Opinion Magazine
Number of visits: 9557024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 July 2025

રાજ ગોસ્વામી

આનંદ બંધુઓમાં જ્યેષ્ઠ ચેતન આનંદે 1946માં ‘નીચા નગર’ નામની એક અર્થપૂર્ણ ફિલ્મ બનાવી હતી. તેમાં ‘નીચે’ રહેતા ગરીબો અને ‘ઉપર’ રહેતા અમીરો વચ્ચે પાણીની સમસ્યાની વાત હતી. તે ફિલ્મની વાત આપણે ફરી ક્યારેક કરીશું, પણ આજે વાત કરવી છે નિર્માતા-નિર્દેશક મોહન સહેગલની, જેમણે ‘નીચા નગર’માં ચેતન આનંદના સહાયક નિર્દેશક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. મોહને આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા પણ કરી હતી.

તેમણે નિર્દેશક તરીકે 18 ફિલ્મો બનાવી હતી અને નિર્માતા તરીકે 16 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જલંધરના પંજાબી પરિવારમાં જન્મેલા મોહન સહેગલને ગીત-સંગીત વારસામાં મળ્યું હતું. તેઓ ખુદ ભરતનાટ્યમના નર્તક હતા. 

હિન્દી સિનેમામાં મોહન સહેગલની પહેચાન નવોદિત અને સંઘર્ષ કરતા કલાકારોને કામ આપવાની છે. એટલા માટે, મોહન સહેગલનું નામ આવે એટલે 1970માં આવેલી ‘સાવન ભાદો’ ફિલ્મનો ઉલ્લેખ અચૂક આવે. આ ફિલ્મથી મોહને હિન્દી ફિલ્મોના ચાહકોને રેખાની ‘ભેટ’ આપી હતી. એમ તો તેમણે નવીન નિશ્ચલ માટે આ ફિલ્મ બનાવી હતી.

મોહન સહેગલને એકદમ નવા જ કલાકારો સાથે જ એક ફિલ્મ બનાવવી હતી. ‘સાવન ભાદો’ એ રીતે એક નોંધપાત્ર ફિલ્મ છે. રેખા અને નવીન ઉપરાંત ખલનાયક રણજીતની પણ આ પહેલી ફિલ્મ. આગલા જ વર્ષે આવેલી મનોજ કુમાર-આશા પારેખની ‘સાજન’ ફિલ્મમાં મોહને શત્રુઘ્ન સિંહાને પહેલો કિરદાર આપ્યો હતો. આ ‘સાજન’ ફિલ્મની વાત પણ ક્યારેક કરવા જેવી છે. અમીર ખાનની ‘ગજની’ ફિલ્મની તે પ્રેરણા હતી.

મોટા સ્ટાર હોવા છતાં ‘સાજન’ ફિલ્મને તેમને જોઈતી હતી તેવી સફળતા ન મળી એટલે મોહન સહેગલે તદ્દન નવા ચહેરા સાથે ‘સાવન ભાદો’ બનાવવાનું નક્કી કર્યું હતું. કેવું કહેવાય કે જે મોહન સહેગલને હિન્દી સિનેમાને રેખા આપવા માટે યાદ કરવામાં આવે છે, તે જ મોહનને અમિતાભ બચ્ચનને રીજેક્ટ કરવા માટે પણ યાદ કરવામાં આવે છે!

તે વખતે અમિતાભ બચ્ચન મુંબઈમાં ફિલ્મોમાં કામ શોધતા હતા. હજુ તે ‘સાત હિન્દુસ્તાની’વાળા ખ્વાજા અહેમદ અબ્બાસને મળ્યા નહોતા. પિતા હરિવંશરાયને ઇન્દિરા ગાંધી સાથે સારાસારી હતી. ઇન્દિરાએ એક ભલામણ પત્ર લખી આપ્યો હતો. તેને લઈને અમિતાભે તે વખતની સ્ટાર નરગિસનો સંપર્ક કર્યો હતો. નરગિસ નવા છોકરાના સ્ક્રીન ટેસ્ટ માટે નિર્માતાઓ અને નિર્દેશકોને ભલામણ કરતી હતી.

એમાંથી એક મોહન સહેગલ. તેમણે ‘સાજન’ ફિલ્મના સેટ પર અમિતાભનો ટેસ્ટ લીધો હતો. એ ટેસ્ટ ‘સાજન’ માટે હતો કે તેના પછી આવનારી ‘સાવન ભાદો’ માટે? ખબર નથી, પરંતુ મોહન સહેગલે અમિતાભને નાપાસ કરી દીધા. તેમને અમુક રોમેન્ટિક લાઈનો બોલવાની હતી. અમિતાભે પિતા હરિવંશરાયની મશહૂર કવિતા ‘મધુશાલા’માંથી અમુક લાઈનો સંવાદમાં જોડી દીધી હતી. મોહનને મજા ન આવી.

મોહનને મજા આવી નવીન નિશ્ચલમાં. મોહન સહેગલ અને નવીન નિશ્ચલના પિતા ચમન નિશ્ચલ કોલેજના સમયથી મિત્રો હતા. મોહન સહેગલ મુંબઈમાં જામી ગયા હતા, ત્યારે સી.એલ. નિશ્ચલને દીકરા નવીનને લઈને ચિંતા હતી કારણ કે તેનું ભણવામાં ધ્યાન નહોતું. ચમન નિશ્ચલે દીકરાને ઠેકાણે પાડવા માટે મોહનને કહ્યું. મોહન સહેગલે કહ્યું કે હું તેને હીરો બનાવી દઈશ, પણ તેણે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં ભણવું પડશે. મોહને ભણાવાનો ખર્ચો પણ ઉઠાવ્યો. નવીન ભણીને પાછો આવ્યો અને મોહને ‘સાવન ભાદો’ શરૂ કરી.

મોહન સહેગલને ત્યારે લાગ્યું હતું કે ફિલ્મો હીરોના નામે નહીં, વાર્તા પર વેચાય છે તો પછી નવોદિતોને લઈને જ કેમ ન બનાવવી? તેમની પાસે એસ. અલી રઝા નામના પટકથાલેખકની એક વાર્તા હતી. તેમાં એક ધનાવન યુવાન વિક્રમ પરદેશમાં ભણીને ભારત આવે છે અને તેની સાવકી માતા તેમ જ સાવકી બહેનના કાવતરાનો ભોગ બને છે. તે ચંદા નામની ગામડાની એક છોકરીના પ્રેમમાં પડે છે અને તેના સંગાથમાં તે તેના કાવતરાખોરો સામે લડે છે.

મોહન સહેગલ પાસે નવો હીરો તો હતો, પણ હિરોઈનનું શું? તે વખતે ધીરેન્દ્ર કિશન નામનો ફિલ્મ ફોટોગ્રાફર તેમનો મિત્ર હતો. તેણે મોહનને દક્ષિણ ભારતની એક છોકરીની ભલામણ કરી. સુપરસ્ટાર જૈમિની ગણેશન્‌ અને પુષ્પાવલીની પુત્રી રેખા એક વર્ષની ઉંમરથી દક્ષિણની ફિલ્મોમાં કામ કરતી હતી. રેખાએ હિન્દીમાં ‘અંજાના સફર’ નામની એક ફિલ્મ માટે કરાર કરી રાખ્યો હતો અને તે પ્રોડ્યુસરના ખર્ચે મુંબઈમાં એક હોટેલમાં રહેતી હતી (પાછળથી એ ફિલ્મ ઘોંચમાં પડી ગઈ હતી.)

મોહન રેખા અને તેની માતાને મળ્યા. તેમને રેખાનું બોલકો સ્વભાવ પસંદ આવ્યો. રેખાને પોતાના રંગ અને શરીરને લઈને શંકા હતી. તે 13 વર્ષની હતી, પણ 18ની દેખાતી હતી (ઇન ફેક્ટ, નવીન નિશ્ચલને પણ ‘કાળી અને જાડી’ રેખા ગમી નહોતી). મોહન સહેગલે દક્ષિણની બીજી એક હિરોઈન વહીદા રહેમાનનું ઉદાહરણ આપીને કહ્યું કે મેક-અપથી તેના રંગને ઉજળો બતાવી શકાશે.

“આનું શું?” રેખાએ પેટ પરની ચરબી બતાવીને પૂછ્યું હતું. રેખાને કેમેરામાં તેનો ટેસ્ટ લેવો હતો. મોહન સહેગલને રેખાના વ્યક્તિત્વમાં રસ પડી ગયો હતો. તેના બોલવામાં તમિલની છાંટ હતી, પણ તે સખ્ત મહેનતુ હતી. મોહને તેના માટે એક હિન્દી શિક્ષક રોક્યો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં સહેગલ કહે છે, “કલાકારો અને કસબીઓને ટ્રેનિંગ આપવા વાળો હું પહેલો હતો. પ્રતિભા જન્મજાત હોય છે તે સાચું, પરંતુ કલાકારને પ્રતિભાને કેવી રીતે બહાર લાવવી તેની તાલીમની જરૂર પડે છે.”

‘સાવન ભાદો’ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ. તેનું મહોમ્મદ રફીએ ગયેલું ગીત ‘કાનો મેં ઝૂમકા, તાલ મેં ઠુમકા’ અત્યંત લોકપ્રિય થયું હતું. સિનેમાની પત્રિકાઓ પર નવીન નિશ્ચલ અને રેખાના ફોટા સાથે નવા સ્ટાર્સના જન્મની જાહેરાતો થઇ હતી.

‘સાવન ભાદો’માં ગામડાની છોકરી તરીકે જાડી અને કાળી રેખા ચાલી ગઈ હતી, પણ તેને જાતને સંપૂર્ણપણે બદલવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. અને તે તેણે કરીને બતાવ્યું. એ પછી જેટલી પણ ફિલ્મો આવતી ગઈ, રેખામાં ઉત્તરોતર એક બદલાવ આવતો ગયો – એ બદલાવ શરીરને લઈને તો હતો જ, અભિનય પ્રતિભાને લઈને પણ હતો.

દિનેશ રહેજા નામના એક પત્રકારને રેખાએ એકવાર કહ્યું હતું, “સાવન ભાદોના પ્રીમિયરમાં મેં બનાવટી લટો અને પાંપણો સાથે કાળું અને ભૂરાશ પડતું વાદળી ઘરારા પહેર્યું હતું. શશી કપૂરે મને જોઇને કહ્યું હતું; ‘આ કાળી, જાડી કેવી રીતે મુંબઈમાં એક્ટ્રેસ બનશે?’ પણ તેમની પત્ની જેનિફરે કહ્યું હતું, ‘નો, ડીયર. તેનામાં નમક છે, અને આવનારા ઘણાં વર્ષો સુધી અહીં રહેશે.” મીના કુમારીએ પણ ત્યારે કહ્યું હતું. ‘યોગિતા બાલી મીઠી છે, પણ તું નમકીન છો. અને નમકીનનો સ્વાદ લાંબો ચાલે છે.”

એ વાત સાચી હતી. આજે 70 વર્ષે પણ રેખાનું નમકીન મુંબઈમાં અકબંધ છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 09 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ

સોનલ પરીખ|Opinion - Opinion|11 July 2025

હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ
કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ…

દિન તો ઉલઝા હી રહા ઝિંદગી કી બાતોં મેં
સાંસે જલતી હૈ કભી કભી રાતોં મેં
કિસી કી આહ પે તારોં કો પ્યાર આયા હૈ…

સપનેં છલતે હી રહે રોજ નઈ રાહોં સે
કોઇ ફિસલા હૈ અભી અભી બાહોં સે
કિસકી હૈં આહટેં યે કૌન મુસ્કુરાયા હૈ…

‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ’ આ સંવાદ છે બાસુ ભટ્ટાચાર્યની એક અદ્દભુત ફિલ્મ ‘આવિષ્કાર’નો.

લગ્ન પહેલા માનસી ગાતી અને અમર ઉત્કંઠાપૂર્વક સાંભળતો. એ જરા ઉદાસ થતી ને અમર વહાલ કરીને કહેતો, ‘મુઝે અપના દુ:ખ નહીં બતાઓગી તો મૈં તુમ્હેં સુખ કૈસે

દૂંગા?’ માનસી પૂછતી, ‘શાદી હમેં સુખ દેગી, અમર? એ કહેતો, ‘ક્યોં નહીં? અગર હમ સચ્ચે રહેં તો જરૂર દેગી.’

અને હવે, કુછ સાલ બાદ, માનસી કહે છે, ‘અબ તુમ્હેં સુખ મિલતા હૈ સિર્ફ મેરે કપડે ઉતારને મેં.’ અને કડવાશથી અમર કહે છે, ‘અબ તો ઉસસે ભી તંગ આ ચૂકા હૂં.’ બધું પૂરું થઈ ગયું છે બન્ને વચ્ચે, બાકી રહી છે જે કંઈ થયું તે માટે બીજા પર દોષ ઢોળવાની વિકૃત મઝા.

બાસુ ભટ્ટાચાર્ય

આ ફિલ્મનું એક સુંદર ગીત ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ આજે આપણે માણવાના છીએ, બાસુદાની પુણ્યતિથિ આવી રહી છે એ નિમિત્તે. લગ્નસંસ્થા અને દાંપત્ય પર અણિયાળા સવાલો કરનારી બાસુ ભટ્ટાચાર્યની પ્રસિદ્ધ ફિલ્મત્રયી ‘અનુભવ’ (1971), ‘આવિષ્કાર’ (1974) અને ‘ગૃહપ્રવેશ’ (1979)એ એક આખી પેઢીના ગુમસુમ સંબંધોને સ્પર્શ કર્યો હતો.

આ ત્રણે ફિલ્મનાં નાયક-નાયિકાનાં નામ અમર અને માનસી છે. તેઓ પ્રેમ કરે છે, પરણે છે અને પછી અનુભવે છે કે તાજી, ખળખળ વહેતી જિંદગી બંધિયાર અને વાસી બનતી જાય છે. ઊડી જાય છે એ સુગંધ જે પ્રિયપાત્રને જોઈ હૃદયમાંથી ઊઠતી હતી. આવું કેમ થાય છે ને આવું થાય તો પછી શું થાય છે? દરેક ફિલ્મમાં બાસુદા આ સવાલ મૂકે છે. દર્શકને તેની ધાર વાગ્યા વિના રહેતી નથી અને અંત એમ તો સુખદ કહી શકાય એવો હોવા છતાં એક અસમંજસ, થિયેટર છોડ્યા પછી પણ ખાસ્સો સમય દર્શકની સાથે રહે છે.

‘આવિષ્કાર’ ફિલ્મની શરૂઆત જ ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ ગીત સાથે થાય છે. ગીત આગળ વધતું જાય છે, ટાઈટલ્સ સરતાં જાય છે અને ફિલ્મનું વાતાવરણ બંધાતું જાય છે. કપિલકુમારના શબ્દોને મન્ના ડેએ એટલા પ્રાણવાન બનાવ્યા છે કે અનુભૂતિ કોઈ એકની ન રહેતા દરેકની બની જાય છે. ફિલ્મના સંગીતકાર હતા કનુ રૉય. ‘અનુભવ’માં એમણે પોતાની બહેન ગીતા દત્ત પાસે ‘મુઝે જા ન કહો મેરી જાં’, ‘કોઈ ચૂપકે સે આ કે’ જેવાં કમાલનાં ગીત ગવડાવેલાં. તે જો મૃત્યુ ન પામી હોત તો તેના કંઠને અનુરૂપ એવું ‘આવિષ્કાર’નું ‘નૈના હૈં પ્યાસે મેરે’ પણ તેણે ગાયું હોત એમ ધારવું ગમે. કપિલ કુમારે ‘અનુભવ’ માટે અદ્દભુત ગીત લખ્યું છે, ‘ફિર કહીં કોઈ ફૂલ ખિલા, ચાહત ના કહો ઉસકો’ એ પણ મન્ના ડેએ ગાયું છે.

અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મિલા ટાગોર) બંને આધુનિક, સુશિક્ષિત, બુદ્ધિશાળી છે. ચિક્કાર પ્રેમ કરીને અને વિદ્રોહ કરીને લગ્ન કરે છે. થોડાં વર્ષો પછી સ્થિતિ એ થાય છે કે લગ્નતિથિ હોવા છતાં અમર મોડે સુધી ઑફિસમાં બેઠો રહે છે – ઘેર જવાનું મન નથી થતું. ઘેર મિત્ર સુનીલ પુષ્પગુચ્છ લઈને જાય છે ત્યારે માનસી કહે છે, ‘નવાઈની વાત છે, તમને અમારી લગ્નતિથિ યાદ છે અને અમે જ ભૂલી ગયાં!’ સુનીલ વાતને વાળી લે છે, ‘એવું થાય.’ માનસી યાદ કરે છે, ‘પહેલી લગ્નતિથિ પર ખૂબ ફર્યાં હતાં, ખૂબ વાતો કરી હતી. બીજી લગ્નતિથિ પર બાળકના આગમનની તૈયારી હતી. ત્યાર પછી બેચાર લગ્નતિથિ આવી, પણ કોઈ પ્રોગ્રામ કરવાનું મન જ નથી થતું.’ ફરી સુનીલ વાત વાળી લે છે, ‘સંબંધો સાદગી પર ઊતરી આવે ત્યારે એવું જ થાય, કોઈ પ્રોગ્રામની જરૂર ન રહે.’

બાસુ ભટ્ટાચાર્યની કારકિર્દી બિમલ રૉયની ‘મધુમતી’ના સહાયક દિગ્દર્શક તરીકે થઈ. માધ્યમ તરીકે ફિલ્મોને કલાત્મકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવામાં તેમણે પોતાના ગુરુ જેવી જ મહારત હાંસલ કરી હતી. ‘તીસરી કસમ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાસુદા અને બિમલ રૉયની પુત્રી રિન્કીએ બધાના વિરોધ છતાં ભાગીને લગ્ન કર્યાં પણ ઝડપથી સંબંધો વણસ્યા, રિન્કી ઘર છોડી ચાલી ગઈ અને પછી છૂટાછેડા થયા. આ કડવા અનુભવોને ફિલ્મોમાં મૂકી બાસુદા જાણે કોઈ હલ શોધે છે. ‘આવિષ્કાર’ના અંતે સવારે દૂધની બોટલ લેવા બારણું ખોલતી માનસીને અમરે બહાર જ મૂકી દીધેલો પુષ્પગુચ્છ મળે છે એ જોઈ તે રાતની અકળામણ ભૂલી જાય છે અને અમર તેને સાહીને ઘરમાં લઈ જાય છે. દર્શક વિમાસે છે, આ નવી શરૂઆત છે કે સુખની એક આકસ્મિક પળ? શર્મિલા ટાગોર અને રાજેશ ખન્ના એ સમયના સફળ અને વ્યસ્ત કલાકારો. બંનેએ કહ્યું છે કે બાસુદા સાથે કામ કરવું એ એક ‘ક્રિએટિવ એક્સપિરિયન્સ’ છે.

‘આવિષ્કાર’ને વિવેચકોએ ખૂબ વખાણેલી. ‘સૂરજ હૈ સૂરજ ધરતી સે, સૂરજ ફિર ભી સૂરજ હૈ; ધરતી હૈ ધરતી સૂરજ સે, ધરતી ફિર ભી ધરતી હૈ’ – રાજેશ ખન્ના દ્વારા બોલાતી આ પંક્તિ અનંત અર્થની વાહક બની છે. તેને આ ફિલ્મ માટે અવૉર્ડ મળ્યો હતો. અમર કહે છે, ‘લગ્ન પહેલાં આપણે થોડું મળતાં. મળતાં ત્યારે શ્રેષ્ઠ રૂપમાં રહેતાં. તે વખતે આપણે કેટલાં સુંદર હતાં!’ ‘તો હવે કુરુપ થઈ ગયાં?’ ‘ના, લાચાર.’ અને માનસી કહે છે, ‘મારા પિતા કહે છે કે પ્રેમ પોકળ વસ્તુ છે, નક્કર ચીજ છે શ્રદ્ધા. પણ મારી મા કહે છે, પુરુષ કદી સ્ત્રીને શ્રદ્ધાથી જોઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું આકર્ષણ છે, ત્યાં સુધી એ પત્નીનો ગુલામ થઈને રહે છે, ત્યાર પછી બની જાય છે પત્ની-સંતાનોનો માલિક. ક્યારેક વિચાર આવે છે, આપણે પ્રેમનો અર્થ સમજતાં હતાં ખરાં?’ – ‘સપને છલતે હી રહે રોજ નઈ રાહોં સે, કોઈ ફિસલા હૈ અભી અભી બાહોં સે.’ શું છે આ છલના, આ ફિસલન?

1997ની 19 જૂને 63 વર્ષની ઉંમરે બાસુદાનું નિધન થયું. એ જ વર્ષના જાન્યુઆરીમાં એમની છેલ્લી ફિલ્મ ‘આસ્થા’ આવી, એમાં પણ એક અમર-માનસી છે. વધતા જતા ભૌતિકવાદની શહેરી જીવન, મધ્યમવર્ગ અને લગ્નનાં મૂલ્યો પર થયેલી અસર વચ્ચે ભીંસાતાં ‘આસ્થા’ના અમર-માનસી આ છલના, આ ફિસલનનો કેવો અનુભવ કરે છે, કેવો અર્થવિસ્તાર કરે છે? ક્યારેક વાત કરીશું એ ફિલ્મની.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 06 જૂન 2025

Loading

વરસાદમાં દરવાજો પલળ્યો

નરેશ સક્સેના [મૂળ હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|11 July 2025

વરસાદમાં દરવાજો પલળી
ને ફૂલી ગયો છે
ક્યારેક વૃક્ષ હતો,
અમે સમજ્યા કે
એ ભૂલી ચૂક્યો હશે

હવે એના ચોખટામાં
બંધબેસતો નથી
કેટલીય ખીલીઓ ઠોકેલી છે
તોય વળી રહ્યો છે

વરસાદમાં ભીંજાવા
બહારની તરફ ઝુકી ગયો છે
ક્યારેક વૃક્ષ હતો,
અમે સમજ્યા કે
એ ભૂલી ચૂક્યો હશે.

ફોટોઃ રૂપાલી બર્ક

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...174175176177...180190200...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved