Opinion Magazine
Number of visits: 9962881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિત્તરંજન વોરાને જ્ન્મદિવસની શુભેચ્છા ….

સંજય સ્વાતિ ભાવે|Gandhiana|19 January 2022

પ્રશિષ્ટ પુસ્તકોના પ્રચ્છન્ન અનુવાદક ચિત્તરંજન વોરા આજે સિત્યોતેર વર્ષ પૂર્ણ કરી ઇઠ્યોતેરમા વર્ષમાં પ્રવેશે છે.

ગૂજરાત વિદ્યાપીઠના સાદરા ખાતે આવેલા મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક ચિત્તરંજનભાઈએ પશ્ચિમના ચાર મહત્ત્વનાં પુસ્તકોના ગુજરાતીમાં સંતોષકારક  અનુવાદ આપ્યા છે.

આ પુસ્તકો છે : 'અન્ ટુ ધિસ્ લાસ્ટ' (જૉન રસ્કિન), 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' (લીઓ ટૉલ્સ્ટૉય), 'સૉક્રેટિક ડાયલૉગ્ઝ' (પ્લેટો) અને 'પૅરલલ લાઇવ્ઝ' (પ્લુટાર્ક).

આ ચારેય પુસ્તકોની મહત્તા એવી છે કે વૈચારિક વાચનમાં રસ ધરાવનાર વાચકને તે પોતાની ભાષામાં આવ્યાં છે એ જાણીને આનંદ અને ગૌરવ થાય. જો કે આ કૃતિઓના ગુજરાતી અનુવાદક લગભગ પ્રચ્છન્ન એટલે કે અજાણ્યા છે.

ચિત્તરંજનભાઈએ અંગ્રેજીમાંથી ઊતારેલાં આ પુસ્તકોનાં પાનાં સહેજ ધ્યાનથી ફેરવતાં અનુવાદો પાછળની તેમની દૃષ્ટિ અને તેમના પરિશ્રમની વારંવાર પ્રતીતિ થાય છે. પ્રાચીન ગ્રીસના લેખક પ્લુટાર્કના પુસ્તક સિવાયનાં પુસ્તકોમાં તેમણે એકંદરે શબ્દશ: અનુવાદ આપ્યો છે. પ્લુટાર્કમાં તેમણે ચોક્કસ સમજ સાથે સંક્ષેપનો માર્ગ લીધો છે.

રસ્કિન, ટૉલ્સ્ટૉય અને પ્લેટોનાં પુસ્તકોના અંગ્રેજી પાઠ સાથે ગુજરાતી અનુવાદની થોડીક નમૂનારૂપ સરખામણી કરતાં અનુવાદ વિશ્વસનીય અને ધોરણસરની ગુણવત્તાવાળો જણાય છે. દરેક પુસ્તકમાં અનુવાદ પહેલાંનાં પાનાંમાં ચિત્તરંજનભાઈ અનુવાદ પાછળની તેમની ભૂમિકા સમજાવે છે, તેમ જ લેખક અને કૃતિ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપે છે.

****

'અન્ ટુ ધિસ્ લાસ્ટ' (Unto This Last, 1862)) અને 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' (The Kingdom of God is Within You,1893) પુસ્તકોનો ગાંધીજી પર મોટો પ્રભાવ હતો એ વાત આત્મકથા થકી જાણીતી છે.

ચિત્તરંજન ગાંધીવિચારને વરેલા પરિવારના છે. તેમના પિતા, બે ભાઈઓ અને પત્ની ગાંધીવિચાર સાથે કામ કરતી સંસ્થાઓ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં છે.

ગાંધીજીએ સમાનતાવાદી અર્થવ્યવસ્થાને લગતાં ચાર નિબંધોના સંચય 'અન ટુ ધિસ લાસ્ટ'નો સાર ખાસ તેમની એ વખતની ગુજરાતી ભાષામાં 'સર્વોદય’ નામની ચાળીસેક પાનાંની પુસ્તિકામાં 1922માં આપ્યો હતો. પછીનાં વર્ષોનાં ગાળામાં રસ્કિનના પુસ્તક વિશે આપણે ત્યાં વાત થતી રહી, પણ તે પુસ્તક ચિત્તરંજનભાઈની કલમે છેક 1995માં આવ્યું.

તેને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એમ.એલ. દાંતવાલાની લાંબી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના મળી જેનું મથાળું છે – ''અન્ ટુ ધિસ્ લાસ્ટ’ નો કોઈ વિકલ્પ નથી'.

મનુભાઈ પંચોળી દર્શકે 'એક રૂડું કામ' નામે મનભર આવકારલેખ આપતાં લખ્યું: 'ભાઈ ચિત્તરંજને અક્ષરશ: અનુવાદ કરીને મોટી ખોટ પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે. છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે.'  

અંગ્રેજી સાહિત્યના વિક્ટોરિયન યુગના મેકૉલે અને કાર્લાઇલ જેવા ગદ્યકારોના લખાણોની જેમ રસ્કિનના ગદ્યના અનુવાદનો પડકાર ચિત્તરંજનભાઈએ ઠીક ઝીલ્યો છે.

પુસ્તકની બીજી સંવર્ધિત આવૃત્તિ 2013માં થઈ. તેમાં અનુવાદની ઉત્તમ ગુણવત્તા અંગેના જાણકારોના અભિપ્રાયો વાંચવા મળે છે.

અનુવાદકે રસ્કિનના જીવન અને વિચારદર્શન વિશે સંતર્પક લેખ લખ્યો છે. પુસ્તકનો શિરમોર હિસ્સો છે: ''અન્ ટુ ધિસ્ લાસ્ટ' વિશે અર્થશાસ્ત્ર અને ગાંધીવિચારના સંદર્ભમાં સમજૂતી'. અહીં ચિત્તરંજનભાઈએ ચારેય નિબંધોમાં રસ્કિને ક્રમવાર લખેલા તમામ 307 મુદ્દામાંથી લગભગ દરેકનો સરેરાશ દસથી ત્રીસ જેટલા શબ્દોમાં સાર આપ્યો છે !

બીજી આવૃત્તિમાં 'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ના અનુવાદની સાથોસાથે  રસ્કિનની પરીકથા  'ધ્ કિન્ગ ઓફ ધ ગોલ્ડન રિવર'નો ચિત્તરંજનભાઈએ 'સોનેરી નદીના રાજા' નામે કરેલો અનુવાદ બન્સી વર્મા 'ચકોર'ના ચિત્રો સાથે મળે છે. આ બાળવાર્તા 'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ના 'સારરૂપ' હોવાનું દર્શક અનુવાદની ટૂંકી પ્રસ્તાવનામાં નોંધે છે. ગંભીર પુસ્તકોના અનુવાદક બાળકો માટેનું મજાનું ગુજરાતી પણ લખી શક્યા છે.

'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ની બંને આવૃત્તિઓ કોઈ જાણીતા પ્રકાશકે નહીં પણ સંભવત: અનુવાદકના પોતે ‘વિચારધારા પ્રકાશન’ થકી પ્રસિદ્ધ કરી છે,  તે નવાઈની વાત લાગે છે.

***

ટૉલ્સ્ટૉયના 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' પુસ્તકની બાબતમાં નવાઈની વાત એ કે તે ગાંધીજીએ આત્મકથામાં તેનો 'વૈકુંઠ તારા હૃદયમાં છે' એવા કાવ્યાત્મક નામ સાથે ઉલ્લેખ કર્યો. એટલે પછી આત્મકથાના વિસ્તરતાં વાંચન સાથે એવી ગેરસમજ ફેલાતી ગઈ કે આ આખું પુસ્તક પણ ગુજરાતીમાં છે. પણ એ જ નામ સાથે પ્રત્યક્ષ પુસ્તક છેક 2017માં ‘નવજીવન પ્રકાશન’ થકી આવ્યું.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન ઊભું કરેલ ટૉલસ્ટૉય ફાર્મ એ અગ્રણી રશિયન ચિંતકના ગાંધીજી પરના પ્રભાવનો પૂરાવો છે. અનુવાદક નોંધે છે : 'મહાત્મા ટૉલ્સ્ટૉયના આ ગ્રંથે ['કિન્ગડમ ઑફ ગૉડ…'] મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહની શોધ વખતે તેમની વિચારણાના પાયાને મજબૂત કર્યા. આ ગ્રંથ પ્રેમ, ક્ષમા, ભાઈચારો અને વિશ્વનાં આદિકારણને સમર્પિત જીવનનિષ્ઠાનો ગ્રંથ છે. તેથી આ ગ્રંથ માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતો જ નહીં પણ જગત આખાની માનવતાનો અમૂલ્ય વારસો છે. ગાંધીજીએ તેને ધાર્મિકતાની સંકુચિત સાંપ્રદાયિકતાથી ઊપર ઊઠીને વાંચ્યો અને તેમાંથી પોતાને માટે સાર હતું તે ગ્રહણ કરી લીધું.'

અનુવાદકના નિવેદનમાં પુસ્તકની મહત્તા ઉપરાંત ટૉલસ્ટૉયનાં જીવનકાર્ય અને ગાંધી-ટૉલ્સ્ટૉય સંબંધો વિશેની રસપ્રદ માહિતી મળે છે. મૂળ પુસ્તકમાંથી 'પુનરુક્તિના અને ક્ષેપક જેવા કેટલાક અંશો જતા કર્યા છે' એમ પણ અનુવાદક નોંધે છે. પુસ્તકમાં મહેનતથી તૈયાર કરેલી પંદરેક પાદટીપો ખ્રિસ્તી ધર્મ, બાઇબલ, ઇતિહાસ જેવાં ક્ષેત્રોને લગતી છે.

***

ગ્રીક તત્ત્વચિંતક સત્યવીર સૉક્રેટિસ ઇસવી સન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયા. તેમણે વિવિધ વ્યક્તિઓ સાથે કરેલા પાંત્રીસ સંવાદો તેમના ફિલસૂફ શિષ્ય પ્લેટોએ લખ્યા છે. તેમાંથી યૂથીફ્રો, ક્રીટો અને ફીડો સાથેના સંવાદો ચિત્તરંજન ગુજરાતીમાં લાવ્યા છે.

અલબત્ત, સહુથી પ્રેરણાદાયી તો ‘એપોલોજી’ એટલે કે 'સૉક્રેટિસનું બચાવનામું' છે. તેનો સાર ગાંધીજીએ 'એક સત્યવીરની કથા અથવા સૉક્રેટીસનો બચાવ’ નામે 'ઇન્ડિયન ઓપીનિયન' પત્રિકામાં 1908માં લખ્યો છે. એમાંથી અવતરણ સાથેની એક ખૂબ રસપ્રદ પાદટીપ અનુવાદકે મૂકી છે. પોતાના નિવેદનને અંતે તેઓ નોંધે છે : 'આ ગ્રંથ મુજબ સૉક્રેટિસની વિચારપદ્ધતિ શીખનાર પ્રજા પોતાની અંધશ્રદ્ધાઓને તપાસીને તેમાંથી મુક્ત બની શકે છે …'

****

ચિત્તરંજનભાઈના ચારેય પુસ્તકોમાં આકર્ષક પાત્રો અને કથારસ ધરાવતો અનુવાદ (બાળકથા ઉપરાંત) એટલે 'પ્લુટાર્કની વીરકથાઓ' (નવજીવન, 2021). પ્લુટાર્ક (ઇ.સ. 45-120) ગ્રીક ઇતિહાસકાર, ગદ્યલેખક અને  ધર્મોપદેશક હતો. તેણે પચાસ ગ્રીક અને રોમન પ્રતિભાઓ વિશે લાંબા ચરિત્રલેખો કર્યા છે. તેમાંથી 'વીરકથાઓ' પુસ્તકમાં દસ વ્યક્તિઓ વિશે વાંચવા મળે છે. શેક્સપિયરના 'જ્યુલિયસ સીઝર' અને 'ઍન્ટની ઍન્ડ ક્લિઓપાત્રા' નાટકો માટેનો સ્રોત પ્લુટાર્ક છે. આ પાત્રો ઉપરાંત ગ્રીક સમ્રાટો પેરિક્લીઝ અને ઍલેક્ઝાંડર, રાજદ્વારી મુત્સદ્દી સિસેરો, વક્તા ડેમોસ્થેનીસનાં વ્યક્તિચિત્રો પણ ચિત્તરંજનભાઈએ પસંદ કર્યા છે.

નિવેદનમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે આ ‘પદ્ધતિ મુજબનો અક્ષરશ: તરજૂમો નથી'. તેમણે 'વાચનરસ માટે પ્રસ્તુત ન હોવાથી' દૂર કરેલ બાબતો જણાવી છે તેમ જ ક્યાંક 'નવું લખાણ ઉમેરવાનો ખ્યાલ પણ રાખ્યો છે.'  જેમ કે, ઍલેક્ઝાંડરના પાત્રમાં અનુવદક વિજયગાથાઓ વિશેના પ્લુટાર્કના શબ્દો પછી પોતાના વતી ઉમેરે છે : ' … તે આજના એકવીસમી સદીના સ્વતંત્ર દેશવાસીએ ખાસ સમજવાનું રહે.' 

ચિત્તરંજનભાઈ આ અનુવાદને મૂળ પુસ્તકની ‘કેવળ ઝાંખી માત્ર’ ગણાવે છે. પુસ્તકનો ઉદ્દેશ 'વીતેલા જમાનાની માનવતાએ ભોગવેલ મહાત્ત્વાકાંક્ષા અને સંહાર જેવાં આત્મઘાતક પુનરાવર્તનોમાંથી ભાવિના ઉગારા માટે' 'ધર્મમય માર્ગ'  ચીંધવાનો છે એ મતલબનું અનુવાદક લખે છે.

***

ગયાં દોઢસો જેવાં વર્ષ દરમિયાન ગ્રીક સાહિત્યમાંથી કેટલાક અક્ષરગ્રંથો ગુજરાતીમાં આવ્યા છે. તેમાં સૉકેટીસ-પ્લેટો અને પ્લુટાર્કના ચિત્તરંજનભાઈ પાસેથી મળેલાં અનુવાદો મહત્ત્વનું ઉમેરણ છે.

ચિત્તરંજનભાઈના મૂલ્યવાન અનુવાદોને વધુ અભ્યાસીઓ મળે અને તેમને વધુ નિરામય વર્ષો મળે તેવી શુભેચ્છા !

(તસવીર સૌજન્ય : નીતિન કાપૂરે)

19 જાન્યુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે?

સોનલ પરીખ|Opinion - Opinion|19 January 2022

જ્ઞાનકોષોને ઝાઝી ખલેલ પહોંચાડ્યા વિના પરિચિત સામગ્રીમાંથી સરળ વાર્તાઓ દ્વારા બાળકોને તેમના પરિસર સાથે સાહજિકતાથી સાંકળતા અને મોજ કરાવતાં માનસઘડતર પણ કરતા ગિજુભાઈને કોણ નથી ઓળખતું? બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એવી એમની સાદી વાત આપણે પચાવવાની હજી બાકી છે. 15મી નવેમ્બરે એમનો જન્મદિન, તે નિમિત્તે એમણે જોયેલું ‘દિવાસ્વપ્ન’ આપણે સૌ જોઈએ અને સાકાર કરીએ …

ઓગણીસમી સદીનો અંત નજીક હતો. દુનિયામાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. આપણા દેશ પર પણ બ્રિટિશ શાસનની પૂરી પકડ હતી. શિક્ષિત ભારતીયો રાજકીય નિર્ણયોમાં સહભાગી થઈ શકે એ હેતુથી દાદાભાઈ નવરોજી, દિનશા એદલજી વાચ્છા અને એલન ઑક્ટોવિયન હ્યુમે 28 ડિસેમ્બર 1885માં ‘ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ’ની સ્થાપના કરી. તેનું પહેલું અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે મુંબઈ(ત્યારના બૉમ્બે)માં ભરાયું હતું.

આ ઘટનાના એકાદ મહિના પહેલા સૌરાષ્ટ્રના ચિતલ ગામમાં ગિરિજાશંકર નામના એક બાળકનો જન્મ થયો. એ વખતે ચિતલથી 100 કિલોમીટરના અંતરે આવેલા રાજકોટમાં સોળ વર્ષના મોહનદાસ ગાંધી જીવનનો માર્ગ શોધી રહ્યા હતા. આ બાળક ગિજુભાઈ નામથી બાલશિક્ષણની દુનિયામાં વિખ્યાત થવાનો હતો. ગિજુભાઈનો જન્મદિન 15 નવેમ્બરે – બાલદિનના બીજા દિવસે છે. આ બન્ને નિમિત્તે આજે વાત કરીએ ગિજુભાઈની અને એમના વિખ્યાત પુસ્તક ‘દિવાસ્વપ્ન’ની. 

એમનો ઉછેર અને અભ્યાસ ભાવનગરમાં. ધંધાર્થે આફ્રિકા ગયા. પછી મુંબઈમાં વકીલાતનું ભણ્યા અને વઢવાણ કૅમ્પમાં વકીલાત શરૂ કરી. દરમ્યાન પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. ગિજુભાઈ તેને ચીલાચાલુ નિશાળોની બદીથી મુક્ત રાખવા માગતા હતા. મોતીભાઈ અમીને તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં અને ગિજુભાઈને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો.

ભાવનગરમાં હરજીવન પંડ્યા તથા નાનાભાઈ ભટ્ટે સ્થાપેલા છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાવા આમંત્રણ મળતાં ત્રીસ વર્ષના ગિજુભાઈ વકીલાત છોડીને ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. બે વર્ષ પછી છાત્રાલય સાથે કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. નવું નવું વાંચે, વિચારે ને શાળામાં પ્રયોગ કરે. 1920ના ઑગસ્ટમાં રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સાથે જોડાયેલા રહ્યા. એમના પ્રતાપે ગુજરાતની કેળવણીનાં દશા-દિશા બદલાયાં.

ગિજુભાઈએ 200 જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ચરિત્રો, બાળસાહિત્ય-કિશોરસાહિત્યનાં પુસ્તકો, ગ્રંથમાળાઓ, બાળશિક્ષણને લગતાં પુસ્તકો, ચિંતન વગેરેનો સમાવેશ થાય છે. એ વખતે સંયુક્ત કુટુંબોમાં અને શાળાઓમાં બાળકો હડધૂત થતાં, માર ખાતાં ને ગમેતેમ ઊછરી જતાં. ગિજુભાઈએ સમગ્ર સમાજને બાલકેળવણીનું મહત્ત્વ સમજાવ્યું. સહકાર્યકરો કેળવ્યા; શિક્ષકો, માબાપો અને વાલીઓની સભાઓ કરી. પત્રિકાઓ કાઢી. બાળકોના હાથમાં ‘અમને મારશો નહિ’, ‘અમને બિવરાવશો નહિ’ – જેવાં સૂત્રો લખેલાં પૂંઠાં મૂકી સરઘસો કાઢ્યાં. મૉન્ટેસૉરી સંઘ સ્થાપ્યો, મૉન્ટેસૉરી પદ્ધતિનાં સાધનો બનાવવાના પ્રયોગ કર્યા. બાળકોને સ્વતંત્રતા મળે, તેઓ સ્વયંસ્ફુરણાથી પ્રવૃત્તિઓ કરે, સ્વાવલંબી બને, જીવનવિકાસને પોષક વાતાવરણ મળે, સહકારથી જીવતાં શીખે વગેરેની તેમણે હિમાયત કરી. આ સંદર્ભમાં તેમણે ‘મૉન્ટેસૉરી પદ્ધતિ’, ‘પાઠ આપનારાંઓને’, ‘આ તે શી માથાફોડ ?’, ‘મા-બાપ થવું અઘરું છે’, ‘વાર્તા કહેનારને’ વગેરે પુસ્તકો પણ આપ્યાં છે. આ બધા થકી ગુજરાતમાં બાલકેળવણી અંગે એક વિશાળ મોજું ઉત્પન્ન થયું.

બાલશિક્ષણ અંગે સોળ વર્ષના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ ગિજુભાઈનું રૂપિયા 11,000ની થેલી વડે સન્માન કર્યું. રકમ નાની ન હતી. એ વખતના 100 રૂપિયા એટલે આજના 6000થી થોડા વધારે રૂપિયા થાય. સન્માનની બધી રકમ, ગિજુભાઈએ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી. ‘દક્ષિણામૂર્તિ’માંથી છૂટા થયા પછી તેમણે રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. 1939માં ત્રેપન વર્ષની વયે અવસાન થતાં બાલવિદ્યાપીઠ(ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી)ની સ્થાપના, બાલજ્ઞાનકોશની રચના અને આત્મદર્શન આ ત્રણ ઇચ્છાઓ અધૂરી રહી.

‘દિવાસ્વપ્ન’માં ગિજુભાઈએ વાર્તાના માધ્યમથી બાલશિક્ષણનું શાસ્ત્ર અત્યંત રસમય અને અસરકારક રીતે સમજાવ્યું છે. તેની હિંદી, અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં આવૃત્તિઓ થઈ છે. 

રૂઢિચુસ્ત શિક્ષણપ્રથાના વિરોધી યુવાન શિક્ષક લક્ષ્મીરામ વિદ્યા-અધિકારી પાસે શિક્ષણના પ્રયોગો કરવાની મંજૂરી માગે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અધિકારી એમને ચોથા ધોરણનો વર્ગ સોંપે છે. ‘પ્રયોગો ભલે કરો, પણ પરીક્ષા માટે છોકરાઓને તૈયાર કરવા પડશે.’ ‘જરૂર, સાહેબ. મારી વિનંતી છે કે આપ જાતે જ એમની પરીક્ષા લો.’

અને પ્રયોગો શરૂ થાય છે. બે મહિના તો બાળકોને સ્વચ્છતા અને સ્વયંશિસ્ત શીખવામાં જ જાય છે. પણ લક્ષ્મીરામ માબાપોના અવિશ્વાસ અને શિક્ષકોની ઈર્ષા, મજાક અને ઉપેક્ષાનો ભોગ બને છે. પણ હાર્યા વિના બાળકોને વાર્તાઓ, ગીતો અને રમતો દ્વારા ભાષા, વ્યાકરણ, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત અને કલાઓ શીખવે છે. બાળકોને શિક્ષાની બીક વિના, કોઈ ભાર વિના હસતાંરમતાં શીખતા જાય છે અને તેમનામાં સમાનતા, સંપ, ખેલદિલી, ન્યાય, સહકાર જેવાં મૂલ્યો પણ વિકસતાં જાય છે.

લક્ષ્મીરામે રેન્કિંગ સિસ્ટમના બદલે જેને જે આવડતું તે બહાર કાઢવા પ્રોત્સાહન આપ્યું. તેમના વર્ગે કોઈ પૂર્વતૈયારી વિના મેળાવડામાં નાટકો કર્યાં. આ નાટકો જે વાર્તાઓ તેમને ગમતી તેનાં નાટ્યરૂપો હતાં અને તેઓ વર્ગમાં દર અઠવાડિયે વાર્તાઓ ‘ભજવતા’ તેનું પરિણામ હતાં. તેનાથી વિદ્યાર્થીઓની સ્મૃતિ, આત્મવિશ્વાસ, જાહેરમાં પોતાને વ્યકત કરવાની કળા, અભિનય અને ચાતુર્યનો વિકાસ થયો.

એક દિવસ તેમણે તેમના સર્વેક્ષક મિત્રને આમંત્રણ આપ્યું. સર્વેક્ષકે વિદ્યાર્થીઓને વર્ગનું માપ કેવી રીતે લેવાય અને કાગળ પર મકાનની યોજના કેવી રીતે બને તે બતાવ્યું. પછી મોજણીદારની ઓફિસમાં લઈ શેરીઓ, ગામો, જંગલ વિસ્તારો વગેરેનાં નકશા કેવી રીતે બને તે બતાવ્યું. એક દિવસ હાઈસ્કૂલમાંથી દૂરબીન લાવ્યા. છોકરાઓએ દૂરબીનથી બધું જોવામાં આખો દિવસ ગાળ્યો. ગ્રહો અને તારાઓ અવલોકન માટે એક રાત્રે એક ટેલિસ્કોપ પણ લાવ્યા.

વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતાં થયાં હતાં. એક નોટબુકમાં કોણે કયું પુસ્તક વાંચ્યું, કયાં પુસ્તકો વિદ્યાર્થીઓને વધુ ગમ્યાં અને કયાં નહીં તેની નોંધ રાખી હતી. વિદ્યાર્થીઓ એક હસ્તલિખિત સામયિક કાઢતા અને તેમાંની સામગ્રી પણ જાતે જ તૈયાર કરતા. તેઓ જે લખતા તેને ‘સુધારવા’ના પ્રયત્નો ન થતા.

પ્રયોગોની આખી ઘટમાળ બહુ રસપ્રદ છે. વાંચતા જઈએ તેમ પ્રતીતિ થતી આવે કે ત્યારની શાળાઓ ને શિક્ષણપદ્ધતિ અત્યારની શાળાઓ અને શિક્ષણપદ્ધતિ કરતાં ભલે જુદાં હોય, પણ બાળકનો આનંદ, બાળકની સર્જનાત્મકતાનો વિકાસ, શિક્ષણને સરખામણી-હરીફાઈથી મુક્ત મોજ પડે એવી પ્રક્રિયા બનાવવી, એ માટેની મોકળાશ સર્જવી અને શિક્ષકોની એ પ્રકારની માનસિકતા કેળવવી આ બધાની ખૂબ ઉપેક્ષા ત્યારે પણ થતી હતી, અત્યારે પણ થાય છે. કારણ કદાચ એ છે કે આવા પ્રયોગો માટે સિસ્ટમ અને શિક્ષક બન્નેમાં બાળકો પ્રત્યે નિરવધિ પ્રેમ, સર્જનાત્મક પ્રતિભા અને મહેનત કરવાની તૈયારી હોવાં જોઈએ – ક્યાંથી કાઢવાં ? 

વર્ષના અંતે વિદ્યાધિકારી ખુશ થઈને શાળામાં પુસ્તકાલય કરવા માટે રકમ આપે છે અને કહે છે, ‘લક્ષ્મીરામના વિદ્યાર્થીઓ ઘણું શીખ્યા છે. વ્યવસ્થિત, તંદુરસ્ત, ચપળ અને આનંદી છે. માબાપોને સંતોષ થયો છે. તેમનો પ્રયોગ સફળ રહ્યો છે. મારા વિચારોમાં પલટો આવ્યો છે. જૂની ઘરેડનો અંત હવે આવવો જોઈએ …’ આ શબ્દો સાથે 112 પાનાનું પુસ્તક પૂરું થાય છે અને વાચક અનોખી પ્રસન્નતા સાથે પોતાનાં ઘરમાં ઉછરતાં બાળકો પ્રત્યે એક નવી દૃષ્ટિ પામે છે.

‘દિવાસ્વપ્ન’ 1932માં લખાયું. તે જ વર્ષે તેનું હિંદી થયું. બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એ એમનું બાલશિક્ષક તરીકેનું મુખ્ય વિચારકેન્દ્ર છે. જ્ઞાનકોષોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસની પરિચિત સામગ્રીમાંથી સરળ વાર્તાઓ દ્વારા ગિજુભાઈ બાળકોને તેમના પરિસરમાં આવતી વસ્તુ, સ્થળ, ભાષા વગેરે સાથે સાહજિકતાથી સાંકળતા અને એમને આનંદ આપતાં આપતાં માનસઘડતરનું સુંદર કાર્ય કરતા. એ માટે તેમણે પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત કાકાસાહેબ જેવા પાસેથી ‘બાલસાહિત્યના બ્રહ્મા’ જેવી ઉપાધિ પણ મેળવી. આ પુસ્તક ઈ-બુક તરીકે અવેલેબલ છે.

બાલશિક્ષકો અને બાલહિતચિંતકોની પેઢીઓ તૈયાર કરવામાં ગિજુભાઈનું ચિરંજીવ પ્રદાન છે. તેમણે પોતાના જ્ઞાનદીપથી તારાબહેન મોડક, મોંઘીબહેન બધેકા, નર્મદાબહેન રાવળ, ચંદુભાઈ ભટ્ટ, રામનારાયણ નાગરદાસ પાઠક, નરેન્દ્ર બધેકા, વિમુબહેન બધેકા, શેષ નામલે, સોમાભાઈ ભાવસાર, વજુભાઈ દવે, મૂળજીભાઈ ભગત, ભોગીભાઈ પારેખ, સરલાદેવી સારાભાઈ, યશસ્વતીબહેન ભટ્ટ, વીરસૂત મહેતા, કાશીનાથ ત્રિવેદી જેવાં અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા.

બાળક પ્રત્યે સાચા પ્રેમનો એક દીવો આપણા અંતરમાં પણ પ્રગટાવીએ …

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 નવેમ્બર 2021 

Loading

અધર્મને ટકવા માટે ધર્મ સિવાય બીજું ઠેકાણું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 January 2022

ધર્મની આપણી સમજ બદલાતી આવે છે. પોતાના ધર્મ માટે દરેકને માન હોવું જ જોઈએ એની ના નથી, પણ એનો અર્થ એવો નથી કે બીજા ધર્મને અપમાનિત કરવાનું કોઈને પણ લાઇસન્સ મળી જાય છે. કોઈ પણ ધર્મ, અધર્મના પ્રચાર માટે નથી સ્થપાયો, પણ ધર્મ, આજે, અધર્મ વગર ફેલાતો ન હોય તેવું  પણ લાગે છે. આમ તો મનુષ્ય ધરતી પર આવ્યો ત્યારે તે ધર્મ લઈને અવતર્યો ન હતો. ધર્મ ન હતો, ત્યાં સુધી અધર્મ પણ ન હતો. સમાજ ન હતો, ત્યાં સુધી અસામાજિકતા પણ ન હતી. સમાજ આવ્યો તે સાથે અસામાજિકતા પણ આવી. એ જ રીતે ધર્મ આવ્યો તો તે અધર્મને પણ પકડતો આવ્યો. સંસ્કારનું નામ પડ્યું ન હતું, ત્યાં સુધી કુસંસ્કારને પણ કોઈ જાણતું ન હતું. આ બધું, વધુ સ્પષ્ટ થવા જતાં વધ્યું છે. ધર્મની વ્યાખ્યા જેમ જેમ વધુ સ્પષ્ટ થતી ગઈ તેમ તેમ અધર્મ પણ વધુને વધુ સ્પષ્ટ થતો આવ્યો. અમુક તમુક  થાય તો ધર્મ, એવું નક્કી થયું એટલે એ સિવાયનું બધું અધર્મના ખાનામાં જઈને પડ્યું. એક કાળે આપણે ધર્મ ભીરુ હતા. આજે પણ મોટે ભાગના ધાર્મિકો ભયને લીધે ધર્મને સ્વીકારે છે. અમુક નહીં કરો તો પાપ લાગશે, અમુક કરશો તો નર્ક મળશે – જેવું નાનપણથી જ ઠસાવી દેવાય છે એટલે કૈં પણ જાણ્યા મૂક્યા વગર લોકો ધર્મ કે વિધિવિધાનો પાળતાં રહે છે. એક વર્ગ એવો છે જે ડરાવી, ધમકાવીને ધર્મ પળાવે છે ને પોતે રોટલો ને ઓટલો મેળવી લે છે.

ધર્મ તેનાં મૂળ સ્વરૂપે બહુ મનાતો નથી. જો કે, હવે ધર્મને આપણી તરફેણમાં મચડતા આવડી ગયું છે. એટલે જે પળાય છે તે ધર્મ સગવડિયો વધુ છે. એમ પણ લાગે છે કે આજનો સમય ધર્મ તરફ નહીં, પણ ધર્માંધતા તરફ વિશેષ ગતિ કરે છે. અગાઉ ન હતી એટલી જરૂર અત્યારે મંદિરોની ઊભી કરવામાં આવી છે. એમાં પણ ભવ્યતાથી ઓછું કશું ખપતું નથી. આપણે ઈશ્વરને મંદિરથી વધુ વિરાટ ન રાખવા ઘણી મહેનત કરી રહ્યા છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે ઈશ્વર, મંદિર માટે છે, મંદિર, ઈશ્વર માટે નથી. એ એટલો નાનો નથી કે એટલામાં જ પુરાઈ રહે. ઈશ્વર એટલો ઓશિયાળો થઈને રહે એવું લાગે છે? ઈશ્વરને વિરાટ આપણે જ કર્યો છે ને તેને સમાવવા મંદિરો વધુને વધુ ભવ્ય ને વિરાટ કરતાં જઈએ છીએ. એમાં મંદિર તો સચવાય છે કદાચ, પણ ઈશ્વર કેટલો સચવાય છે એ વિચારવાનું રહે.

ઈશ્વરને નાદાન સમજવા જેટલા ચબરાક તો આપણે છીએ જ ! ઈશ્વર કે અલ્લાહ એટલો બહેરો નથી કે માઈકમાં તેને આરતી કે અજાન સંભળાવવી જ પડે, પણ આપણે ઈશ્વર કે અલ્લાહને સંભળાવવા નહીં, બીજાઓને ‘સંભળાવવા’ જ બધું કરતાં હોઈએ છીએ. એક વાત બહુ સ્પષ્ટ છે કે બધા જ ધર્મના ધાર્મિકો માઇક પર પોતપોતાની પ્રાર્થના એક જ સમયે શરૂ કરે તો લાગે છે કે કોઈને પણ કૈં સ્પષ્ટ સંભળાય? એ વિરાટ ઘોંઘાટ સિવાય બીજું કૈં ન હોય ને ધર્મ તો ન જ હોય. માઇક પરથી બાંગ પોકારાય તો હનુમાન ચાલીસા કેમ ન પોકારાય? એટલે સુરતમાં હનુમાનચાલીસા માઇક પરથી ગાવાનું શરૂ થયું, એમાં બાંગ તો બંધ ન થઈ, હનુમાનચાલીસા ઉમેરાઈ, એટલે અવાજ ઘટવાને બદલે વધ્યો. એવી જ રીતે ગુરુદ્વારામાંથી, અગિયારીમાંથી, દેશ-પરદેશમાં મોટા સ્પીકર પર, બધાં બધી પ્રાર્થનાઓ શરૂ કરે તો ધર્મ તો નહીં વધે, ઘોંઘાટ જરૂર વધશે. કોઈ ધર્મે હિંસાની તરફેણ નથી કરી, પણ ધર્મયુદ્ધો ઓછાં થયાં નથી ને ધર્મને નિમિત્તે જગતમાં શાંતિ હોય એવું પણ અનુભવાતું નથી. ધર્મ, માનવતાની વિરુદ્ધ હોય એ રીતે અત્યારે જગત વર્તી રહ્યું છે એવું નથી લાગતું?

માણસ બીજી કોઈ રીતે થાય એ કરતાં ધર્મને નામે ઝનૂની વધુ થાય છે. એમાં સિલકમાં હિંસા રહે છે ને ધર્મ ઉધારી ભોગવે છે. આજના જ સમાચાર છે. સુરતમાં જુમ્માની નમાજ પઢવા, ગયા શુક્રવારે 300 લોકો રસ્તો બ્લોક કરી બેઠા. એક બાજુ કોરોના પિક પર છે ને લોકો તેની ચિંતા કર્યા વગર ગમે ત્યાં ભીડ કરે જ છે, તેમાં 300 લોકો નમાજ પઢવા રસ્તો રોકે એ કોઈ રીતે આવકાર્ય નથી જ. ચાલુ નમાજે ત્યાં પોલીસ પહોંચી ને બધાં નમાજીઓ પોલીસને જોતાં ભાગ્યા. પોલીસ નજીકની મસ્જિદમાં તપાસ કરવા પહોંચી તો મસ્જિદના ટ્રસ્ટીઓએ કહ્યું કે મસ્જિદમાં ભીડ થઈ જતાં લોકોને બહાર થોભવા કહ્યું છે. હવે બહાર થોભવા કહ્યું કે નમાજ પઢવા તે તો ટ્રસ્ટીઓ જાણે, પણ લોકોએ બહાર નમાજ પઢવા રસ્તો બ્લોક કર્યો અને પોલીસ આવી તો નમાજ પઢવાનું બાજુએ મૂકીને લોકો ભાગ્યા. મતલબ કે પોલીસ આવી ન હતી ત્યાં સુધી નમાજને વાંધો આવ્યો ન હતો, પણ જેવી પોલીસ આવી કે નમાજ રહી ગઈ. જે વિસ્તારમાં મસ્જિદ છે ત્યાં નમાજીઓની સંખ્યા લગભગ નક્કી જ છે, કારણ જુમ્માની નમાજ દર જુમ્મે થતી હોય એમ જ ગયા શુક્રવારે પણ થવાની ગણતરી હોય. કોઈ એવો ખાસ પ્રસંગ પણ ન હતો કે બહારથી નમાજીઓ એકાએક વધી પડે. ટૂંકમાં, જુમ્માની નમાજ જેમ અગાઉ થતી હતી એમ જ ગયા શુક્રવારે પણ હતી ને આ અગાઉ રસ્તા પર નમાજ પઢવી પડે એટલી સંખ્યા થઈ ન હતી, તો આ વખતે એવું શું થયું કે લોકોને બહાર નમાજ પઢવાનો વારો આવ્યો? મસ્જિદમાં ભીડ કયાં કારણે હતી એનો ખુલાસો ટ્રસ્ટીઓએ નથી કર્યો, પણ ગયા શુક્રવારની નમાજ કુદરતી નથી લાગતી. જો સંખ્યા એકાએક વધી ન હોય તો નમાજ અગાઉની જેમ મસ્જિદમાં જ થઈ શકતી હતી, પણ તેમ ન થયું ને રસ્તો બ્લોક થઈ જાય એ હદે રસ્તે નમાજ પઢવાની ફરજ પડી. આ ગળે ઊતરે એમ નથી, કારણ અગાઉ એવું થયું નથી. વારુ, નમાજ એટલી જરૂરી પણ નથી લાગતી, નહિતર, પોલીસના આવવાથી નમાજમાં ભંગ પડવાને બદલે તે ચાલુ રાખી શકાઈ હોત !

આ એક જ ધર્મની વાત નથી. ધર્મને નામે ભીડ કરવાનું કે રસ્તા બ્લોક કરવાનું નવું નથી. વૈષ્ણોદેવીની ઘટના તાજી જ છે. એમાં નજીવી વાતે ચડસાચડસી થઈ અને થોડાક લોકોએ જીવ ગુમાવ્યા. ઉત્તરાયણ પર્વે નદી સ્નાનનો મહિમા કેટલાક ભક્તોને સમજાય છે અને વારાણસીની ગંગા પર ભીડ એકઠી થઈ જાય છે. આજે પોષની પૂનમ છે. આજથી મહા સ્નાન શરૂ થાય છે. તે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રયાગરાજમાં આ માસમાં ભક્તો પુણ્ય કમાવા નદીમાં ઊતરી પડતા હોય છે. આ માસમાં નદી સ્નાન માટે દેવતાઓ પણ આવતા હોય છે એવું સંતો, જ્યોતિષીઓ કહેતાં રહે છે. એને પરિણામે ભક્તો જાણીને કે અજાણતાં ભીડ કરે જ છે. આડે દિવસે ધર્મ સ્નાન કે ભીડનો બહુ વાંધો ના પડે પણ, કોરોનાની ત્રીજી લહેર, કહેર વર્તાવતી હોય ત્યારે એવી કોઈ પણ ભીડને ધર્મને નામે ચલાવી શકાય નહીં. ધર્મને સંતો, જ્યોતિષીઓ, વર્તમાનપત્રો, ચેનલો એટલું ચગાવે છે કે શ્રદ્ધાળુઓ ભીડ કર્યાં વગર રહે નહીં. એટલે કોઈ કોમ રસ્તે નમાજ પઢવા ભીડ કરે એમ જ કોઈ નદી પણ મેલી કરે, તો વાલને વખાણવાનો નહીં ને ચણાને ચાખવાનો નહીં એમ જ માનવું પડે. આમ પણ કુંભના મેળાથી કોને કેટલું પુણ્ય મળે છે તેની ખબર નથી, પણ કુંભથી લાભ કરતાં હાનિ વધારે જ પહોંચી છે તે કુંભના મેળાનો ઇતિહાસ તપાસવાથી સમજી શકાય એમ છે. રાજકીય મેળાવડાઓ, તહેવારો, લગ્ન વગેરે પ્રસંગોએ ભીડ સામાન્ય રીતે ન થાય તો આઘાત લાગે. એ સંજોગો સામાન્ય હોય તો કૈંકે ક્ષમ્ય, પણ કોરોના કાળમાં એ બધું બેફામ રીતે વકરે તો તે કેવળ ને કેવળ અક્ષમ્ય છે. દીક્ષા કે ઉપનયન સંસ્કાર નિમિત્તે પણ આખે રસ્તે હાથી, ઘોડા અને બગીઓમાં જે રીતે ભીડ ખડકાય છે ને એને માટે જુદો બંદોબસ્ત કરવો પડે છે કે રસ્તાઓ પર ટ્રાફિક રોકવો પડે છે ને એમાં એમ્બ્યુલન્સ પણ ફસાય ત્યારે એવાં ઉજવણાં કોઈ પણ રીતે આવકાર્ય નથી જ, તેમાં ય કોઈ મહામારી ચાલતી હોય ત્યારે તો તે અમાનવીય અને સૂક્ષ્મ રીતે હિંસક પણ છે જ ! ધર્મ દેખાડાનું કે કોઈને બતાવી આપવાનું નિમિત્ત કદી ન બને, પણ અત્યારનો ટ્રેન્ડ દેખાડાની દિશાનો વધુ જણાય છે. ધર્મ આમ તો અંગત બાબત છે. તે કોઈ માને એમ જ કોઈ ન માને એમ બને. કોઈ અમુક ધર્મને માને તો કોઈ બીજા ધર્મને માને એમ પણ બનવાનું, એનો અર્થ એવો નથી જ કે અમુક ધર્મ મહાન ને બીજો નબળો. જે ધર્મ પોતે જ પોતાને શ્રેષ્ઠ માને ને બીજા ધર્મને નબળો ગણે, તે શ્રેષ્ઠ હોવા વિષે શંકા જ રહેવાની. પોતાના ધર્મ વિષે ભલે કોઈને અભિમાન હોય, પણ તેથી બીજા ધર્મને કારણ વગર અપમાનિત કરવાનું કારણ તો તે ન જ બની શકે. જે ધર્મ બીજાને અપમાનિત કરવા જ અસ્તિત્વમાં છે તે ધર્મ નથી, અધર્મ જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જાન્યુઆરી 2022

Loading

...102030...1,7451,7461,7471,748...1,7601,7701,780...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved