Opinion Magazine
Number of visits: 9746312
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન અને મૃત્યુની વિમાસણ

વાસુદેવ મ. વોરા|Opinion - Opinion|2 November 2021

ભાષાશાસ્ત્રના નિષ્ણાત તેવા નિવૃત્ત પ્રાધ્યાપક અને તેમનાં પત્નીએ, શારીરિક તકલીફોથી કંટાળીને ગયા મહિને અમદાવાદમાં પોતાના જીવનનો અંત આણ્યો. તેમને ‘નિરીક્ષક’ના તંત્રીશ્રીની અંજલિ સાથે દિવંગત પ્રાધ્યાપકની અંતિમ નોંધ ‘નિરીક્ષક’માં આપણે જોઈ છે.

આ દુઃખદ ઘટના અફસોસજનક હોવા ઉપરાંત કંઈક વિશેષ અર્થમાં અસર કરી જાય તેવી છે, જીવન, જિંદગી અને મૃત્યુ એ દરેક માટે અલગ ને અંગત અનુભવ, સમજ અને અર્થ ધરાવતી હકીકત હોય છે. સૌને માટે આ નિશ્ચિત ઘટના હોવા છતાં તે મહદંશે આકસ્મિક રીતે સતત બનતી રહે છે. દુનિયામાં જ્યારે સોએ માત્ર નવ વ્યક્તિ જ પાંસઠ વર્ષથી વધુ જીવે છે (ભારતમાં તો તે આંકડો ૬.૫૭ છે !) ત્યારે માનવમૃત્યુ કેવું આકસ્મિક છે તે સ્વયંસ્પષ્ટ છે. સંસ્કૃતિ અને શિક્ષણનો પ્રભાવ જો કે તેમાં હકારાત્મક અસર પાડી શકે, પરંતુ તે બીજી અનેક બાબતો પર આધારિત હોય છે. આપણા દેશના સ્વરાજ પછીના ફેરફારો અને અત્યારના, અનુઆધુનિક સમયની અસરોમાં મનુષ્ય વધુમાં વધુ માનસિક તણાવ તેમ જ અસંતોષમાં જીવન પસાર કરી રહ્યો છે. આજે હવે વધતી ઉંમરની સાથે શારીરિક બિમારીને તકલીફોમાં લંબાતું આયુષ્ય કેટલું કંટાળાજનક હોતું હશે, તે માત્ર સંવેદનાપૂર્વક સમજવાનું હોય છે. એક વિદ્વત્જન જ્યારે આ કોયડાના અનિચ્છનીય ઉકેલ માટે નિર્ણય કરે છે, ત્યારે પૂરા સમાજજીવન અને તેની ગતિવિધિઓ સામે શંકાસ્પદ સવાલ ખડો થાય છે. આ ઘટના એકલદોકલ નથી જ તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેને વ્યક્તિગત માની કે મનાવીને તેના વિશે ઉદાસીન રહેવાનું પસંદ કરવામાં આવે છે. શું આ રીતરસમ યોગ્ય, બૌદ્ધિક, સાંસ્કૃતિક, સામાજિક, વિકસિત ને માનવીય ગણી શકાય ?

સંથારો કે તેવા મતલબની સમજથી આવકારેલ પોતાનું મૃત્યુ તે સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે, તેથી તેવી રીતના મૃત્યુ વિશે અહીં ચર્ચાની વાત નથી. પરંતુ કોઈ પ્રકારનાં માનસિક દબાણ કે વલણને લીધે વહોરી લીધેલ મરણ તે અનિચ્છનીય હોય છે, તેથી આવી માનસિક સ્થિતિનાં કારણો તે મુખ્ય સવાલ હોવો જોઈએ.

આ કારણો દેખીતી રીતે વ્યક્તિગત ગણી લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પૂરી સામાજિક જીવનવ્યવસ્થા સાથે સંકળાયેલ હોય છે એ તો સહજ સમજાય તેવું છે કે, આધુનિક સમયમાં માનવીની મનોબળની આંતરિક ક્ષમતા ઝડપથી ઘટી રહી છે. સમાજમાં કુટુંબથી આગળ વધીને વ્યાપક સૌહાર્દના અનુભવના અભાવની અસર પણ સહજ બની રહી છે. સામાજિક માહોલમાં સદ્‌ભાવના ન હોય તો માનવીય વિકાસની કઈ દિશા સંભવિત બને છે – પ્રગતિ કે પરાગતિ ? સમાજમાં ઉકળાટ, અશાંતિ, અવિશ્વાસ અને ભયનો પ્રભાવ પ્રબળ બનતો રહે, તો માનવવસ્તી અને જંગલનાં પશુજીવનનાં વાતાવરણ વચ્ચે તફાવત નહિવત્‌ બની રહે છે. આથી, તેનાં મૂળમાં જવાથી આપણી વર્તમાન જીવન-વ્યવસ્થા અને દૃષ્ટિ અથવા અભિગમ વિશે સ્પષ્ટતા થઈ શકે. તે બાબત જ આધુનિકતાની સામે પડકારરૂપ બને છે. સુખ અને આનંદ વિશેની આધુનિક સમજ  માનવીય ગુણવિકાસ સાથે કેવી રીતે અનુબંધ સાધે તે વાતને અવગણવામાં આવે છે, તેથી વિદ્વાનો પણ તેને ઉજાગર કરતાં ખચકાટ અનુભવે છે, તેમ જણાય છે. જીવનની ઘરેડમાં ગોઠવાઈ જવાની હોડમાં 'ખરો સુધારો’ શું તે સત્યના આગ્રહની હામ ભરવાનું પણ હવે અનિચ્છનીય બની રહ્યું છે અને તે વલણને આધુનિક સત્ય માનવામાં ડહાપણ ગણાય છે.

આધુનિકતા તે માનવીની જીવનદૃષ્ટિના બદલાવનું મહત્ત્વનું પ્રબળ પરિબળ હોવાનું સમજવામાં આવે છે, ત્યારે સવાલ થાય કે ખરેખર જીવનદૃષ્ટિમાં તે બદલાવ આવે છે? વાસ્તવમાં શું કોઈ જીવનદૃષ્ટિ હોય છે ખરી? જીવન તો હોય છે, પણ તેને જીવવાની કોઈ ચોક્કસ રીત, સમજ, અભિગમ, વિચાર કે નિષ્ઠાની સ્પષ્ટતા હોય છે ખરી? જો તેવું કાંઈ છે જ નહીં, તો વાત સહેલી બની જાય છે, પણ એવું માનવામાં, ધારવામાં કે સમજવામાં આવે છે કે જેમની પોતાની સંસ્કૃતિની ધરોહર છે, તેઓનાં જીવન કોઈ મૂલ્યને ચરિતાર્થ કરવાની સમજથી કે પ્રેરણાથી દોરાયેલાં હોય છે. આ બાબતને સાધારણ રીતે જીવનદૃષ્ટિ તરીકે સમજી લેવામાં આવે છે.

એકવીસમી સદીમાં ભારતનો શહેરી સમાજ અને આધુનિકતાની હવાથી અસરગ્રસ્ત હરેક ભારતીય પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાં સાથે કેટલો ને કેવી રીતે જોડાયેલો રહ્યો છે, તે હવે અજાણ્યું નથી. સાંસ્કૃતિક મૂલ્યો વિશે ઉપેક્ષા ઉપરાંત અજ્ઞાનતા એ ઘણી ગંભીર સ્થિતિ હોવાનો અનુભવ સામાન્ય બાબત બની ગઈ છે. તે એ સમજણ તરફ આપણને દોરી જાય છે, જેનો અર્થ છે જીવનમાં શરીર અને તેના પ્રકૃતિગુણો જ સર્વ કાંઈ છે, જે વાસ્તવમાં જડતાનો સ્વભાવ છે. તેને કોઈ ‘અધિક’ ચૈતન્ય તત્ત્વની કે તેનાં સાતત્યનો વિચાર કે સમજ હોવી જરૂરી નથી. જો માનવી તે પ્રકૃતિગત અસ્તિત્વ માત્ર છે, તો સુખી હોવા છતાં શાંતિ અને આનંદના ક્ષણિક નહીં પણ નિરંતર અનુભવથી વંચિત કેમ રહે છે ? વળી, એમ મનાવવામાં આવે છે કે, આધુનિક વિકાસ તે વિજ્ઞાન આધારિત છે. વાસ્તવમાં એમ કહી શકાય કે, વિકાસની વ્યાવસાયિક વ્યવસ્થા પોતાના હિતમાં વિજ્ઞાનનો મતલબી ઉપયોગ કરી રહી છે. તેનાં દુષ્પરિણામ જીવન અને મરણમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થતાં રહે છે.

આ ટૂંકી ચર્ચામાં વધુ તો શું, પણ સમયના બદલાવની ભૂમિગત વાત ઘરના–ગામના–જ એક વડીલની એેમની જબાનમાં : “નાનાભાઈ(ભટ્ટ)ની ભાગવતકથા વખતનાં સંસ્મરણો પણ માલપરા ઉપરાંત આજુબાજુનાં બધાં ગામને એક કુટુંબભાવમાં જોડનારાં યાદ આવે છે … ઘઉંનો લોટ બધા ગામની બહેનોએ ઘેર ઘેર ઘંટીએ હાથે દળી આપેલો. ગાડાંઓમાં ઘઉં ને પછી લોટ લાવવામાં આવેલ … હું જાજરૂઓની ચર ખોદવાની ટુકડીમાં હતો .. !! ગયા એ દિવસો, ફરી ન મળે એ વાતાવરણ, એ માનસિક ભાવનાની શુદ્ધ વિશાળતા !! એ હતું વસુધૈવ કુટુમ્બકમ્‌!!!!”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 13

Loading

મોબાઈલનું વળગણ અને સંભવિત દુષ્પરિણામો

હરેશ ધોળકિયા|Opinion - Opinion|2 November 2021

આજકાલ લોકોમાં મોબાઇલ બાબતે જે વળગણ થઈ ગયું છે, તે તપાસવા જેવું છે. દસ વ્યક્તિએ નવ વ્યક્તિ મોબાઇલની ભયાનક ગુલામ થઈ ગઈ છે. તેના દિવસનો મહત્તમ હિસ્સો આ મોબાઇલ લઈ જાય છે. તેને કારણે તે બીજાં કોઈ, ક્યારેક તો બહુ જ મહત્ત્વનાં કામો કરી શકતી નથી. અરે, રાતે બરાબર ઊંઘ પણ લઈ શકતી નથી. વ્યવસ્થિત રીતે ભોજન પણ લઈ શકતી નથી. લોકો સાથે ભળી શકતી પણ નથી. કોઈ કામ નક્કી કરે, તો તે પૂરું પણ કરી શકતી નથી. તેનો હાથ અને આંખ મોબાઇલ પરથી હટતાં જ નથી.

મનોવિજ્ઞાનીઓ આને ‘માણસની જોખમી પળ’ નામ આપે છે. આની ભયાનક અસર કોઈ બાબત પર પડી હોય, તો તે વ્યક્તિની એકાગ્રતા પર પડી છે. દિનપ્રતિદિન લોકોની – ખાસ કરીને યુવાવર્ગની, ભવિષ્યના નાગરિકોની – એકાગ્રતા નબળી પડતી જાય છે. મનોવિજ્ઞાનીઓ તેને ‘એકાગ્રતાની ગરીબાઈ’ કહે છે. તેના આંકડા આપણે જોઈએ તો ચકિત થવા સાથે હચમચી થઈ જવાય. થોડા તપાસીએ.

અભ્યાસીઓ કહે છે કે, નવી સદી શરૂ થઈ (૨૦૦૧થી) ત્યારથી યુવાનોની માસિક ટેક્‌સ્ટ મૅસેજની સંખ્યા વધીને આજે ૩,૪૧૭ થઈ ગઈ છે. એક દિવસના કેટલા મૅસેજ થયા? ૧૧૪ મૅસેજ! જાગૃત સ્થિતિના દસ કલાક! એક વ્યક્તિ લખે છે કે, તેણે તેના કેટલાક સંબંધીઓની એક દિવસ મુલાકાત લીધી, તો બધાના હાથમાં મોબાઇલ હતા. આ વ્યક્તિ આ બધાનાં કેવળ માથાંના ઉપલા ભાગ જ જોઈ શકતી હતી. બધાનાં મસ્તક નીચાં હતાં. તેઓ સતત તેમનો આઇફોન તપાસતા હતા, તેમાં કોઈએ મોકલેલ ટેક્‌સ્ટ મૅસેજ વાંચતા હતા. ફેસબુક પર શું નવું આવ્યું હતું તે તપાસતા હતા અથવા કોઈ વીડિયોગેમ રમતા હતા! આસપાસ શું બનતું હતું, તે બાબતે તેઓ તદ્દન અજ્ઞાત હતા. સાથે, અન્ય જોડે કેમ પ્રત્યાયન કરવું તે પણ જાણતા ન હતા.

અભ્યાસીઓ કહે છે કે, આજનાં બાળકો એક તદ્દન નવી જ વાસ્તવિકતામાં ઊછરી રહ્યાં છે. જ્યાં તેઓ મશીનો સાથે વધારે સંપર્કમાં રહે છે અને તેમનો લોકો સાથેનો સંપર્ક ઘટતો જાય છે. આ બાબત અનેક કારણોસર મુશ્કેલી ઊભી કરે તેવી ઘટના બની રહી છે. બાળકો જ્યારે મોટાં થતાં હોય છે, ત્યારે તેમનો સામાજિક અને સાંવેગિક વિકાસ જ્યારે તેઓ અન્ય લોકો સાથે હળભળે છે અને વાતચીત કરે છે, તેના પરિણામે જ થાય છે. આ પ્રત્યાયનથી જ તેમનું મગજ ઘડાય છે. બાળકો જેટલો ઓછો સમય લોકો સાથે ગાળશે અને જેટલો વધારે સમય ડિજિટલ પડદા સામે જોઈ પસાર કરશે, તેટલો તેનો માનસિક વિકાસ ઓછો થશે.

બાળકોનું સતત ડિજિટલ મશીનો સાથેનું રોકાણ લોકોના સંપર્કના ભોગે થાય છે. તે લોકો સાથે જ સતત ભળે તો જ તે ભાષા કે મૌખિક ભાષા શીખી શકે છે. અવ્યક્ત સંદેશાઓ કેમ વાંચવા તે શીખી શકે છે. આ નવી પેઢી કદાચ કી-બોર્ડ સાથે ઉત્તમ રીતે રમત રમી શકે છે, પણ જ્યારે ચહેરાઓના ભાવો પકડવાનો કે વાતો કરવાનો મુદ્દો ઊભો થાય છે, ત્યારે તેઓ મૂઢ અને મૂંગાં બની જાય છે. આ કારણે જ્યારે તેઓ ટેક્‌સ્ટ કરતી વખતે એકાદ પળ થોભે છે અને મસ્તક ઊંચું કરી કોઈ સામે જુએ છે, તો એ ચહેરાઓ પરના આનંદના, વિસ્મયના, દુઃખના ભાવો પકડવામાં તદ્દન નિષ્ફળ જાય છે, કારણ કે હજી તો ભાવ પકડવા જાય, તે પહેલાં તો બીજો મૅસેજ આવી ગયો હોય છે, જે જોવામાં તે મશગૂલ બની જાય છે.

આજના યુવાનો તેમનો મોટા ભાગનો સમય વર્ચ્યુઅલ જગતમાં વિતાવે છે. તે સતત ટ્‌વિટ્‌સ, સ્ટેટસ અપડેટ, જમવા સમયના ફોટા મોકલવામાં વ્યસ્ત રહે છે. આને પરિણામે જે થોડી પળો પણ તે નવરા પડે છે, તે પળોમાં તે ભયાનક એકલતાનો અનુભવ કરે છે. આ યુવાનો એકબીજા સાથે થોડો સમય વાતો કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે. લાંબી, ઊંડાણભરી, બુદ્ધિને સમૃદ્ધ કરતી વાતો કે ચર્ચા કરવાનો તો કોઈ સવાલ જ હોતો નથી. આ ગુલામીથી તે દૂર થઈ શકતો નથી તેથી તે જન્મદિવસ, પાર્ટી, મિત્રો સાથે હરવુંફરવું, ચર્ચાઓ કરવી, સંગીતનો કાર્યક્રમ વગેરે માણી શકતો નથી. કદાચે ત્યાં જાય તો પણ આ બધા વચ્ચે તે સતત મોબાઇલમાં જ જોયા કરે છે.

કદાચ આ લોકો દલીલ કરે કે, આ મશીનોના કારણે તેઓ વિશિષ્ટ કુશળતાઓ શીખે છે. સંભવ છે, સાચી વાત છે, પણ અગત્યની બાબતો, જેવી કે વડીલો કે મિત્રો સાથે આરામથી બેસવું, શાંતિથી વાતો સાંભળવી, વાર્તાઓ વાંચવી, કોઈ સર્જનાત્મક કામ કરવું, કશુંક શીખવું, કોઈ કામ નિરાંતે કરવું અને પૂરું કરવું વગેરે કરી શકતાં નથી. એક તો તે માટે તેમની પાસે સમય જ નથી, બીજું તે કરવા જેટલી ધીરજ નથી, ત્રીજું, મોબાઇલ જોવા સિવાય તેમને બીજી કોઈ ઇચ્છા હોતી જ નથી. તેમનું સંપૂર્ણ ધ્યાન – ફોકસ – માત્ર ને માત્ર આ ફોન પર જ હોય છે. પરિણામે જરૂરી માનસિક કુશળતાઓ તેઓ શીખી શકતા નથી.

એક આઠમા ધોરણની શિક્ષિકા લખે છે કે વર્ષો સુધી તેના વર્ગના વિદ્યાર્થીઓ પુસ્તકો રસથી વાંચતા હતા, પણ હવે આ જ બાળકોને, ફોનના વળગણમાં ફસાયા હોવથી, આ પુસ્તકો વાંચવાની ઉત્તેજના થતી નથી. અરે, સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પણ શાંતિથી વાંચી શકતાં નથી કે સાંભળી શકતા નથી. સાંભળવાની દરેક પળે તેઓ ફોન જોયા કરે છે. તેઓ ફરિયાદ કરે છે કે વાક્યો ખૂબ અઘરાં છે. એક પાનું વાંચતાં તો તેઓ હાંફી જાય છે. આનું કારણ, તે માને છે કે બાળકો સતત જે ટૂંકાં અને ગરબડિયાં વાક્યો ધરાવતા સંદેશા જોયા કરે છે તેના કારણે તેઓ થોડાં લાંબાં વાક્યો વાંચવા સમર્થ બની શકતાં નથી. કોઈ પુસ્તકનું એક પાનું વાંચતાં તો થાકી જાય છે. દરમિયાન પાંચેક વાર ઑનલાઇન જવાની તડપન થાય છે. તે કહે છે કે, એક વિદ્યાર્થીએ નીચું મસ્તક કરી તેના સામે કબૂલાત કરી હતી કે, તેણે આખું વર્ષ લગભગ એક હજાર કલાકો વીડિયોગૅમ્સ રમવામાં વેડફયા હતા. (આ ‘વેડફયા હતા’ શબ્દ શિક્ષિકાનો છે, વિદ્યાર્થીને અનુભવ એવો નથી લાગ્યો!) તે કહે છે કે, એક અલ્પવિરામ જેવો નાનો મુદ્દો શીખવતાં પણ તેને નાકે દમ આવી જાય છે.

અભ્યાસીઓ કહે છે કે, કોરિયા, વિયેટનામ, ભારત, તાઇવાન જેવા જે નવા-નવા દેશો સમૃદ્ધિ તરફ જઈ રહ્યા છે, તેના યુવાનોની સ્થિતિ તો વધારે ખરાબ છે. તેના યુવાનો તો મહત્તમ સમય ગેમિંગ, સોશિયલ મીડિયા, વર્ચ્યુઅલ રિયાલિટી જેવાં ઇન્ટરનેટનાં વળગણોમાં ભયાનક ફસાઈ ગયા છે. તેના પરિણામે આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. યુવાનો એકલતાનો ભોગ બની રહ્યા છે. થોડી વાર પણ નવરા પડે છે, તો મૂંઝાઈ કે ગભરાઈ જાય છે, જે તેમને હિંસક બનાવે છે. સહનશક્તિ શૂન્ય થઈ ગઈ છે. અમેરિકાના આઠથી અઢાર વર્ષના તરુણોના આઠ ટકા આ વળગણના કારણે હૉસ્પિટલોમાં મનોવૈજ્ઞાનિક સારવાર લઈ રહ્યાં છે. તેમના મનની સ્થિતિ દારૂડિયાઓ કે ડ્રગ લેનારાઓ જેવી થઈ ગઈ છે. આપણે ક્યારેક વાંચીએ છીએ કે તેઓ આખી રાત મોબાઇલમાં ફસાયેલા રહે છે અને આખો દિવસ સૂતા રહે છે. તેઓ ભાગ્યે જ નહાય છે કે ભોજન લે છે. આ બાબત જો તેમનાં કુટુંબીજનો અટકાવવાનો પ્રયાસ કરે છે તો તેઓ હિંસક બની તેમને મારવા પણ તૈયાર થઈ જાય છે.

આનું ભયંકર પરિણામ એ આવ્યું છે કે, લોકોની એકાગ્રતાની તાકાત બહુ જ ઓછી થઈ ગઈ છે. અરે, જાહેરાતની કંપનીઓ પણ ફરિયાદ કરે છે કે, આગળ તેમની જાહેરાતો એક મિનિટ પણ ચાલતી હતી, તો પરિણામ  જોવા મળતું હતું, પણ હવે તો અર્ધી મિનિટથી થોડી વધારે લાંબી જાહેરાત ચાલે, તો લોકો જોતા નથી. તેમનું ધ્યાન ભટકી જાય છે. તરત મોબાઇલ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. આ બધાના કારણે તેની મનોદશા એવી થઈ જાય છે કે, ‘જે થતું હોય તે થવા દો. મને કશાની પડી નથી.’

એટલે જ નોબલ ઇનામ વિજેતા હર્બર્ટ સાઇમન લખે છે કે “આજે જે માહિતીનો વિસ્ફોટ થયો છે, તેણે એકાગ્રતાની ભયાનક ગરીબી સર્જી છે.”

આના પરિણામે આવનારા સમયમાં સંશોધનો, સર્જનાત્મક કાર્યો વગેરેમાં જબરી ખોટ જશે તેવો સંભવ છે. એ પણ સંભવ છે કે, આવનારા સમયમાં એકાગ્રતા કેળવવા, ટકાવવા સતત દવાઓ લેવી પડશે અને આની શરૂઆત થઈ ગઈ છે.

શું કરશું? આનો જવાબ તો માતાપિતાઓ, શિક્ષકો કે મનોવિજ્ઞાનીઓ જ આપી શકે, જો તેઓ પણ આ રોગનો ભોગ ન બન્યાં હોય તો!

ભુજ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 14 તેમ જ 12

Loading

ક્યાં સુધી ?

અઝીઝ ટંકારવી|Poetry|1 November 2021

આપણે બેઉં
આ જ ધરતીનાં છોરું
એ રીતે જોઈએ તો
આપણે માડીજાયા
પણ બંને વચ્ચે
આભ-જમીનનું અંતર
તમે ઊજળા-ઉજમાળા
અમે મડિયલ-મેલાયેલા
તમારા નસીબ આડેનું પાંદડું ખસેડવા
તમે અમારાં
હાડ-ચામને પીલી નાંખ્યાં
ને બદલામાં શું આપ્યું?
ગંદી-ગંધાતી ઝૂંપડપટ્ટી
પેટનો ખાડો ય ન પુરાય
એટલું મહેનતાણું
અમારા ભાગ્યને દોષ દેતાં
તે ય અમે મજબૂર મજૂરે સ્વીકાર્યું
પણ તમે તો
અમારા પરસેવાથી તરબતર
કરેલી તિજોરીમાંથી –
અમારા હક્કનો
દસ હજારમો હિસ્સો ય
આપવામાં અખાડા કરો છો
ને સરકાર માઈ-બાપ
તમને થાબડભાણાં
અને અમને –
હથેળીમાં ચાંદ દેખાડ્યા કરે છે
આ બધું જોઈને
અમને પ્રશ્ન તો થાય જ ને
કે એક જ ધરતીનાં છોરું
છતાં ય અમારી સાથે
આવો હળહળતો અન્યાય
આવા ભેદભાવ
ક્યાં સુધી ?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16

Loading

...102030...1,7721,7731,7741,775...1,7801,7901,800...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved