Opinion Magazine
Number of visits: 9570947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેલ ઓમવેટ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2021

અલવિદા

પચીસની ઑગસ્ટે એ ગયાં અને કર્મશીલ બૌદ્ધિકતાનો, ખાસ કરીને ન્યાય ને સમાનતાના પક્ષમાં વૈચારિક સ્પષ્ટતા ને સંઘર્ષશીલતાનો એક અધ્યાય પૂરો થયો : ગેલ ઓમવેટ (૧૯૪૧-૨૦૨૧) ગયાનું સાંભર્યું ત્યારે જરી વિલક્ષણ લાગે પણ મને થઈ આવેલું પહેલું સ્મરણ નિવેદિતાનું હતું. વિવેકાનંદનાં ખેંચાયાં ભગિની નિવેદિતા ભારત આવ્યાં અને ભારતનાં થઈને રહ્યાં. ગેલ પણ તમે જુઓ, અહીં આવ્યાં તો હતાં ડૉક્ટરલ અભ્યાસના સિલસિલામાં પણ સહજક્રમે એમનો સંસાર પણ અહીં જ મહોર્યો.

અમેરિકી કન્યકા ગેલ ઓમવેટ અને મહારાષ્ટ્રમાં સાંગલી કનેનો ભારત પાટણકર પરણ્યાં તે બૉય મિટ્‌સ એ ગર્લ ઍન્ડ ધે ગો ધ વે ઑફ ઑલ ફૅલશ એવી ચાલુ કિસમની કહાણી નહોતી.

ગેલ ઓમવેટ અમેરિકાથી અહીં શોધ છાત્રા તરીકે આવ્યાં ત્યારે વતનથી જે વારસો અગર સંસ્કાર સાથેલગો લેતાં આવ્યાં હતાં તે વિયેટનામ વૉરના વારામાં અમેરિકી કેમ્પસો જે યુદ્ધવિરોધી છાત્ર આંદોલનથી ધણધણી ઉઠેલાં એનો હતો, અને અભ્યાસવિષય સામાજિક ઊંચનીચગત શોષણનો હતો. આ અભ્યાસે એમને ફૂલે-આંબેડકર પરંપરામાં સમયતા સંઘર્ષના મુખર સિપાહી બનાવ્યાં. સંઘર્ષના એક સાથી તરીકે એમનો ને ઈન્દુમતી પાટણકરનો પરિચય થયો. બાબુજી અને ઈન્દુમતી એ પાટણકર દંપતી સ્વાંતંત્ર્યસૈનિક પરંપરામાંથી આવતું હતું અને બંનેનું, બાબુજીને ઈન્દુમતીનું પ્રથમ મળવું પતરી કહેતાં પ્રતિ સરકારના સાથી તરીકે થયું હતું. સન બાયાલીસમાં એક છેડે જો ચંદ્રશેખરનું બલિયા ગાજ્યું હશે તો બીજે છેડે નાના પાટિલનું સાતારા. પતરી સરકારનો દોર પૂરો થયો તે સાથે ઈન્દુમતીનું સંધાન સાને ગુરુજીના રાષ્ટ્ર સેવાદળ સાથે થયું. સ્વાંતત્ર્ય માટેની કૉંગ્રેસ ચળવળ દરમિયાન સામ્યવાદ તરફ વળેલા પિતાના વારસા અને સેવાદળના સંસ્કાર સાથે ઈન્દુમતીનું આજીવન રુઝાન દલિતો ને શ્રમિકો તરફે રહ્યું. પુત્ર ભારત એમ.ડી. (ગાયનેક) થયો પણ થોડાં જ વરસોમાં એ સમતાસંઘર્ષમાં હોલટાઇમર બની રહ્યો. કર્મશીલ રુઝાનવાળાં બૌદ્ધિક ગેલ કદાચ, ઈન્દુમતીને કારણે જ ભારતના સંપર્કમાં આવ્યાં હશે. ગમે તેમ પણ, સ્વરાજના આગલા પડાવ તરીકે સમતા સંઘર્ષલક્ષી શ્રમિક મુક્તિદળનું ૧૯૮૦માં આવવું સહજ હતું, અને સાસુવહુનો એમાં સક્રિય સહભાગ પણ.

ગેલ ઓમવેટનાં પુસ્તકો ‘ઇન કોલોનિયલ સોસાયટી, નૉન-બ્રાહ્મિન મુવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’; ‘મહાત્મા ફૂલે, દલિત એન્ડ ધ ડેમોક્રેટિક રેવોલ્યુશન’, ‘વી વિલ સ્મૅશ ધ પ્રિઝન’, ‘ન્યુ સોશ્યલ મુવમેન્ટ ઇન ઇન્ડિયા’ વગેરેને અનુલક્ષીને યથા પ્રસંગ ચંદુ મહેરિયા જેવા કોઈ અભ્યાસી સાથી લખશે. પણ ભારત પાટણકરમાં જો અભ્યાસીઓએ માર્ક્સ, ફૂલે, આંબેડકર, ગ્રામસી આદિની અજબ જેવી મિલાવટ નોંધી હોય તો એ આપણી નવી ચળવળો બાબતે અચ્છો સહવિચારમુદ્દો બની રહે છે. ગઈ સદીમાં ત્રીસીનાં વર્ષોમાંથી જેમ માર્કસસાત્‌ ગાંધી અને ગાંધીસાત્‌ માર્ક્સ એવી કર્મશીલે બૌદ્ધિક ધારા આવી એનું, નવપરિમાણ સમેત આ એક અગ્રસંધાન નથી શું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 16

Loading

આશ્રમનું ભાવિ

થૉમસ વેબર ચાર્લ્સ ડિસાલ્વો અને ડેનિસ ડાલ્ટન|Opinion - Opinion|29 August 2021

મહાત્મા ગાંધીના જીવન અને વિચારના અભ્યાસીઓ તરીકે અમને ગયા કેટલા ય દાયકા દરમિયાન અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝમાં કામ કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. આશ્રમ આર્કાઇવ્ઝ ગાંધીએ લખેલાં અને તેમને મળેલા પત્રોનો સહુથી મોટો ભંડાર છે.

અમે આશ્રમની પવિત્ર ભૂમિમાં ફર્યા છીએ; ગાંધી એમનાં પત્ની કસ્તૂરબા સાથે ૧૯૧૭થી માંડીને ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચ માટે અહીંથી નીકળ્યા સુધી જ્યાં રહ્યા તે ઘર પણ અમે જોયું છે.  અમને સવાલ થતો રહ્યો છે કે એકવીસમી સદીમાં આ આશ્રમ કઈ દિશામાં આગળ વધી શકે. અમારા અભ્યાસનાં વર્ષો દરમિયાન અમે સાબરમતી

આશ્રમ શું બની શકે, ગાંધીના સંદેશનો ફેલાવો કરવામાં તેની શી ભૂમિકા હોઈ શકે અને વિશ્વકક્ષાની મહત્તા ધરાવતા આ સ્થળનો સહુથી અસરકારક ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે પણ વિચારતા રહ્યા છીએ.

અલબત્ત, ભારતના એક સહુથી મહત્ત્વનાં ઐતિહાસિક સ્થળ તરીકે, એક સંગ્રહાલય તરીકે અને એક યાત્રાધામ તરીકે સાબરમતી આશ્રમની મોટી ભૂમિકા છે. સત્યની શોધ માટે પ્રેરણા આપનારી આ જગ્યા છે. પર્યાવરણની પડતી અને હાજરાહજૂર આર્થિક અસમાનતાના આ કાળમાં, ઝીણું જોનાર મુલાકાતીને આ જગ્યા અહિંસા અને સાદગીનું મૂલ્ય બતાવે છે. એટલા માટે ગાંધીએ શીખવેલા અને આ આશ્રમમાં સાકાર થતા વિચારો પહેલાં કોઈ પણ તબક્કે હતા એટલા જ આજે પણ મહત્ત્વના છે.

ગાંધીએ નમૂના તરીકે રજૂ કરેલાં ઊંચા સ્તરના વિચાર અને જીવન માટે આશ્રમની પ્રકૃતિ અનુકૂળ છે. ગાંધી આશ્રમના પરિસરની અત્યારની સાદગી અને સુઘડતામાં એટલી બધી શક્તિ છે કે સંવેદનશીલ મુલાકાતી એની અસરથી દૂર રહી જ ન શકે. જુદો ચીલો પાડનાર વિચારક ઇવાન ઇલિચે ૧૯૭૦ના દાયકાના આખરી વર્ષોમાં સેવાગ્રામની ગાંધી કુટિર વિશે નોંધ્યું છેઃ ‘ગાંધીની આ કુટિર દુનિયાને બતાવે છે કે સાધારણ માણસનું ગૌરવ પણ શી રીતે ઊંચું લાવી શકાય. આપણે સાદગી, સેવા અને પ્રામાણિકતાના આચરણથી કેવી રીતે સુખી થઈ શકીએ એનું પણ કુટિર પ્રતીક છે.’

ઇલિચે આ વાત આટલી જ સહજતાથી હૃદયકુંજ માટે પણ કહી હોત. હૃદયકુંજ એટલે ગાંધી અને કસ્તૂરબા આશ્રમમાં જ્યાં રહેતાં હતાં તે મૂળ ઘર. પણ ઇલિચે કહ્યું તેવું સુખ સમય જતાં, ધીમી ગતિએ તેમ જ શાંતિથી કરેલાં મનન-ચિંતનમાંથી આવે છે. આવું સુખ ટોળાં હોય ત્યાંથી મળવું અશક્ય જ છે.

ભવિષ્યની દૃષ્ટિએ આશ્રમની પ્રસ્તુતતા જળવાય તેના બે રસ્તા શક્ય જાણાય છે. એક દેખીતો રસ્તો છે કે જેમાં નફા કરતાં નુકસાન વધુ હોય એમ અમને લાગે છે. એ રસ્તો પસંદ કરીએ તો આશ્રમ ‘વર્લ્ડ ક્લાસ’ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એટલે કે વિશ્વ કક્ષાનું પ્રવાસન મથક બનશે. આશ્રમના રિડેવલપમેન્ટના પ્રસ્તાવ અંગેના અખબારી અહેવાલો જો બરાબર હોય તો આશ્રમ પ્રવાસીઓનું કેન્દ્ર બનશે. આ બનવાની સાથે, ત્યાં મોટરો પાર્ક કરવા માટેની વિશાળ જગ્યા, ફૂડ કોર્ટ, દુકાનો, વી.આઈ.પી લાઉન્જ હશે અને ‘૧૯૪૯નો અનુભવ લઈ શકાય શકાય તેવું આરોગ્યપ્રદ, શાંત અને ભીડભાડ વિનાનું વાતાવરણ’ પણ ફરીથી ઊભું કરવામાં આવ્યું હશે. આમાંથી સરકારને આવક પણ થશે અને કદાચ મહાત્મા અત્યારે છે તેના કરતાં ઘણાં વધુ લોકોમાં જાણીતા થશે.

એ બાબતનો પણ વિચાર થવો જોઈએ કે આશ્રમને ચોંકાવનારી સાદગીવાળી, ખાણીપીણીની દુકાનો તેમ જ વી.આઇ.પી. લાઉન્જ (આના વિશે ગાંધીએ શું કહ્યું હોત ?) વિનાની અને બીજી જગ્યાઓની સરખામણીમાં પહોંચવામાં થોડીક મુશ્કેલી પડે તેવી જગ્યા તરીકે જાળવી રાખવામાં એક વધુ ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય છે. ડિસ્નેલૅન્ડ જેવું આકર્ષણ ઊભું કરી શકે તેવો ગાંધી થીમ પાર્ક સેલ્ફી લેનારા લોકોને ખૂબ ગમે એમ બને. મરતાં પહેલાં એક વાર જોવા જેવાં સ્થળોની યાદીમાં ગાંધી આશ્રમને મૂકનારા પ્રવાસીઓને પણ અહીં આવ્યાનો સંતોષ મળે.(ગાંધીને ફરીથી દાંડી જવાનું થાય તો એ શું કહેશે ?) 

જો કે બીજો પણ એક અભિગમ છે. તેની પરિકલ્પના કરવી કંઈક અઘરી છે, પણ તેમાં આશ્રમ એવી જગ્યા બને (ખરેખર તો, એવી જગ્યા તરીકે ટકી રહે) કે જ્યાં ગાંધીવાદી વાતાવરણ અનુભવી શકાય.અમદાવાદનો સાબરમતી આશ્રમ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીએ સાધનશુદ્ધિના પ્રયોગો કર્યા અને તારણો તારવ્યાં. અહીં સમૂહજીવન અને સમૂહભોજન એટલે નાતજાતના ભેદનો અંત. અહીં નિવાસીઓ એક સામ્રાજ્ય સાથે બાથ ભીડતા શીખ્યા.

આશ્રમની કાયાપલટનો અત્યારનો સૂચિત પ્રસ્તાવ ગાંધીના વિચારો અને સંદેશને ભૂસી નાખવામાં નહીં પરિણમે ? આ પ્રસ્તાવનું અમલીકરણ થયા પછી શું આપણે આશ્રમમાં ગાંધીચેતના અનુભવી શકીશું ? નુકસાન થશે તે માપી શકાય તેવું નક્કર નહીં હોય ; એ અમૂર્ત હશે, પણ એ પ્રચંડ હશે.

ગાંધીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તેમણે અમેરિકાની મુલાકાત શા માટે લીધી નથી, ત્યારે તેમણે એવો ડર વ્યક્ત કર્યો હતો  કે લોકો એમને નવરાશમાં જોવા જેવી બાબત તરીકે મળવા માટે આવશે : ’ચાલો ને ભારતીય પ્રાણીબાગના ઓલા પ્રાણીને  જોતાં આવીએ.’ ગાંધીને એવા લોકો જોઈતા હતા કે જેમને એ ખરેખર શું કહે છે તે સમજવામાં રસ હોય, એમણે એવા લોકોને  આશ્રમમાં આવીને પોતાની શીખનો વિગતવાર અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું.

આશ્રમના પુનઃવિકાસ પ્રકલ્પમાં તેને માત્ર સહેલાણીઓને આકર્ષવા માટેના ટૂરિસ્ટ હબ બનાવવા કરતાં બીજો ઘણો અવકાશ છે. ગાંધી જ્યાં ચાલ્યા, જ્યાં તેમણે કામ કર્યું; જેના પરિસરના  બાગમાં, ઘરમાં, પ્રાર્થના-મેદાનમાં ગાંધી ચેતના અનુભવી શકાતી હોય એવું આ સ્થળ – ગાંધી અને તેમના સંદેશને સમજવા માટેનું  જીવંત, ધબકતું સ્થાનક બનાવવાની આ તક છે.

એમ બને કે ગાંધીવિચારના અભ્યાસી તરીકે અમારો દૃષ્ટિકોણ સાંકડો હોય. એટલે એનાથી વ્યાપક રીતે જોઈએ તો આશ્રમને એવું મથક બનાવી શકાય કે જ્યાં એકઠા કરેલ Gandhianaનું – એટલે કે ગાંધીવિચારના રાશિનું – અભ્યાસીઓ અને શાંતિસૈનિકો આદાનપ્રદાન કરી શકે. આ મથક થકી ગાંધીવિચારના અભ્યાસ તેમ જ પરિપક્વ અમલીકરણને પ્રોત્સાહન મળે, જેમાંથી કદાચ ગાંધીવિચારથી પ્રેરણા પામેલા લોકોનો એક વિશ્વવ્યાપી સમુદાય ઊભો થાય.

આશ્રમમાં ગાંધીને લગતા દસ્તાવેજો અને માહિતી ગાંધી હેરિટેજ પોર્ટલ થકી વિજાણુ માધ્યમથી પૂરા પાડવામાં આવે છે. એટલે હવે આશ્રમ ગાંધી સંશોધનનું આંતરરાષ્ટ્રીય હબ ન બની શકે ?

ગાંધી આશ્રમ અભ્યાસીઓ અને સંશોધકો માટે એકઠા થવાનું, મળવાનું, કામ કરવાનું, એકબીજાને મળવાનું, માહિતીની આપ-લે કરવાનું, ચર્ચા કરવા માટેનું  દુનિયાનું સહુથી મહત્ત્વનું સ્થળ બની શકે. આવું સ્થળ ગાંધી વિચારના નિષ્ણાતોના પરસ્પર સંપર્ક ઘનિષ્ઠ બનાવે, ગાંધી પરનો સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતો અભ્યાસ અહીં થઈ શકે. આ એવી જગ્યા ન બની શકે કે જ્યાં દુનિયાભરના અભ્યાસીઓ-સંશોધકો આવે અને બાહોશ સ્થાનિક વિદ્વાનો તેમ જ કર્મશીલો સાથે કામ કરે, એકાબીજા પાસેથી પ્રેરણા મેળવે?

ધ્યાનમાં રહે કે દસ્તાવેજો મળવા અને કાર્યરત સમવિચારીઓનું એકબીજાને એક સ્થળે મળવું એ બંને જુદી બાબતો છે. કોઈ જગ્યા સાદું વિદ્યાકીય ગ્રંથાલય અને આર્કાઇવ પૂરાં પાડી શકે. એ આશ્રમ પણ પૂરાં પાડે જ છે. પણ મહત્ત્વનું છે તે ગાંધી નામનું અદ્દભુત, અજોડ વાતાવરણ – એ આ  ભારતના સાબરમતી આશ્રમમાં છે. એટલે આશ્રમ થકી ભારત દુનિયા માટે સત્ય અને અહિંસાના  શોધક તરફનો પ્રકાશસ્તંભ બની શકે.

અનુવાદ : સંજય સ્વાતિ ભાવે

[આ લેખના એક લેખક થૉમસ વેબરે ‘ઑન ધ સૉલ્ટ માર્ચ : ધ હિસ્ટોરિઓગ્રાફી ઑફ ગાંધીઝ માર્ચ ટુ દાંડી’ પુસ્તક લખ્યું છે. ચાર્લ્સ ડિસાલ્વો ‘ધ મૅન બિફોર ધ મહાત્મા : એમ.કે ગાંધી ઍટર્ની ઍટ લૉ’ પુસ્તકના અને ડેનિસ ડાલ્ટન ‘મહાત્મા ગાંધી : નૉનવાયોલન્ટ પાવર ઇન ઍક્શન’ પુસ્તકના લેખક છે.]

સૌજન્ય : “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”, 25 ઑગસ્ટ 2021

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 06-07

Loading

બાપુ, હમણાં અહીંયાં આવીશ નહીં

પ્રશાંત|Opinion - Opinion|29 August 2021

પ્રિય બાપુ,

હું અમદાવાદમાં વર્ષોથી રહું છું, છતાં તમારા હૃદયકુંજની મુલાકાતે ભાગ્યે જ હું આવ્યો છું. હું જ નહીં, મોટા ભાગના અમદાવાદીઓ અને ગુજરાતીઓની આ સ્થિતિ છે. ૧૯૧૭માં તે કોચરબ આશ્રમ છોડી અમદાવાદના સીમાડે (ત્યારે આ સીમાડો જ હતો) સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી હતી, જેને આજે લોકો ગાંધી આશ્રમ તરીકે ઓળખે છે. આમ તો હવે આશ્રમ શબ્દ કાને પડે એટલે મન અનેક તર્કર્વિતક કરવા લાગે. કારણ છેલ્લાં વર્ષોમાં અનેક બાબાઓએ પોતાના આશ્રમ ખોલી કઈ પ્રવૃત્તિઓ કરી તેનાથી બધા વાકેફ છે, પણ આ બધા કરતાં તારો આશ્રમ ખૂબ જુદો છે. કારણ જે આશ્રમની માટીમાં તમે, સરદાર, મહાદેવભાઈ, કૃપાલાણીજી જેવા અનેક સત્યાગ્રહીઓ ચાલ્યા તે માટીમાં હજી પણ સત્યાગ્રહની મહેક છે. હું સોમનાથ મંદિર પણ ગયો છું અને દ્વારકા પણ ગયો છું અને હું તારા  આશ્રમના હૃદયકુંજ સામે પણ હું ઊભો રહ્યો છું, પરંતુ સોમનાથ અને દ્વારકા કરતાં અહીંયાં જુદો જ અનુભવ થયો છે.

સોમનાથ અને દ્વારકામાં જ નહીં, કોઈ પણ મંદિરમાં હું તો કાયમ યાચક બનીને જ ઊભો રહું છું, પરંતુ હૃદયકુંજમાં આવ્યા પછી તારી પાસે માંગવાની હિંમત થતી નથી, કારણ તારી ફકીરી, સાદગી, તારો પ્રેમ, તારી સહિષ્ણુતા અને સારી સમજ ઝીલવાની મારામાં હિંમત નથી, એટલે જ કદાચ હું અને મારા જેવા અનેકો તારાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. મને ખબર છે, એક વખત તારી પાસે આવ્યા પછી તારાથી છૂટવું અશક્ય છે એટલે જ મારા જેવા લોકો પોતાનાં સંતાનોને સત્યાગ્રહ આશ્રમ બતાવવાને બદલે રિવરફ્રન્ટ, સાયન્સસિટી અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બતાવે છે, પણ તારું હૃદયકુંજ દેખાડતા નથી. અમને ડર લાગે છે કે ક્યાંક અમારો માંહ્યલો જાગી જશે, તો  અમને તું ગમે છે પણ તારા રસ્તે ચાલવું પરવડે તેમ નથી.

બાપુ તું કહીશ, એમાં શું, બહુ સરળ રસ્તો છે. પણ અમને ખબર છે તારો રસ્તો સરળ નથી કારણ તું જે રસ્તે ચાલ્યો, તે રસ્તે ચાલવામાં તેં ઘણી કિંમત ચૂકવી છે. તારા જ દીકરા તારાથી નારાજ હતા, અને કસ્તૂરબાએ તો માત્ર તમારી સંગિની હોવાની કિંમત ચૂકવી છે. તું ઈશ્વર નથી. તેની મને ખબર છે, પણ હવે તને ઈશ્વર બનાવવો જ પડશે, તેવું કેટલાક લોકોએ નક્કી કર્યું છે. તને ઈશ્વર બનાવી તેઓ અમને તારાથી દૂર કરવા માગે છે. મને ખબર છે જો તને ગોળીઓથી નહીં પણ તોપથી ફૂંકી માર્યો હોત તો પણ તું મરવાનો નહોતો. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અબજો લોકોનાં હૃદયોમાં, તું આજે પણ જીવે છે, એટલે જ તારી સાદગી, તારી ફકીરી અને તારી લડાયકતા અનેકોને ખટકે છે. તેમણે નક્કી કર્યું કે તારી પાસેથી તારી ફકીરી અને સાદગી છીનવી લેવી છે, એટલે તારા હૃદયકુંજને હવે વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.

તારા ખંડેર થઈ રહેલા હૃદયકુંજના મેદાનમાં રહેલી માટીથી કોઈના પગ ગંદા થશે નહીં. ત્યાં વિદેશી માર્બલ બિછાવી દેવામાં આવશે, વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ટ, વિશ્વનાં ઉત્તમ એમપી થિયેટર, વિશ્વમાં જે કઈ ઉત્તમ છે. તેવું બધું અહીંયાં બનાવી દેવામાં આવશે. જે રસ્તે દાંડી ગયો હતો, તેને ભવ્ય બનાવી દેવામાં આવશે, કારણ તારી સાદગીની ભવ્યતા અમને રાઝ આવતી નથી. તારી સાદગી અને સહિષ્ણુતા અમને સતત અમે હીન અને ઊતરતા છીએ, તેની યાદ અપાવે છે. એટલે જ તારું અને તારા ઘરનું રિડેવલપમેન્ટ કરવાનો અમે નિર્ણય કર્યો છે. અમને ખબર છે, તને આ જરા પણ ગમશે નહીં, કારણ તને તો તારી પ્રતિમાઓ મુકાય તે પણ મંજૂર નહોતું, પણ અમારા પ્રેમ સામે તારે કાયમ લાચાર રહેવાનું છે, હવે તારા આશ્રમને અમે નવાં વર્લ્ડ ક્લાસ બનાવીશું.

બાપુ, હું તને એટલા માટે આ પત્ર લખી રહ્યો છું કે ક્યાંક તું પાછો ફરે અને તને તારો આશ્રમ મળે જ નહીં. કદાચ તને એવું લાગે નહીં તે માટે તને જાણ કરી રહ્યો છું કે હમણાં રિડેવલમેન્ટનું કામ ચાલુ છે, એટલે પાછા ફરવાની ઉતાવળ કરતો નહીં. તારા આશ્રમવાસીઓને ઘરના બદલે ઘર આપવાનું કામ ચાલુ છે, એટલે તેમની ચિંતા કરતો નહીં, બાકીના લોકોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ તેમની સંપન્નતાને કોઈ આંચ આવે તેમ નથી. તેમણે તારા નામે તેમની સાત પેઢીની વ્યવસ્થા કરી રાખી છે. ચાલ, મારી પાસે બીજાં પણ કામ છે. હું કઈ તારી જેમ ફુલટાઇમ સત્યાગ્રહી નથી. મારા ઘરે પણ હરિ અને કસ્તૂરબા છે. પાછાં તે ક્યાંક નારાજ થઈ જશે. સમય મળે પત્ર દ્વારા હું તને અહીંયાં શું ચાલી રહ્યું છે, તેનાથી અપડેટ કરીશ. સરદાર, નહેરુ સહિત તારા બધા સાથીઓને મારા રામરામ કહેજે.

તારો

પ્રશાંત

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 07

Loading

...102030...1,7711,7721,7731,774...1,7801,7901,800...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved