આ શનિવાર, દશમીએ માનવઅધિકાર દિન નિમિત્તે એક નવા અંગ્રેજી સંશોધન ગ્રંથનો પરિચય …
‘પ્રોટેસ્ટ મૂવ્હમેન્ટસ એન્ડ સિટિઝન્સ રાઈટ્સ ઇન ગુજરાત 1970-2010’ એ વર્ષા ભગત-ગાંગુલીનું દળદાર અંગ્રેજી પુસ્તક તાજેતરમાં વાંચવા મળ્યું. તેમાં ખંતીલા સમાજશાસ્ત્રી વર્ષાબહેને ગુજરાતનાં પાંચ આંદોલનોનું દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ કરીને નાગરિક અધિકારોના પરિપ્રેક્ષ્યમાં તેમનું મૂલ્યાંકન કર્યું છે.
સંશોધનના આ વિષય અને તેના વ્યાપ એમ બંનેની રીતે પહેલવહેલું ગણી શકાય તેવું આ પુસ્તક સંશોધકે સિમલાની પ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થા ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડિઝ’ની અભ્યાસવૃત્તિ (ફેલોશીપ) હેઠળ લખ્યું છે. સંશોધકે ઊંડાણપૂર્વક તપાસેલાં પાંચ આંદોલનો છે : નવનિર્માણ (1973-74), અનામતની જોગવાઈ વિરુદ્ધનાં બે આંદોલનો (1981 અને 1985), નર્મદા યોજનાના વિરોધના વિરોધમાં ગુજરાત-મધ્યપ્રદેશની સરહદે થયેલું ફેરકુવા આંદોલન (1990-91) અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૂચિત સિમેન્ટ ફૅક્ટરીની સામે થયેલું મહુવા આંદોલન (2009-2015).
લેખક પહેલા પ્રકરણમાં જણાવે છે કે આ આંદોલનોને પંપરાગત કામદાર ચળવળો કે નવી સામાજિક ચળવળોની રીતે મૂલવી શકાય તેમ નથી. પણ ગુજરાતના લોકોએ તેમના અધિકારો માટે કરેલી ‘કલેક્ટિવ ઍક્શન્સ’ તરીકે તે ખૂબ મહત્ત્વનાં છે. ‘આ આંદોલનો ગુજરાતમાં નાગરિક અધિકારો, નાગરિક સમાજ અને આ બંનેની સામેના પડકારો તેમ જ સામાજિક બદલાવ તરફ જોવા માટેની બારી પૂરી પાડે છે’ એમ લેખક માને છે. તેમણે અહીં વિરોધ ચળવળ, નાગરિક અધિકાર અને તેની પ્રાદેશિકતા સહિતનો ગુજરાતનો નાગરિક-સમાજ એ ત્રણ બાબતોને સાંકળી છે. લેખક કહે છે : ‘ ગુજરાતનો નાગરિક-સમાજ નાગરિકતા અને લોકશાહી બંધારણના સંદર્ભમાં કેવો છે તે સમજવાની કોશિશ આ અભ્યાસમાં કરવામાં આવી છે.’
લેખકને ગુજરાત બે રીતે વધુ રસપ્રદ લાગે છે. એક, ગુજરાત ‘હિન્દુત્વની પ્રયોગશાળા’ અને ‘ડેવલપમેન્ટ મૉડેલ’ એવી પરસ્પર વિરોધાભાસી છાપ ધરાવે છે. બીજું, આ એવું રાજ્ય છે કે જેમાં વાટાઘાટો-બાંધછોડ-સમજૂતીથી કામ ચાલે છે, વિવાદ તેમ જ વિરોધ એ કેવળ નાછૂટકે અંતિમ માર્ગ તરીકે અપનાવવામાં આવે છે. લેખકે અહીં ‘નાગરિક અધિકાર તેમ જ નાગરિક ઘડતરની પ્રક્રિયાની રૂપરેખા’ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. વળી આંદોલનોને પરિવર્તનાત્મક રાજકારણ, સમાવેશક વિકાસની દિશા, સમાનતા તરફની ગતિ અને ન્યાયતંત્રના પ્રતિભાવની દૃષ્ટિએ પણ તપાસવામાં આવ્યાં છે. સંશોધનના ધ્યેયોનો આ રીતે નિર્દેશ કરવા ઉપરાંત લેખકે વિરોધનો અધિકાર તેમ જ નાગરિક-સમાજ એ વિભાવનાઓ વિશેની સિદ્ધાન્ત ચર્ચા અને પ્રસ્તુત અભ્યાસ માટે તેમણે અપનાવેલી સંશોધન પદ્ધતિનું વિવરણ પહેલા પ્રકરણમાં કર્યું છે.
બીજાથી પાંચમા પ્રકરણોમાંથી દરેક પ્રકરણ એક આંદોલનની એથનોગ્રાફી, એટલે કે તેના તમામ પાસાંની વિગતો સાથેનો આલેખ આપે છે. લેખકે પુસ્તકના નામ સિવાય બધે જ ‘આંદોલન’ શબ્દ અંગ્રેજી લખાણમાં પણ એમ જ રાખ્યો છે તે સમાજવિદ્યાઓની પરિભાષાના સંદર્ભમાં નોંધપાત્ર બાબત છે. દરેક પ્રકરણમાં ત્રણ ભાગ છે :
1. આંદોલનની પાર્શ્વભૂમિ, એની ઉત્પત્તિ, વિરોધ માટે હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો, વિરોધમાં જોડાનાર વ્યક્તિઓ તેમ જ સંગઠનોનો પરિચય, સરકાર સાથે વાટાઘાટો અને આંદોલનનાં પરિણામ
2. આંદોલનની સામેના પડકાર તેમ જ અત્યારના સંદર્ભમાં તેમની પ્રસ્તુતતા
3. આંદોલનની ભૂમિ તરીકે શેરીઓ અને અદાલતો તેમ જ આંદોલન દ્વારા માંગવામાં આવેલા અધિકારો.
આ એથનોગ્રાફી પુસ્તકને એક મહત્ત્વનો સંદર્ભગ્રંથ બનાવે છે. સંશોધકે ટાંકેલી નવી જૂની મુદ્રિત સામગ્રીમાંપુસ્તકો, સંદર્ભગ્રંથો, પુસ્તિકાઓ,સામયિકોના પાછલા અંકો, નાનામોટા સમાચારો, પત્રિકાઓ જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. મૌખિક સામગ્રીમાં ચળવળોનાં નારા, ગીતો અને કવિતાઓ ઉપરાંત એકવીસ જાણકારોની મુલાકાતો છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ સોર્સીસ પણ નોંધાયા જ હોય એવું કહેવાની ભાગ્યે જ જરૂર રહે. જો કે એવું ચોક્કસ કહી શકાય કે પાંચ આંદોલન માટેની રજેરજ માહિતી આ પ્રકરણની અંદરના વિવરણ તેમ જ તેના માટેની સંદર્ભ સામગ્રીની યાદીમાંથી મળે છે. એટલે આ વિષયના કોઈ પણ અભ્યાસી માટે પુસ્તક અનિવાર્ય સ્રોત બને છે.
લેખક દરેક આંદોલનનાં પરિણામો આપણી સામે મૂકે છે. નવનિર્માણ આંદોલને લોકશાહી મૂલ્યો, રાઇટ ટુ રિકૉલ, રાઇટ ટુ ઇન્ફર્મેશન, અને રાઇટ ટુ ફૂડનું પ્રતિપાદન કર્યું. અદાલતના બારણે મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી અૅક્ટ(મિસા)ના દુરુપયોગને પડકારાયો. લોકપ્રતિનિધિઓ બંધારણની બાબતે જાગૃત થયા. પહેલા અનામત આંદોલનને પરિણામે ‘કૅરિ ફૉરવર્ડ’ અને ‘ઇન્ટર ચેઇન્જેિબલિટી’ એવી અનામતની બે રક્ષણાત્મક જોગવાઈઓ સરકારે દૂર કરી, મેડિકલ અને ઇજનેરી કૉલેજોમાં અનુસ્નાતક કક્ષાએ બિનઅનામત બેઠકો વધારી. બીજા અનામત આંદોલનને પરિણામે અનામત ક્વોટામાં વધારો પાછો ખેંચાયો અને રોસ્ટર સિસ્ટમ નાબૂદ થઈ. લેખકના મતે આ બંને આંદોલનો અનામત નીતિની ફેરગોઠવણમાં સફળ નીવડ્યા કે સમાજિક ન્યાયની પ્રક્રિયાને અવરોધવામાં કામયાબ થયા એ ચર્ચાનો વિષય છે. ફેરકુવા આંદોલન અને તેને પગલે નર્મદા યોજના અંગે સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાને કારણે પુનર્વસન (રિહૅબિલિટેશન) અને પુન:વસવાટ (રિસેટલમેન્ટ) તેમ જ મોટા બંધોને લગતી આખી ય જાહેર વિચારણને નવી દિશા મળી. મહુવા આંદોલને ઔદ્યોગિક વિકાસની સામે ખેતીના વિકાસનું મહત્ત્વ, જાહેર સુનાવણી, ભૂગર્ભજળમાં ખરાશ અટકાવીને પર્યાવરણનું રક્ષણ, કુદરતી જળસંચયોની જાળવણી અને જમીનનો સિમેન્ટ ઉત્પાદનને બદલે આજિવિકા માટે ઉપયોગ જેવા મુદ્દા પ્રકાશમાં આવ્યા. અલબત્ત તે પહેલાં, અનામત અને ફેરકુવા આંદોલનોથી નાગરિક સમાજ વહેંચાઈ ચૂક્યો હતો અને સંપન્ન અગ્રવર્ગો એકજૂટ રીતે સત્તાધારી પક્ષ સાથે રહીને સમાનતા, સામાજિક ન્યાય અને સમાવેશક વિકાસના અધિકારોના વિરોધી બની ચૂક્યા હતા. તેમણે ભય અને બળના ઉપાયોગથી હાંસિયા બહારના લોકોનો અવાજ પણ દબાવી દીધો હતો. આ નિરીક્ષણો પુસ્તકના આઠમા પ્રકરણ પ્રોટેસ્ટ અૅન્ડ રાઇટ્સ : ટ્રેન્ડસ, ઇમ્પૅક્ટ અૅન્ડ ચૅલેન્જેસ’ માં મળે છે. સિમલાની જ વિદ્યાસંસ્થાએ ઑક્ટોબર 2015માં પ્રકાશિત કરેલા આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં લેખકે જુલાઈ-ઑગસ્ટ 2015માં પટેલોએ અનામતની માગણી કરવા માટે ચાલવેલા આંદોલન વિશે લખ્યું છે. તેમના મતે પટેલોએ ઉચ્ચ શિક્ષણ અને રોજગારી માટેની તકો અનામત બેઠકોની પ્રાપ્તિમાં જોઈ છે અને તેમાં ગુજરાતના વિકાસ મૉડેલની નિષ્ફળતા પણ સમાયેલી છે.
આમ તો ગયાં ચારેક દાયકામાંગુજરાતનાં સામાજિક-રાજકીય સ્થિત્યંતરો વિશે અંગ્રેજીમાં અચ્યુત યાજ્ઞિક, અમીતા બાવિસ્કર, ઇન્દિરા હિરવે, ગિરીશ પટેલ, ઘનશ્યામ શાહ, જૅન બ્રેમન, જૉન આર. વૂડ, ડેવિડ હાર્ડીમન, પ્રવીણ શેઠ, સુજાતા પટેલ, સુદર્શન આયંગર, હૉવર્ડ સ્પૉડેક અને બીજાં અભ્યાસીઓએ લખ્યું છે. આ યાદીમાં વર્ષા ભગત-ગાંગુલી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેઓ અત્યારે નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લૉમાં પ્રોફેસર છે. તે પહેલાં તેઓ મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી નૅશનલ અૅકેડેમી ઑફ પબ્લિક અૅ ડમિનિસ્ટ્રેશનમાં હતાં. ગુજરાતની મહિલાઓ, વિધવાઓ અને માલધારીઓની સ્થિતિ પરના તેમના અભ્યાસો જાણીતા છે. આઇડેન્ટિટી અને કોમવાદી હિંસા તેમ જ જમીન અધિકારના વિષયો પર પણ તેમણે પુસ્તકો લખ્યાં છે. પ્રસ્તુત પુસ્તકના અનુસંધાને તેમનાં બરના વિદ્વાન પાસેથી દલિત અને આદિવાસી સમૂહોનાં આંદોલનો પરનાં ગ્રંથની અપેક્ષા રહે છે.
7 ડિસેમ્બર 2016
++++++
e.mail : sanjaysbhave@yahoo.com