Opinion Magazine
Number of visits: 9674756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોનલ શુક્લ : નારીવાદી ચિંતન અને પ્રવૃત્તિના અગ્રયાયી

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|1 October 2021

સોનલ શુક્લ જીવંત વ્યક્તિત્વનાં સ્વામિની. એમની હાજરીથી ઉત્સવનો માહોલ આપોઆપ સર્જાય. એમની સાથેની સામાન્ય વાતચીત કે ગપસપ ક્યારે શિક્ષણકાર્યમાં બદલાઈ ગઈ એનો ખ્યાલ ન રહે એટલી સામગ્રી એમને મોંવગી હોય. એમની યાદદાસ્ત ધારદાર, સિત્તેર-એંસીના દાયકાથી એમની પાસે નારીવાદનો સંપૂર્ણ આલેખ વૈશ્વિકથી તૃણમૂળ સુધી મળી રહે એવું લખું તો એમાં અતિશયોક્તિ નથી. શરૂઆતનાં વર્ષોમાં તો એમણે ગાંધીસંસ્થાનમાં શૈક્ષણિક કાર્ય કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલાવર્ષ પછી તો તેઓ નારીવાદી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓ પરની હિંસાના ઉકેલ માટે કાર્યરત રહ્યાં. વિમેન-સેન્ટર – સ્ત્રીકેન્દ્રની પ્રવૃત્તિઓ માટે એમનું ઘર શરૂઆતમાં ધમધમતું રહેતું.

હું એમને પહેલી વાર એમના ઘરે શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ભલામણથી મળેલી. સ્ત્રીઓના દરજ્જા માટે અભ્યાસ થઈ રહ્યો હોય, સૈદ્ધાંતિક રીતે તમામ વર્ગ, વર્ણ, જાતિ, વયની સ્ત્રીઓની સમસ્યાઓ પર સંશોધન થતું હોય, એના ઉકેલ માટે સ્ત્રી-સંગઠનો સક્રિય હોય એ અંગે મને વધારે જાણ ન હતી. મને તો લાગતું હતું કે સામાજિક રીતરિવાજો સ્ત્રીઓની જિંદગીને કુંઠિત કરે છે, એટલે હું એના પર જ ધ્યાન કેન્દ્રિત કરી પુસ્તક લખી રહી હતી. કુન્દનિકાબહેનની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ પ્રભાવક બની રહી હતી. પહેલી મુલાકાતમાં એ વિશે ખાસ્સી વાતો થઈ. વલસાડમાં અસ્તિત્વની સ્થાપના વિશે પણ વાતો થયેલી અને એમણે એને નારીવાદી સંગઠન તરીકે ઓળખાવેલું એવું યાદ આવે છે.

ત્યાર પછી તો એમનો ખાસ્સો પરિચય થતો રહ્યો અને વલસાડમાં એમની સાથે પ્રવૃત્તિઓનો એક દોર શરૂ થયો. અમૃતા શોધન સાથે તીથલ અમૂલકાકાના બંગલે ‘ઇતિહાસમાં ડોકિયું’ કાર્યશાળા, સ્ત્રીઓની અભિવ્યક્તિ પર સેન્સરશિપ અંતર્ગત લેખિકા-સંમેલન, રાજુલબહેન સાથે નારીવાદી ગીતોની કાર્યશાળા, વાચા-વર્તુળ અંતર્ગત બૌદ્ધિક ચર્ચા અંગે વર્ષો પર કરેલા કાર્યક્રમો યાદ છે, તેમાં એક વાર એમનાં બહેન મીનળ પટેલ પણ આવેલાં. અચ્યુતભાઈ યાજ્ઞિક, ઉત્કર્ષ મજુમદાર, ડૉ. નીરા દેસાઈ, કુમુદ શાનબાગ, વિભૂતિ પટેલ જેવાં અનેક વિદ્વાનોનો વલસાડને પરિચય થયો. તેમાં સોનલબહેનની નિસબત અને સંપર્ક ક્યાંક ને ક્યાંક હોય જ. નારીમુક્તિની મિટિંગો અલગ-અલગ સ્થળે હોય અને જ્યારે વલસાડ થાય, ત્યારે એ મારા ઘરે હોય, સોનલબહેનનું જેટલું ધ્યાન મિટિંગની ચર્ચામાં હોય, તેટલું રસોડાની ગતિવિધિ પર પણ હોય અને પૂછપરછ કરતાં હોય. મને એમની આ લાગણી ખૂબ સ્પર્શતી. જ્યારે એમણે ‘વાચા’ની પ્રવૃત્તિઓ સાતત્યપૂર્વક વેગવંત બનાવી, ત્યારે વલસાડમાં ‘વાચા કિશોરી પ્રકલ્પ’ અંતર્ગત વિદ્યાર્થિનીઓ સાથે અને કિશોરો સાથે પણ કામ કર્યું. હિમાંશી શેલત, આશા વીરેન્દ્ર, હું, જિજ્ઞેશ પટેલ પણ સામેલ હોઈએ. સુમન બાલી, અંજુ શીંગાલા અને મુંબઈથી વાચા ટીમમાં યજ્ઞા, દર્શના, નિશ્ચિત અને અન્ય સક્રિય. વલસાડ એમનું પ્રિય સ્થળ, પરંતુ એમણે વડોદરા, અમદાવાદ, સુરત ખાતે પણ કાર્યક્રમો કરેલા અને તૃપ્તિ શેઠ સાથે બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવાં સ્થળોએ પણ પહોંચ રાખેલી.

મુંબઈ તો એમનું મુખ્ય મથક, એટલે અહીં તો વાચાની પ્રવૃત્તિઓ અઢાર જેટલી બસ્તીમાં ધમધમતી જ રહી. એમની કૉલમ ‘ઘટના અને અર્થઘટન – સ્ત્રીની દૃષ્ટિએ’ ખાસ્સી લોકપ્રિય રહી. સાંપ્રત મુદ્દા પર એમનું લખાણ અભ્યાસુ તરીકે હોય. કિશોરીઓ અને ખાસ કરીને બાલકિશોરીઓ જેમની ઉંમર આઠથી બાર વર્ષમાં આવે એમને ધ્યાનમાં રાખીને માનવીય મૂલ્યોનું સિંચન અને નારીકેન્દ્રિત વિભાવનાની રોપણી એ એમનું જીવનલક્ષ્ય અને ધ્યેય બની ગયું હતું. બાલિકાઓને નેતૃત્વ માટે તૈયાર કરવી, વિવિધ કૌશલ્ય માટે તાલીમ આપવી જેવા અભિક્રમમાં પત્રિકા કાઢવી, ફોટોગ્રાફી તાલીમ, શેરીનાટકો, કેફિયત, કલેક્ટર – ડી.એસ.પી. કક્ષાના અધિકારીશ્રીની મુલાકાત  જેવી નાનાવિધ પ્રવૃત્તિ એ તાલીમનો ભાગ હોય. પોતે જ્યારે તાલીમ માટે આવે, ત્યારે બુલંદ સ્વરે ગવાતાં નારીમુક્તિનાં ગીતો અગત્યનો હિસ્સો હોય. ૧૯૭૮થી એમનું નારીવાદી કાર્ય  શરૂ  થયેલું તે ૨૦૨૧ સપ્ટેમ્બર સુધી અવિરત ચાલ્યું. એક વાર એમણે વૃદ્ધા સ્ત્રીઓના પ્રશ્નો પર પ્રકાશ પાડતી કાર્યશાળા કરેલી ત્યારે હું પણ મુંબઈ ગયેલી. એમણે વયસ્ક સ્ત્રીઓ માટે નહીં, પરંતુ ‘વર્ધના’ નામે ઓળખ સૂચવેલી. પોતાનાં વિવિધ કાર્યક્ષેત્રનાં વિસ્તૃત ફલકમાં એમણે અ.. ધ.. ધ.. ધ લેખો લખ્યા, સેમિનાર કર્યા, મિટિંગો કરી, ગૃહિણીથી લઈ વિદ્વાનો સાથે સંપર્કો જાળવી રાખ્યા. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો ઉપયોગ પણ થતો રહ્યો. એમની પ્રવૃત્તિઓનાં સહયાત્રી ડૉ. વિભૂતિ પટેલે સોનલબહેનને ભાવાંજલિ આપતો લેખ લખ્યો છે. એમાં એમની વિશદ કારકિર્દી, નારીવાદી સૂઝ-સમજ, પ્રવૃત્તિઓના વ્યાપની નોંધ લીધી છે, એના પરથી ખ્યાલ આવે છે કે એમનું વ્યક્તિત્વ કેવું ભાતીગળ અને વિવિધ ક્ષેત્રે પ્રદાન  કેટલું માતબર રહ્યું છે.

થોડા દિવસ પર સોનલબહેને મને ફોન પર કહેલું કે વલસાડમાં ફરીથી કામ શરૂ કરીએ. જો કે એ ન થઈ શક્યું, પરંતુ એમનાં મનમાં વલસાડ હતું, અમે હતાં એ નક્કી. બીજી પણ એક વાત રહી ગઈ. હિમાંશુભાઈ હતા, ત્યારે એમની સાથે વલસાડ આવવાનો એમનો વિચાર પણ શક્ય ન બન્યો. પાંચેક વરસ પર વાચાના કાર્યક્રમમાં સામેલ થવાનું બનેલું ત્યારે સોનલબહેન માટે આ રચના સ્ફુરેલી.

                               સોનલબહેન તમે એટલે
                               ખુશમિજાજ
                               વાસંતી સદાબહાર
                               માંહ્યલાની સ્વામિની.
                               સોનલબહેન તમે એટલે
                               સંવેદનાત્મક
                               સંચેતનાયુક્ત
                               સંવાદસભર
                               સંતર્પક શીતળસખ્ય.
                               સોનલબહેન તમે એટલે
                               નારીવાદી ચિંતનનાં આરાધક
                               નારીવાદી અક્ષર, આલેખક
                               નારીવાદી ચળવળ-સમર્થક
                               અમારા વાચાસ્થંભ.
                               તમારું હોવું એટલે અમારું
                               આશ્વસ્ત રહેવું
                               નિશ્ચિંત બનવું
                               સહજ થવું
                               ઝળહળવું
                               કારણ તમે એટલે અમારી વાચા
                               વાચા એટલે તમારાં અમે અને
                               અમારાં તમે, ખરું કે નહીં ?

હજી પણ તમારો અવાજ પડઘો બનીને કાને રણકે છે કે આ ડિસેમ્બરમાં વલસાડ મળીએ, ત્યારે ઉંબાડિયા પાર્ટી નક્કી … પરંતુ !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 15

Loading

સમાંતર ફિલ્મો : સુખદ સંસ્મરણો

પીયૂષ પારાશર્ય|Opinion - Opinion|1 October 2021

ફ્લેશબેક

૬૦થી ૭૦ના દાયકામાં આવેલી ફિલ્મ “અનુપમા”નો આસ્વાદ “એક ઉપમાલાયક અનુપમા” શીર્ષક નીચે ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત થયેલો. આ આસ્વાદના આધારે ઉમાશંકર જોશી આ ફિલ્મ જોવા ગયેલા અને તે જોયા પછી પોતે નિરાશ થયેલા અને મંતવ્ય પ્રકટ કરતાં કહેલું કે આ ફિલ્મમાં સર્જકકર્મ નહિવત્‌ છે. પછી આવા આસ્વાદો સંસ્કૃતિમાં પ્રકાશિત કરવાનું બંધ કરેલું. એવું જરા પણ નહોતું કે પરફોર્મિંગ આટ્‌ર્સમાં તેમને રસ ન હતો. ‘સંસ્કૃતિ’ સામયિકના મુખપૃષ્ઠ ઉપર નાટ્ય અદાકાર પ્રવીણ જોશીનું દેહાવસાન થયું ત્યારે તેમનો ફોટો પ્રકાશિત કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપેલી. પ્રવીણ જોશીનાં સારાં નાટકો દિનેશ હૉલ, અમદાવાદમાં જોયાની વાત તેમણે કરી હતી એ પછી એક વખત તેઓ ભાવનગર આવેલા અને પિતાશ્રી (મુકુંદરાય પારાશર્ય) પાસે સાતેક દિવસ રહેલા. આ સમયે સમાંતર ફિલ્મો (ન્યુ વેવ ફિલ્મો) અંગે તેમની સાથે વાતો થયેલી. ભાવનગરમાં સપ્તકલા સિને કલબ નામની એક સંસ્થા અમે મિત્રો ચલાવતા. આવી એક સંસ્થા અમદાવાદમાં અને એક વડોદરામાં સરસ કામ કરતી હતી. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા આયાત કરવામાં આવતી આ ફિલ્મો ૧૬ એમ.એમ. અને ૩૫ એમ.એમ.ની સાઈઝમાં આવતી. ફિલ્મની લંબાઈ પ્રમાણે તેનાં સ્પૂલ આવતાં. બેથી ત્રણ સ્પૂલમાં તેનો સમાવેશ થઈ જતો. આ ફિલ્મોનાં સ્પૂલ લેવા માટે અમે અમદાવાદમાં પારેખ્સના સ્ટોરમાં જતા, અને તે જ રાત્રે ભાવનગર તે ફિલ્મને શો કરી બીજા દિવસે પારેખ્સમાં એ પરત કરતા. આ ફિલ્મોને ગુજરાત સર્કીટમાં બતાવ્યા પછી તેને પછીના કેન્દ્રમાં પહોંચાડવામાં આવતી. અદ્‌ભુત ફિલ્મો જોયાનું યાદ આવે છે, જેમાં ઈન્ગમાર બર્ગમેન, ઝ્‌યાં રેનવા, રોમન પોલાન્સ્કી વ.નો સમાવેશ થાય છે. ઈરાન જેવા દેશમાંથી પણ એક આર્ટ ફિલ્મ આવેલી. વર્ષ હતું ૧૯૮૦.

આ ફિલ્મો અંગે ઉમાશંકર સાથે વાતો થયેલી અને તેઓ ભાવનગર હતા તે દરમિયાન જ ૧૬ એમ.એમ.ની એક આર્ટ ફિલ્મ આવેલી. એ, અમે ભાવનગરની મહિલા કૉલેજમાં એક હોલમાં પ્રોજેક્ટર મેળવીને બતાવેલી. આ ફિલ્મ જોવા હું તેમને સાથે લઈ ગયેલો. ત્યારે આ ફિલ્મો નીચે પાથરેલી જાજમ ઉપર બેસીને જ જોવાતી. અમારા મિત્રો ઉમાશંકર માટે ખુરશી લઈ આવ્યા, પણ તેમણે કહ્યું કે તમે બધા મિત્રો જે રીતે બેસીને ફિલ્મ માણશો એ રીતે હું પણ જોઈશ. પરદેશની અનેક ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સવાળી જ આવતી અને તે રીતે સત્યજિત રે કે ઋત્વિક ઘટકની ફિલ્મો પણ અંગ્રેજી સબટાઈટલ્સવાળી આવતી. શર્મિલા ટાગોરના અભિનયવાળી ફિલ્મ ‘દેવી’ના તા. ૪-૧-૧૯૬૫ના પ્રદર્શનથી સપ્તકલા સિને કલબનો પ્રારંભ થયેલો. કાળક્રમે વીડિયો હોમ સિસ્ટમ અને ટેલિવિઝનના પ્રસારથી ધીરે ધીરે આવી ફિલ્મ કલબો બંધ થઈ. મિત્રો સાથે નીચે બેસીને ફિલ્મ જોવાની ઉમાશંકરની સજ્જતા-નમ્રતા ભૂલી નહીં શકાય. પણ ભાવનગરને સંસ્કારવામાં અને આંતરરાષ્ટ્રીય ચેતના પ્રવાહમાં લોકોને જોડવા માટે સપ્તકલા સિને કલબનું બહુ મોટું યોગદાન રહ્યું છે. જ્યારે શહેરની વસ્તી બે લાખ જેટલી હશે ત્યારે સત્યજિત રે દિગ્દર્શિત અને માધવી મુખર્જી અભિનીત ફિલ્મ ‘ચારુલતા’ ભાવનગરના પેલેસ ટોકીઝમાં પૂરા સાત દિવસ ચાલેલી. સબટાઈટલ્સ અંગ્રેજી છતાં લોકોએ તે ખૂબ માણેલી. આ ફિલ્મમાં બે ગીતો કિશોરકુમારે ગાયેલાં છે મારી સાથેનો મિત્ર સાંભળીને બોલી ઊઠેલો કે આ તો કિશોરકુમારનો અવાજ છે.

આ જ રીતે ફિલ્મ અભિનેતા ઓમ પુરી ભાવનગરમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મના શુટિંગ માટે આવેલા. ગ્રોફેડ માટે ગોવિંદ નિહલાની તેનું શુટીંગ કરી રહ્યા હતા. ઓમ પુરીએ મારી પિતરાઈ બહેન દીપ્તિ ભટ્ટ સાથે આરોહણ ફિલ્મમાં કામ કરેલું. આવી જ એક ફિલ્મ જોવા માટે અમે ઓમ પુરીને આમંત્રણ આપ્યું. ‘અર્ધસત્ય’ એ તેમના હિંદી ચલચિત્રથી ચાહકો પરિચિત હતા. કોઈ ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તે ફિલ્મોના ટૂંક પરિચય ચાર-પાંચ મિનિટમાં કોઈ આપી દેતું. ઓમ પુરી સાથે હસ્તધૂનન કરતાં એક આત્મીય પરિચય થયો. ઓમ પુરીના કલકત્તાનિવાસ દરમિયાન એ ગમે ત્યારે દીપ્તિના પિતાશ્રી અત્રિકુમાર ભટ્ટને ત્યાં આવતા, જમતા અને આરામ કરતા. ૧૬ એમ.એમ.ની ફિલ્મ શરૂ થતા પહેલાં ઓમ પુરીના વ્યક્તિત્વનો સુપેરે પરિચય કોઈએ આપેલો. બિમલ રોયના પુત્રરત્ન પણ સાથે આવેલા ઓમ પુરી સાથે થોડી વાતચીત થયા પછી શો શરૂ થયો એટલે પોતાની ખુરશીઓ દીવાલ પાસે ગોઠવીને અમારી સાથે પલાંઠી વાળીને ફિલ્મ જોવા તે બેસી ગયા. તેમણે કહ્યું “ફિલ્મ સાથે બેસીને જોવાથી વધારે આનંદ આવે છે” જે હોટેલમાં તેઓ ઊતર્યા હતા તેની બહારથી એક ટોળું પસાર થયું. ઓમ પુરીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે એક સનિષ્ઠ મ્યુનિસિપલ કમિશનરની સરકાર બદલી કરી રહી છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા નગરજનોએ આ સરઘસ કાઢ્યું છે. જાહેર સેવાના કોઈ વરિષ્ઠ અધિકારી અંગે આ પ્રકારની લોકોની સંવેદના જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. પીડિતો અને વંચિતોના ઉત્કર્ષના હિમાયતી હતા. ઈન્દિરા ગાંધીના સમયમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિદ્ધાર્થશંકર રે હતા ત્યારે ‘આરોહણ’ ફિલ્મને તેમણે પ્રદર્શિત કરવા ન હોતી દીધી. કટોકટી પાછી ખેંચી લીધેલી તે પછીના સમયની આ વાત છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 16

Loading

વોટ માટે જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં

ભરત મહેતા|Opinion - Opinion|1 October 2021

યુ.પી.માં અલીગઢથી ચૂંટણી સભાના શ્રીગણેશ કરી, નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું. મોદીએ પહેલી જ ચૂંટણીમાં રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કર્યા. વળી, એમના નામ સાથે જોડાયેલ એક નવા, રાજા મહેન્દ્રપ્રતાપસિંહ વિશ્વવિદ્યાલયની જાહેરાત કરી. આ જાહેરાત ઘડી-બે-ઘડી તો સારી લાગી, પણ થયું લાલો લાભ વગર લોટે નહીં. થયું પણ એવું જ. આ વિશ્વવિદ્યાલય માટે સો કરોડની ફાળવણી પણ કરવામાં આવી. તેથી ઘણાં રાજી થાય, પરન્તુ યાદ કરો કે આ સાહેબે રિલાયન્સ યુનિવર્સિટીના ખાતમુહૂર્તમાં જ એને ભારતની મહાન યુનિવર્સિટી (જન્મ્યાં પહેલા જ!) ગણાવી હજ્જાર કરોડનું અનુદાન મંજૂર કરેલું. સખાવતમાં ભાઈબંધી પાક્કી રાખે છે!

આપણો વાંધો બીજો છે. રાજા મહેન્દ્રપ્રતાપે જિંદગીભર 'સિંહ' ઓળખ વાપરી નથી! વળી, એ માટે એમણે ખુલાસો પણ કર્યો છે. તેથી ચૂંટણીનું ફૉર્મ પણ એમણે રાજા મહેન્દ્રપ્રતાપના નામે જ ભરેલું. જે ચૂંટણીમાં એમણે અટલબિહારી વાજપેયીને ય હરાવેલા. બીજું, ભારત સરકારે એમના સન્માનમાં ટપાલટિકિટ બહાર પાડેલી એના પર પણ રાજા મહેન્દ્રપ્રતાપ જ છે, સિંહ નહીં! મોદી સરકારને ઇતિહાસને વિકૃત કરવામાં-આનંદ આવે છે. (હમણાં વિષ્ણુ પંડ્યાએ ભગતસિંહને 'આર્યસમાજી' બનાવી દીધા એવો આનંદ!) કોઈનું નામ વિકૃત કરવું એ કાયદેસરનો ગુનો છે. મોદી સરકારને આ અંગે જાગૃત નાગરિકોએ કોર્ટમાં પડકારવી જોઈએ.

આમ કરવાનું કારણ એ છે કે મોદી સરકાર કિસાન-મહાપંચાયતોની વધેલી લોકપ્રિયતાથી બેબાકળી થઈ ગઈ છે. કિસાન-આંદોલનમાં અગ્રણી કિસાનો જાટ, સિંહ છે. હવે રાજા મહેન્દ્રપ્રતાપને 'સિંહ' બનાવી, વારંવાર એમને જાટ તરીકે ઓળખાવી, એમના નામે આવી યુનિવર્સિટી ખોલી, કિસાન-આંદોલનથી પ્રભાવિત જનતાને ભ્રમિત કરી શકાય. કહી શકાય કે વોટ માટે રાજાને જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં!

જિંદગીમાં કદી રાજા મહેન્દ્રપ્રતાપને યાદ ન કરનાર આ સરકાર શિલાન્યાસ કરી રહી છે. બીજી તરફ એમની મૂર્તિ જ્યાં છે, એ કચરાના ઢગલા વચ્ચે પડી છે. એ મૂર્તિની યોગીજીએ કોઈ જાણકારી સુધ્ધાં નથી કરી. તેથી ચૂંટણીનો ગડગડાટ અને તાલિબાનચર્ચા વખતે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરીને, રાજકીય સ્વાર્થ સાધી રહી છે. મોરસાનમાં જન્મેલા રાજાને હાથરસમાં દાદાએ દત્તક લીધેલા. આજે પણ મુરસાનના દલિતવાસમાં મૂર્તિ છે. યુ.પી.માં ચૂંટણી આવી, ત્યારે એકાએક એમને યાદ આવ્યા! બેશક એમણે ઝીણાનો વિરોધ કરેલો, પણ એ હિન્દુત્વવાદી ન હતા! જનસંઘને હરાવનાર, પોતાનું બીજું નામ એમણે 'પીટર’ પણ કરેલું! સર્વધર્મસમભાવી રાજાને આ રીતે વેતરવા એ વિકૃત મનોદશાનો પરિચય આપે છે. એમની અંતિમ ઇચ્છા હતી કે એમને દફનાવવા, જલાવવા અને સમાધિ પર લખવું – 'પીટરવીર પ્રતાપ' જેથી ઈસાઈ, મુસ્લિમ અને હિંદુ ત્રણે આવે! જે મંદિરોમાં દલિતોને પ્રવેશ ન હોય, ત્યાં એ  જતા ન હતા! હાથરસમાં બળાત્કારી ધારાસભ્યને બચાવી, પીડિતને રાતોરાત બાળનાર મોદી સરકારને એ વખતે રાજા મહેન્દ્રપ્રતાપનું હાથરસ યાદ આવ્યું ? રાજાના નામની ચૂંટણી ટાણે લૉલીપૉપ છે!

એ જ્યારે અફઘાનિસ્તાનમાં ભારતની આરઝી હકૂમતના રાષ્ટ્રપતિ હતા, ત્યારે એમના વડા પ્રધાનનું નામ બરકત ઉલ્લાખાન હતું! હિંદુ-મુસ્લિમ પ્રેમના પ્રતીક હતા. એ માનતા હતા કે લગ્ન વખતે જ્ઞાતિ, ધર્મ જોવાનાં ન હોય! લવજેહાદવાળા શું મહેન્દ્રપ્રતાપને સમજી શકે ? પોતાની સમગ્ર સંપત્તિ શિક્ષણ માટે આપી દીધી હતી, શિક્ષણને કૉર્પોરેટ કૉમોડિટી બનાવી દેનારાઓની હેસિયત છે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરવાની? ઈ.૧૯૦૯માં છેક પોલિટેકનિક સ્થાપી હતી! જાટલૅન્ડના ૬% વોટ લેવા માટે રાજાની છબી વિકૃત કરવામાં આવી રહી છે. સર સૈયદ અહેમદે જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવી, એની જમીન રાજા મહેન્દ્રપ્રતાપે આપેલી.

રાજા મહેન્દ્રપ્રતાપ (૧૮૮૬-૧૯૭૯) સ્વાતંત્ર્યસંગ્રામી હતા. આર્યસમાજને વૃંદાવનમાં જમીન આપી એ શરત સાથે કે હું આર્યસમાજી નથી. ૧૯૦૮માં 'પ્રેમવિદ્યાલય’ની સ્થાપના કરી, જેમાં ૨૫,૩૪૭ રૂપિયા ખર્ચેલા, જે આજે કરોડો કરોડો રૂપિયા થાય. કાઁગ્રેસ-ભા.જ.પ.માં જે રાજાઓ છે, એ આવું દાન કરી શકે? એ માત્ર સ્વાતંત્ર્યસેનાની ન હતા, પત્રકાર પણ હતા. બે સામયિકો કાઢેલાં. એક સામાયિકનું નામ હતું 'પ્રેમ’, બીજાનું નામ 'ર્નિબલ સેવક’. 'ર્નિબલ સેવક’ પત્રિકામાં સતત ખેડૂતોના પ્રશ્નો ચર્ચવામાં આવતા હતા. ત્રણ કાળા કાનૂન બનાવીને ખેડૂતોનું જીવન નરક બનાવનાર શું ઉદ્દેશ્યોથી પરિચિત છે?

એમના જમાનામાં હિંદી, ઉર્દૂનો વિવાદ ચાલતો હતો. જાણે હિંદી હિંદુની હોય અને ઉર્દૂ મુસલમાનોની! એમણે કહ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકે હિંદી અને ઉર્દૂ ભાષાઓ જાણવી જોઈએ! જ્યારે અલિગઢ યુનિવર્સિટીએ’ ૯૭માં યુનિવર્સિટીની શતાબ્દી વખતે એમનું જમીનદાતા તરીકે, ઉર્દૂના સંરક્ષક તરીકે સન્માન થયું હતું 'ઇન્ડિપેન્ડન્ટ’માં આવેલ લેખમાં લેનિનને 'પોતાના સાચા સાથી’ ગણાવ્યા છે. રૂબરૂ મળેલા. દુનિયાનું બે વાર પરિભ્રમણ કર્યું. ભારત દુનિયા સાથે તાલમેલ કરે એ ઇચ્છતા હતા. તેમનું સૂત્ર હતું 'પ્રેમધર્મ’. દુનિયાના સર્વ ધર્મોની એકતા એમના જીવનનું ધ્યેય હતું. શું સંધીશિક્ષિત મોદી એમનાં દર્શનને પચાવી શકશે? અલીગઢ યુનિવર્સિટી સંચાલિત જે કૅમ્પસસ્થિત સ્કૂલ છે, એનું નામ પણ 'રાજા મહેન્દ્રપ્રતાપ વિદ્યાલય’ છે. બોલ્શેવિક ક્રાંતિનાં બે વર્ષ બાદ ઈ. ૧૯૧૯માં જ લેનિનને રૂબરૂ મળેલા. ઑક્ટોબર-ક્રાંતિથી પ્રભાવિત હતા. ૧૪મી માર્ચ, ૧૯૧૯માં રૂબરૂ મળ્યા.

એ સમાધિ સામે વૃંદાવનમાં આવેલું 'પ્રેમ વિદ્યાલય’ આજે ચાલે છે, પણ જર્જરિત દશામાં છે. લાઇટની વ્યવસ્થા ન હોવાથી આચાર્ય દેવપ્રકાશ પોતે બે વાયર ખેંચી, બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે! આ 'પ્રેમ વિદ્યાલય’ તો સરખું કરો! એમના સમકાલીનોનાં સંસ્મરણો વાંચીએ, તો તાજ્જુબ થઈ જવાય. સામાન્ય લોકો સાથે જમણવાર ગોઠવતા, કોઈ છોકરાને વાગ્યું હોય તો તે જાતે જ મલમપટ્ટી લગાવનાર રાજા હતા. આજે તો સુપ્રીમ કોર્ટ આદેશ આપે તો ય કોરોનામાં મૃત્યુ પામનારને વળતર તો ઠીક, હજુ યાદી પણ તૈયાર નથી કરી! અત્યારે જે યુનિવર્સિટીઓ છે, એમાંની મોટા ભાગની આર.એસ.એસ.ના અડ્ડા જેવી છે. જો એવી જ આ યુનિવર્સિટી થશે, તો એ રાજા મહેન્દ્રપ્રતાપનું અપમાન લેખાશે. હિંદુ-મુસ્લિમ નહીં પણ વૈજ્ઞાનિક ચેતનાસભર મનુષ્યનિર્માણ એમનું ધ્યેય હતું. રૂઢિવાદિતામાંથી યુવાનોને બહાર કાઢવા મથતા હતા. આધુનિક ભારતની એમની કલ્પના એવી હતી. શિલાન્યાસ આ વિચારોનો કરવો જરૂરી છે. આંતરધર્મી, આંતર જ્ઞાતીય વહેવાર એ એમની પ્રબળ ઇચ્છા હતી. 'માય લાઇફ સ્ટોરી’માંથી પસાર થાવ તો ખબર પડે કે એ કેવા વિચારક હતા. યોગી-મોદી-ભાગવતનાં વિધાનો અને રાજા મહેન્દ્રપ્રતાપના ઉદ્દગારો વચ્ચે આભજમીનનું અંતર છે!

જોઈએ આ યુનિવર્સિટી મતપેટી બને છે કે રાજા મહેન્દ્રપ્રતાપને સાચી શ્રદ્ધાંજલિ. અત્યારે તો એટલું જ કે એમને જાટ બનાવી, નામ પાછળ સિંહ લગાવી નાના ન બનાવો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 08

Loading

...102030...1,7721,7731,7741,775...1,7801,7901,800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved