Opinion Magazine
Number of visits: 9674824
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવતા જીવતા મરી રહેલા માણસો

રમણીક અગ્રાવત|Opinion - Opinion|17 September 2021

સાહિત્યનો ૨૦૧૯નો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિંદી લેખક ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારી પોતાની આત્મકથા ‘અસ્તિ ઔર ભવતિ’ના એક પ્રકરણ ‘સપને મેં ગાઁવ’માં લખે છે :

“તરાઈક્ષેત્રના આ નાનકડા ગામમાં મારા દાદાના દાદા રામદત્ત તિવારી આવ્યા હતા. પોતાના એક માત્ર પુત્ર ઝઘરું અને પત્ની સાથે. ચોક્કસ સમય તો નથી મળતો પણ અનુમાન મુજબ ૧૮૫૭થી ૧૮૮૦ વચ્ચેની વાત છે. એ પહેલાં અમારા પૂર્વજ અહિરૌલી ગામમાં (નૂનખાર અને ભટની રેલવે સ્ટેશનની નજીક) કેટલા દિવસ રહ્યા અને એની પણ પહેલાં પિંડ-નદૌની ગામમાં કેટલા દિવસ રહ્યા, એ બધું હું નથી જાણતો. હું તો અહીં જ – ભેડીહારીમાં જન્મ્યો અને એને જ જાણું છું. આ મારું ગામ છે અને એનાં માટી, પાણી, તડકો, હવાથી બન્યો છું હું. અહીંની ઋતુ અને જળવાયુ મારા સ્વભાવ મુજબ આત્યંતિક નથી. ન અતિગરમી, ન અતિઠંડી, ન અતિવૃષ્ટિ. દરેક ઋતુનો માપસરનો પ્રસાદ મળતો રહ્યો છે. ચારે ય બાજુ ઘટ્ટ લીલોતરી છે, આંબાના બગીચા છે, ભૂમિ નરમ છે. માટી ફળદ્રુપ છે. શાસનવ્યવસ્થા દ્વારા ભલે આ ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું હોય, પ્રકૃતિની કૃપા વરસી છે એના પર. અહીંનો મુખ્ય પાક શેરડી, ચોખા અને ઘઉં. મારા બાળપણમાં કોદરા, તાંદળા, મોટો બાજરો, જુવાર, બાજરી, જવ, અડદ, મકાઈ વગેરે ધાન્ય અહીં ઊગતું. પણ હવે એ અદૃશ્ય થઈ રહ્યું છે. આમ થવા પાછળનું કારણ જંતુનાશક દવાઓ તો છે જ, ધન કમાવાની લાલસા પણ ખરી. વૈશ્વિકીકરણની બજારવ્યવસ્થામાં ચોખાની અનેક દુર્લભ જાતો અદૃશ્ય થઈ ગઈ છે – કનકજીર, બહરની, બાસમતી, મરચાં વગેરે ચોખાની જાતો તો મારા ખેતરમાં જ ઊગતી હતી. હવે તો એની સોડમની સ્મૃતિ માત્ર બચી છે.  જેમજેમ કૃષિયુગ ઔદ્યોગિક અને યાંત્રિક યુગમાં બદલાઈ રહ્યો છે, તેમતેમ પશુપંખીઓ પણ નવા પરિવેશમાં ગાયબ થઈ રહ્યાં છે. ”

એક લેખકની ચેતના આ ફેરફારોને જોઈ શકી છે. નોંધી શકી છે. બાકી તો સમયના પ્રવાહમાં કેટકેટલું વણનોંધાયું વહ્યાં કરે છે. બધાં બધું જોઈ શકતાં નથી. પોતાના પગને માપે ચાલ્યા કરવાનું બસ! પણ સમયમાં જે ‘બની’ રહ્યું છે, તે રોક્યું રોકાતું નથી. આમ, દડમજલ કરતાં-કરતાં આ સમયમાં આવીએ છીએ, ત્યાં ચોતરફ ‘ગ્લૉબલવૉર્મિંગ’ની બુમરાણ મચી છે. આ ખોટી બીક છે કે ખરી ચેતવણી છે? છેલ્લા કેટલા ય દાયકાઓથી ઋતુઓને સેળ ભેળ થતી આપણે જ જોઈ છે. જે પ્રકૃતિ આપણને ન્યાલ કરતી હતી, તેનાં જ રૌદ્ર રૂપોને આપણે ખુદ જોઈ શકીએ  છીએ.

પ્રકૃતિનાં બાકીનાં ચેતન તત્ત્વો ગ્લોબલ વૉર્મિંગની અસર અનુરૂપ સ્વયંને ઢાળવા લાગ્યા છે.  તેમણે બદલાઈ રહેલા તાપમાનની પેટર્ન સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની શરૂઆત કરી દીધી છે. આ વાત વિજ્ઞાનીઓના ધ્યાનમાં આવી છે. અન્નસુરક્ષા પર ગ્લોબલવોર્મિંગની થનારી અસરને માપવા માટે કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાયું છે કે કૃષિપેદાશો બદલાતાં હવામાન અનુસાર સ્વયંને ઢાળવાના પ્રયાસો કરી રહી છે. અમેરિકાના કૃષિવિભાગના એક વિજ્ઞાની લુઇસ એસ. જિસ્કાએ ચોખા પર કરેલા સંશોધન-અભ્યાસમાં તેને જણાયું છે કે કૃષિપેદાશોમાં બદલાવ થવા લાગ્યો છે. અભ્યાસમાં તેને જાણવા મળ્યું કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણને લીધે ચોખાના દાણાનું રાસાયણિક બંધારણ બદલાવા લાગ્યું છે. આ અભ્યાસ માટે તેમણે ચીન અને જાપાનના એવા વિસ્તારોમાં સંશોધન કર્યું કે જ્યાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીમાં ઘણું વધારે હતું. આવું સ્થળ પસંદ કરવાનું કારણ એ કે જે રીતે આ સમસ્યા સમગ્ર વિશ્વમાં પ્રબળ બની રહી છે, એ જોતાં આવનારા દિવસોમાં બાકીના ભાગોની હાલત પણ એવી જ થવાની છે. વિજ્ઞાનીઓની ટીમે એ વિસ્તારમાં પેદા થતા અનાજની ૧૮ જાતોનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને તેમને જણાયું કે આ અનાજની જાતોમાં માત્ર પ્રોટીન જ નહીં, આયર્ન અને ઝિંક જેવાં તત્ત્વો પણ ઓછાં થઈ ગયાં છે. એટલું જ નહીં તેમાં મળતા બી૧, બી૨, બી૫ વિટામિનોના પ્રમાણમાં પણ ભારે ઘટાડો થયો છે. બીજી રસપ્રદ વાત એ જણાઈ છે કે એ બધા અનાજમાં વિટામિન ઈનું પ્રમાણ વધી ગયું છે. અનાજ પર કરવામાં આવેલું આ સંશોધન મહત્ત્વનું એટલા માટે છે કે વિશ્વના બે અબજ લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. મતલબ અનાજના રાસાયણિક સંયોજનમાં બદલાવ થશે, તો તેની અસર વ્યાપક જનસમુદાય પર પડશે.  બની શકે કે અત્યાર સુધી આપણને બીમારીઓથી બચાવતાં હતાં તે જૈવરસાયણો પણ ઘટી જાય.  પ્રાયોગિક ધોરણે કરાયેલું આ સંશોધન આપણી ખાદ્યસામગ્રી અંગેની મુસીબતનો વ્યાપ વધશે, તેનો સંકેત આપે છે.

આ સંશોધનનો સાર એ છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ આ રીતે વધતું જ રહેશે તો જે ખાદ્યપદાર્થોથી આપણું જીવન ચલાયમાન છે, તેમાં રહેલાં પોષક તત્ત્વોમાં ઘટાડો થતો જશે. એ ખાદ્યપદાર્થોની પોષણક્ષમતા અગાઉના જેવી નહીં રહે. તેનો સ્વાદ બદલાઈ જવાની દહેશત પણ છે.

ક્યાંક ઉનાળાની ભીષણતા, ક્યાંક ચોમાસાનું રૌદ્ર રૂપ, ક્યાંક પવનનું તાંડવ, ક્યાંક શિયાળાનો વિદ્રુપ સકંજો, ગ્લોબલ વૉર્મિંગને કારણે બીજું શું-શું થશે એની ચિંતા કરીએ કે ન કરીએ, એની વ્યાપક અસરોથી કોઈ બચી શકવાનું નથી.

E-mail : rgagrawat@gnfc.in

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 11

Loading

દેડિયાપાડાનો વન-અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની

મુનિ દવે|Opinion - Opinion|17 September 2021

આ બહુ રસપ્રદ અહેવાલ છે. આર્ચ સંસ્થાએ કરેલાં કામોનું તુપ્તિ પારેખે બહુ સરસ દસ્તાવેજીકરણ કર્યુ છે. તેમની ધીરજ, નિષ્ફળતા પચાવવાની શક્તિ, લીધેલાં કામોમાં વર્ષો સુધી મંડ્યા રહેવાની ધગશ, દરેક કાયદાનો ઊંડાણથી અભ્યાસ, સરકારી યોજનાઓની આંટીઘૂંટી સમજવી, એ બધું અભિનંદનને પાત્ર છે. આદિવાસીઓ તેમની માણસ તરીકેની સહજ જીવન જીવવા માટેની લઘુતમ જરૂરિયાતો સાથે જીવી શકે તેવાં કામોમાં જે અવરોધો આવે છે તે સામાન્ય રીતે નિરાશા, ઉશ્કેરાટ, ગુસ્સો, જગાડે તેવાં છે.

આ અવરોધો વિવિધ પ્રકારના છે, જેવા કે સરકારી અધિકારીઓની વ્યક્તિગત અસંવેદનશીલતા અને નફ્‌ફટાઈ; ક્યારેક તેમના રાજકારણી સાહેબોને કારણે દેખાતી બેફિકરાઈ; જંગલખાતાની અને તેમની સાથે ભળેલા પોલીસખાતાની જોહુકમી; અત્યંત ગરીબ, અધભૂખ્યા, અભણ, દબાયેલા, કોઈ પ્રકારની સગવડોથી વંચિત,  કાયદાઓ અને અધિકારોથી અજાણ, સરકારી અધિકારીઓ સામે બોલવાની હિંમતનો સદંતર અભાવ ધરાવતા આદિવાસીઓ, વિવિધ કાયદાઓ અને તેનું અર્થઘટન; (તૃપ્તિબહેને તે માટે એલ.એલ.બી. કર્યું.), સરકારની વિવિધ યોજનાઓને સમજવી અને તેનું અમલીકરણ આ સરકારી તંત્ર પાસે કરાવવું; સરકાર પોતાના હિત માટે જંગલને રીંછનું અભયારણ્ય જાહેર કરી દે અને જ્યારે જરૂર પડે ત્યારે અભયારણ્યનો વિસ્તાર વધારી દે; માંડ ગાડી પાટે ચડે, નિયમાનુસાર કામ કરવાની તૈયારી થાય, ત્યાં જે-તે સક્રિય અને મદદ કરવા ઇચ્છુક અધિકારીની બદલી થઈ જાય અથવા કરાવી દેવામાં આવે; બહુ ઓછા અધિકારીઓને નિયમસર કામ કરવામાં રસ હોય અથવા પોતાના માણસો પાસે કામ કરાવવાની આવડત હોય; સરકારી તંત્રની ગોકળગાયની ગતિએ થતી કામગીરી; સરકારી ખાતાંઓ દ્વારા ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ (આદિવાસી પોતાના જંગલમાંથી બેચાર વાંસ લે તો ગુનો બને અને સરકાર પેપરમિલોને બધા વાંસ કાપી જવાની છૂટ આપી પૈસા કમાય); હાઈકોર્ટનો ચુકાદો સરકાર ધરાર ન સ્વીકારે; તે વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્ય તરફથી ભાગ્યે જ કોઈ મદદ મળે; દરેક વખતે આદિવાસીઓની મુશ્કેલી સમજી શકે તેટલા સંવેદનશીલ કોર્ટના જજો ના હોય; નવો કાયદો બને તો વર્ષો સુધી તેના નિયમો ના બને અને એટલે કાયદાનો અમલ ન થાય; સરકારી અને ઔદ્યોગિક કાર્યોમાં અવરોધ ઊભો કરવાના ગુના રૂપે આ કર્મશીલોને જેલ થાય, માર પડે કે હત્યાની ધમકી અપાય, વગેરે.

એવું લાગે કે જાણે આ કર્મશીલો સાપસીડીની રમતમાં હોય. મહામહેનતે ૯૮ નંબરના ખાનામાં પહોંચે, ત્યારે ત્યાં સરકારી (રાજકારણીઓ, અધિકારીઓ, કોર્ટ, સમગ્ર તંત્ર) નીંભરતાનો સાપ મોઢું ખોલીને બેઠો હોય, જે ૨ નંબરના ખાનામાં પહોંચાડી દે. આથી ફરી એકડેએકથી શરૂઆત કરવાની. આ બધું છતાં ૩૦થી વધુ વર્ષો સુધી આદિવાસીઓને તેમના મૂળભૂત હકો મળે તે માટે લડતા રહેવું એ અજાયબીભર્યું લાગે છે.

આ કામોની વિશેષતા એ છે કે એ સંપૂર્ણપણે અહિંસક આંદોલન છે. ધરણાં અને સરઘસોમાં ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ આદિવાસીઓ આવે તેમ છતાં આટલાં વર્ષોમાં ક્યારે ય એક કાંકરીચાળો સુધ્ધાં નથી થયો. જે કોઈ ફરિયાદ કે અરજી થાય તેમાં શક્ય તેટલું વાસ્તવિક સત્ય પકડી રાખવાનો આગ્રહ. કોઈ વાત વધારીને કે કાલ્પનિક નહીં કહેવાની કે લખવાની. કોઈ સરકારી વ્યક્તિ કે અધિકારીનો દ્વેષ નહીં કરવાનો કે ના કોઈ પ્રકારની વૈરવૃત્તિ નહીં રાખવાની. ભાષા એકદમ સભ્ય રાખવાની.

૧૯૮૦ની સાલ સુધી – એટલે કે આઝાદીનાં ૩૦ વર્ષ બાદ પણ દેડિયાપાડા વિસ્તારના આદિવાસીઓની હાલત કેવી હતી જે આદિવાસીઓ એ જમીન પર ચાર-પાંચ પેઢીઓથી વસેલા હતા, તેમની પાસે એ જંગલની જમીનનો કે ઊપજનો પોતાના જીવનનિર્વાહ માટે (પેટ ભરવા થોડી જમીન પર ખેતી કરવી, કંદમૂળ કે જંગલી ફળોનો ખાવા માટે ઉપયોગ કરવો, વાંસ, કે અન્ય લાકડાંનો ઉપયોગ પોતાનું ઘર બનાવવા કરવો, ટીમરુનાં પાન ભેગાં કરી બે પૈસા રળવા) ઉપયોગ કરવાનો અધિકાર નહોતો. જ્યારે આવું કરતા જંગલના ગાર્ડ જોઈ જાય, તો ઢોરમાર મારે, તેમના બળદો ઉપાડી જાય, લાંચ માટે તેમની પાસેથી પૈસા ઉપરાંત મરઘાં કે બકરાં લઈ જાય, તેમનાં ખેતરોને ખોદી નાખી તેમાં વૃક્ષો વાવી જાય. આ કારણે કોઈ પૅન્ટશર્ટ પહેરેલો માણસ દૂરથી આવતો દેખાય, તો લોકો ઘર છોડી જંગલમાં સંતાઈ જાય. સરદારસરોવર બનાવતી વખતે ઘણું જંગલ ડૂબમાં ગયેલું હોવાથી આંતરરાષ્ટ્રિય સ્તરે બુમરાણ થયેલી, આથી સરકારે બાજુના જંગલને રીંછોનું અભયારણ્ય જાહેર કરી દીધું. એટલે ત્યાં રસ્તાઓ ના બને, વીજળીના તારો ન નંખાય. તેની જમીનમાં ખેતી ન થઈ શકે, આથી કિસાન તરીકેના કોઈ લાભો એ આદિવાસીઓને ન મળ્યા. તે દિવસોમાં કોઈ આદિવાસીની હિંમત નહોતી કે જંગલના ગાર્ડ કે અધિકારીઓ સામે આંખ મેળવી વાત કરી શકે.

૩૦ વર્ષો સુધી આર્ચ અને તેવી અનેક સંસ્થાઓએ ગુજરાતમાં અને દેશભરમાં આદિવાસીઓના હકો માટે જે લડત ચલાવી. તેને કારણે પછીથી સંસદે વન-અધિકાર કાયદો બનાવ્યો અને આદિવાસીઓને તેમના અધિકારો મળ્યા. પણ કોઈ રાજ્યસરકારો કે જંગલખાતાના અધિકારીઓ તેને અમલમાં મૂકવા માટે તૈયાર નહોતા. તેની સામે સતત લડવું પડ્યું. કેટલીયે વાર અદાલતોનો આશરો લેવો પડ્યો. ધરણાં અને રેલીઓ કરવા પડ્યાં. ધરપકડો વહોરવી પડી. (ને આજના સમયમાં આવા ઘણા કર્મશીલોને અર્બન નક્સલ કે માઓવાદીના બિરુદ સાથે UAPA કાયદા હેઠળ જેલમાં મહિનાઓ-વર્ષો સુધી રહેવું પડ્યું છે.) ૨૦૧૮માં, એટલે કે ૩૦ વર્ષ પછી આજે આ આદિવાસીઓ પાસે કાયદેસર પોતાની જમીનો છે. તેમની પાસે કિસાન ક્રૅડિટકાર્ડ છે. જંગલના વાંસ પર તેમનો અધિકાર છે. સરકારની રાહ જોયા વગર તેમણે જાતે રસ્તાઓ બનાવી લીધા છે. હવે ફોરેસ્ટ ઓફિસરને આદિવાસી સ્ત્રી કહી શકે છે કે “સાહેબ, તમારે તો નોકરી છે. તમે તો કામ કરશો કે નહીં કરો, દર મહિને તમને તો પગાર મળી જશે, પણ અમારી પાસે બેઠોપગાર થોડો આવવાનો છે? અમે તો ખેતી અને મજૂરી કરીશું, ત્યારે અમારાં છોકરાંવને ખવડાવી શકીશું.” હવે જંગલખાતું જો તેમના બળદો ઉપાડી જાય, તો ૫૦ લોકોનું ટોળું જઈને છોડાવી લાવે છે અને જંગલના ગાર્ડ બિચારા થઈને જોઈ રહે છે. હવે ત્યાંની બનાવેલી આદિવાસી ગ્રામસભા વાંસ અને ટીમરુ પાનનાં વેચાણ માટે લાખોના સોદા જાતે કરે છે. હવે તેમનાં યુવાન છોકરા-છોકરીઓ અંગ્રેજી અને કમ્પ્યૂટર શીખે છે. આ જાગૃતિ કોઈ રાજકીય પક્ષોને ગમતી નથી, એટલે બધી બિનસરકારી સંસ્થાઓ (NGOs) પર દબાણ વધારે છે. તેમને મત ગુજરાતમાં નક્સલવાદ આવ્યો નથી, તેનું મુખ્ય કારણ આ એન.જી.ઓ. છે જે આદિવાસીઓનાં શિક્ષણ, આરોગ્ય અને તેમના જીવન જીવવાના અધિકારો માટે વરસોથી કામ કરે છે.

આદિવાસીઓના વિકાસની આ પ્રક્રિયાઓ સાથે બીજી એક વાત પણ વિચારવા જેવી લાગે છે.

હમણાં એક સરસ પુસ્તક ધ્યાન પર આવ્યું. The paradox of rural development in India’ – Suresh Suratvala એ પુસ્તકમાં એક મહત્ત્વનો મુદ્દો સુરેશભાઈએ રજૂ કર્યો છે : છેવાડાના માણસોનો આર્થિક વિકાસ થાય, તેમના હાથમાં પૈસો આવે, આવે તેની સાથે જે બદીઓ આવે છે અને તે જાણ્યા પછી એ વિચાર આવે કે શું આને વિકાસ કહેવો ? ગરીબ, ભોળો, નિષ્પાપ માણસ પૈસો હાથમાં આવતા શહેરી લોકો જેવો સ્વાર્થી, જમીનથી અળગો, લોભી, શરીર શ્રમથી દૂર થઈ જાય અને ઘણાં વચેટિયાઓ, વ્યાજખોરો એ સમાજમાં આવી જાય, તેને અટકાવવાનો કોઈ ઉપાય ખરો ? લોકોનો વિકાસ કરવામાં આપણાથી કઈ ભૂલો થઈ?

આ રીતે વિચારતા, આપણે કરેલાં અને આપણાથી થયેલાં કામોની સફળતા માપવાનો વધુ એક આધાર મળી શકે. વિનોબાજીએ કહ્યું છે કે “તમે કેટલા કૂવા બનાવ્યા, કેટલા લોકોને રોજગારી આપી તેના આંકડા આપો છો એ સારી બાબતો છે, પણ એથી લોકોમાં સંતોષ વધ્યો ? તેનું માપ કાઢ્યું ? જો સંતોષ ના વધ્યો તો આ બધાથી શું ફાયદો થશે?”

આપણો અનુભવ છે કે પૈસો વધવાની સાથે આપણો અસંતોષ (મૅનેજમેન્ટમાં એને Creative Tension  જેવું રૂપકડું નામ આપ્યું છે.) વધતો જાય છે. હવે એ આદિવાસીઓને પણ શહેરના લોકોની જેમ જીવવાનું મન થશે, તેમનાં જેવી સુખસગવડો, સાધનો જોઈશે. અને એવું થાય તે સ્વાભાવિક જ છે. સુરેશભાઈએ પૂછેલો આ બહુ અગત્યનો અને ગંભીર પ્રશ્ન છે, જેનો ઉકેલ કદાચ કોઈ પાસે નથી. પણ એ વિષે ચર્ચા તો ચાલુ કરવી જોઈએ.

આજકાલ જ્યારે વિકાસનો અર્થ મોટા ફલાયઓવરો, બુલેટટ્રેન, વિશાળ હાઈવે, ઊંચાં પૂતળાં કે વિશ્વનાં સૌથી મોટાં સ્ટેડિયમ, વગેરે થઈ ગયો છે. ત્યારે આપણે તૃપ્તિબહેનનો આભાર માનીએ કે આપણા જેવા શહેરના લોકોને માટે અજાણ્યા એવા ભારતનો અને તેમાં એક બિનસરકારી સંસ્થા દ્વારા થતાં આવાં ‘વિકાસ’કાર્યોનો પરિચય કરાવ્યો. આ વિકાસનો અર્થ સમજવાની આપણને જરૂર છે.

વધુ વિગત અને પુસ્તક માટે સંપર્ક : ARCH – Action Research In Community Health and Development, સહયોગ રાશિ: ૧૫૦/- : email: truptiparekh1@hotmail.com, m_ambrish@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 12-13

Loading

પાડ માનો ડેલ્ટા વેરિયન્ટનો

જાગૃત ગાડીત|Opinion - Opinion|17 September 2021

એલ્વિન ટોફલરને ખબર નહીં હોય કે ત્રીજી લહેર એકવીસમી સદીના એકવીસમા વર્ષમાં ભારત દેશમાં આટલી પ્રસિદ્ધ થશે. ટોફલરની ત્રીજીની જેમ જ આપણી ત્રીજી પણ ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થશે, એ કળવું મુશ્કેલ છે.

લહેર (કે વેવ) સમુદ્રમાં ઊછળતાં મોજાં અને ત્સુનામી જેવાં દૃશ્યો લોકોની કલ્પનામાં લાવે છે. પહેલી કરતાં બીજી ખતરનાક અને બીજી કરતાં ત્રીજી ? એકથી વધુ વખત પરણેલાના વિચાર જેવું લાગે. પણ શું પહેલી કરતાં બીજી ખતરનાક હતી ? ત્રીજી શું આવશે ? આ ફલાણા અને ઢીંકણા મ્યુટન્ટ અને વેરિયન્ટ શું બલા છે? સારી વાત એ છે કે આ બધી ચિંતા છોડીને લોકો હવે મંદિરો અને ફરવાની જગ્યાએ ભીડ કરવા માંડ્યાં છે.

આ લહેરો થોડા સાદા ટેક્‌નિકલ વિચારથી સમજી શકાય. વાઇરસ અને શરીર એકબીજાં સાથે લડતા નથી, અનુકૂલન (adaptation) સાધે છે. આ દ્વિપક્ષી અનુકૂલનની પ્રક્રિયા સમજવા જેવી છે. અનુકૂલન બચાવ(survival)ની દિશામાં હોય છે. કોઈ પણ જીવંત પ્રણાલી પોતાના બચાવ અને સંવર્ધન માટે સતત ઉત્સુક અને પ્રવૃત્ત હોય છે.

પ્રજાતિના સ્તરે, બચવાની સંભાવના (survival probability) નવી પેઢી પેદા કરવાની ક્ષમતા, (reproductive fitness) પર આધારિત છે. વાયરસની આ fitness, રહેવા માટે કેટલાં સારાં અને સુરક્ષિત સ્થાન પ્રાપ્ત કરી શકે એના પર ખાસ આધારિત છે. વાઇરસ માટે આપણું શરીર ઘર (કે ગેસ્ટહાઉસ કે રિસોર્ટ!) છે, જ્યાં એ આરામથી નવી પેઢીઓ પેદા કરવા ઇચ્છે છે.

આ સાથે સંકળાયેલો બીજો મુદ્દો genetic mutationનો છે. આ કોઇ પણ સજીવમાં ચાલતી મહદંશે યાદૃચ્છિક (random) કુદરતી પ્રક્રિયા છે. વાઇરસ અતિ સૂક્ષ્મ હોવાથી એમાં આ પ્રક્રિયા આપણી ટાઇમફ્રેમ પ્રમાણે ઘણી ઝડપથી થાય છે. એક ઘરમાંથી બીજા ઘરમાં (શરીરમાં) જતાં વાઇરસ થોડાઘણા અંશે બદલાતા રહે છે. અત્યાર સુધી SARSCovid2ના હજારો વેરિયન્ટનો જીન સિક્વન્સ ઘણા ડેટાબેઝમાં સંગ્રહાયેલા છે.

એ રીતે પેદા થતા ઢગલો વેરિયન્ટમાંથી કયા વધુ ફેલાઈ શકશે એ સમજવા ડાર્વિનિયન ઉત્ક્રાંતિનો ‘સર્વાઇકલ ઑફ ધ ફિટેસ્ટ’ ખ્યાલ ઉપયોગી છે, જે વેરિયન્ટની reproductive fitness વધુ તે વધુ ફેલાશે. આ ફિટનેસ શેના પર આધારિત છે ? વાઇરસ શરીરમાં ઘૂસે એટલે તરત રહેવાની જગ્યા મળી ગઈ એમ નથી. એણે શરીરના કોઈ કોષનું કવચ (membrane) ભેદીને અંદર પ્રવેશવું પડે. આપણે ગેસ્ટહાઉસ કે રિસોર્ટમાં રૂમની ચાવી મેળવવી પડે તેમ.

Reproductive fitnessનો એક ભાગ આ ચાવી કેટલું ફટાફટ તાળું ખોલે એ છે. છેલ્લા વર્ષમાં spikeprotein જેવા શબ્દો કાને પડ્યા હોય તો તે આ ચાવીની વાત છે. ડેલ્ટાવેરિયન્ટ પાસે માનો રિસોર્ટની માસ્ટરકી આવી ગઈ.

પણ આ ફિટનેસનો બીજો અને વધુ મહત્ત્વનો ભાગ યજમાનનો પ્રતિભાવ (રોગનાં લક્ષણો) છે. જો પ્રતિભાવ આકરો હોય અને યજમાન તે જીરવી ન શકે, તો વાઇરસનું ઘર છીનવાઈ જાય. આપણે મરીએ તેમાં એનો ફાયદો નથી, નુકસાન છે. પણ જો વાઇરસ સાથે યજમાન હળવાં લક્ષણો કે લક્ષણો વગર હરતોફરતો / હરતીફરતી રહી શકે, તો વાઇરસનું વર્તમાન ઘર સુરક્ષિત રહે અને અન્ય નવાં ઘરોમાં દાખલ થવાની તક મળ્યા કરે. આમ, હળવાં લક્ષણો પેદા કરનાર વાઇરસની reproductive fitness ઘાતક વાઇરસ કરતાં ઘણી વધી જાય છે અને તે વધુ ફેલાઈ શકે છે.

વાઇરસ કેટલા પ્રમાણમાં ફેલાય (ineffectivity) તેના માપને epidemiologists ‘ઇ નંબર’ કહે છે – ચેપ લાગેલ એક વ્યક્તિ સરેરાશ બીજા કેટલાને ચેપ લગાડી શકે. ચેપ કેટલો આકરો (ઘાતક) છે, તેનો અંદાજ CFR (case fatality rate) – રોગ થયેલા કેટલા ટકા કેસ મૃત્યુ પામે છે – પરથી આવે છે. વાચકો છેલ્લાં એકદોઢ વર્ષમાં આ પરિભાષાથી પરિચિત થયા જ હશે.

વધારે CFR વાઇરસના ફેલાવાની તકો ઓછી કરતો હોવાથી તેની reproductive fitness અને તેથી survival probability ઘટાડે છે. ટૂંકમાં, CFR અને R number એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે. આમાં અપવાદ શક્ય નથી. હળવો રોગ પેદા કરનાર વેરિયન્ટ જ વધુ ફેલાઈ શકે. અથવા વેરિયન્ટ જેટલો ઘાતક તેટલો ઓછો ફેલાય. SARS, MERS, Ebola, Dengue વગેરે covid કરતાં વધુ ઘાતક (ઊંચો CFR) અને તેના કરતાં ઓછા ફેલાય (ઓછો R number) છે.

પહેલી લહેરવાળો વાઇરસ પણ SARS, MERS, Ebola વગેરે કરતાં ઘણો હળવો હતો, માટે વધુ ચેપી છે. ડેલ્ટાવેરિયન્ટ તેના કરતાં પણ હળવો રોગ પેદા કરતો હોવાથી તેનાથી પણ વધુ ફેલાયો. હું જાણું છું, આ વાત બધાને તરત ગળે નહીં ઊતરે. ડેલ્ટાવેરિયન્ટ બહુ ખતરનાક છે, એવી છાપ બની ગઈ છે. પણ એનો R number એટલો ઊંચો હતો કે ઘટેલા CFR સાથે પણ મૃત્યુ આંક ઘણો ઊંચો રહ્યો. ઘણાં મોત ભય, આતંક, અફડાતફડી, મિસમૅનેજમેન્ટ અને બિનજરૂરી સારવારથી નીપજ્યાં, માટે સાચો CFR મેળવવો પણ શક્ય નથી. સાચો CFR ઇલાજ અને રસીકરણ વગરના કેસ પરથી જ ગણી શકાય.

R number વિશે વિશ્વાસથી કહી શકાય, કારણ રોજના ચાર લાખ જેટલા ઑફિશિયલ કેસ નોંધાયા અને બીજી લહેર પહેલાં અને પછીના seroprevalence(કેટલા ટકા લોકો ઍન્ટિબૉડીઝ ધરાવે છે)માં મોટો ફરક પડી ગયો. પહેલી લહેરના એક વર્ષ પછી જે seroprevalence માંડ પંદરવીસ ટકા પર હતું, તે બીજી લહેરના ત્રણ મહિનામાં જ આશરે સિત્તેર ટકાએ પહોંચ્યું. અત્યારે આશરે એંસી-પંચ્યાસી જેવું હશે. આમ, અત્યાર સુધી મોટા ભાગના લોકો કુદરતી રીતે જ, વાઇરસની પ્રત્યક્ષ મુલાકાતથી ઇમ્યુનિટી મેળવી ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં રસીકરણ માંડ પંદરવીસ ટકાનું થયું છે. ડેલ્ટાવેરિયન્ટ ઘણો ઉપકારક બન્યો.

આટલું seroprevalence લગભગ હર્ડ ઇમ્યુનિટીનું લેવલ છે. તે પછી ત્સુનામી જેવી લહેર આવવાની શક્યતા રહેતી નથી. રસીકરણનું મહત્ત્વ હવે ઓછું છે. હવે મોટી લહેર તો જ આવે, જો કોઈ વેરિયન્ટ એટલો બધો અલગ હોય કે એને નવો વાઇરસ જ ગણવો પડે. પણ કુદરતી રીતે એટલો મોટો morphological તફાવત પાડતાં વર્ષો લાગે. SARSCovid 2 આમ જુઓ તો SARSCovid 1નો વેરિયન્ટ જ છે.

૨૭ માર્ચ, ૨૦૨૧ના દિવસે ડિપાર્ટમેન્ટ સહકર્મીઓ માટે મેં એક સેમિનાર, પ્રેઝન્ટેશન આપ્યું હતું. તે દિવસના રિપોર્ટેડ કેસ લગભગ ૬૨ હજાર હતા અને આગળ ક્યાં સુધી જશે, એની કોઈને ખબર નહોતી. મેં કહ્યું હતું કે રોજના બે લાખ સુધી તો જશે જ, અને ચાર-પાંચ લાખ સુધી જાય, તો ખુશ થજો. જેમ inefectivity (R number) વધશે, તેમ વાઇરસની ઘાતકતા ચોક્કસ ઘટશે. આ અનુકૂલનની સાચી દિશા છે.

આ રીતે જ એક પછી બીજી અને ત્રીજી લહેરથી વાઇરસથી થતો રોગ (શરીરનો પ્રતિભાવ) હળવો થતો જાય છે. આ કુદરતી રીતે થતી, આપણા શરીર અને વાઇરસ વચ્ચે યજમાન-મહેમાન આંતરક્રિયાથી નીપજતી અનુકૂલનની હકારાત્મક પ્રક્રિયા છે. એક રીતે આમ આપણે પ્રજાતિ તરીકે વાઇરસનું પાચન કરીએ છીએ.

મારી વાતો ઘણાને અતિશયોક્તિભરી અને ખતરનાક પણ લાગી હતી. જ્યારે એપ્રિલ/મેની પરિસ્થિતિ જોઈ, ત્યારે નવાઈ પણ લાગી. તમે માર્ચમાં જ આવું બધું કેવી રીતે ધારતા હતા ? પણ આ mathematical છે. વાઇરસને મગજ, હ્રદય વગેરે ન હોવાથી કોઈ મનોવિજ્ઞાન નડતું નથી. વળી, તેને છાપાં કે ટીવી પણ જોવાનાં ન હોવાથી વધારે mathematically ચાલે છે.

ડેલ્ટા વેરિયન્ટ પેદા કરીને ભારતે વિશ્વને ઝડપથી હર્ડઇમ્યુનિટી તરફ જવામાં મદદ કરી છે. આ રીતે વિશ્વગુરુ બન્યા ખરા! રસીકરણમાં થયેલો વિલંબ, જેના માટે સરકારની ઘણી ટીકા થઈ છે, તે આ માટે સહાયરૂપ બન્યો. કટાક્ષમાં નહીં; ખરેખર, આ માટે હું સરકારનો આભારી છું.

E-mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 14 તેમ જ 11

Loading

...102030...1,7871,7881,7891,790...1,8001,8101,820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved