હોંગ કોંગમાં ચાલી રહેલા આંદોલને ચીનની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી કરી નાખી છે. આપણે સૌ જાણીએ છીએ કે ચીનને જેટલો ડર કટ્ટર દુશ્મન જાપાન કે અમેરિકા-રશિયા જેવી મહાસત્તાથી નથી એટલો ડર 'લોકશાહી' નામના એક શબ્દથી છે!
હોંગ કોંગમાં ૨૪ સપ્ટેમ્બરથી મુક્ત ચૂંટણી અને પૂર્ણ લોકશાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન-આંદોલન શરૂ થયું છે. ૧૯૯૭માં બ્રિટને જ્યારે હોંગ કોંગનો કબજો ચીનને સોંપ્યો ત્યારે વિસ્તારવાદી ચીન બહુ ખુશ થયું હતું, પરંતુ તાજા આંદોલનને જોતાં ચીન છાના ખૂણે પસ્તાતું પણ હશે, કારણ કે હોંગ કોંગના લોકશાહી માટેના આંદોલને ચીનના સામાન્ય લોકોમાં પણ લોકશાહી માટેની ઝંખનાને ફરી જગાવી દીધી છે.
હોંગ કોંગનું આંદોલન તાઇનામેન સ્ક્વેર હત્યાંકાંડની (૧૯૮૯) રજત જયંતી વર્ષમાં શરૂ થયું છે, એ ભલે યોગાનુયોગ હશે, છતાં હોંગ કોંગના આંદોલને ચીનના લોકોને તાઇનામેન ચોકના લોકશાહી માટેના આંદોલન અને ચીની સરકારે ગુજારેલા અમાનુષી અત્યાચારની કડવી યાદ તારી કરાવી દીધી છે. હોંગ કોંગના આંદોલનને 'તાઇનામેન-ટુ' નામ પણ અપાયું છે. ચીન સહિત આખી દુનિયાના લોકો એવી ચિંતા પણ સતાવે છે કે ચીની સરકારે તાઇનામેનમાં જે લશ્કરી પગલાં લીધેલાં એવું અહીં તો નહીં કરેને? જો કે, ગયા રવિવારે હોંગ કોંગના આંદોલનકારીઓનાં ટોળાં વિખેરવા માટે અશ્રુવાયુના ગોળા છોડાયા હતા અને વધુમાં મરી-મસાલાના ફુવારા છાંટવામાં આવેલા, પરંતુ એ પછી આ લખાય છે ત્યાં સુધી ચીની સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા અન્ય કોઈ દમન આચરાયું નહોતું, એ રાહતના સમાચાર છે.
આર્થિક અને લશ્કરી મહાસત્તા તરીકે મહાલતા ચીને એક દેશ તરીકે અનેક વિરાટ સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ લોકશાહી અને મુક્ત માહોલ વિના ત્યાંનો નાગરિક ગૂંગળામણ અનુભવે છે. અભિવ્યક્તિની આઝાદીથી વંચિત ચીનના લોકોમાં હોંગ કોંગના આંદોલનકારીઓએ નવી આશાનો સંચાર કર્યો છે અને એટલે જ ચીનની સરકાર સફાળી જાગી છે અને ધૂંધવાઈ ઊઠી છે. હોંગ કોંગ આંદોલનના પડઘા ચીનમાં ન પડે એ માટે ઇન્ટાગ્રામ સહિતની સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ બ્લોક કરી દેવામાં આવી છે અને હોંગ કોંગ આંદોલનને સમર્થન આપનારા ચીનના લોકશાહી કર્મશીલોની ધરપકડ કરી લેવામાં આવી છે. હોંગ કોંગ જતી ટૂર રાતોરાત કેન્સલ કરાવી દેવામાં આવી છે.
ચીનની સરકારનો જીવ અધ્ધર કરનાર હોંગ કોંગના ઓક્યુપાય સેન્ટ્રલ આંદોલન પાછળનો ઉદ્દેશ અને આંદોલનકારીઓની માગણીને ટૂંકમાં જાણીએ. આપણને ખ્યાલ છે કે હોંગ કોંગ ૧૫૫ વર્ષ સુધી બ્રિટનના કબજા હેઠળ હતું. ચીન અને બ્રિટન વચ્ચેની સમજૂતી થયા પછી ૧ જુલાઈ, ૧૯૯૭ના રોજ બ્રિટને હોંગ કોંગનો કબજો ચીનને સોંપી દીધો હતો. બ્રિટને હોંગ કોંગનો કબજો સોંપ્યો ત્યારે ચીને 'એક દેશ, બે વ્યવસ્થા'નો સિદ્ધાંત સ્વીકાર્યો હતો અને હોંગ કોંગને ભવિષ્યમાં લોકશાહી વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપેલી. 'એક દેશ, બે વ્યવસ્થા'ના સિદ્ધાંત મુજબ હોંગ કોંગમાં આજે પણ ચીનથી અલગ ન્યાય તંત્ર અને કાયદાઓ અસ્તિત્વમાં છે. લોકોને અભિવ્યક્તિની આઝાદી તેમ જ વિરોધ પ્રદર્શનની આઝાદી પ્રાપ્ત છે. ચીને હોંગ કોંગને ૨૦૧૭માં મુક્ત ચૂંટણી કરવાની ખાતરી આપી હતી. જો કે, ચીને હવે ચૂંટણીમાં એવી જોગવાઈ કરી છે કે તેમણે નીમેલી સમિતિ જે ઉમેદવારને મંજૂરી આપે તે જ ચૂંટણી લડી શકશે. મતલબ કે ચીનના માનીતાઓ જ ચૂંટણી લડી શકશે. હોંગ કોંગના લોકો આને નકલી લોકશાહી કે લોકશાહીના નામે છેતરપિંડી માની રહ્યા છે. આંદોલનકારીઓ ૨૦૧૭ની ચૂંટણીની આ યોજનાને પડતી મૂકીને મુક્ત ચૂંટણીની માગ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ચીને નીમેલા હાલના ચીફ એક્ઝિક્યુટિવ લ્યુંગ ચુન-યિંગના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે.
વૈશ્વિક માહોલ જોતાં ચીન કોઈ હિંસક કાર્યવાહી કરી શકશે નહીં પણ ત્યાંના ચીફ એક્ઝિક્યુટિવ અત્યારે આંદોલનકારીઓને કોઠું આપી રહ્યા નથી. તેમની ગણતરી છે કે આંદોલકારી યુવાનો બૂમબરાડા કરીને દસ-પંદર દિવસમાં થાકી જશે અને તેઓ નહીં થાકે તો લોકો ચક્કાજામ-ઘેરાવાથી કંટાળીને તેમનો વિરોધ કરવા લાગશે એટલે આંદોલનની હવા નીકળી જશે. હવે જોવાનું એ રહેશે કે હોંગ કોંગના યુવાનો ચીનની જોહુકમી સામે ઝૂકી જશે કે ચીનને લોકશાહીના પાઠ ભણાવી શકશે?
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 05 અૉક્ટોબર 2014