જે.એન.યુ. કૅમ્પસના ઘટનાક્રમમાં શાસકપક્ષ દ્વારા વિદ્યાર્થીનેતા કન્હૈયાકુમારની ધરપકડ કરવામાં આવી. આ પગલાનો અહિંસક પ્રતિકાર કરવા માટે અને સાચો ‘રાષ્ટ્રવાદ’ કોને કહેવાય તે અંગેની વ્યાપક સમજ કેળવવા માટે, યુનિવર્સિટી સાથે સંકળાયેલા વર્તમાન અધ્યાપકોએ ‘વ્યાખ્યાનમાળા’નું આયોજન કરી શિક્ષકધર્મ અદા કર્યો. આ શ્રેણીમાં ભૂતપૂર્વ અધ્યાપકો અને દેશના અન્ય ભાગોમાં વિદ્વાનો અને અધ્યાપકોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું. વક્તાઓ મુખ્યત્વે ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ-અધ્યાપન સાથે જોડાયેલા હતા, આ વ્યાખ્યાનમાળાને અર્થપૂર્ણ બનાવનાર વક્તાઓમાં રોમિલા થાપર, મકરંદ પરાંજપે, ગોપાલ ગુરુ, નિવેદિતા મેનન, જી. અરુણિમા, અપૂર્વાનંદ જેવા સુખ્યાત અને સમર્પિત વિદ્વાનોનો સમાવેશ થયો, શેષ વક્તવ્યો પણ એટલાં જ પ્રભાવશાળી રહ્યાં.
હવે ‘વૉટ ધ નૅશન રિયલી નીડ્ઝ ટુ નો’ શીર્ષકથી ઉપલબ્ધ, આ મજાના પુસ્તકનું વાચન સંતર્પક અનુભવ પૂરો પાડે છે. (What the Nation Really Needs to Know, Harper Collins Publishers India) અહીં ‘રાષ્ટ્રવાદ’ને વિવિધ દૃષ્ટિકોણથી તપાસવાનો ઉપક્રમ છે. વક્તાઓએ તે સંજ્ઞાના ભૂતકાળમાં ડોકિયું કરી તેની સાથે વણાઈ ગયેલી સંકુચિતતા, ચોક્કસ તત્ત્વો દ્વારા ફેલાવાતી ગેરસમજ, તેના દુરુપયોગ વિશે પૂર્વગ્રહરહિત અને કશી દિલચોરી વિનાની વાત કરી છે.
પ્રારંભમાં, ભૂમિકા બાંધતાં જાનકી નાયર, દેશની અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ પણ કેવાં વિઘાતક પરિબળોનો સામનો કરવો પડી રહ્યો છે, તેની વાત કરીને ભારતીય દંડસંહિતા (આઈ.પી.સી.)ની કલમ ૧૨૪-એ અંતર્ગત દેશવિરોધી પ્રવૃત્તિ બદલ કન્હૈયાકુમારની અટકાયત અને પતિયાલા હાઉસ કોર્ટમાં વકીલો દ્વારા જે.એન.યુ.ના ઉપસ્થિત અધ્યાપકો પર કરાયેલા હુમલાનો નિર્દેશ કરે છે. તેમના મતે, આ વ્યાખ્યાનો એક મહત્ત્વપૂર્ણ, સમકાલીન અગત્ય ધરાવતા પગલાં જેવાં છે. કારણ કે વર્ગખંડ બહાર પણ, પોતાના જ્ઞાનનો બાહ્ય વિશ્વને લાભ મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તે પૂરું પાડે છે, ‘ઇન્ટલેક્ચ્યુઅલ ટૅરરિસ્ટ’ની ઓળખ સાંપડવાની દરકાર વિના. તેમના જ શબ્દોમાં ‘… the nationalism lectures pioneered not only new ways of thinking about anticolonial and post-colonial nationalisms but about the possible future of nationalisms as well.’ રાષ્ટ્રવાદવિષયક આ (વ્યાખ્યાનોએ કેવળ સંસ્થાનવાદવિરોધી અને સંસ્થાનોત્તર રાષ્ટ્રવાદ અંગે નવી વિચારરૂખ જ નહીં, પરંતુ નાનાવિધ રાષ્ટ્રવાદોના સંભવિત ભાવિ વિશે પણ પહેલકારી ભૂમિકા રચી છે.)
તેમના મતે જે.એન.યુ.માં ડિબેટ-ડિસ્કશન અને ડિસેન્ટ દ્વારા સર્જાતો માહોલ અદકેરું મૂલ્ય ધરાવે છે.
ગોપાલ ગુરુના મતે, કેટલાંક જમણરી ઝોક ધરાવતાં રાજકીય પરિબળો, ઘરઆંગણે રાષ્ટ્રવાદનો ઉપયોગ, તેમની ચોક્કસ રાજકીય વિચારધારાને ગતિશીલ બનાવવા, લોકોની ભાવનાઓને જગાડવાના હેતુથી કરે છે.
સામાન્યપણે આપણને સલાહ આપવામાં આવે છે કે, રાષ્ટ્ર તમારા માટે શું કરી શકે તેમ છે તે નહીં પણ તમે રાષ્ટ્ર માટે શું કરી શકો તેમ છો, તે અંગે વિચારો. ગુરુ આ સાથે કદાચ સંમત નથી. તેમને લાગે છે કે ત્રસ્ત માનવજાત પ્રત્યે રાષ્ટ્રની પણ નૈતિક ફરજ છે, નાગરિકોને તેમના નસીબ પર છોડી શકાય નહીં.
નિવેદિતા મેનન કંઈક વ્યંગમાં, કંઈક આક્રોશમાં પૂછે છે કે, શાસકોને મુઠ્ઠીભર લોકોના સૂત્રોચ્ચારથી આટલો ભય શા માટે લાગવો જોઈએ ‘इतना डर कि चार लडकोंने कोई स्लोगन उठाया तो राष्टृ राज्य हिल गया ? तो जाहिर है राष्टृ-राज्य इतना मजबूत नहीं है जितना हम समझते है।’
તેમના મતે તે ‘ઇમેજિન્ડ કૉમ્યુિનટી’ છે, જેની રચના અનેક આશાઓ, જાતજાતની આકાંક્ષાઓ, માગણીઓને સાથે રાખીને થાય છે. શાળાઓમાં સાચો ઇતિહાસ ભણાવાતો નથી, તે તેમની ચિંતાનો વિષય છે. જો ઇતિહાસ આપણે જાણી જઈએ તો ઘણાં રહસ્યો અનાવૃત્ત થઈ જાય. માટે બની બેઠેલા રાષ્ટ્રવાદીઓ ઇતિહાસ પર આક્રમણ કરે છે.
અર્થશાસ્ત્રનાં વિદુષી જયંતી ઘોષના મતે સરકારી નીતિઓનો વિરોધ કરનારને ‘રાષ્ટ્રવિરોધી’ માની લેવામાં આવે છે. આનાં દૃષ્ટાંત આપતાં તે કુડાનકુલમ અણુમથકનો વિરોધ કરનારા, માનવ-અધિકારો અને વિસ્થાપિત નાગરિકોના હક માટે લડત આપનારા, સ્થાનિક રહેવાસીઓને વળતર ચૂકવ્યા વિના, પર્યાવરણને નુકસાન પહોંચાડી, રહીશોનું જીવતર દોઝખ જેવું બનાવતી ખનિજકંપનીઓ શરૂ કરનારાં તત્ત્વો સામે અવાજ ઉઠાવનારા પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. સત્તાધીશો અને એમનાં હિતોની જાળવણી કરનારા સંદેશાવ્યવહારનાં માધ્યમોને મન સરકારનો પ્રતિકાર એટલે રાષ્ટ્રદ્રોહ. પદ્ધતિઓ કે નીતિઓ રાષ્ટ્રવિરોધી હોઈ શકે, પણ વ્યક્તિઓ નહીં.
હિંદીના જાણીતા વિવેચક, અપૂર્વાનંદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણનના મંતવ્યને વ્યક્ત કરે છે : “બુદ્ધિશાળી વ્યક્તિનો ક્યારે ય એવો દાવો નથી હોતો કે તે દરેક વિષય પર કંઈ ને કંઈ સલાહ આપી શકે છે. તેનામાં વ્યાપક દૃષ્ટિ, વિચારોની સ્વાધીનતા અને બીજા મનોભાવો સમજવાની શક્તિ હોય છે. જેની સાથે મતભેદ હોય તે વિચારો સાથે સહાનુભૂતિ રાખવા તે સદૈવ તત્પર હોય છે.”
બદ્રીનારાયણના મતે, આર.એસ.એસ. દ્વારા ગામડાંઓમાં ‘સામાજિક સમરસતા અભિયાન’ શરૂ થયેલ છે, જે હકીકતમાં ‘સામાજિક ઘૃણા અભિયાન’ સાબિત થયું છે. વક્તાના મતે, આ અભિમાન અંતર્ગત દલિતો સાથે ભોજન લેતાં લેતાં, ગીતના માધ્યમથી તેમને તેમના મહાન, શૂરવીર પૂર્વજોની યાદ અપાવવામાં આવે છે, જેમણે મુસ્લિમ શાસકોને પરાજિત કર્યા હતા. તેમના મલિન ઇરાદાઓને નાકામયાબ બનાવ્યા હતા. ધર્મની સાથે રાષ્ટ્રને જોડવાથી ‘ભારતનો વિચાર’ (આઇડિયા ઑફ ઇન્ડિયા) ખંડિત થાય છે.
પ્રો. આનંદકુમાર દેશવિદેશનાં અનેક વિશ્વવિદ્યાલયોમાં સમાજશાસ્ત્રના અધ્યાયનનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના મતે આપણે ત્યાં રાષ્ટ્રવાદના સર્જન અને ઓળખની વિચારણામાં ‘ડોમિનન્ટ આઇડેન્ટિટી’ને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ગુરુ ગોળવલકરનું અવતરણ આપતાં કહે છે : ‘ભારતની રાષ્ટ્રીયતા, હિંદુ રાષ્ટ્રના સપનાની આજુબાજુ બની છે. અને તેના ત્રણ દુશ્મન છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને સામ્યવાદી.’ સંસદીય લોકશાહીમાં નાણાં, કાળાં નાણાં અને ન્યુસન્સ વૅલ્યુને કારણે અપરાધી, ગુંડાતત્ત્વો પણ સંસદમાં જતાં હોઈ તે અપ્રસ્તુત બની ગઈ છે. ‘There is a need to move towards decentralization.’ (વિકેન્દ્રીકરણ ભણી વળવાની જરૂર છે.) આનંદકુમારનો પ્રણયપ્રકોપ ભાગ્યે જ કોઈને ગેરવાજબી લાગે! हिन्दुस्तान की मौजुदा कैबिनेट में, हिन्दुस्तान में रुलिंग अलायंस में, इनमें से कितने लोग हैं, जिनका एक पाँव भारत में और जिनका भविष्य़ विदेश में है। विदेशों में बसे हुए बच्चों से लेकर के विदेशों में जमा खातों तक के बिलकुल आर्टिफिशयल, फेंक और डेन्जरस किस्म के देशभक्त है।
સતીશ દેશપાંડે કહે છે કે જે.એન.યુ.ના વાર્ષિક બજેટ ૩૦૦ કરોડ રૂપિયાનો સરકારને દુર્વ્યય થતો લાગે છે, તો સામે કહી શકાય કે, ભારતમાતાના એક સપૂત વિજય માલ્યા પાસે બાકી લેણા નીકળતા ૯૦૦૦ કરોડ રૂપિયા અને કૉર્પોરેટ કંપનીઓમાં ફસાયેલા બૅંકોના ૧,૧૪,૦૦૦ કરોડ રૂપિયા વસૂલ કરી શકાય, તો જે.એન.યુ. અને બીજા કેટલાં વિશ્વવિદ્યાલયો કેટલાં વર્ષો સુધી ચલાવી શકાય?
જો હું એંસી વર્ષની વયની મારી માતાને કહું, ‘હે માતુશ્રી, મને તમારા માટે અપાર પ્રેમ છે. મારી નસેનસમાં તમારા માટે છલોછલ પ્રેમ ભર્યો છે.’ તો તેને લાગશે કે હું ગાંડો થઈ ગયો છું. તેવું જ ભારતમાતાની બાબતમાં. દેશભક્તિ-દેખાડાની કે પ્રદર્શનની નહીં, પુરવાર કરવાની બાબત છે.’
આ પુસ્તકમાં શુષ્ક વિગતો નથી, તેની સાથે વેદના વણાઈ છે. દેશની તમામ યુનિવર્સિટીઓના અધ્યાપકો પોતાને અને વિદ્યાર્થીઓને થતા અન્યાય, ગુજારવામાં આવતા અકારણ અમાનુષી અત્યાચારો સામે, ખોટી રાજકીય સ્વાર્થપ્રેરિત નીતિઓ, ફેલાવાતાં જુઠાણાં સામે, જે.એન.યુ.ની જેમ મેદાને પડે, તો ઘણું સિદ્ધ થઈ શકે. ભારતીય સંસ્કૃિતની દુહાઈ દેતા શાસકો, ‘ગુરુના આશ્રમમાં પગ મૂકતાં પહેલાં વિનયપૂર્વક પરવાનગી માગે, શક્ય તેટલા છેટા રહે એ જ ઇષ્ટ.’ આ વ્યાખ્યાનમાળાએ સહજપણે પ્રો. માવળંકરની યાદ તાજી કરાવી, જેમણે ‘આ તો ન જ ચાલે’, કહી વિરોધનો સૂર નિર્ભિકપણે વ્યક્ત કર્યો હતો. ‘હા જી હા’ના જમાનામાં માવળંકર ક્યાં શોધવો ?
ડીસા / અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 03-04