Opinion Magazine
Number of visits: 9571862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (56)

સુમન શાહ|Opinion - Opinion|4 May 2021

પોસ્ટમૉડર્નિસ્ટ ગણાયેલા પ્રશસ્ત અમેરિકન વાર્તાકાર ડોનાલ્ડ બાર્થેલ્મ મારા પ્રિય વાર્તાકાર છે. જન્મ ફિલાડેલ્ફિયામાં, 1931. ભલે એમ ગણાયા પણ તેઓ પોતે પોસ્ટમૉડર્નિઝમ અને ડીકન્સ્ટ્રક્શનમાં ન્હૉતા માનતા. એમનું લેખન પિતાજીને ન્હૉતું ગમતું, પિતાજી આર્કિટેક્ચરના પ્રૉફેસર પણ અડિયલ સ્વભાવના અને આ ભાઈ ઉદણ્ડ.

પણ બાર્થેલ્મે પિતા-પુત્રના સમ્બન્ધ અનુષંગે એક સરસ વાર્તા લખી છે, ‘વ્યૂઝ ઑફ માય ફાધર વીપિન્ગ’. મેં એનો અનુવાદ શરૂ કરેલો, અધૂરો પડ્યો છે, વરસો થઈ ગયાં. પણ મેં એમની બીજી બે-ત્રણ વાર્તાઓના અનુવાદ કરેલા ને મારા ‘ખેવના’-માં કે કોઈ બીજા સામયિકોમાં પ્રકાશિત થયા હતા.

એક વાર્તા છે, Glass Mountain, મેં અનુવાદ કરેલો ‘કાચડુંગરો’. વાર્તા એનો નાયક પોતે જ કહે છે – ફર્સ્ટ પર્સન નૅરેશન. આજે એ વાર્તાની વાત કરવી છે.

ડોનાલ્ડ બાર્થેલ્મ / Donald Barthelme 

Picture Courtesy : Wall Street Journal

બાર્થેલ્મ ભારે પ્રયોગશીલ વાર્તાકાર છે. આ વાર્તા એમણે ૧૦૦ વાક્યોમાં લખી છે, અને તે પણ 1 2 3 4 … એમ નમ્બર નાખીને.

પહેલું વાક્ય છે, હું કાચના ડુંગર પર ચડવા મથી રહ્યો છું. પછીનાં વાક્યોમાં વીગતો મળે છે કે –કાચડુંગરો ૧૩-મી સ્ટ્રીટની ૮-મી ઍવન્યૂના એક છેડે છે – લોકો એને ચડતો જોઈ રહ્યા છે – પોતે પાડોશીઓમાં નવોસવો હતો – જો કે કેટલાંક એને ઓળખે છે – પગ હાથ બધું પોતે બરાબ્બર બાંધ્યું છે – ૨૦૦ ફીટ તો ચડી જવાયું છે – ઓળખીતાં એ બધાં પરિચિતો હિમ્મત આપવાને નીચે ભેગાં થયાં છે, વગરે. જો કે એને – શિથહેડ, ઍસહોલ, વગેરે પણ સાંભળવા મળે છે.

કહે છે : કાચડુંગરો શ્હેર આખામાં જાણીતો છે. અહીં રહેનારાં પાસે ડુંગરાની ઘણી વાર્તાઓ છે. મુલાકાતીઓને ડુંગરો આંગળી કરીને બતાડાય છે. ડુંગરાને અડનારો ઠંડક અનુભવે છે. અંદર ઝાંખનારને ચળકતાં સફેદ-ભૂરાં ઊંડાણો જોવા મળે છે. ડુંગરાનું ટૉપ વાદળાંમાં ભળી જાય છે, અને વાદળાં ન હોય એવા દિવસોમાં સૂર્યમાં … વગેરે. પેલાં ઓળખીતાંઓ હવે ‘ડમ્બ મધરફકર’ પણ કહે છે, ‘જાળવજે ભઈલા’ પણ કહે છે, વળી જાતભાતનું કહ્યા કરે છે.

એક વાર એ દર્શાવે છે કે મને ચેતવવાને એ લોકો જે કારણો આપે છે એ બરાબર નથી. પછી તરત ઉમેરે છે કે – પણ સારાં કારણો હમેશાં હોય છે.

સંભવ છે કે બાર્થેલ્મનો વ્યંગ ગ્લાસ માઉન્ટેઇન ઉપરાન્ત, મહાનગરોમાં કાચથી મઢેલાં હાઈરાઈઝ્ડ બિલ્ડિન્ગો વિશે પણ હોય. કેમ કે નાયક કહે છે એમ એની નીચે ઘણી દર્દનાક વાસ્તવિકતાઓ દટાયેલી સૂતી હોય છે. એક વાર એ કહે છે : ૨૦૬ ફીટે ઠંડી હતી ને મેં નીચે જોયું તો હું નિરાશ થઈ ગયો. ઘોડા અને એમના અસવારોનાં શબ ડુંગરાને તળિયે હતાં ને મરી રહેલા કેટલાક માણસો ઊંહકારા ભણતા’તા.

એમ વાર્તા ક્રમે ક્રમે પ્રતીકામક ગામ્ભીર્ય પકડે છે.

એક વાર એ આવા મતલબનું કહે છે : શું પ્રતીકથી નિર્ભ્રાન્ત થવા માટે માણસે કાચ ડુંગરો ચડવાનો? ને તે ય આવી અંગત તકલીફ વેઠીને? શું આજના સશક્ત હું-ધારકોને હજી પણ પ્રતીકોની જરૂરત છે? પછી જણાવે છે કે – મેં માની લીધું કે આ પ્રશ્નોના ઉત્તર ‘હા’-માં જ મળવાના …

Xiaohua Wen નામની એક ચીની પ્રૉફેસરે આ વાર્તાનો સુન્દર અભ્યાસ કર્યો છે. એણે વાર્તાને ત્રણ પરિપ્રેક્ષ્યથી જોઇ છે : વાર્તાની સંરચના, ભાષા અને કથાકથન. એ કહે છે કે – વાર્તામાં છે એ ઍબ્સર્ડિટીની નીચે છે, સૉશ્યલ રીયાલિટી : જેમ કે, સિસ્ટમ્સમાં – કૅપિટાલિસ્ટ સિસ્ટમમાં – પ્રવર્તતી અવ્યવસ્થા. ભાવનાત્મક અથડામણ અનુભવતા લોકો. શાન્તિ અને વ્યવસ્થા માટેના પ્રજાના સંઘર્ષો. જાતભાતની બેઢંગ પરિસ્થિતિઓ, ને વળી એકબીજાં સાથેના એમનાં મતભેદ, અતડાઈ, તાટસ્થ્ય.

પ્રૉફેસર બાનુ જણાવે છે કે – આ બધાંને કારણે બાર્થેલ્મ આજની એ સામાજિક વાસ્તવિકતાથી વ્યથિત દીસે છે, પરન્તુ છેવટે તો બાર્થેલ્મ સહજ સરળ સમાજ ઇચ્છે છે, સંવાદ ઝંખે છે.

બાર્થેલ્મની એ ઇચ્છા ન જ ફળી અને એ અનુભવવાને એઓ ન બચ્યા, 1989માં એમનું અવસાન થયું.

આ સરળ લાગતી પણ ‘અઘરી’ વાર્તા સૌ વાંચે તો અંદાજ આવશે કે કોરોના પ્રગટ્યો અને હાલ ભારતમાં અતિ વકર્યો છે તે વાસ્તવ સાવ જ ઍબ્સર્ડ છે પણ તેની પાછળ સ્ટેટ, સમાજ અને પ્રજા કેટલાં જબાવદાર છે …

= = =

(May 3, 2021: USA)

Loading

ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2021

૨૦૨૦નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોના મોત થયા. અનેક દેશોના અર્થતંત્રોને મોટી અસર થઈ. બેકારી અને ગરીબીમાં વધારો થયો. જો કે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી. મહામારીના પ્રથમ તબક્કામાં એક અંદાજ મુજબ વિશ્વના ૯૦ ટકા એટલે કે ૧.૫ અબજ બાળકો વર્ગખંડ શિક્ષણથી વંચિત રહ્યા. ઓનલાઈન શિક્ષણની સુવિધા બધાં બાળકો સુધી પહોંચી નથી. દુનિયાના ૪૬.૩ કરોડ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણની સગવડ નથી. નવેમ્બર ૨૦૨૦ સુધીમાં વિશ્વનાં ૬૦ કરોડ બાળકોને શિક્ષણથી દૂર રહેવું પડ્યું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના એક અભ્યાસ મુજબ મહાનગર અમદાવાદના ૩૦ ટકા બાળકો સુધી છેલ્લા નવ મહિનાથી કોઈ પણ પ્રકારનું શિક્ષણ પહોંચ્યું નથી. શાયદ એટલે જ બ્રિટનની સંસ્થા ‘સેવ ધ ચિલ્ડ્રન’ હાલની સ્થિતિને ‘અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટી’ ગણાવે છે.

એકવીસમી સદીના ત્રીજા દાયકાનો આરંભ થઈ ચૂક્યો છે. દુનિયાના ઘણા દેશોમાં કોવિડ સામે રક્ષણ મેળવવા રસીકરણ પણ થઈ રહ્યું છે. ભય અને દરકાર  વચ્ચે માનવ જીવન પણ પૂર્વવત્‌ બની રહ્યું છે. પરંતુ હજુ શાળા-કોલેજો પહેલાંની જેમ સંપૂર્ણ ધબકતાં થઈ શક્યાં નથી. વિશ્વસ્તરે બાળકોની એક આખી પેઢીનું શિક્ષણ મહિનાઓથી બંધ હોય તેવું માનવ ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે. અપૂર્વ શૈક્ષણિક કટોકટીના આ માહોલમાં ભારતમાં પહેલા ‘નવી શિક્ષણ નીતિ’ આવી અને હવે ‘પોલિસી ઓન સ્કૂલ બેગ-૨૦૨૦’ની ઘોષણા થઈ છે.

ભારતમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના લલાટે ભણતરનો ભાર લખાયેલો છે. સાવ નીચલા ધોરણમાં ભણતાં બાળકોને પણ આપણે બેવડ વળી જાય એટલાં ભારેખમ દફતર પીઠ પર લાદીને શાળાએ જતાં જોઈએ છીએ. છ-આઠ કલાકના શાળા શિક્ષણ પછી એટલા જ કલાકનું ગૃહકાર્ય કે પ્રાઈવેટ કોચિંગ એણે કરવાનું હોય છે. આ શારીરિક-માનસિક ભારથી ત્રસ્ત આપણાં બાળકોને બચાવવા જોઈએ એવું સૌ કોઈ સ્વીકારે છે પણ અમલ ભાગ્યે જ થાય છે. જાણીતા વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ પ્રો. યશપાલના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિનો ૧૯૯૩નો ‘ભાર વિના ભણતર’ અહેવાલ, ખ્યાતનામ લેખક આર.કે નારાયણનું બાળકો પરના શિક્ષણ બોજ અંગેનું રાજ્યસભામાં અપાયેલું વક્તવ્ય, બિનસરકારી વિધેયક ‘ચિલ્ડ્રન સ્કૂલ બેગ્સ (લિમિટેશન ઓન વેઈટ)  બિલ- ૨૦૦૬’, મહારાષ્ટ્ર સરકારની ૨૦૧૫ની ગાઈડલાઈન અને મદ્રાસ હાઈકોર્ટના ૨૯મી મે ૨૦૧૮ના ચુકાદાના અનુસંધાને ભારત સરકારે નવી સ્કૂલ બેગ નીતિ જાહેર કરી છે.

કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે એન.સી.ઈ.આર.ટી.ના ડિપાર્ટમેન્ટ ઓફ ક્યુરિક્યુલમ સ્ટડિઝના હેડ રંજના અરોરાના કન્વીનર પદે રચેલી સાત સભ્યોની સમિતિએ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ના સર્વેના આધારે સ્કૂલ બેગ પોલિસી ૨૦૨૦ ઘડી છે. ૨૪મી નવેમ્બર ૨૦૨૦ના ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન ડેવલપમેન્ટના અંડર સેક્રેટરીના પત્ર સાથે રાજ્યોને આ નીતિ મોકલવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનકો, દુનિયાના અન્ય દેશોના અનુભવો અને તેમની પ્રવર્તમાન સ્કૂલ બેગ નીતિને અનુસરીને હવેથી ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીના વજનના ૧૦ ટકા વજનની જ સ્કૂલબેગ રાખવાની છે. દરેક શાળામાં ડિજિટલ વજન કાંટો રાખીને નિર્ધારિત વજનની જ સ્કૂલ બેગ હોય તેની ખાતરી કરવાની છે. પ્રકાશકોએ પાઠ્ય પુસ્તકોનું વજન છાપવાનું રહેશે. સ્કૂલબેગ વજનદાર ન બની રહે અને બાળકે ઓછાં પુસ્તકો લાવવાં પડે એટલા માટે શાળાએ એક જ વિષયના એકથી વધુ તાસ ભણાવવાના રહે તે પ્રમાણે ટાઈમ ટેબલનું આયોજન કરવાનું રહેશે. બાળકો શાળાની સીડી પૈડાવાળી સ્કૂલ બેગ લઈને ચઢતાં ઈજાગ્રસ્ત થતાં હોઈ વ્હીલવાળી સ્કૂલબેગ પ્રતિબંધિત કરી છે. દફતરની જેમ વિધાર્થી પર હોમવર્કનો ભાર ઘટે તે માટે હોમવર્કના કલાકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ગૃહકાર્ય વિધાર્થીની રસ રુચિને માફક આવે તેવું અને તેના વ્યક્તિત્વને ખીલવે તેવું આપવાનું રહેશે.

એકથી બાર ધોરણના બાળકનું સરેરાશ વજન અને તે પ્રમાણેના તેના દફતરનું વજન સરકારે પોલિસીમાં દર્શાવ્યું છે. પૂર્વ પ્રાથમિકના બાળકનું સરેરાશ વજન ૧૦થી ૧૬ કિલોગ્રામ હોવાનું જણાવી તેને ‘નો બેગ’ શ્રેણીમાં મૂક્યું છે. ધોરણ ૧ અને ૨ના બાળકનું વજન ૧૬થી ૨૨ કિલોગ્રામ  અને તેના દસ ટકા મુજબ દફતરનું વજન  ૧.૬થી ૨.૨ કિલોગ્રામ, ધોરણ ૩થી ૫ના બાળકનું વજન ૧૭થી ૨૫ કિ.ગ્રા. અને દફતર ૧.૭થી ૨.૫ કિ.ગ્રા. ધોરણ ૧૧-૧૨ના કિશોર વયના વિદ્યાર્થીનું વજન ૩૫થી ૫૦ કિ.ગ્રા. અને  દફતરનું વજન ૩.૫થી ૫ કિ.ગ્રા. નક્કી કર્યું છે.

પાંચમા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, ૨૦૧૯-૨૦નું તારણ છે કે ઊંચાઈની તુલનાએ ઓછું વજન ધરાવતા દુનિયાના ૪.૯૫ કરોડ બાળકોમાં ૨.૫૫ કરોડ ભારતમાં છે. ગુજરાતમાં ૫ વરસથી ઓછી ઉંમરના, ઉંમરના પ્રમાણમાં ઓછું વજન ધરાવતા બાળકોનું પ્રમાણ, ૩૯.૭ ટકા (ગામડાંમાં ૪૩.૫ ટકા) છે. આ સ્થિતિમાં તમામ બાળકોને એક જ લાકડીએ હાંકી દફતરનું વજન નક્કી કરવું કેટલું યોગ્ય છે ? એક જ ધોરણમાં દા.ત. પહેલામાં કોઈ બાળક ૧૬ કિ. ગ્રા. વજન ધરાવતું હોય તો તેનું દફતર ૧.૬ કિ.ગ્રા.નું અને તે જ ધોરણના ૨૨ કિ.ગ્રા.વજનના બાળકનું દફતર ૨.૨ કિ.ગ્રા.નું હોઈ શકશે ? એક જ વયના અને એક જ ધોરણમાં અભ્યાસ કરતાં પણ જુદી જુદી સામાજિક-આર્થિક સ્થિતિના બાળકોનું વજન જુદું જુદું હોય છે. એટલે એક જ ધોરણમાં દફતરનું વજન એક સરખું હશે પણ બાળકનું નહીં હોય ત્યારે આ નિયમનો કઈ રીતે અમલ થશે ? આ સ્થિતિનો સાચો ઉકેલ યશપાલ સમિતિના ‘લર્નિંગ વિધાઉટ બર્ડન’ રિપોર્ટેમાં દર્શાવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, ‘બાળકોને શાળાએ દરરોજ ભારે દફતર લઈ જવાની ફરજ પાડીને તેમના પર ત્રાસ ગુજારવામાં કોઈ વાજબીપણું નથી. પાઠ્યપુસ્તકોને શાળાની મિલકત ગણવી જોઈએ અને બાળકોને વ્યક્તિગત રીતે પુસ્તકો ખરીદવાની અને રોજ શાળાએથી ઘરે લઈ જવાની જરૂર ન હોવી જોઈએ’ (પૃષ્ઠ-૨૮) તેનો કેમ અમલ થતો નથી?

બાળકોના દફતરના વજનમાં લંચબોક્સ અને વોટર બોટલનો મોટો હિસ્સો છે. ૩૫૨ શાળાના ૩,૬૪૨ વિદ્યાર્થીઓ અને ૨,૯૯૨ વાલીઓ પરના સર્વે મુજબ બાળકોના દફતરમાં અનિવાર્યપણે સામેલ પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બાનું સરેરાશ કુલ વજન ૪૦૦ ગ્રામથી ૨ કિ.ગ્રા. છે. એટલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી અને ચા નાસ્તા માટે કેન્ટીનની વ્યવસ્થા કરવાની રહેશે તેમ આ નીતિમાં સરકારે ઠરાવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શાળાઓ ઉપરાંત સવારની માધ્યમિક શાળાઓમાં બાળકો માટે નિ:શુલ્ક નાસ્તાની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરી છે. આ આકર્ષક લાગતી યોજનાઓ સામેની વરવી વાસ્તવિકતા શું સરકાર જાણતી નથી ?

‘રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ની મોજણી તો જણાવે છે કે દેશની ૨૨ ટકા શાળાઓ જીર્ણ મકાનોમાં ચાલે છે, ૩૧ ટકા શાળાઓની ઈમારતોમાં તિરાડો છે, ૧૯ ટકા શાળાઓ રેલવેના પાટા પાસે છે, ૪૩ ટકા બાળકો મધ્યાન્હ ભોજનની ગુણવત્તાથી સંતુષ્ટ નથી, ૫૧ ટકા શાળાઓમાં દિવ્યાંગ બાળકોને અનુકૂળ સંડાસ નથી. દેશની ૯૮,૪૪૩ સરકારી પ્રાથમિક શાળાઓના એકથી પાંચ ધોરણ વચ્ચે એક જ શિક્ષક છે. ૯૮.૮ ટકા શાળાઓ પોતાને ત્યાં પીવાનાં પાણીની યોગ્ય વ્યવસ્થા હોવાનું એન.સી.ઈ.આર.ટી.ના સર્વેમાં જણાવે અને એ જ સર્વેમાં ૮૭.૨ ટકા બાળકો ઘરેથી પાણી લઈ લાવતા હોવાનું જણાય તે સ્થિતિમાં બાળકો માટે પીવાનાં શુદ્ધ પાણીની અને કેન્ટીનની વ્યવસ્થા કરવાની વાત ઠાલું વચન લાગે છે.

સર્વેક્ષણ હેઠળના ૭૪.૪ ટકા બાળકોને અને ૭૭.૭ ટકા વાલીઓને બાળકોનું દફતર ગંભીર સમસ્યા લાગે છે પણ ૬૧.૧ ટકા શાળાઓને તેમ લાગતું નથી.! જેમને સ્કૂલ બેગ ગંભીર સમસ્યા લાગે છે તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગ્રત કરવાનું વર્તમાન નીતિમાં જણાવાયું છે. તો જેમને આ સમસ્યા ગંભીર જણાતી નથી તે શાળાઓને મોનિટરિંગની જવાબદારી સરકારે આપી છે. છે ને ચોરના હાથમાં ચાવી થમાવી દેવાનો ઘાટ ?

બાળકોને ભણતરના ભારથી મુક્ત કરવા, દફતરનો ભાર હળવો કરવા જરૂરી છે કે  બાળકોને ઓછાં પાઠ્ય પુસ્તકો શાળાએ લાવવાં પડે તે મુજબનું સમયપત્રક ઘડવા આ નીતિમાં શાળાઓને જણાવાયું છે. આ નિયમનો અમલ કરવા માટે શાળાઓએ તેના દૈનિક ટાઈમ ટેબલમાં એક જ વિષયના એકાધિક તાસ  રાખવા પડે. બાળકોને જે રોજિંદી ભણતરની વિવિધતા મળે છે તે આ કારણે ઓછી થશે અને બાળકો જે વિષયમાં નબળા હશે તેના વધુ તાસથી શિક્ષણ વિમુખ થશે તે  શક્યતાનો આ સંદર્ભમાં વિચાર કરવો જોઈએ.

સ્કૂલ બેગ નીતિમાં વિવિધ ધોરણમાં વિષયો અને પુસ્તકો પણ નક્કી કર્યા છે. સરકારનો આશય વિષયોનું ભારણ ઘટાડી ભણતરના બોજથી બાળકોને આઝાદ કરવાનો છે. પરંતુ પોલિસીમાં ધોરણવાર વિષય અને એન.સી.ઈ.આર.ટી.નાં જે પુસ્તકો દર્શાવ્યાં છે તે જોતાં જણાય છે કે ધોરણ ૧થી પમાં ૩ વિષય અને ૩ પુસ્તકોની સમાન સંખ્યા છે, પરંતુ ધોરણ ૬થી ૧૦માં વિષયો તો ૬ ભણાવવાના છે પણ બુક્સ તેના કરતાં ઘણી વધારે છે. જેમ કે ધોરણ ૬ અને ૭માં ૧૦, ધોરણ ૮માં ૧૧, ધોરણ ૯માં ૧૫ અને ધોરણ ૧૦માં ૧૩ પુસ્તકો છે. વળી ખાનગી પ્રકાશકોની ચિત્રપોથી, પ્રયોગપોથી, નકશાપોથી, આલેખ અને સંદર્ભ પુસ્તકો પણ પ્રતિબંધિત કરાયાં ન હોઈ વિષયોનો બોજ ઘટાડવાથી પુસ્તકોનો બોજ ઘટતો નથી. સરવાળે બાળકોને ભણતરના ભારથી મુક્ત કરી શકાશે નહીં.

માબાપ અને વિદ્યાર્થી માટે સૌથી મોટી સમસ્યા શાળા અને ખાનગી કોંચિગ ક્લાસના હોમવર્કનો બોજ છે. ગૃહકાર્યને લીધે બાળકને રમવાનો કે આરામનો સમય ભાગ્યે જ મળે છે. સ્કૂલ બેગ પોલિસીમાં ધોરણ ૧ અને ૨ના બાળકને કોઈ ગૃહકાર્ય ન આપવાનું, ધોરણ ૩થી ૬ના બાળકોને અઠવાડિયે ૨ કલાક, ધોરણ ૭-૮ને રોજ એક કલાક અને ૯થી ૧૨ને રોજના અધિકતમ ૨ કલાકનું હોમવર્ક આપવા જણાવાયું છે. પરંતુ બાળકોની શૈક્ષણિક સત્રમાં ૧૦ દિવસ સ્કૂલ બેગ વિનાના આપવાની જે જોગવાઈ  આ નીતિમાં છે તેવી વિધાઉટ હોમવર્ક ડેઝની નથી !

બાળકોને મોટે ભાગે લેખિત ગૃહકામ આપવામાં આવે છે. તેનું પ્રમાણ ઘટાડીને તેને રચનાત્મક કે સર્જનાત્મક બનાવવાની ભલામણ છે. પોલિસીના પૃષ્ઠ-૫૪ પર શિક્ષકોને સર્જનાત્મક સ્વાધ્યાય ચીંધતા લખવામાં આવ્યું છે કે ધોરણ ૩થી ૫ના બાળકો કે જેમની વય આશરે ૮થી ૧૦ વરસની હશે તેમને શિક્ષક પૂછશે કે તેમણે ગઈ કાલે શાળા છૂટ્યા પછીની સાંજ કઈ રીતે વિતાવી ? તેઓ સાંજના ભોજનમાં કેટલી વાનગી જમ્યા ? આ વાનગીઓમાં શું શું નાંખવામાં આવ્યું હતું ? બાળકને જમવામાં શું ગમે છે અને શું નથી ગમતું ? બાળકો ગઈ કાલે રાત્રે કોઈ પાર્ટીમાં ગયા હતા કે કેમ ? વગેરે. ભારે આર્થિક અસમાનતા ધરાવતા અને ગરીબ તથા નિમ્ન મધ્યમવર્ગની મોટી વસ્તી ધરાવતા દેશમાં શિક્ષકના આવા સવાલો બાળકોની સંવેદનાને હાનિ કરનારા અને શિક્ષકની નિસબતને ડામી દેનારા છે. ‘વિજ્ઞાન ભણતા ભણતા / ન્યૂટનનું સફરજન પડતું જોઈ / મને પહેલો વિચાર / એને ખાવાના આવેલો.’  એવી દલિત કવિ નીરવ પટેલની અમર કાવ્ય પંક્તિમાં, ન્યૂટનના ગુરુત્વાકર્ષણ કરતાં સફરજનના સ્વાદાકર્ષણમાં જેને વધુ રસ છે એવાં બાળકોની મનોદશા આપણા શિક્ષણનીતિનિર્ધારક પંડિતો શું કદી સમજી શકશે જ નહીં. ?

૨૦૨૦ની ન્યૂ એજ્યુકેશન પોલિસીનું ધ્યેય જ્ઞાનઆધારિત સમાજના નિર્માણનું, ન્યાય સંગત અને નિષ્પક્ષ સમાજ રચવાનું, ૨૦૩૦ સુધીમાં સમતામૂલક અને સમાવેશી શિક્ષણ વ્યવસ્થા મારફત સમાનતા નિશ્ચિત કરવાનું છે. પરંતુ સ્કૂલ બેગ નીતિ સામાજિક-આર્થિક અસમાનતાને પોષનારી છે. ભાર વિના ભણતર અહેવાલ રજૂ કરતાં તત્કાલીન શિક્ષણ મંત્રી જોગના ૧૫મી જુલાઈ ૧૯૯૩ના  પત્રમાં પ્રો. યશપાલે એ મતલબની નૂકતેચીની કરી હતી કે આપણા શાળાકીય શિક્ષણની સ્થિતિ આપણી સામાજિક વ્યવસ્થાની ઘણી બધી બાબતોને બદલ્યા સિવાય બદલી શકાય તેવી સ્વતંત્ર નથી. ૨૦૨૦ની પોલિસી ઓન સ્કૂલ બેગ પ્રવર્તમાન અસમાન શિક્ષણ અને સમાજ વ્યવસ્થાને બરકરાર રાખે છે. તે બાળકોના શિક્ષણ પરનો ભૌતિક બોજ થોડો ઓછો કરશે એથી વિશેષ તેની પાસે કોઈ આશા રાખી શકાય તેમ નથી.

(પ્રગટ : “સંદેશ”, તા.13 જાન્યુઆરી 2021; “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2021)

Loading

આઠ કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|4 May 2021

1.

બીજું કંઈ નહીં, થોડા શ્વાસ તો રહેવા દે !
તારા પરનો કાયમ વિશ્વાસ તો રહેવા દે !

ઓલવે કાં એક પછી એક દીવડાઓ
અંધારું છે, થોડો અજવાશ તો રહેવા દે !

રહેવા દે થોડો જીવતા હોવાનો ભરમ
જીવવાનો એકાદ પ્રયાસ તો રહેવા દે !

શબ્દો બધાં થઈ ગયાં છે હીબકાં 
આંખોમાં એકાદ આશ તો રહેવા દે !

કરી દે ક્ષમા હવે, તું તો ઈશ્વર છો ને
માનવીની એકાદ ડંફાસ તો રહેવા દે !

•••

2.

કોઈને કહી શકાય એટલું હોય તો ચાલશે !
થોડુંક સહી શકાય એટલું હોય તો ચાલશે !

ચાલશે થોડું ઊન્નીસ-બીસ હશે તો પણ
થોડું ચાહી શકાય એટલું હોય તો ચાલશે !

ભલે હો મિત્રના ઘરનો રસ્તો બહુ લાંબો
ત્યાં જઈ શકાય એટલું હોય તો ચાલશે !

હું ક્યાં માંગું છું સુખનો સમંદર આખો
કોઈને દઈ શકાય એટલું હોય તો ચાલશે !

સહેવું પડે સૌને પોતપોતાનું દરદ અહીં
કોઈનું લઈ શકાય એટલું હોય તો ચાલશે !

•••

3.

ઘરેથી નીકળીએ તો રસ્તા મળે છે !
થોડાં ચાલતા, થોડાંક સરકતા મળે છે !

મળે છે સૌ પોતપોતાના કામથી અહીં
હવે લોક ક્યાં સાવ અમસ્તાં મળે છે !

ઊભો કાલથી ઓક્સિજનની લાઇનમાં 
જોઉં મને હવે કેટલા ફરિસ્તા મળે છે !

ખરીદી લઉં એકાદ હું પણ, કામ આવશે
આજકાલ અહીં કફન બહુ સસ્તાં મળે છે!

ખૂલી છે ફક્ત આંસુની દુકાન કરફ્યુમાં
ક્યાં કોઈ ચહેરા અહીં હસતા મળે છે !

•••

4.

હવે રથે ચડો રણછોડ !
દિસે નહીં કો’ દિશા જવાની
છાયું અતિ ઘનઘોર ! … હવે રથે ચડો રણછોડ

શ્વાસ ખૂટ્યા, આશ ખૂટી,
ખૂટી ગયાં અંજળ !
રોઈ રોઈને વાટ ખૂટી
ખૂટ્યાં નયને જળ !
કૃપા કરીને પાર ઊતારો
અમ નૈયા ડામાડોળ ! … હવે રથે ચડો રણછોડ

લૂગડું હોય તો સાંધી લઈએ
આ તો ફાટ્યું આભ !
આંખે આંખે જલે ચિતાઓ
માંહ્યલે ભભૂકે આગ !
કર જોડીને કરું બિનતિ
હવે દોડો માખણચોર ! … હવે રથે ચડો રણછોડ

•••

5.

રાખ્યા છે સૌ અકબંધ છેક શરૂઆતથી !
રોજ ગણ્યા કરું પતંગ, છેક શરૂઆતથી !

ચગાવ્યો નહીં એકેય ફાટવાની બીકથી
હવા રહી સતત તંગ, છેક શરૂઆતથી !

બદલતો રહું છું રોજ નવા નવા શસ્ત્રો
લડું છું રોજ નવો જંગ, છેક શરૂઆતથી !

બદલતી રહી હવા અને દિશાઓ પણ
મારો રહ્યો એક જ રંગ, છેક શરૂઆતથી !

એમની પાસે છે આખી નારાયણી સેના
મારી પાસે કૃષ્ણનો સંગ, છેક શરૂઆતથી !

•••

6.

એને જાણવાની તસ્દી નથી લેવી !
મને કોઈ ચીજ સસ્તી નથી લેવી !

ઉથલાવ્યા ઘણાં થોથા સમજણના
હવે વધારાની કોઈ પસ્તી નથી લેવી !

હોઉં જો હું લાયક તો આપી દેજે
તારી પ્રીત જબરદસ્તી નથી લેવી !

થાય પછી ઉજાગરા રાતરાતભર
છેતરામણી નજરની મસ્તી નથી લેવી !

ભલે ડૂબી જાઉં સાવ કિનારે આવીને
તેં મોકલાવેલી એ કિશ્તી નથી લેવી !

ચૂકવી દઉં તારા દરેક સ્મિતનું મૂલ્ય
મારે કોઈ વસ્તુ અમસ્તી નથી લેવી !

•••

7.

કાને મારી સાંભળી લીધી વાત
આવી મારો હાથ ઝાલ્યો ત્યાં 
હું થઈ ગઈ પારિજાત ! … કાને મારી

વાંસળી વાગી રોમે રોમે
મનનાં મ્હોર્યાં મોર !
સૂતાં સપનાં જાગીને સૌ
કેવો કરે કલશોર !
મોરપિચ્છના સ્પર્શે
મેં તો ખોઈ આખી જાત ! … કાને મારી

વ્હાલ કરીને વાલમાએ
મારા કેશમાં મૂક્યું ફૂલ !
કાના કેરા કર-હિંડોળે
મારું મનડું ઝૂલમઝૂલ !
વાંહે વાંહે શામળિયાની
હું ફેરા ફરતી સાત ! … કાને મારી

•••

8.

લ્યો કાનાએ આપી એવી સોગાત !
મારે જાગવાનું આખી આખી રાત ! … લ્યો કાનાએ

કીકીઓ ઘેલી થઈ કાનને શોધતી 
ને પાંપણે પહોંચી ગઈ વાત ! … લ્યો કાનાએ

છેક પાછલે પરોઢે વાંસળી સંભળાણી
જઈ બારીએ ડોક મેં તાણી !
મોરપિચ્છ લ્હેરાતું આંગણામાં ભાળ્યું
ને આંખોને થઈ ગઈ ઉજાણી !
ફૂલડાંની જેમ હું તો વેરાઈ ગઈ ચોકમાં 
ને આંખોમાં ઊગ્યું પરભાત ! .. લ્યો કાનાએ

આંખિયુંમાં આંજીને મોરપિચ્છ ફરતી
ટહુકાઓ છાતીમાં કેદ !
વનરાઈયું જોતી મને એવી નજરથી
જાણે જાણતી સૌ વાતોનો ભેદ !
આંખો મીંચું તો પાંપણે ઊભરાતી 
કાનાના કામણની વાત ! … લ્યો કાનાએ

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

...102030...1,9081,9091,9101,911...1,9201,9301,940...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved