૧. પૂર્વરાગ :
હું કૉલેજના પહેલા – બીજા વર્ષમાં હતો અને ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલો. સરકાર રાબેતામુજબ નિષ્ક્રિય હતી. ત્યારે ‘દુષ્કાળ પ્રતિરોધ સમિતિ’ના અન્વયે કામ કરતાં કરતાં રઘુવીર ચૌધરીને પહેલીવાર મળેલો. અમારી સાથે ફરી, ડબ્બો હાથમાં લઈ ફાળો ઉઘરાવતા, પરિષદના બંધાઈ રહેલા મકાન માટે નાનામાં નાનું ધ્યાન રાખતા. એ વખતે અનાયાસ હું વેચાણવેરા ભવનમાં, પરિષદની પડોશમાં કારકૂન હતો. પછી મેઘાણી હો કે ભગતસિંહ, પ્રેમચંદજી વગેરેના કાર્યક્રમોમાં અમારી સાથે જોડાતા હતા. દ્વારિકાનાથ રથ, કનુભાઈ ખડદિયા, મીનાક્ષીબહેન જોશી, દામિનીબહેન શાહના અમારાં જૂથને હૂંફ પૂરી પાડતા હતા. સાદગીપૂર્ણ જીવન, મૂલ્યનિષ્ઠ સાહિત્યની જિકર, ઉમાશંકર-દર્શકના અનુયાયી હોવાનું ગૌરવ – આ બધાં વાનાં મને આકર્ષતા હતા. નાનામાં નાના માણસ સાથે પ્રેમથી વર્તે. એમની સાહિત્યકૃતિમાં આદર્શવાદ અને પ્રાયોજિત વાસ્તવ હોઈ, દૂરિતનો મુકાબલો ઓછો હોવાથી મને સંકુલ લેખક કદી નથી લાગ્યા. એમની વાર્તાઓ, ‘ઉપરવાસ’ કથાત્રયી કે ‘સોમર્તીથ’માં જુદાં જુદાં કારણોસર રસ પડેલો. મેં ૨૦૦૨માં ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ એવું સંપાદન કરેલું છે. ‘ચિત્રપ્રિયા’વાળા એકાદ આકલનને બાદ કરતાં અન્ય નવલકથાકારો સક્ષમ છે. એ પરંપરામાં જ્ઞાનપીઠાધીશ આપણા સહુના રઘુવીરભાઈ બની રહ્યાં છે ત્યારે હું તેમને સો સો સલામું મારવામાં ગૌરવ અનુભવું છું. નવમાં દાયકામાં એમણે જ દલિતસાહિત્યને પ્રતિષ્ઠિત કરવામાં ફાળો આપેલો છે. છતાં એવોર્ડ મળતાવેંત જ એમણે કેટલાંક એવાં ઉદ્દગારો કર્યાં છે કે તેમણે મારા જેવા એમના ચાહકને નિરાશ કર્યો છે. તેથી મને થાય કે સમૂહમાધ્યમો એમનો આવો ‘ઉપયોગ’ કરે તે પહેલાં તેઓ જરા ખમૈયા કરે તો સારું.
૨. ઉત્તરરાગ :
અકાદમીની સ્વાયત્તતાના સળગતા સવાલમાં ઝંપલાવતા એમણે લાગલું કહી જ દીધું કે કોર્ટ ચડવાની જરૂર નહોતી! સંવાદથી પ્રશ્ન ઉકેલાવો જોઈએ. આમ કહેવામાં નિવૃત્ત થતા પરિષદપ્રમુખ અને નવનિયુક્ત પરિષદપ્રમુખની અવમાનના છે. ડૉ. ધીરુ પરીખ અને ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા જ કોર્ટ ચઢેલા છે! નારાયણ દેસાઈના ઠરાવ પછી ઈ.સ. ૨૦૦૮થી સંવાદની કેટકેટલી શકયતા હતી. કેમ કંઈ થયું નહીં? શું આ અંગે સંવાદની પૂર્ણ કામગીરી કરીને જ સાહિત્યકારો ન છૂટકે કોર્ટ પાસે નથી ગયા? જે ઉમાશંકર – દર્શકની ઝંખનાની અકાદમી હતી અને જે અકાદમીનું બંધારણ સોસાયટી ઍક્ટ મુજબ રજિસ્ટર્ડ થયેલું હોય તેનાં વર્તમાન સરકાર લીરેલીરાં ઉડાવી દે, એ ગુજરાતી સર્જકોનું અપમાન નથી? જે બાર-માથાળી સરકાર મહુવા સેઝ માટે વિભીષણ સમા કનુભાઈ કળસરિયાને કોર્ટ ચઢાવે છે ત્યારે તો તેઓ ભાજપના સન્માનનીય નેતા હતા છતાં પણ તો શું આ સરકાર પાસે આ સંવાદની અપેક્ષા રાખી શકાય?
બીજું કે આપનો પડ્યો બોલ ઝિલતા રાજેન્દ્ર પટેલ, નીતિન વડગામા કે જનક નાયકને તમે બિનસ્વાયત્ત અકાદમીના કારોબારી સભ્યો બનતાં અટકાવી ન શકો? બલકે તમારી એક કૉલમ હતી તે મુજબ આપે ‘આંખ આડા કાન’ કર્યાં છે. જો તમે કોર્ટ ચઢનારાની ટીકા કરી શકતા હો તો બિનસ્વાયત્ત અકાદમીમાં કારોબારી સભ્યો બનનાર ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્યોને હરફમાત્ર પણ કહી શકતા નથી? ગુજરાત સાહિત્ય અકાદમીનું સરકારીકરણ જેવી ઐતિહાસિક ઘટનાના ભાગીદારોને તમે રોક્યા?
ત્યાર બાદ આપે કેન્દ્રીય સાહિત્ય અકાદમીને પુરસ્કાર પાછા આપનાર લેખકોને પણ અયોગ્ય ઠરાવ્યાં ! તમે કહ્યું કે ‘લેખક એ કાંઈ વિરોધપક્ષનો નેતા નથી’ હકીકત એ છેક એ સરકારી વાજિંત્ર પણ ન હોવો જોઈએ. આપે કહ્યું કે ‘કુલબુર્ગીને શ્રદ્ધાંજલિ અપાઈ ચૂકી છે તેથી હવે વિરોધની જરૂર નથી’ આપો જાણો છો કે કે. સચ્ચિદાનંદે ત્રણ ત્રણ પત્રો લખ્યા છતાં શ્રદ્ધાંજલિ અપાઈ નથી! તેથી એમણે રાજીનામું આપ્યું, પુરસ્કારો પાછા અપાયા પછી અકાદમીએ શ્રદ્ધાંજલિ આપી ! દાભોલકર, કુલબુર્ગી કે પાનસરેની હત્યાના સંદર્ભે દેશભરમાં સંમેલનો થયાં છે, શ્રદ્ધાંજલિઓ અપાઈ છે જયારે ‘ગુજરાત કોરી કોરી રે છે’ શું એમાં આપણો ફાળો નથી? ઍવોર્ડવાપસી એ પ્રતિરોધની એક રીત છે તેથી ન આપનારાઓએ ટીકા કરવી જરૂરી નથી.
તમે અસહિષ્ણુતાના સંદર્ભે કહ્યું કે ભારતના ભાગલા વખત જેવી અત્યારે પરિસ્થિતિ નથી. શું આપણે એ પરિસ્થિતિની રાહ જોવી છે? બાબરીધ્વંશ પછી ભારતમાં સાંપ્રદાયિક રાજનીતિએ માઝા મૂકી છે. ૨૦૦૨નું ગુજરાત, મૂઝફ્ફરનગર, માલદાના દૃષ્ટાંતો સામે જ છે. તેથી અકાદમીઍવોર્ડ વિજેતા કમલેશ્વરે પોતાની એક રચનાનું નામ -‘કિતને પાકિસ્તાન’ આપ્યું છે. બાબરીથી દાદરીમાં દૃઢ થતી અસહિષ્ણુતા સામે પણ તમે આ રીતે આંખ આડા કાન કરી રહ્યાં છો.
તમે કહ્યું કે મેં પણ કટોકટીના દિવસોમાં રાજયનો વિરોધ કરેલો છે, પરંતુ એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી જે કટોકટીનો વિરોધ કરી રહી હતી. તદુપરાંત ઉમાશંકર, દર્શક વગેરે પણ એના વિરોધમાં હતા. એક વાતાવરણ હતું. આજે તમારા દ્વારા એવું વાતાવરણ સર્જાવું જોઈએ. હવે તમે અગ્રણી છો. ‘મિસા’ના કાયદાને બચ્ચું ગણી શકાય તેવા અનેક કાળા કાયદાઓ ઘડાયાં છે અને અપ્રત્યક્ષ કટોકટી છે. ગિરીશભાઈ પટેલને મળશો તો ખબર પડશે કે કઈ કટોકટી મોટી છે. ગુજસીટૉક એનું છેલ્લું દૃષ્ટાંત છે.
તમે એમ પણ કહ્યું કે તમે પાટીદારના અનામત આંદોલનનો વિરોધ કર્યો છે, પરંતુ હાર્દિક પટેલ વગેરેની દલીલ એ છે કે જેમ, કેટલાંક આંજણા પાટીદારો ગરીબ છે, કેટલાંક પૈસાદાર છે એવું જ કડવા-લેઉવામાં છે. જો બક્ષીપંચમાં આંજણા પાટીદારોને અનામત આપવામાં આવી છે તો અમને શા માટે નહીં? શું આપ આંજણા પાટીદારોને બક્ષીપંચ અન્વયે મળેલી અનામતનો પણ વિરોધ કરશો?
ટૂંકમાં, ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા, અસહિષ્ણુતા – એવોર્ડવાપસી અને વર્તમાન પરિસ્થિતિ વિશેનું તમારું આકલન નર્યું ઊભડક છે. જ્ઞાનપીઠવિજેતા બનવા બદલ રઘુવીરભાઈને મારી સો સો સલામું છે. જે તેઓ સ્વીકારશે અને એવી આશા રાખું છું કે ગાંધીવિચારસરણથી પ્રભાવિત, ઉમાશંકર-દર્શકના અંતેવાસી એવા રઘુવીરભાઈ મારી ટીકાઓને પણ ગંભીરતાથી લેશે.
થોડું લખ્યું છે ઝાઝું કરીને વાંચશો.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 10-11