હમણાં થોડા વખત પહેલાં એક મિત્રનો ફોન આવ્યો; અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ માટે સહી આપો. અગાઉ પણ આ મુજબનો મોબાઇલ રણક્યો હતો. તો એ અગાઉ મારા એક મિત્રનો ફોન કંઈક આવો આવ્યો હતો, હમણાં-હમણાં અકાદમીની સ્વાયત્તતા માટે ઝુંબેશ ચાલે છે, તો એમાં પડશો નહિ, ત્યારે પણ કશો જવાબ આપ્યો નહોતો. આજે પણ કોઈ નક્કર જવાબ મને મળતો નથી. કોણ જાણે કેમ મને એવું થાય છે કે, મારી ખુદની સ્વાયત્તતા જોખમાઈ રહી છે. કયા રસ્તા પર જવું, એની અવગઢમાં હું કાયમ જીવ્યો છું. માણસ છું, એટલે લાભાલાભની ગણતરીઓ થતી જ રહે છે. મને ખબર છે, ગણતરીઓ આવે એટલે સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. થોડાક દિવસોથી અકાદમી અને તેની સ્વાયત્તતાનું ભૂત મને રાતે ઊંઘવા દેતું નથી. અનેક પ્રશ્નો તરફેણ અને વિરુદ્ધમાં મને સતાવ્યા કરે છે. થોડાંક વર્ષો પહેલાં અકાદમી સ્વાયત્ત હતી, ત્યારે શું થયું હતું? ખાસ તો સાહિત્યના લાભાર્થે અને હમણાં અકાદમી સ્વાયત્ત નથી ત્યારે શું થઈ રહ્યું છે? એ અંગે સતત વિચારો આવે છે, ત્યારે પણ ગણ્યાગાંઠ્યા લેખકો-સર્જકોનો પ્રભાવ હતો, આજે પણ એ સર્જકોની સંખ્યામાં વધારો થયો છે, એવું કહી શકાય નહિ. માત્ર ‘હઇસો હઇસો’ કરનારા, નારાબાજી કરનારા, ક્યાં લાભ થશે એ બાજુ ઝૂકી જનારા, અવાજ નથી એટલે માત્ર ઘોંઘાટ કરનારા, અમુકતમુકના ઝંડા લઈને ફરનારા, કોઈના ને કોઈના પ્રભાવમાં આવી જનારા, જીહજુરિયાઓ, ડરપોક અને સ્વમાન ગુમાવી ચૂકેલા મારા જેવા અનેક સર્જકો તો અમુકતમુકના માત્ર હાથા બની રહી જઈએ છીએ. અંદરથી ધગધગતા લાવાને બહાર વાસ્તવિકતામાં ઠંડી રાખ બનાવીને ટોળામાં ભ્રામક આનંદમાં રાચનારા અમે સર્જકો છીએ. અમે કશું કરી શકતા નથી અથવા કશું કરવા માગતા નથી, ત્યારે જાતને જ કહું છું, ‘સાલા, ડરપોક …’
અકાદમી સ્વાયત્ત થાય તો અને અત્યારે અકાદમી સ્વાયત્ત નથી, ત્યારે શું-શું કરવું જોઈએ એની નક્કર યોજના આપણી પાસે નથી. માત્ર સાહિત્યિક કાર્યક્રમો કરવા, માત્ર જન્મશતાબ્દીઓ ઊજવવી, માત્ર પુસ્તકો પ્રકાશિત કરવાં કે માત્ર સામયિકનું પ્રકાશન કરવું, એ માત્ર કંઈ સાહિત્યિક સંસ્થાનું કામ નથી. આ કાર્ય તો ગુજરાતની સેંકડો સંસ્થાઓ પોતપોતાની રીતે કરતી જ રહે છે, કદાચ અકાદમી કે પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાઓ કરતાં પણ સારું કરે છે. તો શું થવું જોઈએ? આજના સળગતા પ્રશ્નો કયા? એનો કોઈ ઉકેલ ખરો? કે પછી માત્ર અંધારામાં જ કોઈ એક આંદોલનનો ઝંડો પકડીને તીર માર્યા કરીશું? ગુજરાતના હજારો સર્જકોએ અને લાખો ભાવકોએ એના પર સ્વસ્થ ચિત્તે ચિંતન કરવા જેવું છે.
(૧) ગુજરાતી સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે. કોઈ સર્જકીય પ્રભાવ સાંપ્રત સમાજ પર દેખાતો નથી. આજની પેઢી મહત્ત્વના ગુજરાતી સર્જકને પણ જાણતી – ઓળખતી નથી, તો એનું સાહિત્ય વાંચવાની તો વાત જ ક્યાં આવી ? હમણાં મેં વાર્તાકથન – અભિયાનમાં શાળાઓમાં જઈને હજારો બાળકોને વાર્તાઓ કહી, પણ તેઓ પંચતંત્રની થોડીક વાર્તાઓથી વિશેષ જાણતા ન હતા. કોઈ એક સર્જકની હું વાર્તા કરું તો એ પહેલાં એના વિશે વિદ્યાર્થીઓને પૂછું, તો ભાગ્યે જ એકલદોકલ વિદ્યાર્થી એ સર્જકનું નામ જાણતો હોય. પદ્મશ્રી કે બીજા ઍવૉર્ડ લઈને આપણે પોરસાયા કરીએ પણ અડાજણની એક શાળામાં જ જે-તે સર્જક વિશે કોઈ એક જાણતું ન હોય એના જેવી દુઃખદ ઘટના બીજી શી હોઈ શકે ? સુરતના અનેક સર્જકોને સુરતની જ શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ ઓળખતા ન હોય, ત્યારે મારા જેવાને તો રડવું જ આવે. હમણાં એક શિક્ષક ગાય વિશે નિબંધ લખી ન શક્યા, એની મીડિયાએ કલાકો સુધી ચર્ચા કરી. પરંતુ આજે ગુજરાતીનો શિક્ષક કે અધ્યાપક આજના મહત્ત્વના સાહિત્યકારો વિશે દસ-પંદર લીટી પણ લખી શકે નહિ, એ મહા પ્રશ્ન વિશે આપણે મૌન છીએ. દુર્ભાગ્યે, સામાન્ય ગુજરાતીના જીવનમાંથી સાહિત્ય કે કલા બહાર ધકેલાઈ રહી છે, એ આપણા માટે સળગતો પ્રશ્ન નથી બનતો. ગુજરાતી પ્રજા જવાબદાર છે કે આપણે સર્જકો? એ એક ગહન ચિંતનનો વિષય છે. શાળા-કૉલેજમાં સારી લાઇબ્રેરીઓ નથી. કારણમાં એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જતાં નથી. આ દરેક શાળાઓમાં (ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં પણ) નાના પાયા પર અમે પુસ્તકમેળાઓ કર્યા, ત્યારે એટલી તો ખાતરી થઈ જ કે બાળકોને અને વાલીઓને પુસ્તકમાં રસ છે, કિન્તુ આપણે સર્જકોને જ ભાવક સુધી જવામાં તીવ્રતમ ઉત્સાહ નથી. અમે દક્ષિણ ગુજરાતની ૬૬ શાળાઓમાં લગભગ ત્રીસેક હજાર વિદ્યાર્થીઓ અને સેંકડો શિક્ષકો સાથેના ‘સાભિનય વાર્તાકથન’ના જાતઅનુભવ પછી આ લખવાનું બને છે. અકાદમી કે બીજી સાહિત્યિક સંસ્થાઓ મુશાયરા કે ભાષણોના કાર્યક્રમ ભલે કરે, પણ સાથે-સાથે સાહિત્યને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે કોઈ યોજના ન કરી શકે ? સંસ્થાનું સ્વાયત્તીકરણ થયું હોય કે સરકારીકરણ, આપણે તો સાહિત્યના પ્રસાર-પ્રચારની બાબતમાં નિષ્ફળ જ પુરવાર થયા છીએ.
(૨) પુસ્તકો અત્યારે આમ તો અઢળક-અઢળક છપાય છે. જો કે કાવ્યસંગ્રહો, નવલકથાઓ, વાર્તાસંગ્રહો કે બીજાં સાહિત્યિક પુસ્તકોની નકલો ઘટતી જાય છે. ૨૫૦થી ૭૫૦ પ્રત પ્રિન્ટ થાય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય શબ્દો ‘છ કરોડ ગુજરાતી’માં આજનું સાહિત્ય ક્યાં ? એમાં ય સરકારી યોજનામાં જ સાહિત્યનાં પુસ્તકોનું વેચાણ થાય છે. અલબત્ત, સરકારી ગ્રાન્ટથી ખરીદાતાં પુસ્તકો વિશે એટલું કહી શકાય કે, જેઓ પુસ્તકો ખરીદે છે, તેઓ એ વાંચતાં નથી અને જે થોડોઘણા પુસ્તક પ્રેમીઓ વાંચવા માગે છે, તેઓનો પુસ્તક- ખરીદીમાં કોઈ અવાજ નથી. માત્ર સરકારી ધોરણે નહીં, પણ પુસ્તક આપમેળે વેચાય એવી યોજનાઓ આપણે ન બનાવી શકીએ? એ માટે પુસ્તક-પ્રદર્શન, પુસ્તક-પરિચય, પુસ્તક-યાત્રા ગામડે-ગામડે, મહોલ્લે-મહોલ્લે, શાળા-કૉલેજમાં યોજાય એવું ન બની શકે? આપણે સૌ સર્જકો ભેગા મળીને પુસ્તક-પ્રસાર માટે એક આંદોલન ન કરી શકીએ? ગુજરાતભરમાં સર્જકો સાથે મળીને પુસ્તક-પ્રસાર માટે [મહેન્દ્ર] મેઘાણીની જેમ કાર્ય ન કરી શકે? ગુજરાતી સાહિત્યને હજારો મેઘાણીઓની જરૂર છે, જેઓ થેલામાં પુસ્તકો નાખીને ગામેગામ ફરીને સાહિત્યનો પ્રસાર-પ્રચાર કરે.
(૩) માણસ ટોળકીઓમાં જીવનારો છે. એમાં કોઈ સર્જક પણ બાકાત નથી. જ્યારે-જ્યારે ક્રાંતિઓ થઈ છે, ત્યારે માત્ર ટોળકીઓ બદલાઈ છે, પણ મૂળ સમસ્યાઓ ઓછી થઈ નથી, બલકે વધી છે. અકાદમી સ્વાયત્ત હતી, ત્યારે પણ એક ટોળકી હતી અને આજે અકાદમી સ્વાયત્ત નથી, ત્યારે પણ બીજી એક ટોળકી જ છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદના થોડાક સર્જકોનો પ્રભાવ હતો અને આજે પણ એવું જ છે. અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવી દલીલ થાય છે. ધારો કે અકાદમી સ્વાયત્ત થાય, તો અગાઉ વર્ણવેલી મૂળ સમસ્યાઓ ઉકેલાઈ જશે ? પ્રશ્ન પૂછવો જોઈએ સૌ સર્જકોએ સ્વયંને અને આજે અકાદમીનું સરકારીકરણ થયું છે, ત્યારે મૂળ સમસ્યા ઉકેલાઈ છે? મને તો બંને પક્ષે જવાબ નકાર જ મળે છે. વિધિની વક્રતા તો જુઓ, અમદાવાદની જે સંસ્થાએ સરકારીકરણ થયેલી અકાદમીના લાખો રૂપિયાનું દાન લઈને કાર્યક્રમો કર્યા એ જ હવે અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ, એવો ઠરાવ કરે છે. નીતિનિયમોની વાત કરીએ, આદર્શોની વાત કરીએ, તો સંસ્થા ચલાવવા માટે જેનો વિરોધ છે, ખાસ કરીને અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ, એવો અગાઉ ઠરાવ કર્યો હોય ત્યારે એનું તો અનુદાન લેવાય જ નહિ. કોઈ સરકારી અધિકારી પોતાની વગ વાપરીને લાખો રૂપિયા લાવી આપે અને આપણે જાણતા જ હોઈએ કે જે ઉદ્યોગપતિ પાસેથી એ નાણાં આવ્યાં હોય એ તો એ સરકારી અધિકારીનો પોતાના લાભમાં ઉપયોગ કરવાનો જ છે. (સરવાળે તો સામાન્ય ગુજરાતીનું જ કશુંક ને કશુંક નુકસાન છે) ને છતાં સંસ્થા ચલાવવા માટે આપણે સિદ્ધાંતોને બાજુ પર મૂકી દઈએ છીએ. અકાદમીના કોઈ એક પદાધિકારી સરકારી ખજાનામાંથી નાણાં આપે અને એમાં એનો તો કોઈ ફાળો ન જ હોય, એના ખિસ્સાના તો પૈસા છે જ નહિ, છતાં જાહેરમાં જાણે પોતે નાણાં આપ્યાં હોય એ રીતે ગર્વપૂર્વક અગાઉ અનેક સાહિત્યિક કાર્યક્રમોમાં સન્માન લેતા મારા જેવા અનેક સર્જકોએ જોયા છે. આ ખોટું છે અને એ સરકારી કર્મચારીનું શું કામ સન્માન કરવું જોઈએ, એવું માનતા હોવા છતાં ‘આપણને તો મમ્ મમ્ સાથે કામ છે’ એવું સ્વીકારીને હસતામુખે એમનું સન્માન કર્યું છે ને એમણે લખેલી ગઝલ કે સાહિત્યની પ્રશંસા શરૂ થઈ થઈ જાય. આખેઆખી વ્યવસ્થા એવી છે કે, આપણે સર્જન સર્જકત્વ ત્યજીને માત્ર લાભ લેનાર અને જરૂર પડે તો સાચીખોટી પ્રશંસા કરવામાં પડી જઈએ છીએ. નર્મદની જેમ ‘આજથી તારે ખોળે છઉં’ એવું કહેવાની આપણી હિંમત નથી. આ બધું જે કંઈ થાય છે એ સાચું જ છે એવું કહેવાની મારી હિંમત નથી. હું જાણું છું કે, સારું કામ કરવું હોય અથવા સાહિત્યિક સંસ્થા ચલાવવી હોય, તો આ પ્રકારનાં સમાધાનો સ્વીકારવાં જ પડે. આજે આખો માહોલ પૈસા (પૈસા કંઈ ઝાડ પર ઊગતા નથી) અને સત્તા (આપણે સર્જક છીએ, બિઝનેસમૅન કે રાજકારણી નથી) પર રચાયેલો હોય, ત્યારે આ જે કંઈ થયું એમાં કશું ખોટું થયું છે એવું હું કહી શકું નહીં. હા, એ વાત સાચી કે જ્યારે આપણે સ્વયં આ પ્રકારની વ્યવસ્થાના એક ભાગ હોઈએ, ત્યારે વિરોધ કરવાનો કોઈ અર્થ રહે નહિ. વિરોધ કરવો હોય, તો પ્રથમ આપણે ખુદનો જ કરવો જોઈએ.
અકાદમી કે પરિષદ કે કોઈ પણ સાહિત્યિક સંસ્થાએ તથા આપણે સૌ સર્જકોએ ઘણું કરવાનું છે, ચાલો, એ અંગે વિચારીએ …
(૧) આજનો સર્જક વૉટ્સઅપ કે ફેસબુક પર પોતાનો અલગ ચોકો બનાવીને જીવે છે. સામાન્ય ભાવક સાથેનો છેડો લગભગ એણે ફાડી નાખ્યો છે. એનું કારણ એ પણ ખરું કે સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના અસંખ્ય સર્જકથી દૂર થઈ ગઈ છે. સાહિત્યિક સંસ્થાઓમાં ગણ્યાગાંઠ્યા ચહેરાઓ જ વારંવાર દેખા દે છે. સર્જકની નવી પેઢીને આપણે હાથે કરીને આપણાથી ઉદાસીન કરી નાખી છે. વળી, ભાવકની તો કદાચ આજના સર્જકને પડી જ નથી. દશ-પંદરના ટોળામાં થતી વાહવાહથી આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ. સાહિત્યિક કાર્યક્રમોમાં શ્રોતાઓની પાંખી હાજરી ચિંતાનો વિષય છે. લાખો રૂપિયા ખર્ચીને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય, તો એ કેટલા શ્રોતાઓ સુધી પહોંચે છે, એ અંગે પણ ચિંતન થવું જોઈએ. દરેક શહેરમાં ને ગામડાંમાં સાહિત્યિક સંસ્થાઓએ સર્જકોને ભેગા કરીને સાહિત્યના કાર્યક્રમો નિયમિતપણે યોજવા જોઈએ.
(૨) નવા સર્જકો બહાર આવે એ અંગેના વાર્તા-નવલકથા કે કાવ્યશિબિર યોજાવી જોઈએ. ખાસ કરીને પુસ્તકનો આસ્વાદ કઈ રીતે કરી શકાય એનાં શિબિરો પણ યોજાવી જોઈએ. ભાવકો માટે પણ સાહિત્ય સુધી કઈ રીતે પહોંચી શકાય એના સેમિનાર યોજાવા જોઈએ.
(૩) માર્કેટિંગનો જમાનો છે અને સર્જક પોતાના સાહિત્યનો પ્રસાર-પ્રચાર ન કરે, તો એનું સારું કામ પણ સુજ્ઞ ભાવકો સુધી પહોંચે નહીં. સર્જકને પણ પોતાની કૃતિનો પ્રચાર કઈ રીતે કરી શકાય એની તાલીમ આપવી જોઈએ.
(૪) શાળા-કૉલેજોમાં જઈને નવા વાચકો અને નવા સર્જકો તૈયાર કરવા માટે આયોજન થવાં જોઈએ. મારા એક કુલપતિમિત્રને મેં કહ્યું કે, આપણે કૉલેજમાં વાર્તાઓ, કવિતાઓનું પઠન-કથન અને એને કઈ રીતે સમજી શકાય, કૃતિના હાર્દ સુધી કઈ રીતે પહોંચી શકાય, એ વિશે કાર્યક્રમો કરીએ. તરત જવાબ મળ્યો, વિદ્યાર્થીઓને ક્યાં રસ છે ? અને આજની સેમિસ્ટર પદ્ધતિમાં સમય જ ક્યાં છે ? મારું ચોક્કસ માનવું છે કે, હવે વાચકો તૈયાર કરવાનો સમય આવી ગયો છે. ટી.વી.ની સામે પુસ્તકને ટકવું હશે, તો ભારે જોર લગાવવું પડશે.
(૫) સાહિત્યમાં જૂથબંધીને સ્થાન ન હોવું જોઈએ. સાહિત્યિક સંસ્થાઓ જાણ્યે-અજાણ્યે જૂથબંધી માટે વધુ જવાબદાર છે. સર્જકે સૌપ્રથમ તો પારદર્શી બનવું પડે. જે કોઈ સર્જક સારું કરે છે એને સાહિત્યિક સંસ્થાઓમાં સ્થાન મળવું જોઈએ. ઊલટાનું એવા સર્જકને શોધીને એને પ્રોત્સાહિત કરવો જોઈએ.
અહીં જે લખાયું એ માત્ર મારો મત છે. હું ખોટો પણ હોઈ શકું છું. કિન્તુ સાહિત્ય મારો શ્વાસ-પ્રાણ છે અને એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે હંમેશ પ્રયત્નશીલ રહ્યો છું. મારા માટે સાહિત્યને આસ્વાદતા ભાવકો જ શ્રેષ્ઠ છે. એ પછી જ કોઈ પણ સાહિત્યની સંસ્થાઓ આવે. નર્મદ મારો અતિ પ્રિય સર્જક છે. અને મેઘાણીએ જે સાહિત્યના પ્રસાર માટે કર્યું, એથી હું અત્યંત પ્રભાવિત છું. સાહિત્યની મશાલ સળગતી રહે, એવા પ્રયાસો મરતાં સુધી કરતો રહીશ. આપ સૌ પણ મારા સાહિત્યપ્રસારના અભિયાનમાં જોડાશો. એવી અપેક્ષા સાથે.
ચાલો, આપણે સૌ સાથે મળીને ગુજરાતી પ્રજાને વાચતી કરીએ, ચૅકબુક કે પાસબુકના કલ્ચરમાંથી બહાર લાવીને પુસ્તકપ્રેમી બનાવીએ. આ આપણે સર્જકો ન કરીશું, તો કોણ કરશે ?
email : janaknaik54@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 06 – 07