ભલે પ્રેમાનંદના પેંગડામાં આપણો પગ ન જાય, પણ એને પગલે પગલે ચાલીને એને તથા એની ઉપલબ્ધિઓના ભંડારને તો જરૂર પામી શકાય. આપણા સમયમાં એને મૂકીને જોઈ-જાણી મૂલવી તો શકાય જ. કંઈક આવા જ ઉદ્દેશ સાથે આ પરિકલ્પનાને સાહિત્ય અકાદેમી, દિલ્લીના ગુજરાતી ભાષાના કન્વીનર સિતાંશુ યશશ્ચંદ્રે સાહિત્ય અકાદેમી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, આકાશવાણી વડોદરા, ત્રિવેણી, વડોદરા, બળવંતરાય પારેખ સેન્ટર ફૉર સિમેન્ટિક્સ અને વડોદરા, સુરત અને નંદુરબાર શહેરના નાગરિકો, એમ સહુને સાથે લઈને કાર્યરૂપ આપ્યું. તારીખ સાત ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી ‘પ્રેમાનંદ મહોત્સવ’નું આયોજન કર્યું.
વડોદરા શહેરની સ્વાગત-સમિતિની રાહબરી હેઠળ આ મહોત્સવનો આરંભ મ.સ. યુનિવર્સિટીના પ્રેમાનંદ હૉલમાં થયો. શરૂઆતમાં પ્રેમાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને પછી કેટલાક બાળ- પ્રેમાનંદો (શાળાનાં બાળકો પ્રેમાનંદ બનીને આવ્યાં હતાં.) સાથે સહુ આખ્યાનનાં કડવાંઓ ગાતાં-ગાતાં યુનિવર્સિટી કૅમ્પસમાં ફર્યા. ઉદ્દઘાટન સત્રમાં લૉર્ડ ભીખુભાઈ પારેખ તથા કેતન મહેતાએ ટૂંકાં વ્યાખ્યાન આપ્યાં. ભીખુભાઈએ કહ્યું કે : ‘વ્યક્તિ કરે તે વ્યાખ્યાન અને આખ્યાન એટલે સમગ્ર પ્રજાની અભિવ્યક્તિ. આ સમય વ્યાખ્યાનનો છે.’ કેતન મહેતાએ કહ્યું કે મને કોઈ વિદેશમાં ભારતની ઓળખાણ પૂછે, તો હું કહું છું : ‘આ સ્ટોરી ટેલર્સનો દેશ છે. અહીં કેટકેટલી કથાઓ જનમાનસમાં રમે છે.’ સિતાંશુભાઈએ ‘પ્રેમાનંદને પગલે-પગલે’ મહોત્સવ અંગેની ભૂમિકા આપી તથા એ વિશે એમણે રાજેશ પંડ્યાએ તૈયાર કરેલી પિસ્તાલીસ પૃષ્ઠની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં પ્રેમાનંદનાં જીવન, કવન અને સંશોધન વિશે રસપ્રદ માહિતી કડવાંઓ સાથે છાપવામાં આવી છે.
ઉદ્દઘાટન બેઠકમાં ચંદ્રકાંત ટોપીવાળાએ બીજવક્તવ્યમાં પ્રેમાનંદનાં આખ્યાનોમાં આજની જે સિનેમેટોગ્રાફી, ક્લોઝ અપ્સ સાથે જોવા મળે છે, તેની વાત કરી. પ્રથમ બેઠકમાં ભીખુભાઈ પારેખની અધ્યક્ષતામાં હેમંત દવેએ કવિનો સાંસ્કૃિતક સંદર્ભ તે વખતના બજાર સાથે જોડી આપ્યો. રાજેશ પંડ્યાએ પ્રેમાનંદ તથા એમના પુરોગામીઓના સુદામા ચરિત વિશે વાત કરી. આ ઉપરાંત આ ત્રિદિવસીય મહોત્સવમાં ચંદ્રકાંત શેઠે કુંવરબાઈનું મામેરું, ચિનુ મોદીએ નળાખ્યાન, જયદેવ શુક્લે પ્રેમાનંદની કાવ્યબાની તથા ભરત મહેતાએ પ્રેમાનંદનો સમાજ – ત્યારનો, આજનો એ વિષય પર ચર્ચા કરી. હિમાંશી શેલતે પ્રેમાનંદની કવિતામાં માનવ-વેદનાનું નિરૂપણ વિષય પર વાત કરતા એમાં વ્યક્ત થતી દમયંતી જેવાં સ્ત્રી-પાત્રોની પીડા અંગેના સંદર્ભો ખોલ્યા – તો શરીફા વીજળીવાળાએ પ્રેમાનંદનાં આખ્યાનોમાં નારીનાં જે વિવિધ રૂપો જોવા મળે છે, તેની વાત કરી.
આ ઉપરાંત ગુજરાતની વૈકલ્પિક કથનકળાઓ જેવા વિષય પર દલપત પઢિયારે પાટપરંપરાની વાત કરી, તો ભગવાનદાસ પટેલે ભીલી લોકાખ્યાનોનો પરિચય આપ્યો. ભીમજીભાઈ ખાચરિયાએ સૌરાષ્ટ્રના લોકજીવનમાં વણાયેલી કથનકલા અંગે વિગતે વાત કરી. કથનકલાનો ભારતીય પરિપ્રેક્ષ્ય એ વિષય પર જ્યોતીન્દ્ર જૈને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુિત સાથે વ્યાખ્યાન આપ્યું, એમાં એમણે બંગાળના પોટૂઆ – (ચિત્ર દ્વારા કથા કહેનારા) વિશે રસપ્રદ વાતો કરી, એમણે કહ્યું કે આ પોટૂઆ ચિત્ર દ્વારા ગામડાંઓમાં ૨૬-૧૧ જેવી ત્રાસવાદી ઘટનાનું પણ નિરૂપણ કરે છે. આ ઉપરાંત પ્રો. રતન પારીમુએ કથનકલાનાં અન્ય પાસાઓ પર પ્રકાશ પાડ્યો. મનપસંદ પદ, મનપસંદ કડવું વિષય પરની બેઠક અત્યંત જીવંત અને રસપ્રદ રહી. મહેન્દ્રસિંહ પરમારે કુંબરબાઈનું મામેરુંની નાટ્યાત્મકતા સાસુ જે પહેરામણી લખાવે છે તે લખો .. લખો … લખોનાં આવર્તનો સાથે રજૂ કરી. આ ઉપરાંત અજય રાવલ, કિશોર વ્યાસ, વસંત જોશી, મીનળ દવેએ પોતપોતાને ગમતાં પદ અને કડવા અંગે રસાળ શૈલીમાં વાત કરી.
પ્રેમાનંદ પર મહોત્સવ હોય અને સંગીતમય નાટ્યપ્રસ્તુિત ન હોય એવું કેમ બને. સાત ફેબ્રુઆરીની સાંજે વાસ્વિક હોલ ખાતે ઉદયન ઠક્કરે પ્રેમાનંદનાં આખ્યાનોમાં હાસ્ય અને શૃંગાર વિશે રજૂઆત કરી. અમદાવાદના કલાકારો કમલેશ ચૌહાણ, નિરાલી જોશી, હર્ષિલ રૉય, ભાવેશ ગજ્જર, ઉર્વશી શ્રીમાળી તથા પ્રવીણ પંડ્યાએ ‘પહેલો પર્ફૉર્મર પ્રેમાનંદ’ની ગીત-સંગીત અને વાચિક સાથે પ્રસ્તુિત કરી, જેમાં પ્રમાનંદનાં ઓખાહરણ, સુદામા ચરિત તથા નળાખ્યાનનાં રસસ્થાનોને રેખાંકિત કરવામાં આવ્યાં. આઠ ફેબ્રુઆરીએ ચં.ચી. મહેતા નાટ્યગૃહમાં માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાએ પરંપરાગત શૈલીમાં પ્રેમાનંદનાં આખ્યાનોમાંથી ગાન પ્રસ્તુત કર્યું, જે અદ્દભુત હતું. મંજરી પટવર્ધન-મૂળેએ કથકનૃત્યના માધ્યમથી ‘કુંવરબાઈનું મામેરું’ રજૂ કર્યું, અંતે ફણિશાઈ ચારીના દિગ્દર્શનમાં પ્રવીણ પંડ્યા લિખિત ‘પછી સુદામાજી બોલિયા’ ભજવાયું જેમાં પ્રેમાનંદ પાત્ર સ્વરૂપે તખ્તા પર આવી સુદામાને અને પોતાને આજ સાથે જોડે છે, સોનાની દ્વારિકાની બહાર દ્વારિકાધીશને મળવા આવતો સુદામો આજે પણ ક્યાં શાસક સુધી પહોંચ્યો છે – આ સમસ્યા સુદામાના પાત્રમાં મહેશ ચંપકલાલે ભાવનાત્મક રીતે ઊપસાવી.
દસ તારીખે આ પ્રેમાનંદને પગલે-પગલે ચાલતી યાત્રા સુરત પહોંચી. અહીં ભગવતીકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ સુરત શહેરનાં સાહિત્યકારો, કલારસિકો અને નગરજનોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો. એક દિવસીય પરિસંવાદમાં હિમાંશી શેલત, શરીફા વીજળીવાળા, રવીન્દ્ર પારેખ, જનક નાયક, બકુલ ટેલર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર સહુએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યાંથી આ યાત્રા અગિયાર ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી. અહીંના ગુજરાતી સમાજે સાહિત્યકારોનું હેતભર સ્વાગત કર્યું. શહેરની લાઇબ્રેરીમાં કાર્યક્રમ યોજાયો. સિતાંશુ યશશ્ચંદ્રે અહીંના નાગરિકોને અહીં પણ પ્રેમાનંદ સાહિત્યસભા રચવા સૂચન કર્યું. અમદાવાદના કલાકારોએ ‘પહેલો પર્ફોર્મર પ્રેમાનંદ’ની રજૂઆત કરી .. પ્રેમાનંદે જ કહ્યું હતું :
ઉદર નિમિત્તે સુરત સેવ્યું, સેવ્યું, ને ગામ નંદુરબાર,
નંદીપુરામાં કીધી કથા, યથા બુદ્ધિ અનુસાર.
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી,
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ.
આમ, સાહિત્ય અકાદેમી, દિલ્લી, મ.સ. યુનિવર્સિટી, ત્રિવેણી, આકાશવાણી વડોદરાના માધ્યમથી કન્વીનર સિતાંશુ યશશ્ચંદ્ર તથા ગુજરાતના સાહિત્ય સમાજ તથા પીયૂષ ઠક્કર, બિજલ ઠક્કર, નિખિલ મોરી, ઇંદુ જોશી જેવા કાર્યકરોએ આ કાર્યક્રમ સુપેરે પાર પાડ્યો, મહાકવિ પ્રેમાનંદને ફરી સાંપ્રતમાં મૂકી આપ્યા.
પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 11