કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંદિરે મંદિરે ભટકે છે, ધોતિયું પહેરીને પૂજા-પ્રક્ષાલન કરે છે, કપાળે તિલક લગાવડાવે છે અને કદાચ દક્ષિણા પણ આપતા હશે. આમ કરીને તેઓ એમ બતાવવા માગે છે કે તેઓ ધાર્મિક હિન્દુ છે. એ દ્વારા તેઓ એમ સાબિત કરવા માંગે છે કે તેઓ હિન્દુ ધર્મ વિરોધી નથી. એના દ્વારા તેઓ એમ કહેવા માંગે છે કે કૉન્ગ્રેસ હિન્દુ કે હિન્દુ ધર્મ વિરોધી નથી. આના દ્વારા તેઓ એમ પણ સિદ્ધ કરવા માંગે છે કે કૉન્ગ્રેસ મુસ્લિમ તરફી સેક્યુલર પક્ષ નથી. હા, તેનો અર્થ કોઈ એવો કરે કે કૉન્ગ્રેસ સહેજ હિન્દુ પક્ષપાત ધરાવનાર સેક્યુલર પક્ષ છે તો રાહુલ ગાંધી તેનો સ્વીકાર કે અસ્વીકાર કર્યા વિના મૂંગા રહેવાનું પસંદ કરશે. આ બધું ચૂંટણી ટાણે જોવા મળે છે.
ચૂંટણી ન હોય ત્યારે રાહુલ ગાંધી મંદિરોમાં જાય છે કે નહીં એ આપણે જાણતા નથી. જતા હોય અને મીડિયા તેની નોંધ ન લેતા હોય એવું બને અને કદાચ રાજકીય જરૂરત નહીં રહેતા નહીં પણ જતા હોય. રાહુલ ગાંધી કેટલા ઈશ્વરપરાયણ છે એની પણ આપણને ખબર નથી. રાહુલ ગાંધીએ તેમની અંગત ધાર્મિકતાના સ્વરૂપ વિશે ખુલાસો કર્યો નથી, ત્યાં તેમની ધર્મવિભાવના તો બહુ દૂરની વાત છે.
બીજી બાજુ નરેન્દ્ર મોદી છે જે ભાગ્યે જ મંદિરોમાં જાય છે. આનો અર્થ એવો નથી કે તેઓ નખશીખ સેક્યુલર છે અને ધર્મને રાજકારણથી દૂર રાખે છે. તેમને મંદિરોમાં જઇને પોતાના હિન્દુ હોવાપણાના પ્રમાણપત્રની જરૂર નથી, કારણ કે તેઓ હિન્દુ હિતના અને હિન્દુ ધર્મના ઠેકેદાર છે. ઠેકેદારોની પ્રતિષ્ઠા ઠેકેદારીમાં છે. હું તમારી વતી અને તમારે માટે બોલું છું એટલું પૂરતું છે. એનાથી વધુ કાંઈ પૂરવાર કરવાનું રહેતું નથી. તમે અટલ બિહારી વાજપેયીને, લાલકૃષ્ણ અડવાણીને, મુરલી મનોહર જોશીને, મોહન ભાગવતને, તેમના પુરોગામી સરસંઘચાલકોને મંદિરમાં જતા કેટલી વાર જોયા છે? રાહુલ ગાંધીની માથાં ટેકવતી તસ્વીરો જોવા મળશે એટલી આ બધા લોકોની નહીં જોવા મળે. એકલા રાહુલની સો તસ્વીરો મળશે અને આ બધા લોકોની મળીને સો નહીં મળે. ગેરંટી.
જરૂર શું છે જ્યારે ઠેકેદારી હાથમાં છે? હિન્દુત્વના પુરસ્કર્તા વી.ડી. સાવરકર તો નાસ્તિક હતા અને તેમણે પોતાની નાસ્તિકતા છૂપાવી પણ નહોતી. મહમ્મદ અલી જિન્નાહે જાહેરમાં નાસ્તિકતાનો સ્વીકાર કર્યો નહોતો, પણ આખી દુનિયા જાણે છે કે તેઓ નાસ્તિક નહીં તો પણ અ-ધાર્મિક હતા. હિન્દુ હિતના બીજા એક ઠેકેદાર ડૉ. સુબ્રમણ્યમ સ્વામી પારસીને પરણ્યા છે અને તેમની દીકરી મુસલમાનને પરણી છે. આમ ઠેકેદારોને હિન્દુ હોવાનાં કોઈ પ્રમાણપત્રોની જરૂર નથી હોતી, કારણ કે તેઓ ઠેકેદાર છે.
કોમવાદી રાજકારણનું આ સ્વરૂપ છે. કોમવાદી હોવા માટે ધર્મિક હોવાની જરૂર હોતી નથી. જગતના ૯૯ ટકા કોમવાદીઓ રૂઢ અર્થમાં મંદિરોમાં જનારાં અને ટીલાં-ટપકાં કરનારાં ધાર્મિક નથી હોતા. તેઓ ઈશ્વરપરાયણ નથી હોતાં, ધર્મપરાયણ પણ નથી હોતાં; તેઓ સંખ્યાપરાયણ હોય છે. આપણી આટલી સંખ્યા છે અને છતાં આપણને અન્યાય થઈ રહ્યો છે અથવા આટલો આપણો હક છે જે મળવો જોઈએ કે મળતો નથી, વગેરે. તેમનું રાજકારણ ભયના પાયા પર ઊભેલું હોય છે. અન્યોને લલકારવા અને પોતાનાને હંમેશાં ડરાવીને રાખવા. ‘જો જો હોં, જરાક પણ અસંગઠિત થશો ને તો દુ:શ્મનો આપણને ખતમ કરી નાખશે.’ દુ:શ્મન, દુ:શ્મનનો ભય અને સંગઠિત સંખ્યા તેમના રાજકારણના પદાર્થો છે.
આમ જે મોકળાશ નરેન્દ્ર મોદીને છે એ રાહુલ ગાંધીને નથી. રાહુલ ગાંધીએ હિન્દુ હોવાના પ્રમાણપત્રો ઉઘરાવવા પડે છે, જે મંદિરોમાં મળે છે. રાહુલ ગાંધીને અને કૉન્ગ્રેસના નેતાઓને એક વાત સમજાતી નથી કે જે હિન્દુઓ કોમવાદી માનસ ધરાવે છે એ ઠેકેદારોના બની ચુક્યા છે અને તેઓ નજીકના ભવિષ્યમાં પાછા ફરવાના નથી. ઠેકેદારોનાં પાપ જ્યારે ઠેકેદારી કરતાં વધારે મોટાં નજરે પડશે અને એ છાપરે ચડીને પોકારશે ત્યારે કોમવાદી માનસ ધરાવનારાઓની આંખ ઉઘડશે, જેમ જર્મની અને ઈટાલીમાં બન્યું હતું. ત્યારે તેમને સમજાશે કે આપણને બીવડાવી બીવડાવીને બેવકૂફ બનાવવામાં આવતા હતા. આમ મંદિરોમાં આંટા મારવાથી વાડે બંધાયેલાં ઘેટાં મુક્ત થવાનાં નથી. એટ લીસ્ટ, આવતા થોડાં વર્ષો તો નહીં. લગભગ એક-દોઢ હજાર જેટલા બીવડાવનારાઓની ફોજ તૈયાર કરવામાં આવી છે જે અખબારોની કોલમોમાં અને રાતના પ્રાઈમ ટાઈમમાં ટી.વી.-ચેનલો પર બીવડાવવાનું કામ કરે છે. બીનારાઓને પણ બીવાનો આનંદ આવે છે અને તેઓ પાછા એકબીજાને બીવડાવીને રાહત મેળવે છે.
કેવો યુગ આવ્યો છે નહીં! ડરનું ગૌરવ કરવામાં આવી રહ્યું છે. ડરેલાઓ પોતાને શાણાઓ તો સમજે જ છે, પરંતુ બહાદુર પણ સમજે છે. ડરેલો ને વળી બહાદુર? હા, માનસિક જ્વર જ્યારે સામૂહિક બની જાય ત્યારે આવું પણ જોવા મળે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં બોલતા ગાંધીજીએ કમાન્ડોઝની વચ્ચે ફરતા ભારતમાંના બ્રિટિશ ગવર્નરને કહ્યું હતું કે ભારતમાં રહેવામાં જો ડર લાગતો હોય તો તેમણે વતન પાછા જતા રહેવું જોઈએ, કારણ કે ડરીને રહેવા જેટલું દોજખ બીજું એકે નથી. તેમણે ભારતની પ્રજાને કહ્યું હતું કે જો આપણા કારણે ગવર્નર સાહેબ ડરતા હોય તો આપણે કાયર છીએ. ડર્યા વિના અને દુ:શ્મનને ડરાવ્યા વિના આંખમાં આંખ પરોવીને વાત કરતા આવડવું જોઈએ. ખરી મર્દાનગી આવી હોય છે. ગાંધીજીનું એ કથન સાંભળીને ગુજરાત ક્લબમાં બ્રીજ રમતા વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે દેશમાં મરદનો દીકરો પાક્યો છે જે જરૂર આઝાદી અપાવશે. આજે સરદારના નામના રાસડા લેનારાઓ પોતાનાઓને ડરવાનું કામ કરી રહ્યા છે. ૫૬ ઈંચની છાતી ગાંધીજીની હતી જેણે ભારતની પ્રજાના મનમાંથી ભય દૂર કર્યો હતો. કોઈ બીવડાવે અને પાછા ૫૬ ઈંચની છાતીનો દાવો પણ કરે? આગળ કહ્યું એમ જ્યારે સામૂહિક માનસિક જ્વર પેદા થાય ત્યારે આવું પણ બને.
તો રાહુલ ગાંધીએ શું કરવું જોઈએ? રસ્તો છે પણ એ સાચા મરદનો છે. રાહુલ ગાંધી એ કરી શકાશે? તેની વાત આવતીકાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 નવેમ્બર 2018