Opinion Magazine
Number of visits: 9553997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આયોજન અકસ્માત રોકે / હેરાનગતિ રોકે / ખર્ચ રોકે !

રમેશ સવાણી|Diaspora - Features|27 July 2025

25 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે અમે આગળના પ્રવાસે રવાના થયા. હવે અમારું ડેસ્ટિનેશન Denver છે; જે Colorado રાજ્યની રાજધાની છે. 

James William Denver (1817-1892) અમેરિકન રાજકારણી, સૈનિક અને વકીલ હતા. તેમણે કેલિફોર્નિયા રાજ્ય સરકારમાં, બે યુદ્ધોમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં અધિકારી તરીકે અને કેલિફોર્નિયાથી યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ડેમોક્રેટિક સભ્ય તરીકે સેવા આપી હતી. તેમના નામ પરથી આ શહેરનું નામ ‘ડેનવર’ પડ્યું છે.

વ્યોમિંગમાં, ઇન્ટરસ્ટેટ હાઇવે-80ની બાજુમાં કિલોમીટર સુધી લાકડાની બેરિયર જોઈ – સ્વાભાવિક પ્રશ્ન થયો કે આવી છૂટક છૂટક બેરિયર કરવાની જરૂર કેમ પડી હશે? 

આ વાડને ‘snow fences’ પણ કહે છે. આ વાડનો હેતુ ઇન્ટરસ્ટેટ હાઈવે 80 પર સ્નો ન આવે તે માટે ઊભી કરેલ છે. શિયાળાના હવામાન દરમિયાન રસ્તાઓને સુરક્ષિત અને પસાર થવા યોગ્ય રાખવા આ છૂટક છૂટક વાડ ઊભી કરી છે. આ વાડ પવનને રીડાયરેક્ટ કરવા અને રસ્તાથી દૂર બરફના પ્રવાહો બનાવવા માટે વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવે છે. આ વાડ બરફના પ્રવાહને ઘટાડવા, દૃશ્યતા સુધારવા અને બરફની રચનાને રોકવા માટે રસ્તાને ગરમ રાખવામાં અસરકારક રહી છે. વાડના સ્લેટ્સ પવનને પસાર થતાં ધીમો પાડે છે. અને પછી પવન તેના વહન કરતા સ્નોનો થોડો ભાગ નીચે ફેંકી દે છે.

કિલોમીટર અને કિલોમીટર સુધી આવી વાડ ઊભી કરવાનો ખર્ચ કઈ રીતે પોસાય? આવો પ્રશ્ન થાય. પરંતુ શિયાળામાં હાઈવે પર સ્નો વધુ જામે તો તેને દૂર કરવાનો ખર્ચ વધારે થાય છે. વળી રોડ પર સ્નો જામી જાય તેથી અકસ્માતો થાય તે ખર્ચ યાય. અકસ્માત ઓછા થાય તો ખર્ચ બચે. શિયાળામાં આ fences હાઈવેને સાફ રાખવામાં મદદ કરે છે. 

આયોજન અકસ્માત રોકે / હેરાનગતિ રોકે / ખર્ચ રોકે. આયોજનનો અભાવ સમસ્યાઓ સર્જે. આપણે ત્યાં આયોજનનો અભાવ તો છે જ, ઉપરાંત ભ્રષ્ટાચારના કારણે સમસ્યાઓ ઓછી થતી નથી ! આપણે ત્યાં વરસાદ શરૂ થાય ત્યાં જ રોડમાં ખાડા પડી જાય છે ! નદીનું પાણી દેખી પુલ ભડકી જાય છે ! રોડ પર ગાયો / આખલાઓના કારણે અકસ્માતો થાય છે. ફરિયાદ કરો તો પોલીસ ફરિયાદીને જ આરોપી બનાવી દે છે ! આવું યુનાઇટેડ સ્ટેટ્સમાં થતું નથી. કદાચ આ કારણે જ અમેરિકાના વિઝા મેળવવા આપણે ત્યાં લાઈન લાગે છે !

26 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૩૦) 

સુમન શાહ|Opinion - Opinion|27 July 2025

સુમન શાહ

કોઈ મને પૂછે કે – તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો, તો હું શું કહું એને? આમ તો તરત કહી દેવાય કે ભારતીય કે અમેરિકન, અથવા ભારતીય-અમેરિકન. પણ એ બીજો પ્રશ્ન પૂછે કે ભારતીય એટલે શું, અમેરિકન એટલે શું, તો એના શા ઉત્તરો આપવા? 

પણ એ ભાઈને એક પ્રશ્ન હું પૂછું કે સંસ્કૃતિ એટલે શું, તો એ મને શો ઉત્તર આપશે? 

અને જો ઉત્તર આપશે તો સૌ પહેલાં ધર્મને કેન્દ્રમાં મૂકશે. પણ હું એને પૂછું કે ધર્મ કોને કહેવાય, તો માથું ખંજવાળીને કહેશે, વેદો પુરાણો. કંઈક વધારે જાણતો હશે તો ઉમેરશે, ઉપનિષદો. 

ગઈ કાલે એ ભાઈ ફરીથી મળ્યો. મને કહે, પ્રાથમિકથી માંડીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ધર્મનું શિક્ષણ આપવાથી સંસ્કૃતિનો વિકાસ થાય. કેળવણીથી ધર્મસંસ્કાર મજબૂત થાય, ખીલે. સંસ્કારોનો વિકાસ એટલે સંસ્કૃતિ. હવે એના ચિત્તમાં ધર્મ + કેળવણી + સંસ્કારોની ખીચડી રંધાતી હતી. મેં એને પૂછ્યું : તમે કઈ યુનિવર્સિટીમાં ભણેલા? : ના રે, હું તો મૅટ્રિક પાસ છું. પણ એક આર્ટિકલ વાંચ્યો, એમાં આવુંબધું લખેલું છે : મેં કહ્યું, ભલે, આવજો, મળતા રહીશું. 

સંસ્કૃતિ વિશેની લોકમાન્યતામાં ‘આવુંબધું’ છે. સંખ્યાબંધ લોકો ધર્મના શિક્ષણનો આગ્રહ કરવા લાગ્યા છે, એ કાજે ગીતા બાઇબલ અને કુરાનને ધરી રહ્યા છે. થોડું વધુ જાણનારા લોકો ઋષિના આશ્રમોને ગુરુકુળ પ્રથાને બૉમ્બે બરોડા પૂણે જેવાં કીર્તિવન્ત વિદ્યાધામોને યાદ કરે છે. 

સંસ્કૃતિરક્ષા અને જ્ઞાનસંવર્ધન માટે આજકાલ એક શબ્દ રણકતો થયો છે, knowledge systems. મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશને ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ્સ IKSની સ્થાપના કરી છે. સદીઓ દરમ્યાન વિકસેલા ભારતીય જ્ઞાનવારસાના પુન:પ્રસરણ અને દૃઢીકરણ માટેની એ વ્યવસ્થાનું સ્વાગત થવું જોઈએ. 

અસ્તિત્વ, ચેતના અને તર્કબુદ્ધિના વિષયમાં શોધન-સંશોધન શીખવતાં વેદાન્ત, ન્યાય, સાંખ્ય; આર્યભટ્ટ અને ભાસ્કરની યાદ આપતી વૈદિક ગણિતવિદ્યા; ગ્રહો-ઉપગ્રહોની ગતિવિધિ સાથે સંકળાયેલી જ્યોતિષવિદ્યા; સ્થાપત્યકલાનો પરામર્શ આપતું વાસ્તુશાસ્ત્ર; સમગ્ર આયુર્વેદ; કૃષિશાસ્ત્ર; અર્થશાસ્ત્ર; રાજનીતિશાસ્ત્ર; ભાષાના વૈજ્ઞાનિક પદ્ધતિના નિદર્શનોમાં પ્રાચીનતમ એવું પાણિનીનું વ્યાકરણ કે ભરત મુનિથી માંડીને અભિનવગુપ્ત આનન્દવર્ધન કુન્તક જગન્નાથ કે વિશ્વનાથ વડે વિકસેલું સ્વયંસમ્પૂર્ણ કાવ્યશાસ્ત્ર — આ સઘળા બહુમૂલ્ય વારસામાં મને કે કોઈપણ બુધી જનને રસ પડે જ પડે. એટલે IKS માટે ભારતવાસી વિદ્વાનો અને અધ્યેતાઓએ અથાગ પરિશ્રમ કરવો પડે એ હકીકત છે, અને એ વિશે બહુ કહેવું મને જરૂરી નથી લાગતું. 

અન્યથા, એ માત્ર વારસો છે, માત્ર સ્મૃતિ છે, માત્ર ભૂતકાળ છે, માત્ર ઇતિહાસ છે. એ હકીકત વિશે પણ વધુ કહેવું બિનજરૂરી છે. 

સવાલ ઊભો રહે છે કે સંસ્કૃતિ એટલે શું? ધર્મ અને અન્ય વિષયના જ્ઞાની હોવું તે? ના! હું જો ધર્માનુસારી આચરણ નથી કરતો, હું જો જ્ઞાનાનુસારી જીવન નથી જીવતો, તો હું શી રીતે સંસ્કારી? કઈ સંસ્કૃતિનો અનુયાયી? લોકો મન્દિરો મસ્જિદો ને દેવળોમાં સંસ્કૃતિ ભાળે છે. પણ એ તો મકાનો છે. ઘરના ખૂણે પૂજાપાઠ સ્તુતિ કે પ્રાર્થના કરતો એક સામાન્ય જન મન્દિરે નથી જતો, તો એને શેમાં ગણીશું?

સંસ્કૃતિની વ્યાખ્યામાં રાજાઓ અને રાજશાસન પણ આવે. અશોક અને અકબરે યુદ્ધો કરીને સૅંકડોને હણ્યા પણ રાજ સાચવ્યું ને પ્રજાને સુરક્ષિત રાખી. બન્ને ગ્રેટ ગણાયા. એ ગ્રેટનેસનું કઈ સંસ્કૃતિ સાથે જોડાણ છે? ભલે, લોકશાહીમાં શું? ધોરી માર્ગો? સુરક્ષિત વાહનવ્યવસ્થા? ઓછા દરના કરવેરા? એ છે સંસ્કૃતિવિકાસ? એના વાહક રાજકારણીઓ મતપ્રાપ્તિ પછી જાતે એવું શું કરે તો સંસ્કૃતિરક્ષક કહેવાય? 

અમેરિકામાં પાર્કમાં મળી જતી ગર્ભવતી ભારતીય મહિલાને હું પ્રણામ ન કરી શકું કે અમેરિકન પડોશીની સેરેબ્રલ પાલ્સી ધરાવતી બાળકી માટે પ્રાર્થના ન કરી શકું, તો હું શી રીતે ભારતીય સંસ્કૃતિજન? અમદાવાદનો એક મજૂર સવારથી સાંજ સુધી પૂરી પ્રામાણિકતાથી શરીરશ્રમ કરે છે, એ સંસ્કારી નથી તો શું છે? વડોદરાનો એક સાહિત્ચચિન્તક સવારથી સાંજ સુધી પશ્ચિમની દુનિયાની જ્ઞાનસરિતાઓએ સરજેલા જ્ઞાનસાગરમાં નિમજ્જિત રહે છે, એ સંસ્કારી નથી? 

વાત એમ પણ છે કે મનુષ્ય આજે ઇતિહાસનું માત્ર ગૌરવજ્ઞાન નથી કરી શકતો. હું વર્તમાનને અને દૈનંદિનીય વાસ્તવિકતાને તાબે થઈને જ જીવી શકું છું. 

‘ટેસ્લા’ કારમાં ‘હનુમાનચાલીસા’ સાંભળું તે સાથે ‘વોલ્માર્ટ’ પ્હૉંચી જઉં એ દરમ્યાન વડોદરામાં મિત્ર જોડે વ્હૉટ્સૅપિન્ગ પણ કરી લઉં. AI – આધારિત વિજ્ઞાન અને ટૅક્નોલૉજિએ આજે માણસના ભાણામાં અનેક વસ્તુઓ પીરસી દીધી છે. 

એનું એક પરિણામ છે ભૂતકાળ સાથે સતત વિકસતો વિચ્છેદ – discontinuity with the past. બીજું પરિણામ છે સમજદારી અને કાર્ય વચ્ચે વિચ્છેદ – a split between understanding and action. મને હવે ખબર છે કે ગીતામાં કર્મફળનો સિદ્ધાન્ત છે – કર્મ કરવું પણ એના પરિણામને વિશે ઉદાસીન રહેવું. આ વાત મારી સમજદારીમાં બરાબર બેસી ગયેલી છે, એ માટે મારે ગીતાપારાયણ કરવાની, એટલે કે એ actionમાં ઊતરવાની હવે જરૂર નથી. વાત એ રીતે વિકસે છે કે ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્ત વિશે જ ઉદાસીન થઈ જઉં છું! મને એ માત્ર એક philosphical narrative લાગે છે, અને એ પછી ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્તનો પ્રતિસિદ્ધાન્ત anti-thesis શોધવા માંડું છું! 

અમેરિકામાં માણસ ઘરની બહાર પગ મૂકે એટલે એનું નાગરિકજીવન શરૂ થાય છે. એ કયો ધર્મ કઇ જાતિ કે વંશસૂચક કઇ અટક ધરાવે છે એ વીગતો ગૌણ બની જાય છે. આ નગરસભ્યતાથી ઊભી થતી સંસ્કૃતિમાં એકે ય ધર્મ નથી. ધર્મનો અર્થ કર્તવ્ય duty કરીએ, તો પેટમાં શું દુખે? ધર્મ એટલે, ફરજ, જવાબદારીનું પાલન. હું ચાલવા નીકળું છું તો ચીની દમ્પતી મને પૂછે કે આટલા દિવસથી કેમ દેખાતા ન્હૉતા, દક્ષિણ ભારતની કે તળ અમેરિકાની વ્યક્તિ કશા જ વિશિષ્ટ ઓળખાણ વિના પૂછે કે કેમ દેખાતા નથી, તો એ સંસ્કારી નથી? મને એ દમ્પતીનાં કે એ વ્યક્તિઓનાં નામોની ય ખબર નથી, એમને પણ મારા નામની ખબર નથી. 

આને માનવસંસ્કૃતિ કહેવાનો રિવાજ હતો. પણ ત્યારે માનવસંસ્કૃતિનું રસાયણ સરેરાશ માનવ્ય હતું. નગરસભ્યતાથી ઊભી થયેલી સંસ્કૃતિમાં તો વૈયક્તિક માનવ્ય શિરમોર સત્ય છે.  

હું સંસ્કૃતિની ચીલાચાલુ વ્યાખ્યામાં બેસે એવું નથી જીવતો એટલે કહી દઉં કે મારે કોઈ સંસ્કૃતિ નથી, તો ચાલે? હું પેલા ભાઈને પૂછીશ, જો મળશે તો.

= = =

(260725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—299

દીપક મહેતા|Opinion - Opinion|26 July 2025

જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય તો કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?

૧૯૭૦માં આવેલી ફિલ્મ હમજોલી, ૧૯૭૬માં આવેલી બૈરાગ, ૧૯૮૩માં આવેલી મહાન, ૧૯૮૪માં આવેલી જોન જાની જનાર્દન, ૧૯૯૬માં આવેલી ઇંગલિશ બાબુ દેશી મેમ, ૨૦૦૮માં આવેલી ઓયે લકી! લકી ઓયે! અને નાણાવટી મર્ડર કેસ વચ્ચે કઈ બાબત સરખી છે? ના. આમાંની એકે ફિલ્મ આ કેસ પરથી બની નથી. તો? આ બધી ફિલ્મોમાં એક જ એક્ટરે એક નહિ, બે નહિ, પણ ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ એક્ટરો તે અનુક્રમે મેહમૂદ, દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન, અને પરેશ રાવળ. આ બધાએ ત્રણ ત્રણ પાત્રો ભજવ્યાં હતાં. પણ નાણાવટી ખૂન કેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ તો વાસ્તવિક જીવનમાં ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ વ્યક્તિ તે કાર્લ જમશેદ ખંડાલાવાલા. 

રોયલ ઇન્ડિયન એર ફોર્સના પાઈલટ કાર્લ ખંડાલાવાલા

૧૯૦૪ના માર્ચની ૧૬મીએ જન્મ. ૧૯૯૫ના ડિસેમ્બરની ૨૩મી તારીખે બેહસ્તનશીન થયા. તેમણે પહેલી ભૂમિકા ભજવી તે રોયલ ઇન્ડિયન એર ફોર્સના પાઈલટની. ખંડાલાવાલાએ અગાઉ સિવિલ ફ્લાઈંગ (પાઈલટ તરીકેનું) લાઈસન્સ મેળવ્યું હતું. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી રોયલ ઇન્ડિયન એર ફોર્સને પાઈલટની તાતી જરૂર જણાવા લાગી. ૧૯૪૦ના ઓગસ્ટની પહેલી તારીખે એક દિવસ માટે તેણે નવા પાઈલટની ભરતી કરી. આવા કુલ ૭૨ પાઈલટને રોયલ ઇન્ડિયન એરફોર્સમાં દાખલ કરવામાં આવ્યા. ખંડાલાવાલા તેમાંના એક. આ બધાને વધુ ટ્રેનિંગ માટે લાહોર મોકલવામાં આવ્યા. ખંડાલાવાલા પણ ગયા. પણ પછી, કારણ તો જાણવા મળતું નથી, પણ એ જ વરસના નવેમ્બરની ૩૦મી તારીખથી ખંડાલાવાલા રોયલ ઇન્ડિયન એર ફોર્સમાંથી છૂટા થયા. 

ભારતીય કલાઓના અભ્યાસી અને સંગ્રાહક કાર્લ ખંડાલાવાલા

જીવનભર ભજવેલી બીજી અને ત્રીજી ભૂમિકા વિષે ખંડાલાવાલા ઘણી વાર કહેતા : “કલા એ મારો વ્યવસાય છે. કાયદો એ તો એક શોખ છે.” કલાસમીક્ષા અને કાયદો, બંને ક્ષેત્રે તેઓ લગભગ જીવનના અંત સુધી કાર્યરત રહ્યા. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ચિત્રો, મૂર્તિઓ, ચીજ વસ્તુઓનો તેમનો વિશાળ સંગ્રહ જેટલો પૈસાને આધારે નહિ, તેટલો જ્ઞાન અને સમજણને આધારે ઊભો થયો હતો. તેમના એક નજીકના સગા બરજોર ટ્રેસુરવાલા પાસે મિનિયેચર પેઇનટિંગનો મોટો સંગ્રહ. છેક ૧૯૨૧થી એ સંગ્રહનો અભ્યાસ કરવાની ખંડાલાવાલાને તક મળી. પછીનાં સોળ વરસમાં એક બાજુ વકીલોનું કાશી-કરબલા ગણાતા મિડલ ટેમ્પલ, ઇન્સ ઓફ કોર્ટ, લંડનમાંથી બાર-એટ-લો બન્યા. તો બીજી બાજુ ભારતીય કલાકૃતિઓના અભ્યાસ અને સંગ્રહ માટે આખા હિન્દુસ્તાનમાં ફરી વળ્યા. ૧૯૩૭થી પોતાનો અંગત કલાસંગ્રહ ઊભો કરવાનું શરૂ કર્યું. ૧૯૫૦માં દિલ્હીના નેશનલ મ્યુઝિયમની ‘આર્ટ પરચેઝ કમિટિ’ના સભ્ય નિમાયા એ સાથે અંગત સંગ્રહ માટેને ખરીદી બંધ કરી. જેથી conflict of interestને નામે કોઈ તેમની સામે આંગળી ચિંધી ન શકે. પણ સાથોસાથ ભારતીય કલા વિશેનાં પુસ્તકોનો અંગત સંગ્રહ કરવાનું શરૂ કર્યું. વખત જતાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ બન્યા. પોતાનો ખૂબ મૂલ્યવાન કલા-સંગ્રહ તેમણે આ મ્યુઝિયમને ભેટ આપી દીધો. આ સંગ્રહને માટે ખાસ એક અલાયદી ગેલેરી ઊભી કરીને મ્યુઝિયમે તેને નામ આપ્યું ‘કાર્લ અને મેહરબાઈ ખંડાલાવાલા ગેલેરી’. ૨૦૧૨ના એપ્રિલની દસમી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. ભારતીય કલા વિશેનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં, દેશ-વિદેશમાં પ્રવચનો આપ્યાં. ૧૯૭૦માં તેમને પદ્મશ્રીનું બહુમાન ભારત સરકાર તરફથી મળ્યું અને ૧૯૮૦માં દિલ્હીની લલિત કલા અકાદમીના ફેલો બન્યા.

પણ હવે કલાની હદ ઓળંગીને પાછા જઈએ કાયદાની સરહદમાં. 

અદાલત ફરી મળી ત્યારે ઇન્ડિયન નેવીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર માઈકલ બેન્જામીન સેમ્યુઅલને જુબાની માટે બોલાવવામાં આવ્યા. 

જજ મહેતા : ૨૭ એપ્રિલની બપોરે શું થયું હતું એ વિગતે જણાવો.

કમાન્ડર સેમ્યુઅલ : ન્યૂ ક્વીન્સ રોડ પર આવેલા ‘મૂન લાઈટ’ નામના મકાનમાં ભોંય તળિયે આવેલા ફ્લેટમાં હું રહું છું. મારા સ્ટડી રૂમની બારી બરાબર રસ્તા પર ખૂલે છે. તે દિવસે બપોરે હું બારીમાં ઊભો હતો. મેં એક માણસને મારા ઘર તરફ આવતો જોયો. જરા પાસે આવતાં મેં તેને ઓળખ્યો. એ હતા કમાન્ડર નાણાવટી. તેઓ હાંફળા ફાંફળા જણાતા હતા. તેઓ બારી પાસે આવ્યા અને મને કહ્યું : Something very terrible has happened. 

સેમ્યુઅલ : પણ થયું છે શું એ તો કહો.

નાણાવટી : મને પૂરેપૂરી ખાતરી નથી પણ મોટે ભાગે મેં મારી પિસ્તોલમાંથી ચલાવેલી ગોળીને કારણે એક માણસ મરાયો છે.

સેમ્યુઅલ : પણ આવું બન્યું કઈ રીતે?

નાણાવટી : એ માણસે મારી પત્નીને ભોળવી હતી. બંને વચ્ચે લફરું ચાલતું હતું. અને આવું હું કોઈ રીતે સાંખી ન શકું. 

સેમ્યુઅલ : એ રિવોલ્વર ક્યાં છે?

નાણાવટી : મારી મોટરમાં.

સેમ્યુઅલ : તમે ઘરમાં આવો. અને મને વિગતવાર કહો કે શું થયું છે.

નાણાવટી : ના. થેંક યુ. મારે જવું જોઈએ. મને એ કહો કે મારે આ બાબત કોને જણાવવી જોઈએ?

સેમ્યુઅલ : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને.

નાણાવટી : પ્લીઝ, તમે તેમને ફોન કરીને કહેશો કે હું તેમને મળવા આવું છું.

સેમ્યુઅલ: હા, જરૂર.

સેમ્યુઅલ : પછી નાણાવટી તેમની મોટર તરફ ચાલવા લાગ્યા. પણ થોડુંક ચાલીને પાછા આવ્યા. 

નાણાવટી : મારું એક કામ કરશો? ઘરની ચાવીઓનો આ ઝૂડો મારી પત્ની સિલ્વિયાને પહોંચાડશો?

સેમ્યુઅલ : મેં હા પાડી. પછી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને ફોન કરીને કહ્યું કે કમાન્ડર નાણાવટી તમને મળવા આવે છે. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક માણસ પર ગોળી ચલાવી છે. આ બનાવ રિપોર્ટ કરવા તે તમારી પાસે આવે છે. તેઓ પોતાની કાર જાતે ચલાવીને આવે છે.  

પછી તમે ચાવીઓ મિસિસ નાણાવટીને પહોંચાડી?

ના, જી. કારણ હું તેમનો કોનટેક કરી શક્યો નહિ. સાંજે એક સી.આઈ.ડી. ઓફિસર મારી પાસે આવ્યા અને ચાવીઓ સોંપી દેવા મને જણાવ્યું એટલે મેં એ ચાવીઓ તેમને સોંપી દીધી.

રામ જેઠમલાની : શું તમે નાણાવટીના ઉપરી છો?

સેમ્યુઅલ : ના, જી. અમારી બંનેની રેન્ક સરખી છે. પણ નોકરીનાં વરસોની બાબતમાં તેઓ મારા સિનિયર છે.

રામ જેઠમલાની : શું તમે એમ કહેવા માગો છો કે આ બધી વાત તમને પૂરી સ્વસ્થતાથી કરી હતી?

સેમ્યુઅલ : ના, જી. તેઓ બિલકુલ અસંબદ્ધ બોલતા હતા. વચમાં વચમાં અચકાતા હતા. પહેલાં તો તેઓ શું કહેવા માગે છે એ હું સમજી શક્યો નહોતો.

* 

ઘટનાસ્થળે શું બન્યું હશે તેની રજૂઆત કરતાં બચાવ પક્ષે તૈયાર કરેલાં ચિત્ર

આ કેસ શરૂ થયો ત્યાં સુધીમાં ડેપ્યુટી કમિશનર લોબોની બદલી અમદાવાદના સિનિયર જિલ્લા  સુપરિનટેન્ડટ ઓફ પોલીસ તરીકે થઈ ચૂકી હતી. તેમને જુબાની માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું :

લોબો : બનાવને દિવસે હું બોમ્બે પોલિસની ક્રાઈમ બ્રાંચમાં ડેપ્યુટી પોલિસ કમિશનર તરીકે ફરજ પર હતો. સાંજે પોણા પાંચના સુમારે મને કમાન્ડર સેમ્યુઅલનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે મારી સલાહ પ્રમાણે કમાન્ડર નાણાવટી તમારી પાસે સરન્ડર કરવા આવે છે. 

લોબો : કમાન્ડર નાણાવટી સાથે બીજું કોઈ છે? ડ્રાઈવર, કે એસ્કોર્ટ?

સેમ્યુઅલ : ના. તેઓ જાતે પોતાની ગાડી ચલાવીને આવે છે. 

લોબો : પછી મેં ક્રાઈમ બ્રાન્ચના સુપરિન્ટેન્ડન્ટ કોરડે અને ઇન્સ્પેક્ટર મોકાશેને બોલાવ્યા. થોડી વાર પછી બહાર કોઈકના બોલવાનો અવાજ સંભળાયો : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોની ઓફિસ ક્યાં છે? મેં એ માણસને અંદર બોલાવ્યો. અંદર આવીને કમાન્ડર નાણાવટી મારી સામેની ખુરસીમાં બેસી ગયા. અને જે કાંઈ બન્યું હતું તે જણાવ્યું. એ વખતે કોરડે અને મોકાશે બંને હાજર હતા. સ્ટેટમેન્ટ નોંધાવ્યા પછી કમાન્ડર નાણાવટીએ કહ્યું કે સર્વિસ રિવોલ્વર અને વધેલી ગોળીઓ મારી મોટરમાં છે. મેં નાણાવટીને તાબામાં લેવા મોકાશેને કહ્યું અને નાણાવટીને સાથે લઈ જઈને પંચનામું કરીને તેમની મોટરમાંથી રિવોલ્વર અને ગોળીઓ જપ્ત કરવા જણાવ્યું. 

પછીના સાક્ષી હતા ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સપેકટર ગૌતમ. તેમણે જણાવ્યું કે બનાવના દિવસે હું મારબાવડી ખાતેના મારા ઘરે હતો ત્યારે સાંજે લગભગ સાડા પાંચ વાગે મને મારા ગામદેવી પોલીસ સ્ટેશન પર ડ્યૂટી માટે તાબડતોબ હાજર થવા જણાવાયું હતું. સેતલવડ રોડ પરના એક મકાનમાં ગોળીબારની ઘટના બની છે એમ મને કહેવામાં આવ્યું. લગભગ ૫.૩૫ કલાકે હું જીવન જ્યોત બિલ્ડિંગમાં પહોંચ્યો. ત્યારે આહુજાનું મોત થઈ ચૂક્યું હતું. 

‘તમે ત્યાં પહોંચ્યા પછી શું કર્યું?

‘કાયદા પ્રમાણે પંચનામાની વિધિ કરી. મરનારના શરીર પર એક માત્ર લાલ ટુવાલ વીટાળેલો હતો. 

‘જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય, અથવા મરનારે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હોય, તો કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?’

‘સાધારણ રીતે નહિ.’

‘અચ્છા. તમે બીજું શું શું જોયું?’

મરનારની છાતીના વચલા ભાગમાં, માથાની ડાબી બાજુએ અને ડાબા હાથની હથેળી પર ટચલી આંગળી નજીક ઘાનાં નિશાન હતાં. બેડ રૂમમાનું બધું જ ફર્નિચર વ્યવસ્થિત હતું. બેડ રૂમની અંદર આવેલા બાથ રૂમની બારીના કાચનો ઉપલો ભાગ તૂટી ગયો હતો. તેના ટુકડા નીચે જમીન પર પડ્યા હતા. બનાવના સ્થળેથી બે વપરાયેલી કારતૂસ, એક જોડ ચશ્માં, અને એક ચંપલ મળી આવ્યાં હતાં. જ્યારે બીજું ચંપલ બેડ રૂમમાં આવેલા પલંગ નજીકથી મળી આવ્યું હતું. બાથ રૂમની પશ્ચિમ બાજુની દીવાલ પર લોહીના ડાઘ હતા. બાથ રૂમના બારણા પર અને તેના હેન્ડલ પર પણ લોહીના ડાઘ હતા. બેડ રૂમમાં આવેલા કબાટના એક ખાનામાંથી મને ૨૬ પત્રો અને બે ફોટોગ્રાફ મળી આવ્યા હતા. એક મોટા કવરમાં એ મૂકેલા હતા. આ ઉપરાંત, જુદા જુદા પ્રકારનો દારુ ભરેલી બાટલીઓ તથા કેટલીક ખાલી બાટલી મળી આવી હતી. બેડ રૂમમાં આવેલા કબાટ ઉપર રાખેલી એક સૂટ કેસમાં આ બધી બાટલીઓ રાખવામાં આવી હતી. આ ઉપરાંત પીળા રંગના કાગળનું એક મોટું કવર મળી આવ્યું હતું જેના પર લખ્યું હતું : લેફ્ટનન્ટ કમાન્ડર કે.એમ. નાણાવટી. પંચનામું કરીને મેં આ બધી વસ્તુઓ તાબામાં લીધી હતી. આ બનાવ અંગે વધુ તપાસ કરવાનું કામ મેં ઇન્સ્પેક્ટર મોકાશીને સોંપ્યું હતું. 

વકીલ : તમે કહ્યું કે બાથ રૂમની બારીનો એક કાચ તૂટેલો હતો અને તેના ટુકડા બાથ રૂમની ભોંય પર પડ્યા હતા. 

તો તમે એ ટુકડા તાબામાં લીધેલા કે નહિ?

 ના, જી. 

કેમ?

પંચનામામાં તેની નોંધ લેવાનું મને જરૂરી લાગ્યું નહોતું, એટલે. મને જરૂરી લાગી તેટલી વસ્તુઓની જ મેં પંચનામામાં નોંધ લીધી હતી.

તમે આખા ઘરની તલાશી લીધી હતી?

ના, જી. મેં માત્ર બેડ રૂમ અને તેમાં આવેલા બાથ રૂમની જ તલાશી લીધી હતી. 

અચ્છા. તો બેડ રૂમ અને બાથ રૂમની દીવાલો પર ક્યાં ય ગોળીનાં નિશાન હતાં? 

ના, જી. જો મેં જોયાં હોત તો પંચનામામાં નોંધાવ્યાં હોત.

આહુજાના મોત માટે જવાબદાર ગણી શકાય એવી કોઈ વસ્તુ કે હથિયાર તમને બનાવવાળી જગ્યાએથી મળી આવ્યાં હતાં?

ના, જી. મળી આવ્યાં હોત તો મેં પંચનામામાં નોંધ કરાવી હોત.

આ તબક્કે પંચનામામાં નોંધાયેલી વસ્તુઓ અદાલતમાં રજૂ કરવામાં આવી જે ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ગૌતમે ઓળખી બતાવી હતી.

અદાલતની કારવાઈ પૂરી થાય તે પહેલાં જજ મહેતાએ જાહેરાત કરી કે આવતી કાલે અદાલત, તેના કેટલાક કર્મચારીઓ, તથા લાગતાવળગતા વકીલો જીવન જ્યોત બિલ્ડિંગમાં આવેલા ઘટના સ્થળની મુલાકાત લેશે એટલે અદાલતમાંની આગળની કારવાઈ તે પછીના દિવસ પર મુલતવી રાખવામાં આવે છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 જુલાઈ 2025 

Loading

...102030...149150151152...160170180...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved