Opinion Magazine
Number of visits: 9951655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિવૃત્ત એટલો જ ઉપયોગી છે તો તેને નિવૃત્ત કરો છો શું કામ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 November 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાતનો અર્થ કોઈ ‘ગુજરેલ’ કરે તો આઘાત ન લાગે એવી સ્થિતિ છે. એક તરફ હજારો હજારો શિક્ષિતો નોકરી માટે ફાંફાં મારી રહ્યા હોય ત્યારે સરકાર, નિવૃત્તોને ફરી નોકરી આપવા તૈયાર થાય એનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય? ગયા જુલાઈમાં જ સરકારને એવી ચળ ઊપડેલી કે તેણે શિક્ષકોની ઘટ નિવારવા 62ના નિવૃત્ત શિક્ષકોને નોકરીએ રાખવાની જાહેરાત કરેલી. શિક્ષકો મળતા જ ન હોય ને નિવૃત્તોને રાખવાની લાચારી આવી પડે તે સમજી શકાય, પણ હજારો ઉમેદવારો નોકરી માટે વલખાં મારતાં હોય અને વર્ષો પછી પણ કાયમી શિક્ષકોની ભરતી જ ન થાય ત્યારે, શિક્ષકોની ઘટ પૂરવાને નામે, નિવૃત્ત શિક્ષકોને ફરી નોકરીએ રાખવાની વાત ગધેડાને તાવ આવે એવી છે. જો કે, એનો ભારે ઊહાપોહ થતા જુલાઈના અંતમાં જ એ ઉપક્રમ પડતો મુકાયેલો ને સરકારે ઠાવકાઈથી U-ટર્ન લઈને પડીકું વાળી દીધેલું.

એ વાતને ઝાઝો વખત નથી થયો, ત્યાં સરકારને ફરી ચળ ઊપડી છે ને આ વખતે તેણે નિવૃત્ત અધિકારીઓની ભરતી કરવા રીતસરની જાહેરાત બહાર પાડી છે. પ્રવાસન કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જુદા જુદા સંવર્ગની કુલ 25 જગ્યાઓ માટે 11 માસના કોન્ટ્રાક્ટ પર, માત્ર વય નિવૃત્ત અધિકારીઓ પાસેથી (નાયબ કમિશનર-4, સહાયક કમિશનર-8, સિવિલ એન્જિનિયર-5 અને જિલ્લા પ્રવાસન અધિકારી-8) અરજીઓ માંગવામાં આવી છે. ઘણુંખરું તો જે પદો પરથી અધિકારીઓ નિવૃત્ત થયા છે, એમને એ જ પદો પર ફરી ઠઠાડવાની વાત લાગે છે. એમનો પગાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ રહેશે. મતલબ કે નિવૃત્તિ વખતે જે પગાર હતો તેના સાંઠેક ટકા જેટલો હોઈ શકે. બીજા શબ્દમાં પેન્શન ઉપરાંત લાખેક બીજા મળે એમ બને.

હાલ તો પ્રવાસન સ્થળો પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એટલે હંગામી ધોરણે ભરતીની વાત છે, પણ હજુ 54 જગ્યાઓ પર આ રીતે ભરતી થવાની વકી છે. સરકારનાં જ કહેવા મુજબ 568 વિવિધ પદો પર નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી ચૂકી છે, જેમાં 31 આઈ.એ.એસ. છે. છે ને ગમ્મત ! નિવૃત્તને પેન્શન ને ઉપરથી પગાર પણ ! બીજી તરફ માસ્તરને પેન્શન ન આપવું પડે એટલે કાયમી જ ન કરવાનો ને કોન્ટ્રાક્ટ પર પૂરો પગાર પણ ન આપવાનો. એકને ગોળ ને એકને ખોળ – એમને એમ તો નહીં જ કહેવાયું હોય ને !

કેટલાક દલાલો એવી દલીલ કરે છે કે નિવૃત્તો વધુ અનુભવી છે ને કેટલીક જગ્યાઓ પર તો તેઓ હોય તો જ કામ સરળતાથી થાય એમ છે. નવા આવે તો તેને તાલીમ આપવી પડે ને એનો ખર્ચ થાય. એમને એવું પૂછી શકાય કે જે અનુભવી છે તે મફતમાં, પેન્શનના બદલામાં કામ કરવાના છે? વારુ, એ નોકરીએ લાગ્યા ત્યારે તો નવા ને અનુભવ વગરના જ હતા ને ! પછી અનુભવે એ બધા એવા ઘડાયા કે તેમને ફરી લાવવા જાહેરાતો આપવાનો વારો આવ્યો. વેલ, આ નિવૃત્તો માથે મરાય તો એના પછી જેનો ક્રમ આવતો હોય તેનો એ જગ્યા પરનો હક મરાય છે, એવું નહીં? ને એ એટલો જુનિયર નથી કે સાવ શિખાઉ હોય. સિનિયોરિટીમાં તો એ નિવૃત્ત થયો એ અધિકારી પછીના તરતના ક્રમે જ આવે છે, તો તે સાવ બુડથલ હોય એવું તો કેવી રીતે કહેવાય?

બહુ જાહેર નહીં એવી અંદરની વ્યવસ્થા એવી પણ છે કે કોઈ પૂરાં વર્ષ નોકરી કરીને નિવૃત્ત થાય તો થોડા ઓછા પગારે તેને એક્સ્ટેન્શન મળી જાય ને તબિયત સાથ આપે તો સિત્તેરેક વર્ષની ઉંમર સુધી નોકરી ખેંચી પણ લે. આ વ્યવસ્થા જાહેર રીતે ચાલુ રહે તો નિવૃત્તો તો સચવાઈ જાય, પણ પેલા યુવકો વધુ લાંબો સમય શિક્ષિત બેકાર રહે, એવું ખરું કે કેમ? કોણ જાણે કેમ પણ યુવકોની સરકારને ભારે સૂગ છે ને નિવૃત્તો પ્રત્યે એવું વ્હાલ ઉભરાય છે કે એમને પેન્શન મળવાનું છે, છતાં તેમને ફરી નોકરીએ રાખવાની પેરવી થાય છે ને પેલા શિક્ષિતોને તો કામચલાઉ નોકરીનું ય ઠેકાણું નથી ને પેન્શનનું તો સપનું ય નથી ને તેમની કાચી નોકરી માટે ભારે ઉપેક્ષા થાય છે. નથી લાગતું કે આ કોઈ કાવતરૂં છે?

દલીલો તો એવી પણ થાય છે કે નિવૃત્તોને નોકરી અપાય તો એમનો અનુભવ કામ લાગે. સાચું, પણ  એ પૂછી શકાય કે વિધાનસભામાં કે સંસદમાં જે મંત્રીઓ બેસે છે તે બધા અનુભવી છે? એ લોકો ઓછા અનુભવે દેશ ચલાવી શકતા હોય તો સ્કૂલ કે પ્રવાસન કમિશનરની કચેરી તરતના ક્રમે આવતા અધિકારીઓ ન ચલાવી શકે? એ ખરું કે સરકાર તો પાંચ વર્ષ જ ચલાવવાની છે, કારણ પાંચમે વર્ષે નવી સરકાર આવે તો તે બાકીનો કારભાર સંભાળે, પણ પ્રવાસન કચેરી કૈં પાંચ વર્ષમાં બંધ થઈ જવાની નથી, તે તો લાંબું ચાલવાની છે, એટલે તેને અનુભવીઓની જરૂર રહેવાની ને અનુભવમાં નિવૃત્તથી વધારે સમૃદ્ધ તો બીજું કોણ હોય? તો, તેમને જ પાછા લાવવાના હોય ને ! પણ કચેરીને એ પુછાય કે આ નિવૃત્તો ક્યાં સુધી કચેરી શોભાવશે? એમને ક્યારેક તો ફરી નિવૃત્ત કરવા પડશે ને ! કે એ ટકી ગયા તો એમને ત્રીજી, ચોથી, પાંચમી વખત નોકરી અપાશે ને અપાયા જ કરશે? એમને જ આપવી જોઈએ, કારણ એમનાથી વધુ અનુભવી તો બીજા છે જ કોણ? આ ઠીક છે? આમ કરવા જેવું ખરું?

આમ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના 7 જુલાઈ, 2016ના નિયમ મુજબ કોઈ પણ વિભાગના કુલ સંવર્ગની મંજૂર જગ્યાના 20 ટકાથી વધુ જગ્યા પર નિવૃત્તોને રાખી શકાતા નથી. વળી યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ થતા નિવૃત્તની ભરતી તરત જ રદ્દ થવાને પાત્ર ઠરે છે, પણ એવું વ્યવહારમાં બનતું નથી. બને ત્યાં સુધી લાયક યુવાનોને નોકરી મળે નહીં એની તંત્રો ખૂબ મહેનત કરે છે. જેમ કે, ગયે વર્ષે લેવાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ નવેમ્બર પૂરો થવા આવ્યો તો ય જાહેર થયું નથી. એક તરફ યુવાનોને વગર નોકરીએ ઘરડાં કરવાની કવાયત ચાલે છે ને બીજી તરફ ઘરડાંને ફરી નોકરીએ રાખવાનો વેપલો ચાલે છે. તઘલખ તરંગી હતો, પણ મતલબી કદાચ ન હતો.

વધારે દુ:ખદ તો એ છે કે મીડિયા આવા સમાચારોને ખાસ કવર નથી કરતું ને કરે છે તો નિવૃત્તો ફરી નોકરીએ લાગશે, તો કામકાજ વધુ સારી રીતે કરશે ને અનુભવી અધિકારીઓની મદદથી વિવિધ યોજનાઓને ગતિ મળશે – એવો પ્રચાર કરે છે. એમાં તથ્ય હોય તો પણ, નિવૃત્તો પછીના અધિકારીનો હક મરાય છે કે હજારો યુવા શિક્ષિતોની નોકરીનો પ્રશ્ન વધુ ઘોંચમાં પડે છે એ અંગે એમણે ભાગ્યે જ કૈં કહેવાનું છે. સરકારની ટીકા ના થાય તે સમજી શકાય, પણ ભાટાઈ કરવાનો તો કોઈ અર્થ નથી ને ! એ ખરું કે કેટલીક ચેનલોએ શિક્ષિત બેકારોનો હક મારીને નિવૃત્તોને નોકરી આપવા બાબતે વાંધો ઉઠાવ્યો છે, પણ પ્રિન્ટ મીડિયાએ તો મોટેભાગે ચામડી જ બચાવી છે. એ માન્યું કે નિવૃત્તોએ ઈમાનદારીથી નોકરી કરી હશે, તો પણ કેટલાકે વર્ષો સુધી નોકરીમાં ભ્રષ્ટાચાર પણ કર્યો હશે, તો તેમને ફરી નોકરી આપીને ભ્રષ્ટાચારને જ ઉત્તેજન આપવા જેવું થશે, એવું નહીં?

સરકારે અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો હશે, પણ શિક્ષણ અને રોજગારીની બાબતે કોઈ નીતિનિયમો કે ધારાધોરણો રાખ્યાં નથી ને ઘણી વખત તો પોતે બનાવેલા નિયમોમાં પણ વર્તન એવું રહ્યું છે કે U-ટર્ન લીધે જ છૂટકો થાય. મનસ્વીપણું સરકારની વિશેષ નીતિ છે. ઘણીવાર તો સવાલ થાય કે સંસદ કે વિધાનસભા સિવાય મુક્તિ ક્યાં ય છે ખરી? હોય તો આનંદ થાય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 નવેમ્બર 2025

Loading

ઈબ્ન ખલદૂનનું ઇતિહાસ-ચક્ર અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રસનું પતન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2025

રાજ ગોસ્વામી

ઈબ્ન ખલદૂન નામના મધ્યકાલીન આરબ ઇતિહાસકાર અને વિદ્વાને 14મી સદીમાં ‘મુકદ્દિમા’ નામનો એક નોંધપાત્ર ગ્રંથ લખ્યો હતો. તેમાં તેમણે આરબ વિશ્વના તેમના અભ્યાસ પરથી, શક્તિ અને વંશવાદનાં ચક્રોનું ઊંડું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું હતું. તેમાં તેમણે નિરીક્ષણ કર્યું હતું કે વંશની પ્રતિષ્ઠા, શક્તિ અને સામૂહિક એકતા (ખલદૂને તેના માટે ‘અસાબીય્યાહ’ નામનો શબ્દ આપ્યો હતો) ચાર પેઢી સુધી ટકી રહે છે, તે પછી તેનો પ્રભાવ કે વિશ્વસનીયતા ઘટવા લાગે છે. 

ખલદૂનની દલીલ એવી છે કે શરૂઆતમાં જે સમૂહમાં ગહન એકતા, ત્યાગ અને સંઘર્ષની ભાવના હોય છે (પ્રથમ પેઢી), સમય સાથે તેનો વૈભવ અને આરામ વધે છે, પરંતુ અસાબીય્યાહ ઘટે છે. અને લગભગ ચોથી પેઢી સુધી તેમાં એવો ઘટાડો થાય છે કે સત્તાનું માળખું વિખરાવા લાગે છે, અને પછી નવા શાસક અથવા રાજકીય ચક્રનો ઉદય થાય છે.

આ વાતને પરિવારના સંદર્ભમાં જોઈએ તો, એક પિતા તેના સંઘર્ષ અને સમજદારીથી કીર્તિની સ્થાપના કરે છે. તેના પછીની પેઢી, એટલે કે સંતાનો, પિતા સાથે નિજી સંપર્કમાં હોય છે અને તેમને પિતાના સંઘર્ષ અને સફળતામાંથી સીધું શીખવાનું મળે છે, પણ તેઓ પિતા કરતાં એક ડગલું નીચે છે કારણ કે એ સંઘર્ષ કે સફળતા ઉછીની છે, ખુદની નહીં. જેમ કે એક પુસ્તકમાંથી ડહાપણ શીખવા તો મળે પણ તે ઉછીનું હોય છે, અનુભવનું નહીં. 

બીજી પેઢી જો કે સફળતાપૂર્વક એ ઉછીની કીર્તિના જોરે તરી જાય છે, પણ તેનાં સંતાનો, એટલે જે ત્રીજી પેઢી પાસે કેવળ અનુકરણ અને પરંપરા જ હોય છે. પહેલી પેઢી (પિતા) સાથે તેનો પ્રત્યક્ષ સંપર્ક નથી, કેવળ વાતો સાંભળી છે. એટલે તે માન્યતાઓના આધારે એ કીર્તિને જાણે છે અને જીવે છે. બીજી પેઢીથી તે ઔર એક ડગલું નીચે છે; તે એક અંધશ્રદ્ધાળુ ભક્ત છે અને એ ‘ગુરુ’ની વાતોને અનુસરે છે, જેમણે ‘ભગવાન’ જોયેલા છે.

ચોથી પેઢી તો આગલી પેઢીથી બધી રીતે ઉતરતી છે. તેને સન્માન તો મળે છે, પણ એ સન્માન ક્યાંથી જન્મ્યું છે કે ક્યા કારણથી મળે છે તેની તેને ખબર નથી. એને લાગે છે કે એ તો એને વારસામાં મળ્યું છે. તે પોતાને એ પરંપરા અથવા કીર્તિનો હકદાર માને છે અને એવું પણ માને છે કે એ આદર્શોને આગળ લઇ જવાની તેની ‘દૈવી’ ફરજ છે. 

ખલદૂનના અસાબીય્યાહની આ કહાની ભારતની કાઁગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધીની કહાનીમાં ફિટ બેસે છે. કાઁગ્રેસ પાર્ટીનો વંશ ચોથી પેઢીમાં આવીને ખતમ થવા આવ્યો છે. જનતાએ પણ ચોથા હાથમાંથી આવેલી કીર્તિ માટે સન્માન ગુમાવ્યું છે, અને તેની પાસેથી તે નેતૃત્વને લઈ લઈને બીજા નેતા કે વંશજને સોપ્યું છે; ખલદૂનની ભાષામાં, અહીંથી ભા.જ.પ. નામના નવા વંશ ચક્રનો ઉદય થયો છે. 

કાઁગ્રેસ પાર્ટી, જે સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાંના વૈચારિક મંથનમાંથી ઉભરી હતી, આજે તેના અસ્તિત્વ સામે એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે, અને ચોથી પેઢીના રૂપમાં રાહુલ ગાંધી તેના આ પતનમાં કેન્દ્રીય ભૂમિકામાં છે.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી અને તે સ્વાતંત્ર્ય ચળવળમાં સૌથી આગળ રહી. આઝાદી પછી પણ નેહરુ-ગાંધી પરિવારનો પાર્ટીમાં ઘણો ઊંડો પ્રભાવ રહ્યો. જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને પછી સોનિયા ગાંધી સુધી બધા તેના ભાગ રહ્યાં. પરંતુ ઇબ્ન ખલદૂનની દૃષ્ટિએ જોઈએ તો આ વંશવાદ પ્રથમ પેઢીથી બીજી પેઢી સુધીની યાત્રા જેવી છે : એક નવી શક્તિ, મોટી આશા, સામૂહિક ઊર્જા. પરંતુ સમયની સાથે, વૈભવ, આરામ અને શક્તિનું કેન્દ્રિકરણ વધ્યું – અને અસાબીય્યાહ ધીરે-ધીરે નબળું થતું ગયું.

જવાહરલાલ નહેરુની પહેલી પેઢી પાસે સ્વતંત્રતા યુગ, સંઘર્ષ અને આદર્શવાદની તાકાત હતી. ઇન્દિરાની બીજી પેઢી પાસે ઉચ્ચ સત્તા અને રાજકીય દૃઢતાની મજબૂતાઈ હતી. રાજીવ-સોનિયાની ત્રીજી પેઢી પાસે વૈશ્વિક ઓળખ, સંસદીય રાજનીતિ અને સત્તાનો વૈભવ હતો. આ બધો અસાબીય્યાહ રાહુલ અને પ્રિયંકાની ચોથી પેઢીમાં આવીને ખતમ થઇ ગયો છે. રાહુલ ગાંધી એ ‘ચોથી પેઢી’ના પ્રતીક બન્યા છે, જેના સમય દરમ્યાન પક્ષનું સામૂહિક બંધુત્વ કમજોર થયું છે અને સત્તા સંતુલન, સંગઠનાત્મક મજબૂતી અને જનસંવાદમાં ઘટાડો થયો છે.

કાઁગ્રેસે વર્ષોનાં વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે; તે માર ખાઈ-ખાઈને તગડા બનેલા મહોમ્મદ અલી જેવી હતી, પણ આજે પાર્ટીની અંદર કોઈ મજબૂત ‘લડાયક ભાવના’ નથી રહી. 2014થી લગાતાર કાઁગ્રેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. બિહાર તેનું તાજું ઉદાહરણ છે. તેના એક સમયના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીની સમીક્ષા કરતાં લખ્યું છે કે પાર્ટીમાં હવે નિર્ણયો સુરક્ષા ગાર્ડ અથવા પી.એ. દ્વારા લેવામાં આવે છે, ન કે લોકશાહી પ્રક્રિયાથી.  

રાહુલ ગાંધીના નેતૃત્વને ‘વંશવાદ’ની ટીકાનો પણ સતત સામનો કરવો પડ્યો છે. પાર્ટીમાં અન્ય મુખ્ય અને યુવાન નેતાઓનો વિકાસ ઓછો રહ્યો છે કારણ કે પાર્ટીમાં દરેક બાબતમાં ગાંધી પરિવારનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે. બીજા શબ્દોમાં કહી તો કાઁગ્રેસ પાર્ટી એટલી વજનદાર હતી કે હવે તેને જ તેનો ભાર લાગવા માંડ્યો છે. 

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ જેવી પ્રવૃત્તિઓ સાચા અર્થમાં જનસંપર્કની પહેલ હતી, પરંતુ તેની અસર પાર્ટીની સ્થાયી પુનર્રચના પર મર્યાદિત રહી. ઇબ્ન ખલદૂનના અનુસાર, જ્યારે વૈભવ વધે છે અને સંઘર્ષની ભાવના ઘટે છે, ત્યારે શક્તિનો સાચો આધાર ધ્વસ્ત થઇ જાય છે. આવી જ કંઇક સ્થિતિ કાઁગ્રેસ સાથે થઇ રહ્યું છે. 

એ દૃષ્ટિએ કાઁગ્રેસની સ્થિતિ જોવામાં આવે, તો એવું કહેવું કદાચ અતિશયોક્તિ નથી કે પાર્ટી સંગઠાત્મક ચક્રના અંત તરફ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી જનતા અને મતદાતાઓમાં પકડ ગુમાવી રહી છે, વરિષ્ઠ નેતાઓમાં નારાજગી અને વિદ્રોહ વધી રહ્યા છે, આર્થિક સંસાધનો સંકુચિત થઇ રહ્યાં છે અને સંગઠાત્મક પુનરુત્થાનની રણનીતિમાં તે નિષ્ફળ જઈ રહી છે. 

ઇબ્ન ખલદૂનનું ચિંતન કહે છે કે સત્તાનો ક્ષય સ્વાભાવિક છે, પરંતુ તેનું પુનરુત્થાન પણ શક્ય છે – તેના માટે નવી પેઢીઓ, નવી વિચારધારાઓ અને નવી અસાબીય્યાહની રચના કરવી પડે. ગાંધી પરિવારે બહારના નવા, યુવા અને સક્ષમ નેતાઓને આગળ કરવા પડે. નેતૃત્વમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ મજબૂત કરવી પડે, પાર્ટીને સ્થાનિક સ્તરે લોકો સાથે જોડવી પડે, ચૂંટણીના અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવું પડે અને એક સ્પષ્ટ, આધુનિક તેમ જ પ્રગતિશીલ વિચારધારા પ્રસ્તુત કરીને યુવા અને મધ્યમ વર્ગને સાથે જોડવો પડે. 

કાઁગ્રેસનું હાલનું પતન અનિવાર્ય અંત નથી. જો કાઁગ્રેસ પુનરુત્થાનની નીતિ અપનાવે – નવી અસાબીય્યાહ, નવું નેતૃત્વ અને સંસ્થાકીય સુધારા અપનાવે – તો તે ઇતિહાસના આ ચક્રને નવી રીતે ફેરવી શકે છે. નહીં તો, ઇબ્ન ખલદૂનની આગાહી અનુસાર, કાઁગ્રેસ તેની ચાર પેઢીઓનાં વારસામાં ‘પતન’નો સામનો કરી શકે છે અને રાજકીય પરિદૃશ્યમાં તેનો મહિમા ધીમે ધીમે ગુમાવી શકે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 23 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—316 

દીપક મહેતા|Opinion - Opinion|23 November 2025

ટાઉન હોલ બંધાતાં પહેલાં : કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય         

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય,

વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,

પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર,

પણ તેમાં નહિ ફાવતાં, ફરી થયો તૈયાર.

ઓગણીસની સદીમાં જ લખાયેલી કવિ દલપતરામની આ પંક્તિઓ એ જ જમાનાના મેકિનટોશ કે ગવર્નર ડંકન, કે મુંબઈના બીજા કોઈ અંગ્રેજ અમલદારોએ તો ક્યાંથી વાંચી-સાંભળી હોય? પણ હાથમાં લીધેલું કામ પાર પાડવાની ધગશ તો તેમનામાં હતી જ. બીજી લોટરી રદ્દબાતલ થઈ, આવેલા પૈસા પાછા આપી દેવા પડ્યા, એટલે ‘જેવી ભગવાનની મરજી’ એમ કહી હાથ ઊંચા કરી શક્યા હોત. પણ ના. બીજી લોટરી રદ્દ કરવી પડી તે પછી થોડા દિવસોમાં જ ટાઉન હોલની દરખાસ્ત કરનારી મુંબઈવાસી અંગ્રેજોની સમિતિના સેક્રેટરી મિસ્ટર અર્સકીને ગવર્નરને કાગળ લખ્યો. આ સમિતિએ ટાઉન હોલનું મકાન બાંધવા માટેના પ્લાન મોકલવાની જાહેર વિનંતી કરી હતી. તેના જવાબમાં જે પ્લાન મળેલા તેમાંથી સમિતિએ લેફ્ટનન્ટ હોકિન્સનો પ્લાન પસંદ કર્યો છે, જે અમે આ સાથે આપને મોકલીએ છીએ. આ પ્લાન જો આપ મંજૂર કરો તો અમારે આપને ખાસ વિનંતી કરવાની કે ટાઉન હોલના બાંધકામ માટે ફાળવેલી જગ્યાની સાફસફાઈનું કામ શરૂ કરવાની મંજૂરી આપવાની મહેરબાની કરશો.

બોમ્બે ગ્રીન, ૧૭૬૭માં

પણ કેવી હતી એ જમીન, જે ટાઉન હોલ બાંધવા માટે ફાળવવામાં આવી હતી? આજે હોરનિમન સર્કલ તરીકે ઓળખાતા એ વખતના કોટન ગ્રીનના એક ખૂણામાં હતી એ જમીન. એક જમાનામાં ત્યાં કાચાં-પાકાં ગોડાઉન હતાં જેમાં બ્રિટન મોકલતાં પહેલાં કોટનની ગાંસડીઓ રાખવામાં આવતી હતી. પણ છેલ્લા કેટલાક વખતથી તેનો આ કામ માટે ઉપયોગ થતો નહોતો. અને જમીનનો એ પ્લોટ ઉકરડા જેવો બની ગયો હતો. ફાટેલી તૂટેલી શણની ગાંસડીઓ, ખરાબાવાળો કપાસ, કટાઈ-તૂટી ગયેલા ગાંસડી તોળવા માટેના મસ મોટા કાંટા, વગેરે ત્યાં ખડકાયાં હતાં. વળી રાતને વખતે ગંજેરી-ભંગેરીઓ તેનો ઉપયોગ પોતાના ‘વ્યવસાય’ માટે કરતા, અને દિવસે આસપાસના લોકો પોતાનો કચરો ત્યાં ઠાલવતા.

આવી જમીનને સાફ-સૂથરી કરી તેના પર મકાન બાંધવું એ કામ બહુ સહેલું તો નહોતું જ. એટલે સમિતિએ સરકારને વિનંતી કરી કે જેમણે આ મકાનનો પ્લાન બનાવ્યો છે તે લેફ્ટનન્ટ હોકિન્સને જ બાંધકામ પર દેખરેખ રાખવાનું કામ પણ સોંપવામાં આવે. અગાઉ જજ મેકિનટોશ સાથેની વાતચિત દરમ્યાન હોકિન્સ એ માટે તૈયાર પણ થયા હતા. 

પણ પછી શું થયું એ તો જિસસ જાણે, પણ સમિતિને આપેલા જવાબમાં સરકારે લખ્યું કે સરકાર સાથેની વાતચીત દરમ્યાન લેફ્ટનન્ટ હોકીન્સે જણાવ્યું છે કે બીજાં કેટલાંક કામોને કારણે ટાઉન હોલના બાંધકામ પર નજર રાખવાની જવાબદારી તેઓ સંભાળી શકે તેમ નથી. ફરી, પડદા પાછળ શું થયું હશે એની આપણને ખબર નથી. પણ ચાર મહિના પછી, ૧૮૧૪ના માર્ચની ૨૫મી તારીખે સરકારે એક પત્ર લખી સમિતિને જણાવ્યું કે અત્યાર સૂધી લેફ્ટનન્ટ હોકિન્સ જે કામમાં રોકાયેલા હતા તે કામ હવે પૂરું થવા આવ્યું છે અને તેના પર તેઓ દેખરેખ રાખે એ અનિવાર્ય નથી. એટલે તમારી અગાઉની વિનંતી સ્વીકારીને અમે તેમને ટાઉન હોલના મકાનના બાંધકામ પર દેખરેખ રાખવાની જવાબદારી સંભાળવા અંગે મંજૂરી આપીએ છીએ. અલબત્ત, બીજા કોઈ પણ કામ માટે જો અને જ્યારે સરકારને તેમની સેવાઓની જરૂર પડે તો સમિતિએ તેમને તાત્કાલિક છૂટા કરવા પડશે. 

પણ મુંબઈ સરકારની મંજૂરી મળે એટલે ‘ગંગા નહાયા’ એવું એ વખતે નહોતું. હવે આખો મામલો ગયો લંડનમાં બેઠેલા કંપની સરકારના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે. મુંબઈ સરકારે લાંબો લચક ખરીતો બનાવીને મોકલ્યો લંડન. ટાઉન હોલના મકાનના બાંધકામ માટે અત્યાર સુધીમાં રૂપિયા ૧,૧૧,૮૭૦ જેટલી રકમ ભેગી થયેલી હોવાનું તેમાં જણાવ્યું હતું. એની વિગતો જોતાંવેત ડિરેક્ટરોએ મુંબઈ સરકારનો ઉધડો લઈ નાખ્યો : રૂપિયા ૧,૧૧,૮૭૦ જેટલી જે રકમ એકઠી થઈ હોવાનું તમે જણાવ્યું છે તેમાં મુંબઈ સરકારે આપેલા દસ હજાર રૂપિયા જેવડી મોટી રકમનો પણ સમાવેશ થાય છે. આવી મોટી રકમ અમારી મંજૂરી વગર તમે આપી જ કઈ રીતે શકો? જવાબમાં મુંબઈ સરકારે લખ્યું કે ફલાણી તારીખે લખેલા પત્ર દ્વારા આપની મંજૂરી અમે મગાવી હતી, અને એ મળી જશે એમ માનીને અમે એ રકમ આ કામ માટે ફાળવી હતી, પણ હજી ચૂકવી નથી. સામો જવાબ મળ્યો : આ માટે અમારી મંજૂરી માગતો પત્ર તમે ૧૮૧૨ના જુલાઈની પહેલી તારીખે અમને લખ્યો હતો. પણ તમારા હિસાબ જોતાં જણાય છે કે તમે તો એ દિવસ પહેલાં જ એ રકમ ફાળવી દીધી હતી! ભવિષ્યમાં કોઈ પણ કામ માટે સરકારી મદદ આપતાં પહેલાં અમારી મંજૂરી અગાઉથી લેવાનું અનિવાર્ય છે એની નોંધ લેશો. આ ટાઉન હોલના બાંધકામ પાછળ તમે આપેલા દસ હજાર રૂપિયાની રકમ અમે અપવાદ રૂપે મંજૂર કરીએ છીએ, પણ હવે પછી આ ટાઉન હોલ બાંધવા પાછળ કે તે બંધાઈ રહ્યા પછી તેની સજાવટ કે જાળવણી કે બીજી કોઈ પણ બાબત અંગે જે કોઈ પણ ખર્ચ થાય એ માટે મુંબઈ સરકારે એક કાણો પઈસો પણ આપવો નહિ એવો અમે આદેશ આપીએ છીએ. 

પણ આના કરતાં પણ વધુ આકારો ઘા તો લંડનના પત્રના હવે પછીના ભાગમાં હતો.

તેમાં લખ્યું હતું કે તમારા એન્જિનિયરના રિપોર્ટમાં જણાવ્યું છે કે  બોમ્બે ગ્રીનના એક ખૂણામાં ટાઉન હોલનું મકાન બંધાવાથી કંપની સરકારના હિતને કોઈ રીતે હાનિ પહોંચી શકે તેમ નથી. તેમની અ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. ૧૮૦૬ના મે મહિનાની બીજી તારીખે અમે તમને એક વિગતવાર પત્ર મોકલ્યો હતો. તેના ૧૪૪મા પેરેગ્રાફમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બોમ્બે ગ્રીનનો આખો વિસ્તાર કોઈ પણ ઈમારત વગરનો જ રહેવો જોઈએ. આવું ઠરાવવા પાછળનું કારણ પણ અમે જણાવ્યું હતું : કોઈ પણ વખતે કટોકટી કે આફત આવી પડે અને મુંબઈમાંના કંપની સરકારના આખેઆખા લશ્કરને એક જ ઠેકાણે ભેગું કરવાની જરૂર પડે, તો તેમ કરી શકાય એવી આખા કોટ વિસ્તારમાં એક જ એવી જગ્યા છે : બોમ્બે ગ્રીન. લેફ્ટનન્ટ કર્નલ એટકિન્સે બોમ્બે ગવર્મેન્ટના સેક્રેટરી ન્યૂનહામને લખેલા પત્રમાં આ મકાન બાંધવા માટેની સંભવિત જગ્યાનો નકશો મોકલ્યો હોવાનો ઉલ્લેખ છે, પણ એ નકશો અમારા જોવામાં આવ્યો નથી. એટલે તમે સૂચવેલ જગ્યાએ ટાઉન હોલનું મકાન બાંધવાથી બોમ્બે ગ્રીનને અને તેથી કંપની સરકારનાં હિતને કેટલી હાનિ થશે એ અમે જાણી શકતા નથી. આ બાબત અંગે અમને પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી ટાઉન હોલ માટેનું મકાન બાંધવાની મંજૂરી આપી શકાય નહિ. 

લંડનમાં બેઠેલા હાકેમોના આ જવાબથી પહેલાં તો બોમ્બે ગવર્નમેન્ટના અધિકારીઓ ડઘાઈ ગયા. પછી તપાસ કરતાં જણાયું કે ટાઉન હોલની જગ્યા દર્શાવતો નકશો લંડન મોકલવાનું સરતચૂકથી રહી ગયું હતું. એટલે મુંબઈ સરકારે લંડનના હાકેમોને લખ્યું કે અગાઉ સરતચૂકથી જે નકશો મોકલવાનો રહી ગયો હતો તે આ સાથે અમે આપને મોકલીએ છીએ. તેના પરથી આપ જોઈ શકશો કે અમે જે જગ્યાએ ટાઉન હોલનું મકાન બાંધવાની દરખાસ્ત કરી છે તે જગ્યાની એક બાજુ મિન્ટ કહેતાં ટંકશાળ બાંધવાની અને બીજી બાજુ બોમ્બે ફોર્ટના ચોકિયાતો માટેની ઈમારત બાંધવાની મંજૂરી આપે અગાઉ આપી છે. અમે જ્યાં ટાઉન હોલનું મકાન બાંધવા માગીએ છીએ તે જગ્યા આ બે ઈમારતની વચ્ચે આવેલી છે. આ રીતે ત્રણ ઈમારત એક લાઈનમાં બાંધવાથી ઓછામાં ઓછી ૨૦૦ ફૂટ જેટલી ખુલ્લી જગ્યા બોમ્બે ગ્રીનમાં ઉમેરાશે. એટલે જ્યારે આ ત્રણે ઈમારત બંધાઈ રહેશે ત્યારે બોમ્બે ગ્રીનની શોભા વધવા ઉપરાંત લશ્કરી હેતુઓ માટે ઓછી નહિ, પણ વધુ જગ્યા મળી રહેશે. 

કર્નલ કાઉપરે બનાવેલી ટાઉન હોલની ડિઝાઈન

વળી અત્યારે લિટરરી સોસાયટીએ એકઠાં કરેલાં પુસ્તકો, મૂર્તિઓ, ચિત્રો, વગેરે જુદે જુદે સ્થળે ધૂળ ખાતાં પડ્યાં છે. વીસ હજાર પાઉન્ડને ખર્ચે તૈયાર થયેલાં કોર્નવોલીસ, મિસ્ટર પિટ, અને વેલેસ્લીનાં પૂતળાં અત્યારે ગોડાઉનમાં ધૂળ ખાતાં પડ્યાં છે. જો ટાઉન હોલનું મકાન બંધાય તો સોસાયટીએ ભેગા કરેલા અમૂલ્ય સંગ્રહને, અને આ ત્રણે પૂતળાંને કાયમી રહેઠાણ મળી રહેશે. વળી અમે જે વિગતવાર દરખાસ્ત આપને મોકલી હતી તેને આધારે અમને આપની મંજૂરી મળી રહેશે એવી અમને આશા જ નહિ, ખાતરી હતી. એટલે ટાઉન હોલના મકાનના બાંધકામ માટે રચાયેલી સમિતિએ જરૂરી એવી કેટલીક વસ્તુઓ ૮૦ હજાર રૂપિયાના ખર્ચે ગ્રેટ બ્રિટનથી મગાવવાનો ઓર્ડર આપી દીધો છે એટલું જ નહિ, તેમાંની કેટલીક વસ્તુઓ તો મુંબઈ પહોંચી પણ ગઈ છે. છેવટે મુંબઈ સરકારે ઉમેર્યું : અમને ખાતરી છે કે આપે જે વાંધા અને વિરોધ દર્શાવ્યા છે તે અધૂરી અને અપૂરતી માહિતીને કારણે છે. એક વાર આપ સાચી હકીકતથી વાકેફ થશો પછી અમે માગેલી પરવાનગી આપવામાં આપને કશું વાંધાજનક નહિ લાગે એની અમને ખાતરી છે.

ટાઉન હોલના મકાનમાંની તકતી

આ રુક્કાના જવાબમાં લંડનમાં બેઠેલા માંધાતાઓએ જણાવ્યું કે તમે જે ખુલાસા મોકલ્યા છે અને ચીફ એન્જીનિયરે બનાવેલો જે નકશો મોકલ્યો છે તે જોયા પછી અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે ટાઉન હોલનું મકાન બાંધવા માટે જે જગ્યા સૂચવવામાં આવી છે તે જગ્યા બોમ્બે ગવર્નમેન્ટ પચાસ વરસ માટે લીઝ પર આપે તો તે સામે અમને વાંધો નથી. લીઝ પેટે રકમ લેવી કે નહિ, અને લેવી તો કેટલી, એ બોમ્બે ગવર્નમેન્ટ નક્કી કરશે. પણ ગ્રેટ બ્રિટનમાં અત્યારે પ્રવર્તતા કાયદા પ્રમાણે પચાસ વરસને અંતે જમીન અને તેના પર બંધાયેલી ઈમારત આપોઆપ કંપની સરકારની માલિકીની બની જશે.

લંડનમાં આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસનું ચિત્ર 

ચાલો. એક મોટી ઘાત તો માંડ ટળી. પણ મકાન બાંધવા માટેનાં ફદિયાંનું શું? ટાઉન હોલ બાંધવા માટેની અંગ્રેજોની સમિતિએ ફરી એક વાર લોટરી કાઢવાની મંજૂરી મુંબઈ સરકાર પાસે માગી. પણ આ વખતે કુલ ટિકિટ ફક્ત ૧,૫૦૦, પહેલું ઇનામ રૂપિયા ત્રીસ હજાર. બીજાં ૩૩૬ ઇનામ. ત્રણ હજારનો ખરચ બાદ કરતાં સાફી આવક રૂપિયા ૧,૨૦,૦૦૦. સાથોસાથ લોટરીની રકમ એકઠી થાય તેની રાહ જોયા વગર ટાઉન હોલના મકાનનું બાંધકામ શરૂ કરવાની પરવાનગી સમિતિએ બોમ્બે ગવર્નમેન્ટ પાસે માગી. બંધાનારા મકાનનો મેજર કાઉપરે તૈયાર કરેલો  આરાખડો પણ સાથે મોકલ્યો. (જે અહીં મૂક્યો છે.)

પ્રિય વાચક! વિધિની કેવી વિચિત્રતા! ખાંખાંખોળાં કરવાથી ટાઉન હોલ અંગે આટલી બધી હકીકત જાણવા મળે છે, પણ તેના મકાનનું ખાતમુરત કયે દિવસે થયું, કોને હાથે થયું, એ વિષે કશું જ જાણવા મળતું નથી!. એ મકાનમાં ચોડેલી તકતીમાં પણ એટલું જ જણાવ્યું છે કે કર્નલ થોમસ કાઉપરે તૈયાર કરેલ ડિઝાઈન પ્રમાણે આ મકાનનું બાંધકામ ઈ.સ. ૧૮૨૧માં શરૂ થયું હતું અને ઈ.સ. ૧૮૩૩માં પૂરું થયું હતું.

આ તો જાણે બાર વરસે બાવો બોલ્યો! પણ એવું થયું કેમ? એની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 નવેમ્બર 2025

Loading

...102030...146147148149...160170180...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved