ધર્મની આપણી સમજ બદલાતી આવે છે. પોતાના ધર્મ માટે દરેકને માન હોવું જ જોઈએ એની ના નથી, પણ એનો અર્થ એવો નથી કે બીજા ધર્મને અપમાનિત કરવાનું કોઈને પણ લાઇસન્સ મળી જાય છે. કોઈ પણ ધર્મ, અધર્મના પ્રચાર માટે નથી સ્થપાયો, પણ ધર્મ, આજે, અધર્મ વગર ફેલાતો ન હોય તેવું પણ લાગે છે. આમ તો મનુષ્ય ધરતી પર આવ્યો ત્યારે તે ધર્મ લઈને અવતર્યો ન હતો. ધર્મ ન હતો, ત્યાં સુધી અધર્મ પણ ન હતો. સમાજ ન હતો, ત્યાં સુધી અસામાજિકતા પણ ન હતી. સમાજ આવ્યો તે સાથે અસામાજિકતા પણ આવી. એ જ રીતે ધર્મ આવ્યો તો તે અધર્મને પણ પકડતો આવ્યો. સંસ્કારનું નામ પડ્યું ન હતું, ત્યાં સુધી કુસંસ્કારને પણ કોઈ જાણતું ન હતું. આ બધું, વધુ સ્પષ્ટ થવા જતાં વધ્યું છે. ધર્મની વ્યાખ્યા જેમ જેમ વધુ સ્પષ્ટ થતી ગઈ તેમ તેમ અધર્મ પણ વધુને વધુ સ્પષ્ટ થતો આવ્યો. અમુક તમુક થાય તો ધર્મ, એવું નક્કી થયું એટલે એ સિવાયનું બધું અધર્મના ખાનામાં જઈને પડ્યું. એક કાળે આપણે ધર્મ ભીરુ હતા. આજે પણ મોટે ભાગના ધાર્મિકો ભયને લીધે ધર્મને સ્વીકારે છે. અમુક નહીં કરો તો પાપ લાગશે, અમુક કરશો તો નર્ક મળશે – જેવું નાનપણથી જ ઠસાવી દેવાય છે એટલે કૈં પણ જાણ્યા મૂક્યા વગર લોકો ધર્મ કે વિધિવિધાનો પાળતાં રહે છે. એક વર્ગ એવો છે જે ડરાવી, ધમકાવીને ધર્મ પળાવે છે ને પોતે રોટલો ને ઓટલો મેળવી લે છે.
ધર્મ તેનાં મૂળ સ્વરૂપે બહુ મનાતો નથી. જો કે, હવે ધર્મને આપણી તરફેણમાં મચડતા આવડી ગયું છે. એટલે જે પળાય છે તે ધર્મ સગવડિયો વધુ છે. એમ પણ લાગે છે કે આજનો સમય ધર્મ તરફ નહીં, પણ ધર્માંધતા તરફ વિશેષ ગતિ કરે છે. અગાઉ ન હતી એટલી જરૂર અત્યારે મંદિરોની ઊભી કરવામાં આવી છે. એમાં પણ ભવ્યતાથી ઓછું કશું ખપતું નથી. આપણે ઈશ્વરને મંદિરથી વધુ વિરાટ ન રાખવા ઘણી મહેનત કરી રહ્યા છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે ઈશ્વર, મંદિર માટે છે, મંદિર, ઈશ્વર માટે નથી. એ એટલો નાનો નથી કે એટલામાં જ પુરાઈ રહે. ઈશ્વર એટલો ઓશિયાળો થઈને રહે એવું લાગે છે? ઈશ્વરને વિરાટ આપણે જ કર્યો છે ને તેને સમાવવા મંદિરો વધુને વધુ ભવ્ય ને વિરાટ કરતાં જઈએ છીએ. એમાં મંદિર તો સચવાય છે કદાચ, પણ ઈશ્વર કેટલો સચવાય છે એ વિચારવાનું રહે.
ઈશ્વરને નાદાન સમજવા જેટલા ચબરાક તો આપણે છીએ જ ! ઈશ્વર કે અલ્લાહ એટલો બહેરો નથી કે માઈકમાં તેને આરતી કે અજાન સંભળાવવી જ પડે, પણ આપણે ઈશ્વર કે અલ્લાહને સંભળાવવા નહીં, બીજાઓને ‘સંભળાવવા’ જ બધું કરતાં હોઈએ છીએ. એક વાત બહુ સ્પષ્ટ છે કે બધા જ ધર્મના ધાર્મિકો માઇક પર પોતપોતાની પ્રાર્થના એક જ સમયે શરૂ કરે તો લાગે છે કે કોઈને પણ કૈં સ્પષ્ટ સંભળાય? એ વિરાટ ઘોંઘાટ સિવાય બીજું કૈં ન હોય ને ધર્મ તો ન જ હોય. માઇક પરથી બાંગ પોકારાય તો હનુમાન ચાલીસા કેમ ન પોકારાય? એટલે સુરતમાં હનુમાનચાલીસા માઇક પરથી ગાવાનું શરૂ થયું, એમાં બાંગ તો બંધ ન થઈ, હનુમાનચાલીસા ઉમેરાઈ, એટલે અવાજ ઘટવાને બદલે વધ્યો. એવી જ રીતે ગુરુદ્વારામાંથી, અગિયારીમાંથી, દેશ-પરદેશમાં મોટા સ્પીકર પર, બધાં બધી પ્રાર્થનાઓ શરૂ કરે તો ધર્મ તો નહીં વધે, ઘોંઘાટ જરૂર વધશે. કોઈ ધર્મે હિંસાની તરફેણ નથી કરી, પણ ધર્મયુદ્ધો ઓછાં થયાં નથી ને ધર્મને નિમિત્તે જગતમાં શાંતિ હોય એવું પણ અનુભવાતું નથી. ધર્મ, માનવતાની વિરુદ્ધ હોય એ રીતે અત્યારે જગત વર્તી રહ્યું છે એવું નથી લાગતું?
માણસ બીજી કોઈ રીતે થાય એ કરતાં ધર્મને નામે ઝનૂની વધુ થાય છે. એમાં સિલકમાં હિંસા રહે છે ને ધર્મ ઉધારી ભોગવે છે. આજના જ સમાચાર છે. સુરતમાં જુમ્માની નમાજ પઢવા, ગયા શુક્રવારે 300 લોકો રસ્તો બ્લોક કરી બેઠા. એક બાજુ કોરોના પિક પર છે ને લોકો તેની ચિંતા કર્યા વગર ગમે ત્યાં ભીડ કરે જ છે, તેમાં 300 લોકો નમાજ પઢવા રસ્તો રોકે એ કોઈ રીતે આવકાર્ય નથી જ. ચાલુ નમાજે ત્યાં પોલીસ પહોંચી ને બધાં નમાજીઓ પોલીસને જોતાં ભાગ્યા. પોલીસ નજીકની મસ્જિદમાં તપાસ કરવા પહોંચી તો મસ્જિદના ટ્રસ્ટીઓએ કહ્યું કે મસ્જિદમાં ભીડ થઈ જતાં લોકોને બહાર થોભવા કહ્યું છે. હવે બહાર થોભવા કહ્યું કે નમાજ પઢવા તે તો ટ્રસ્ટીઓ જાણે, પણ લોકોએ બહાર નમાજ પઢવા રસ્તો બ્લોક કર્યો અને પોલીસ આવી તો નમાજ પઢવાનું બાજુએ મૂકીને લોકો ભાગ્યા. મતલબ કે પોલીસ આવી ન હતી ત્યાં સુધી નમાજને વાંધો આવ્યો ન હતો, પણ જેવી પોલીસ આવી કે નમાજ રહી ગઈ. જે વિસ્તારમાં મસ્જિદ છે ત્યાં નમાજીઓની સંખ્યા લગભગ નક્કી જ છે, કારણ જુમ્માની નમાજ દર જુમ્મે થતી હોય એમ જ ગયા શુક્રવારે પણ થવાની ગણતરી હોય. કોઈ એવો ખાસ પ્રસંગ પણ ન હતો કે બહારથી નમાજીઓ એકાએક વધી પડે. ટૂંકમાં, જુમ્માની નમાજ જેમ અગાઉ થતી હતી એમ જ ગયા શુક્રવારે પણ હતી ને આ અગાઉ રસ્તા પર નમાજ પઢવી પડે એટલી સંખ્યા થઈ ન હતી, તો આ વખતે એવું શું થયું કે લોકોને બહાર નમાજ પઢવાનો વારો આવ્યો? મસ્જિદમાં ભીડ કયાં કારણે હતી એનો ખુલાસો ટ્રસ્ટીઓએ નથી કર્યો, પણ ગયા શુક્રવારની નમાજ કુદરતી નથી લાગતી. જો સંખ્યા એકાએક વધી ન હોય તો નમાજ અગાઉની જેમ મસ્જિદમાં જ થઈ શકતી હતી, પણ તેમ ન થયું ને રસ્તો બ્લોક થઈ જાય એ હદે રસ્તે નમાજ પઢવાની ફરજ પડી. આ ગળે ઊતરે એમ નથી, કારણ અગાઉ એવું થયું નથી. વારુ, નમાજ એટલી જરૂરી પણ નથી લાગતી, નહિતર, પોલીસના આવવાથી નમાજમાં ભંગ પડવાને બદલે તે ચાલુ રાખી શકાઈ હોત !
આ એક જ ધર્મની વાત નથી. ધર્મને નામે ભીડ કરવાનું કે રસ્તા બ્લોક કરવાનું નવું નથી. વૈષ્ણોદેવીની ઘટના તાજી જ છે. એમાં નજીવી વાતે ચડસાચડસી થઈ અને થોડાક લોકોએ જીવ ગુમાવ્યા. ઉત્તરાયણ પર્વે નદી સ્નાનનો મહિમા કેટલાક ભક્તોને સમજાય છે અને વારાણસીની ગંગા પર ભીડ એકઠી થઈ જાય છે. આજે પોષની પૂનમ છે. આજથી મહા સ્નાન શરૂ થાય છે. તે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રયાગરાજમાં આ માસમાં ભક્તો પુણ્ય કમાવા નદીમાં ઊતરી પડતા હોય છે. આ માસમાં નદી સ્નાન માટે દેવતાઓ પણ આવતા હોય છે એવું સંતો, જ્યોતિષીઓ કહેતાં રહે છે. એને પરિણામે ભક્તો જાણીને કે અજાણતાં ભીડ કરે જ છે. આડે દિવસે ધર્મ સ્નાન કે ભીડનો બહુ વાંધો ના પડે પણ, કોરોનાની ત્રીજી લહેર, કહેર વર્તાવતી હોય ત્યારે એવી કોઈ પણ ભીડને ધર્મને નામે ચલાવી શકાય નહીં. ધર્મને સંતો, જ્યોતિષીઓ, વર્તમાનપત્રો, ચેનલો એટલું ચગાવે છે કે શ્રદ્ધાળુઓ ભીડ કર્યાં વગર રહે નહીં. એટલે કોઈ કોમ રસ્તે નમાજ પઢવા ભીડ કરે એમ જ કોઈ નદી પણ મેલી કરે, તો વાલને વખાણવાનો નહીં ને ચણાને ચાખવાનો નહીં એમ જ માનવું પડે. આમ પણ કુંભના મેળાથી કોને કેટલું પુણ્ય મળે છે તેની ખબર નથી, પણ કુંભથી લાભ કરતાં હાનિ વધારે જ પહોંચી છે તે કુંભના મેળાનો ઇતિહાસ તપાસવાથી સમજી શકાય એમ છે. રાજકીય મેળાવડાઓ, તહેવારો, લગ્ન વગેરે પ્રસંગોએ ભીડ સામાન્ય રીતે ન થાય તો આઘાત લાગે. એ સંજોગો સામાન્ય હોય તો કૈંકે ક્ષમ્ય, પણ કોરોના કાળમાં એ બધું બેફામ રીતે વકરે તો તે કેવળ ને કેવળ અક્ષમ્ય છે. દીક્ષા કે ઉપનયન સંસ્કાર નિમિત્તે પણ આખે રસ્તે હાથી, ઘોડા અને બગીઓમાં જે રીતે ભીડ ખડકાય છે ને એને માટે જુદો બંદોબસ્ત કરવો પડે છે કે રસ્તાઓ પર ટ્રાફિક રોકવો પડે છે ને એમાં એમ્બ્યુલન્સ પણ ફસાય ત્યારે એવાં ઉજવણાં કોઈ પણ રીતે આવકાર્ય નથી જ, તેમાં ય કોઈ મહામારી ચાલતી હોય ત્યારે તો તે અમાનવીય અને સૂક્ષ્મ રીતે હિંસક પણ છે જ ! ધર્મ દેખાડાનું કે કોઈને બતાવી આપવાનું નિમિત્ત કદી ન બને, પણ અત્યારનો ટ્રેન્ડ દેખાડાની દિશાનો વધુ જણાય છે. ધર્મ આમ તો અંગત બાબત છે. તે કોઈ માને એમ જ કોઈ ન માને એમ બને. કોઈ અમુક ધર્મને માને તો કોઈ બીજા ધર્મને માને એમ પણ બનવાનું, એનો અર્થ એવો નથી જ કે અમુક ધર્મ મહાન ને બીજો નબળો. જે ધર્મ પોતે જ પોતાને શ્રેષ્ઠ માને ને બીજા ધર્મને નબળો ગણે, તે શ્રેષ્ઠ હોવા વિષે શંકા જ રહેવાની. પોતાના ધર્મ વિષે ભલે કોઈને અભિમાન હોય, પણ તેથી બીજા ધર્મને કારણ વગર અપમાનિત કરવાનું કારણ તો તે ન જ બની શકે. જે ધર્મ બીજાને અપમાનિત કરવા જ અસ્તિત્વમાં છે તે ધર્મ નથી, અધર્મ જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જાન્યુઆરી 2022