ભીમા કોરેગાંવ ઘટનાક્રમ સંદર્ભે તપાસની જે વાત છે, પહેલો પલીતો કોણે ચાંપ્યો એ મતલબનો જે ખોજરાબેતો છે તે તો, માનો કે, ચાલ્યા કરશે અને યથાસમય ચેનલ ચિચિયારાં બીજાં ચરિયાણ શોધી લેશે. સવાલ, વસ્તુતઃ મૂળ મુદ્દો શું છે એ તલાશવાનો અને સમજવાનો છે.
૧૯૯૫-૯૬ લગી માંડ વીસપચીસ ટકે પહોંચતા હાંફી જતું અને બીજા નાનામોટા ભાગિયાભિલ્લુ એકઠા કરી દિલ્હીનશીન થઈ શકતું હિંદુત્વ રાજકારણ મે ૨૦૧૪માં એકત્રીસ ટકે સુવાંગ જેવું તખતે બેઠું છે. હિંદુત્વ રાજનીતિએ ઇતિહાસ, સમાજકારણ અને એવી નાનીમોટી વાતે એક વિમર્શ ઊભો કરવાની કોશિશ કે’દીની શરૂ કરેલી છે, અને હવે દિલ્લીશ્વરો વા જગદીશ્વરો વા એવી પાયરીએ પહોંચી એ પોતાની ખરીખોટી સમજનો કક્કો ખરો કરવા માંગે છે. આમેય, રાજગાદીએ પહોંચનાર માત્રમાં આવું પ્રકૃતિગત વલણ રહેતું હોય છે, અને આ કિસ્સામાં તો પોતાની સમજ પ્રમાણેના વૈકલ્પિક વિમર્શનો – અને એ સમજમાં કલ્પનાના ભરપુર અંશનો – સમાવેશ જ સમાવેશ છે.
ભારતનો ઇતિહાસ આ પક્ષપરિવારના નજરિયા પ્રમાણે હિંદુ અને બીજા એમ વહેંચાયેલો છે. ભીમા કોરેગાંવ ખાતે (પુણેથી પૂર્વોત્તર ચાલીસ કિલોમીટરના અંતરે) બરાબર બસો વરસ પહેલાં પેશવા અને અંગ્રેજો (કંપની બહાદુર) વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. હિંદુપદપાદશાહીની શિવ પરંપરામાં આવેલા પેશવા અને અંગ્રેજ કંપની બહાદુરની ફોજો વચ્ચેના જંગમાં સંસ્થાનવાદી સત્તાની જીત થઈ હતી અને હિંદુરાષ્ટ્રવાદી સત્તાની હાર થઈ હતી. પણ ભીમા કોરેગાંવ ઘટનાનો મહિમા સ્વરાજના કેટલાક દાયકા અગાઉથી એક જુદે છેડેથી થતો માલૂમ પડે છે. હિંદુ પેશવાની હારમાં તેમની સામેની અંગ્રેજ હસ્તકની ફોજમાં બહાદુરીભર્યો મુકાબલો કરનારી એક ટુકડી દલિતોની હતી. એટલે આંબેડકર પક્ષે અને દલિત ચળવળમાં એનું મહત્ત્વ બ્રાહ્મણશાહી સામે દલિત સરસાઈની રીતે છે.
આંબેડકરનો ઉદય અને દલિત અધિકાર ચળવળ ગાઢપણે સંકળાયેલાં છે. મહાર (દલિત) શૂરવીરતાની કંપની બહાદુરને અને અંગ્રેજ સરકારને ક્યાં ય સુધી કદરબૂજ નહોતી એ વાતે આંબેડકરે ધોખો પણ કરેલો છે. આગળ ચાલતાં મહાર ટુકડી નવેસર શક્ય બની એની પૂંઠે પણ આંબેડકરની હિલચાલ રહેલી છે. ગમે તેમ પણ, મુદ્દાની વાત એ છે કે દલિત ચળવળના વિકાસની પ્રક્રિયામાં ભીમા કોરેગાંવની કથિત મહાર ફતેહનું એક મહત્ત્વનું મનોવૈજ્ઞાનિક યોગદાન રહેલું છે.
અંગ્રેજ સંસ્થાનવાદ સામેની તકરારમાં રજવાડાં, નાનીમોટી ઠકરાતો ને ભાયાતોની મંડળી એકજુટ હતી અને કોઈ સહિયારા વતન વાસ્તે લડતી હતી એવું પણ નહોતું. ૧૮૫૭માં, જેમ કે, ગુજરાતની ગાયકવાડી સંગ્રામના પક્ષે નહોતી. આ રજવાડાં અક્ષરશઃ હિંદુ કે અક્ષરશઃ મુસ્લિમ એવુંયે બધો વખત નહોતું. ભીમા કોરેગાંવ મુકાબલામાં પેશવાને પક્ષે લડનારામાં, જેમ કે, આરબ ટુકડી પણ હતી. સૌરાષ્ટ્રની રિયાસતોમાં, જેમ કે, આરબ બેરખની નવાઈ નહોતી.
પણ જેમ હિંદુરાષ્ટ્રવાદની પરિકલ્પનાનો સવાલ છે તેમ આંબેડકરી અભિગમનોયે સવાલ છે. કંપની બહાદુરની ફતેહમાં મહાર હિસ્સો ખાસ્સો હતો એ કબૂલ; પણ એથી ભીમા કોરેગાંવ મુકાબલો કોઈ પેશવાઈ કહેતાં બ્રાહ્મણશાહી સામે દલિતોના વિજયની (નાતજાતગત ઊંચનીચ અને દમન સામેની) કોઈ મિસાલ નથી બની જતો. બે સામસામી સત્તાઓ અને એમના ભાડૂતી સૈનિકો, શું આરબ કે શું મહાર કે શું બીજા, તે લડ્યા એ સાચું. પણ એટલું જ. અલબત્ત, આંબેડકર પ્રતાપે અંગ્રેજ લશ્કરમાં આગળ જતાં મહાર ટુકડીનો પ્રવેશ અને પ્રતિષ્ઠા શક્ય બન્યાં એ જરૂર નોંધપાત્ર બીના હતી.
પણ ઇતિહાસની વાંકીચૂકી ગલીઓ છતાં એક રાજપથ-જનપથ જરૂર ધ્રોપટ ચાલ્યો આવે છે. અને તે એ કે નાતજાતગત ઊંચનીચ આપણો કેડો મેલતી નથી. ભીમા કોરેગાંવ ઘટના(પછી તો એક કલ્પનકથા)માં હિંદુરાષ્ટ્રવાદ પેશવાઈને નામે ઊનો ઊનો નિસાસો નાખે કે દલિત રાજનીતિ પોતાની પ્રતિષ્ઠા શોધે, એનો મરમ અને માયનો એટલો જ છે કે તમારી ઓળખ બ્રાહ્મણક્ષત્રિય કુંડાળામાં ફરતી હોય કે દલિતને નાતે બધ્ધ હોય ત્યારે ’રાષ્ટ્ર’ બચાડું માર્યું ફરે છે. હિંદુત્વ હિલચાલ કે હિંદુરાષ્ટ્ર આંદોલન જોઈએ ત્યારે એમાં એકસાથે બે વાનાંની પરાણે પ્રીત શી સહોપસ્થિતિ પણ પ્રસંગે જોવા મળે છે. એક બાજુ બધાને એકરંગ કરવાની પ્રક્રિયા (હોમોજિનાઇઝેશન) તો બીજી બાજુ ચોક્કસ પરિબળોની (બહુધા નાતજાતગત) અગ્રતાનો (’હેજેમોની’નો) ઓથાર… નજીકના ઈતિહાસમાં આ સંદર્ભનો ક્લાસિક દાખલો આંબેડકરને ’ફૉલ્સ ગૉડ’ કહેતા અરુણ શૌરી અને એમની આ કિતાબનું જાહેરમાં દહન કરતા ફકીરભાઈ વાઘેલા બેઉ એક સાથે ભા.જ.પ.માં વિલસતા હતા એ છે.
જો કે ’હોમોજિનાઇઝેશન’ અને ’હેજેમોની’ના આ મુકાબલાનો સીધો સંબંધ ઠીકઠીક પ્રમાણમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની તમારી સમજ સાથે રહેવાનો અને હોવાનો. હિંદુત્વ જેવું સ્ટીમ રોલર કે બુલડોઝર ફરી વળે ત્યારે આવી ઓથારગ્રસ્ત એકરંગતા સામે બીજી ઓળખો (એમને મોકળાશ ન મળે તો) વધુ પડતું માથું પણ ઉંચકે. રાજકારણમાં પણ આવું બનતું હોય છે. ઇંદિરા ગાંધીએ ડેલહાઉસીની ખાલસા પધ્ધતિએ ચાલવાનું શરૂ કર્યું એના જવાબમાં એન.ટી.આર. અને તેલુગુદેશમ આવ્યાં એ નજીકનો જાણીતો ઈતિહાસ છે. મરાઠા ઉઠાવને હિંદુત્વ રાજનીતિ પોતાનો કરે ત્યારે દલિત ઉઠાવનું યે એક લૉજિક બને છે. ગુજરાતમાં તમે જુઓ કે હિંદુત્વ રાજનીતિએ પટેલ ’હેજેમોની’ગત જે હોમોજિનાઇઝેશન શરૂ કર્યું એ આગળ ચાલતાં ઉના સાથે દલિત ઉઠાવરૂપે તો અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓ.બી.સી. ઉઠાવરૂપે આપણી સામે આવ્યું અને એન્ટિ-ક્લાઇમેક્સ તો ખુદ પટેલ ઉઠાવરૂપે બહાર આવી!
અલગ અલગ ઓળખ પરત્વે સમુદારપણે ચાલવાનું વલણ, રાષ્ટ્રની સમજમાં ભાતીગળ મોકળાશનું વલણ એ પ્રજાસત્તાક સ્વરાજરૂપે આપણને આવી મળેલી તક છે. જો તક છે તો કોઈક છેડેથી તકાજો અને તાકીદ પણ છે. આવું એક સમગ્ર ચિત્ર આપણ સૌ સમક્ષ ન રહે તો રાજકારણના ખેલાડીઓ તો મરોડમાસ્તરી અજમાવવાનાઃ ગુજરાતમાં જે હાંફનો અનુભવ થયો (અને દેશમાં તો આખા એકત્રીસ ટકા જ છે) એ જોતાં સત્તાનાં પરિબળો ’પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે કોમી સ્પિન આપીને આપણને ક્યાં ય લઈ જઈ શકે. હિંદુત્વ રાજનીતિ કે સૉફ્ટ હિંદુત્વમાં આનો જવાબ નથી. રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની વ્યાખ્યા એક બંધારણીય અભિગમથી ચાલે અને અરસપરસની માફકસરની ઓળખો સાંકળીસ્વીકારી નાગરિકમાત્રના અધિકારને ધોરણે કાયદાનું શાસન ચાલે એટલે બસ. રાષ્ટ્ર વગેરે રુમાની કલ્પનાઓ એક હદ સુધી ઠીક છે, એક હદ સુધી જ.
જાન્યુઆરી ૬, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 01-02