કુક્કુ … કુક્કુ … સવારના દસ વાગ્ય્યા ‘ને બે મિનિટ થઈ.
ધરતી પર ધબ્બ દઈને છોકરાં જન્મ્યાં.
એમાં નવું શું છે? દર સેકન્ડે અંદાજે સરેરાશ ૪ એટલે કે દર મિનટે ૨૪૭ એટલે કે વર્ષે ૧૩૩ મીલિયન બાળકો જન્મે છે. બે-ચારની ભૂલ-ચૂક લેવી દેવી.
આટલા જીવાત્માઓને મનુષ્યની યોનીમાં અવતરવા દેવા અને એમાંથી અમુક સ્ત્રી જાતિના અને બાકીના પુરુષ જાતિના જન્મે એટલું જ કુદરત નક્કી કરે છે. બસ. એનું કામ ત્યાં ખતમ.
માનવ જાત હવે પોતાનું કામ કરવા મચી પડે છે. કેટલાંક હોશિયાર લોકોએ દીકરો હશે કે દીકરી એ જાણી લીધું હોય છે, એટલે બચ્ચાનું માથું બહાર ડોકાતાં જ એને પહેલેથી નક્કી કરેલ નામથી બોલવવા લાગે છે. બીજાં બધાં છોકરો છે કે છોકરી એ ખબર પડે એટલે નામ ફંફોસવા લાગે. કોઈ વળી બાળકની ફોઈ, માસી, નાની કે દાદીને પૂછે પણ ખરાં. તેમાં વળી બાપને થાય કે છોકરું જન્મ્યું એમાં મારો પણ ફાળો છે, એની દુનિયા નોંધ લે એટલે ઓળીજોળીમાં પોતાનું ય નામ બબલા કે બબલી ભેગું ઝૂલવા માટે નાખે. તેમાં અધૂરું હોય તેમ દાદા ડબકું મૂકે, ‘અલ્યા, આપણા બાપ-દાદાને શે ભૂલાય ? ભેગી અટક તો મેલ!’
આમ આંખો ખોલે તે સાથે જ દીકરાને કે દીકરીને પોતાનું નામ, વાંસે બાપનું (કેટલાક અપવાદો બાદ કરતાં હંમેશ બાપનું જ નામ જોડાય છે) નામ અને છેવાડે અટક એટલું બધું મફતમાં મળી જાય છે. નામ તો દરેકને જોઈએ, હાં ભાઈ, નહીં તો છોકરો છે કે છોકરી (વળી, એમાં ય અપવાદ છે જેમ કે વસંત, ધીરજ કે Chris) કેમ ખબર પડે? આમ વ્યક્તિનું નામ, બાપનું નામ અને અટક જોડાવાથી એ માણસ કયા ધર્મનો, જ્ઞાતિનો કે કયા પ્રદેશનો છે, એ બધી જ માહિતી મળી જાય, પછી જુઓ મજા.
ખરું જુઓ તો એ બધાં છોકરાં પોતાની માનું કે બોટલનું દૂધ પીએ, ઊંઘ આવે કે ભૂખ લાગે, ભીનું થાય કે ગંદું થાય તો રડે, રાજી થાય તો હસે અને દિવસે ન વધે એટલા રાત્રે વધવા માંડે છે. જો કે કેટલાંક વંચિત મા-બાપના બાળકોના દિવસ અને રાત લાંબા હોય છે, એટલે એવાં બાળકોને પોતાના મા-બાપના નામને કારણે અપૂરતું કે કુપોષણ મળે તે લટકામાં. તો ય બધાં ભૂલકાં હસે તો આખું ઘર ખુશીના હિલોળે ચડે અને રડે તો છાનું રાખવા સહુ દોડે એમાં નાત-જાત, ધરમ-રંગ, ગરીબ-તવંગરના ભેદ ન નડે, માત્ર છાનું રાખવાના નુસ્કા સસ્તા-મોંઘા હોય.
પારણામાંથી આંગણામાં આવતાં બધાં બાળકો રમે, પડે, આખડે અને મોટાં થાય. હોય એમાં કાંઈ ફેર ? એ બધાંને સલામતી, પ્રેમ, કાળજી અને હુંફ જોઇએ. પણ પછી ખરાખરીના ખેલ શરૂ થાય. શેરીમાં રમતાં છોકરાંઓને મા-બાપ ચેતવે, ‘તું અ, બ કે કની સાથે ન રમતો, એ વાણિયા છે, ધોળિયા છે, કાળિયા છે, મરાઠી છે, સુવેટોથી આવ્યા છે, સોમાલિયાના છે’. નિશાળ પસંદ કરતાં તો ખાસ ધ્યાન રાખવું પડે. તમારે કપાળે કયા ક્લાસનું તિલક છે, એ પ્રમાણે સરકારી કે ખાનગી નિશાળ જ તમારા લાડલા/લાડલીને માફક આવે. ઘર ખરીદવા ટાણું થાય, ત્યારે ‘આપણાથી ફલાણા લત્તામાં ઘર ન લેવાય, ત્યાં વસવાયાં રહે – ઉચ્ચ વર્ણના લોક રહે, એશિયન્સ રહે કે કેથલિક લોકો રહે એનું ધ્યાન રાખવું પડે, ભૈલા. સફેદ ઘેટાંનાં ટોળામાં કાળું જાય તો શું થાય ?’
યુવાવસ્થામાં પહોંચતાં સુધીમાં મોટા ભાગના લોકોને હાસ્ય, કરુણ, ભય, વીર, શૃંગાર, અદ્દભુત, રૌદ્ર, શાંત અને બીભત્સ એવા નવે રસોનો ઓછે વત્તે અંશે અનુભવ થઈ ચૂક્યો હોય છે. જુદી જુદી ભાષા બોલનારાઓને અનુભૂતિઓ સરખી હોય છે એમાં બે મત નથી. અલબત્ત, આ તબક્કે દરેક ધર્મ, સમાજ, જ્ઞાતિ અને વર્ગ પોતાની સંસ્કૃિત અને રિવાજને આધારે પોતાના ભાવિ નાગરિકોને વિશિષ્ટ વિચારો, સિદ્ધાંતો અને મૂલ્યો પ્રમાણે આ લાગણીઓને વ્યક્ત કરવા કે નાથવા માટે ઘડે છે.
અતિ ગતિમાન એવી ૨૦મી અને ૨૧મી સદીમાં ઝડપી વાહન વ્યવહાર અને કામની તથા અભ્યાસની અમાપ તકોને કારણે જાણે દુનિયા ભરની પ્રજાઓ પોતાના દેશના સીમાડાઓ વટાવીને અત્ર તત્ર સર્વત્ર પોતાના ડેરાઓ તાણાવા લાગી. હવે એમના પછીની પેઢીને પચરંગી પ્રજા સાથે રમતાં, ભણતાં, હરતાં-ફરતાં કેટલાક રિવાજો અને જીવનરીતિના પાલનની તથા નિષેધની રેખાઓ પાતળી થવા લાગી. હવે વારો આવ્યો તેમના ઘર માંડવાનો. ત્યાં તો, ‘બેટા / બેટી, જો હવે તો ખાસ તારી સાથે ભળતા યુવાન / યુવતીના બાપના નામ અને અટકનું ધ્યાન રાખવાનું, હોં, નહીં તો આપણું તો સત્યાનાશ થાય.’ એમ યાદ અપાવવામાં આવે છે.
એવે ટાણે પેલાં યુવક-યુવતીઓને વિમાસણ થાય કે જેની સાથે બાલમંદિરથી માંડીને કોલેજ સુધી ભણ્યાં, રમ્યાં, ખાધું, પીધું, પાર્ટીઓમાં ગયાં, અરે, ઘર ઘોલીકુંય રમ્યાં એની સાથે સાચુકલા ઘરમાં ઘર કેમ ન મંડાય? જો કે મોટા ભાગનાં યુવક-યુવતીઓ પોતાનાં મા-બાપના દોરવ્યા દોરવાય અથવા પોતાની જ ટુકડીમાંથી કોઈ સાથીદાર મળી આવે તો પૂર્વજોના ચીલા પર ખુશીથી સંસારની રમત માંડી શકે છે. જે કેટલાક એના સમાજના ધારા-ધોરણ પ્રમાણે ન ચાલી શકે તેનાં મા-બાપ, કુટુંબીઓ કાં તો બદલતા પ્રવાહને સમજીને એમની ભેળા ચાલવા લાગે, કાં લાચારીથી પોતાના સંતાનનો નિર્ણય સ્વીકારી લે અને નહીં તો ઈટ્ટા કીટ્ટા કરીને જુદે જુદે માર્ગે ફંટાઈ જાય.
વર્ષો પછી જયારે એ વ્યક્તિ એક ‘માણસ’ તરીકે જન્મી હોય તેને પોતાના કિરતાર પાસે જવાનો સમય થાય. ત્યારે એ પણ બીજાની જેમ જ શ્વાસ લેવાનું બંધ કરે છે અને શરીર એનું પણ પંચમહાભૂતમાં અથવા ashes to ashes ભળી જાય છે. થોડા દશક પહેલાં જે જીવાત્માને પૃથ્વી પર મોકલ્યો હોય તેને એક ‘માનવ’ ઉપરાંત કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ, રાજકીય પક્ષ, યુનિયન, મંડળ, સભા જેવાં શતવિધ ઓળખપત્રોનાં પાટિયાંથી ભરખમ બનેલ પોતાના ખોળામાં લેતી વખતે કુદરત વિચારતી હશે કે ભારે હોશિયાર નીકળ્યા, ભાઈ આ માણસો !
એક માત્ર ‘માણસ’નું બિરુદ લઈને મોકલેલો જીવાત્મા વિશ્વાત્મા બનવાને બદલે સાવ પામર આત્મા બનીને પાછો આવ્યો, તો હવે ફરી તેને મનુષ્ય બનાવું કે પછી ………?
e.mail : ten_men@hotmail.com