Opinion Magazine
Number of visits: 9674591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉજ્જવળ ભાવિ પર તોળાતી તલવારઃ સાંસ્કૃતિક વારસા પર ફરી રહેલા બુલડોઝર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 October 2021

બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો

વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ કલા નગરીનું બિરુદ વડોદરાની ઓળખ નોખી રહી છે. પણ કમનસીબે શહેરની આ વારસાગત ઓળખ પર બુલડોઝર ફરી રહ્યું છે, અથવા તો ફરી ગયું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઇ, જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક રેલવે શેડને જમીન દોસ્ત કરી દેવાયું હોવાની વાત થઇ છે. બુલેટ ટ્રેનના રસ્તાને મારગ આપવા માટે એ રેલવે શેડને જમીનદોસ્ત કરી દેવાયું છે જ્યાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે બોગીમાં મુંબઇ જતા તેને રખાતી, આ કોઇ સામાન્ય બોગી નહોતી પણ તેમાં મહારાજા મુસાફરી કરતા એટલે તેમાં ડાઇનિંગ, બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી સવલતો રહેતી. આ ઇમારત આમ પણ જર્જરીત હાલતમાં હતી કારણ કે તે મુખ્ય રસ્તાની સાવ નજીક હતી અને કોઇ પણ હેરીટેજ ઇમારતને વાહનો, પ્રદૂષણ વગેરેની માઠી અસર થતી જ હોય છે. પરંતુ કલાનગરી વડોદરાનો ખોંખારો ખાનારા આ શહેરને માટે આ ચોક્કસ નાલેશી ભર્યું જ કહેવાય કે એક ઇમારતને જર્જરીત થવા દેવાઇ અને હવે તેને હંમેશને માટે ખલાસ કરી દેવાઇ. વિરોધાભાસ તો એ છે કે આ તોડી પડાયેલા ટ્રેન શેડના ફેસ લિફ્ટ માટે બે વાર યોજનાઓ થઇ ચૂકી છે, પણ સરકારી કચેરીઓમાં એ ફાઇલ વખારે ચઢી ગઇ હશે અને હવે ૧૮૮૦ની આસપાસ બનાવાયેલી આ ઇમારત હતી ન થઇ હતી થઇ ગઇ છે. વડોદરામાં ગાયકવાડી પરિવારે આપેલા વારસાનો છેદ ઊડી જાય તો વડોદરામાં શું રહેશે? વારસો માત્ર વિચારોમાં તો ન જીવી શકે તેના પુરાવા સચવાય તો જ ભવિષ્ય ઘડવાનો પાયો મજબૂત બને તે વાસ્તવિકતા સમજવી કંઇ અઘરી નથી. પરંતુ છતાં ય ‘કલાનગરી’ વડોદરાએ વિકાસ માટે વારસો ગુમાવવાનો વારો આવ્યો. હજી ગયા મહિને અહીંની એ શાળા જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ ભણ્યા હતા તેવી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પર પણ તવાઇની તલવાર તોળાવના સમાચાર ઝળક્યા હતા.

ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જ્યાં રાજા રજવાડાં હતાં ત્યાં સાંસ્કૃતિક વારસાની ધરોહર હંમેશાંથી રહી છે. અમદાવાદને તો વર્લ્ડ હેરીટેજ સિટીનું બિરુદ મળી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ધોળાવીરાને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઇટનું ટાઇટલ આપ્યું છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસને લગતું ઘણું બધું આખા ય રાજ્યમાં પથરાયેલું છે. મીડિયા, વિવાદો અને ક્યારેક સંશોધકોની રૂચિને કારણે લોકોને આમાંથી મોટા ભાગની ધરોહર વિશે આછો પાતળો ખ્યાલ રહ્યો છે પણ તેની જાળવણી અંગેની જાગરૂકતા છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં વધારે ધારદાર બની છે.

છતાં પણ આ શહેરોમાં આ વારસાને જાળવવાને મામલે ચૂક થતી આવી છે. જેમ કે જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચિત્તાખાના ચોકની કન્યાશાળા ધરાશયી થઇ છે. વળી અમૂક શહેરોમાં તો જે સાંસ્કૃતિક વારસો નથી તેને હેરીટેજને નામે ચલાવવાના ધખારા પણ થયાં છે, જેની પાછળ સરકારી દાનત અને ખાનગી હિતોનાં સમીકરણો કામ કરી જતાં હોય છે. હેરીટેજ સિટી બનેલા અમદાવાદને હવે યુનેસ્કોને રિપોર્ટ આપવાની ઘડી નજીક આવી છે ત્યારે અવગણાયેલી સૂચનાઓ, ભંગ થયેલા નિયમો જેવી બાબતો અડચણો ન બને તે માટે તંત્ર છેલ્લી ઘડીએ સાબદું થયું હોવાના વાવડ તો છે, પણ આખરે આવા મામલે તો નીવડે વખાણ જેવી જ સ્થિતિ હોય. ૨૦૧૯માં અમદાવાદના હેરીટેજના લિસ્ટમાં આવેલી ઇમારતો પર ડિમોલીશનનું જોખમ હતું. આધુનિક વારસાની વાત કરીએ તો આઇ.આઇ.એમ. અમદાવાદમાં જ લેજેન્ડરી અમેરિકન આર્કિટેક્ટ લુઇ કાને કરેલા પ્રતિષ્ઠિત બાંધકામને તોડી પાડવાની ચર્ચા પણ ચાલી હતી જે વિરોધને પગલે અટકી ગઇ.

સુરતની વાત કરીએ તો તે હંમેશાંથી આર્થિક કેન્દ્ર જ રહ્યું છે જ્યાં ૮૪ બંદરના વાવટા ફરક્યા છે તેવું શહેર, જ્યાંથી અકબર બાદશાહ હજ પર ગયા છે, તેવું શહેર જ્યાં અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ઇ.સ. ૧૬૦૦માં સ્થાપી, તેવું શહેર. આ શહેરનો ઇતિહાસ પૈસા સાથે જોડાયેલો રહ્યો છે, અનેકવાર લૂંટાયેલું સુરત સમૃદ્ધિ ચાહનારાઓનું ચહિતું રહ્યું છે. દરિયા કાંઠો અને નદીને કારણે વારંવાર પૂરમાં તણાતાં આ શહેરમાંથી અંગ્રેજો મુંબઇ તરફ વળ્યા. એક સમયે અહીં કોટ પણ હતો અને બાર દરવાજા પણ હતા, આજે દરવાજાનાં નામ રહ્યા છે અને કતારગામ વિસ્તારમાં એક સમયના કોટની દિવાલના અવશેષ નજરે ચઢે છે પણ ધંધા-પાણીને પગલે મુંબઇની નજીક હોવાને કારણે સુરત અમુક મામલે હાંસિયામાં ધકેલાયું. આધુનિક સુરતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પબ્લિક આર્ટ ક્ષેત્રે કામ થયું છે, અહીં ઉદ્યોગો છે, અમદાવાદમાં મહાજન સંસ્કૃતિનો વારસો છે, મુગલ કાળની ધરોહરો છે વળી એક માત્ર વિક્રમ સારાભાઇએ ખડાં કરેલા સંસ્થાનો પણ કોઇ સમૃદ્ધ વારસાથી કમ નથી, ત્યારે સયાજીરાવ ત્રીજાના વડોદરામાં જો રાજવી વારસાનો છેદ ઊડી જાય તો પછી શહેર પાસે ‘કલા નગરી’ના નામનો ખોંખારો ખાવા જેવું કશું બચે નહીં તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

વિકાસ અને ધર્મની દોડમાં ઇતિહાસનાં પાનાં ગાયબ ન થઇ જાય તે બહુ જરૂરી છે. બુલડોઝરો અને બુલેટ ટ્રેન્સ આ કામ સિફતથી કરી રહ્યા છે જે ચોક્કસ ચિંતા જનક છે.

બાય ધી વેઃ

સાંસ્કૃતિક ધરોહર એ માત્ર ટુરિઝમ નથી પણ ભવિષ્યની યોજનાઓને પાર પાડવાનો પાયો છે.  પૂર્વગ્રહો વગરનો ઇતિહાસ, વાસ્તવિકતા રજૂ કરતો ઇતિહાસ એ ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપનારો હોય તે સ્વીકારીને તેની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો. એમાં પાછું આપણને વિકાસનું વળગણ છે એટલે શું રહેશે અને શું જશે તેની કોઇ ગેરંટી મળી શકે તેમ નથી. મંદિરો માત્ર આપણો વારસો નથી, ધ્વંસ કરાયેલી મસ્જીદ પણ ઇતિહાસનો પુરાવો હતો એ સત્ય આવનારી પેઢીઓને કોઇપણ પ્રકારના પૂર્વગ્રહો વિના જણાવી શકાશે તો જ આપણે જવાબદારીપૂર્વક ફરજ પૂરી કરી તેમ માની શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  03 ઑક્ટોબર 2021

Loading

રઈશ મનીઆર કૃત ‘ડૂબકીખોર : મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|3 October 2021

નાનકડી અંગત વાત સાથે શરૂઆત કરીશ. ડો. મુસ્તાક કુરેશી અમારાં પારિવારિક મિત્ર. આ વખતે મારી વર્ષગાંઠને અલગ રીતે યાદગાર બનાવી. સવારે ફોન પર કુરેશી સાથે હેપ્પીવાલા બર્થડેનું ગીત સૂરીલી લઢણે ગાતાં એમણે મને કહેલું કે હું સાંજ સુધીમાં તમને રૂબરૂ મળી જઈશ, અને ખરેખર એમણે રઈશ મનીઆરના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર – મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’ની ભેટ સાથે સાંજ યાદગાર બનાવી. આ પુસ્તકની વાર્તાઓને વાંચી, સૂંઘી, માણી, નાણીને અભિજાત જોશીએ ‘ગુજરાતી વાર્તાવિશ્વનો સાચુકલો અવાજ’ કહીને નવાજી છે. વાસ્તવમાં તો એવી છાપ કે ડો. રઈશ મનીઆર તો ગઝલ, દરેક પ્રકારનાં કાવ્યો અને મુશાયરા-કવિ સંમેલનનો ગઝલકાર-કવિ. એક સમયે એમની હાસ્ય-કવિતાઓની એક નાનકડી પુસ્તિકા હું હાથવગી રાખતી, જેથી ‘હાસ્યાંજલિ’માં પઠન કરી શકાય. મને યાદ છે કે મારે અહીં એમના વાર્તાસંગ્રહ વિશે લખવાનું છે.

કોઈ વ્યક્તિ ડોક્ટર, સામાજિક કર્મશીલ, વકીલ, પોલીસ, શિક્ષક-પ્રોફેસર હોય અને સાથે લેખક-વાર્તાકાર હોય તો શું થાય? એના વ્યવસાયનો અનુભવ અને જ્ઞાન એનાં લખાણમાં ડોકિયું કરી જાય અને વાંચીએ ત્યારે લાગે કે આપણે સાચુકલી વાતમાંથી પસાર થઈ રહ્યાં છીએ. એ વાર્તા પછી પરિકલ્પના તરીકે જ  સામે ન રહે, પરંતુ નજર સામે ભજવાતી હોય એવું લાગે. આ વાર્તાસંગ્રહની બાર વાર્તાઓમાંથી પસાર થતાં પણ એવું લાગ્યું. વિષય વૈવિધ્ય તો અદ્દભુત જ સાથે અતાગ અને અથાગ મનનો દરિયો જેમાં તમે ડૂબકી મારો કે નાવડી લઈ હલેસાં મારો … તમારી મરજી.

આમ પણ હું વિવેચક નથી વાચક તરીકે ભાવક છું, વાર્તા સ્ત્રીની દૃષ્ટિએ તપાસી લેવાઈ તે વાત જુદી, પરંતુ અહીં કહેવું પડશે કે વાર્તાકારની તટસ્થતા બરકરાર રહી છે. ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વેકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં દીકરાની રાહ’માં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવન વહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે. દરેક વાર્તામાં કોઈને કોઈ રીતે માતાની સ્થૂળ કે સૂક્ષ્મ હાજરી છે છતાં આ ફક્ત ‘માતૃ વંદના’ માટે જ લખાયેલી વાર્તાઓ નથી. આ વાર્તાઓમાં પ્રેમકથા છે, પ્રવર્તમાન આધુનિક મૂલ્યોથી જન્મતો દ્વંદ્વ છે, કલ્પનાતીત કહેવાય તેવી વિષયવસ્તુ લઈ આવતી ઘટના આધારિત ગંગામાં લાશને શોધવાના વ્યવસાય કરતા નાવિક અને ડૂબકીખોર છોટુની જીવનચર્યા છે તો રેશનલ વલણ સાથે પ્રગટતી કહેવાતી બરછટ વર્તણૂંક છતાં માનવીય સંવેદનાનો આવિર્ભાવ, સ્ત્રી તરીકેની મર્યાદાઓ સાથે પ્રગટતું સ્ત્રીચરિત્ર, આતંકવાદનો ઓછાયો, સાત સહેલી પ્રદેશની યુવતીની કુટુંબકથા, લિંગભાવ સંદર્ભે પરંપરાગત સામાજિક માન્યતાઓનું દ્રઢિકરણ અને સમાજ, દિવ્યાંગ બાળક માટેની માતાની સમર્પિતતાનાં કારણે ભોગ બનતાં સામાન્ય બાળકની માનસિકતા, નાનાં ઘરોમાં મળતાં એકાંતના અભાવનાં કારણે પેદા થતી પરિસ્થિતિમાં પોલીસનું વર્તન અને આમ આદમી તરીકે વગર વિચાર્યે ધારણાઓ બાંધી લેવાની સહજ વૃત્તિ, મિલકત માટે કોઈ પણ હદે જઈ શકતા કુટુંબીઓ, વેરાન-બંજર જમીન પર ઊભી થતી વસાહતો અને શહેરીકરણ, શિક્ષણનું મહત્ત્વ સમજતો ગરીબ કે કહેવાતો  પછાત  વર્ગ, મૃત્યુની વાસ્તવિકતા પર ચિંતન જેવા મુદ્દાઓ પણ વાર્તાઓમાં ખાસ્સા વણી લેવાયા છે અને તે સુપેરે ઉજાગર થાય છે.

વલસાડી ભાષાપ્રયોગ અને પારડી-વાપી-ઉમરગામ જેવાં સ્થળોનો ઉલ્લેખ પોતીકો લાગે. 'ગલવાઈ ગીયો’ શબ્દપ્રયોગ તો અનાવિલોનો જ છે એવી મારી દ્રઢ માન્યતા ખોટી છે, તે અહીં એના બેએક વાર થયેલા ઉલ્લેખથી સમજાયું. જો કે અમે ગલવાઈ જવાના શબ્દપ્રયોગ સમાંતર ‘બલવાઈ જવું’ શબ્દપ્રયોગ પણ કરીએ! મોપાસાં, સ્ટેફાન ઝ્વીગ, ચેખોવ, ટાગોર અને અન્ય નામી-અનામી વાર્તાકારોની વાર્તાકલાથી પોતે પ્રભાવિત છે એવું રઈશ લખે છે. તો પણ પોતાની વાર્તાશૈલીને એ લોકપ્રિય આલેખન અને વિવેચકો વખાણે તેવા સાહિત્યિક માપદંડમાં સફળ થતી અટપટી, મુશ્કેલ અને જટિલતા રૂપે પ્રગટતી કલાની વચ્ચે અંકિત થતી માને છે. એની પ્રસ્તાવના પર પદ્યની અસર લાગે પરંતુ વાર્તાઓમાં કવિતા કરતાં વાસ્તવ-દર્શન વધારે છે. મનોગત એકોક્તિ પણ ખાસ્સી મુખરિત થતી રહે છે. મને સૌથી વધારે અસર બે વાત પર થઈ કે એક જ બાળક પર જાણેઅજાણે ધ્યાન આપવાની એકાંગી વૃત્તિ બીજાં બાળકોની જિંદગી પણ બેહાલ કરી શકે, દીકરાને ચગાવી મારવાનું વલણ એને માટે જ ખતરનાક બને છે તે માતા-પિતા તરીકે સમજવું જોઈએ. રઈશનાં મનના દરિયામાં સ્ત્રીઓને દીકરા માટે મોહ વધારે હોય એ માન્યતા તરતી રહેતી હોય એવું મને લાગ્યું, પરંતુ સ્ત્રીઓમાં એ વલણ કેમ સ્થિત થઈ ગયું છે તે પણ સમજવાનો મુદ્દો છે એવું પણ લાગે છે.

આજકાલ હું ગ્લુકોમા અને મોતિયો પીડિત છું, એટલે એકી બેઠકે વાંચી શકું એમ તો નથી, છતાં ૧૭૮ પાનાં વાંચી તો લીધાં! કારણ કે આ વાર્તાઓમાં એવું કંઈક તો છે જે એક વાર્તા વાંચવાની શરૂ કરો તો પછી પૂરી ન કરો ત્યાં સુધી ચેન ન પડે! ખાસ કરીને જેમને સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક હદ ઓળંગી માનસિક પરતો ઉકેલીને દુનિયાને સમજવી છે તેમને આ વાર્તાઓ વાંચવી ગમશે એવું મને લાગે છે.

પ્રકાશક : આર.આર. શેઠ – સંપર્ક: ૦૨૨-૨૨૦૧૩૪૪૧ – Email:sales@ rrsheth.com  – www.rresheth.com 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

ઇતિહાસલેખનના પ્રશ્નો

પ્રવીણ ગઢવી|Opinion - Opinion|3 October 2021

વિજ્ઞાન, કોમ્પ્યૂટર, ઈન્ફર્મેશન ટેક્નોલૉજી, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેનો અભ્યાસ શા માટે? દર્શકે કહ્યું છે કે ઇતિહાસ પ્રકાશ અને પ્રેરણા આપે છે, પરંતુ વાસ્તવમાં માણસ ઇતિહાસમાંથી પ્રેરણા કે પ્રકાશ કશું લેતો નથી, ભૂતકાળનો અનુભવ કામમાં લેતો નથી. બલકે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાના બદલે તે જ ભૂલો વારંવાર ફરીથી કરે છે. અલબત્ત, દેશના રાજકર્તાઓ અને અધિકારીઓ ઇતિહાસથી અવગત થાય તે ઈચ્છનીય ખરું. અંગ્રેજો આઈ.સી.એસ. થયેલા સનદી અધિકારીઓને લંડનમાં ભારતનો ઇતિહાસ, ધર્મો અને સંસ્કૃતિ ભણાવતા.

પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવે છે. હલદીઘાટીમાં પ્રતાપ જીત્યા હતા, એવા ફેરફારો સરકારો બદલાય ત્યારે ઇતિહાસમાં થતા રહે છે! એન.સી.ઈ.આર.ટી.ના ઇતિહાસના પાઠ્યપુસ્તક(જાન્યુઆરી, ૨૦૦૧)માં આર્યોના આગમન કે આક્રમણની વાત જ ઉડાવી દેવામાં આવી છે અને હડપ્પા વિનાશ પછીનાં ૧,૫૦૦ વર્ષમાં સિંધુ તીરે વસતા લોકોએ ઋગ્વેદની રચના કરી, તેવી જ માત્ર નોંધ છે! પછી તરત જ સોળ મહાજનપદો પર ઇતિહાસ ચાલ્યો જાય છે.

કૉલેજમાં પણ ઇતિહાસ એક વિષય તરીકે ભણાવાય છે, પરંતુ તેમાં ચોક્કસ પાઠ્યપુસ્તક નથી. તેથી તટસ્થ પ્રોફેશનલ લેખકોએ લખેલો, પ્રમાણમાં તટસ્થ ઇતિહાસ ભણાવાય છે. વહીવટી સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઇતિહાસ વિષય રાખી શકાય છે અને વિવિધ ઇતિહાસકારોના ઇતિહાસોનો અભ્યાસ કરવાની મોકળાશ રહે છે.

ઇતિહાસ વાસ્તવમાં ‘ઑબ્ઝેક્ટિવ’ તટસ્થ, ન્યાયિક, નિષ્પક્ષ હોવો જોઈએ. તેને ડાબેરી કે જમણેરી વલણો વળગવાં ન જોઈએ. ઇતિહાસ રાજ્યાશ્રિત નહિ, પણ જનાશ્રિત હોવો જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ. ઇતિહાસ કેવળ રાજકીય નહિ, પરંતુ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, બાબતોની તેમ જ દલિત, પીડિત જનતાનો, ખેડૂતો-મજૂરો, આદિવાસીઓનાં શોષણ અને તે સામે તેમણે કરેલા વિદ્રોહોનો પણ હોવો જોઈએ. ઇતિહાસ કાલ્પનિક નહિ પણ શક્ય તેટલા પુરાવા પર આધારિત હોવો જોઈએ.

પરંતુ ભારતનો ઇતિહાસ એ દ્રષ્ટિએ અશુદ્ધ છે. તેમાં હકીકતો સાથે કલ્પનાઓનું મિશ્રણ થયેલું જોવા મળે છે. પુરાણો અર્ધઐતિહાસિક છે. તેમાં અનેક ચમત્કારો અને કલ્પનાઓ ભેળવવામાં આવી છે. તેવી જ રીતે આપણાં મહાકાવ્યો – રામાયણ, મહાભારત કે ભાગવત પણ અર્ધ ઐતિહાસિક કથાકાવ્યો છે. તેથી તેમને ઇતિહાસ તરીકે નહિ, પણ સાહિત્યિક કૃતિ તરીકે, કાવ્યરૂપે જોવાં જોઈએ. કાવ્યમાં કવિને કલ્પના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ ઇતિહાસમાં તેમ ન થઈ શકે. રામ-કૃષ્ણ અવશ્ય ઐતિહાસિક પાત્રો હશે જ, પરંતુ જેટલા મોટા દર્શાવવામાં આવ્યા છે, તેટલા મોટા રાજા હોવા સંભવ નથી. કેમ કે રામ ગંગા ઓળંગે છે કે તરત તેમનું રાજ્ય પૂરું થઈ જાય છે. વળી કોસલ અને કૈકેય રાજ્યો આડોશપાડોશમાં જ હતાં. એ જ રીતે કૌરવો-પાંડવો આજના હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મર્યાદિત હતા. મથુરા, સૌવિર, ગંધાર, મગધ, ચેદિ વગેરે મોટાં સ્વતંત્ર રાજ્યો હતાં.

મૂળ રામાયણ નાનું હતું અને સમયાંતરે વિશાળ થતું ગયું એમ રામનું ચરિત્ર ‘લાર્જર ઘેન લાઈફ’ થતું ગયું. એવું જ મહાભારત પણ નાનકડું હતું. તે વિશાળ થયું અને પાંડવો-કૃષ્ણ પણ વિશાળતા પામતા ગયા.

તે વેળાનાં શસ્ત્રો મુખ્યત્વે અસિ, ગદા, ચક્ર, ભાલા, તીર વગેરે હતાં. તેને મંત્ર દ્વારા મહાશસ્ત્ર કરવાની કવિકલ્પના કરવામાં આવી છે. બ્રહ્માસ્ત્ર(અણુબૉમ્બ)ની પણ કવિકલ્પના કરવામાં આવી છે, તેને સત્ય માની શકાય નહિ.

ભારતનો ઇતિહાસ મોટે ભાગે ઉત્તર ભારતનો જ રહ્યો છે. વિજયનગર સામ્રાજ્યનો અને શિવાજીનો ઇતિહાસ હતા, પરંતુ તામિલનાડુ, કેરળના ઇતિહાસનો પાઠ્યક્રમમાં સમાવેશ થતો નહોતો.

મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બહુધા મુસ્લિમ તવારીખકારો દ્વારા લખાયેલો મળે છે. તેઓ રાજ્યાશ્રયી હોવાથી સુલતાનો, બાદશાહોના પરાક્રમોનું અતિશય વર્ણન કર્યું છે. અને માત્ર તેઓ જ બહાદુર હતા અને રાજપૂત રાજાઓ ત્રણસો વર્ષ સુધી મુસ્લિમ સુલતાનોના આક્રમણોને ખાળતા રહ્યા હતા. જયપાલ જેવા રાજાએ તો પરાજય સહન ન થતાં અગ્નિસ્નાન કર્યું હતું. ગુજરાતના રાજા બાળ મૂળરાજે મહંમદ ઘોરીને આબુ પાસે હરાવ્યો હતો, જેણે પછી પૃથ્વીરાજને હરાવ્યા, વગેરે જોવા મળે છે.

ત્યારબાદ અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો, પરંતુ તેને તેમણે કોમવાદી બનાવી દીધો અને પ્રાચીન ભારતને હિંદુ સમય, મધ્યકાલીન ભારતને મુસ્લિમ સમય અને આધુનિક ભારતને બ્રિટિશ સમય એમ નામકરણ કર્યું. વળી પોતે જાણે ભારતનો ઉધ્ધાર કરવા સ્વર્ગથી દેવોની જેમ પધાર્યા હોય તેવો દેખાવ કર્યો. અલબત્ત, કંપની સરકારના સમયમાં સતીપ્રથા, બાળવિવાહ, દીકરીના હત્યા જેવા કુરિવાજો બંધ કરાવ્યા, ફૂલે-સાવિત્રીબાઈને કન્યાશિક્ષણમાં મદદ કરી, તે બધું ચોક્કસ પ્રશંસનીય છે. પરંતુ રાણીના ઢંઢેરા પછી તો સામાજિક સુધારા કરવાનું બંધ જ કરી દીધું.

આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે પંડિત સુંદરલાલ, જવાહરલાલ નહેરુ, સાવરકર વગેરેએ ઇતિહાસ લખ્યા, પરંતુ તે પણ એકાંગી કહી શકાય. નહેરુ હિન્દના સમાજને ઉદાર માને છે, પરંતુ વર્ણાશ્રમ પ્રથા, અસ્પૃશ્યતાના કલંકને લક્ષમાં લેતા નથી, હિન્દુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને પણ નજરઅંદાજ કરે છે. ખાનખાના, અમીર ખુશરો, કબીર, નાનક, અકબર, દારા શિકોહે સમન્વયના પ્રયાસ અવશ્ય કર્યા હતા. ઉપનિષદોના ફારસી અનુવાદ દારા શિકોહે કર્યા હતા પણ હિન્દુઓએ ક્યારે ય કુરાને શરીફને સંસ્કૃતમાં ન ઉતાર્યું! ઔરંગઝેબ અને ૧૮૫૭ના બળવા પછી અંગ્રેજોએ હિન્દુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને તીવ્ર બનાવ્યું. નહેરુ હિન્દુઓને ઉદાર માને છે. પરંતુ ખરેખર તો મુસ્લિમ સુલતાનો, બાદશાહો વિજેતા હતા, હિન્દુઓ પરાજિત હતા, તેમ છતાં તેઓએ વિશેષ ઉદારતા બતાવી છે. ઔરંગઝેબે પણ તેના વીસ વર્ષના શાસન પછી જજિયાવેરો નાંખ્યો હતો. તેણે મંદિરો અને મસ્જિદો બે ય તોડ્યાં હતાં. મહાકાલેશ્વર અને કામાખ્યા મંદિરને તેણે દાન આપેલું.

પંડિત સુંદરલાલનો ઇતિહાસ પણ એકાંગી છે. તેમણે તે સમયના નવાબોને અત્યંત ઉદાર અને મહાન ગણાવ્યા છે જ્યારે અંગ્રેજોને કપટી ગણાવ્યા છે. ઉપલા વર્ગો અવશ્ય સુખી, સમૃદ્ધ હતા. પરંતુ ખેડૂત-મજૂર તો ભૂખમરામાં જીવતા હતા. છતાં તે વખતના ભારતને તેમણે અત્યંત સમૃદ્ધ, સુખી ચિતર્યું છે.

સાવરકરે ૧૮૫૭ના બળવાને પ્રજાનો સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો છે. પરંતુ વાસ્તવમાં તે નારાજ સૈનિકો, રાજાઓ અને નવાબોનો બળવો હતો. આમ જનતા તેમાં જોડાઈ નહોતી. અલબત્ત, તેનાં ખરાબ પરિણામ તો પ્રજાએ જ ભોગવવાં પડ્યાં અને અંગ્રેજોએ સંયુક્ત પ્રાંતમાં કેટલા ય નિર્દોષ લોકોને આંબાની ડાળે લટકાવી દીધા હતા.

ઇતિહાસમાંથી આપણે હિન્દુ-મુસ્લિમ સમન્વયના પાઠ શીખવા જોઈએ. સુલતાનકાળથી જ સમન્વય શરૂ થયો હતો. અમીર ખુશરોએ મૃદંગમાંથી તબલાં બનાવ્યાં. કબીર-નાનકે બંને ધર્મને એક જ પરમતત્ત્વની બંદગી જેવા ગણાવ્યા. ખાનખાના અને રસખાને કૃષ્ણભક્તિને પણ અલ્લાહની બંદગી જ માની.

પરંતુ આપણે તો હજાર વર્ષ પછી સોમનાથ મંદિરના ધ્વંસનું વેર લેવા નીકળ્યા અને બાબરી મસ્જિદ શહીદ કરી.

ઈસ્લામધર્મી શાસકોએ ભારત પર છસો વર્ષ રાજ કર્યું. જો તેમણે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હોત તો ભારત અફઘાનિસ્તાન જેવો દેશ હોત. ફક્ત મહમદ તઘલખ ને ઔરંગઝેબે જ હિન્દુઓ પર જજિયાવેરો નાંખ્યો હતો. અકબરે સમન્વયની શરૂઆત કરી હતી. ઔરંગઝેબ પણ પછીથી ધર્માંધ થયો હતો. તેના પછી ફરી પાછા બન્ને ધર્મીઓ વચ્ચે એકતા અને સૌહાર્દ પેદા થયાં હતાં. પરંતુ અંગ્રેજોને બંનેની એકતા જોખમી લાગતાં ભાગલા પાડવાની કૂટનીતિ અપનાવી અને તેમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ સાથ આપ્યો.

ઇતિહાસનું પુનર્લેખન ન થઈ શકે કે તેને ભૂંસી ન શકાય. અલબત્ત, રાજ્યકર્તાઓ તેવા પ્રયત્ન કરે છે. રશિયામાં પહેલાં સ્તાલિન અને હવે લેનિનનું નામ ભૂંસી દેવામાં આવ્યું છે. ભારતમાં પણ હવે રાણા પ્રતાપ હલદીઘાટીનું યુદ્ધ જીતે છે અને શિવાજી હિન્દુ રાષ્ટ્રજનક બને છે.

આપણે ભારતમાં આવેલા વિદેશી આર્યો, હૂણો કે મુસ્લિમોને હવે પાછા મોકલી ન શકીએ. જેવો  છે તેવો ઇતિહાસ સ્વીકારી લેવો જોઈએ. એકતા અને આધુનિક શસ્ત્રોના અભાવથી આપણે હાર્યા હતા, ગુલામ થયા હતા. તેમાં હવે શરમ રાખવાનો અર્થ નથી. હવે મુસ્લિમોને કે અંગ્રેજોને ધિક્કારવાનો અર્થ નથી, ભૂતકાળ ભૂલી જવો જોઈએ.

આપણે આર્યોનું આગમન કહીએ છીએ અને મુસ્લિમોનું આક્રમણ કહીએ છીએ; કેમ કે ઇતિહાસ લખનારા આર્ય છે. વાસ્તવમાં આર્ય પણ આક્રમણકારી હતા અને એમણે દસ્યુ, દાસ, અસુર આદિની જમીનો ખૂંચવી લીધી હતી. હવે તો આર્યો મૂળનિવાસી હતા, તેમ સાબિત કરવાના પ્રયાસ ચાલે છે. પરંતુ જો તેમ જ હોત તો વેદોમાં ઈન્દ્રને દસ્યુઓ, અસુરો સાથે લડતો કેમ બતાવ્યો છે?

મુસ્લિમ સુલતાનોએ ધર્મ માટે નહિ પણ રાજ્યલાલસા માટે રાજપૂત રાજાઓ પર હુમલા કર્યા હતા. ગઝની અને ગોરી બંનેએ અફઘાનિસ્તાન, ઈરાનના મુસ્લિમ સુલતાનો પર હુમલા કર્યા હતા. ફક્ત સોમનાથ મંદિર તોડવા માટે નહિ, પરંતુ તેને લૂંટવા માટે મહમદ ગઝની આવ્યો હતો. અલબત્ત, આજના કોમવાદી, જ્ઞાતિવાદી રાજકારણીઓની જેમ જ લશ્કરને ઉશ્કેરવા માટે તેણે ધર્મનો ઉપયોગ અવશ્ય કર્યો હતો અને ગાઝીઓને લૂંટની લાલચ પણ આપી હતી.

મહમદ ઘોરીએ પણ રાજ્યવિસ્તારની લાલચથી જ પેશાવર, દિલ્હી અને અજમેરના રાજપૂત રાજાઓ પર હુમલા કર્યા હતા.

ઘોરી સાથેના પ્રથમ યુદ્ધમાં અજમેરના પૃથ્વીરાજ ચૌહાણે તેને હરાવ્યો હતો, ભગાડ્યો હતો. પરંતુ વર્ષ પછી બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ હારી ગયા ત્યારે ઘોરીએ તેમને અજમેરના ખંડિયા રાજા બનાવ્યા હતા. થોડા સમય પછી રાજદ્રોહના કારણે ઘોરીએ તેમનો વધ કરી તેમના પુત્રને ખંડિયો રાજ બનાવ્યો હતો. એ જ રીતે ઘોરીએ દિલ્હીના તોમરોને હરાવી ખંડિયા રાજા બનાવ્યા હતા. પરંતુ તેના વાઈસરોય ઐબકે બંને રાજ્યો પડાવી લીધાં અને પૃથ્વીરાજના પુત્રને રણથંભોર ખસેડ્યો. આમ ઘોરીનો હેતુ મુસ્લિમ રાજ્ય સ્થાપવાનો નહિ, પરંતુ કેવળ રાજ્યવિસ્તારનો હતો. અલબત્ત, મુસ્લિમ સુલતાનો મુલ્લા મૌલવીને રાજી રાખવા મૂર્તિખંડન-મંદિરધ્વંસ કરતા રહેતા, તે હકીકત છે.

આ પૃથ્વીરાજને આપણે હીરો બનાવી દીધો છે. જે જયચંદે એને સાથ નહોતો આપ્યો, તેનું કનોજ પણ ઐબકે લૂંટ્યું હતું.

રાણા પ્રતાપ ધર્મ માટે કે રાષ્ટ્ર માટે કે હિન્દુ રાષ્ટ્ર માટે લડતા નહોતા. તેમને મેવાડની સ્વતંત્રતા જોઈતી હતી. તેમના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિ હતા, તો અકબરના સેનાપતિ રાજા માનસિંહ હતા.

એ જ રીતે શિવાજી પણ હિન્દુરાષ્ટ્રની સ્થાપના માટે લડતા નહોતા. પરંતુ પોતાને તેમના પિતા અને ભાઈની જેમ બિજાપુરના નવાબની નોકરી કરવી નહોતી, પરંતુ પોતાનું અલગ રજવાડું ખપતું હતું. તેથી ઔરંગઝેબ બાદશાહ સહિત આસપાસના નવાબો સાથે લડવું પડ્યું હતું.

તેમના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિ હતા, તૌ ઔરંગઝેબના લશ્કરમાં હિન્દુ સેનાપતિ હતા. શિવાજીને અફઝલખાનથી એક મુસ્લિમ સરદારે ચેતવીને બચાવ્યા હતા. તેના કહેવાથી શિવાજી વાઘનખ પહેરીને ગયા હતા.

આમ શિવાજીની લડાઈ હિન્દુરાષ્ટ્ર માટે નહિ, પરંતુ પોતાના સ્વતંત્ર રજવાડા માટે હતી. આજના અર્થમાં પૃથ્વીરાજ, પ્રતાપ, શિવાજી કે ટીપુ રાષ્ટ્રવાદી ન ગણાય.

ટીપુ સુલતાન પણ અંગ્રેજો સામે પોતાના રાજ્યની સ્વતંત્રતા માટે લડ્યો હતો. પ્રતાપની જેમ જ એણે કદી શરણાગતિ સ્વીકારી નહોતી. પરંતુ પ્રતાપ હિન્દુ એટલે રાષ્ટ્રીય વીર નેશનલ હીરો ગણાયા પણ ટીપુ નહિ, કેમ કે તે મુસ્લિમ હતો!

શિવાજી તો ઔરંગઝેબ સાથે સુલેહ કરવા આગ્રા ગયા હતા, પરંતુ અપમાન થતાં જેલમાંથી છટક્યા હતા.

હમણાં હમણાં સોશિયલ મીડિયા પર પ્રચાર ચાલે છે કે આઝાદી ગાંધીજીને કારણે નહોતી આવી. પરંતુ અંગ્રેજો ક્રમશઃ આપવાના જ હતા. એટલે તો ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ-૧૯૩૨ બનાવ્યો હતો. બંધારણ પણ આંબેડર નહિ પણ આ ઍક્ટ બનાવનાર અધિકારી રાઉએ બનાવ્યું હતું. એવો દુષ્પ્રચાર થઈ રહ્યો છે.

ભગતસિંહ અને સુભાષ તથા નૌસૈનિકોના બળવાને કારણે અને બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની રાજકીય-આર્થિક હાલત કથળવાને કારણે એટલીએ સામે ચાલીને આઝાદી આપી હતી, એમ ગાઈબજાવીને કહેવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં ગાંધીજીએ આંદોલનો દ્વારા દેશને લોકશાહી માટે તૈયાર કર્યો હતો. ગાંધીનો દેશ પર પ્રભાવ ન હોત તો બ્રિટિશ સરકાર એમની અને કૉઁગ્રેસ સાથે વાટાઘાટો શા માટે કરત? ભારતીય સેનાને સત્તા સોંપી જઈ શક્યા હોત. આઝાદી પહેલાં યોજાયેલી માર્યાદિત ચૂંટણીમાં કૉઁગ્રેસ જ જીતી હતી, તેથી નહેરુ વડાપ્રધાન થયા.

ગાંધીજીએ સરદારને અન્યાય કરી નહેરુને વડાપ્રધાન બનાવ્યા એવો રાજકીય આક્ષેપ થાય છે. હકીકતમાં નહેરુ-સરદાર ગાંધીજીના બે હાથ જેવા હતા. પરંતુ નહેરુની ઓછી ઉંમર અને લોકપ્રિયતાને કારણે ગાંધીજીએ તેમને વડાપ્રધાન બનાવવા ઈચ્છ્યું. સરદારની ઉંમર વધારે હતી અને તેઓ પક્ષમાં અધિક લોકપ્રિય હતા.

એ જ રીતે ગાંધીજી-નહેરુએ સુભાષને અન્યાય કર્યો તેવો પ્રચાર ચાલી રહ્યો છે. સુભાષે અહિંસાનો માર્ગ છોડી હિંસા-લશ્કરી બળનો આશ્રય લીધો. તેથી છૂટા પડ્યા. વિમાની અકસ્માતમાં શહીદ થયા તો નહેરુ પર આંગળી ચીંધવામાં આવી. એમના અંગેની ખાનગી ફાઈલો માટે ઊહાપોહ મચાવાયો, પરંતુ આખરે ફાઈલોમાંથી ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એવું કશુંયે ન મળ્યું!

આમ હિન્દુત્વવાદી પરિબળો સત્તાનશીન થવાથી ભારતનો આખો ઇતિહાસ નવેસરથી લખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. નહેરુ-ઈન્દિરા વખતે લખાયેલ ઇતિહાસને ડાબેરી ઇતિહાસ કહી વખોડવામાં આવી રહ્યો છે. સાચા અને બિનસાંપ્રદાયિક ઇતિહાસને ડાબેરીની છાપ મારવામાં આવે છે અને આર્યો મૂળનિવાસી હતા, રાણા પ્રતાપ, શિવાજી હિન્દુ રાષ્ટ્ર માટે લડ્યા હતા, આઝાદી ક્રાંતિકારી ચળવળો અને સુભાષ થકી મળી એવો નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે. રશિયામાં જેમ વિશ્વયુદ્ધમાં વિજય અપાવનાર સ્તાલિનનું નામ ભૂંસી દેવામાં આવ્યું, એમ ગાંધીજીનું નામ અને વિશેષ તો નહેરુનું નામ ઇતિહાસમાંથી ભૂંસી નાંખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે અત્યંત દુઃખદ અને ઘાતક છે.

આ બધા ઇતિહાસલેખનના કૂટપ્રશ્નો છે.

(આપેલ વક્તવ્યના હોમર્વક પરથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 13-14 તેમ જ 12

Loading

...102030...1,7701,7711,7721,773...1,7801,7901,800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved