Opinion Magazine
Number of visits: 9962799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. કિરણ ન. શીંગ્લોતનું પુસ્તક ‘કૅન્સરની જીવનગાથા’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 February 2022

વિશ્વ કૅન્સર દિવસ

અમેરિકાના કૅન્સર નિષ્ણાત સિદ્ધાર્થ મુખર્જીના  'The Emperor of All Melodies : A Biography of Cancer' પુસ્તકનો 'કૅન્સરની જીવનગાથા' નામે વાચનીય અનુવાદ કરીને વડોદરાના કર્મશીલ તબીબ ડૉ. કિરણ ન. શીંગ્લોત આપણા સમયનું એક  વિશ્વવિખ્યાત પુસ્તક ગુજરાતીમાં લાવ્યા છે. તે વડોદરાના યજ્ઞ પ્રકાશને  કોરોનાકાળમાં એટલે કે જૂન 2020માં બહાર પાડ્યું છે.

આ પુસ્તકમાં ઇસવીસન પૂર્વેના સમયથી લઈને અત્યાર સુધીમાં થતી રહેલી વિવિધ પ્રકારના કૅન્સર રોગની શોધ, તેની પરનાં સંશોધનો અને આ અકળ વ્યાધિની સારવારનો માહિતીથી ખીચોખીચ ભરેલો આલેખ આપ્યો છે.

પુસ્તકને અંતે મૂકવામાં આવેલી લાંબી મુલાકાતમાં ડૉ.મુખર્જી કહે છે :

‘એમાં [પુસ્તકમાં] મેં માનવજાતિ કૅન્સરને સંભવત: જાણતી થઈ ત્યારથી શરૂ કરીને તે છેક અદ્યતન સમય સુધીનો તેનો સમગ્ર ઇતિહાસ તેમ જ તેના વિકાસ અને માનવીની તેની સામેની લડાઈની વાત માંડી છે … આ પુસ્તક સામાન્ય જનતા માટે છે … પુસ્તકનું આલેખન કરતી વેળાએ મેં એવો નિયમ બનાવેલો કે કૅન્સર જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સામાન્ય માનવીના જીવનને સ્પર્શે તેવો એક પણ મુદ્દો બાકી ન રહેવો જોઈએ.'

(તસવીર : અનુવાદક અને પુસ્તકનું મુખપૃષ્ઠ)

પોણા ચારસો પાનાંના પુસ્તકના સાત ખંડોમાં લેખકે આવરી લીધેલી બાબતોમાંથી કેટલીક આ મુજબ છે : ઇતિહાસમાં કૅન્સરના ઉલ્લેખો, કૅન્સરની અણુવૈજ્ઞાનિક (મોલિક્યુલર) ભૂમિકા અને તેનું જનીનવિજ્ઞાન, કૅન્સરનું રોગકારણ સમજવામાં અને તેની ચોક્કસ સારવાર શોધવામાં અનેક દેશોના તબીબો / વિજ્ઞાનીઓએ કરેલા પ્રચંડ પરિશ્રમ, કૅન્સરના નિદાન માટે વખતોવખત શોધવામાં આવેલી પદ્ધતિઓ, કૅન્સર નિવારણ માટેની કામગીરી, નિવારણ અને સારવારનું રાજકારણ.

તદુપરાંત, અમેરિકામાં સિગરેટના દૂષણને નાથવા માટે વિજ્ઞાનીઓ અને જાગૃત નાગરિકોએ સિગરેટ બનાવનાર કંપનીઓ અને તેમને સાથ આપનાર રાજકારણીઓની સામે માંડેલી લડત પુસ્તકનો નોંધપાત્ર હિસ્સો છે.

કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, વિશ્વયુદ્ધો, માધ્યમો, કલાકારો, ધનપતિઓ, યુરોપના દેશોમાં ચિમનીઓ સાફ કરનારા બાળકો, એઇડસનો વ્યાધિ જેવી નાનાવિધ બાબતો સાથે ગૂંથાયેલા કૅન્સરના તાણાવાણા વિશે વાંચતા અચંબો થાય છે. ત્રીસેક વૈજ્ઞાનિકોના પ્રદાનની લેખકે અહીં સંદર્ભોચિત, સપ્રમાણ, ગૌરવપૂર્ણ નોંધ લીધી છે.

ક્લિનિકલ ટ્રાયલ્સના કિસ્સા તેમ જ સંખ્યાબંધ દરદીઓના વીતકોનું લાગણી અને કૃતજ્ઞતાથી કરેલું બયાન આ પુસ્તકનો હૃદયસ્પર્શી હિસ્સો છે. ડૉક્ટરોની પોતાની વ્યથાના અનેક ઉલ્લેખો મળે છે. પુસ્તકમાં કેટલીક જગ્યાએ પ્રથમ વ્યક્તિ એકવચની કથન (first person narration) છે. ‘સામાન્ય શરીરની વિકૃત આવૃત્તિ’ નામના પાંચમા ખંડના પહેલા પ્રકરણ ‘એક કારણ’માં દરદીઓની વચ્ચે રહીને સંશોધન કરનાર લેખકની ખુદની મનોવેદના વાંચવા મળે છે. ડૉ. મુખર્જી 2003માં 33વર્ષની વયે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કૅન્સર મેડિસિનની અદ્યતન તાલીમ માટે દાખલ થયા હતા. અનુવાદક નોંધે છે : ‘ઊગતી કારર્કિર્દીના આ વર્ષો દરમિયાન એમનાં મનમાં જે મંથન થયું તેમાંથી આ પુસ્તકનો જન્મ થયો.’ તેને પુલિત્ઝર પુરસ્કાર સહિત દસ જેટલાં આંતરરાષ્ટ્રીય ઇનામો પણ મળ્યાં.

સારવારના સતત અખતરામાંથી ઊભી થતી દરદીની રિબામણીના ભોગે થતું અને છતાં ય એકંદર માનવજાતિ માટે જરૂરી સંશોધન વાચકને એક અસ્વસ્થ મનોસ્થિતિમાં મૂકે છે. જો કે લેખક હતાશ નથી. 'વિજ્ઞાને હવે ઘણાં કૅન્સર પર વિજય મેળવ્યો છે' એમ લખીને તે 1990થી 2005ના ગાળાનો  અમેરિકાનો દાખલો આપીને નોંધે છે : ‘ફેંફસાં, સ્તન, મોટું આંતરડું, પ્રોસ્ટેટ એ દરેક મુખ્ય કૅન્સરને કારણે થતાં ધીમી પણ મક્કમ ગતિથી સતત ઓછો થઈ રહ્યો હોવાનાં એંધાણ વર્તાય છે.'  મુલાકાતમાં તે કહે છે : '…સંપૂર્ણ અશાવાદી પણ નહીં અને છેક નિરાશાવાદી પણ નહીં એવો મધ્યમ માર્ગ સ્વીકારીને આ પુસ્તક લખાયું છે. કૅન્સર સંશોધનના ક્ષેત્રમાં ચિત્ર એક લોલકની જેમ સતત બદલાતું રહ્યું છે.'

કૅન્સર વિશે ગુજરાતીમાં આવેલાં દસેક પુસ્તકો, જાણકાર ગ્રંથપાલ તોરલબહેન પટેલ મિનિટોમાં હાજર કરે છે. સન્નિષ્ઠતાથી લખાયેલાં આ નાનાં-મોટાં પુસ્તકો માહિતી, ઉપચાર અને સ્વકથન પ્રકારના છે. યજ્ઞ પ્રકાશન, માનવીય ટેક્નોલોજી ફોરમ અને અન્ય નિસબત ધરાવતાં જૂથો દ્વારા કૅન્સર જાગૃતિ અંગે સેમિનાર, જાગૃતિ અભિયાન અને પ્રકાશન જેવાં કામ બિનધંધાદારી રીતે સમાજકાર્ય તરીકે હાથ ધરાતાં રહ્યાં છે, જેની મહિતી રજનીભાઈ દવેએ લખેલા આ અનુવાદના ‘પ્રકાશકીય’માં મળે છે.

ડૉ. શીંગ્લોતના સારાનુવાદની ખાસિયત એ છે કે તે વાંચતી વખતે એકંદરે ગુજરાતી મૌલિક પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે છે. મૂળ અંગ્રેજી લખાણને કોઈ કરામતો વિના આપણી ભાષાના સામાન્ય  વાચક માટે રસપ્રદ બનાવવાની સિદ્ધિ અનુવાદકે હાંસલ કરી છે. ચોટદાર નામથી શરૂ થતું પ્રકરણ સરળ રીતે અંત સુધી પહોંચે છે.

અલબત્ત,આ પુસ્તક કથારસનું પુસ્તક નથી. તેમાં ઘણી બધી ટેકનિકલ વિગતો છે તે કોઈ વાચકને છોડી દેવા જેવી લાગે, કેટલીક દુર્બોધ લાગે, કેટલીક જગ્યાએ કંટાળો આવે એમ પણ બને. છતાં પુસ્તક કૅન્સરની જટીલતા ઉપરાંત તેની સામેની માનવસંસ્કૃતિની, civilizationની લડતનો અત્યંત પ્રભાવક ખ્યાલ આપે છે. આપણા સમાજની વધતી અવૈજ્ઞાનિકતાના સમયમાં વિજ્ઞાનમાંનો આપણો વિશ્વાસ દૃઢ બને છે.

પુસ્તકની મહત્તામાં ડૉ. સિદ્ધાર્થ મુખર્જીના જ્ઞાનખચિત લેખન સાથે અનુવાદક ડૉ. કિરણ શીંગ્લોતની મહેનત પણ બિલકુલ સ્પષ્ટ થાય છે. આ ડૉક્ટર ખાનગી પ્રૅક્ટિસ કરતા નથી અને પદ-પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ-પૈસાના ચક્રોથી દૂર રહે છે. વૈદકવિદ્યા વ્યાસંગી  કિરણભાઈએ ભ્રમણપૂર્ણ વ્યસ્તતા સાથેના તબીબી સેવાકાર્ય વચ્ચે મૌલિક લખાણ અને અનુવાદનાં થઈને વીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. 'જ્યાં ડૉક્ટર ન હોય' એ માર્ગદર્શક ગ્રંથની જેમ 'કૅન્સરની જીવનગાથા' પુસ્તક માટે વાચકો ડૉ. શીંગ્લોતના ઋણી છે.

પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન :

ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર, અમદાવાદ. ફોન 079-400016269 

‘ભૂમિપુત્ર’ કાર્યાલય, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા.  0265-2437957

04 ફેબ્રુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વિચારી જુઓ, નાગરિક રાષ્ટૃ હોવું જોઈએ કે હિન્દુ રાષ્ટૃ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 February 2022

પાકિસ્તાની પદાર્થવિજ્ઞાની અને સમાજચિંતક પરવેઝ હૂડભોય આપણે ત્યાં થોડુંઘણું વાંચી-સમજી શકનારાઓમાં લાડલા છે. પરવેઝ હૂડભોય કરાંચીથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અખબારમાં કોલમ લખે છે જેમાં તેઓ પાકિસ્તાનના શાસકો અને મુલ્લાઓની આકરી ટીકા કરતા રહે છે. ટીકાનો તેમનો કેન્દ્રવર્તી મુદ્દો એ હોય છે ખોટો ઇતિહાસ શીખવવાથી, ખોટાં કલ્પનો (મીથ) પેદા કરવાથી, વાસ્તવિકતાઓથી નજર ફેરવી લેવાથી, ધર્મના આધારે લોકો વચ્ચે ભેદભાવ કરવાથી કોઈ ફાયદો થતો નથી એનો મૂર્તિમંત દાખલો પાકિસ્તાન છે. પાકિસ્તાનનો ૭૫ વરસનો ઇતિહાસ જો કોઈ એક વાત કહેતો હોય તો એ આ છે અને એમ તેઓ લગભગ પચીસ વરસથી કહે છે. પરવેઝ હૂડભોયના લેખો કેટલાક ભારતીય અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે અને હિન્દુત્વવાદીઓ તેમના ઉપર ફિદા છે.

પરવેઝ હૂડભોયે તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં લખ્યું હતું કે પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે પાકિસ્તાનના પ્રાંતોમાં જન્મેલા એવા કેટલા બધા હિંદુઓ, પારસીઓ, ઈસાઈઓ, અહમદદિયા મુસલમાનો, સેક્યુલર મુસલમાનો, અન્ય ધર્મીઓ અને નાસ્તિકો હતા જેમણે જે તે ક્ષેત્રમાં નામના મેળવી હતી અથવા આગળ જતાં મોટા થઈને નામના મેળવી હતી. જો ધર્મને વચ્ચે લાવ્યા વગર અને ઇસ્લામ અંગેની ચોક્કસ ધાર્મિક માન્યતાઓને વચ્ચે લાવ્યા વગર એ બધા લોકોને પાકિસ્તાને પોતાનાં માન્ય હોત તો તેઓ પાકિસ્તાનને કેટલું બધું આપી શક્યા હોત! પણ બન્યું એવું કે પાકિસ્તાનના શાસકોએ, મુસ્લિમ કોમવાદીઓએ અને મૂળભૂતવાદી ઝનૂની મુસ્લિમોએ તેમને સતાવ્યા જેને પરિણામે એ લોકોએ નાછૂટકે પાકિસ્તાનમાંથી ઊચાળા ભર્યા અને તેઓ બહાર જઈને ઝળક્યા. વધારે નુકસાન કોને થયું? પાકિસ્તાનને કે એ લોકોને? એ લોકો તો વધુમાં વધુ ન્યાય નહીં મળ્યો હોવાની અને વતન છોડવાની પીડા ધરાવે છે, પણ પાકિસ્તાન તો પ્રગતિથી વંચિત રહેવાની વાસ્તવિકતાની પીડા ધરાવે છે. નોબેલ પારિતોષિકથી વિભૂષિત અબ્દુસ સલામ આનું ઉદાહરણ છે. તેઓ અહમદિયા મુસલમાન હતા એટલે સતાવવામાં આવ્યા અને તેઓ બહાર જઇને ઝળક્યા. તેમના યોગદાનથી પાકિસ્તાન વંચિત રહ્યું છે. પરવેઝ હૂડભોયે બીજા એક નોબેલ પારિતોષિક વિજેતા હિંદુ વિજ્ઞાની હરગોવિંદ ખુરાનાનો દાખલો ટાંક્યો છે. તેઓ લાહોરના હતા અને લાહોરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જો પાકિસ્તાને હિંદુઓને પોતાનાં ગણ્યાં હોત તો ખુરાના પાકિસ્તાનમાં રહ્યા પણ હોત! આવા તો બીજા અનેક લોકો છે.

પાકિસ્તાન અને મુસલમાનો વિષે આવું બધું વાંચવું-સાંભળવું હિન્દુત્વવાદીઓને ગમે છે, પણ એ જ વાત ભારતના સંદર્ભમાં અત્યારે આ લખનાર જેવા સેક્યુલર હિંદુ કે બીજો કોઈ વિધર્મી કે જગતના પ્રવાહો ઉપર નજર રાખનારા નિરીક્ષકો કહે તો હિન્દુત્વવાદીઓને મરચાં લાગે છે. પરવેઝ હૂડભોયનો લેખ પ્રકાશિત થયો એનાં બીજા અઠવાડિયે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ તેમની આત્મકથાના પ્રકાશન નિમિત્તે કહ્યું હતું કે અત્યાર સુધી ભારત નાગરિક રાષ્ટ્ર હતું એટલે તેણે પ્રગતિ કરી છે, પણ હવે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે જેમાં માણસની ગણના અને તેના કૌવતનું આકલન ધર્મના ત્રાજવે કરવામાં આવે છે. આ કોઈ પણ રાષ્ટ્ર માટે પતનનો માર્ગ છે. હમીદ અન્સારીએ કહ્યું હતું કે તેમણે દેશની વિદેશસેવામાં પોતાની જે કોઈ સજ્જતા હતી તેના આધારે યોગદાન આપ્યું હતું, તેને મુસ્લિમ હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. હોવો પણ ન જોઈએ.

અહીં નાગરિક રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર વચ્ચે શું ફરક છે એ સંક્ષેપમાં ભક્તોને સમજાવી દઉં. નાગરિક રાષ્ટ્ર એ છે જેમાં નાગરિક રાષ્ટ્રનું મૂળભૂત એકમ છે અથવા પાયાનો પથ્થર છે. રાષ્ટ્રની આખી ઈમારત નાગરિકના ખભે ઊભી હોય છે. હિંદુ રાષ્ટ્ર, ઇસ્લામિક રાષ્ટ્ર કે એવા બીજા કોઈ પણ રાષ્ટ્રના પાયામાં બહુમતી ધરાવતા જે તે પ્રજાસમૂહો હોય છે. નાગરિક રાષ્ટ્રમાં દેશના નાગરિક, નાગરિક તરીકે એક સરખો દરજ્જો ધરાવે છે જ્યારે બહુમતી પ્રજા આધારિત રાષ્ટ્રમાં (ભારતમાં હિંદુ રાષ્ટ્ર) બહુમતી વિશેષ દરજ્જો ધરાવે છે અને બીજી પ્રજા સાથે ઓરમાયો વહેવાર કરવામાં આવે છે. શરૂઆત વહાલાં-દવલાંનાં વહેવારથી કરવામાં આવે છે અને એવા વહેવારને જો બહુમતી પ્રજા અપનાવે, રાજકીય માન્યતા આપે, ચૂંટણીમાં વહાલાં-દવલાંનો વહેવાર કરનારાઓને જીતાડે તો પછી બંધારણમાં સુધારા કરીને નાગરિક રાષ્ટ્રને બહુમતી રાષ્ટ્રમાં ફેરવવામાં આવે છે. વિધિવત્ ભારતમાં પાકિસ્તાન આકાર પામે.

હવે જો બહુમતી પ્રજા માથાભારે થઈને ફરે, લઘુમતીને સતાવે, તેની સાથે ઓરમાયો વહેવાર રાખે, તેમને તકથી વંચિત રાખે તો પરિણામ શું આવે? એ પ્રજા રાષ્ટ્રજીવનમાંથી અળગી થઈ જાય અને અન્યત્ર પોતાની જગ્યા બનાવે. શક્તિશાળી બીજ ક્યાંક તો ફૂટવાનું જ, પણ તમારી ધરતી તેનાથી વંચિત રહી જાય. અને યાદ રહે, શક્તિને ધર્મ સાથે લેવાદેવા નથી. જો ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ તેજસ્વી માણસો મુસ્લિમ ઘરમાં પેદા થવા જોઈતા હતા. જો હિંદુ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ જ્યોતિર્ધરો હિંદુ હોવા જોઈતા હતા. પણ એવું નથી. ઊલટું માણસ જેટલો અસ્મિતામુક્ત એટલો વધારે તેજસ્વી હોવાનો અથવા એમ કહો કે જેને આભમાં પ્રકાશવું હોય તેણે અસ્મિતાઓનાં દીવડાઓથી મુક્ત થવું પડશે. આનું પરિણામ એ આવે છે કે જેઓ આભ આંબવાના મનોરથ સેવે છે અને કૌવત ધરાવે છે એવા લોકો ધર્મ જેવા અસ્મિતાઓના સંકુચિત રંગમંચ ઉપર ગુંગળામણ અનુભવે છે. ગુંગળામણ અનુભવતા લોકો ગુંગળામણને વાચા આપશે, તેઓ વાચા આપશે એટલે ભક્તો તેમને સતાવશે, ટ્રોલિંગ કરશે અને સરવાળે તેઓ અન્યત્ર જતા રહેશે. ૭૫ વરસ પહેલાં પાકિસ્તાનમાં આ રીતે જ શરૂઆત થઈ હતી જે રીતે અત્યારે ભારતમાં શરૂઆત થઈ છે અને પરવેઝ હૂડભોય કહે છે એમ પરિણામ આપણી સામે છે.

એક વાત યાદ રાખજો, ટોળાંમાં બુદ્ધિ હોતી નથી, બુદ્ધિ વ્યક્તિમાં હોય છે. હકીકત તો એ છે કે ટોળાંનો હિસ્સો બનવા માટે બુદ્ધિનો અભાવ જરૂરી હોય છે. તો પાકિસ્તાનના પરવેઝ હૂડભોય કહે છે પાકિસ્તાનની બરબાદીનું કારણ ટોળાંનું સત્ય અને ટોળાંનું માથાભારેપણું છે. જો વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો હોત તો પાકિસ્તાનની સ્થિતિ અલગ હોત. ભારતના હમીદ અન્સારી કહે છે કે ભારતે જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો એનું પરિણામ છે, પણ અત્યારે હવે હિંદુ રાષ્ટ્રના નામે ટોળાંનું સત્ય માથે મારવામાં આવી રહ્યું છે એ ઘાતક છે.

બન્નેના કથનમાં શો ફરક છે? બન્ને એક જ વાત કહી રહ્યા છે. પરવેઝ હૂડભોયના શબ્દો મીઠા લાગે અને હમીદ અન્સારી એ જ વાત કહે તો મરચાં લાગે એવું શા માટે? ભારત સરકારના પ્રવક્તાએ હમીદ અન્સારીની ટીકા કરતાં કહ્યું છે કે તેઓ દેશને બદનામ કરી રહ્યા છે અને ભારતને બદનામ કરવાનું જાગતિક ષડયંત્ર છે. હવે જો પાકિસ્તાનના શાસકોની, મુલ્લાઓની, કોમી તત્ત્વોની, ધર્મઝનૂનીઓની ટીકા કરીને પરવેઝ હૂડભોય પાકિસ્તાનને બદનામ કરી રહ્યા છે એમ જો તમે માનતા હો તો હમીદ અન્સારીની ટીકા સ્વીકારી શકાય. પાકિસ્તાનને જગતમાં પરવેઝ હૂડભોય જેવાઓએ બદનામ કર્યું છે કે અસહિષ્ણુ ધર્મઝનૂનીઓએ અને ભેદભાવ કરનારા શાસકોએ? ભારતને બદનામ હિંદુ ધર્મઝનૂનીઓ અને કોમવાદીઓ કરી રહ્યા છે કે હમીદ અન્સારી જેવા ચેતવણી આપનારાઓ? હમીદ અન્સારી મુસ્લિમ છે એ ગૌણ છે.

જો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એમ કહેતા હોય કે દેશમાં લડાઈ ૮૦ ટકા વિરુદ્ધ ૨૦ ટકા વચ્ચેની છે અને વડા પ્રધાન જો તેમને વારતા ન હોય અને સરેરાશ હિંદુનું મૂક સમર્થન હોય તો પાકિસ્તાનની પંક્તિમાં બેસવામાં શરમ શેની! ખોટો ઢોંગ શા માટે? ગર્વ સે કહો હમ પાકિસ્તાન જૈસે હૈ. પંક્તિ તમે અને તમારા હિંદુ શાસકો પસંદ કરી રહ્યા છો, અમે તો ઊલટું એ પંક્તિમાં બેસવામાં જે જોખમ છે તેની ચેતવણી આપી રહ્યા છીએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ફેબ્રુઆરી 2022

Loading

મકરંદને ન ગમતાનો ગુલાલ કરીએ

અનિલ જોષી|Opinion - Opinion|3 February 2022

મકરંદ દવેની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ઘણા સેમિનારો થશે. સહુ ગમતાનો ગુલાલ કરશે. પણ મકરંદને જે બિલકુલ નહોતું ગમતું એ વિષે બહુ ઓછી વાત થશે. હિન્દુત્વ અને ગાય વિષે અમુક પરિબળોએ સમાજમાં જે પદ્ધતિસરની વ્યવસ્થિત રીતે ગેરસમજનો પ્રચાર શરૂ કર્યો છે એની સામે મકરંદના પુણ્યપ્રકોપ વિષે વક્તાઓનું લુચ્ચાઈભર્યું મૌન તરત તમારું ધ્યાન ખેંચશે. મરેલી ગાયનું ચામડું સાફ કરતા દલિતોની ગુજરાતમાં જ અંધ ગાય ભક્તોએ કેવી યાતના આપી હતી એના વીડિયો અમે જોયા છે. મોબ લિંચિંગ પણ જોયા છે. ગાય એટલે છાણ, ગૌમૂત્ર અને દૂધ નથી. અહીં મરેલી ગાય વિષે મકરંદે શું લખ્યું છે તે અક્ષરશ: સહુ મિત્રો સાથે શેર કરું છું  મકરંદને ન ગમતાનો પણ ગુલાલ કરવો જોઈએ.

‘ગોસેવાનું શિક્ષણ ગાય મૃત્યુ પામે પછી પણ ચાલુ રહે છે. મરેલી ગાયનું ચામડું ઉતારતી વખતે ‘ગાયત્રી મંત્ર’ બોલવામાં આવે છે. મેઘવાળ સમાજનો આ અનોખો ગાયત્રી મંત્ર છે. મારા મિત્ર પૂંજાભાઇ બડવાએ મને આ માહિતી આપી હતી.’ પછાત, અસ્પૃશ્ય ગણાતી જાતિમાં ઢોરને ચીરવાની ખાસ વિધિ હોય છે. જે આખા સમૂહને અસ્પૃશ્ય માનવામાં આવે છે એ ઢોર ચીરવાની ક્રિયામાં અધ્યાત્મનું એક ગુપ્ત રહસ્ય રહેલું છે એ કોણ જાણે છે ? ખાસ કરીને મૃત ગાયને ચીરવાની ક્રિયામાં આ વિધિ અનિવાર્ય ગણાય છે. અગાઉના જમાનામાં તો ગાય મરી જાય ત્યારે એને લેવા આવનારને ગાયમાલિક આ વિધિ મંત્રોવિષે પૂછતો અને જો એને ખ્યાલ ના હોય તો એને મરેલી ગાય આપતો નહિ પણ પોતે જ ઊંડો ખાડો કરીને દાટી દેતો હતો. મૃત ગાયને ચીરવાનો વિધિ એવો હતો કે મૃત ગાયના જમણા પગની ખરીમાં આ મંત્ર બોલીને કાપો મુકાતો હતો. ‘સતની છરી, શબદની ધાર, ચૉરિંગ દિયે મેઘવાળ’ આ કાપો મૂકવાને ‘ચૉરિંગ દેવો’ એમ કહેવામાં આવે છે. એ પછી નીચે આપેલો મંત્ર બોલવામાં આવે છે.

અલખ બેઠા આપે ધણી,
આગે પીછે જોયું તો
ગાય અવતરી
જીવતી ગાય હિન્દુને સોંપી
ને સવાશેર દૂધના ભોગ ધરાયા
મરેલ ગાય મેઘવાળને સોંપી
તો સવા શેર માટીકા ભોગ લગાયા
ચાર પગકા ચાર ખંડ બનાયા
ચામડીની પૃથ્વી બનાઈ
હૈયાના શંખ બનાયા
ઉવાડાકા લોટા બનાયા

જીભ કી કલમ બનાઈ
આંતરડી જનોઈ બનાઈ
હોજરીકા ખડિયા બનાયા
પૂછડેકા લંગોટ બનાયા

મંતર વાંચી ગા ભરખે તો અમરાપુર જાવે
મંતર વાંચ્યા વિના ગા ભરખે તો નરકે જાવે
ગાયકા મંતર સંપૂરણ ભયા
તો મછન્દર પરતાપે જતિ ગોરખને કહા

પ્રાચીન તપોવનોમાં મુનિકુમારો જાતે જ મરેલી ગાયનું ચામડું ઉતારવાની ક્રિયા કરતા હતા. મકરંદ દવે બહુ સ્પષ્ટ કહે છે : 'જે વાણીને જીવતે જીવંત પરણાવી દીધી એટલે કે જગતના વહેવારમાં નાખી દીધી તે સમાજની સ્થૂળ વાણી થઇ ગઈ. મરેલી ગાયનું આવું રહસ્યધન પછાત અને અસ્પૃશ્ય જાતિએ સાચવી રાખ્યું છે એને આપણે હડધૂત કરીએ છીએ. કાયદાઓ ઘડવાથી કાંઈ થતું નથી ‘ગાયત્રી મંત્ર બહુ સાચું કહે છે : જીવતી ગાય હિન્દુને સોંપી ને સવાશેર દૂધના ભોગ લગાયા, મરેલી ગાય મેઘવાળને સોંપી ને સવાશેર માટીના ભોગ ધરાયા.’

•••

વિખ્યાત કલાકાર દોસ્ત શેખર સેનનો ફોન આવ્યો. તે કહે છે : મારે ઘેર ગીરની ગાય છે છતાં અમારા ઘરમાં ક્યારેક બિલકુલ દૂધ નથી હોતું કારણ કે ગાયના ફક્ત બે જ આંચળમાંથી અમે દૂધ દોહીએ છીએ. બાકીના બે આંચળમાં ભરેલું દૂધ અમે ગાયના વાછરડા માટે રાખીએ છીએ. અત્યારે તો મશીનથી ગાય દોવાય છે.

જુઓ, ગાયત્રી મંત્રમા પણ ‘ગાય’ શબ્દ છે ગાયની હાજરી છે. મકરંદનો મિજાજ બિલકુલ સેક્યુલર હતો, સત્તા સાથે કાયમ ખડાખાટકો હતો. કોઈ યુવાન મકરંદ પાસે સરકારી નોકરી માટે ભલામણ ચિઠ્ઠી લેવા આવે તો મકરંદ હસીને કહેતા કે મારી ચિઠ્ઠી બતાવીશ તો તને કોઇ નોકરી આપતું હશે તો નહિ આપે.

મકરંદ સાથે બેસીને ગોંડલમાં અમે કાગળ ઉપર નંદિગ્રામની યોજના તૈયાર કરતા હતા ત્યારે મકરંદે નંદિગ્રામની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું હતું : ‘આપણે અયોધ્યા નથી જવાનું. ભરતભાવ રાખીને નંદિગ્રામ વસાવવું છે. સિંહાસન ઉપર આપણે નથી બેસવાનું પણ રામની પાદુકા મૂકીને રામ વતી શાસન કરવાનું છે. આ ભરતભાવ જન્મે તો જ મારો રામ રાજી થાય નંદિગ્રામ પાછળ મારી આ સંકલ્પના છે. આપણે રામને નામે ચરી નથી ખાવું. ચરતી વખતે ગાયને યાદ રાખવી. ગાય ઉપર ઉપરથી ઘાસ ચરે છે, ઘાસનાં મૂળિયાં નથી ચરતી. આપણે રામરાજ્યનું મૂળ સલામત રાખવાનું છે. સંસ્થા કરીએ તો મુશ્કેલી તો આવશે. પ્રયોગ છે. હનુમાનદાદાને સાથે રાખવાના છે. નંદિગ્રામ કાગળ પર ઊતરતું હતું એ સમયે કુંદનિકા અને હું ઉપસ્થિત હતાં.

મકરંદને મુસ્લિમ બાંધવો માટે કોઇ દ્વેષ નહોતો. મકરંદે તો અલારખા જેવા એક સામાન્ય મુસ્લિમ પર એક કાવ્ય લખ્યું હતું. એ કાવ્ય મને યાદ નથી પણ એક પંક્તિનું ઝાંખું સ્મરણ છેઃ ‘જોયો મેં અલ્લાહનો રખો ..’ મકરંદનો તકિયા કલમ કાયમ એ જ હતો કે ‘હું તો નૂરિયા – જમાલિયાની સંગતમા બેઠો છું. રામ રામ કરો. અલ્લાહ અચ્છા કરેગા’. આ મકરંદનો મિજાજ છે. એ વખતે ભાવનગરથી કવિ પ્રજારામ આવી ચડતા ત્યારે કહેતા.’ હું પ્રજારામ છું એટલે કે ‘હું ડેમોક્રેટિક રામ છું.’ મકરંદની જન્મ શતાબ્દીમાં આવી બધી વાતો થવી જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 14

Loading

...102030...1,7251,7261,7271,728...1,7401,7501,760...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved