ધારાવાહિક નવલકથાના પ્રકાશન અંગે શરૂઆતમાં એક એવો ચાલ જોવા મળે છે કે મોટે ભાગે સામાયિકના ‘અધિપતિ’ (તે વખતે તંત્રી માટે વપરાતો શબ્દ) પોતાની જ નવલકથા છાપતા. ઈચ્છારામ સૂર્યરામે ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં પોતાની નવલકથાઓ છાપી હતી. જાણીતા સાક્ષર અને સમાજ સુધારાની બાબતમાં રૂઢીવાદી વલણ ધરાવતા મણિલાલ નભુભાઈએ ૧૮૮૫માં મુખ્યત્વે સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને ‘પ્રિયંવદા’ માસિક શરૂ કર્યું તેમાં પોતાની ‘ગુલાબસિંહ’ નવલકથા હપ્તાવાર પ્રગટ કરી. અલબત્ત, આ તેમની મૌલિક નવલકથા નહોતી. રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ પુસ્તક રૂપે તો ૧૯૦૦માં પ્રગટ થઈ, પણ તે પહેલાં તે તેમના ‘જ્ઞાનસુધા’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. સમાજ સુધારા અંગે મણિલાલ કરતાં સામા છેડાના મત ધરાવનાર રમણભાઈએ ૧૮૯૨માં ‘જ્ઞાનસુધા’ શરૂ કર્યું અને એ જ વર્ષના માર્ચના અંકથી તેમણે તેમાં ‘ભદ્રંભદ્ર’નું પ્રકાશન શરૂ કર્યું. આ ધારાવાહિક પ્રકાશન છેક ૧૯૦૦ના જાન્યુઆરી-જૂન અંકમાં પૂરું થયું, એટલે કે લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યું. આમ થવાનું કારણ એ નહોતું કે નવલકથા બહુ લાંબી હતી. એ છે તો ૩૨૭ પાનાંની. પણ કારણ એ હતું કે ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન સતત ખૂબ અનિયમિત રહ્યું હતું. ક્યારેક તો વર્ષમાં તેના એક કે બે જ અંક પ્રગટ થતા. જે અંકમાં તે પૂરી થઈ તે છ મહિનાનો સંયુક્ત અંક છે. અહીં એ નોંધવું જોઇએ કે ‘જ્ઞાનસુધા’માં આ નવલકથા છપાઈ ત્યારે તેની સાથે લેખક તરીકે કોઈનું નામ છપાતું નહોતું. જો કે તેના લેખક રમણભાઈ છે એ વાત ઝાઝો વખત છાની રહી શકી નહોતી. આ નવલકથા લખવાનું શરૂ કર્યું ત્યારે રમણભાઈની ઉંમર હતી ૨૪ વર્ષની. પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે ઉંમર હતી ૩૨ વર્ષ. પોતાના મૂળ નામ ‘દોલત શંકર’માં આવતા ‘દોલત’ જેવા યાવની શબ્દને કારણે એ નામ ત્યજી, પ્રાયશ્ચિત્ત કરી, ભદ્રંભદ્ર’ એવું નામ ધારણ કરનાર વિશેની આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે એના પ્રકાશક હતા દોલતરામ મગનલાલ શાહ. પોતાના ‘દેશભક્ત’ નામના પત્ર માટે તેમણે આ નવલકથા પુસ્તક રૂપે છાપી હતી. અને આ ‘દેશભક્ત’ના એક ભાગીદાર હતા આપણા યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈના પિતા વસંતલાલ સુંદરલાલ દેસાઈ. ૧૯૧૬ના એપ્રિલથી હાજી મહમદ અલારખિયાએ એ વખતે અનન્ય કહી શકાય એવું માસિક ‘વીસમી સદી’ શરૂ કર્યું. એ જ વર્ષના જુલાઈ અંકથી તેમણે પોતાની ‘દિલારામ’ નામની નવલકથાનું ધારાવાહિક પ્રકાશન તેમાં શરૂ કર્યું.
૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે ઈચ્છારામનું અવસાન થયું તે પછી તેમના પુત્ર મણિલાલ ‘ગુજરાતી’ના અધિપતિ બન્યા. તેમણે નવલકથા માટે બહાર નજર દોડાવી. અને તેઓ એક નવા જ નવલકથાકારને લઈ આવ્યા. એમનું નામ ઘનશ્યામ વ્યાસ. ૧૯૧૩ના ઓગસ્ટના અંકથી તેમની નવલકથા ‘ગુજરાતી’માં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી. આ ઘનશ્યામ વ્યાસ તે બીજું કોઈ નહિ, પણ કનૈયાલાલ મુનશી. અને તેમની ધારાવાહિક તે તેમની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત.’ ‘ગુજરાતી’માં આ નવલકથા છપાવાનું શરૂ થયું તે પહેલાં મુનશીની પહેલી ટૂંકી વાર્તા ‘મારી કમલા’ ઉપનામથી નહિ, પણ મુનશીના પોતાના નામથી અમદાવાદથી પ્રગટ થતા ‘સુંદરી સુબોધ’ માસિકના ૧૯૧૨ના જૂન અંકમાં પ્રગટ થઈ હતી અને બીજી કેટલીક વાર્તાઓ પણ અન્ય સામયિકોમાં પ્રગટ થઈ હતી. ‘વેરની વસૂલાત’ના પ્રકાશનને એક રીતે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, કારણ ત્યારથી અધિપતિની નવલકથા છાપવાને બદલે અન્ય લેખકની નવલકથા છાપવાના ચાલે આપણાં સામયિકોમાં જોર પકડ્યું. એપ્રિલ ૧૯૧૭ના અંકથી ‘વીસમી સદી’માં મુનશીની ‘ગુજરાતનો નાથ’ ધારાવાહિક રૂપે શરૂ થઈ. અલબત્ત, શરૂઆતમાં તેના લેખક તરીકે ‘રા. ઘનશ્યામ’નું નામ છપાતું હતું. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી તેના હપ્તા મુનશીના નામ સાથે છપાતા થયા. આ નવલકથાના દરેક હપ્તા સાથે છપાતાં રવિશંકર રાવળનાં ચિત્રોએ પણ અનેરું આકર્ષણ જગાવ્યું હતું. ‘ગુજરાતનો નાથ’ની અગાઉ લખાયેલી ‘પાટણની પ્રભુતા’ પણ ‘ઘનશ્યામ’ ઉપનામથી ‘ગુજરાતી’ના વાર્ષિક ભેટ પુસ્તક રૂપે છપાઈ હતી, ઘણા માને છે તેમ ધારાવાહિક રૂપે નહિ.
અલબત્ત, એ વખતે પણ કેટલાંક સામયિકો એવાં હતાં કે જે સભાનપણે ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી દૂર રહ્યાં હતાં. પણ તે અંગેની વધુ રસિક વાતો હવે પછી ક્યારેક.
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2014