Opinion Magazine
Number of visits: 9842716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|30 October 2025

હેમન્તકુમાર શાહ

મુંબઈના બોરીવલી ઇસ્ટમાં આવેલા એક ભવ્ય સ્કાય સિટી મોલમાંના આઇનોક્સ થિયેટરમાં આશરે ૭૦ જેટલા ઉચ્ચ વર્ગીય દર્શકોની હાજરી સાથે આજે સવારે ૧૦.૪૫ના શોમાં એક મૂવી જોયું : ‘જોલી એલએલ.બી. ૩’.

એમાં છેલ્લે અર્શાદ વરસી અદાલતમાં જજને પૂછે છે કે દિલ્હીમાં વિકાસના એક પ્રોજેક્ટ માટે તેમનું એક ઘર સરકારને આપી દેવાનું તેઓ પસંદ કરશે?

“ના.” 

“કેમ?” 

જજ કહે છે : “મારી મરજી.”

આવા જ સવાલો અર્શાદ વરસી અગાઉ ‘બિકાનેર ટુ બોસ્ટન’ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના એક ગામની જમીન હડપ કરવા માગતા ઉદ્યોગપતિને પૂછે છે. તેઓ કશું બોલતા નથી પણ તેમના જે ભવ્ય બંગલાનો ફોટો અર્શાદ વરસી તેમને બતાવે છે તે ફાડીને ફેંકી દે છે. ઉદ્યોગપતિના વકીલને પણ તેમના વિશાળ ઘરનો ફોટો બતાવીને અર્શાદ વરસી એ જ સવાલ પૂછે છે અને કોઈ જવાબ તેઓ આપતા નથી. 

જજને પછી સીધો સવાલ : “તો પછી ગામલોકોની મરજીનું કોઈ મૂલ્ય કેમ નહીં?” અને જજ ગામના કિસાનોને તેમની જમીન પાછી આપવાનો ચુકાદો આપે છે! 

નોંધપાત્ર બાબત એ છે કે, “આપ આમ કાટ કે ખાતે હો કિ ચૂસ કે?” જેવો વાહિયાત સવાલ નરેન્દ્ર મોદીને ફેક પત્રકાર તરીકે પૂછનાર અક્ષયકુમાર આ મૂવીમાં કિસાનોની જમીન માટે લડાઈ લડે છે અને નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિઓ ભેગા મળીને આ દેશના જે વિકાસની દુહાઈ  દીધા કરે છે તેનાં છોતરાં ફાડી નાખે છે ભરી અદાલતમાં. 

આશ્ચર્ય થાય કે મૂવીમાં જે અક્ષયકુમાર પહેલાં ઉદ્યોગપતિનો વકીલ બને છે તેનું હૃદયપરિવર્તન થાય છે અને તે પછી કિસાનોનો વકીલ બની જાય છે! અક્ષયકુમાર ગામમાં પોલિસ આવીને જબરજસ્તી કરવાની છે, ઘરો પર બુલડોઝર ચાલવાનાં છે ત્યારે કિસાનોને અહિંસાના પાઠ શીખવે છે! બુલેટ ટ્રેન જેવા વિકાસની તો અક્ષયકુમાર હાંસી ઉડાવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર તરીકેની ભૂમિકા ભજવનાર સ્ટ્રેચર પર અદાલતમાં આવીને સત્ય બોલે છે કે તેણે જમીન સંપાદન કાયદાનો દુરુપયોગ કરીને ઉદ્યોગપતિને કિસાનોની જમીન આપી દેવામાં ભ્રષ્ટાચાર કર્યો છે. આમ, એનું પણ હૃદયપરિવર્તન! 

પોતાની જમીન જતી રહી એના આઘાતમાં એક કિસાન આત્મહત્યા કરે છે. એનું નામ છે રાજારામ અને એની વિધવા પત્નીનું નામ છે જાનકી. બંનેનાં નામ પણ સૂચક છે અત્યારના ‘જય શ્રી રામ’ના હિંસક અને ડરામણા બની ગયેલા નારાના આજના માહોલમાં. 

ઉદ્યોગપતિ, કલેક્ટર, વકીલ, રાજકીય નેતા એવા સરપંચ અને હિંસક બળ તરીકે પોલિસ કેવી રીતે આ વિનાશક વિકાસના ભાગીદાર લાભાર્થીઓ છે અને મિલીભગતથી કામ કરે છે એ બખૂબીથી આ મૂવીમાં દર્શાવ્યું છે. કાશીને ક્યોટો અને દેશનાં અન્ય શહેરોને વિદેશી શહેરો જેવાં બનાવવામાં આવશે એવાં મોદીનાં વચનો કેટલાં ખોખલાં છે તે પ્રતીક તરીકે “બિકાનેર ટુ બોસ્ટન” એમ ત્રણ શબ્દોથી વ્યક્ત થયું છે.  

એક વાર “દેશભક્ત” શબ્દ પણ આ મૂવીમાં ઉચ્ચારાય છે ત્યારે એમ લાગે છે કે ભારતમાં આજે જે છદ્મવેશી દેશભક્તિનો આફરો ચડેલો છે તે ભોંયભેગો કરી નંખાયો! 

ફેંકાફેંકી કરનારા નરેન્દ્ર મોદી માટે ફેક પત્રકાર બનેલા અક્ષયકુમારે ખરેખર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’માં કોનો સાથ છે, કોનો વિકાસ છે અને કોનો વિનાશ છે તે પોતાના સંવાદો દ્વારા અહીં છતું કરી દીધું! આશ્ચર્ય! નરેન્દ્ર મોદીની વિકાસની કેરી અક્ષયકુમારે ગોટલાછોતરાં સાથે, કાપ્યાચૂસ્યા વિના આખેઆખી મોદીના મોં પર છૂટ્ટી મારી.

નાનામોટા હાસ્યના પ્રસંગો સાથે કહેવાતા વિકાસની જે ગંભીર ક્ષતિઓ છતી થઈ છે આ મૂવીમાં તે કાબિલેદાદ છે. આ મૂવી મનોરંજન નથી પણ વિકાસના અતિરંજન સામેનો અવાજ છે. ફેક પત્રકાર બનેલ અક્ષયકુમાર આવા મૂવીમાં ભૂમિકા ભજવે એ જ ઘણું કહેવાય! વિકાસ માટે કેટલાક લોકોએ બલિદાન તો આપવું પડે ને. પણ કોણે આપવાનું એ બલિદાન, એવો સવાલ સોંસરો ઊતાર્યો છે આ મૂવીમાં.

એમ લાગે છે કે આવાં મૂવી બનાવવાની હિંમત હશે અને તે લોકોને જોવા મળે એટલી અભિવ્યક્તિની આઝાદી બાકી બચી હશે તો, આ મૂવીમાં દસ કિસાનોના જાનનું બલિદાન લેવાય છે તેમ, અનેક લોકોનાં બલિદાનો પછી પણ દેશમાં લોકશાહી ટકી રહેવાની સંભાવના રહેશે. 

તા.૨૯-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 October 2025

ચંદુ મહેરિયા

તમિળ અભિનેતા વિજયની વેલુસમ્યપુરમ્‌, કરુરની રાજકીય રેલી અને રોડ શોમાં ઉમટેલી ભારે ભીડથી સર્જાયેલી અવ્યવસ્થામાં ૪૧ લોકોના મોત થયા છે. ભીડને કારણે થતાં મોતની આ કોઈ પહેલી દુર્ઘટના નથી અને ભીડના સુચારુ સંચાલનના અભાવે તે કદાચ છેલ્લી પણ નહીં હોય. 

ગયા વરસના જુલાઈમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મુગલગઢી ગામે ભોલે બાબાની સત્સંગ સભા પછી મચેલી નાસભાગ અને બાબાના દર્શનની તાલાવેલીથી સર્જાયેલી અંધાધૂંધીમાં ચગદાઈને ૧૨૩ લોકો મરણને શરણ થયા હતા. ઉત્તરા ખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરના શ્રાવણી મેળામાં પહાડી રસ્તા પર વીજળીનો તાર પડવાની અફવા પછી લોકો ગભરાઈને ભાગતા, સીડીઓ પરથી પડતાં ૬ લોકો માર્યા ગયા હતા. પ્રયાગરાજ કુંભમેળાની ભગદડમાં ૩૧ લોકોના જીવ ગયા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુંભ યાત્રીઓની ભારે ભીડ તો હતી જ. ટ્રેઈનના પ્લેટફોર્મ બદલાવાની વાતે ભીડ દોડી અને ૧૮ લોકો માર્યા ગયા હતા. આઈ.પી.એલ.ની મેચમાં આ વરસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની તાબડતોબ ઉજવણીમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉમટેલી અસીમિત ભીડમાં ચગદાઈને ૧૧ લોકોએ મોત મેળવ્યું હતું. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૧૯૯૬થી ૨૦૨૨માં STAMPEDE TRAGEDY (નાસભાગની દુર્ઘટના) ૩૯૩૫ હતી તેમાં ૩,૦૦૦ લોકોના મરણ થયા હતા. એક અન્ય અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં નાસભાગની છ દુર્ઘટનાઓમાં ૭૮ લોકોના મોત થયા હતા.

રાજકીય રેલીઓ અને સભાઓ, મેળા, યાત્રા, કથા, સત્સંગ અને અન્ય ધાર્મિક આયોજનો, તહેવારો અને ઉત્સવોની ઉજવણીઓ, સ્પોર્ટ્સ, ઈવેન્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન, એસ્કેલેટર, મૂવિંગ વોકવે, કોન્સર્ટ,  સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો,  મોલ, સેલિબ્રિટીના ફિલ્મ પ્રમોશન અને કોમર્શિયલ એડર્વટાઈઝના રોડ શો, સરઘસો, અનાજ વિતરણ અને મહિલાઓને સાડી કે બીજી જરૂરિયાતની વસ્તુઓનું મફત વિતરણ, કુદરતી આફતોમાં જરૂરિયાતોનું વિતરણ, તોફાનો, રમખાણો, આગ લાગવી અને અફવા ફેલાવી તથા સરકારી સમાંરભો એવા મોટા આયોજનો છે કે જેમાં મોટી ભીડ ભેગી થાય છે કે કરવામાં આવે છે. આ આયોજનોમાં ભીડનું યોગ્ય સંચાલન ન થાય કે તેનું નિયંત્રણ ન  થાય ત્યારે દુર્ઘટના સર્જાય છે. ભીડની નાસભાગ જીવલેણ બને છે અને અનેક લોકો ઘાયલ થાય છે. 

ભારત જેવા વિશાળ દેશમાં મોટા રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક આયોજનો રોજેરોજ થતા હોય છે તેમાં ખૂબ બધા લોકો ભેગા થાય છે. જો આ ભીડનું  સરળ અને સુચારુ પ્રબંધન ન થાય તો દુર્ઘટનાઓ ઘટે છે. નબળું અને અપૂરતું ભીડ વ્યવસ્થાપન, રાજકીય શક્તિ પ્રદર્શન  માટે હજારોની ભીડ ભેગી કરવી પણ સલામતીની વ્યવસ્થા ન કરવી, સભા કે આયોજન સ્થળની ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ ભેગી થવી, અચાનક ગભરાટ કે અફવા ફેલાવી, આયોજન સ્થળે વીજળી જતી રહેવી કે ઓછો પ્રકાશ, નેતા, અભિનેતાનું મોડુ પહોંચવું કે વિલંબથી લોકો કંટાળીને થાકી જાય, સાંકડા રસ્તા, આયોજન સ્થળે પ્રવેશ અને ગમનના અલગ રસ્તા ન હોવા કે લોકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ન હોવા, આયોજકો, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ, નાસભાગ, ધક્કામુક્કી અને અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા અપૂરતી સલામતી વ્યવસ્થા, દુર્ગમ સ્થળ, પહાડી કે ઢોળાવવાળા રસ્તા, બેરિકેડસ, રેલિંગ કે પુલ તૂટવો, લપસી જવાય તેવી જગ્યા,  મંદિર કે બીજા ધાર્મિક સ્થળનું પ્રવેશદ્વાર અચાનક ખૂલવું જેવા કારણોથી ભીડ અનિયંત્રિત બને છે, અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાય છે. 

મોટા સમારંભો કે આયોજનોમાં લોકોની આવજા સલામત, વ્યવસ્થિત અને સુચારુ રીતે પાર પાડવાની પ્રક્રિયા એટલે ભીડ પ્રબંધન કે ક્રાઉડ મેનેજમેન્ટ. માનવસર્જિત દુર્ઘટનાઓ રોકવા માટે ભીડ પ્રબંધન મહત્ત્વનું સાધન છે. એટલે જો ક્રાઉડ મેનેજમેન્ટ યોગ્ય હોય તો ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે. આ માટે આયોજકો સાથે સ્પષ્ટ આયોજન જાણવું અને સંકલનમાં રહેવું જરૂરી છે. જો આયોજકોની જાણ બહાર કે તેમણે શાસનને જણાવ્યું ન હોય અને ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થાય ત્યારે તેનું સંચાલન પોલીસ અને વહીવટી તંત્ર માટે જવાબદારી અને પડકાર બંને છે. 

જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય તેવા આયોજનોમાં અગાઉથી રિહર્સલ કરવું જોઈએ. મોકડ્રિલ કરવી જોઈએ. આધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ ટેકનિક, મેડિક્લ, ફાયર અને બીજી એજન્સીઓની સ્થળ પર હાજરી, ઈમરજન્સી એકઝિટ તથા ડિજિટલ મોનિટરિંગ ભીડને નિયંત્રણમાં રાખવા અનિવાર્ય છે. જ્યાં ધક્કામુક્કી કે નાસભાગની શક્યતાઓ વિશેષ છે તેવા વિસ્તારને અલગ તારવવા અને તબીબી ટીમ હાજર રાખવી. સી.સી.ટી.વી., જી.પી.એસ., ડ્રોન અને થર્મલ કેમેરાનો ઉપયોગ કરવો, ભીડને કાબૂમાં રાખવા તેને નાના જૂથોમાં પ્રવેશ આપવો કે બહાર જવા દેવી, ભીડના અનુમાન માટેની સિસ્ટમ ઉપયોગમાં લેવી. આ પ્રકારનાં પગલાંથી ભીડથી થતી નાસભાગ રોકી શકાશે. ભીડ નિયંત્રણ મુશ્કેલ જરૂર છે પરંતુ ભીડ પ્રબંધનથી ભીડભંજન બનવું અશક્ય નથી. 

લોકોએ પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થાય ત્યારે સંયમ અને ધીરજથી કામ લેવું જોઈએ. ઘાંઘા થવાથી કે મગજ ગુમાવવાથી પોતાને અને બીજાઓને પણ વધુ મુશ્કેલીમાં મૂકી શકીએ છીએ તે યાદ રાખવાની જરૂર છે. 

ભીડને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ સમયે આયોજકો અને સરકારની સંવેદનહીનતા જોવા મળે છે. બેંગલુરુ દુર્ઘટના વખતે જ્યારે સ્ટેડિયમની બહાર લોકો કચડાતા રહ્યા હતા કે મરી રહ્યા હતા ત્યારે આઈ.પી.એલ.ની ટીમનું સન્માન ચાલતું હતુ અને તેમાં કર્ણાટકના કાઁગ્રેસી મુખ્ય મંત્રી અને બીજા મંત્રીઓ હાજર હતા. કુરુરમાં લોકો મરી રહ્યા હતા ત્યારે અભિનેતા વિજય સભાસ્થળ છોડી ગયા હતા. પછીથી તેમણે મૃતકોને આર્થિક સહાય જરૂર કરી પણ તત્સમયે તેમનું વર્તન સંવેદનહીન હતું તેની આલોચના અદાલતે કરી છે. પ્રયાગરાજ કુંભ મેળામાં તો મૃતકોની સંખ્યા જ જાહેર થતી નહોતી અને જે જાહેર થઈ છે તે વિશ્વસનીય નથી. 

ક્રાઉડ મેનેજમેન્ટ અંગેના વર્તમાન કાયદા કે નિયમો ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર સરકારે દિશાનિર્દેશો જારી કર્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી.(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)માં સોશિયલ મીડિયા અને પડોશી દેશોમાં જેન-ઝી અશાંતિને ધ્યાનમાં રાખીને પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. કર્ણાટક સરકારે નવું ક્રાઉડ કન્ટ્રોલ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમાં ભીડ પ્રબંધનની જોગવાઈઓ સાથે વિરોધપક્ષોના વિરોધ પ્રદર્શનો પર લગામ મૂકતી જોગવાઈઓ કરીને વિપક્ષનો ભારે વિરોધ સહન કરવો પડ્યો છે. એટલે બિલને વિધાનસભાની સમિતિને વધુ સમીક્ષા માટે સોંપવું પડ્યું છે. જેમ હાથરસમાં ભોલે બાબાને બી.જે.પી. સરકારે તેમ કરુરમાં એકટર વિજયને ડી.એમ.કે. સરકારે તે સાવ નિર્દોષ ઠરે તેવું વલણ રાખ્યું છે. લોકોના જીવનમરણમા પણ રાજકીય પક્ષોનું રાજકારણ યથાવત રહે છે. 

હાથરસથી કરુરની દુર્ઘટનાઓ હ્રદયવિદારક છે અને સંચાલન તંત્ર સામે અનેક સવાલો ઉઠાવે છે. ભીડ નિયંત્રણ માટેની સંવેદનશીલ અને ચોક્કસ નીતિ કે કાયદાનો અભાવ અને મોટા આયોજનોથી લોકોના થતા મોતને હળવાશથી લેવાની માનસિકતા કરૂરની દુર્ઘટનાનું પુનરાવર્તન રોકી શકશે તેમ લાગતું નથી.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 October 2025

મિસ્યુઝ-ડિસ્યુઝ મંડળી માટે થોડો ઇશારો

એક ગાળો જો સરદારને પડતા મેલવાનો, એમના ડિસ્યુઝનો હતો, તો બીજો ગાળો એમના ભળતા સળતા ઉપયોગનો એટલે કે મિસ્–યુઝનો છે … સરવાળે બચાડા ડિસમિસ થઈ જાય તોપણ ભલે!

પ્રકાશ ન. શાહ

આવતીકાલના સરદાર સાર્ધ શતાબ્દી પર્વને અનુલક્ષીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં ‘મન કી બાત’માં સૌને ‘એકતા દોટ'(‘રન ફૉર યુનિટી’)માં સામેલ થવા અનુરોધ કર્યો તે અલબત્ત ઠીક જ છે. જો કે વસ્તુતઃ ભા.જ.પ. જે ખાસ તરેહની સરદાર આવૃત્તિ પેશ કરવા માગે છે, તેને વિશે સમગ્રતામાં તપાસ્યા અને વિચાર્યા વગર આવાં ઉજવણાં ફોગટ છે. અલબત્ત, તે પક્ષીય પ્રચારસામગ્રી તરીકે ખપ આવી શકે, પણ તે કંઈ સરદારને સાચી અંજલિનો અવેજ ન હોઈ શકે. 

સ્વાતંત્ર્યોત્તર ભારતમાં એવો એક તબક્કો જરૂર આવ્યો જ્યારે સરદારને કંઈક વીસારે પાડવામાં આવ્યા આ અસંતુલિત અભિગમથી શું બન્યું? ગોપાલકૃષ્ણ ગાંધીના યાદગાર શબ્દોમાં કાઁગ્રેસે સરદારને પડતા મૂક્યા (ડિસ્યુઝ) અને સંઘ-ભા.જ.પે. એમને ભળતા પ્રકાશમાં મૂકવાની કોશિશ કરી – મિસ્ યુઝ. ‘ડિસ્’ અને ‘મિસ્’ની આ પટાબાજીમાં ખરા સરદાર બચાડા ક્યાં ય શોધ્યા ન જડે એવો ઘાટ થયો. 

ચાલુ વરસે કાઁગ્રેસે અમદાવાદ અધિવેશન નિમિત્તે સરદારને વિશેષ રૂપે સંભાર્યા એ ઠીક જ થયું, પણ વસ્તુતઃ એમાં કઈ હદે ઝમ્યું છે અને નકરા ઉપચાર કરતાં કેટલું આગળ ગયું છે. એ અલબત્ત જોવાનું રહે છે. 

જ્યાં સુધી સરદારના મિસ્ યુઝનો સવાલ છે, એનું રંજ અને રમૂજભર્યું ઉદાહરણ ગોપાલ ગોડસેની કિતાબમાંથી મળી રહી છે. ગોડ્સે-કૃત્ય તરફ સરદારની કેમ જાણે કૂણી લાગણી હોય, એવું પોતાને જેલવાસમાં મળેલી કાયદેસરની સગવડ સંદર્ભે તે ઇશારે ઇશારે સૂચવતા હોય એવી છાપ એમાંથી ઉઠે છે. અલબત્ત, આ પુસ્તકનું મોટું અર્પણ, ‘અમે અમારી જુબાનીમાં તાત્યારાવ (સાવરકર) અને સંઘને બચાવી લીધા હતા’ એવી ગોપાલ ગોડસેની સાહેદીનું છે.

સરદારનું લોહપુરુષપણું જ્યારે અનિવાર્ય સમજાયું ત્યારે ભાગલાના સ્વીકાર તરફ જવા જેવા બિનલોકપ્રિય નિર્ણયમાં પ્રગટ થાય છે એ વિગત એમની ભા.જ.પ. આવૃત્તિને અગરાજ છે. પક્ષશ્રેષ્ઠી જસવંતસિંઘના પુસ્તકમાં આ વિગત આવી ત્યારે ગુજરાત સરાકરે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. (જે હાઇકોર્ટમાં ટક્યો ન હતો). અરુણ શૌરીએ ત્યારે સોજ્જું સુણાવ્યું હતું કે ભાઈ તમે સંઘશ્રેષ્ઠી શેષાદ્રિનું જ પુસ્તક વાંચો ને. એમાં આ બધું જ મળશે …. મૂકો એના પર પ્રતિબંધ!

રિયાસતોના એકીકરણનો યશ સરદારને વાજબી રીતે જ અપાય છે. નેહરુના ઇતિહાસદર્જ શબ્દોમાં એ ‘દેશની એકતાના સ્થપતિ’ હતા. પણ એકીકરણની આ પ્રક્રિયા, યથાસંદર્ભ ઓછેવત્તે અંશે બે છેડેથી ચાલી હતી – એક છેડો રાજ્યનો તો બીજો છેડો પ્રજાનો, કાશ્મીરમાં જેમ કે હરિસિંહ અને શેખ અબદુલ્લા એ બે છેડા હતા. આગોતરી જાણને ધોરણે વડા પ્રધાન નેહરુએ ગૃહ પ્રધાન સરદારને કબાઇલી હુમલા અંગે સાવધ કર્યાં હતા, અને સરદારે હરિસિંહને સમજાવવામાં કોઈ કસર છોડી નહોતી. હરિસિંહે ભારતીય સંઘમાં ભળવાનો નિર્ણય લેવામાં ટાળંટાળી કરી અને આક્રમણ થઈને રહ્યું. સંઘ વર્તુળો કહે છે કે સરદારે સરસંઘચાલક ગોળવલકરને પણ હરિસિંહને સમજાવવા સૂચવ્યું હતું અને એમણે પણ પ્રયાસ કર્યો હતો. 

જો કે, રિયાસતી બાબતોમાં સંઘ, હિંદુ મહાસભામાં વગેરેનું સંધાન ને કામગીરી કાબિલે તપાસ છે. કોઈ દેશી રજવાડું સ્વતંત્રતા પ્રકારનો વિકલ્પ પસંદ કરે તો એમાં સંભવિત નેતાઓનું હતું. ત્રાવણકોર કોચીને અલગ ઝંડો ખોડ્યો તો સાવરકરે એને અંગે હરખ પ્રગટ કર્યો હતો. પ્રાંતિક સ્વરાજના ગાળામાં સરદાર પટેલે પાર્લમેન્ટરી બોર્ડના ચેરમેનની હેસિયતથી શિસ્તભંગ સબબ જેમને પ્રધાન પદેથી બરતરફ કર્યા હતા તે સંઘમિત્ર એન.બી. ખરે ભાગલાના માહોલમાં હિંદુ રિયાસતો સાથે સંદિગ્ધ સંબંધ ધરાવતા હતા. 

ભાગલાવાદી મુસ્લિમ રાજકારણીઓને નો-નોન્સેન્સ ભાષામાં પડકારી શકતા સરદારે દેશના બંધારણ બાબતે અને તિરંગા માટે સંઘને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું એ ભૂલવા જેવું નથી, અને હા ‘હિંદુ રાષ્ટ્ર’ને એક પાગલ ખ્યાલ પણ એમણે જ કહ્યું’તું.

ઘણું લખી શકાય, આ તો થોડાંક જ ઇંગિત માત્ર મિસ્યુઝ-ડિસ્યુઝ મંડળી માટે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 ઑક્ટોબર 2025

Loading

...102030...148149150151...160170180...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved