અભિવ્યક્તિસ્વાતંત્ર્યની અવગણના અને મત કે અભિપ્રાય દર્શાવવા સબબ કરવામાં આવતી હિંસા કે હત્યાના બનાવો વધતાં એ અંગે પોતાનો વિરોધ દર્શાવવા અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તદવિષયક બેજવાબદારી અંગે લેખકોની ઍવૉર્ડ પરત કરવાની જે પ્રક્રિયા ચાલી, એ વિશે એવો મત તારસ્વરે પ્રવર્તે છે કે આમ ઍવૉર્ડ પરત કરવા એ વાજબી નથી, આ ખોટું છે. એમ પણ કહેવાય છે કે આ તો આપણા દેશની સરકાર છે, પરદેશી સરકાર નથી. તો પછી આ શોભાસ્પદ ના ગણાય. આ જોતાં એમ લાગે છે કે આઝાદી આવ્યાને ૬૮ વરસ થયાં તો ય લોકશાહી ધરાવતા આપણા દેશના અનેક લોકોના ડીએનએમાં, આઝાદી પછી જન્મ્યા એ લોકોમાં પણ, ગુલામ નામનો અલંકાર અભિધામાં વપરાતો જોવા મળે છે. આવું કેમ એવો પ્રશ્ન પૂછવા કરતાં એ અંગે થોડોક વિમર્શ કરીએ તો કેવું?!
જે-તે સમય અને સંસ્કૃિતનું સીધું અને આડકતરું પ્રતિબિંબ કળા વ્યક્ત કરતી જ હોય છે અને એટલે એના ઉપર મોટો મદાર હોય છે. સાહિત્ય કલા હોવાથી એના સર્જકોની પાસે એક અપેક્ષા રહે છે કે એ એના સમય, સમાજ અને સંસ્કૃિત ઉપર પ્રકાશ ફેંકે, એનાં આવર્તનો, વિવર્તો, સારાંનરસાં પાસાં વગેરેને એના આગવાપણાથી વ્યક્ત કરે. અને કલા એ કામ સુપેરે કરતી જ હોય છે. કલાવાદીઓ પણ ગમે તેવા દાવા કરે છતાં આ એક હકીકત છે અને એ દૃષ્ટિએ લેખકની નિસબત અને ભૂમિકા અંગે અહીં વાત કરવાનું ધાર્યું છે.
વીસમી સદીમાં, જગતભરમાં ઠેરઠેર ક્રાંતિઓ અને સત્તાપલટા પછી આપણે સહુ માનવસ્વાતંત્ર્ય, બજારવાદ, મૂડીવાદ અને સામ્યવાદ અને લોકશાહીનાં વિધવિધ સંચલનોથી ઘડાતી આવતી વૈશ્વિક સંસ્કૃિતના આરંભિક તબક્કાના સમયમાં પરંપરા અને સંકુચિતતા, વર્ણભેદ અને વર્ગભેદ, રંગભેદ અને જાતિભેદનાં આવર્તનો વચ્ચે જીવીએ છીએ, કહો કે આવો કંઇક માહોલ આ ૨૧મી સદીનો છે. શોષણ અને એની પદ્ધતિઓ આધુનિક રૂપરંગમાં વધારે વ્યાપક બન્યાં છે. બજારવાદ અને ઉત્પાદનની ભરમારે એક એવો વર્ગ પેદા કર્યો છે, જેને બજારુ હલચલ અને એના કારણે પ્રસરતી રહેતી ઉપભોગભરી પ્રક્રિયાઓ અને એમાંથી છલકાતું નાણું આકર્ષે છે. એમાં લેખનવ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સામેલગીરી સમયાંતરે વધતી ચાલી છે. શાસને લેખકોને આકર્ષવા અને પોતા તરફ કરવા પોતાનાં વલણોને ખાસ ઝોક આપ્યો છે અને એટલે એમની નિસબત અને ભૂમિકા શાસન તરફી હોવાની વાતને સીઘાં સમર્થન મળ્યાં છે.
આપણે ત્યાંનું અકાદમી-સ્વાયત્તતા આંદોલન, એવાં ઉદાહરણો પૂરાં પાડે જ છે, જેમાં રાજ્ય તરફી વલણો ધરાવતાં લેખકમિત્રો ખાસ્સાં પ્રકાશમાં આવ્યા છે. એના સીધા કારણમાં વળતર અને મળતર હોય છે, એમાં કોઈ બેમત નથી. આમ છતાં છાશ લેવા જવું અને દોણી સંતાડવી એવી રીતે લેખકો, પોતાનો દલા તરવાડી ન્યાયે (?!) દેખાડો કરતા રહ્યા છે અને પ્રજા પણ એ જાણે છે, એ મૂરખ નથી જ નથી. કેટલાક એમ પણ કહેતા હોય છે કે ભાઈ લેખકને ય પેટ હોય છે અને પરિવારે ય હોય છે એટલે એ જાતે ઊઠીને પોતાના પેટ પર લાત શાને મારે? સ્વાયત્તતા-આંદોલન નિમિત્તે અનેક મિત્રોને મળવાનું થયું, ત્યારે આ વાત અનેક વાર પ્રકાશમાં આવી હતી. એ ઉપરાંત એક છૂપો ભય પણ જણાયો છે કે પછી મારી કૃતિઓ છાપવાનું બંધ કરી દેશે તો મારું અને મારાં સર્જનોનું શું થશે? શાસન ને શાસન સાથે સંબંધિત સાહિત્યિક સંસ્થાઓ અને એના સંચાલકો પણ આ વાતનો ઉપયોગ કરતા હોય છે. સ્વાયત્ત સાહિત્યકારને સાચા અર્થમાં માન્ય કરે એવા શાસન અને શાસનપ્રણાલી, અને સાહિત્યિક સંસ્થાઓની ઓછપ છેલ્લા ત્રણ-ચાર દાયકાઓથી સતત વધુ ને વધુ પ્રગટ થવા લાગી છે. આથી ઊલટું, સ્વાયત્તતા પામેલી સંસ્થાઓ પણ સત્તાનો હાથો બની રહે એવી પેરવી એના સત્તાશીલ લેખક અને લેખકવૃંદ દ્વારા સરજાઈ છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ એનાં ઉદાહરણ પૂરાં પાડે છે, છતાં આ અંગે માંડીને વાત કરવા કોઈ રાજી નથી. એવું લાગે છે કે આપણને મળેલી સ્વતંત્રતા અને એનો લાભ લેવાની વેતરણમાં આઝાદી પછી અનેક લેખકો પળોટાતા ગયા અને એથી કરીને સમાજને લોકપ્રિય લેખકોની શ્રેણી મળી છતાં એવા ટકોરાબંધ લેખકો ઝૂઝ મળ્યા જેઓ શાસન કે શાસનપ્રેરિત વાતો અને અસરથી તેમ જ માન-અકરામ અને પ્રલોભનોથી મુક્ત રહ્યા હોય. આ અને આવાં અનેક કારણોને લીધે શાસન અને શાસકો લેખકોને ગણકારવા માટે અમુકતમુક શાસકીય પ્રક્રિયાઓમાં એમને સાંકળે અને લેખકની મૂલ્યનિષ્ઠાને સૂક્ષ્મ રીતે લૂણો લગાવતા રહે. એવું નથી કે લેખકને એની જાણ સદંતર ના હોય, બલકે એ પોતાને એટલો ચતુર માનતો હોય (કેટલાક કિસ્સામાં મુત્સદ્દી પણ માનતો હોય) કે આ તો આપણી તટસ્થતાનો આરો છે અને ઓવારો ય છે, સમય આવે પ્રવાહમાં ઝંપલાવતાં ક્યાં નથી આવડતું?! પરિણામે ચારિત્રિક પરિવર્તન એવી રીતે થવા લાગ્યું કે છેવટે એની મહામૂલી મૂડી એવી સ્વાયત્તતા બાપડી થવા લાગી અને એમણે એને એવા શબ્દોના વાઘા પહેરાવવાનું શરૂ કર્યું કે એમને પોતાને એમના આ છદ્મની જાણ સુધ્ધાં ના થઈ અને એ લોકોએ તારસ્વરે એમ પણ કહી દીધું કે અમારી સ્વાયત્તતા અમારી છે અને અમારી પાસે છે.
અજાણતાં પોતાની સમજણ ભૂલ આચરી બેસે અને જાણી કરીને સમજણને સત્તા નાતે લૂણો લગાડી બેસવો એ બેઉ બાબતમાં પાયાનો ભેદ છે. એકમાં ભૂલ સુધરી જ શકે છે અને મૂલ્યનિષ્ઠા બરકરાર રહે છે, બીજામાં, મૂલ્યનિષ્ઠા સત્તા સાથેની સોદાબાજીમાં લુણાઈ જવાથી, આંખની ખુમારી ઊણી બની રહે છે. એટલે કે લેખકની નિસબત, પોતાની કરોડરજ્જુ ટટાર રહે એની સાથે સંબંધિત છે અને એની ભૂમિકા સત્તાથી ઉફરી એવી પોતાની આગવી ચાલમાં રહેલી છે અને એ કોઈ ચેસનાં ઊંટ, હાથી, ઘોડા કે વજીર જેવી તો નહીં જ, તેમ જ પ્યાદા એટલે કે રાજાના સૈનિક જેવી પણ નહીં, કેવળ માણસ તરીકે સચ્ચાઈની ચાલનામાં રહેલી છે. છેલ્લા દાયકાઓમાં આપણે ત્યાં લેખકોમાંથી આ મૂલ્યનિષ્ઠાભરી સચ્ચાઈની ચાલના ભણીના ઝોકમાં ખાસ્સી ઓટ આવી છે અને એ માટે એનું સંવિત જ જવાબદાર છે. એને એ નથી દેખાયું કે એનાથી શો ફરક પડ્યો છે અને એના અવાજમાંથી સાદાસીધા માણસની ખુમારી ય કેમ ઘટવા લાગી છે! એટલે એણે ઊંચા અવાજે, વધારે બુલંદપણું દાખવીને બોલવું પડે છે કે જેથી ખોખલાપણું પ્રગટ ના થાય! એ હકીકત છે કે લેખક હોવું અને લેખકનો અભિનય કરવો એ તદ્દન જુદી અવસ્થા છે.
તો પછી લેખકની ભૂમિકા એટલે શું? એ એની સર્જકપ્રક્રિયાનો ભાગ છે કે સાચે જ એ એની અભિનયક્ષમતાનો પરિચાયક છે? હકીકતે આ મુદ્દાની માંડણી કરતી વેળાએ તો એનો સહજ સંબંધ નિસબત સાથે જ નોંધાયેલો; પણ લેખક હોવું અને લેખકનો અભિનય કરવો એ તદ્દન જુદી અવસ્થા છે, એમ કહ્યા પછી લેખકની ભૂમિકા શબ્દગુચ્છ વાપરતી વખતે આ સ્પષટતા જરૂરી લાગી, કારણ કે લેખકની માનવજીવન, સમાજ અને મૂલ્યનિષ્ઠા અંગેની નિસબત એની ભૂમિકાનું ચાલક બળ બની રહેતું હોય છે, અને તો જ એનો અર્થ આપણી આ રજૂઆતને સાર્થક બનાવી રહે.
જાગતિક ક્ષેત્રે આપણી પાસે બર્ટોલ્ટ બ્રેખ્ત અને સોલ્ઝેનિસ્તિનના દાખલા છે, જેઓ સીધી રીતે સામ્યવાદી રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અને પછી મૂલ્યનિષ્ઠા સંદર્ભે દૃઢતા દાખવતા એમણે ખાસ્સું ભોગવવું પડેલું અને પોતાના માદરે વતનને છોડવું પણ પડેલું. અહીં સૂચવવું એ છે કે પક્ષના સભ્ય હોવા ઉપરાંત પોતાનું માનવપણું અને એ અંગેની મૂલ્યનિષ્ઠાને એમણે પક્ષ કરતાં પણ અગત્યતા આપી અને એ માટે જે થાય એની તૈયારી પણ દાખવી. આ તો ગઈ સદીની વાત છે. આજે ૨૧મી સદીમાં લેખક પક્ષે કયા પ્રકારની અપેક્ષા હોવી જોઈએ અને દાખવવી જોઈએ એ સમજવું અને પરખવું આવશ્યક છે.
હકીકતે તો સમયનો તકાજો એ છે કે લેખકે પક્ષથી અળગા અને અલગા જ રહેવું ઘટે અને માનવસમાજની ધરોહર એવાં મૂલ્યો અને એમાં સમયાંતરે થતાં પરિવર્તનો તેમ જ એના ટકાઉપણા અંગે સતત જાગૃત રહી સ્પષ્ટતા દાખવવી પડે અને રાજ્ય તેમ જ સત્તાશીલોને એ અંગે ટકોરવા અને ટપારવા પણ પડે. રાજ્ય અને સત્તાનું સ્વછંદી મનસ્વીપણું હાવી ના થઈ જાય, અમુક તમુક જૂથ લોકશાહીને હસ્તગત કરીને મનફાવે તે ના કરે એ માટે લેખક સૌથી મોટું પરિબળ અને પ્રેરકબળ છે. આપણે ત્યાં આજકાલ જે કંઈ થઈ રહ્યું છે અને અભિવ્યક્તિસ્વાતંત્ર્યના અને સ્વાયત્તતાના જે સવાલો ઉપસ્થિત થવા લાગ્યા છે, એ ચોક્કસ અમુક ઇંગિતો પૂરાં પાડે છે અને જે-તે પક્ષો, રાજ્ય ને સત્તા શું કરવા માગે છે, એના નિદર્શનો પૂરાં પાડે છે. આ નિદર્શનો લેખક જ પકડી અને સમજી શકે તેમ જ પ્રજાને સમજાવી શકે, એ એનું ઉત્તરદાયિત્વ પણ છે. લેખકને અમસ્તો જ સમાજનો પ્રહરી નથી કહેવામાં આવ્યો, એમ કહેવા પાછળ એક ચોક્કસ વજૂદ રહેલું છે. એ જીવનનાં તમામ પાસાં અંગે અભિવ્યક્તિ સાધી શકે અને સમાજના પ્રવક્તા રૂપે કલાત્મક રીતે એ સ્પષ્ટ ઇંગિતો સાથે સભાનતા પ્રસરાવી શકે. આવા લેખકોની અનિવાર્યતા એ માટે પણ છે કે આવનારા સમયમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાના બનાવો વધવાના છે, જે રીતે આપણે ત્યાં રાજકીય દખલગીરી વધતી ચાલી છે, એ જોતાં નાગરિકસમાજને આવા લેખકો અને નાગરિકોની જરૂર ચોક્કસ વરતાવાની અને એ સમયે આવા લેખકો અને નાગરિકો કે જે કોઈની પણ શેહશરમમાં આવ્યા વિના તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી શકે અને સહુને એના પર ભરોસો બેસે, કારણ કે મૂલ્યનિષ્ઠા એનું ધારકબળ હોય. એટલે કે લેખકની નિસબત અને ભૂમિકા આ પ્રકારની રહે અને સમગ્ર સમાજ, રાજ્ય અને એના તંત્રને પણ ભરોસો પડે એ આજે અને હવે પછીના સમય માટે અનિવાર્ય છે. આમ કરવાથી જ પક્ષ આશ્રિત, રાજ્ય આશ્રિત અને સત્તાની રમતમાંથી મુક્ત લેખક અને એની સંસ્થાઓ, સાહિત્ય ને કલાનું સાચું અને નિષ્પક્ષ મૂલ્યાંકન પણ કરી શકશે તેમ જ એની વિશ્વસનિયતા સ્થાપી શકાશે. સંભવતઃ એ જ અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અને સ્વાયત્તતાની દિશાનું એક મોટું આગે કદમ હોય.
e.mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 05-06