Opinion Magazine
Number of visits: 9570376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસા પર દીકરીનો હકઃ પ્રગતિશીલ કાયદાઓ માત્ર કાગળ પર ન રહી જાય તેની જવાબદારી સમાજે નિભાવવી રહી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 January 2022

ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો. આ ચુકાદા અનુસાર પિતાની મિલકતમાં દીકરીનો પણ દીકરા જેટલો જ અધિકાર રહેશે. આ કાયદા અનુસાર અમુક જૂની વિચારધારાઓ અને નિયમોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાં. મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ એક અપીલ દાખલ કરાયેલી હતી જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો કે વસિયત વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની સ્વ-ઉપાર્જીત તથા અન્ય સંપત્તિ પર દીકરીનો અધિકાર રહેશે.  આ ચુકાદા સાથે મિલકતના વારસામાં દીકરીને અગ્રતા મળશે. આ કાયદાની આંટીઘૂંટી વખત આવ્યે સમજી શકાશે પણ સપાટી પરથી સમજીએ તો દીકરીઓને જે સમાજમાં પારકી ગણાય છે તે હવે પોતાનો હક માંગી શકશે અને તેમાં કાયદો તેમની પડખે રહશે.

ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આપણી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓને તેમનો અધિકાર આપવાને મામલે સમાજમાં સારો એવો ખચકાટ છે. કુટુંબના પુરુષ સભ્યોએ કોઇને પૂછ્યા-ગાછ્યા વગર મિલકત પર પોતાનો અબાધિત અધિકાર ‘ગ્રાન્ટેડ’ ગણી લે છે. તેમને કોઇ કહે કે ન કહે તેઓ માને છે કે વારસામાં મળેલી સંપત્તિની ચોકીદારી કરવાની જવાબદારી તેઓ ઉપાડી જ લેતા હોય છે. મિલકતને આપણા દેશમાં ધનનો પ્રાથમિક સ્રોત માનવામાં આવે છે અને તે સાહજિક રીતે જ પુરુષ વારસદારોને જાય એવું માની લેવાયેલું છે. આ કારણે સ્ત્રીઓ જેમને લગ્ન પછી કોઇ સમસ્યા હોય, આર્થિક રીતે સદ્ધર થવું હોય પણ એ માટે જે મૂળભૂત આર્થિક ટેકો જોઇએ એ ન હોય અથવા તો પછી પોતાના શિક્ષણ કે નાનકડા વ્યવસાય માટે પણ નાણાંની જરૂર હોય તો તે ક્યાંથી મેળવવા કે કોની પાસેથી માગવા તેની કોઇ સ્પષ્ટતા નથી હોતી. તાજેતરમાં જ બહાર પડેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 5 અનુસાર 43 ટકા સ્ત્રીઓએ કબૂલ્યું હતું કે તેઓ કોઇ જમીન કે મિલકતના કાં તો સહિયારા અથવા તો એકાકી માલિક છે. આપણા સમાજમાં જે સ્થિતિ છે તે જોતા આ આંકડો સાંભળીને સારું લાગે પણ આ આખી બાબતની ‘સબ-ટેક્સ્ટ’ જોવી પડે કારણ કે મિલકત સ્ત્રીને નામે હોય એટલે તે એ મિલકતનો ધારે ત્યારે ઉપયોગ કરી શકે અથવા તો તેના ઉપયોગ પર તેનો પૂરેપૂરો કાબૂ હોય તેવું કેટલી હદે છે તેનો સરવે થાય તો આ આંકડો જુદો હોઇ શકે છે. અન્ય એક રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પરિવારો પાસે પોતાની જમીનો છે ત્યાં માંડ 16 ટકા સ્ત્રીઓ પાસે જ જમીનની માલિકી હતી. વળી ખેતીની જમીન પરની માલિકીને મામલે વ્યક્તિગત કાયદા અને રાજ્યના કાયદામાં વિરોધાભાસી વાત છે અને માટે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે દિલ્હી જેવા વિસ્તારોમાં વારસાને મામલે જે જોગવાઈઓ છે તે ઘણી પછાત છે. હિંદુ સક્સેશન એક્ટ 1956 દ્વારા સ્ત્રીઓને જે અધિકારો અપાયા હતા તેને બદલવાની માથાકૂટ હરિયાણામાં થઇ ચુકી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 2016થી પરણેલી દીકરીઓને પ્રાથમિક રીતે વારસદારમાં ગણવામાં જ નથી આવતી. આ જ બાબત એની સાબિતી છે કે આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને પ્રગતિશીલ કાયદાઓ પચતા નથી. શહેરોમાં જે બાબતો સપાટી પર નથી ગણાતી તેવી દહેજની વાતને પણ મિલકતને મામલે પરિવારો ગણતરીમાં લેતા ખચકાતા નથી. પુરુષ સભ્યો એવી દલીલ કરી જ શકે છે કે દહેજ મળ્યો હોય તો દીકરીએ પિતાની મિલકત પર કોઇ હક ન જતાવવો જોઇએ. 

વળી સુપ્રીમ કોર્ટે હમણાં જે ચુકાદો આપ્યો છે તે આ હિંદુ સક્સેશન એક્ટના 1956 હેઠળ જે મહિલાઓને પિતૃક સંપત્તિમાં ભાગ નથી મળ્યો તેમને પણ દાવો માંડવાની છૂટ આપે છે. આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે જૂના પારંપરિક હિંદુ કાયદા અને આ પહેલાં અપાયેલા ન્યાયિક ચુકાદાઓના ઉદાહરણ ટાંકીને સિદ્ધ કર્યું કે હિંદુ સક્સેશન એક્ટ પહેલાં પણ પત્નીઓ અને દીકરીઓને પિતા/પુરુષની સ્વ-ઉપાર્જિત મિલકત પર દીકરાઓને હોય એટલા જ હક હતા. સુપ્રીમ કોર્ટે યાજ્ઞવલક્ય સ્મૃતિ જે એક ધર્મશાસ્ત્ર પરંપરાનો ગ્રંથ છે, તેનો ઉલ્લેખ કર્યો જેમાં વારસાની મિલકત પર મહિલાઓના હકનો ઉલ્લેખ છે. આ ગ્રંથમાં બે કાયદા એવા હતા જે અગત્યના હતા એક હતો વિજ્ઞાનેશ્વરનો મિતાક્ષરા અ જીમૂતવાહનનો દાયભાગ – દાયભાગનો કાયદો બંગાળ અને આસામમાં ચાલતો, જ્યારે દેશના બાકીના રાજ્યોમાં મિતાક્ષરાનો કાયદો લાગુ થતો. આ કાયદાઓમાં પુત્ર-પુત્રીને વારસો આપવાને મામલે અસમાનતા તો હતી જ પણ સમયાંતરે તેમાં ફેરફાર કરાયા હતા. આ ફેરફાર અનુસાર વસિયત લખ્યા વિના ગુજરી ગયેલ પિતાના વારસોમાં દીકરાઓ ઉપરાંત દીકરી, માતા, વિધવા પત્ની વગેરેને ગણતરી થઇ. જો કે હજી આ કાયદામા અમુક ક્ષતિ હતી, જેમાં 2005માં ફેરફાર કરાયા અને મહિલાઓને પૈતૃક સંપત્તિમાં વ્યાપક અધિકારો મળ્યા અને 2020ની સાલમાં દીકરીઓના અધિકારોને વધુ વિસ્તારિત કરાયા. તાજેતરના ચુકાદાએ આ અધિકારોની સૂક્ષ્મ બાબતોને વધુ સ્પષ્ટ કરી જેથી પિતાની સંપત્તિ પર હકની વાત આવે ત્યારે દીકરીઓને હાંસિયામાં ન ધકેલી દેવાય.

આ અગત્યની બાબત છે પણ આપણા દેશમાં જ્યાં જૂનવાણી માનસિકતાનાં મૂળિયાં બહુ ઊંડાં છે ત્યાં આ ફેરફારો સમાજને કેટલા પચે છે તે વખત આવ્યે જ ખબર પડશે. કમનસીબે ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે. વળી, જેમ ઉપર ચર્ચા કરી તેમ ખેતીની જમીન ધરાવતા રાજ્યો સુપ્રીમ કોર્ટના આ કાયદાને વધાવી લેશે તે જરૂરી નથી, કારણ કે રાજ્યના ન્યાયતંત્રમાં અલગ જોગવાઇઓ હોય છે. કાયદો પ્રગતિશીલ બને તેનાથી સમાજ પ્રગતિશીલ બની જશે એવું માનવાની કોઇ જરૂર નથી.

બાય ધી વેઃ

આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં વાસ્તવિકતા કાયદા અને ડેટાને આધારે નથી બનતી પણ માણસ અને માણસાઇના અનુભવને આધારે ઘડાય છે. વારંવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં સાબિત થાય છે બંધારણ કે કાયદામાં જે હોય એ પણ મહિલાઓ સાથે સમાન વહેવાર નથી જ થતો. દસ્તાવેજ પર પ્રગતિશીલ શબ્દો છાપેલા હોવાથી સમાજ નથી બદલાઇ જતો. જે દેશમાં મહિલાઓને સૈન્યની પરીક્ષા આપવા માટે પણ કાયદાની જરૂર પડે જ્યાં મંત્રીઓ મહિલાઓ વિશે મનફાવે એવી ટિપ્પણી કરે, જ્યાં રાજકારણીની દીકરી પોતાના મનગમતા યુવકને પરણે તો પિતાના ગુંડાઓથી બચવા તેણે પિતાને જાહેર અપીલ કરવી પડે, જ્યાં હજી લગ્ન સંબંધમાં થતા બળાત્કારને મામલે કોર્ટમાં પાયા વગરના વિધાનો થઇ શકે ત્યાં આપણે પ્રગતિશીલ કાયદાઓથી ફુલાઇ ન જવું. જે કાયદાઓ કાગળ પર છે તેને સમાજમાં પૂરેપૂરી રીતે સ્વીકારાય તે માટે હજી લાંબી મજલ કાપવાની છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  30 જાન્યુઆરી 2022

Loading

ઝીણા, રતનબાઈ અને દિના : આ પાત્રો ભારતના ઇતિહાસનાં પણ છે …

સોનલ પરીખ|Opinion - Opinion|30 January 2022

દીકરી દિનાએ પસંદ કરેલો યુવાન મુસ્લિમ ન હતો એ જાણી ઝીણા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દિનાએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને 17 વર્ષની દિના નેવિલ વાડિયાને પરણી ગઈ …

‘ખુદા કે લિયે’ નામની પાકિસ્તાની ફિલ્મમાં, બ્રિટનમાં રહેતા મુસ્લિમ પિતા-પુત્રીની વાત છે. વિધુર થયા પછી એક અંગ્રેજ સ્ત્રીને પરણેલો પિતા, છૂટાછેડા પછી બધી રીતે પાયમાલ થઈ એક અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન વગર રહે છે. પણ દીકરી એક અંગ્રેજ યુવકના પ્રેમમાં છે એ જાણી એ ખળભળી ઊઠે છે અને દીકરીને પાકિસ્તાન લઈ આવી, છેતરીને એક મુસ્લિમ યુવાન સાથે પરણાવી દે છે. વાર્તા તો હજી લાંબી છે અને રસપૂર્ણ પણ, પણ અહીં મારે ધ્યાન એ તરફ દોરવું છે કે માણસ કેવાં બેવડાં ધોરણો સાથે જીવે છે – પોતા માટે એક નિયમ, અન્ય માટે બીજા નિયમ – એ ‘અન્ય’ પોતાનાં સંતાન હોય તો પણ ! આ ફિલ્મ હતી, પણ આવું વાસ્તવમાં પણ બને. આ પાકિસ્તાનની વાત હતી, પણ આવું ભારતમાં પણ બને – ગમે ત્યાં બને, કારણ કે બેવડાં ધોરણ કોઈ એક જગ્યાએ હોતા નથી. વેબડાં ધોરણ એ તો આખી દુનિયાના લોકોમાં ફેલાયેલી માનસિકતા છે.

1938ની સાલમાં, બીજા વિશ્વયુદ્ધના આગલા વર્ષે આપણા દેશમાં એક મોટા મુસ્લિમ નેતાની દીકરી, પિતા પાસે પોતાના મિત્રને પરણવાની પરવાનગી લેવા આવી. પિતા વિધુર હતા. એમની સદ્દગત પત્ની પારસી હતી. એટલે દીકરી જન્મથી અડધી પારસી હતી અને નાનાનાની પાસે ઊછરતી એટલે સંસ્કારે પણ પારસી ખરી. એણે પસંદ કરેલો યુવાન ભણેલો અને સફળ બિઝનેસમેન હતો, પણ એ પારસી હતો એ જાણી પિતા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દીકરીએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને સત્તર વર્ષની એ છોકરી તેના પારસી પ્રેમી નેવિલ વાડિયા સાથે પરણી ગઈ. પિતાએ એનો બહિષ્કાર કર્યો.

આ પિતા-પુત્રી એટલે મહમ્મદ અલી ઝીણા અને એની દીકરી દિના. ઝીણાના રાજકીય જીવન વિશે આપણે બધા જાણીએ જ છીએ, આજે એમના પારિવારિક જીવન વિશે થોડી વાત કરીશું, કારણ કે 25 ડિસેમ્બરે ઝીણાનો જન્મદિન હતો, કારણ કે ઝીણા, એમની પારસી પત્ની રતનબાઈ ઉર્ફ રુટી અને એમની પુત્રી દિના આ ત્રણે પાત્રો ભારતીય ઇતિહાસનાં પણ છે.

કાઠિયાવાડના મોટી પાનેલી ગામના ખોજા દંપતી ઝીણા પૂંજા અને મીઠીબાઈને ત્યાં 1876માં જન્મેલા મહમ્મદ અલી સાત બાળકોમાં સૌથી મોટા હતા. મુંબઈ અને લંડનમાં ભણ્યા અને 19મા વર્ષે બેરિસ્ટર થયા. ભારત પાછા આવ્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા પણ ગાંધીજી સાથે મતભેદ થતાં કૉંગ્રેસ છોડી અને 1913થી મુસ્લિમ લીગનું નેતૃત્વ સંભાળ્યું. 1920થી તેમની કટ્ટરતા વધતી ગઈ, 1937 પછી એમણે ભારતથી અલગ સ્વતંત્ર મુસ્લિમ દેશની માગણી કરવા માંડી. 1947માં વિભાજન થયું. ઝીણા સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ અને વડા બન્યા. 1948 સપ્ટેમ્બરમાં એમનું મૃત્યુ થયું.

ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ તેમનો પરિચય મુંબઈમાં પહેલી ટેક્સટાઈલ મિલ શરૂ કરનાર દિનશા પેટિટ સાથે થયો. દિનશા પેટિટ તેમના ક્લાયન્ટ અને મિત્ર બન્ને હતા. રતનબાઈ ઉર્ફ રુટી આ દિનશા પેટિટની દીકરી. ઝીણા લંડનમાં ભણ્યા હતા, દેખાવડા હતા અને મુંબઈમાં વકીલાત કરતા હતા. મુગ્ધ રુટિ એમના તરફ આકર્ષાતી ગઈ. રુટિ ખૂબ દેખાવડી અને પશ્ચિમી ઢબે ટ્રેઈન્ડ આયાઓ પાસે ઉછરેલી આધુનિક કન્યા હતી. ઝીણા પણ આકર્ષાયા. ત્યારે ઝીણા ૪૦ વર્ષના હતા અને રુટિ 16 વર્ષની.

બે વર્ષ પ્રણય પાંગરતો રહ્યો. દિનશા પેટિટે પુત્રીના 18મા જન્મદિનની પાર્ટી તાજ હૉટેલમાં રાખી. મહેમાનો સમક્ષ રુટિએ નાટ્યાત્મક ઢબે જાહેર કર્યું કે તે ઝીણા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે. દિનશા સ્તબ્ધ થઈ ગયા. મહેમાનો પણ આઘાત પામ્યા. સમગ્ર પારસી સમાજ ચોંકી ગયો. 1918માં બન્નેએ લગ્ન કરી લીધા. રુટિએ મુસ્લિમ ધર્મ અપનાવી મરિયમ નામ ધારણ કર્યું. લગ્ન વખતે ઝીણા ૪૨ અને રતનબાઈ ૧૮ વર્ષના હતાં.

લગ્નના એક વર્ષ બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૧૯ને દિવસે દિનાનો જન્મ થયો. ત્યાં સુધીમાં ઝીણા અને રુટિ એકબીજાથી ત્રાસી ગયા હતા. રુટિ મિત્રો અને મજલિસોમાં વ્યસ્ત રહેતી અને ઝીણા વકીલાત અને રાજકીય કારકિર્દીમાં. દીકરી માટે ટ્રેઈન્ડ મોંઘી આયાઓ રોકી પતિપત્ની પોતપોતાની જિંદગી જીવવા લાગ્યાં. ઝઘડા થઈ જતા તો રુટિ તાજમાં રહેવા ચાલી જતી. તાજના એના સ્યુટનું બિલ ઝીણા ભરી દેતા.

દીકરી પ્રત્યે માબાપની ઉપેક્ષા એટલી બધી હતી કે વર્ષો સુધી એનું નામ પણ પડ્યું નહોતું. થોડા વખત પછી રુટિ બીમાર રહેવા લાગી. ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસે માંદગી દરમિયાન અને છેક સુધી રુટિની સંભાળ રાખી હતી. કાનજી દ્વારકાદાસ 1914થી હોમરૂલ લીગમાં સક્રિય હતા. કાનજી દ્વારકાદાસ ગાંધીજીને 1917માં મળ્યા હતા અને ચંપારણના સત્યાગ્રહ પછી ગાંધીજીને લગભગ રોજ મળતા, પણ ક્યારે ય ગાંધીજીની જાદુઈ અસરમાં ન આવ્યા અને કદી પણ કૉંગ્રેસમાં જોડાવાનું ઉચિત ન માન્યું. તેઓ મજૂરોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા હતા.

માત્ર 29 વર્ષની વયે રુટિનું મૃત્યુ થયું. દીકરી એના નાની દિનબાઈ પાસે ઉછરવા લાગી અને ‘દિના’ કહેવાઈ. દિનાએ તેના પિતાને ખૂબ જ નજીકથી જીદ્દી, મહત્ત્વાકાંક્ષી અને કટ્ટર માન્યતાના આગ્રહી તરીકે જોયા હતા. એમની વચ્ચેના સંબંધો તંગ જ રહ્યા. ઝીણાના સ્વભાવમાં હઠ અને અહંકારનો અતિરેક હતો તેનું કારણ ભગ્ન લગ્ન અને એકલવાયાપણું હોઈ શકે. અલગ પાકિસ્તાનની ધૂન સવાર થયા પછી ઝીણા મુસ્લિમ રિવાજોમાં માનવા લાગ્યા જો કે ઘણાખરા ચુસ્ત મુસ્લિમો એમને મુસલમાન માનતા નહીં. 

1938માં દિનાનાં લગ્ન થયાં. પાકિસ્તાન બન્યું ત્યારે દિનાએ પિતા સાથે પાકિસ્તાન જવાની ના પાડી ભારતમાં જ રહેવું પસંદ કર્યું હતું. પણ તેણે પિતાને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. ઝીણાએ તેનો જવાબ આપ્યો નહીં. 1948માં ઝીણાની તબિયત ખૂબ ખરાબ થઈ ત્યારે તેણે દિનાએ પાકિસ્તાન જવાની તૈયારી કરી. ઝીણાએ મરણપથારીએથી પણ દિનાના વિઝા રીજેક્ટ કરવાની સૂચના આપી દીધી. તેમની દફનવિધિમાં દિના પાકિસ્તાન ગયાં હતાં. તે પછી છેક ૨૦૦૪માં દિના સપરિવાર પાકિસ્તાન ગયા હતાં અને ઝીણાની કબર પર ફૂલો મૂકી પ્રાર્થના કરી હતી. દિનાના પુત્રો નેસ અને જહાંગીર વાડિયા બૉમ્બે ડાઇંગના ચૅરમેન અને બહુમતિ માલિકો છે. મુંબઈમાં એમની મોટી મિલકતો છે. વાડિયા ગ્રુપ તીખી કૉર્પોરેટ લડાઈઓ માટે જાણીતું છે. દિના 2017માં 98 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્કમાં મૃત્યુ પામ્યાં.

ઝીણાના નિધન બાદ જીવનપર્યંત દિના મુંબઈમાં મલબાર હિલ્સ વિસ્તારમાં આવેલ એમનો બંગલો પોતાની માલિકીનો થાય તે માટે કોર્ટમાં કેસ લડતા રહ્યાં હતાં. આ બંગલો 'ઝીણા હાઉસ' તરીકે ઓળખાય છે. આ બંગલો ૧૯૩૬માં બ્રિટનના જાણીતા સ્થપતિ ક્લોડ બેટલે દ્વારા ડિઝાઈન થયેલો અને ૨.૫ એકરમાં જમીન પર તે જમાનામાં બે લાખ(આજના લગભગ બસો કરોડ)ના ખર્ચે બન્યો હતો.  ઇંગ્લેન્ડના સંગેમરમર અને અખરોટના લાકડાનો ઉપયોગ થયો હતો. આ જ બંગલામાં ગાંધીજી, નહેરુ અને ઝીણા વચ્ચે આઝાદીના સંગ્રામની રણનીતિથી માંડી આગળ જતા અલગ પાકિસ્તાનના ખ્યાલ અંગે બેઠકો થઈ હતી. ભારત છોડતી વખતે ઝીણાએ કહ્યું હતું, ‘આ બંગલો યુરોપીય દૂતાવાસને સોંપી દેજો, ભારતીયો એને લાયક નથી.’

ઝીણા જાહેરમાં બે વખત રડ્યા છે. પહેલી વાર રુટિનું મૃત્યુ થયું ત્યારે અને બીજી વખત પાકિસ્તાન જતા અગાઉ છેલ્લી વખત રુટિની કબર પર ગયા ત્યારે. શીલા રેડ્ડીએ ‘મિ. એન્ડ મિસિસ ઝીણા’માં ઝીણા અને રુટિના દાંપત્યને ‘રોમાન્સની નાની પણ પ્રબળ કહાણી’ તરીકે વર્ણવ્યું છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ડિસેમ્બર 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—130

દીપક મહેતા|Opinion - Opinion|29 January 2022

અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ

રેડિયો માટે છ હજાર કરતાં વધુ કાર્યક્રમ લખ્યા અને ભજવ્યા

જ્યારે ગોવિંદજીના પાત્રને મારી નાખ્યા પછી સજીવન કરવું પડ્યું

‘અદુલી, ટું આંય સું કરે ચ!’ આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે જન્મ.

મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન

દાયકાઓ પહેલાંની વાત છે. બોરીબંદર કહેતાં વી.ટી. નજીક એક્સેલસિયર થિયેટર. ૧૮૮૭માં નાટકો ભજવવા માટે શરૂ થયેલું. એ થિયેટરમાં અદી મર્ઝબાને એક હરીફાઈ યોજેલી. નિર્ણાયક તરીકે બોલાવેલા ચંદ્રવદન મહેતાને. અદીએ પોતે તેમાં કરુણ રસથી છલકાતું ‘માયની માયા’ નામનું નાટક રજૂ કર્યું અને પહેલું ઇનામ જીત્યા. થોડા દિવસ પછી અદી પહોંચ્યા ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશન પર. જઈને કહે કે મારે મળવું છે ચંદ્રવદન મહેતાને. એ વખતે સી.સી. સ્ટાફ મિટિંગમાં. પણ મળવા બહાર ગયા. અદીની સીધી વાત : ‘મારે રેડિયો પર પ્રોગ્રામ કરવો છે.’ ‘ઠીક અદીભાઈ. ‘ટાંકણીની અણી’ પર પંદર મિનિટનો સ્કેચ લખી લાવો. ભજવવાની ગોઠવણ થઈ જશે. બીજે દિવસે સવારે સી.સી. રેડિયો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટેબલ પર પડેલું ‘ટાંકણીની અણી,’ બરાબર પંદર મિનિટ ચાલે એવું હાસ્ય ભરપૂર રેડિયો રૂપક. આ વાત ૧૯૪૦ની. ત્યારથી ૧૯૮૫ સુધીમાં અદીએ ઓલ ઇન્ડિયા રેડિયો માટે પુષ્કળ લખ્યું, ભજવ્યું. સરવાળો માંડો તો છ હજાર કરતાં વધુ પ્રોગ્રામ થાય!

‘લાઈવ પ્રોગ્રામ’ના જમાનામાં જે લખાયું-ભજવાયું તેમાંનું ઘણું ખરું હવામાં ઊડી ગયું. અદીના કાર્યક્રમો એમાં અપવાદ. તેમની બીજી ઓળખાણ તે ‘જામે જમશેદ’ અખબારના માલિક-તંત્રી. એટલે પોતાની એકેએક સ્ક્રિપ્ટ જેવી લખાય કે તરત જાય કમ્પોઝ કરવા. ભાગ લેનારા દરેક કલાકારના હાથમાં છાપેલી સ્ક્રિપ્ટ હોય. રેડિયો સાચવે કે ન સાચવે, અદીએ એકેએક સ્ક્રિપ્ટ સાચવી રાખી. તેઓ બેહસ્તનશીન થયા પછી એ ખજાનો એન.સી.પી.એ.ને સોંપાયો જ્યાં આજે પણ તે સુરક્ષિત છે.

જૂનું એક્સલસિયર થિયેટર

અદીનો બીજો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. અદીએ પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું.

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતા પૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪માં કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું.

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું.

અદી અને સિલ્લા મર્ઝબાન

પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા સીધા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. ૧૮૨૨માં પહેલવહેલું ગુજરાતી અખબાર શરૂ કરનાર ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલના મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : ‘શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.’ પણ અદીબાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રેડિયો અને રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.

*

બે વર્ષા: નીચેવાળી અને ઉપરવાળી

ઓલ ઇન્ડિયા રેડિયો અંગેના લેખો માટે જે પ્રતિભાવો મળ્યા તેમાંથી બે : ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશનથી ચાલતાં માંડ પાંચ-સાત મિનિટ દૂર આવેલું એક મકાન, નામે ગુલબહાર. આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં તેમાં એક નહિ, બે વર્ષા રહે. અડોશીપડોશી તેમને ઉપરવાળી વર્ષા અને નીચેવાળી વર્ષા તરીકે ઓળખે. ‘ઉપરવાળી’ તે જાણીતાં પત્રકાર-લેખક લાભુબહેન મહેતા અને મોહનભાઈ મહેતા ‘સોપાન’ની દીકરી વર્ષા મહેતા (હવે દાસ). અને બીજી તે અગ્રણી લેખક ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા આચાર્ય (હવે અડાલજા). બંને કોલેજ-કાળથી આ લખનારની મૈત્રિણીઓ. (બંને વર્ષાનો અહીં મૂકેલો ફોટો ‘નીચેવાળી’ વર્ષાના સૌજન્યથી.) દિલ્હીથી વર્ષા દાસ લખે છે : મેં child artist તરીકે 'લોહીની સગાઈ' નાટકમાં  ભાગ લીધેલો. વસુબહેન દિગ્દર્શક, દીનાબહેન ગાંધી મારી મા અને હું એમની મૂંગી દીકરી . મારે તો મોઢેથી જાતજાતના અવાજો જ કાઢવાના હતા. રેકોર્ડિંગ પૂરું કરીને પછી ડ્યૂટી રૂમમાં જવાનું ને ત્યાં બેઠેલાં એક પારસી કે ક્રિશ્ચિયન બહેને એક કાગળ પર મારી સહી લીધી ને મને પાંચ રૂપિયાની કડકડતી નોટ આપી. મારી આ પહેલી કમાણીથી હું તો રાજી રાજી. ઓલ ઇન્ડિયા રેડિયોનું મકાન ઘરની નજીક જ હતું . હું તો દોડતી, કૂદતી ઘરે આવી અને રુઆબભેર એ પાંચ રૂપિયા બાના હાથમાં મૂક્યા!  એ આખો પ્રસંગ મને આજે, ૭૯ વર્ષની ઉંમરે પણ યાદ છે. તમારો લેખ વાંચીને  યાદ તાજી થઈ! 

તો વર્ષા અડાલજા લખે છે : મારું ઘર રેડિયો સ્ટેશનની બાજુમાં એટલે પપ્પા પાસે લખાવવા ગિજુભાઈ જાતે જ આવે. હું રેડિયો પર એનાઉન્સર હતી ત્યારે મને ખૂબ આગ્રહ કરેલો એક્ઝામ આપવા માટે જેથી હાયર કાયમી પોસ્ટ મળે. પણ બદલી થવાના ડરથી મેં પરીક્ષા ન આપી. ભવનની એક નાટ્યસ્પર્ધામાં અમે સાથે જજ હતાં, અમારા ઇનામના નિર્ણયથી વિદ્યાર્થીઓ  ગિન્નાયા અને ટોળું તોફાને ચડ્યું ત્યારે આગ્રહપૂર્વક મને પાછલે બારણેથી ભગાડી અને ગિજુભાઈ ફેસ્ડ ધ મ્યુઝીક.

હવે આપણે પણ રેડિયોના પાછલે બારણેથી નીકળીએ અને જઈએ … ક્યાં? ધીરી બાપુડિયાં. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6171,6181,6191,620...1,6301,6401,650...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved