Opinion Magazine
Number of visits: 9674482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીટ સામે તામિલનાડુનો વિરોધ

રમેશ બી. શાહ|Opinion - Opinion|4 October 2021

તામિલનાડુ સરકારે તાજેતરમાં નીટ[The National Eligibility cum Entrance Test]નો વિરોધ કરીને ચર્ચા જગાવી છે. એ માટે એમણે એક સમિતિ રચી હતી અને એ સમિતિના અભ્યાસપૂર્ણ આધાર ઉપર તેમણે નીટની પ્રથામાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણમાં નીટનો પ્રવેશ પ્રમાણમાં નજીકનો ભૂતકાળ છે. એની વિગતમાં આપણે નહીં જઈએ. પણ એ પૂર્વે જે પ્રથા સમગ્ર દેશમાં ચાલતી હતી એનો ટૂંકમાં પરિચય આપીશું.

નીટની પ્રથા પહેલાં મેડિકલ કૉલેજોમાં ૧૨મા ધોરણના પરિણામને આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. એ પૂર્વ પણ ઈન્ટર સાયન્સમાં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સના આધારે રાજ્યની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ટૂંકમાં, ઈન્ટર સાયન્સની અને એ પછી ૧૨મા ધોરણની પરીક્ષા મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા બની હતી. એની જગ્યાએ નીટની પ્રથામાં હવે રાષ્ટ્રીય ધોરણે પાત્રતા અને પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. એમાં પાસ થનાર વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવી શકે છે.

આનું પરિણામ તામિલનાડુની સરકાર નિયુક્ત સમિતિએ દર્શાવ્યું છે. આ માત્ર ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ વચ્ચેનાં પરિણામ દર્શાવે છે. સમિતિએ આપેલા આંકડા પ્રમાણે તામિલનાડુમાં સી.બી.એસ.સી. શાળાઓનાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ૦.૯૭%થી વધી ૩૮.૮૪% થયું છે. રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૯૮.૨૩%થી ઘટીને ૫૯.૪૧% થયું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનું પ્રમાણ ૮૫.૧૨%થી વધીને ૯૮% થયું છે. તેની સામે તમિલ માધ્યમ રાખનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૮૮%થી ઘટીને ૨% થયું છે. જે વિદ્યાર્થીઓના વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી ઓછી હતી એનું પ્રમાણ ૪૭.૪૨%થી ઘટીને ૪૧.૦૫% થયું છે. એની સામે જે વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી વધારે હતી એનું પ્રમાણ ૫૨.૧૧%થી વધીને ૫૮.૯૫% થયું છે. રાજ્યની સરકારી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૫.૧૭%થી ઘટીને ૪૯.૯૧% થયું છે. અને શહેરી વિદ્યાર્થીઓનં પ્રમાણ ૩૪.૮૩%થી વધીને ૫૦.૦૯% થયું છે. ખાનગી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૮.૪૯%થી ઘટીને ૪૭.૧૪% થયું છે અને શહેરી વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૧.૫૧%થી વધીને ૫૨.૮૬% થયું છે.

આ આંકડાઓમાંથી એ સ્પષ્ટ થાય છે કે નીટની પ્રથા ગ્રામીણ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં શહેરી વિદ્યાર્થીઓને પસંદગી આપે છે. અંગ્રેજી માધ્યમને ભારે ઉત્તેજન આપે છે અને પ્રમાણમાં શ્રીમંત કુટુંબના સંતાનોને લાભ આપે છે.

આની સાથે વાત સંકળાયેલી એક વાત નોંધવા જેવી છે. નીટની પરીક્ષા પાસ કરનાર કોઈ વિદ્યાર્થી એવો ન હતો કે જેણે ૨-૩ વર્ષ કોચિંગમાં પરીક્ષાની તાલીમ લીધી ના હોય. આ પ્રકારની પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસમાં શિક્ષણ લેવું અનિવાર્ય થઈ ગયું છે. પણ એ માટે કોચિંગ ક્લાસની તગડી ફી ભરવાની વાલીની તૈયારી હોવી જોઈએ. ગ્રામવિસ્તારોમાં આવા કોચિંગ ક્લાસીસ ન મળવાથી એ વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની તાલીમ મળતી નથી. આને કારણે આ પરીક્ષાએ રાષ્ટ્રીય ધોરણે મોટી અસમાનતા સર્જી છે.

આપણે શિક્ષણને સંયુક્ત યાદીમાં રાખ્યું છે એનો અર્થ એવો થાય છે કે શિક્ષણનાં સુધારા અને પ્રથા રાજ્યો પોતાનાં આગવાં રાખી શકે છે. પણ સમવાયતંત્રને ભૂલીને આપણે રાષ્ટ્રીય ધોરણની વાત કરવા માંડી છે. આમાં આપણે ભૂલી છીએ કે ભારતનાં રાજ્યો વચ્ચે મોટો તફાવત છે એનો એક જ નિર્દેશ કરીએ. જે પાંચ રાજ્યોમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની માથાદીઠ આવક કેટલી છે એ નોંધીએ, તેમાં ગોવાની આવક ૩ લાખ જેટલી છે. પંજાબની આવક ૧.૧૯ લાખ છે. મણિપુરની આવક ૫૪,૦૦૦ અને ઉત્તર પ્રદેશની આવક ૪૫,૦૦૦ છે આ તફાવત રાજ્યોની ક્ષમતાનો નિર્દેશ કરે છે. રાજ્યો કેટલું કરી શકે એમ છે એનો આછો પાતળો ખ્યાલ આ આંકડાઓને આધારે આવે છે. આ વાસ્તવિક્તાને ભૂલી આપણે રાષ્ટ્રીય ધોરણની વાતો કરીએ છીએ તેમાં ગરીબ રાજ્યોના નાગરિકોને પરોક્ષ રીતે અન્યાય થાય છે.

મેડિકલના શિક્ષણમાં રાષ્ટ્રીય ધોરણની વાત કરીએ છીએ પણ નાગરિકોને દેશમાં એક સરખા ધોરણે તબીબી સારવાર મળવી જોઈએ એ વાત ભૂલી જઈએ છીએ. દેશના ગ્રામીણ વિસ્તારમાં લોકોને ઊંટવૈદાથી ચલાવવું પડે છે અથવા તો કોઈ તબીબી સારવાર વિના જ મરવું પડે છે. આ અસમાનતા આપણને ખૂંચતી નથી. જરૂરિયાત તો રાજ્યના ધોરણે એની ક્ષમતા પ્રમાણે તબીબી શિક્ષણની યોગ્ય પ્રથા ગોઠવવાની છે જેથી નાગરિકોને સદૈવ તબીબી સારવાર મળી શકે.

શિક્ષણ સમાનતાની દિશામાં મોટું પરિબળ બની શકે છે એ વાત ભૂલાઈ ગઈ છે અને શિક્ષણ અસમાનતાને વધારનાર પરિબળ બની ગયું છે. સ્વર્નિભર કૉલેજોની પ્રથા દાખલ કરીને આપણે શિક્ષણને અસમાનતાનું સાધન બનાવી દીધું છે. હવે મેરિટ બજારથી ખરીદવાની વસ્તુ બની ગઈ છે. કોચિંગ ક્લાસના આધારે વિદ્યાર્થીઓ નીટની પ્રવેશ પરીક્ષા કેવી રીતે પાસ કરવી એ શીખી લે છે પણ એ માટે પૈસા હોવા જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 10

Loading

પરદેશમાં

મૂકેશ પરીખ|Opinion - Opinion|3 October 2021

વતન છોડીને આવી ગયો પરદેશમાં,
ઠરીને ઠામ ન થઈ શક્યો પરદેશમાં.

પદ મેળવ્યું, મેળવી પ્રતિષ્ઠા પણ થોડી,
નીંદર નિરાંતે ન મેળવી શક્યો પરદેશમાં.

ઘર બન્યું અને ગૃહસ્થી પણ બની ગઈ,
વતનનું ખોરડું ન ભૂલી શક્યો પરદેશમાં.

અલબત્ત આરામની જિંદગી જીવી રહ્યો છું,
‘હાશ’ ની પ્રતિતી ન કરી શક્યો પરદેશમાં.

‘મૂકેશ’ કમી નથી અહીંયા ભૌતિક સુખોની,
બસ, ઈચ્છિત મોત ન પામી શક્યો પરદેશમાં.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

ઉજ્જવળ ભાવિ પર તોળાતી તલવારઃ સાંસ્કૃતિક વારસા પર ફરી રહેલા બુલડોઝર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 October 2021

બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો

વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ કલા નગરીનું બિરુદ વડોદરાની ઓળખ નોખી રહી છે. પણ કમનસીબે શહેરની આ વારસાગત ઓળખ પર બુલડોઝર ફરી રહ્યું છે, અથવા તો ફરી ગયું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઇ, જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક રેલવે શેડને જમીન દોસ્ત કરી દેવાયું હોવાની વાત થઇ છે. બુલેટ ટ્રેનના રસ્તાને મારગ આપવા માટે એ રેલવે શેડને જમીનદોસ્ત કરી દેવાયું છે જ્યાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે બોગીમાં મુંબઇ જતા તેને રખાતી, આ કોઇ સામાન્ય બોગી નહોતી પણ તેમાં મહારાજા મુસાફરી કરતા એટલે તેમાં ડાઇનિંગ, બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી સવલતો રહેતી. આ ઇમારત આમ પણ જર્જરીત હાલતમાં હતી કારણ કે તે મુખ્ય રસ્તાની સાવ નજીક હતી અને કોઇ પણ હેરીટેજ ઇમારતને વાહનો, પ્રદૂષણ વગેરેની માઠી અસર થતી જ હોય છે. પરંતુ કલાનગરી વડોદરાનો ખોંખારો ખાનારા આ શહેરને માટે આ ચોક્કસ નાલેશી ભર્યું જ કહેવાય કે એક ઇમારતને જર્જરીત થવા દેવાઇ અને હવે તેને હંમેશને માટે ખલાસ કરી દેવાઇ. વિરોધાભાસ તો એ છે કે આ તોડી પડાયેલા ટ્રેન શેડના ફેસ લિફ્ટ માટે બે વાર યોજનાઓ થઇ ચૂકી છે, પણ સરકારી કચેરીઓમાં એ ફાઇલ વખારે ચઢી ગઇ હશે અને હવે ૧૮૮૦ની આસપાસ બનાવાયેલી આ ઇમારત હતી ન થઇ હતી થઇ ગઇ છે. વડોદરામાં ગાયકવાડી પરિવારે આપેલા વારસાનો છેદ ઊડી જાય તો વડોદરામાં શું રહેશે? વારસો માત્ર વિચારોમાં તો ન જીવી શકે તેના પુરાવા સચવાય તો જ ભવિષ્ય ઘડવાનો પાયો મજબૂત બને તે વાસ્તવિકતા સમજવી કંઇ અઘરી નથી. પરંતુ છતાં ય ‘કલાનગરી’ વડોદરાએ વિકાસ માટે વારસો ગુમાવવાનો વારો આવ્યો. હજી ગયા મહિને અહીંની એ શાળા જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ ભણ્યા હતા તેવી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પર પણ તવાઇની તલવાર તોળાવના સમાચાર ઝળક્યા હતા.

ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જ્યાં રાજા રજવાડાં હતાં ત્યાં સાંસ્કૃતિક વારસાની ધરોહર હંમેશાંથી રહી છે. અમદાવાદને તો વર્લ્ડ હેરીટેજ સિટીનું બિરુદ મળી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ધોળાવીરાને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઇટનું ટાઇટલ આપ્યું છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસને લગતું ઘણું બધું આખા ય રાજ્યમાં પથરાયેલું છે. મીડિયા, વિવાદો અને ક્યારેક સંશોધકોની રૂચિને કારણે લોકોને આમાંથી મોટા ભાગની ધરોહર વિશે આછો પાતળો ખ્યાલ રહ્યો છે પણ તેની જાળવણી અંગેની જાગરૂકતા છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં વધારે ધારદાર બની છે.

છતાં પણ આ શહેરોમાં આ વારસાને જાળવવાને મામલે ચૂક થતી આવી છે. જેમ કે જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચિત્તાખાના ચોકની કન્યાશાળા ધરાશયી થઇ છે. વળી અમૂક શહેરોમાં તો જે સાંસ્કૃતિક વારસો નથી તેને હેરીટેજને નામે ચલાવવાના ધખારા પણ થયાં છે, જેની પાછળ સરકારી દાનત અને ખાનગી હિતોનાં સમીકરણો કામ કરી જતાં હોય છે. હેરીટેજ સિટી બનેલા અમદાવાદને હવે યુનેસ્કોને રિપોર્ટ આપવાની ઘડી નજીક આવી છે ત્યારે અવગણાયેલી સૂચનાઓ, ભંગ થયેલા નિયમો જેવી બાબતો અડચણો ન બને તે માટે તંત્ર છેલ્લી ઘડીએ સાબદું થયું હોવાના વાવડ તો છે, પણ આખરે આવા મામલે તો નીવડે વખાણ જેવી જ સ્થિતિ હોય. ૨૦૧૯માં અમદાવાદના હેરીટેજના લિસ્ટમાં આવેલી ઇમારતો પર ડિમોલીશનનું જોખમ હતું. આધુનિક વારસાની વાત કરીએ તો આઇ.આઇ.એમ. અમદાવાદમાં જ લેજેન્ડરી અમેરિકન આર્કિટેક્ટ લુઇ કાને કરેલા પ્રતિષ્ઠિત બાંધકામને તોડી પાડવાની ચર્ચા પણ ચાલી હતી જે વિરોધને પગલે અટકી ગઇ.

સુરતની વાત કરીએ તો તે હંમેશાંથી આર્થિક કેન્દ્ર જ રહ્યું છે જ્યાં ૮૪ બંદરના વાવટા ફરક્યા છે તેવું શહેર, જ્યાંથી અકબર બાદશાહ હજ પર ગયા છે, તેવું શહેર જ્યાં અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ઇ.સ. ૧૬૦૦માં સ્થાપી, તેવું શહેર. આ શહેરનો ઇતિહાસ પૈસા સાથે જોડાયેલો રહ્યો છે, અનેકવાર લૂંટાયેલું સુરત સમૃદ્ધિ ચાહનારાઓનું ચહિતું રહ્યું છે. દરિયા કાંઠો અને નદીને કારણે વારંવાર પૂરમાં તણાતાં આ શહેરમાંથી અંગ્રેજો મુંબઇ તરફ વળ્યા. એક સમયે અહીં કોટ પણ હતો અને બાર દરવાજા પણ હતા, આજે દરવાજાનાં નામ રહ્યા છે અને કતારગામ વિસ્તારમાં એક સમયના કોટની દિવાલના અવશેષ નજરે ચઢે છે પણ ધંધા-પાણીને પગલે મુંબઇની નજીક હોવાને કારણે સુરત અમુક મામલે હાંસિયામાં ધકેલાયું. આધુનિક સુરતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પબ્લિક આર્ટ ક્ષેત્રે કામ થયું છે, અહીં ઉદ્યોગો છે, અમદાવાદમાં મહાજન સંસ્કૃતિનો વારસો છે, મુગલ કાળની ધરોહરો છે વળી એક માત્ર વિક્રમ સારાભાઇએ ખડાં કરેલા સંસ્થાનો પણ કોઇ સમૃદ્ધ વારસાથી કમ નથી, ત્યારે સયાજીરાવ ત્રીજાના વડોદરામાં જો રાજવી વારસાનો છેદ ઊડી જાય તો પછી શહેર પાસે ‘કલા નગરી’ના નામનો ખોંખારો ખાવા જેવું કશું બચે નહીં તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

વિકાસ અને ધર્મની દોડમાં ઇતિહાસનાં પાનાં ગાયબ ન થઇ જાય તે બહુ જરૂરી છે. બુલડોઝરો અને બુલેટ ટ્રેન્સ આ કામ સિફતથી કરી રહ્યા છે જે ચોક્કસ ચિંતા જનક છે.

બાય ધી વેઃ

સાંસ્કૃતિક ધરોહર એ માત્ર ટુરિઝમ નથી પણ ભવિષ્યની યોજનાઓને પાર પાડવાનો પાયો છે.  પૂર્વગ્રહો વગરનો ઇતિહાસ, વાસ્તવિકતા રજૂ કરતો ઇતિહાસ એ ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપનારો હોય તે સ્વીકારીને તેની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો. એમાં પાછું આપણને વિકાસનું વળગણ છે એટલે શું રહેશે અને શું જશે તેની કોઇ ગેરંટી મળી શકે તેમ નથી. મંદિરો માત્ર આપણો વારસો નથી, ધ્વંસ કરાયેલી મસ્જીદ પણ ઇતિહાસનો પુરાવો હતો એ સત્ય આવનારી પેઢીઓને કોઇપણ પ્રકારના પૂર્વગ્રહો વિના જણાવી શકાશે તો જ આપણે જવાબદારીપૂર્વક ફરજ પૂરી કરી તેમ માની શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  03 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7691,7701,7711,772...1,7801,7901,800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved