ઉમાશંકર જોશીએ કહેલો એક પ્રસંગ મેં આ પહેલાં નોંધ્યો હતો. એક વાર જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ની ઉપસ્થિતિમાં દેશભરનાં કેટલાંક ચુનંદા સાહિત્યકારો અને વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં ઉમાશંકર જોશી પણ હતા. વિષય હતો: અમર કહી શકાય એવાં કાલજયી વિદેશી વિચારોને અને સાહિત્યને ભારતીય ભાષાઓમાં લઈ આવવાનો કે જેથી દરેક પ્રદેશની નવી પેઢીને વિચારવા માટે ભાથું મળે. સોક્રેટિસ, પ્લેટો-એરિસ્ટૉટલથી શરૂ કરીને જ્યૉં પૉલ સાર્ત્ર સુધીના વિચારકો અને હોમરથી લઈને કાફકા સુધીના સાહિત્યકારો વિષે તેમાં ચર્ચા થઈ હતી અને અનુવાદ માટેનાં પુસ્તકોની યાદી બનાવી હતી.
પહેલી વાત તો એ કે દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બંને પાસે નવી પેઢીના વૈચારિક ઘડતર માટે સમય હતો, અને તેમનાથી ચડિયાતાં હોય એવાં લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોની વચ્ચે બેસવામાં લઘુતાગ્રંથિ નહોતા ધરાવતા. તેઓ માત્ર બેઠા નહોતા, ચર્ચામાં ભાગ લેતા હતા અને કયું પુસ્તક અનુવાદિત કરાવવું જોઈએ અને કયું ન કરાવવું જોઈએ કે પછી કરાવી શકાય એવા અભિપ્રાય પણ આપતા હતા, એમ ઉમાશંકરે નોંધ્યું છે. ઉમાશંકરે તો એમ પણ નોંધ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે એક જ લેખક કે વિચારકનાં બે પુસ્તકમાંથી કયું પુસ્તક પસંદ કરવું એ વિષે મતભેદ પણ થતા હતા.
બીજી વાત એ કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભારતીય તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં જગત સમક્ષ પહોંચાડનારા ડૉ. રાધાકૃષ્ણન્ તેમ જ બેઠકમાં ઉપસ્થિત વિદ્વાનો એમ કોઈને ય વિદેશી વિચારનો ભય નહોતો લાગ્યો. ભય એને લાગે જેનામાં પોતાનાપણા વિષે આત્મવિશ્વાસ ન હોય.
ત્રીજી વાત એ કે જવાહરલાલ નેહરુ એમ માનતા હતા કે માનવીનો સાંસ્કૃિતક વિકાસ આપ-લે દ્વારા થતો હોય છે અને એના દ્વારા પ્રત્યેક સંસ્કૃિત વધુ સમૃદ્ધ બનતી હોય છે. છોડને પણ આકાશની જરૂર પડે છે તો આપણે તો માનવી છીએ. જગતની સમૃદ્ધ સંસ્કૃિતઓ પર નજર કરી જુઓ. જ્યાં આપ-લે વધુ હતી ત્યાં સભ્યતાઓ વિકસી છે, સમૃદ્ધ થઈ છે અને ટકી છે.
પણ આ બધી વાતો એને માટે છે જેઓ આત્મવિશ્વાસ ધરાવે છે. આ લઘુતાગ્રંથિ ધરાવનારા નાના માણસોનો યુગ છે. સ્વતંત્ર વિચાર ધરાવનારા મેધાવી માણસોથી શાસકો દૂર ભાગે છે. ‘તમે વધુ જાણો છો અને હું ઓછુ જાણું છું, પરંતુ દેશના વિકાસ માટે તમારી સેવાની જરૂર છે’, એટલું સ્વીકારવા જેટલી નમ્રતા આજના શાસકો ધરાવતા નથી. તેમની લઘુતાગ્રંથિ અભિમાનના સ્વરૂપમાં પ્રગટ થાય છે.
પખવાડિયા પહેલાં તેમણે દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ એન્ડ લાયબ્રેરીમાંથી વિખ્યાત સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતાને દૂર કર્યા અને તેમની જગ્યાએ અર્નબ ગોસ્વામી નામના પોપટને બેસાડવામાં આવ્યા. પખવાડિયા પહેલાં વિખ્યાત ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાને ગુજરાતમાં ભણાવવા દેવામાં નહીં આવે, એવો ફતવો કાઢવામાં આવ્યો. ફતવાઓ મૌલવીઓ કાઢે છે, અને શિખાધારીઓ નથી કાઢતાં એવું થોડું છે? જ્યાં સુધી મુસલમાનો મૌલવીઓને સાંભળતા નહોતા અને દરેક ક્ષેત્રમાં તેમને ઘોંચપરોણો કરવા નહોતા દેતા, ત્યાં સુધી મૌલવીઓ ભાગ્યે જ ફતવાઓ કાઢતા હતા અને કાઢતા હતા તો માત્ર ધર્મને લગતા. જ્યારથી મુસલમાનોએ કોમી માનસ વિકસાવીને મૌલવીઓને સાંભળવાનું શરૂ કર્યું ત્યારથી મૌલવીઓની દરેક પ્રશ્ને માથું મારવાની અને ફતવા જારી કરવાની હિંમત વધી ગઈ. અત્યારે હિન્દુઓ મૂર્ખાઓને સાંભળતા થયા છે એટલે વિચારોની નાકાબંધી કરવા જેટલી હિંમત શીખાધારીઓએ મેળવી લીધી છે.
હવે સાહેબોની સંમતિ અને સહાય સાથે કામ કરતા ટ્રોલસૈન્યે કર્ણાટકી સંગીતના મોટી હેડીના ગાયક ટી.એમ. કૃષ્ણાને ટાર્ગેટ કર્યા છે. તેઓ બીજા કલાકારો સાથે દિલ્હીમાં નેહરુ પાર્કમાં ૧૯મી તારીખે ગાવાના હતા. કાર્યક્રમનું આયોજન જાણીતા કલામંચ સ્પીક મૅકૅએ કર્યું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાગીદાર સંસ્થા હતી. કાર્યક્રમની જાણ થતાંની સાથે જ ટ્રોલસૈન્યે દબાણ લાવવાનું શરૂ કર્યું કે ટી.એમ. કૃષ્ણાને દિલ્હી ગાવા માટે નહીં બોલાવવા જોઈએ. કારણ? કારણ કે તેઓ નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે અને એટલે દેખીતી રીતે તેઓ દેશદ્રોહી છે. જે નરેન્દ્ર મોદીનાં વખાણ કરે એ દેશપ્રેમી અને વિરોધ કરે એ દેશદ્રોહી.
હવે ભાઈ વિરોધ તો થવાનો જ. આ દેશમાં જેટલા લોકો બુદ્ધિશાળી છે અને પોતાના દેશની પરંપરાને, સંસ્કૃિતને, માનવીય મૂલ્યોને જાણે છે એ બધા જ લોકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ નથી કરતા એ ડરના માર્યા ચૂપ છે, પણ પ્રસંશા તો નથી જ કરતા. વાહ વાહ કરવા માટે જેટલી બુદ્ધિદરિદ્રતા જોઈએ કે સ્વમાનહીનતા જોઈએ એ અમારામાં નથી. મને ખાતરી છે કે ૯૯ ટકા ભક્તોએ ટી.એમ. કૃષ્ણાનું નામ નહીં સાંભળ્યું હોય, ત્યાં તેમના સંગીતને સાંભળ્યું હોય એ તો દૂરની વાત છે.
ટી.એમ. કૃષ્ણા અવ્વલ દરજ્જાના ગાયક છે અને અત્યંત નમ્ર માણસ છે. માણસ એટલે ખરા અર્થમાં માણસ. નાના શહેરમાંથી કે સામાજિક-આર્થિક રીતે નીચલા વર્ગમાંથી આવતા સંગીતકારોને ખાસ પ્રોત્સાહન આપનારા. ‘ભાલો ભાલો’ કહીને સાથી કલાકારોને પ્રોત્સાહન આપે. સંગીત પર ઉચ્ચભ્રુ વર્ગની ઈજારાશાહી તોડવા માટે તેઓ સાંસ્કૃિતક આંદોલન કરી રહ્યા છે અને તેની કદરરૂપે તેમને બે વરસ પહેલાં મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વડા પ્રધાન જેમને ફૉલો કરી રહ્યા છે, એ અભણ ટ્રોલને તો આ બધી વાતની જાણ પણ નહીં હોય. ગેરન્ટી.
courtesy : Keshav in "The Hindu", 16 November 2018
રામચન્દ્ર ગુહાએ ટી.એમ. કૃષ્ણા વિશેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક જગ્યાએ કાર્યક્રમ પૂરો થયો એ પછી કેટલાક લોકો ટી.એમ. કૃષ્ણાને મળવા આવ્યા. તેમણે ફરિયાદ કરી કે તમે ફલાણી ફલાણી જગ્યાએ ગાવાનું આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ અમારી સંસ્થામાં ગાવાનું આમંત્રણ આપ્યું તો તમે ઠુકરાવી દીધું. ટી.એમ. કૃષ્ણાએ કહ્યું કે ‘એક વાર હું આમંત્રણ સ્વીકારીને ગાવા આવ્યો હતો. મેં ગાઈ લીધું એ પછી આયોજકે એક રાજકારણીને બોલવા માટે કહ્યું હતું અને તે વીસ મિનિટ સુધી રાજકારણ વિષે બોલ્યો હતો. રાજકારણીને પહેલાં બોલવા કહ્યું હોત તો મને વાંધો નહોતો, પરંતુ સંગીત સાંભળેલા ભાવકના ભાવવિશ્વ પર વિષયાંતર કરીને કોઈ પાણી ઢોળે એ કેમ ચાલે. સભાગૃહમાંથી બહાર નીકળતી વખતે ભાવક કૃતિને દિલમાં અને મનમાં ભરીને સાથે લઈ જતો હોય છે; પછી એ સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે ફિલ્મ હોય.’
પેલા આયોજકોને આ ખુલાસો ગળે ઉતર્યો નહોતો. તેમણે દલીલ કરી હતી કે ‘અમારી ગાયન સભા સો વરસ જૂની છે એ ન ભૂલવું જોઈએ.’ ટી.એમ. કૃષ્ણાએ લાગલું કહ્યું હતું કે ‘મારું સંગીત છસો વરસ જૂનું છે.’
હવે બોલો, આવા ખુદ્દાર અને તેજસ્વી માણસો જયજયકાર ઓછા કરે? એ ગમાર અને કઢીચટ્ટાઓનું કામ છે. એટલે જ તેમણે કહ્યું છે કે ૧૯મી તારીખે દિલ્હીમાં મને ગમે ત્યાં સ્ટેજ આપો હું ધરાર ગાઈશ. જોઈએ સંસ્કાર અને સંસ્કૃિતના દુશ્મનો શું કરે છે? હવે એમ લાગે છે કે કલાકારોએ, વિચારકોએ, વક્તાઓએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો? જો ધરાવતા હોય તો જ બોલાવજો.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 નવેમ્બર 2018