Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9292908
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ યુદ્ધમાં નિશ્ચિત તો હાર અને સંહાર જ હોય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 February 2022

આ વિશ્વે અનેક યુદ્ધો જોયાં છે ને સિલકમાં રક્તપાત જ હાથ આવ્યો છે, તો પણ સત્તાલોભીઓને યુદ્ધનું ખેંચાણ રહ્યાં કરે છે. યુદ્ધ, કદાચ જગતને કોઠે પડી ગયું છે. આખું વિશ્વ શાંતિની અપેક્ષા રાખે છે, પણ તેને યુદ્ધ વગર ચાલતું નથી. ઘણીવાર તો શાંતિ સ્થાપવા અશાંતિનો આશરો લેવાય છે. માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી, તે તેણે અનેક યુદ્ધો લડીને સાબિત કરી આપ્યું છે. બબ્બે વિશ્વયુદ્ધોની કરચો હજી ક્યાંક ખૂંપેલી છે, છતાં ત્રીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વ ખેંચાઈ રહ્યું હોવાનું લાગે છે. અહિંસા આદર્શ છે, પણ જગત હિંસાને પણ આદર્શ તરીકે સ્થાપવા માંગતુ હોય તેમ તે યુદ્ધ માટે સજ્જ થતું રહે છે. અત્યારે અમેરિકા અને રશિયા સામસામે આવી ગયાં છે. બંને સીધાં યુદ્ધમાં તો ન સંડોવાય, પણ યુક્રેનની આડમાં બંને દૂર રહીને બાથ ભીડી રહ્યાં હોય તેમ લાગે છે.

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે અને ગમ્મત એ છે કે યુદ્ધ છેડીને રશિયાએ યુક્રેનને વાટાઘાટ માટે કહ્યું છે. ખરેખર તો એ ઘાંટાઘાંટ પછીની વાટાઘાટ છે. યુક્રેને વાટાઘાટની ના પાડી દેતાં રશિયા ફાટીને ધુમાડે ગયું છે. તેણે વધુ આક્રમક થઈને યુક્રેનની રાજધાની કિવનું નિશાન લીધું છે ને અત્યારે આખી દુનિયા હિંસક આક્રમણનો તમાશો જોઈ રહી છે. અમેરિકા અને નાટો પડખે રહેશે એવી યુક્રેનની આશા ઠગારી નીવડી છે. યુક્રેનને સપોર્ટ બધા દેશોનો છે, પણ કમાલ એ છે કે કોઈ યુદ્ધમાં સાથે નથી. યુક્રેન એકલું પડી ગયું છે અને તેનાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી [Volodymyr Oleksandrovych Zelenskyy] જાહેર કરતા રહે છે કે તેઓ દેશ છોડીને ક્યાં ય જવાના નથી, સાથે જ ભારતના વડા પ્રધાન મોદીને મદદ માટે ટહેલ પણ નાખે છે. ભારતની હાલત સાપે છછુંદર ગળ્યાં જેવી થઈ છે. ન ગળાય, ન કઢાય. યુક્રેનને મદદ કરે તો અમેરિકા ખુશ થાય ને ન કરે તો રશિયા ખુશ થાય. ભારત, અમેરિકા અને રશિયામાંથી કોઈને નારાજ કરી શકે એમ નથી. ભારત બોલે છે ખરું કે આ સમસ્યા રાજદ્વારી રીતે ઉકેલાવી જોઈએ. ભારત યુદ્ધની તરફેણ ન જ કરે, કારણ તેણે યુદ્ધો જોયાં છે ને બરાબર જાણે છે કે યુદ્ધ છેડવા જેવું નહીં, છોડવા જેવું જ હોય છે.

રશિયન પ્રમુખે વર્ષો પહેલાં યુક્રેન સાથે યુદ્ધ કરવાનો મનસૂબો ઘડી રાખેલો. તેનું એક કારણ રશિયાને ભય છે કે યુક્રેન નાટો (એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનિઝેશન) સાથે જોડાઈ જશે તો મૂડીવાદી દખલ ઘરઆંગણે જ વધી જશે. યુક્રેનની ભૌગોલિક રચના એવી છે કે તેનો એક ભાગ રશિયાને અડેલો છે, તો બીજે છેડે પૉલેન્ડ, હંગેરી, રોમાનિયા, સ્લોવાક જેવા છે જે રશિયન છાવણીના સ્વતંત્ર સામ્યવાદી રાષ્ટ્રો છે. યુક્રેનના પણ બે ભાગ છે જેમાંનો પૂર્વ ભાગ પોતાને રશિયાની નજીક માને છે ને પશ્ચિમ ભાગ યુરોપિયન યુનિયનની નજીક પોતાને ગણે છે. પૂર્વ યુક્રેનના ઘણા વિસ્તારો રશિયા સમર્થિત અલગતાવાદીઓના પ્રભાવમાં છે. રશિયાએ અહીં ડોનેત્સ્ક [Donetsk] અને લુહાન્સ્કને [Luhansk] અલગ દેશો તરીકે માન્યતા આપી છે. 2014માં ક્રિમિયા [Crimea] પર આક્રમણ કરીને તેને રશિયાએ પોતાની સાથે ભેળવી દીધું છે. આ ક્રિમિયા આમ તો 1954માં સોવિયેત સંઘના પ્રમુખ કૃષ્ચેવે યુક્રેનને ભેટ આપ્યું હતું, જેને રશિયાએ પડાવી લીધું. એ રીતે રશિયા ઘટતા જતા સામ્યવાદી પ્રભાવને વિસ્તારવાના પ્રયત્નો કરતું રહે છે, પણ તેને નાટોનો રશિયા તરફનો વિસ્તારવાદી પ્રયત્ન સ્વીકાર્ય નથી. જો યુક્રેન નાટો સાથે જોડાય તો રશિયા નાટો સમર્થિત દેશોથી ઘેરાઈ જાય ને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો રશિયાની લશ્કરી તાકાત ટાંચી જ પડે. યુક્રેન નાટો સાથે જોડાયું નથી, પણ જોડાય તો રશિયા એકલું પડે અને રાષ્ટ્રપતિ પુતિન વિશ્વ નેતા બનવા નીકળ્યા હોય તો એકલા કેવી રીતે પડે? આમ તો નાટોની રચના જ સોવિયેત સંઘની વિસ્તારવાદી નીતિને રોકવા થયેલી. થયેલું એવું કે 1939નાં બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘે પૂર્વી યુરોપના વિસ્તારોમાંથી પોતાની સેના હટાવવાની ના પાડી દીધી. 1948માં બર્લિનને પણ ઘેરી લીધું, એટલે અમેરિકાએ 1949માં નાટોની શરૂઆત કરી. શરૂઆતમાં એમાં અમેરિકા સહિત બ્રિટન, ફ્રાંસ, કેનેડા, ઇટલી જેવા 12 દેશો હતા, અત્યારે એમાં 30 દેશો છે ને યુક્રેનના જોડાવાની શક્યતાએ જ, પુતિનને યુક્રેન પર યુદ્ધ થોપવાની ફરજ પાડી છે. નાટોની નીતિ છે કે તેની સાથે જોડાયેલા દેશો પર કોઈ દેશ હુમલો કરે તો તેનું રક્ષણ એ બધાં જ દેશો કરશે જે તેની સાથે જોડાયેલા છે. હવે યુક્રેન નાટો સાથે જોડાય તો તેને નાટોનું રક્ષણ મળે ને તે સ્થિતિમાં રશિયા તેની સામે ટકી શકે નહીં. સોવિયેત સંઘ તૂટતાં 15 દેશો અલગ પડી ગયા ને એનાં એક ભાગ તરીકે રશિયા અસ્તિત્વમાં આવ્યું. દેખીતું છે કે એમ થતાં તેનો વિસ્તાર ઘટ્યો. એટલે સોવિયેત સંઘ સાથે સંકળાયેલા બીજા દેશો રશિયાની સાથે રહે તેવા પ્રયત્નો રશિયા કરે ને એમાં યુક્રેન કે અન્ય દેશો નાટો સાથે જોડાય તો એ દેશોથી ઘેરાવાનું રશિયાને માફક ન જ આવે તે સમજી શકાય તેવું છે. એટલે તેણે ફિનલેન્ડ અને સ્વીડનને સાફ શબ્દોમાં ધમકી આપી છે કે નાટો સાથે જોડાનારની ખેર નહીં રહે.

યુક્રેન એક તબક્કે યુનાઈટેડ સોવિયેત યુનિયન (યુ.એસ.એસ.આર.) સાથે જોડાયેલું હતું. 1917માં રાજાશાહીનો અંત આવ્યો અને સામ્યવાદી શાસન શરૂ થયું તેનાં બે વર્ષ પછી યુક્રેન યુ.એસ.એસ.આર. સાથે જોડાયું, પણ 1991માં યુ.એસ.એસ.આર. 15 દેશોમાં વહેંચાઈ ગયું ને રશિયા અસ્તિત્વમાં આવ્યું. રશિયાથી અલગ થનાર રાષ્ટ્રોમાં યુક્રેન પણ ખરું. તે નાટો સાથે જોડાય તેનો રશિયાને વાંધો છે, કારણ, તે જોડાય તો રશિયાની વિસ્તારની વાત તો બાજુ પર, પણ તેણે સંકોચાવાના દિવસો આવે. એટલે નાટોનો પ્રભાવ દૂર રાખવો જ પડે. એ પ્રભાવ તો જ રોકાય જો યુક્રેન નાટો સાથે જોડાતું અટકે. તેને જોડાતું અટકાવવા રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. આક્રમણ ચાર દિવસથી ચાલે છે ને યુક્રેન તબાહ થઈ રહ્યું છે. આક્રમણ થાય તો અમેરિકા અને નાટો યુક્રેનનાં સમર્થનમાં પડખે ઊભાં રહેશે એવી યુક્રેનનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની ધારણા હતી, પણ તે શરૂઆતમાં ઠગારી નીવડી. નાટો સમર્થિત બધા દેશોએ અને અમેરિકાએ રશિયન આક્રમણનો વિરોધ તો કર્યો, પણ યુદ્ધ તો યુક્રેને પોતાની તાકાત પર જ લડવાનું આવ્યું ને યુક્રેનની હાલત દાંત, નખ કાઢી લીધેલા વાઘ જેવી થઈ છે. રશિયાથી અલગ પડ્યા પછી તેની પાસે ન્યુક્લિયર બોમ્બ હતા. આમ તો રશિયાનું જાણીતું અણુમથક ચેર્નોબિલ પણ યુક્રેનમાં હતું, પણ અમેરિકા અને બ્રિટને યુક્રેનને રક્ષણની ખાતરી આપીને તેને અણુશક્તિ વગરનું કરી નાખ્યું ને હવે ખરેખરું યુદ્ધ સામે આવ્યું છે ત્યારે યુક્રેનની પડખે કોઈ નથી. મોંની વાતો તો ઘણાએ કરી, પણ હાથની તાકાત કોઇની મદદમાં નથી આવી. એટલે જ રશિયાને ફાવતું આવ્યું – આક્રમણ કરવાનું. તેને ખબર હતી કે યુક્રેન પાસે અણુશસ્ત્રો નથી ને હાલ તુરત તો તે એકલું જ છે એટલે તેણે શરૂઆત જ મિસાઈલ્સ ને બોમ્બમારાથી કરી. નાટો એટલે મદદ કરવા તૈયાર ન થયું, કારણ યુક્રેન હજી સુધી તેનું સભ્ય થયું નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ આમ પણ વિશ્વશાંતિની વાતો કરે છે, અરે ! તેનો હેતુ જ વિશ્વશાંતિનો છે, પણ તેણે ય ક્યાં ય સુધી તો કુલડીમાં જ ગોળ ભાંગ્યા કર્યો. સાચું તો એ છે કે અમેરિકા અને નાટો યુક્રેનનો રશિયા સામે ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રક્ષણની લાલચ આપીને યુક્રેનને રશિયા સામે તૈયાર કર્યું છે ને નાટો, અમેરિકા અને રશિયા, યુક્રેનના અખાડામાં દુનિયાને ખેલ બતાવી રહ્યાં છે. આખલાઓ લડે ને ઝાડનો ખો નીકળે એવો ખેલ ચાલે છે. યુદ્દની ખુવારી શરૂ થઈ ગયા પછી પણ અમેરિકા કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ મંત્રણા માટે જ ફાંફાં મારતા રહ્યાં છે ને ત્યાં પણ રશિયાએ વીટો વાપરીને બધા દેશોની બોલતી બંધ કરી દીધી છે. ભારતે પોતાનો મત ન આપીને છૂપી રીતે તો રશિયાને જ ટેકો કર્યો છે, પણ યુદ્ધની અસરનો ભોગ બનવાનું ભારતને જ વધારે આવે એમ બને, ખાસ કરીને કાચા તેલની વધી રહેલી કિંમત ભારતને રડાવે એમ લાગે છે. આ ઉપરાંત મોંઘવારી માઝા મૂકે એમ બને. એ તો આમે ય માઝા મૂકતી જ રહે છે.

યુક્રેનને યુદ્ધમાં સંડોવીને ઘણા દેશોએ મદદને નામે હાથ ઊંચા કરી દીધા હતા, તે છતાં ફ્રાંસ અને બ્રિટન સહિત 25 દેશોએ યુક્રેનને હથિયાર આપવાની વાત કરી છે. એ વાતે રશિયા વધારે ભુરાયું થયું છે. પુતિને તો ત્યાં સુધી કહી દીધું છે કે વિશ્વના દેશોની યુક્રેનમાં દખલ વધી કે અમારી સામે લશ્કરી કાર્યવાહી થઈ તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતાં પણ રશિયા અચકાશે નહીં. એની સામે અમેરિકી પ્રમુખ જો બાઈડને પણ સ્પષ્ટ કરી દીધું છે કે રશિયન અધિકારીઓ, વેપારીઓ, બેન્ક અને ઈકોનોમિક સેક્ટર પર પ્રતિબંધો લાગુ થશે. જે દેશ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ વર્તે છે તેણે તેમ કરવા બદલ કિંમત ચૂકવવી પડે છે એમાં  રશિયા પણ અપવાદ નથી. આમ તો રાજકીય કે આર્થિક પ્રતિબંધો એ ઇતિહાસમાં સૌથી વ્યાપક પ્રતિબંધો છે, પણ આ પ્રતિબંધો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય એમ બને. એટલે અમેરિકા અને તેનાં સહયોગી દેશો અને યુરોપીય દેશો સક્રિય તો થયા છે, પણ આ સક્રિયતાથી ડરવાને બદલે પુતિન વધુ ઝનૂની બન્યા છે ને એ ઝનૂન યુક્રેન પર વધુ જોખમી રીતે પુરવાર થઈ રહ્યું છે. પુતિનનું કહેવું છે કે 50 હજાર રશિયન સૈનિકોનો ભોગ લેવાય કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવો પડે તો તેમ કરીને પણ યુક્રેન જીતવું છે, તો યુક્રેનનો પણ દાવો છે કે યુદ્ધમાં રશિયન 4,300 સૈનિકો માર્યા ગયા છે અને 146 ટેન્ક, 27 ફાઇટર જેટ અને 26 હેલિકોપ્ટરોનો ખાતમો બોલાવી દેવાયો છે. સાચું ખોટું તો એ જાણે, પણ યુક્રેનના હોય કે રશિયાના, મરે છે તે માણસો છે ને એમાંના ઘણા તો એટલા નિર્દોષ હોય છે કે એમને ખબર જ નથી પડતી કે તેઓ કયાં કારણે મરી રહ્યાં છે ! કોઈ પણ યુદ્ધમાં જીતનાર ને મૃત્યુ પામનાર એક નથી. એ કેવી મોટી વિટંબણા છે કે જે જીતે છે તે મરતો નથી ને જે મરે છે તે જીતતો નથી.

આમ રશિયાનું યુક્રેન પર વરસવાનું એક માત્ર કારણ એ ભય છે કે તે નાટો સાથે જોડાશે તો તેની સાથેના સંલગ્ન દેશોથી તેને ઘેરાઈ જવાનું થશે. આ ભય યુદ્ધને યુક્રેન પૂરતું સીમિત નહીં રાખે ને જોખમો બીજા દેશો પર વધારે એમ બને. પ્રાર્થના એટલી જ કરવાની રહે કે યુક્રેન ત્રીજા વિશ્વયુદ્ધનું નિમિત્ત ન બને !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ફેબ્રુઆરી 2022

Loading

28 February 2022 રવીન્દ્ર પારેખ
← હિન્દુત્વમીમાંસાઃ દર્શનના બદલે (ઘૃણા) પ્રદર્શન, પ્રમાણના બદલે અદૃશ્ય
ઉત્તર પ્રદેશનો વિકાસ →

Search by

Opinion

  • ‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
  • મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 
  • ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  
  • વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો
  • પાયમાલ થઇ ગઇ… 

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved