ફ્લેશબેક
૬૦થી ૭૦ના દાયકામાં આવેલી ફિલ્મ “અનુપમા”નો આસ્વાદ “એક ઉપમાલાયક અનુપમા” શીર્ષક નીચે ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત થયેલો. આ આસ્વાદના આધારે ઉમાશંકર જોશી આ ફિલ્મ જોવા ગયેલા અને તે જોયા પછી પોતે નિરાશ થયેલા અને મંતવ્ય પ્રકટ કરતાં કહેલું કે આ ફિલ્મમાં સર્જકકર્મ નહિવત્ છે. પછી આવા આસ્વાદો સંસ્કૃતિમાં પ્રકાશિત કરવાનું બંધ કરેલું. એવું જરા પણ નહોતું કે પરફોર્મિંગ આટ્ર્સમાં તેમને રસ ન હતો. ‘સંસ્કૃતિ’ સામયિકના મુખપૃષ્ઠ ઉપર નાટ્ય અદાકાર પ્રવીણ જોશીનું દેહાવસાન થયું ત્યારે તેમનો ફોટો પ્રકાશિત કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપેલી. પ્રવીણ જોશીનાં સારાં નાટકો દિનેશ હૉલ, અમદાવાદમાં જોયાની વાત તેમણે કરી હતી એ પછી એક વખત તેઓ ભાવનગર આવેલા અને પિતાશ્રી (મુકુંદરાય પારાશર્ય) પાસે સાતેક દિવસ રહેલા. આ સમયે સમાંતર ફિલ્મો (ન્યુ વેવ ફિલ્મો) અંગે તેમની સાથે વાતો થયેલી. ભાવનગરમાં સપ્તકલા સિને કલબ નામની એક સંસ્થા અમે મિત્રો ચલાવતા. આવી એક સંસ્થા અમદાવાદમાં અને એક વડોદરામાં સરસ કામ કરતી હતી. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા આયાત કરવામાં આવતી આ ફિલ્મો ૧૬ એમ.એમ. અને ૩૫ એમ.એમ.ની સાઈઝમાં આવતી. ફિલ્મની લંબાઈ પ્રમાણે તેનાં સ્પૂલ આવતાં. બેથી ત્રણ સ્પૂલમાં તેનો સમાવેશ થઈ જતો. આ ફિલ્મોનાં સ્પૂલ લેવા માટે અમે અમદાવાદમાં પારેખ્સના સ્ટોરમાં જતા, અને તે જ રાત્રે ભાવનગર તે ફિલ્મને શો કરી બીજા દિવસે પારેખ્સમાં એ પરત કરતા. આ ફિલ્મોને ગુજરાત સર્કીટમાં બતાવ્યા પછી તેને પછીના કેન્દ્રમાં પહોંચાડવામાં આવતી. અદ્ભુત ફિલ્મો જોયાનું યાદ આવે છે, જેમાં ઈન્ગમાર બર્ગમેન, ઝ્યાં રેનવા, રોમન પોલાન્સ્કી વ.નો સમાવેશ થાય છે. ઈરાન જેવા દેશમાંથી પણ એક આર્ટ ફિલ્મ આવેલી. વર્ષ હતું ૧૯૮૦.
આ ફિલ્મો અંગે ઉમાશંકર સાથે વાતો થયેલી અને તેઓ ભાવનગર હતા તે દરમિયાન જ ૧૬ એમ.એમ.ની એક આર્ટ ફિલ્મ આવેલી. એ, અમે ભાવનગરની મહિલા કૉલેજમાં એક હોલમાં પ્રોજેક્ટર મેળવીને બતાવેલી. આ ફિલ્મ જોવા હું તેમને સાથે લઈ ગયેલો. ત્યારે આ ફિલ્મો નીચે પાથરેલી જાજમ ઉપર બેસીને જ જોવાતી. અમારા મિત્રો ઉમાશંકર માટે ખુરશી લઈ આવ્યા, પણ તેમણે કહ્યું કે તમે બધા મિત્રો જે રીતે બેસીને ફિલ્મ માણશો એ રીતે હું પણ જોઈશ. પરદેશની અનેક ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સવાળી જ આવતી અને તે રીતે સત્યજિત રે કે ઋત્વિક ઘટકની ફિલ્મો પણ અંગ્રેજી સબટાઈટલ્સવાળી આવતી. શર્મિલા ટાગોરના અભિનયવાળી ફિલ્મ ‘દેવી’ના તા. ૪-૧-૧૯૬૫ના પ્રદર્શનથી સપ્તકલા સિને કલબનો પ્રારંભ થયેલો. કાળક્રમે વીડિયો હોમ સિસ્ટમ અને ટેલિવિઝનના પ્રસારથી ધીરે ધીરે આવી ફિલ્મ કલબો બંધ થઈ. મિત્રો સાથે નીચે બેસીને ફિલ્મ જોવાની ઉમાશંકરની સજ્જતા-નમ્રતા ભૂલી નહીં શકાય. પણ ભાવનગરને સંસ્કારવામાં અને આંતરરાષ્ટ્રીય ચેતના પ્રવાહમાં લોકોને જોડવા માટે સપ્તકલા સિને કલબનું બહુ મોટું યોગદાન રહ્યું છે. જ્યારે શહેરની વસ્તી બે લાખ જેટલી હશે ત્યારે સત્યજિત રે દિગ્દર્શિત અને માધવી મુખર્જી અભિનીત ફિલ્મ ‘ચારુલતા’ ભાવનગરના પેલેસ ટોકીઝમાં પૂરા સાત દિવસ ચાલેલી. સબટાઈટલ્સ અંગ્રેજી છતાં લોકોએ તે ખૂબ માણેલી. આ ફિલ્મમાં બે ગીતો કિશોરકુમારે ગાયેલાં છે મારી સાથેનો મિત્ર સાંભળીને બોલી ઊઠેલો કે આ તો કિશોરકુમારનો અવાજ છે.
આ જ રીતે ફિલ્મ અભિનેતા ઓમ પુરી ભાવનગરમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મના શુટિંગ માટે આવેલા. ગ્રોફેડ માટે ગોવિંદ નિહલાની તેનું શુટીંગ કરી રહ્યા હતા. ઓમ પુરીએ મારી પિતરાઈ બહેન દીપ્તિ ભટ્ટ સાથે આરોહણ ફિલ્મમાં કામ કરેલું. આવી જ એક ફિલ્મ જોવા માટે અમે ઓમ પુરીને આમંત્રણ આપ્યું. ‘અર્ધસત્ય’ એ તેમના હિંદી ચલચિત્રથી ચાહકો પરિચિત હતા. કોઈ ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તે ફિલ્મોના ટૂંક પરિચય ચાર-પાંચ મિનિટમાં કોઈ આપી દેતું. ઓમ પુરી સાથે હસ્તધૂનન કરતાં એક આત્મીય પરિચય થયો. ઓમ પુરીના કલકત્તાનિવાસ દરમિયાન એ ગમે ત્યારે દીપ્તિના પિતાશ્રી અત્રિકુમાર ભટ્ટને ત્યાં આવતા, જમતા અને આરામ કરતા. ૧૬ એમ.એમ.ની ફિલ્મ શરૂ થતા પહેલાં ઓમ પુરીના વ્યક્તિત્વનો સુપેરે પરિચય કોઈએ આપેલો. બિમલ રોયના પુત્રરત્ન પણ સાથે આવેલા ઓમ પુરી સાથે થોડી વાતચીત થયા પછી શો શરૂ થયો એટલે પોતાની ખુરશીઓ દીવાલ પાસે ગોઠવીને અમારી સાથે પલાંઠી વાળીને ફિલ્મ જોવા તે બેસી ગયા. તેમણે કહ્યું “ફિલ્મ સાથે બેસીને જોવાથી વધારે આનંદ આવે છે” જે હોટેલમાં તેઓ ઊતર્યા હતા તેની બહારથી એક ટોળું પસાર થયું. ઓમ પુરીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે એક સનિષ્ઠ મ્યુનિસિપલ કમિશનરની સરકાર બદલી કરી રહી છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા નગરજનોએ આ સરઘસ કાઢ્યું છે. જાહેર સેવાના કોઈ વરિષ્ઠ અધિકારી અંગે આ પ્રકારની લોકોની સંવેદના જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. પીડિતો અને વંચિતોના ઉત્કર્ષના હિમાયતી હતા. ઈન્દિરા ગાંધીના સમયમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિદ્ધાર્થશંકર રે હતા ત્યારે ‘આરોહણ’ ફિલ્મને તેમણે પ્રદર્શિત કરવા ન હોતી દીધી. કટોકટી પાછી ખેંચી લીધેલી તે પછીના સમયની આ વાત છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 16