ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ
(16 ઓગષ્ટ 1948 – 15 મે 2021)
ભરત દવે એટલે ઉચ્ચ કોટીના નાટ્યવિદ્દ, ટી.વી. પ્રોડ્યુસર, અભિનેતા, દિગ્દર્શક, ચિંતક, લેખક, સંગીતજ્ઞ, ગાયક, ચિત્રકાર, વક્તા, નાટ્યશિક્ષક અને કલાના રસજ્ઞ. યુ ટ્યુબ પર રહેલાં તેમનાં પ્રવચનો સાંભળો તો ખ્યાલ આવે કે તેમનું વાંચન કેટલું વિશાળ હતું. સામ્પ્રત સમસ્યાઓ પ્રત્યે તે બહુ સંવેદનશીલ હતા અને તેના કારણે તેમના પ્રતિભાવો લખાણ અને પ્રવચનો દ્વારા બેધડક રજૂ કરતા રહેતા. ૧૫મી મેએ તેમણે જીવનના રંગમંચ પરથી એક્ઝીટ લીધી.
ભરતભાઈ નાનપણથી નાટકોના શોખીન. સ્કૂલમાં હતા ત્યારથી નાટકો કરવા માંડેલા. ત્યારથી લખવાનો અને ગાવાનો શોખ વિકસવા માંડેલો. કોલેજમાં ગયા ત્યારે મિત્રો સાથે મળીને જામનગરમાં ‘નાટ્યસંગમ’ નામની સંસ્થા કરેલી, જેના ઉપક્રમે શીવકુમાર જોશીનું એક નાટક પણ ભજવેલું.
બી.એ. થઈ ગયા પછી ઈચ્છા હતી કે નાટકમાં આગળ વધે. પણ પિતાજી ગાંધીવિચારના આગ્રહી અને આદર્શવાદી, એટલે એવું માને કે નાટકની દુનિયા લપસણી કહેવાય. તેમાં ચારિત્ર્યની જાળવણી આકરી પડે, એટલે રજા ન મળી. આ સાથે એવો વિચાર પણ ખરો કે તે વ્યવસ્થિત ભણી લ્યે પછી જે કરવું હોય તે કરે. અમદાવાદ આવી એમ.એ. કર્યું. ભણ્યા પછી જામનગર પાછા આવ્યા. થોડાક મહિના અધ્યાપક તરીકે નોકરી કરી. પણ તે દરમિયાન પિતાજીને ખબર પડી ગઈ કે હવે એ ઝાલ્યો ઝલાય તેમ નથી. એથી મુંબઈ જવાની છૂટ આપી. મુંબઈમાં દૂરના પિત્રાઈ ભાઈ વિષ્ણુકુમાર વ્યાસનું ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં મોટુ નામ. તેમણે પોતાને ઘરે બોલાવી લીધા. વિષ્ણુભાઈએ પિતાજીને આશ્વાસન આપ્યું કે ‘તમે ચિંતા ન કરો, ભરતનું હું ધ્યાન રાખીશ.’
મુંબઈમાં વિષ્ણુભાઈએ ત્યાંની નાટ્યપ્રવૃતિઓ અને નાટ્યકારોનો પરિચય કરાવ્યો. આર્થિક રીતે સધ્ધર કરવા દૂરદર્શન પર નોકરી અપાવી દીધી. તેને કારણે સંગીત, ફિલ્મ, નાટકનાં ક્ષેત્રના બહુ બધા અગ્રણી કલાકારોને નજીકથી જોયા, અનુભવ્યા, તેમના ગુણદોષો જોયા, અને તેમની કલાઓને માણી. એ પછી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો. દિલ્હીમાં નિવાસ દરમિયાન ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતના વર્ગો ભર્યા. દિલ્હી રેડિયો સ્ટેશનના એપ્રૂવ્ડ આર્ટિસ્ટ બન્યા. સંસ્થાના વડા ઈબ્રાહિમ અલ્કાઝીએ તેને વધુ ચિત્રો કરવા પ્રેર્યા અને તે માટે સંસ્થા તરફથી ઓઇલ કલર લાવી આપ્યા. સંસ્થાની લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરીને ભારતનાં સહિત દુનિયાભરનાં નાટકો વાંચ્યાં. ત્રણ વર્ષે દિગ્દર્શનમાં વિશેષતા સાથે, શિક્ષિત નાટ્યકાર તરીકે, નાટકના બહોળા જ્ઞાન સાથે બહાર પડ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. અલ્કાઝીસાહેબની કાર્ય પદ્ધતિને, નાટક પ્રત્યેની નિષ્ઠાને બરાબર સમજી અને પચાવી.
સૌ પ્રથમ ‘દર્પણ’ના ઉપક્રમે ફ્રેંચ નાટ્યલેખક મોલિયેરના નાટકનું પોતે કરેલું ગુજરાતી રૂપાંતર ‘વાહ વાહ રે મૈં’ ભજવ્યું, અને પછી સ્વતંત્રપણે બ્રિટિશ નાટ્યલેખક ટોમ સ્ટોપાર્ડ લિખિત ‘આલ્બર્ટ્સ બ્રીજ’ ભજવ્યું. આ નાટકોએ અમદાવાદના બુદ્ધિજીવીઓ, લેખકો અને નાટકોના શોખીન યુવાનોમાં ભારે રોમાંચ પેદા કરેલો, કે આવાં પણ નાટકો હોય? આવી રીતે ભજવાય? ત્યાં સુધી અમદાવાદમાં જે નાટકો ભજવાતા તેમાં મજબૂત સ્ક્રિપ્ટ અને વેશભૂષા જ માત્ર મહત્ત્વનાં રહેતાં. હવે તેમાં સેટ ડિઝાઈન, પ્રકાશ આયોજન, દિગ્દર્શકની વિશિષ્ટ સૂઝ, કથાને અનુરૂપ વસ્ત્રપરિધાન પાર્શ્વસંગીત વગેરે ઉમેરાયા. તે બધાના યોગ્ય સંયોજન દ્વારા નાટકની જે અસર ઊભી થતી તે પ્રેક્ષકો માટે નવીન હતી.
પછી ભરતભાઈએ તેમના દિલ્હીના સ્નાતકો – રાજુ બારોટ અને દિલીપ શાહ અને અન્ય નાટ્યરસિક મિત્રો સાથે ‘સપ્તસિંધુ’ નામની સંસ્થા શરૂ કરી. તેના નેજા હેઠળ કેટલાંક ઉત્તમ નાટકો ભજવ્યાં. સૌ પ્રથમ તેમણે શ્રીકાંત શાહ લિખિત બે એકાંકીઓ, ‘એક ટીપું સૂરજનું’ અને ‘એકાંતની અડોઅડ’ ભજવ્યાં. પછી અમદાવાદમાં પહેલીવાર કોઈ એક લેખક(શ્રીકાંત શાહ)નાં સાત એકાંકીઓ (micro plays – ૧૦-૧૫ મીનિટનાં) એક સાથે ભજવ્યાં. જેમાં ભરતભાઈએ રાજુ બારોટ, નિમેષ દેસાઈ જેવા વિવિધ દિગ્દર્શકોને સામેલ કર્યા. પાલડીની એક શાળાના વિદ્યાર્થીઓ સાથે એક નાટક શાળાની અગાશીમાં ભજવ્યું. અને શ્રીકાંતભાઈનું જ એક ત્રિઅંકી નાટક ‘બાલ્કનીમાંથી દેખાતું આકાશ’ અમદાવાદ ઉપરાંત લખનઉમાં ભજવ્યું.
વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કેટલાંક નાટકો ભજવ્યાં. ત્યાં શ્રીકાંત શાહનાં બે એકાંકીઓ ભજવ્યાં અને ટાગોર લીખિત અને કરસનદાસ માણેક અનુવાદિત ‘મુક્તધારા’ની ત્રીસેક જેટલા કલાકારો સાથે સંગીતમય રજૂઆત કરી. જયશંકર સુંદરી હોલમાં રશિયન લેખક ગોગોલ લિખિત અને ભરતભાઈએ અનુવાદ કરેલુ ‘પોલંપોલ’ ભજવ્યું. એન.એસ.ડીની રેપર્ટરીના કલાકારો સાથે ‘ગિલોટીનકી ગોટી’ અને ‘મેના ગુર્જરી’ ભજવેલાં.
ભરતભાઈએ તેમનું અત્યંત મહત્ત્વાકાંક્ષી નાટક ચં.ચી. મહેતા દ્વારા પદ્યમાં લિખિત સંવાદો સાથેનું નાટક ‘મદીરા’ ભજવ્યું. એ માટે કલાકારોની ગ્રીક ટ્રેજેડી અને ગ્રીક થિયેટરની સમજ વધે તે માટે એક વ્યાખ્યાનમાળા યોજી જેમાં એન.એસ.ડીના સેટ ડીઝાઈનના નિવૃત્ત પ્રાધ્યાપક ગોવર્ધન પંચાલ, પ્રા. દિગીશ મહેતા, યશવંત કેળકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત અને એસ.આર. ભટ્ટ જેવા વિદ્વાનોનો લાભ લીધો. જેમાં તેના સેટની ડીઝાઈન એન.એસ.ડી.ના ગોવર્ધન પંચાલે કરેલી. તેની વેશભૂષા માટે અમદાવાદના ડિઝાઇનર રાજન ચૌધરીએ તેના સંગ્રહમાંથી સસ્તા દરે જોઇતું કપડું આપ્યું. પછી ઘરે દરજી બેસાડી ગ્રીક સ્ટાઈલનાં કપડાં સિવડાવાયાં. ઘરે સુથાર આવ્યો અને સેટ બન્યો. મૂળ વિચાર હતો કે એ નાટક અમદાવાદના કોઈ જૂના ઐતિહાસિક રોજાની આગળ ભજવાય પણ તેના માટે પુરાતત્ત્વ ખાતાની મંજૂરી મેળવવી મુશ્કેલ હતી, આથી આખરે થિયેટરમાં ભજવાયું. આ નાટકમાં અદિતી ઠાકર, રાજુ બારોટ અને હેમંત નાણાવટીએ અદ્દભુત અભિનય કરેલો. તેમાં આચાર્યનો પાઠ કવિશ્રી પિનાકિનભાઈ ઠાકોરે ભજવેલો. ‘મદીરા’ મુંબઈ દૂરદર્શને રેકોર્ડ કર્યું.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં મોટા લીમડા નીચે અમેરિકન નાટ્યલેખક ઈરવીન શો લિખિત નાટક ‘બરી ધ ડેડ’ ભજવ્યું. તેમાં કોઈ બનાવેલો સેટ નહોતો પણ આસપાસની જગ્યા અને મકાનનો ઉપયોગ કરેલો, જેમાં જમીન પર, પરિષદની લોબીમાં, ઉપરના માળે ગેલેરીમાં વિવિધ સીન ભજવાય. પ્રેક્ષકોએ જ્યાં લાઈટ જાય ત્યાં ફરવાનું. એ નાટકમાં લીમડા નીચે ચાર કબરો ખોદેલી, મિલિટરીનો તંબુ બાંધેલો, મોટર સાયકલ અને જીપ લાવ્યાં. મેજર બનેલા એક્ટરે પાત્રને ન્યાય આપવા ટકો કરાવેલો. આ અનુભવ મોટાભાગના પ્રેક્ષકો માટે અદ્દભુત હતો. અભિજાત જોશીએ આ નાટકમાં પહેલી વાર કામ કર્યું. તેના કહેવા મુજબ તે થિયેટરની બારાખડી અને નાટકની સ્ક્રિપ્ટને ચુસ્ત કેવી રીતે બનાવાય તે ભરતભાઈ પાસેથી શીખ્યો. તે વખતે મળેલા શિક્ષણને કારણે તે ભવિષ્યમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી શક્યો. આવાં નાટકોમાં ખુરશી ભાડે લાવવાનો ખર્ચ તો ન પોસાય. પ્રેક્ષકોએ જમીન પર પાથરણા પર બેસીને નાટક જોવાનું.
પછી પરિષદના પ્રાંગણમાં સેટ બનાવી શ્રી પન્નાલાલ પટેલનું ‘માનવીની ભવાઈ’નું ભરતભાઈએ પોતે કરેલું નાટ્ય રૂપાંતર ભજવ્યું. તે પહેલા પન્નાલાલના મૂળ ગામ માંડલી બધા કલાકારોને સાથે લઈ જઈને ત્યાંનાં જૂનાં ઘરોનાં, લોકો જે પહેરવેશ પહેરતાં, જે વાસણો વાપરતાં તેનાં ફોટોગ્રાફ્સ લીધા અને સ્કેચીસ દોરેલા. તેના આધારે પંચાલદાદાના માર્ગદર્શન હેઠળ સેટ ડીઝાઈન થઈ, વેશભૂષા નક્કી થઈ. ત્યાં રેકોર્ડ કરેલાં લોકગીતો અને ભજનોને પાર્શ્વસંગીત તરીકે ઉપયોગમાં લીધું. તેમાં મુખ્યપાત્રો તરીકે રાજુ બારોટ, દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ હતાં. એ નાટક જોઈને પન્નાલાલભાઈ અને ઉમાશંકરભાઈ બહુ પ્રસન્ન થયેલા. લેખકનું ગામ માંડલી જીવતું કરેલું. પછીથી જ્યારે પન્નાલાલભાઈને અકાદમી એવોર્ડ મળ્યો ત્યારે એ નાટક દિલ્હીમાં ભજવ્યું.
દર્શકનાં ત્રણ નાટકો, ‘અંતિમ અધ્યાય’ ‘સોદો’, અને ‘હેલન’ ભજવ્યાં, જે હિટલરના નાઝી શાસન વખતના પ્રસંગો પર આધારિત હતાં. અંતિમ અધ્યાયમાં અરવિંદ વૈદ્યએ હિટલરનો યાદગાર રોલ પૂરા કૌશલ્ય સાથે ભજવેલો. અરવિંદભાઈએ ભરતને અંજલિ આપતા કહ્યું છે કે "મારી ૫૫ વર્ષની રંગભૂમિની કારકિર્દીમાં, અવેતન કે વ્યાવસાયિક, મેં કોઈ દિવસ, ક્યારે ય નાટકમાં કામ માગ્યું નથી, મારાં ગુરુવર્ય શ્રી જશવંત ઠાકર, જેમણે મને ઘડ્યો, એમની પાસે પણ નહીં. માત્ર અને માત્ર ભરત એવો એક નાટ્યકર્મી છે …. હતો … જેની પાસે હું પ્રેમથી, હકથી કામ માંગતો .." ‘સોદો’માં ભરતના એન.એસ.ડી.ના સહાધ્યાયી અને મશહૂર એક્ટર અનંગ દેસાઈએ મુખ્ય રોલ કરેલો. જ્યારે ‘હેલન’માં અન્નપૂર્ણા શુક્લએ મુખ્ય પાત્ર ભજવેલું. આ ત્રણે નાટકો જબરદસ્ત સફળતા પામ્યાં. આ નાટકો દર્શકની ભૂમિ લોકભારતીમાં પણ ભજવાયાં.
તે ઉપરાંત ઓગસ્ટ સ્ટ્રિનબર્ગનું ‘ધ ફાધર’ થિયેટરમાં ભજવ્યું, જેનું ભાષાંતર પણ પોતે જ કરેલું.
ભરતભાઈએ વિવિધ નાટકો અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા, લોકભારતી સણોસરા, દિલ્હી, લખનઉ, મુંબઈ વગેરે શહેરોમાં ભજવ્યાં. તેવી જ રીતે ભરતભાઈએ અગાશીમાં, જયશંકર સુંદરી અને ટાગોર હોલ જેવાં થિયેટરોમાં, પરિષદના પ્રાંગણમાં, વિવિધ શહેરોમાં ખુલ્લી જગ્યાઓમાં, વિઝ્યુઅલ આર્ટ સેંટરના નાના હોલમાં અને જયશંકર સુંદરી હોલના મીની થિયેટર જેવી જગ્યાઓએ નાટકો ભજવ્યાં.
ભરતભાઈના મુખ્ય કલાકારો રાજુ બારોટ, અદિતિ ઠાકર (દેસાઈ), દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ રહ્યાં, પણ તે સિવાય હેમંત નાણાવટી, વિનોદ નાઈક, દેવેંદ્ર દીક્ષિત, સુભાષ બ્રહ્મભટ્ટ, ફિરદોશ મેવાવાલા, હર્ષદ શુક્લ, હસમુખ ભાવસાર, અરવિંદ વૈદ્ય, અનંગ દેસાઈ, કિરણ જોશી, પ્રભાકર શુક્લ, સલીલ મહેતા, વંદના વૈદ્ય (પાઠક), ભાવિની જાની, રૂપા દીવેટિયા, અભિજાત જોશી, વગેરેએ પણ વિવિધ પાત્રો ભજવ્યાં. તે ઉપરાંત તેમણે પોતે ‘પોલંપોલ’, ‘અંતિમ અધ્યાય’, અને ‘ધ ફાધર’માં અભિનય કરેલો. અંતિમ અધ્યાયમાં શ્રી જશવંત ઠાકરના ઘેઘૂર અવાજનો ઉપયોગ કરેલો. દરેક નાટકોમાં પ્રકાશ આયોજન એન.એસ.ડી.ના સહાધ્યાયી દિલીપ શાહે સંભાળેલું.
ભરતભાઈએ આ પ્રવૃત્તિઓ દ્વારા પિતાજીને જે ડર હતો તે દૂર કર્યો. તેમણે દેશ-વિદેશના નામાંકિત નાટ્યકારોના શિષ્ટ અને દર્શકોને વિચારતા કરી મૂકે તેવાં નાટકો ભજવ્યાં. દર્શક કે ઉમાશંકરભાઈ પિતાજી પાસે આવે ત્યારે ભરતભાઈની કળાના વખાણ કરતા.
ભરતભાઈ નાટકો સાથે કલાકારોનું શિક્ષણ પણ કરતા. પહેલા પંદર દિવસ નાટક વિષે અને તેના લેખક વિષે વાતો થાય. ભરતભાઈનો એવો આગ્રહ રહેતો કે કલાકારોએ લેખકનો પૂરો પરિચય, તેણે લખેલાં અન્ય નાટકો વગેરેથી પણ પરિચિત થવું પડે. તે માનતા કે પાત્ર ભજવવું એટલે પરકાયા પ્રવેશ કરવાનો છે. તે પાત્રના દેખાવની સાથે તેની ભાવનાઓ, ઈચ્છાઓ, લાગણીઓ, વળગણો વગેરેને શક્ય તેટલી સચ્ચાઈથી અપનાવીને પાત્રને આત્મસાત કરવાનું છે. તે વખતે કલાકારે પોતાનાં અંગત આદર્શો, પસંદગીઓ, મૂલ્યો ભૂલીને જે પાત્ર ભજવે છે તેને સમગ્રપણે અપનાવવાનું છે. તે દ્વારા નટ વાસ્તવિક જીવનમાં પણ અન્યોના દૃષ્ટિકોણને પણ મહત્ત્વ આપતા થશે. ત્યાર પછી એક મહિનો વાચિકમ્ ઉપર કામ થાય. ઉચ્ચારોની સ્પષ્ટતા, કેટલા ઊંચા અવાજે, કેવા ભાવ સાથે, ક્યાં અટકીને બોલવાનું છે તે સમજાવાય. પછી ત્રણેક મહિના રિહર્સલો ચાલે. તેમાં સમયપાલનનો ચુસ્ત આગ્રહ. સ્ત્રી કલાકારો સાથે સભ્યતા અને આભિજાત્ય દાખવવું ફરજિયાત. જ્યાં સુધી નાટક પૂરું પાકે નહીં ત્યાં સુધી સ્ટેજ પર ન જાય.
આ નાટકો કરવા પાછળ ક્યારે ય વ્યવાસાયી વૃત્તિ ના રહી. મોટે ભાગે ગાંઠના પૈસે નાટકો કર્યા. બહુ ઓછા નાટકોમાં કલાકારોને કોઈ ચૂકવણી થતી. જ્યારે બહારગામ જઈએ ત્યારે પૈસા મળે. તેમાં બધાને (મુખ્ય કલાકારથી માંડીને બેકસ્ટેજના) એકસરખું વેતન મળે. અમદાવાદમાં નાટક થાય ત્યારે ૧૦ રૂપિયા ટીકિટ હોય. ફ્રી પાસ તો ભાગ્યે જ કોઈને અપાય.
એક નાટક પૂરું થાય પછી ભરતભાઈને તેના ભાવાવરણમાંથી બહાર આવી બીજા નાટક વિષે વિચાર કરવામાં કેટલાંક મહિના થાય. અન્ય દિગ્દર્શકોની માફ્ક એક નાટક જેવું સ્ટેજ ઉપર જાય તેવું બીજા નાટકની તૈયારી શરૂ ન થાય. આથી તે કલાકારોને સતત વ્યસ્ત ન રાખી શકે. મોટા ભાગના કલાકારોને તો નાટક જલદી સ્ટેજ પર જાય, રોજ શો થાય તેમાં રસ હોય. પછી દૂરદર્શન આવ્યું. અને તે સાથે આવી ટી.વી. સિરિયલ્સ. એણે અભિનેતાઓને વ્યસ્ત કરી દીધા. એને કારણે ભરતભાઇ અકળાતા. એ નાટક કરવા તો માંગતા હતા પણ રિહર્સલ વિષે આગ્રહી અને તે પણ એમને સંતોષ ન થાય ત્યાં સુધી ચાલુ રહે. આ શિસ્ત અને સામે કલાકારોને ગમતી એપીસોડની ઝડપ અને આર્થિક મુદ્દો પણ ખરો. એટલે ગુજરાતની નવી રંગભૂમિની ગતિ ધીમી પડતી ગઈ. ભરતભાઈએ દર્શકની નવલકથા ‘સોક્રેટિસ’નું નાટ્ય રૂપાંતર કરેલું. નિમેષ દેસાઈને મુખ્ય પાત્ર તરીકે પસંદ કરીને તેનું વાચિકમ્ શરૂ કર્યું, પણ થોડા દિવસોમાં કલાકારોની અનિયમિતતા અને સમયની અશિસ્તથી અકળાઈને બંધ કરી દીધું. તેના કેટલાંક વર્ષો પછી રાજુ બારોટે તેને હાથમાં લીધું અને સફળતાપૂર્વક ભજવ્યું.
આ સાથે ભરતભાઈએ ઈસરો દ્વારા ચાલતા પીજ (DECU) ટી.વી.માં પ્રોડ્યુસર તરીકે નોકરીના ભાગરૂપે કેટલીક ઉત્તમ ટૂંકી ફિલ્મો, સિરિયલો અને ડોક્યુમેન્ટરીઓ બનાવી. તેની સિરિયલ 'ભલા ભૂસાના ભેદભરમ' બહુ લોકપ્રિય બની. તેવી જ રીતે શ્રીધરાણીની લખેલી વાર્તા પરથી 'પિયો ગોરી' નામની ટૂંકી ટી.વી. ફિલ્મ બનાવી. અમદાવાદમાં પહેલી કાપડ મીલ શરૂ કરનાર અને પહેલા સુધરાઈ પ્રમુખ રણછોડભાઈ વિષે ડોક્યુમેન્ટરી બનાવી. તેમણે કચ્છના ધરતીકંપનો ચિતાર આપતી, પાણી વિષે અને અન્ય વિષયો પર ડોક્યુમેન્ટરીઓ બનાવી. જેમાંથી એકાદ-બે ને રાષ્ટિય પારિતોષિક મળેલાં.
૧૯૯૦માં ભરતભાઈને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર એનાયત થયેલો.
નાદુરસ્ત તબિયતને કારણે ભરતભાઈનું સક્રિય જીવન બંધ થઈ ગયું. પણ તે દરમિયાન તેમણે ઘરમાં બહુ સમૃદ્ધ લાઈબ્રેરી ઊભી કરેલી. જેમાં નાટકો, નાટ્યકારોની આત્મકથાઓ, દાર્શનિકો, ગાંધી વિચાર, ઉત્તમ નવલકથાઓ, કાવ્ય સંગ્રહો વગેરે વિવિધ વિષયનાં પુસ્તકો વસાવેલાં. આથી તેમણે ખૂબ વાંચ્યું અને પચાવ્યું. તેના પરિપાક રૂપે છેલ્લા પાંચેક વર્ષોમાં નાટક સહિત વિવિધ વિષયો પર દર વર્ષે એક-બેના ધોરણે પુસ્તકો લખ્યાં અને પબ્લિશ કર્યાં. વાને કારણે આંગળાં કામ નહોતા કરતાં. એ સ્થિતિમાં તે કોમ્પ્યુટર પર લખતા શીખ્યા. એ પુસ્તકો અને લેખ-શ્રેણીને કારણે ભરતભાઈને વિશ્વકોશ દ્વારા ધીરુભાઈ ઠાકર સવ્યસાચી એવોર્ડ, કુમાર સામાયિક દ્વારા કુમાર ચંદ્રક અને સુરતની સંસ્થા દ્વારા નર્મદ એવોર્ડ મળ્યા.
આજે ભરતભાઈની દીકરી દેવકી નાટકો અને અને રેડ FMના RJ તરીકે રેડિયોમાં ભરતભાઈના એ જ આદર્શો અને સમજણ સાથે ઉત્તમ કામ કરી રહી છે અને અનેક એવોર્ડ મેળવી રહી છે.
ભરતભાઈના મનમાં બે ત્રણ પુસ્તકોનો ખ્યાલ રમતો હતો, ત્રણેક પુસ્તકો છપાઈને આવવામાં હતાં એવે વખતે કોરોના ભરતભાઈને લઈ ગયો. જેમ ઘણા લોકોએ કહ્યું છે તેમ, ભરતભાઈનું અકાળ અવસાન એ માત્ર તેમના કુટુંબને જ નહીં. પણ સમગ્ર નાટ્યજગતને પડેલી ખોટ છે. સ્વ. શ્રી ઈબ્રાહિમ અલ્કાઝીનાં પુત્રી અમલ અલ્લાનાએ આપેલી અંજલિ અનુસાર ભરતભાઈ ભારતીય નાટ્યજગતની બિરાદરીના મહત્ત્વના સ્તંભ હતા.
ભરતભાઈએ સવ્યસાચી એવોર્ડ સ્વીકારતી વખતે તેમના પ્રવચનના અંતમાં દુ:ખ વ્યક્ત કરતા કહેલું કે ‘નાટક જેવી મહાન કળાને આપણે ગુજરાતી કલાકારો અને પ્રેક્ષકોએ માત્ર રમૂજી ટૂચકાના પ્રોગ્રામમાં ફેરવી નાખી છે. આ બાબત અમારા કામને મર્યાદિત કરી દે છે. આ કારણે પ્રેક્ષકોનું નવી દિશામાં ઘડતર થયું જ નથી અને એટલે જ તેઓ આ સિવાયના થિયેટરની કલ્પના જ કરી શકતા નથી. બહારથી ભલે તેઓ શિક્ષિત-સુધરેલા દેખાય પણ અસલમાં they are culturally illiterate.’
e.mail : samanvay.sys@gmail.com
પ્રગટ : “નવનીત-સમર્પણ”, જુલાઈ 2021; પૃ. 47-54