરે! …. માર્ગરેટના આપ્તજનોને ભારે આઘાત લાગ્યો હશે, એમને જાણ કરી કે?’ 

“માર્ગરેટના અંગત પરિવારમાં કોઈ નથી. હા, એક ભત્રીજો છે, સેમ્યૂઅલ. એ પણ વંઠેલ અને બધી વાતે પૂરો છે. જુગાર રમે છે ને ક્યારેક અડધી રાતે આવી, એમને ધમકાવી પૈસા પડાવી જાય છે. પૈસા આપવા આનાકાની કરે તો હાથ ઉગામી લે છે.’’

“પણ માર્ગરેટ એ બદમાશને ઘરમાં કેમ પેસવા દે છે?’

“માર્ગરેટને પેટનું સંતાન તો છે નહિ, એટલે આ ગધેડા તરફ ભાવ દેખાડે છે. કંઈ બોલી શકતાં નથી અને પેલો મમ્મીની  ભલમનસાઇનો લાભ ઊઠાવ્યા કરે છે.’

‘હું પંદર વરસથી માર્ગરેટનું ધ્યાન રાખું છું ને અહીં જ રહું છું, એમનાં ડૉક્ટરનાં એપોઇન્ટમેંટસ હોય, શોપિંગ કરવાનું હોય, બેંકના ધક્કા ખાવાના હોય, ટપાલ નાખવા જવાનું હોય, ઘરની સાફસૂફી હોય કે પછી એમને ભાવતી વાનગી બનાવવાની હોય – હું એમનાં નાનાં મોટાં તમામ કામ કરું છું’. 

“માફ કરજો, મારે આ પર્સનલ વાત તમને પૂછવી ના જોઈએ, છતાં પૂછી રહી છું. મારા સાંભળવામાં આવ્યું છે કે માર્ગરેટના હસબંડ ડેવિડ પાછળ પૈસો તો ઘણો મૂકી ગયા છે. ન કરે નારાયણ ને કાલ સવારે એમને કંઈ થઈ ગયું તો બધા પૈસા સરકારને જાશે! તમને ખબર છે ને? આ સંપત્તિ ખોટા હાથોમાં જાય નહીં, એ માટે માર્ગરેટે કંઈ પ્રાવધાન કર્યું છે  ને?”

‘હા, એમણે વિલ બનાવ્યું છે. વિલમાં મને થોડુંઘણું મળશે એવું એકવાર એમણે મને ખાનગીમાં જણાવ્યું હતું. પણ મારે એમની એક પેની પણ જોઈતી નથી. અને આપશે તો પણ એ પૈસા હું ધર્માદામાં દઈ દેવાની છું. હું તો એમનું ધ્યાન રાખી મારો ધરમ બજાવી રહી છું.” આટલુ કહી જયા અટકી. 

અને દક્ષાબહેનને પણ વધારે કંઈ પૂછવા જેવું લાગ્યું નહીં, એટલે એ પણ જયાને સધિયારો આપી નીકળી ગયાં.

***

એ વાત હવે જૂની થઈ ગઈ હતી. અને એક દિવસ વહેલી સવારે દક્ષાબહેનને માર્ગરેટના ઘર પાસે કોલાહલ સંભળાયો. નીચે ઊતરી પૂછતાછ કરતાં ખબર પડી; માર્ગરેટે વહેલી સવારે અંતિમ વિદાઈ લઈ લીધી હતી. 

બે દિવસ પછી કેન્સલ ગ્રીનમાં તેની બરિયલ વિધિ પણ થઈ ગઈ. તેની ફ્યૂનરલ સર્વિસમાં પાડોશીઓની હાજરી પાંખી હતી. ફ્યૂનરલ સર્વિસની જવાબદારીઓ માર્ગરેટના ભત્રીજા સેમ્યૂઅલે સંપન્ન કરી. કાકીની મિલકતનો વારસો મળશે એવી અપેક્ષાએ તેણે  ક્રિયાકરમ પણ પતાવ્યાં. એ ઉતરદાયિત્વ પત્યાના બીજા દિવસે તેણે જયાને નોકરીમાંથી છૂટી કરી દીધી અને માર્ગરેટના ઘરનો કબજો લઈ લીધો. અઠવાડિયા પછી સેમ્યૂઅલ, જયા અને એક્ઝિકયૂટર મિ. થોમસ પર માર્ગરેટના વકીલ તરફ્થી એક ઇમેલ આવ્યો. વકીલે વીલના દાવેદાર ઉમેદવારોને જાણ કરી હતી કે “આવતા સોમવારે ઠીક સવારે દસ વાગે એક્ઝિકયૂટર મિ. થોમસની હાજરીમાં હું માર્ગરેટનું વીલ વાંચીશ એ પછીની બાકીની બીજી બધી વિધિઓ મિ. થોમસ પૂરી કરશે. બધા સમયસર આવી જશો.” 

સેમ્યૂઅલ તો બસ આ મોમેંટની જ રાહ જોઈ રહ્યો હતો!

દસ વાગવાને હજી અડધા કલાકની વાર હતી, પણ સેમ્યૂઅલ અડધો કલાક વહેલો આવી આવી ગયો. સમય થતાં તેની બાજુમાં એક્ઝિકયૂટર મિ. થોમસ આવીને બેઠા. તેની બાજુની ચેરમાં જયા બેસી ગઈ. જયાને જોતાં સેમ્યૂઅલે મોં બગાડ્યું. તેને થયું ડોશીએ આને પણ થોડુંઘણું આપ્યું લાગે છે, એટલે જ એ અહીં આવી છે. 

ઠીક સાડાદસ વાગે વકીલે ત્રણેયને અંદર બોલાવી લીધા. ત્રણેય વકીલના ટેબલની સામેની ખુરશીઓમાં બેઠા, પછી વકીલે ડ્રોઅરમાંથી એક લાંબો લિફાફો કાઢ્યો અને વીલની કોપી બહાર સરકાવી. એક્ઝિક્યૂટર મિ.થોમસ અને દાવેદારોની હાજરીમાં વીલ વાંચવાની શરૂઆત કરી. 

“હું માર્ગરેટ મેક્નમારા આ વીલ લખતી વખતે બિલકુલ તંદુરસ્ત મનોસ્થિતિમાં છું અને મારી મિલકતની સોંપણીની જાહેરાત કરું છું ….

સેમ્યુઅલના મોઁમાં લાડુ ફૂટવા લાગ્યા. બધું મારા જ નામે કરીને કાકી ગયાં છે … હોઠ ફફડાવી એ જયાના ચહેરા સામું કતરાઈને જોવા લાગતો. 

દાવેદારો સામે જોઈ વકીલ વીલનું લખાણ આગળ વાંચવા લાગ્યા :

“- આ સાથે મારી અગાઉ લખાયેલી વસિયતને રદ કરું છું.”

“વાઉ! નવી વસિયત! … એટલે … કાકીએ હવે બધું મારા નામે ..!.” સેમ્યુઅલે તાળી પાડી અને જયા સામે જોયું.

“આ વીલમાં હું મારી તમામ સંપત્તિ …”

સેમ્યૂઅલે કાન સરવા કર્યા … છેલ્લા શબ્દો સાંભળવા તેની ઉત્કંઠા તીવ્ર બની રહી હતી. તેના કાનમાં જાણે કોઈ ઢોલ પીટતું હતું – “મારા નેફ્યૂ સેમ્યૂઅલ મેકનમારાને આપું છું.” વાક્ય પૂરું થાય એ પહેલાં તેના મોઢામાંથી શબ્દો ખર્યા.

“કામ ડાઉન મિ. સેમ્યૂઅલ!… ઇટ્સ નોટ ઓવર યટ” વકીલે સેમ્યુઅલને ટપાર્યો. 

“- હું મારી તમામ સંપત્તિ … ‘સેંટ લુક્સ, હોસપીસ’ને સોંપવા એક્ઝિક્યૂટરને ભલામણ કરું છું. આ ચેરિટી સેવાભાવી સંસ્થા છે માટે. કોઈ પણ પ્રકારની સરકારી સહાયના આધાર વિના કેવળ પબ્લિક ડૉનેશનથી આ સંસ્થા ચાલે છે. તેનો સ્ટાફ વૉલંટરી સેવા આપે છે. આ મૂડી ચેરિટીના મિશનને આગળ વધારવામાં ઉપયોગી બનશે એની મને પૂરી ખાતરી છે માટે જ મારી તમામ મિલકત એ સંસ્થાને ડોનેટ કરું છું.” ..

સેમ્યૂઅલના કાનમાં કોઈએ જાણે અચાનક બોંબ ફોડ્યો. ફાટફાટ થતા ગુસ્સાથી ચહેરો તપાવેલા તાંબા જેવો રાતોચોળ થઈ ગયો. ગુસ્સામાં એ ખુરશી પરથી ઊભો થઈ ગયો. વીલના છેલ્લા અવતરણો એમ્યૂઅલની ચામડીને ઉતરડી રહ્યા હતા! તેની આંખમાંથી જાણે આગના અંગારા વરસવા લાગ્યા. બીજું કંઈ ન સૂઝતાં તે વકીલના ટેબલ પર હાથ પછાડતાં બરાડ્યો : “વૉટ નૉનસેંસ? સ્ટુપિડ વુમન ડોનેટેડ એવેરી પેની ઓફ હર અરનિંગ્ઝ ટુ ધ ચેરિટી?!” એ બરાડા પાડતો રહ્યો અને વકીલના ગાર્ડોએ  પિઁખડી પકડીને તેને ચેમ્બરની બહાર ધકેલી મૂક્યો.

પણ જયા સ્વસ્થ હતી. થોડા પૈસા મળ્યા તો’ય શું? ને ના મળ્યા તો ય તેનો અફ્સોસ શાનો કરવાનો? અત્યાર સુધી આંધળો વાઢતો હતો ને વાછડો ચાવતો હતો. એ લફંગાને સારી લપડાક મારી માર્ગરેટે! તેને વીલમાંથી રદ્દબાતલ રાખી ભારે ડહાપણનું કામ કરી ગયાં મેડમ! જયાના ચહેરા પર અફસોસને બદલે ખુશીની આભા ઝલકી રહી હતી. 

[શબ્દસંખ્યા : 2094]
e.mail : vallabh324@aol.com

Loading

ભૂખ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|31 July 2025

કાળો કાંબળો ઓઢીને અજવાળામાં પડછાયાની જેમ ચાલતી એ વ્યક્તિને રોકવા પોલિસે બૂમ પાડી. “અરે એ,  ઊભો રહે, તને સંભળાય છે કે  ? રાતના અગિયાર વાગે આમ ક્યાં ચાલ્યો જાય છે ?”

પોલિસ વર્દી પહેરેલો પોલિસ હાથમાં દંડો હલાવતો ચાલનારની પાછળ ઝડપથી દોડ્યો  અને  ચાલનારાનો ઓઢેલો કાંબળો એણે ખેંચી કાઢ્યો. ફાટેલાં કપડાં પહેરેલાં અને ખભે સૂતેલા ચાર વર્ષના બાળકને લઈને ચાલનારાને એ દબડાવતો હતો. લોકડાઉનનો ભંગ કરનાર અને પોતાની સાથીદાર જોડે વાતોમાં ખલેલ પહોંચાડનારને મારવા એણે દંડાવાળો હાથ ઉગામ્યો, પણ એના ખભે સૂતેલું ચારેક વર્ષનું બાળક જોઈ એનો ઉગામેલો હાથ હવામાં જ અદ્ધર રહી ગયો ! એને આમ મોટા અવાજે કોઈકને ધમકાવતો સાંભળીને  પોલીસનો યુનિફોર્મ પહેરેલો એનો સાથીદાર ચોકીમાંથી બહાર આવ્યો ! આમ મોડી રાતે લોકડાઉનનો ભંગ કરનાર કોણ હશે ? એ નજીક જઈને ઊભો રહ્યો, એને જોઈને તે  બોલ્યો, “અરે નારાયણ તું ? આમ લોકડાઉનમાં આ છોકરાને લઈને ક્યાં નીકળ્યો ?” 

“શું કહું? સારું થયું તમે મને ઓળખ્યો, સુભાષભાઈ, તમારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતો હતો, યાદ છે ને ? પણ આ કોવિડમાં મારો ધંધો ઠપ થઈ ગયો  છે. આ છોકરો બે દિવસથી ભૂખ્યો છે ને દૂધની જીદ કરીને રડ્યા કરે છે. ઘરમાં બે દિવસથી રંધાયું નથી અને સાહેબ આ છોકરાને દૂધ ……”

“ઊભો રે, નારાયણ ઊભો રે ! હું પેલી બાજુની ડેરીવાળાને ત્યાંથી મારા ઘર માટે દૂધની બે કોથળી લાવ્યો છું. લે તું એક લઈ જા. ને જો આમ લોકડાઉનમાં નાના છોકરાને સાથે લઈને બહાર નીકળાય નહીં !”

“પણ, સાહેબ ……”

“જો હવે  આપણે કોવિડની બહુ ચિંતા કરવા જેવી નથી. આ કદાચ છેલ્લું જ લોકડાઉન  હશે પછી બધું બરાબર થઈ જશે.” 

“એ કઈ રીતે, સાહેબ ?” 

“હવે કોવિડની રસી નીકળી છે, બધાએ એ રસી લેવી પડશે, પછી  કોવિડ  નહીં, ને આ લોકડાઉન પણ નહીં !”

“પણ સાહેબ, આ ભૂખનું શું ? બે દિવસથી મેં કે મારી ઘરવાળીએ ખાધું નથી. સાહેબ, એક વાત પૂછું ?”

“હા, હા બોલ બીજું કશું જોઈએ ?”

“ના સાહેબ, પણ આ ભૂખ જ ન લાગે એવી કોઈ રસી છે ?” એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુભાષે અંદર જઈને ગ્લુકોઝના બિસ્કિટના બે પેકેટ એને પકડાવી દીધા. શાકભાજીના લારીવાળાએ આભારવશ એની સામે જોઈને કહ્યું, “સાહેબ, ભૂખ ન લાગે એવી રસી નીકળે તો મને કહેવાનું ભૂલતા નહીં !” ને પછી એ ધીરે પગલે અંધારામાં ગાયબ થઈ ગયો.

સડબરી , બોસ્ટન 
e.mail : inamdarvasudha@gmail.com

Loading

...102030...192193194195...200210220...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved