Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમતોલ માનવીય શિક્ષણને સમર્પિત કુમારભાઈ

યોગેન્દ્ર વિ. ભટ્ટ|Opinion - Opinion|31 May 2021

કુમારભાઈના નામે વધુ પરિચિત એવા સ્વ. હેમેન્દ્રભાઈ વિ.ભટ્ટ, ગુજરાતના અર્વાચીન અને ગાંધીયુગના એક સમન્વિત, પક્વ, સુફળ જેવા હતા. પિતાજી વિષ્ણુભાઈ ભાવનગરની સુખ્યાત ’દક્ષિણામૂર્તિ’માં પ્રારંભે સ્વ. નાનાભાઈ-ગિજુભાઈના વિદ્યાર્થી અને પછી ત્યાં જ સહકાર્યકર રહ્યા, માતા રસિલાબહેન પણ પછી દક્ષિણામૂર્તિ બાલઅધ્યાપન મંદિરનાં તાલીમાર્થી બન્યાં હતાં. કુમારભાઈને આદરણીય ગિજુભાઈના ખભે તેમ જ બાલમંદિરમાં રમવાનું – ઘડાવાનું પરમ સદ્ભાગ્ય મળ્યું હતું.

કંઈક દેખાવડા અને પ્રથમ પુત્ર તરીકે જન્મીને લાડમાં ઊછર્યા હોવાથી ઘરમાં મોટાભાઈ તરીકે જવાબદારી – ચિંતા સાથે સ્વમાન – સ્વીકાર વિષે થોડા જાગૃત રહેતા લાગતા. જો કે પત્રોેમાં મોટા ભાગની વ્યક્તિઓને એ આખરી સહી કરવા સાથે વંદન જ પાઠવતા. બચપણમાં લાડના ભાગ તરીકે જ લોકભારતીમાં પાડોશી ન.પ્ર. બૂચ દંપતીનું પણ ખાસ્સું હેત તે પામેલા. ચિત્રકામની તેમને કુદરતી બક્ષિશ મળેલી. તરુણવયે ગુજરાતના મોટા ચિત્રગુરુ સોમાલાલ શાહ પાસે ચિત્રની, ખોડીદાસ પરમાર સાથે જ ’તાલીમ લેવા જતાં, પણ પછી પીંછી છૂટી ગઈ. ખોડીદાસભાઈ ઘણીવાર એ માટે અફસોસ વ્યક્ત કરતા. ભાવનગર-અમદાવાદ હાઈસ્કૂલ પછી ’વેડછી આશ્રમ’. પછી ’ગૂજરાત વિદ્યાપીઠ’, અને પછી ગુજરાત યુનિવર્સિટી એમ એમનું ભણતર-ગણતર ચાલ્યું. ગિજુભાઈનાં સ્નેહ-સંસ્કાર-કૌશલની દીક્ષા ઉપર જુગતરામકાકા અને મગનભાઈ દેસાઈ જેવા મહાનુભાવોના સંપર્ક – પ્રભાવનો પણ લાભ મળ્યો. ’સ્નાતક’ તરીકે વિદ્યાપીઠમાં ઘણું ઘડાયા. અનેક સારા મિત્રો પણ મળ્યા. પોરબંદરમાં બી.એડ્. કર્યું અને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. કે.જી. દેસાઈ પાસે એમ.એડ્. પણ પૂરું કર્યું અને શિક્ષણક્ષેત્રની કામગીરીમાં જ સ્થિર થયા. 

આરંભ સર્વોદય આશ્રમ, શાહપુર(જૂનાગઢ)થી થયો, ત્યાં લોકશાળામાં અને પછી અધ્યાપન મંદિરમાં અધ્યાપક અને આચાર્ય તરીકે ફરજ બજાવી. વિદ્યાર્થીઓ તેમને ચાહતા, માન આપતા. શાહપુરમાં સ્વ.ઇસ્માઇલભાઈ નાગોરી અને સ્વ.અકબરભાઈ નાગોરી પાસે ત્યારે ઉત્તમ યુવાન શિક્ષકોનું જૂથ હતું. તે કાયમ રહ્યું હોત તો તે સંસ્થાએ ભવિષ્યમાં કદાચ ઘણું નામ કાઢ્યું હોત. કુમારભાઈ દંપતી શાહપુરમાં ઘણો લાંબો સમય રહ્યાં તેમાં અકબરભાઈ નાગોરી દંપતીના સૌજન્યનો ય ઘણો ફાળો રહ્યો. મોરારિબાપુ જેવા વ્યક્તિવિશેષ પણ, પોતાના ભૂતકાળના, શાહપુરના તાલીમાર્થી તરીકેના દિવસોને યાદ કરીને, શિક્ષક કુમારભાઈને અવારનવાર ભાવપૂર્વક યાદ કરીને, જાહેરમાં એ વિષે ઉલ્લેખ કરતા રહ્યા છે, અને અમસ્થા પણ, ખાસ સંભારીને ફોન કરીને અનેક વાર ખબરઅંતર પૂછતા રહ્યા છે. કુમારભાઈ પણ મુરારિબાપુના સૌજન્ય અને વિકાસ-સિદ્ધિ માટે કદરપૂર્વક રાજીપો અનુભવતા રહેતા હતા.

શાહપુર (જૂનાગઢ) પછી કુમારભાઈ ’શ્રેયસ’ – અમદાવાદમાં સ્વ. લીનાબહેન (સારાભાઈ) મંગલદાસ પાસે શિક્ષણકાર્યમાં દાયકાઓ સુધી જોડાયેલા રહ્યા. પૂરી નિષ્ઠા-તૈયારીપૂર્વક સમર્પિત થઈને શક્ય એટલું ઉત્તમ કામ-પરિણામ સાધવું … એ કુમારભાઈનો સ્વભાવ હતો, અને શ્રેયસની પરંપરા-અપેક્ષા હતી. એટલે એમનો સહજ સંવાદ-મેળ રચાયો. કાર્ય કરવાનો સંતોષ એ કુમારભાઈની મુખ્ય જરૂરિયાત હતી. એમાં કોઈ પણ પક્ષે મૂંઝવણ-મુશ્કેલી જેવું લાગે, ત્યારે સ્થળ-કામગીરી અંગે ક્યારેક ફેરફાર પણ કરી લેતા.

થોડોક સમય બી.એમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વિશિષ્ટ પ્રકારનાં બાળકો સાથે કામગીરી કરી. પણ ધ્યાન ખેંચે એવી બાબત એ કે પોતાની તબિયત સંદર્ભે આરામની જરૂર હોય અને તક-શક્યતા હોય તો પણ એ જરૂરી પૂરતો આરામ કરી ન શકતા. સાવ આરામને બદલે થોડું ઘણું કામ કરવાથી મારા સ્વાસ્થ્યમાં લાભ થશે એમ જ એમને લાગતું! ૮૭ વર્ષે પણ લગભગ આ જ મનઃસ્થિતિ જળવાયેલી રહી.

કોઈ પણ સંજોગોમાં તેમણે કામની ગુણવત્તા અને કાર્યસંતોષ ન છોડ્યાં. સંપૂર્ણતાના આ આગ્રહને કારણે ક્યારેક એ કોઈને કડક વ્યવસ્થાપક-વહીવટકાર પણ લાગ્યા હોય … એવો સંભવ છે. અન્યનાં કામો કે રજૂઆતમાં અધૂરપ લાગે તો એમનો ’ક્રિટિક’ જાગૃત થઈ જતો. સ્વકેન્દ્રીપણું, બેજવાબદારી, અવ્યવસ્થા જેવું કઈ લાગે ત્યારે, તેમનું મન પાછું પડી જતું. પરંતુ જ્યાં સચ્ચાઈ, નિખાલસતા, નક્કરતા, સહજતા જુએ ત્યાં પૂરા પ્રસન્ન થઈ જતાં … પછી એ રજૂઆત આદિવાસી-સેવિકા ખડકીની બહેન સુજાતા શાહની પણ હોય …. અને ધર્મશાળાના દલાઈ લામાના સાથી રિમ્પોછેની પણ હોય !  

વિશિષ્ટ સ્તરના બૌદ્ધિક તેમ જ વૈચારિક કાર્યક્રમોમાં પણ એમને સામાજિક સભાનતા સાથેનો ઘણો રસ પડતો.

અમદાવાદમાં પ્રો. પુ.ગ. માવળંકરના હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટના આવા કાર્યક્રમોમાં તેઓ વારંવાર શ્રવણલાભ લેવા જતા. જરૂર જણાય ત્યારે વ્યવસ્થામાં મદદરૂપ બનવા પણ તૈયાર રહેતા. આને કારણે માવળંકર તરફથી ખાસ્સી સદ્ભાવ-મૈત્રીની લાગણી પણ તેઓ પામેલા. આ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠના મહત્ત્વના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેવાનું પસંદ કરતા અને તેથી ત્યાંના મહામાત્ર રામલાલભાઈ પરીખનો સદ્ભાવ પણ તેઓ પામેલા.

શરીર અને મનથી વિશિષ્ટ જરૂરિયાતવાળા, વંચિત, તેમ જ નિરાધાર બાળકો માટે એ હંમેશાં ખૂબ જ સંવેદનશીલ હતા, એ માટે પૂરા જાગૃત-ચિંતિત-સક્રિય રહેતા હતા. આવાં સૌ બાળકો માટે એમની સહાનુભૂતિ હંમેશ રહેતી. ’શ્રેયસ’ અને ’બી.એમ’માં બાળકો સાથેનાં આ પ્રકારનાં કામોમાં સંકળાવાનું તેમને ઘણું ગમતું. મૂંઝાયેલા-ગૂંચવાયેલા-અકળાયેલાં, બાળકો અને તરુણો સાથે નિરાંતે પ્રેમથી, શાંતિથી નિખાલસ વાતો કરીને તેમને પૂરા સ્વસ્થ બનાવવાના કામમાં તેમને ઘણો રસ-સંતોષ મળતો.

તે સમયગાળામાં ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામગીરી મેળવવાની તેમની પાસે ડિગ્રી, લાયકાત, ક્ષમતા અને તક હોવા છતાં તેમણે નાની વયનાં બાળકો-તરુણોનાં શિક્ષણ-ઘડતરનાં કામોમાં જ સક્રિય રહેવાનું પસંદ કર્યું … એ બાબત પણ નોંધપાત્ર લેખાય. ’શ્રેયસ’ અને સ્વ. લીનાબહેનની વિશિષ્ટ શૈક્ષણિક કામગીરી સાથે જોડાઈ રહેવાનો એ જાણે કોઈ વિશિષ્ટ ઋણાનુબંધ લઈને આવ્યા હતા. એક વાર બહાર જઈને પાછા સહજ રીતે ’શ્રેયસ’માં જ ગોઠવાયા હતા. સ્વ. લીનાબહેન તેમની કામગીરીથી ખૂબ સંતુષ્ટ હતાં. કુમારભાઈ છેવટે પથારીવશ થયાં ત્યાં સુધી ’શ્રેયસ’ સંસ્થા સાથેનું તેમનું અવરજવરવાળું અનુસંધાન ચાલુ જ રહ્યું.

એમણે નિવાસસ્થાન બહાર બદલ્યું હતું, પણ શ્રેયસનાં બાળકો અને શિક્ષણે તેમના મન-ચિત્તમાં કરેલું નિવાસ સ્થાન બદલાયું નહોતું. આમ ’શ્રેયસે’ એમના મન-ચિત્તમાં કરેલું નિવાસસ્થાન બદલ્યું નહોતું.

સ્વરાજઆશ્રમ, વેડછીમાં ૧૯૫૦માં તેમણે ખાદી ધારણ કરેલી તે ચકાચક અમદાવાદમાં ય, અમદાવાદની સારી – સુખ્યાત પણ કંઈક શહેરના ઉપલા ’ક્રીમી લેયરવર્ગ’ સાથે જોડાયેલી ’શ્રેયસ’ સંસ્થામાં દાયકાઓ સુધી ખાદીનો ડ્રેસકોડ હોવાથી પણ ખાદી એમને માટે જીવનભર સહજ હતી અને વધુ સહજ બની રહી. અને જીવનના અંત સુધી તેઓ તેને વળગી રહ્યા, કદાપિ તેમાં બાંધછોડ ન કરી. વળી આખરી માંદગીના હૉસ્પિટલના બિછાનેથી પણ એમણે એમના શ્રેયસનાં શિક્ષણકાર્યની ફાઇલો મંગાવવાનું ઇચ્છ્યું હતું.

હા, સાદગી સાથે તેઓ સ્વચ્છતા, સુઘડતા અને કલાગત સુંદરતાના ચાહક હતા … એટલે પોતાના પોશાક, રહેણીકરણી, ઘર અને સંસ્થા-કામોમાં કશું જ બિનજરૂરી ચલાવી લેવાનું તેમને જરા પણ ગમતું નહીં. સફેદ ખાદીનાં કફની-લેંઘો સમયાંતરે તેમની એક આગવી ઓળખ પણ બની રહી.

વર્ષો પહેલાં તેમની જૂની સીધી સાદીકફની પણ તેના કટ-સિલાઈ-માપ સારુ માટે હું મારા ગામડાના દરજીના માર્ગદર્શન માટે લઈ જતો !

ત્રણ-ચાર મહિના થાય એટલે ઘરમાં પથારીઓ-ટેબલો-પુસ્તક, ઘોડા, બૅગો, રેડિયો, ટી.વી. બધું ય રૂમમાં નવા આયોજનથી ગોઠવવા ઉત્સુક થઈ જાય. રૂટિન જીવનવ્યવસ્થામાં આવી સાદી રીતે ય થોડો નાવીન્ય રસ લાવી શકાય છે, તે જોઈને અમે પણ એવા ફેરફારો અમારા ઘરમાં શરૂ કરેલા!

તેમનું સ્ત્રી-દાક્ષિણ્ય પણ ધ્યાન ખેંચે તેવું. ગૃહિણીનાં રોજબરોજનાં કામોમાં મદદ કરવા તે તત્પર હોય. મહેનતવાળાં થકાવનારાં કામો તો પોતે જ કરે, કોઈ કામનો છોછ નહીં, ગૃહિણીની સગવડ-અગવડ, સલામતી, આરામ, સન્માન બધું સચવાય એ અંગે ડગલે ને પગલે સચિંત દેખાય. રમૂજ અને ક્યારેક હળવી ગમ્મત પણ કરે. સાથે જમવાનું હોય, ત્યારે ભાણાં પીરસાઈ ગયા પછીયે, પત્ની જ્યાં સુધી જમવાનું શરૂ ન કરે ત્યાં સુધી પોતે પ્રથમ કોળિયો પણ હાથમાં ન લે. એમને આમ કરતાં જોઈને અન્યો પણ શિષ્ટાચારે અટકી જતા.

કુમારભાઈ, કામની ગુણવત્તા અને સંતોષકારક પરિણામનો આગ્રહ છોડ્યા વિના, જીવનભર નાનામોટા વિદ્યાર્થીઓના સાહજિક, સમતોલ અને માનવીય શિક્ષણ-ઘડતરની મશાલ લઈને સતત આગળ વધતા જ રહ્યા.

ક્યારેક તેનાં સુખદ પરિણામો જોઈને આનંદ, સંતોષ અને સાર્થકતા પણ અનુભવતા.

પૂરાં પચાસ વર્ષ પહેલાંની વાત. શ્રેયસના બાલગ્રામમાં કાંતા કાનન નામની નાની દીકરી વિચરવા-વિકસવા નિવાસમાં આવેલી. કન્યા ઘણી પ્રાણવાન-શક્તિભરી … એટલે પોતાનાં બાળસહજ પરાક્રમો-તોફાનોથી બધાને મથાવ્યા કરતી. કુમારભાઈએ પણ તેના સ્વસ્થ વિકાસઘડતરમાં રસ લીધેલો. મોટી થઈને ભણીગણીને તે કન્યા બહારના જગતમાં ગઈ. એની રીતે આગળ પણ વધી … અને દક્ષિણમાં શ્રી શ્રી રવિશંકરના બૅંગાલુરુ-આશ્રમે-કેન્દ્રના વ્યવસ્થાપકમંડળની એક કુશળ અને મહત્ત્વની માનનીય સભ્ય બની રહી. તેને વર્ષો બાદ શ્રેયસ અને હેમેન્દ્રભાઈ ખૂબ યાદ આવ્યાં. એણે પ્રયત્નો કરીને સરના સંપર્કનંબરો મેળવ્યા … છેલ્લા દિવસોમાં અચાનક એક દિવસે એ ફોનમાં ટહુકી ! મને ઓળખી ? હું બાળપણમાં તમને બધાને થકવનારી પેલી તોફાની કાંતા કાનન બોલું છું! અને પછી એણે નિરાંતે પોતાની વાતો કરી, કુમારભાઈ દંપતીની વૃદ્ધાવસ્થાની, તબિયતની મુશ્કેલીની વાતો જાણી … તબિયતનાં ખબરઅંતર પૂછ્યા. ઘણા સમયે મળવાનું થતાં થોડી લાગણીશીલ બની … અને પછી કહે – સર, હવે તમારે બીજો કશો જ વિચાર કરવાનો નથી, બીજે ક્યાં ય જવાનું નથી. તમે બંને અહીં અમારાં આશ્રમ-કેન્દ્રમાં રહેવાં આવી જાઓ. તમારી બધી વ્યવસ્થા-જવાબદારી હું જ કરીશ. વિમાનસેવા શરૂ થાય એ માટે આ કોરોનાનું જરા શાંત થવા દો. હું જ તમારા માટે પ્લેનની ટિકિટ બુક કરાવીને જ તમને મારી સાથે લઈ જવા માટે જાતે જ ત્યાં આવીશ. તમે તૈયાર રહેજો. હું ફોન કરીશ અને તમને ગમશે પણ ખરું. બોલો ક્યારે આવો છો? … આ સાંભળી કયો શિક્ષક ધન્યતા ન અનુભવે? કાંતાબહેનને પણ આદરણીય સર અને બહેનને બૅંગાલુરુ લઈ જવાની પોતાની હોંશ અધૂરી રહી ગયાનો અફસોસ તો થશે! 

એમણે એમના પોતાના જીવનના અને શૈક્ષણિક કામગીરીના અનુભવો લખવાનું શરૂ કર્યું હતું. તે પૂરું થઈ શક્યું હોત, તો સારું થાત. પણ ઈશ્વરેચ્છા બલિયસી !

એમના માતૃ-પિતૃ-શ્વશુરપક્ષમાં વિશાળ પરિવારના જનોમાં પણ એ જુદા તરી આવતાં હતાં. તેમના સૌ સ્વજનો માટે હાર્દિક દિલસોજી અને સદ્ગત માટે શાંતિપ્રાર્થના !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 10-11

Loading

માઈન્ડ અને પોલિટકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના અપશુકન ?!

રમેશ ઓઝા|Opinion - Opinion|30 May 2021

ગયા અઠવાડિયે દિલ્હીમાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને દેશને જણાવવામાં આવ્યું હતું કે એ મહત્ત્વની બેઠક હતી. ના, તમે ખોટું વિચારો છો. એ બેઠક કોરોનાનો મુકાબલો કઈ રીતે કરવો કે ચીનનો સામનો કઈ રીતે કરવો એ માટેની નહોતી. ખાડે ગયેલા અર્થતંત્રને કેવી રીતે પાટે ચડાવવું એ માટેની પણ એ બેઠક નહોતી. એ બેઠક હતી આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવવો એ માટેની. એ માટે ખાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને બીજા નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રશ્ન હતો કે કોરોનાના સંકટને મેનેજ કરવામાં મળેલી નિષ્ફળતાને કારણે દેશમાં કેન્દ્ર સરકારે અને ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્નેએ જે રીતે નાક કપાવ્યું છે એ પછી મતદાતાઓને કઈ રીતે રીઝવવા.

મેં મારી કોલમમાં હજુ અઠવાડિયા પહેલાં જ લખ્યું હતું કે ફાસીવાદી શાસકોને શાસનમાં એટલે ધોરણસરના રાજકાજમાં રસ હોતો નથી. તેમની એવી કોઈ પ્રાથમિકતા હોતી નથી અને આવડત પણ હોતી નથી. જો નિષ્ફળતા મળે તો શરમ પણ અનુભવતા નથી. જગતનો ઇતિહાસ આમ કહે છે. જોઈએ તો ઇતિહાસ તપાસી જુઓ.

તેમને રસ હોય છે અપરિપક્વ માનસ ઉપર કબજો કરવામાં અને પરિપક્વ માનસ ધરાવનારા લોકો પાસેથી રાજકીય વિકલ્પ છીનવી લેવામાં. અંગ્રેજીમાં આને ઓક્યુપાઇન્ગ માઈન્ડ સ્પેસ અને ઓક્યુપાઇન્ગ પોલિટિકલ સ્પેસ કહેવામાં આવે છે. જે વિચારે છે, પ્રશ્ન કરે છે, અસંમત થાય છે, વધારે સારા વિકલ્પની શોધ કરે છે તેની પાસે કોઈ રાજકીય વિકલ્પ જ બચવો ન જોઈએ. આને માટે રાજકીય પ્રતિસ્પર્ધીઓને યેનકેન પ્રકારેણ ખતમ કરી નાખવાના. તેમના કાર્યકર્તાઓને, નેતાઓને અને લોકપ્રતિનિધિઓને ખરીદો અને ડરાવો. ચૂંટણીમાં ચૂંટણીપંચને દબાવીને તેમ જ મબલખ રૂપિયા ખર્ચીને વિરોધીઓને તોડી નાખો. ધીરેધીરે વન નેશન વન પાર્ટીની સ્થિતિ પેદા કરવાની જેમ બ્રાઝિલ, તુર્કી અને જગતના બીજા ઘણાં દેશોમાં જોવા મળે છે.

હવે બન્યું છે એવું કે દેશમાં રાજકીય પ્રતિસ્પર્ધીઓની પોલિટિકલ સ્પેસ ખતમ કરવામાં આવે એ પહેલાં કોરોનાનું સંકટ વકર્યું અને એ એટલી હદે વકર્યું કે માઈન્ડ સ્પેસ જાળવી રાખવાની બાબતે પણ પડકાર પેદા થયો છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો આપણું ભલે ધનોતપનોત નીકળી જાય એવું ખારીલું વિકૃત માનસ ધરાવનારા હિંદુઓને છોડીને બાકીના હિંદુઓ વિચારવા લાગ્યા છે કે શાસકો આવા તો ન જ હોય. માણસ જ્યારે વિચારવા લાગે ત્યારે તે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનાં, કહેવાયેલા શબ્દોનાં, છાતી ઠોકીને કરવામાં આવેલા નિવેદનોનાં અને વાયદાઓનાં બિંદુઓને જોડવા લાગે છે. પાંચ વરસ પછી અત્યારે અચાનક નોટબંધીની ચર્ચા નીકળી છે, એ આનું પ્રમાણ છે. લોકો સમગ્રતામાં વિચારતા થયા છે કે સાહેબના શાસનમાં તો શાસનનો જ અભાવ છે. દુનિયા આખી આમ કહે છે અને જગતભરના રાજકીય નિરીક્ષકો એક અવાજે આવા અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ અભિપ્રાયો પણ ભારતમાં લોકો સુધી પહોંચી રહ્યા છે.

આટલું ઓછું હોય એમ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં અને પંચાયતોની ચૂંટણીઓમાં જોઈએ એવી સફળતા મળી નથી. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તો નાક કપાયું છે. ટૂંકમાં માઈન્ડ સ્પેસ અને પોલિટિકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના કારણે અધવચ્ચે અપશુકન થયું છે.

જો ધોરણસરનું શાસન કરનારા ધોરણસરના શાસકો હોત તો સંકટ સામે વિજય મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત. સંકટને દૂર કરવામાં ઉપયોગી થાય એવા માણસોની મદદ લીધી હોત. લોકોનો સામી છાતીએ સામનો કર્યો હોત. રાજ્યોને મદદ કરી હોત. મીડિયા દ્વારા પ્રજા સાથે રોજેરોજ સંવાદ કર્યો હોત. લોકોની ફરિયાદ સાંભળી હોત. વડા પ્રધાન અને બીજા પ્રધાનો ચોવીસે કલાક લોકોની વચ્ચે હોત, જે રીતે ૨૦૧૮માં કેરળમાં આવેલા પૂર વખતે કેરળના મુખ્ય પ્રધાન અને તેમની ટીમ લોકોની વચ્ચે હતા. દરેક પ્રકારના મીડિયાનો પ્રજા સાથે સંવાદ કરવા, તેનું માર્ગદર્શન કરવા અને મનોબળ ટકાવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોત, જે રીતે વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં કર્યું હતું.

પણ આ બધા ધોરણસરના શાસનમાં માનનારા ધોરણસરના શાસકોનાં લક્ષણો છે. આપણા શાસકોને તો લોકો મરી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતવી એની ચિંતા છે. ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક સંઘના નેતાઓ સાથે યોજવામાં આવી હતી. એક તો માઈન્ડ સ્પેસ કબજે કરીને જે ઘેટાંઓને વાડામાં પૂર્યાં છે એ નાસી ન જવાં જોઈએ અને એ માટે સોશ્યલ મીડિયા ઉપર અંકુશ મુકવાની તજવીજ શરૂ કરી છે. વિધિનો ખેલ જુઓ, એક સમયે ઘેટાંઓને વાડામાં પૂરવાં માટે જે માધ્યમોનો ઉપયોગ કર્યો હતો, એ માધ્યમોનો અત્યારે ડર લાગે છે. ‘જે પોષતું તે મારતું -’ એવી કવિ કલાપીની પંક્તિ છે. જે માધ્યમો ઉપર જયજયકાર થતો હતો ત્યાં હવે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે અને ફિટકાર વરસી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોના-ફિયાસ્કોનો લાભ વિરોધ પક્ષોને મળવો ન જોઈએ. જો માઈન્ડ સ્પેસ ઉપરનો કબજો ઢીલો પડે અને વિરોધ પક્ષોને રાજકીય સરસાઈ મળે તો પોલિટિકલ સ્પેસ ઉપરનો કબજો પણ અઘરો થઈ જાય.

કોરોના સંકટનો સામનો કરવાની જગ્યાએ સોશ્યલ મીડિયાની આઝાદી (હકીકતમાં પ્રજાની અભિવ્યક્તિની આઝાદી) ઉપરની તરાપ, વિરોધ કરનારાઓને જેલમાં પૂરવા અને નદીઓમાં શબ વહેતાં હોય ત્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કઈ રીતે જીતવી, એ માટેની તાકીદની બેઠક એવી આ ત્રણ ઘટનાઓને સાથે જુઓ તો શા સંકેત મળે છે? એ જ કે હવે પછીનાં ત્રણ વરસ દેશ માટે અઘરા હશે. આ એવા શાસકો છે જેઓ સત્તા નહીં છોડવા માટે આકાશ-પાતાળ એક કરશે. ઘણું એવું બનશે જેની તમે કલ્પના પણ નહીં  કરી હોય!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 મે 2021

Loading

એલોપથી અને આયુર્વેદઃ વિરોધાભાસ છતાં ય આગવી રીતે પ્રભાવી ઉપચાર પદ્ધતિઓ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 May 2021

આયુર્વેદ અને એલોપથી – બન્ને પોતપોતાની ક્ષમતામાં ઉત્તમ ઉપચાર કે વિજ્ઞાન છે. તે બન્નેની મર્યાદાઓ પણ છે અને અસરકારકતા પણ છે.

રોગચાળાની વરવી અસરો રોજેરોજ આપણે માથે ઝીંકાય છે. કલાકો પી.પી.ઇ. કિટ પહેરીની કામ કરતાં ડૉક્ટર્સ, મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલાં અન્ય લોકોની આપવીતી, તેમને પડતી હાલાકી પણ આપણે સતત સાંભળીએ છીએ. આ બધાંની વચ્ચે દેશના મોખરાના કહી શકાય તેવા એક માણસે જે યોગાચાર્ય, બિઝનેસમેન અને રાજકારણી બધાના વેશ ધરે છે, તેવા રામદેવ બાબાએ વિવાદિત નિવેદન કર્યું. તેમણે એવું કહ્યું કે એલોપથી મૂર્ખતા ભર્યું અને દેવાળિયું વિજ્ઞાન છે, પહેલાં ક્લોરક્વિન ફેઇલ થઇ, પછી રેમડેસિવિર ફેઇલ થઇ પછી એન્ટિબાયોટિક ફેઇલ થઇ, સ્ટૅરોઇડ ફેઇલ થઇ અને પ્લાઝ્મા થેરેપી પણ ફેઇલ થઇ. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને રામદેવ સામે રાજદ્રોહની કાર્યવાહી કરવી જોઇએ. આઇ.એમ.એ. ઉત્તરાખંડે તો રામદેવને ૧,૦૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ફટકારી છે. રામદેવે ‘માફી માગી’ પણ આ નિવેદનથી સ્વાભાવિક છે કે બહુ બધી લાગણીઓને ઠેસ પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રીએ પણ રામદેવને આવો બબડાટ કરવા બદલ ટોક્યા. અહીં રામદેવની, તેના રાજકીય કનેક્શન્સની, તેની જિંદગીમાં થયેલી કેટલીક એવી ઘટનાઓ જેની કોઇ સ્પષ્ટતા હજી સુધી થઇ નથી અથવા તો કેસ દબાવી દેવાયો છે, તેની કે પછી યોગગુરુનો ‘આયુર્વદિક’ ઉત્પાદનો વેચવાનો તોતિંગ બિઝનેસ વગેરેની વાત નથી કરવાની.

પરંતુ સદીઓ જૂના શાસ્ત્ર આયુર્વેદ અને આધુનિક એલોપથી વચ્ચે ચાલતા વિવાદ, વિરોધ, પ્રશ્નો પર એક નજર નાખવાનો પ્રશ્ન છે. અહીં બેમાંથી એકેય ને રદિયો આપવાની, તેની ટીકા કરવાની કે સરખામણી કરીને વત્તા ઓછા માર્ક્સ આપવાની પહેલ પણ નથી. બન્નેનું આપણા દેશમાં એક આગવું સ્થાન છે, તેને લગતી માન્યતાઓ છે, તેની આગવી સફળતા-નિષ્ફળતાઓ અને તેને લગતા પ્રશ્નો પણ છે.

સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જીતનારું તારાશંકર બંદોપાધ્યાયની નવલકથા આરોગ્ય નિકેતન એલોપથીના આગમનથી વિચલિત થયેલા આયુર્વેદાચાર્યના મંથનની વાત બહુ સરસ રીતે કરે છે, તેમાં મૃત્યુની વાત પણ કેન્દ્ર સ્થાને છે. આયુર્વેદનું પોતાનું આગવું સત છે જે નકારી શકાય તેમ નથી. નાડ પારખીને વ્યક્તિની પ્રકૃતિ કહી તેને આધારે દેશી ઔષધીઓ આપી લોકોને સાજા કરનારા વૈદરાજના અસ્તિત્વથી આપણે અજાણ નથી. આયુર્વેદથી થતા ઉપચારમાં સામે ધીરજ જોઇએ કારણ કે ધીરજનો ગુણ હશે તો જ ચૂરણ, ઉકાળા, લેપ વગેરેને પોતાની અસર દેખાડવાનો મોકો મળશે. પરંતુ અત્યારની દોડતી ભાગતી જિંદગીમાં દસમાંથી નવ લોકો પાસે સમયની આ લક્ઝરી નહીં હોય. બદલાતી ઋતુ સાથે થતી અને પંદર દિવસ ચાલતી સળેખમ કે શરદી મટાડવા માટે કાં તો યાદ રાખીને મહિના પહેલાં જ આયુર્વેદાચાર્ચ પાસે જવું પડે કાં તો પછી એલોપથીની રામબાણ એન્ટી એલર્જી દવા લઇને બેઠા થઇ જવાનું હોય કારણ કે નોકરી, ઘર, ટ્રાફિક, રોગચાળો, વર્ક ફ્રોમ હોમ, ન આવતી કામવાળી બાઇઓ જેવું ઘણું બધું મેનેજ કરવાનું હોય છે.

આયુર્વેદ અસરકારક જ છે, અને આ જાણવા માટે આપણને કોઇ ધૂતારાઓની જરૂર નથી કારણ કે આપણે દાદીમાનું વૈદું તો બાબાઓ અને સ્વામીઓ પ્રગટ થયાં તે પહેલેથી સાંભળતા આવ્યાં છીએ. રામદેવે એવો સવાલ કર્યો કે આર્થરાઇટીસ, થાયરોઇડ, માઇગ્રેન, કોલેસ્ટરોલ, કોલાઇટીસ, બ્લડપ્રેશર, અસ્થમા જેવા નોન કોમ્યુનિકેબલ ડિસીઝને કાયમ માટે દૂર કરી શકાય તેવી કોઇ દવા એલોપથી પાસે છે? એલોપથીએ એવો દાવો કર્યો જ નથી કે તે બધું જ ધરમૂળથી દૂર કરી શકે છે, હા પણ એલોપથી પાસે દવાઓ છે, જરૂર પડ્યે સર્જરી કરી શકવાની સવલત-સમજણ-આવડત પણ છે. એલોપથી પર આપણે જે રીતે આધાર રાખીએ છીએ તે તેની અસરકારકતા, વિશ્વસનિયતા સિદ્ધ કરવા માટે પૂરતું છે. સ્વાસ્થયની સ્થિતિને નાણવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે અમુક પ્રકારની શારીરિક સમસ્યાઓ ખડી જ ન થાય તે જ શોધવાનો ઇરાદો હોય છે. પરંતુ વિજ્ઞાન સરળ નથી, તેમાં પણ વર્ષોનો રિસર્ચ જાય છે. આજે લીવર કે હાર્ટ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કોઇ આયુર્વેદાચાર્ય તો નહીં જ કરી શકે. હા પહેલેથી શરીરની કાળજી રાખનારા કે આયુર્વેદિક પદ્ધતિથી જીવન જીવનારાને કદાચ એવી નોબત ન આવે એવું બની શકે છે પણ ફરી એ જ પ્રશ્ન કે અત્યારે જે રીતે લાઇફસ્ટાઇલ – વ્યવસાયી જવાબદારીઓ, જીવનની સામાન્ય ગતિ, સામાન્ય જીવનની તાણ વગેરે જે રીતે વધ્યું છે તેમાં કેટલા લોકો પાસે આયુર્વેદ આધારીત જીવન જીવવા માટે જરૂરી એવું સમયનું ધન ઢગલે ઢગલાં પડ્યું હશે?

એલોપથીએ શું ઉકાળ્યું એવું પૂછનારાઓને કોરોનાવાઇરસથી પિડાતા દરદીઓનો વોર્ડમાં મોકલવા જોઇએ? વાઇરસે તો ડૉક્ટરોને પણ નથી છોડ્યા અને આયુર્વેદિક પદ્ધતિથી જીવનારાઓને પણ નથી છોડ્યા. આમાં રાત દિવસ ધમધમતી હૉસ્પિટલ્સમાં જીવ જોખમમાં મૂકીને કામ કરનારાઓ પર સવાલ ઉઠાવવો યોગ્ય છે?

એલોપેથીના પ્રશ્નો નથી એવું ય નથી. આપણને તોતિંગ બિલ, હૉસ્પિટલ્સમાં થતા કૌભાંડ, જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકાવીને બિલનો આંકડો વધારનારા ડૉક્ટર્સની ખોટી પ્રેક્ટિસ, અંગોની દાણચોરી જેવું ઘણું બધું ખબર છે. સ્પેનિશ ફ્લૂ આજથી ૧૦૩ વર્ષ પહેલાં થયો હતો, તે સમયે જે સંજોગો હતા તેનાં કરતાં આજે તો આધુનિકીકરણ ઘણાં આયામો પાર કરી ચૂક્યું છે પણ છતાં ય આખી દુનિયાના ડૉક્ટર્સ હજી પણ વાઇરસ સામે ઝઝૂમી રહ્યા છે. તેની સામે મક્કમતાથી લડી શકે તેવી દવાઓની રિસર્ચ પર બમણાં જોરથી કામ શરૂ થઇ ગયું. એવી બૂમો પણ સાંભળવા મળે છે કે ડૉક્ટરોને જ નથી ખબર કે શું સારવાર કરવી અથવા તો તે અંગે હજી કોઇ સ્પષ્ટતા એલોપથી પાસે છે જ નહીં. પણ છતાં ય ૧૦૦ વર્ષનાં દરદીઓ પણ બેઠાં થયાં છે તો ૩૫ વર્ષનાં માણસે પણ વાઇરસને કારણે જીવ ગુમાવ્યો છે. એલોપથી પાસે બધી જ બિમારીઓના રામબાણ ઇલાજ છે એવું ય નથી કારણ કે એ સતત ઇવોલ્વ થતું વિજ્ઞાન છે, તેમાં સંશોધનો ચાલુ રહે છે. બીજી તરફ આયુર્વેદમાં અમુક બાબતો સદીઓથી ચાલતી આવી છે, તે બદલાઇ જ નથી પણ છતાં ય કટોકટીને સમયે તો આપણે ડૉક્ટર પાસે જવાનું પસંદ કરીએ, ત્યારે જડીબુટ્ટી કૂટવાનું ન પોસાય તે સ્વાભાવિક છે.

બાય ધી વેઃ

વિજ્ઞાન, માણસનું શરીર અને જીવન જીવવામાં આવેલા પરિવર્તનો બધું આપણે ધારી શકીએ કે નાણી શકીએ તેના કરતાં કંઇક ગણું સંકૂલ છે. આયુર્વેદ અને એલોપથી – બન્ને પોતપોતાની ક્ષમતામાં ઉત્તમ ઉપચાર કે વિજ્ઞાન છે. તે બન્નેની મર્યાદાઓ પણ છે અને અસરકારકતા પણ છે. રામદેવ જે પતાંજલીના ધંધાને નામે ઠેકડા મારે છે તે પતાંજલી જે ૨જી કે ૫મી સદીમાં થઇ ગયા હતા, તેમને આયુર્વેદ સાથે કંઇ લેવાદેવા નહોતી, તે ચાર ભાગમાં લખાયેલ યોગ સૂત્ર અને મહાભાષ્યના જ ભાષા અને વ્યાકરણનું પુસ્તક હતું તેના રચયિતા હતા. બીજું તો એ કે આપણા દેશમાં રિસર્ચ ક્ષેત્રે વધુ રિસોર્સિઝ કામે લગાડાય તે જરૂરી છે. બાકી શાસ્ત્ર, વિજ્ઞાન બધું પોતાની રીતે બરાબર છે, સમયની માગ પ્રમાણે અનુસરવું રહ્યું અને બાવા-સ્વામી-બાબાઓથી દૂર રહેવામાં સ્વાસ્થ્યની સાચી ચાવી રહેલી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  30 મે 2021 

Loading

...102030...1,9081,9091,9101,911...1,9201,9301,940...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved