Opinion Magazine
Number of visits: 9456357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિમલાતાઈ : સામાજિક અભિજ્ઞતા ને સક્રિયતા વગરનું અધ્યાત્મ લંપટતા કહેવાય!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 April 2025

પ્રકાશ ન. શાહ

વિશ્વગ્રામના એ રૂડા વાવડ જાણ્યા તમે? વિદુષી વિમલાતાઈ ઠકારને, રામનવમીએ (છઠ્ઠી એપ્રિલે) એકસો પાંચમું વરસ બેઠું તે ગુજરાત એમના એક અનોખા પ્રકાશન થકી ઊજવી રહ્યું છે. તાઈ 2009ની અગિયારમી માર્ચે (ધુળેટીએ) ગયાં એને જોતજોતાંમાં સોળ વરસ વીતી ગયાં – એમાં પણ એમની શતાબ્દી લગભગ વણમનાવી પસાર થઈ ગઈ! જો કે મોટા માણસોની જીવંત હાજરી વાસ્તે દુનિયાદારી ગાજોવાજો જરૂરી નથી : વીજચમકાર ન વરતાતો હોય ત્યારે પણ એ નંદાદીપ, કહો કે એ અખંડ દીવો અહોરાત્ર પ્રજ્વલિત જ હોય છે.

છ દાયકા પાછળ જઈ જોઉં છું તો ભૂદાન આંદોલન ગજબ ઊંચકાયેલું હતું. ગાંધી કોઈ ઇતિહાસવસ્તુ નથી પણ જાગતુંજોત જણ છે એની ડંકે કી ચોટ ગવાહી દેતું વિનોબાયન અજબ જેવી ભાવનાઓ જગવી રહ્યું હતું. 1857 પછી હવે 1957 – એ તો સત આવન કી સાલ, કદાચ એ મતલબનું કંઈક સૂર્યકાન્ત ને ગીતા પરીખની જોડલીને ગાતી ને ગણગણતી સાંભળ્યાનું આ લખતાં સાંભરે છે; અને ગુજરાત કોલેજના છાત્રોને સંબોધતા જયપ્રકાશ સમક્ષ હેમકંકણ ઉતારતી કોલેજકન્યકા પણ જાણે છે કે નજર સામે તરવરે છે. બેસતે સ્વરાજે કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકતાં જયપ્રકાશ થકી સ્વરાજને પરિભાષિત કરતો જે અવાજ પ્રગટ થયો હતો તે જ અવાજ હવે સ્વરાજનિર્માણનાં નવસોપાન નિર્ધારી રહ્યો હતો. 

એક તબક્કે, જમીન ટોચમર્યાદાનો કાયદો જ્યાં હાંફી ગયો હતો, ભૂદાન મળવાનું કેમ જાણે એને આંબવાની હૈયાધારણ આપતું હતું : ન કાનૂન, ન કતલ – કેવળ કરુણાની આ જે લોકકવાયત ત્યારે ઉપડી હતી એનો એક તરુણ ને તેજતર્રાર અવાજ વિમલા ઠકારનો હતો.

પાછળ જોઉં છું તો એક તબક્કે લગભગ થંભી ગયાનું અનુભવું છું. નહીં કે આંદોલન ત્યારે એવું ધીમું પડી ગયું હતું, પણ વિમલાજી કેમ સંભળાતાં તો શું દેખાતાં પણ નહોતાં? એ કદાચ કંઈક કશ્મકશવશ અંતરમાં ઊંડા ઊતરી ગયાં હતાં અને દેખીતાં અંતર્ધ્યાન પણ થઈ ગયાં હતાં. એમને સારુ એક ગજબનાક વિચારમંથનનો એ ગાળો હતો. ફિલસૂફીના છાત્ર અને કંઈક અધ્યાત્મ પરંપરાનો વારસો : એમને પજવતી લાગણી એ હતી કે લોક દાન આપે છે અને લોક લે પણ છે, પણ માહોલ બધો દાતાપાતાની ચાલુ રસમ જેવો જ કેમ લાગે છે. જે આપે છે એની ચિત્તવૃત્તિમાં ખરેખર કશું પરિવર્તન થાય છે કે પછી એક અચ્છા ઓડકારે આવીને એ અટકી જાય છે. જો સામાજિક રીતે માલિકી હક્કના વિસર્જનનો સંસ્કાર પડતો હોય અને સવિશેષ તો, આપનાર અપાવનાર પક્ષે અહંનું વિગલન ન થતું હોય તો આ આંદોલન નકરું સપાટી પરનું જ ને. કશીક ‘ખોજ’ સારુ નીકળી પડેલી કન્યકાને માટે પલાખા નવેસર માંડવાની આ અંતરઘડી હતી.

વિમલાજીને માટે અંતરવલોણાના એ કાળમાં વાતનો વિસામો ને હૂંફઠેકાણું જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન ને પ્રત્યક્ષ પરિચય હતાં. દૈવી શક્તિના કોઈ દાવા કે કશા જાદુઈ તામઝામ ઠાઠમાઠ વિના કૃષ્ણજીના ચેતનસ્પર્શે વિમલાજીની શ્રવણશક્તિ પણ પુન: સ્થાપિત થઈ. કૃષ્ણમૂર્તિ પોતે વીસમી સદીની એક અનુત્તમ શખ્સિયત હતા. એની બેસન્ટના આયોજનમાં ગાજોવાજો, તામઝામ સઘળું એમને નવયુગના તારણહાર કહો કે પયગંબર રૂપે સ્થાપવા જારી હતું.

એક વિશાળ સંગઠનના ચાંદતારા રૂપે એમણે પ્રકાશવાનું હતું. એક ક્ષણે કૃષ્ણમૂર્તિએ એ બધું ખંખેરી નાખ્યું. અવતાર પયગંબર નવયુગ પ્રદીપ કશુંયે થવાનો કે હોવાનો સરેઆમ ઈન્કાર કીધો. અહીં એમની ચિંતનરૂખમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહેવું બસ થશે કે એ ન તો બંધાયા, ન તો ગંઠાયા. વિમલા ઠકારની આંતરસંવિત્તિનો જે પરિચય એમને થતો હતો તે પરથી જો કે એ એમને ચોક્કસ કહેતા કે You explode … થોડો વખત તો કેમ જાણે કૃષ્ણમૂર્તિની પાટે કોઈ આવવાનું હોય, એવીયે હવા બની. જો કે ન તો એ વિમલાને અભીષ્ટ હતું, ન તો એ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનને (કદાચ, કૃષ્ણજીને પણ) ઈષ્ટ હતું.

દર્શનશાસ્ત્રોના અભ્યાસી વિમલા ધુંઆધાર ભૂદાન ઝુંબેશ છાંડી કેવળ અંતરતમ સાથે સંવાદ અને અધ્યાત્મચિંતનમાં એક ગાળો લાંગર્યાઁ ખરાં, પણ એમાં ય એમને સોરવાતું નહોતું. એક અંતરાલના મંથન કાળ પછી એમની જે સમજ બની તે એ કે ધ્યાનમાં સરી જઈ ભૌતિક અલગાવમાં રહેવું અથવા સામાજિક અભિવ્યક્તિથી અળગા રહેવું એ નપુંસકતા અને મૂલ્યહીનતા છે – અલબત્ત, બીજી બાજુ, ધ્યાનના આધાર વિનાનું સમાજકર્મ એક અહંકેન્દ્રી પ્રવૃત્તિ બની રહે છે. 

‘સ્પિરિચ્યુઆલિટી એન્ડ સોશિયલ વર્ક’માંથી પસાર થતાં એમનું એકંદર દર્શન સુપેરે સમજાઈ રહે છે કે આપણા સમયમાં સામાજિક અભિજ્ઞતા ને સક્રિયતા વગરનું અધ્યાત્મ એક અય્યાશી છે. આનંદની વાત છે કે વિશ્વગ્રામની સદ્દભાવ પહેલથી નિરંજન શાહે કરેલો એનો અનુવાદ યજ્ઞ પ્રકાશન મારફતે સુલભ થયો છે.

વિમલાતાઈની આ પરિણત ભૂમિકાને આપણે જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના એક વિરલ સંતુલન રૂપે પણ જોઈ શકીએ. જયપ્રકાશ કટોકટીની જાહેરાત સાથે પકડાયા ત્યારનું એમનું છેલ્લું વ્યાખ્યાન, દેશની એકાધિક ભાષાઓમાં ઊતરી સર્વજનસુલભ બને એનું આયોજન એમણે કર્યું હતું. તે વખતની તત્પરતા ને પ્રતિબદ્ધતાની વાત, એમના એ કાળના અંતેવાસીવત્ કિશનસિંહ ચાવડા પાસે સાંભળવાનું બન્યું છે. મતદાતા જાગૃતિ અભિયાન, ગુજરાત બિરાદરીની સ્થાપના આસામના યુવા આંદોલનથી માંડી પોલેન્ડની સોલિડારિટી મૂવમેન્ટ અને જર્મનીની ગ્રીન મૂવમેન્ટ સાથે સાર્થક સંવાદ સંપર્ક એમ એમનો સમગ્ર ઉત્તરકાળ અધ્યાત્મરત પણ એની અય્યાશીથી મુક્ત એવું મહાકાવ્યોપમ પરિમાણ ધરાવે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 ઍપ્રિલ 2025

Loading

મનુષ્ય ગરિમાનાં શાંત સ્વતંત્રતા આંદોલક નીલમબહેન પરીખની વિદાય

બકુલ ટેલર|Gandhiana|8 April 2025

નીલમબહેન પરીખ

આપણી વચ્ચેથી નીલમબહેન પરીખે પહેલી એપ્રિલે વિદાય લીધી. તેમની ઓળખ આપવી પડે તેમાં એક સામાજિક તરીકે આપણું ગૌરવ નથી, પણ એવા ગૌરવખંડનના તો અનેક ઉપક્રમો આપણે જીવનવ્યવહારમાં અપનાવી લીધા છે, એટલે કહેવાનું કે જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખતા આવ્યા છીએ તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી અને ગુલાબબહેન ગાંધીનાં પાંચ સંતાનોમાં મોટાં એવાં રામીબહેનનાં દીકરી તે નીલમબહેન ગાંધી. યોગેન્દ્રભાઈ પરીખને પરણેલાં એટલે નીલમબહેન પરીખ. આ નીલમબહેન પરીખ ઝીણાભાઈ દરજીના આગ્રહથી વ્યારા વિસ્તારમાં આવ્યાં. તે પહેલાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં જોડાયેલાં રહેલાં અને ઓરિસ્સાના એક ગામમાં રહેતાં હતાં. 1962થી તેઓ વ્યારા વિસ્તારનાં થયાં. ગામિત લોકોનાં ભણતર અને કૌશલ્ય વિકાસનું કામ કર્યું. ‘દક્ષિણાપથ’ નામની સંસ્થા શરૂ કરી આ કામને એ વિસ્તારમાં વ્યાપક બનાવતાં ગયાં. આર્થિક સ્વાવલંબન કેળવવું તે પણ સ્વતંત્રતાપ્રાપ્તિનું એક કાર્ય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્યનો એક સાદો ઉપક્રમ નીલમબહેને અપનાવ્યો. આ ઉપક્રમ કોઇ જાહેર ઉપક્રમ બને અને પ્રચાર વડે મોટો થાય તેવું તેમણે ક્યારે ય કશું ન કર્યું. બાકી આવ્યાં તો હતાં મુંબઇથી જ્યાં બધી સગવડ હોય, વ્યવસ્થા હોય, વ્યારાનાં ગામોમાં તો વીજળીનાં ય પૂરતાં અજવાળાં નહીં પણ આદિવાસી વચ્ચે કામ શરૂ કર્યું અને તેમનામાં રહેલા કૌશલ્યને કેળવવાનું કામ કર્યું. ગાંધીજી વર્ષો પહેલાં આ જ કરતા હતા. પોતાની પાસે કોઇ આવે અને કહે કે અમને કોઇ કાર્ય ચીંધો તો ગાંધીજી તેમને કોઇ ગામડામાં કામ કરવા મોકલતા.

નીલમબહેન 1962થી દક્ષિણ ગુજરાતમાં રહ્યાં અને વિત્યાં 30 વર્ષથી તો નવસારી તેમનું નિવાસસ્થાન હતું પણ બહુ ઓછાને ખબર પડી કે તેઓ ગાંધીજીના વંશજ છે. તેમણે રચનાત્મક કાર્યને જ જીવન બનાવેલું. ગાંધીજીના જે આદર્શો તેઓ સમજ્યા તેને જીવ્યા. અન્યો તો ઠીક પોતાનાં સંતાન યા પુત્રવધૂ યા પૌત્ર-પૌત્રી પણ ગાંધીજીના આદર્શ પાળે એવો આગ્રહ ન રાખ્યો. આ વલણ બહુ અનોખું કહેવાય અને ગાંધીજીને જેઓ સમજે છે તેમને મન સહજ પર કહેવાય. ગાંધીજીના આદર્શ કાર્યબોધ રૂપે પ્રગટ થવા જોઇએ.

નવસારીમાં તેમને જે વર્ષો મળ્યાં તેમાં તેઓ લેખન તરફ વધુ સક્રિય રહ્યાં અને તે પણ ગાંધી વિનોબા કેન્દ્રી લેખન જ છે. દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પ્રગટ થઇ અને પિતા ગાંધીજી અને પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના સંબંધ વિશે જાહેર ચર્ચાઓ જાગી. આ નવલકથાના આધારે મરાઠીમાં ગાંધી વિરુદ્ધ ગાંધી નાટક ભજવાયું અને ચર્ચા વધારે વ્યાપક બની. એ ચર્ચા ગાંધીની મર્યાદાને મુદ્દા બનાવનારી હતી. સ્વતંત્રતાપ્રાપ્તિ પછીના સમયમાં ધીરે ધીરે ગાંધીજીની મર્યાદાઓ કેવી કેવી હતી તેને જાહેર જીવનમાં ચર્ચવાનું શરૂ થયું હતું. આ એક અપમાનજનક વલણ હતું પણ જાહેર જીવનની વ્યક્તિ તેનાથી બાદ પણ ન રહી શકે. ભલે ન રહે. નીલમબહેન પરીખ સામાન્યપણે ગાંધીજી વિશે જાહેર પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ નહીં. તેમણે તે વખતે ‘ગાંધીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી’ પુસ્તક લખ્યું. અત્યંત સ્વસ્થ રહી ગાંધી-હરિલાલના જીવનક્રમની ઘટનાઓમાં રહી નાની નાની વિગતો અને વ્યવહારના સંદર્ભ સાથે કુટુંબ સંસ્કાર અને ભારતીય મન સાથે નીલમબહેન જે આલેખન કર્યું છે તે ઉદાહરણરૂપ છે. હરિલાલ તો તેમના દાદા અને ગાંધીજી પરદાદા. જાહેરજીવનની વિશ્વવિભૂતિ અને તેમની સામે વગોવાયેલા, જાહેરમાં ચર્ચા કરવી ન ગમે તેવી કુટેવોમાં જીવેલા દાદા. આ બે ઓળખને પિતા-પુત્ર સંબંધે ઊંડી નિસ્બતથી આલેખવામાં કસોટી થઇ જાય પણ તમે જોશો તો થશે કે એ પુસ્તકમાં હરિલાલ ગાંધી એક વિશેષ માનવીય સંજોગોને પૂરી તીવ્રતાથી ક્રિયા-પ્રતિક્રિયામાં રહી જીવવા મથે છે.

ગાંધીજીને પીડા છે પણ તેઓ માત્ર કુટુંબસંબંધને વંશગત સંબંધને માનતા નથી. તેનાથી વિરાટ ભૂમિકાએ તેઓ દેશ માટે જીવે છે. નીલમબહેન પરીખે ક્યાં ય કોઈ બચાવના તર્ક વિના એ પુસ્તક લખ્યું છે અને તેમનું આ મોટું પ્રદાન છે. આ પુસ્તકના જ આધારે ફિરોઝ ખાન નામના આપણા દિગ્દર્શકે ‘ગાંધી માય ફાધર’ ફિલ્મ બનાવી હતી.

નીલમબહેનની કમાલની સ્વસ્થતા એ કે ‘ગાંધીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી’ પુસ્તક પછી પણ ક્યારે ય ગાંધીજી વિશે જાહેર કાર્યક્રમોમાં દેખાયા નથી. ‘મારું કહેવાનું હતું તે કહી દીધું.’ બસ આ વલણ. ત્યાર પછી તેમણે ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ અને ‘ગાંધીજીના સહસાધકો’ પુસ્તકો લખ્યાં. તેમણે ‘સુરૂચિ સર્જક મોહનભાઈ પરીખ’ પુસ્તક પણ લખ્યું. ‘સત્યશોધકનો કળાપ્રેમ’ પણ આ પુસ્તકોના ક્રમમાં છે. આ ઉપરાંત હમણાં ‘રાષ્ટૃીય ચેતનાના ભેખધારીઓ’, ‘વંશજ મહામાનવના’ અને ‘કર્મયોગના દીક્ષાર્થી વિનોબા’ પુસ્તિકાઓ પણ લખી હતી.

દક્ષિણ ગુજરાતનાં નારાયણ દેસાઈ અને નીલમબહેન પરીખ એવાં કહેવાય જેમણે નિરંતર ગાંધીચેતના જગાવી રાખી. આમાં નીલમબહેન તો જાણે પોતાને છુપાવી રાખી જીવ્યાં. તેમના દીકરા સમીર પરીખ અને પુત્રવધૂ ડૉ. ગોપી પરીખ નવસારીમાં ડૉક્ટર તરીકે પ્રવૃત્ત છે પણ તેઓ ક્યારે ય પોતે ગાંધીકુટુંબની ઓળખ આપી ગૌરવ ઉઘરાવતાં નથી. નીલમબહેન જ્યારે વ્યારા ક્ષેત્રમાં કાર્યથી નિવૃત્ત થયાં ત્યારે પોતાનું મકાન નહોતું અને નવસારી આવ્યાં હતાં. રિઝર્વ બેન્કે તો ગાંધીછાપ ચલણ આપ્યું જ છે ને વ્યવહારમાં તે પ્રચલિત પણ છે. ગાંધીનું કેવું ચલણ તેમના કુટુંબને માન્ય છે તે તમને નીલમબહેનના કુટુંબ જીવનમાં પમાશે.

મનુષ્યત્વને થકવી નાંખનારા આજના અનેક વિરોધાભાસના ભરેલા જીવનમાં ગાંધીજી એક શાંત જ્યોત છે અને તેનું બે હથેળીઓ વડે રખોપા કરવાનું કાર્ય નીલમબહેને એટલી જ શાંતિથી કર્યું છે. રચનાત્મક કાર્યો કરતા રહો એ સિવાય કોઈ ગાંધી આદર્શ નથી.

નીલમબહેનને વિદાયવંદના !  

સૌજન્ય : ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2025

Loading

એક અદ્ભુત સાહિત્ય કૃતિ

હર્ષદ રાઠોડ|Opinion - Opinion|8 April 2025

સેમ્યુઅલ બેકેટ દ્વારા મૂળ ફ્રેંચ ભાષામાં લખેલ નાટક “Waiting for Godot” વાચ્યું. આ નાટકનું પાછળથી અંગ્રેજીમાં રૂપાંતરણ સેમ્યુઅલ બેકેટે જ કર્યું હતું.

અંગ્રેજી સાહિત્યનો થોડો-ઘણો પણ પરિચય રાખનાર સેમ્યુઅલ બેકેટ વિશે જાણતા હશે. મારે મૂળ વાત તો આ નાટકની કરવી છે. માત્ર સાદું, સરળ સ્ટેજ અને થોડાક જ પાત્ર અને કોઈપણ આડંબર વગરનું આ નાટક પહેલીવાર જુવો કે વાંચો ત્યારે કંટાળાજનક કદાચ લાગે…!! આ નાટક એવા લોકો માટે નથી જે એક વખત વાંચીને કે સાંભળીને ભૂલી જતા હોય. આ નાટક એક અદ્ભુત સાહિત્ય કૃતિ છે. તેને પચાવવામાં વાર લાગે … વારંવાર વાગોળવી પડે .. સમજવી પડે ..

ચાલો જોઈએ નાટકની રૂપરેખા. જ્યારે પડદો ઉંચકાય છે ત્યારનું દૃશ્ય સાવ સામાન્ય છે. ધૂળનો ઢગલો છે. એક ઝાડ છે, જે સંપૂર્ણ સુકાઈ ગયેલું છે, અને બે પાત્ર ઊભા છે. Vladimir અને Estragon. સેમ્યુઅલ બેકેટનું માનવું હતું કે પ્રથમ દૃશ્યમાં જ આખા નાટકની થીમ રજૂ કરી દેવી જોઈએ. એટલે પહેલા જ સાંભળવા/વાંચવા મળે છે. “કંઈક કરી શકાય તેમ નથી”. Nothing to be done.

આ બંને પાત્રો ઘરબાર વગરના, રખડતા લોકો છે. જેને અંગ્રેજીમાં Tramp કહેવાય. આ બંને વ્યક્તિઓ ગોડોટની રાહ જોઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમને ગોડોટ કોણ છે, ખબર નથી. શા માટે રાહ જોઈ રહ્યા છે, તેની પણ ખબર નથી. ગોડોટ ક્યારે અને ક્યાં આવશે, તે પણ ખબર નથી. ગોડોટ આવશે, તો તેમની પાસે શું માંગવાના છે, તે પણ ખબર નથી. બસ, આખા નાટકમાં માત્ર રાહ જુએ છે.

નાટકમાં બીજા બે પાત્રો પણ વચ્ચે આવે છે. લકી અને પોઝો .. લકી પોઝોનો ગુલામ છે. અને પોઝો લકીથી છુટકારો મેળવવા માગતો હોય છે. બધા વચ્ચે થોડીક ડાયલોગબાજી થાય છે. પણ નાટક આગળ વધતું નથી. જો કે એક અર્થમાં આગળ વધતું ન હોવા છતાં ભરપૂર એક્શન થાય છે … જોક્સ થાય છે.

મૂળ વાત ઉપર આવીએ તો, નાટક ચાલુ થાય ત્યારથી અંત સુધી, જેની રાહ જોવામાં આવી રહી છે, તે ગોડોટ આવતો જ નથી. એક પણ દૃશ્યમાન નથી આવતો.

આખરે સેમ્યુઅલ બેકેટ આ રીતના વિચિત્ર નાટક દ્વારા શું સંદેશો આપવા માગતા હશે? પેલી વાર તો આ પાગલતાના હુમલામાં લખાયેલું નાટક લાગે. પણ જ્યારે તેને સમજવામાં આવે તો ખ્યાલ આવે છે કે માનવ જીવનનું કેટલીક નજીકથી વર્ણન કર્યું છે. ગોડોટ કોણ છે, તે ખબર નથી. શા માટે રાહ જોઈ રહ્યા છે, તે ખબર નથી. ક્યારે અને ક્યાં સ્થળે મળવા આવવાનો છે, એ ખબર નથી. આમ છતાં તેની રાહ જોવામાં આવી રહી છે. મનુષ્ય જીવન પણ આવું જ છે. જો નજીકથી આપણા જીવનનું અવલોકન કરવામાં આવે તો આપણે એક અંતહિન રાહ જોઇ રહ્યા છીએ. અંદરથી આપણને પણ ખબર નથી, આપણે કોઈની રાહ જોઈ રહ્યા છીએ. શા માટે રાહ જોઈ રહ્યા છીએ …. રાહ જોઈ રહ્યા છીએ તે મળી જશે તો શું કરીશું. કોઈ ખબર નથી.

બસ, અંતહીન રાહ … મોટા ભાગના આલોચકો પણ આવો મત ધરાવે છે. મારું માનવું છે સેમ્યુલ બેકેટ સંપૂર્ણ આશાવાદને રજૂ કરે છે. તેના પાત્ર ઘરબાર વગરના છે. તેની કોઈ રાષ્ટ્રીયતા નથી. તેમની પાસે કરવાનું કોઈ કામ નથી. તેઓ શારીરિક રીતે પીડાઈ રહ્યા છે. અને વધુ દુઃખદ વાત તો એ છે કે આ નાટકના પાત્રોને તેનો અહેસાસ નથી કે તેઓ આવી વિકટ પરિસ્થિતિમાં છે. છેલ્લાં 50 વર્ષમાં એમના જીવનમાં કોઈ જ ઘટના બની નથી. બસ, જીવી રહ્યા છે. સમય તેમના જીવનમાં થંભી ગયો છે.

આમ છતાં આશાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે આશા સાચી છે કે ખોટી તેની પરવા નથી કરતા … તે કરી શકે તેમ પણ નથી. કારણ કે તેમની પાસે રાહ જોવા સિવાય કંઈ કરવાનું નથી. જો રાહ જોવાનું બંધ કરી દે, તો પછી શું વધે? કદાચ તેમનું જીવન એટલે જ બચ્યું છે કે તેમને આશા છે કે ગોડોટ આવશે. કંઈક પરિવર્તન થશે.

મારા માટે આ માનવ જીવનના સંઘર્ષને રજૂ કરતી કૃતિ છે. ચારે બાજુથી ઘેરાઈ ગયા હોવા છતાં, એક આશાનું કિરણ પૂરતું છે જીવવા માટે. બસ, તેને પકડી રાખવામાં આવે.

આખા નાટકમાં “કંઈ થઈ શકે તેમ નથી” આ વાક્ય વારંવાર આવે છે. સમગ્ર નાટકની થીમમાં તેનો સ્પષ્ટ પડઘો સંભળાય છે. આમ છતાં રાહ જોઈ રહ્યા છે. અને તે પણ ઉત્સાહ પૂર્વક.

યુટ્યુબ ઉપર હિન્દીમાં આ નાટક છે. એક વખત જોવા જેવું ખરું.

e.mail : hjrcv008@gmail.com

Loading

...102030...191192193194...200210220...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved