સ્વતંત્ર અને તટસ્થ પત્રકારત્વ જેવું લોકશિક્ષણ માટેનું બીજું એકેય અસરકારક માધ્યમ નથી. કમનસીબે એ સ્વતંત્રતાનો સ્વચ્છંદ રીતે ઉપયોગ થતો હોવાથી, યુનાઇટેડ કિંગ્ડમમાંના અખબાર જગતમાં મોટી કટોકટી સર્જાઈ છે. તેવામાં તા. ૯ એપ્રિલ ‘૧૩ના “Indian Express”માં પ્રેસ કમિશનના અધ્યક્ષ માર્કંડેય કાત્જુનો લેખ વાંચવામાં આવ્યો. ‘Media demonising Muslim Community’ શીર્ષક હેઠળ લખાયેલા તેમના લેખમાં અખબારી તંત્રની બેજવાબદારી માટેની એમની હૈયા વરાળની જાળ વાચકો સુધી પહોંચે છે.
અખબાર અને પ્રસાર માધ્યમો દ્વારા, આઠે પ્રહર રેલાતા સમાચારોથી, મુસ્લિમ લોકોને પોતાને બિન મુસ્લિમો તરફથી અન્યાય થતો લાગે છે, અને એથી માર્કંડેય કાત્જુ એવા મીડિયાને ‘બેજવાબદાર જર્નાલિઝમ’ તરીકે નવાજે તેમાં નવીન નથી. આવા પ્રચાર માધ્યમો જે ચિત્રો દોરે, તેને કારણે જે તે કોમને એકતરફી હકીકતો, અને તે પણ અફવાઓના સ્વરૂપમાં, પ્રસ્તુત થતી હોવાને કારણે પોતાને અન્યાય થતો લાગે તે સ્વાભાવિક છે.
આમ તો એક સમયે ક્રિશ્ચિયન ધર્મના કેટલાક અનુયાયીઓએ યહૂદી લોકોની અમાનવીય સતામણી કરી હતી. સાંપ્રત સમયમાં, અલ કાયદા અને તાલિબાન જેવાના આતંકી હુમલાઓને કારણે, મુસ્લિમ કોમની નિર્દોષ વ્યક્તિઓ અને આખેઆખા દેશને ‘Axis of Evil’ – દુષ્ટતાની ધરી સમાન – ઓળખાવીને ભારે અન્યાય થાય છે. રાજાશાહીના જમાનામાં ભાટ-ચરણોનું કામ રાજા અને તેના નિકટના કારભારીઓની સ્તુિત કરવાનું હતું, અને રાજાની અન્યાયી રાજનીતિ કે ગેર વહીવટની જાણ હોય તો પણ તેને વિષે પ્રજાને કોઈ માહિતી ન મળે તેની તકેદારી રખાતી.
આજે ‘લોકશાહી’ના જમાનામાં એ કામ આવા ‘બેજવાબદાર જર્નાલિસ્ટ’ કરી રહ્યા છે. એ એક એવું ધીમું પણ ચોક્કસ ઝેર આપણા કાનમાં રેડે છે, કે ડરપોક અને અજ્ઞાન લોકો સમાચારોમાંથી ‘Every Muslim is not terrorist but every terrorist is Muslim’ એવું તારણ કાઢતા થઈ જાય છે ! લખનારનું મંતવ્ય છે કે ધાર્મિક સંસ્થાનો, મૂળ ધર્મ પુસ્તકો બાદ કરતાં બાકીનું ધાર્મિક સાહિત્ય તથા ધર્મ પ્રચારકો, રાજકારણીઓ અને સમૂહ પ્રસારણના માધ્યમો કોઈ પણ વિશિષ્ટ સમૂહ માટે પૂર્વગ્રહિત ધારણાઓ, નકારાત્મક વલણો, ભય અને નફરત ફેલાવવામાં અગ્ર ભાગ ભજવે છે.
‘ગાંધીજીની હત્યા થઈ’ એ સમાચાર ઈન્ટરનેટ નહોતું છતાં ય વીજળી વેગે ફેલાઈ ગયા, ત્યારે રાજ્યકર્તાઓથી માંડીને અદનામાં અદના નાગરિકોના મનમાં એક જ પ્રશ્ન ઉઠ્યો, ‘કોના હાથે હત્યા થઈ?’ દેશના અગ્રણી ખબરપત્રીઓએ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને પૂછ્યું, જેના જવાબમાં તેમણે ઊંડો વિચાર કર્યા વિના તરત કહ્યું, ‘એક હિન્દુના હાથે ગાંધીજીની હત્યા થઈ છે.’ તે પછીની ક્ષણોમાં ‘હું પ્રાર્થના કરું છું કે મારી આ ધારણા સાચી હોય, કેમ કે જો કોઈ મુસ્લિમના હાથે એમની હત્યા થઇ હશે તો આખો દેશ સળગી ઉઠશે અને તે આગને ઓલવવા માટે અમારી પાસે કોઈ ઉપાય નહીં હોય.’ એવું લોર્ડ માઉન્ટબેટને કહ્યાનું બધાને વિદિત છે. સામાન્ય માનવી પોતાના પિતાનું ખૂન કરનારની હત્યા કરે તે સ્વાભાવિક ગણાય છે ! ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા હતા તેથી તેમને હણનારનો જાન લેવા લોકો તત્પર થાય તે વ્યાજબી ગણાય. વિચારવાનું એ છે કે હિન્દુના હાથે હત્યા થઈ તો આપણે તેને પકડીને સજા કરી, બીજા હિન્દુઓને માર્યા? પરંતુ જો કોઈ મુસ્લિમના હાથે ગોળી વાગો હોત, તો હિંદુઓ નિર્દોષ મુસ્લિમ પ્રજાજનોને કબજે કરી ‘खूनका बदला खून’ જેવાં સૂત્રો સાથે રમખાણ માંડી બેઠા હોત, તે પૂરેપૂરું શક્ય હતું ખરું ને ? આજે ૬૫ વર્ષ પછી પણ ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેની તંગદીલી જરા પણ હળવી નથી થઈ. જેનો પુરાવો ૨૦૦૨ના કોમી રમખાણો આપે છે. આને માટે થોડે ઘણે અંશે અખબાર જગત પણ જવાબદાર છે.
સામાન્યીકરણ કરવું એ બુદ્ધિપૂર્વક નહીં, પણ પૂર્વગ્રહોને આધારે વિચારતા લોકોનું કામ છે. હિંદુઓ, ગુજરાતીઓ, મારવાડીઓ વગેરે માટે જો કોઈ ‘હિંદુઓ તો ગંદા છે,’ ‘હિંદુઓ બધા છૂઆછૂતમાં મને છે’, ‘ગુજરાતી વેપારીઓ માત્ર વેપારી વૃત્તિના છે’, ‘મારવાડીઓ કંજૂસ હોય છે’, એવા એવા વિધાનો કરે તો એ વ્યાજબી લેખાશે ? આજના જમાનામાં લોકોના વલણ કેળવવા અને બદલવામાં તટસ્થ પત્રકારત્વ તો શિક્ષક, ધર્મગુરુઓ અને નેતાઓ કરતાં ય વધુ મૂલ્યવાન ભાગ ભજવે છે. જરા કલ્પના કરો, જો કોઈ શિક્ષક તેના વિદ્યાર્થીઓના કાનમાં ઝેર રેડે, માતા-પિતા બાળકોને ભડકાવે, સંતો-ગુરુઓ શ્રોતાઓ વચ્ચે ધર્મો અને જ્ઞાતિના આધારે ખોટો પ્રચાર કરીને દીવાલો રચે, તો કેવા નાગરિકો પેદા થાય ? એક વ્યક્તિ તરીકે કોઈ માણસ જાહેરમાં બીજાને ભાંડે, તેમને ભૂંડા ચીતરે અને પ્રજામાં અન્ય જૂથ માટે ધિક્કારની લાગણી ફેલાવે, તેવા તેવા પ્રવચનો કરે, તો તેની ‘શાંતિના ભંગ’ બદલ ધરપકડ થાય (એ વ્યક્તિ જો મુસ્લિમ હોય તો પુરાવાની પણ જરૂર ન રહે). પણ મારા હાથમાં પત્રકાર તરીકે કલમ હોય તો એવા જ કૃત્યો કરવા છતાં ય હું છૂટી જાઉં, એ ક્યાંનો ન્યાય?
અખબારોની ફરજ સ્થાનિક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓને તટસ્થ રીતે લોકો સુધી પહોંચાડવાની છે. તેના સારાસાર કે યોગ્યાયોગ્યનો નિર્ણય વાચકો પર છોડવો રહ્યો. હા, અખબારમાંના લેખો દ્વારા વાચકોના મંતવ્યો કેળવાય, વિચારો બદલાય અને વલણો સુધારી શકાય, પરંતુ એ કામ પણ બીજા સમૂહને ઉતારી પાડીને, દુષ્ટ સાબિત કરીને કે હકીકતને મારી મચડીને રજૂ કરવાની નીતિ અપનાવનારા અખબારો સમાજની બહુ મોટી કુસેવા બજાવે છે.
જીવનના દરેક ક્ષેત્રમાં સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી છે. જો સમાચાર સંસાધનોને હાલમાં મળતી વાણી, વિચાર અને મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા વહાલી લાગતી હોય, તો ઘટનાઓનો અહેવાલ ન્યાયી, તટસ્થ અને વિવેકપૂર્ણ હોય તેની જવાબદારી પણ તેમણે સ્વીકારવી રહી. નહીં તો પ્રજામાં વૈમનસ્ય, ધિક્કાર અને હિંસા ફેલાવવાનું તહોમત સ્વીકારે.
e.mail : 71abuch@gmail.com