એક બૌદ્ધિક કેટલું તો સમયપ્રસ્તુત અને આજે પણ સાચું લાગે એવું સાર્વત્રિક ચિન્તવી શકે તેનું ગોવર્ધનરામ અદકેરું દૃષ્ટાન્ત હતા
સમીક્ષાની દરેક ઘટનાને ‘સરસ્વતીચંદ્ર’ નવલને અર્પાયેલી હૃદયાંજલિ ગણવી જોઈએ; ગોવર્ધનરામને અર્પાયેલી પ્રેમાંજલિ ગણવી જોઈએ
પણ્ડિતયુગના આપણા સુખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્મૃિતમાં ગયા બુધવારે [27 અૅપ્રિલ 2016] ભારત સરકાર દ્વારા ટપાલ-ટિકિટ બહાર પડી છે. ગુજરાતમાં, દેશમાં તેમ જ ઇન્ગ્લૅન્ડ-અમેરિકામાં વસતી ગુજરાતી પ્રજાને અને સૌ ગુજરાતી સાહિત્યકારોને તેમ જ ભાષા-સાહિત્યપ્રેમીઓને ગર્વ થાય એવી ઘટના. ભારત સરકારના ‘સંચાર અને સૂચના પ્રાદ્યોગિકી મન્ત્રાલય’-ના ટપાલ વિભાગ અને ‘રમતગમત યુવા ને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ વિભાગ’ તથા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમન્ત્રીશ્રી આનંદીબહેનના હસ્તે ટિકિટનું લોકાર્પણ થયું. સમારમ્ભમાં રાજ્યકલ્યાણ મન્ત્રીશ્રી (ર. ગ.) નાનુભાઈ વાનાણી, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ -ગુજરાત સર્કલ લૅફ. કર્નલ ડી. કે. એસ. ચૌહાણ, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, ઉપરાન્ત, ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમ જ ઉર્દૂના અનેક ગણમાન્ય સાહિત્યકારો ઉપસ્થિત હતા. સમારમ્ભમાં જાણે ગોવર્ધનરામ સ્વયં હાજર હતા – કેમ કે હસિત મહેતા નડિયાદથી ગોવર્ધનરામ પ્હૅરતા એ લાલ પાઘડી લાવેલા. પાંચ રૂપિયાની આ ટિકિટ પર ગોવર્ધનરામની છબિ અને બાજુમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ વગેરે પુસ્તકો બતાવ્યાં છે. ટિકિટ અને તેના લોકાર્પણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને બન્નેને હાર્દિક અભિનન્દન ઘટે છે.
આ પ્રસંગે મને ગોવર્ધનરામનાં બે સ્વરૂપો યાદ આવે છે : એક તો, એઓ મનુષ્યજીવનના અચ્છા દૃષ્ટા હતા. ‘સરસ્વતીચંદ્ર’ લખવા પાછળનો મનસૂબો જ એ હતો કે ‘ઇશ્વરની લીલાનું સદર્થે ચિત્ર’ કરવું. લીલામાં તો સારાં અને નરસાં બન્ને પ્રકારનાં મનુષ્યો હોય. એમણે પાત્રોનાં નામો પણ એવાં જ રાખ્યાં – સારપ કે નઠારપ અથવા સદ્ગુણ કે દુર્ગુણ સૂચવનારાં. પરિણામે નવલકથા સર્વજન-સ્પર્શી અને સર્વકાલીન બની રહી. જેમ કે આજે પણ આપણી આસપાસમાં સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર કે કુમુદ છે; તો વળી, પ્રમાદધન, તર્કપ્રસાદ, અર્થદાસ, અશરણશરણ, ઉદ્ધતલાલ, ખલકનંદા, ગરબડદાસ, ઘુરકેરાવ, જડસિંહ કે ધૂર્તલાલ પણ છે જ છે ! ગોવર્ધનરામને લોકો ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક તરીકે વધારે જાણે છે. એક એવો જમાનો હતો જ્યારે ‘સરસ્વતીચંદ્ર’ વાંચ્યા વગરની વ્યક્તિને કોઈ સાહિત્યરસિક ગણતું નહોતું. એને વિશે વિવેચન ન લખ્યું હોય એને કોઈ વિવેચક ગણતું નહોતું. રચનાનું સત આજે એવું પ્રકાશેલું છે કે કેટલા ય સારસ્વતો વગર વાંચ્યે નવલની બારોબારિયા વાતોમાં જોડાઈ જતા હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ ચાર ભાગમાં છે; પહેલામાં બુદ્ધિધનનો રાજકારભાર; બીજામાં ગુણસુંદરીનું કુટંબજાળ; ત્રીજામાં રત્નનગરીનું રાજ્યતન્ત્ર; અને ચોથામાં સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય ચીતરાયું છે એટલું કહેનારા પણ સુખે મોટા અભ્યાસી ઠરે છે.
વર્ષો લગી આ મહાનવલની ભૂરિ (ખૂબ) પ્રશંસા થયેલી – અઢાર પુરાણો જેવું પુરાણ છે – મહાકાવ્ય છે. ગાંધીજીએ જુદું કહેલું : “પહેલા ભાગમાં એમણે (ગોવર્ધનરામે) પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે; ચરિત્રચિત્રણ એના જેવું ક્યાં ય નથી; બીજામાં હિંદુસંસાર સરસ ચીતરાયો છે; ત્રીજામાં એમની કળા ઊડી ગઈ અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા આપી દઉં તો કેવું સારું !” વીસમી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ‘સરસ્વતીચંદ્ર’-ને કલાપરક નિષ્ફળતા – ઍસ્થેટિક ફૅઇલ્યૉર – ગણનારા વિવેચકો પણ આવ્યા.
હકીકત એ છે કે પ્રશંસાવાચક કે ટીકાવાચક એ દરેક મન્તવ્યમાં સમીક્ષાદૃષ્ટિ (સરખાઈથી જોવું) હતી. દરેકમાં સાહિત્યકલાવિષયક સત્ય ચમકતું હતું. એ સત્યને અંકે કરવાને બદલે, પણ્ડિતો ખરા, આધુનિકો ખોટા, પ્રકારનો મિથ્યા વિવાદ વિસ્તરેલો. ખરેખર તો, પ્રશંસા/ટીકાથી ખુશ/નાખુશ થવાને બદલે સમીક્ષાની એ દરેક ઘટનાને આપણે ‘સરસ્વતીચંદ્ર’ નવલને અર્પાયેલી હૃદયાંજલિ ગણવી જોઈએ; ગોવર્ધનરામને અર્પાયેલી પ્રેમાંજલિ ગણવી જોઈએ. બીજી હકીકત એ છે કે દરેક મહાન વ્યક્તિની, સાહિત્યકાર કે કલાકારની કીર્તિ ઘણા સમય લગી સુસ્થિત ધજાની માફક ફરફરતી રહે છે પણ ક્રમે ક્રમે એનો હવામાં માત્ર ફરફરાટ જ બચે છે. માત્ર ફરફરાટ જેવો શેષ-વિશેષ પણ નગણ્ય નથી હોતો એ ત્રીજી હકીકત પણ એટલી જ નોંધપાત્ર છે. કેમ કે ભાવિ પ્રજાઓ જન્મદિવસ પુણ્યતિથિ દશાબ્દી કે શતાબ્દી ઊજવે છે ત્યારે એ ફરફરાટને વળી એટલા જ આનન્દથી બોટી લે છે, અંકે કરી પ્રસન્ન થાય છે. અને એમ, કીર્તિગાથા વિકસતી ચાલે છે. આ ટિકિટ-પ્રકાશનને પણ એવી સાર્થક ઉજવણી ગણી શકાય.
ગોવર્ધનરામનો જન્મ 1855-માં, અવસાન 1907-માં. માત્ર બાવન વર્ષનું આયુષ્ય. હજી તો ઊગતી જુવાનીનાં વર્ષો હતાં, પણ, જેને એરીયાઝ ઑફ ઑબ્લિગેશન કહેવાય, એવાં એમણે ત્રણ જીવન-કર્તવ્યો નક્કી કરી નાખેલાં. એમના જ શબ્દોમાં સાંભળો : “ઍલ.ઍલ.બી.-ની પરીક્ષામાં પાસ થવું : પછીથી મુંબઈમાં વકીલાતનો સ્વતન્ત્ર ધંધો માંડવો, અને કોઈની નોકરી કરવી નહિ : લગભગ ચાળીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈ, બાકીની જિન્દગી સાહિત્યની સેવામાં અને સાહિત્ય દ્વારા જનસમાજની સેવામાં ગુજારવી” : આ ત્રણ સંકલ્પોને પરિણામે એમને ‘કુટુંબ છોડીને સંન્યાસી થાઉં ?’ જેવી દારુણ વિમાસણ થઈ હતી. અને એને અન્તે ‘પ્રવૃત્તિમય સંન્યાસ’-નું દર્શન લાધ્યું હતું. સાહિત્ય, સમાજ અને દેશને વિશેનું હિતચિન્તન પ્રગટ્યું હતું. એ દીર્ઘ વારતામાં જવા મારી પાસે જગ્યા નથી. પરન્તુ કહું કે ગોવર્ધનરામ એક બૌદ્ધિક કેટલી તો નિસબત સાથે કેટલું તો સમયપ્રસ્તુત – રૅલેવ્ટ – વળી, કેટલું તો આજે પણ સાચું લાગે એવું સાર્વત્રિક -યુનિવર્સલ – ચિન્તવી શકે તેનું અદકેરું દૃષ્ટાન્ત પુરવાર થયેલા. એ એમનું સમ્પ્રજ્ઞ દેશપ્રેમી તરીકેનું બીજું સ્વરૂપ છે. ટિકિટ-પ્રકાશન-પ્રસંગે મને એમના એ સ્વરૂપને યાદ કરતાં સવિશેષ આનન્દ થાય છે. એક અવતરણ આપું. એવું લાગશે, ગોવર્ધનરામ આપણી બાજુમાં ઊભા રહી આપણા જ વર્તમાન વિશે બોલી રહ્યા છે : જરા ધીરજથી વાંચજો : કહે છે :
“આપણા દેશમાં કેટલાં અનિષ્ટો અસ્તિત્વ ધરાવે છે એની તપાસ કરો. માણસોનાં ચિત્તને અને હૃદયને વિભક્ત કરતા અસંખ્ય ધર્મસંપ્રદાયો; રાષ્ટ્રે ખોટી અને ઝેરી સામાજિક બેડીઓ જે કોઈ પણ જાતના વિરોધ કે અણગમા વગર પહેરી છે તે; એટલું જ નહિ પણ ઊલટું, જે પહેરવામાં ઝનૂની આનંદ અને ગૌરવ મનાય છે તે; જનતાને ઉત્તર ધ્રુવની ગાઢ રાત્રિની માફક આવરીને પડેલું દુર્દમ્ય અજ્ઞાન; રાષ્ટ્રીય સુધારણાનાં સ્વાભાવિક આંદોલનોને અવળે માર્ગે દોરી રહેતા, પર્વતના જેવા મોટા અને શક્તિવાળા, વહેમો; રાષ્ટ્રપ્રતિભાના આવિષ્કારના ક્ષેત્રનો કૃત્રિમ રીતે કરાતો નાશ; શિક્ષિત દેશીઓની વધતી જતી મહત્ત્વાકાંક્ષી સ્વાર્થી અને પાપી ગૂંગળામણ; અને આ, સૌથી ય બદતર એવી ગરીબી – જેને રાષ્ટ્રના હૃદયને ચરી ખાવા છૂટી મેલવામાં આવી છે -અને જેને એવી અમર્યાદ છૂટ આપવામાં આવી છે કે કદાચ એવો સમય પણ આવી જાય કે જ્યારે રાષ્ટ્રનું મગજ સુધ્ધાં એ રાક્ષસીના પેટમાં હોમાઇ જાય.” કહે છે : “આ બધામાં ઉમેરો -જાતજાતનાં સામાજિક રાજકીય વિભેદો અને ઝઘડાઓ અને બેવકૂફી અને અજ્ઞાનનાં સ્વાભાવિક પરિણામો; દેશ અને વિદેશને લગતી એકેએક બાબતમાં પ્રજાની દયાજનક નિ:સહાયતા; અને, જીભ પર મધુર શબ્દો પણ હૃદયમાં પરદેશનું હિત ધરાવતા વાલીઓ દ્વારા થતાં વિવિધ પ્રકારનાં અસાધારણ શોષણ.”
સામાન્યપણે હું અવતરણો નથી આપતો. મારો સ્વભાવ નહીં. પરન્તુ મને થયું કે ગોવર્ધનરામની સ્મૃિતમાં જો ટપાલ-ટિકિટ બહાર પડી છે તો એમનાં આટલાં વચનોનું – મારી દરમ્યાનગીરી વગર – ભલે સીધું શ્રવણ થાય.
સૌજન્ય : ૩૦ / ૪ / ૨૦૧૬-ના રોજ 'નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત
https://www.facebook.com/suman.shah.94/posts/1156043021093276