
હેમન્તકુમાર શાહ
પહેલગામની ઘટના પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવાનું પગલું ભર્યું છે. કેટલીક વિગતો જોઈએ:
(૧) પાકિસ્તાન સાથેનો વેપાર ૨૦૨૩માં ૫૩ કરોડ ડોલરનો હતો અને તે ૨૦૨૪માં ૧૨૦ કરોડ ડોલરનો થયો હતો. એટલે કે તેમાં ૧૨૭ ટકાનો જંગી વધારો થયો હતો. ૨૦૧૮માં તો ૩૦૦ કરોડ ડોલરનો વેપાર થયો હતો.
(૨) એમ પણ એક અભ્યાસ કહે છે કે પાકિસ્તાનમાં ૧૦૦ કરોડ ડોલરની નિકાસ તો સીધી નહીં પણ વાયા બીજા દેશો થાય છે. એટલે કે ભારતની ચીજો પહેલાં બીજા દેશોમાં જાય અને પછી એ ત્યાંથી પાકિસ્તાનમાં જાય છે. ભારતના નિકાસકારોને એની ખબર ન હોય એવું તો બને જ નહીં. આવું થાય છે કારણ કે ૨૦૧૯માં ભારતે પાકિસ્તાનને જે MFN એટલે કે અતિ પ્રિય રાષ્ટ્રનો દરજ્જો આપેલો તે પાછો ખેંચી લીધેલો.
(૩) ભારત સરકારે પંજાબની અટારી સરહદે થતી અવરજવર બંધ કરી છે એટલે પાકિસ્તાન સાથેનો વેપાર ત્યાંથી બંધ થઈ ગયો છે.
વળી, અખિલ ભારત વેપારી મહામંડળ (CAIT) દ્વારા ભુવનેશ્વરમાં ગઈ કાલે જ મળેલા તેના અધિવેશનમાં પાકિસ્તાન સાથેનો બધો વેપાર બંધ કરવાનો ઠરાવ કરાયો છે.
કાશ્મીરમાં ઉરી પાસે આવેલા અમન સેતુ પરથી જે વેપાર થતો હતો તે તો ઉરીમાં આતંકવાદી હુમલો થયેલો ત્યારથી બંધ જ છે.
(૪) પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવામાં નુકસાન ભારતને જ છે કારણ કે પાકિસ્તાન સાથેની ભારતની વેપાર તુલામાં સિલક છે. એટલે કે ભારત પાકિસ્તાનમાં નિકાસ કરે છે તેના કરતાં ત્યાંથી આયાત ઓછી કરે છે. એટલે કે એમાં ભારતને કમાણી થાય છે, ખોટ નથી જતી. જેમ કે, ગયા વર્ષે ભારતે ૧૨૦ કરોડ ડોલરની નિકાસ કરી પણ આયાત તો માત્ર પાંચ લાખ ડોલરની જ કરી!
(૫) પાકિસ્તાનમાં જેટલી નિકાસ ઓછી થશે એટલી બીજા દેશોમાં વધશે જ એવી તો કોઈ ખાતરી છે જ નહીં. સરવાળે નિકાસ ઘટે તો આવક, ઉત્પાદન અને રોજગારી ઘટે.
(૬) જે ચીજોની આયાત પાકિસ્તાનથી કરીએ છીએ તે ત્યાંથી ન થાય અને બીજા દેશોમાંથી થાય તો એ મોંઘી પણ હોઈ શકે. એટલે એ રીતે પણ નુકસાન થાય.
પાકિસ્તાનની ટીમ ભારતમાં નહીં આવવા દઈને કે ત્યાં આપણી ક્રિકેટ ટીમ નહીં મોકલીને શું લાભ થયો તે ખબર નથી પડતી. એમ જ વેપાર બંધ કરવાથી શો લાભ? નુકસાન તો નક્કી જ છે.
ચીન સાથેના વેપારમાં ભારતને ગયા વર્ષે ૯,૯૨૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે. પણ તેની સામે તે સરહદે મુસીબતો ઊભી કરે છે તેમ છતાં કોઈ પગલાં વેપાર વિશે લેવાતાં નથી. એમ કેમ?
તા.૨૯-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર