આ લખી રહ્યો છું, ત્યારે ૧૯૩૨ના સપ્ટેમ્બર, ૧૬થી લંડનમાં શરૂ થયેલી રાઉન્ડટેબલ કૉન્ફરન્સની યાદ તાજી થઈ આવે છે. ભારતને થોડા સમયમાં આઝાદી મળશે તેવી પ્રસ્તાવના અને આશા સાથે આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે ગાંધીજી અને સર પ્રભાશંકર પટ્ટણી, મહાદેવભાઈ દેસાઈ તથા અનેક મહાનુભાવો અને રાજકીય નેતાઓ એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં મુંબઈથી લંડન જવા નીકળેલા.
આ સમયે તેમને વિદાય આપવા મારા દાદાજી સ્વ. વિજયશંકર કાનજી પટ્ટણી કે, જેઓ પ્રભાશંકરના કાકાના દીકરા ભાઈ થતા હતા, તેઓ પણ ગયેલા. સ્ટીમરમાં સામાન ચડી ગયેલો. ગાંધીજી અને તેમના સાથીઓનો પણ ખૂબ જ સામાન હતો. આટલો બધો સામાન જોઈને અકળાઈને ગાંધીજી બોલ્યા કે “મહાદેવ, આટલો બધો સામાન સપ્રુ અને જયકરને શોભે, આપણને ન શોભે”. સપ્રુ અને જયકર એ સરકાર તરફથી જનારા અધિકારીઓ પૈકીના નામાંકિત ધારાશાસ્ત્રીઓ હતા. ગાંધીજીનું આ વાક્ય સાંભળીને મારા દાદાજીથી નારાજગીભર્યું હસાઈ ગયું એ તરફ ગાંધીજીનું ધ્યાન ગયું અને તેમણે પ્રભાશંકરને પૂછ્યું કે, હું આમ બોલ્યો, ત્યારે આ ભાઈ કેમ હસ્યા? કોણ છે એ? પ્રભાશંકરે કહ્યું, “મારો નાનો ભાઈ છે અને એમને આપ જ પૂછોને ? “પૂ. ગાંધીજીએ વિજયશંકર પાસે આવીને પૂછ્યું કે હું આમ બોલ્યો, ત્યારે તમે કેમ નારાજગીભર્યું હસ્યા? વિજયશંકરે નમ્રતાથી જવાબ આપ્યો કે સાદગીની કોઈ સરખામણી ન હોઈ શકે. સહુ કોઈ પોતપોતાની રીતે સાદગી અપનાવતા જ હોય છે પણ આપ આ રીતે બોલ્યા અને મારાથી હસાઈ ગયું, મારી નારાજગી અભિવ્યક્ત થઈ ગઈ એ મારી અંગત મર્યાદા માટે માફી માગું છું.”
ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે તૈયાર કરનાર સર પ્રભાશંકર હતા, તેમણે ગાંધીજીને સમજાવેલું કે, ભારતમાં તમે જે કંઈ કહો છો તે સમાચાર ચળાઈને બ્રિટનના લોકો સુધી પહોંચે છે. આપ બ્રિટનની પ્રજા વચ્ચે જઈને કહો તો તેની ઘેરી અસર પડશે. ગાંધીજી સંમત થયા અને માન્ચેસ્ટર મિલના કામદારો વચ્ચે જઈ વાતો કરી. આંદોલનનું આ એક મોટું પગલું હતું. આ સમય દરમિયાન પ્રભાશંકરે એક મોટું પગલું ભર્યું, જે એક મોટા સંસ્મરણરૂપે આપણી સામે આજે ય છે. તેમણે પૂ. ગાંધીજીને કહ્યું કે, અમને ન ગમે તેવાં અનેક કામ કરવાનું તમે અમને કહો છો, તો તમને ન ગમે તેવું અમારું એક કામ આપશ્રી કરો. મારા અંગત સંગ્રહ માટે આપનું એક તૈલચિત્ર તૈયાર કરવું છે, તે માટે આપ અનુમતિ આપો. પૂ. ગાંધીજી સહમત થયા અને જે માણસ ફોટોગ્રાફ પડાવવા માટે પણ સહમત ન થાય તેણે એક તૈલચિત્ર બનાવવા માટે બે-બે કલાકના ચારેક સીટિંગ આપેલા. બ્રિટનના જગવિખ્યાત પોટ્ર્રેઇટ આર્ટિસ્ટ ઓસ્વાલ્ડ બિર્લી પાસે આ તૈલચિત્ર તૈયાર કરાવ્યું. ઓસ્વાલ્ડ બિર્લીને પછીથી ‘સર’નો ઇલ્કાબ મળેલો!
આ તૈલચિત્ર લઈને પ્રભાશંકર ભાવનગર આવ્યા અને એક પેટીમાં રાખી મૂક્યું. પોતાનો અંત નજીક આવતો જોઈને તેમના પુત્રરત્ન અનંતરાય પટ્ટણી, જેઓ ત્યારે જૂના ભાવનગર રાજ્યના દીવાન બની ગયા હતા, એમને બોલાવીને કહ્યું કે, દેશ સ્વતંત્ર થાય, ત્યારે હું નહીં હોઉં, પણ તું હોઈશ. હું ઇચ્છું છું કે, આ પેટીમાં આ એક એવી વ્યક્તિનું ચિત્ર છે કે, જેણે દેશની સ્વતંત્રતા મેળવવા માટે સહુથી મોટું કામ કર્યું છે. અને તે તૈલચિત્ર દેશના પાર્લમેન્ટ હાઉસમાં મુકાય. અનંતરાયને ખબર હતી કે, આમાં પૂ. ગાંધીજીનું તૈલચિત્ર છે. પ્રભાશંકરનું તા. ૧૬-૨-૧૯૩૮ના દિવસે અવસાન થયું કે, જ્યારે તેઓ ૧૭-૨-૧૯૩૮થી હરિપુરામાં યોજાયેલા કાઁગ્રેસ-અધિવેશનમાં હાજરી આપવા જવાના હતા. તેમની અનુપસ્થિતિમાં પછીથી ભાવનગર રાજ્ય તરફથી દુલાભાયા કાગ અને અંગત લોકો ગયેલા.
તા. ૧૫-૮-૧૯૪૭ના દિવસે દેશ આઝાદ થયો અને અનંતરાયે રાજેન્દ્રપ્રસાદને પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છાની જાણ કરી. આ સમયે બંધારણસભાની કાર્યવાહી રોજ ચાલતી હતી. એ દરમિયાન તા. ૨૮-૮-૧૯૪૭ના દિવસે (જ્યારે પૂ. ગાંધીજી હજી આપણી વચ્ચે હતા) બંધારણીય સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદના વરદ્દ હસ્તે આ તૈલચિત્રનું અનાવરણ થયેલું. પ્રભાશંકરની જેમ તેના પુત્રરત્ન અનંતરાય પણ અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા અને તેમની પણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સાથે સારી મૈત્રી હતી. આ પોર્ટેઇટની સાથે અનંતરાયે ડૉ. રાધાકૃષ્ણન્ સાથે પડાવેલી તસવીર અમારા પરિવારના સંગ્રહમાં છે. ગાંધીજીએ તૈલચિત્રમાં આપેલો પોઝ એક સિગ્નેચર પોઝ બની ગયેલો છે. એ ફોટોગ્રાફની એક કૉપી અનંતરાયે મારા પિતાશ્રી સ્વ. મુકુન્દ પારાશર્યને તા. ૩૦-૧-૧૯૪૮ના દિવસે સવારમાં આપેલી, જેમાં લખેલું છે. “ચિ. મુકુન્દને – અનંતરાય”. અને એ સાંજે પૂ. ગાંધીજીની હત્યા થઈ. બંધારણસભાની દૈનિક કાર્યવાહીના તા. ૧૫-૮-૧૯૪૭થી ૩૧-૮-૪૮નાં પાનાંઓ મારી પાસે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 07