અસ્મિતા, સંખ્યા અને સત્તા એ ત્રણ ભેગાં થયાં કે વિનાશ નિશ્ચિત માનવો
સંસ્કારનું સંવર્ધન કરવામાં આવે તો એ વિકસે અને નીચતાને સંરક્ષણ આપવામાં આવે તો એ વકરે. ના આ કોઈ બાપુનું કે મોટીવેશન ગુરુનું તાળીઓ પડાવવા માટેનું અને પછી તેને ભૂલી જઇને જેમ જીવતા હતા એમ જીવનારાઓ માટેનું કથન નથી. આ ઇતિહાસસિદ્ધ હકીકત છે. થોડું વિવેચન કરી જોઈએ.
આ સંસારમાં બન્ને પ્રકારના માણસો હોય છે. કેટલાક ભલા તો કેટલાક નીચ. એક જ માણસમાં સંજોગોપાત બન્ને ચીજનાં દર્શન થાય છે અને ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ કે આ માણસ આવો હતો? અથવા આ માણસ આવું પણ કરી શકે? સાંખ્યદર્શનમાં માનવીને ત્રણ ગુણમાં વિભાજીત કરવામાં આવ્યો છે. સત્, રજસ અને તમસ. દરેક વ્યક્તિમાં વધતાઓછા પ્રમાણમાં આ ત્રણેય ગુણ હોય છે, પણ એમાં જે ગુણ વધારે હોય એને પ્રધાન ગુણ માનવામાં આવે છે. વળી સાંખ્યકારે એમ પણ કહ્યું છે કે માણસ ધારે તો ગુણાનુપાતને એટલે કે ગુણોના પ્રમાણને વધારી ઘટાડી શકે. તામસિક માણસ સાત્ત્વિક બની શકે. એટલા માટે પાતાંજલિ ઋષિએ યોગશાસ્ત્ર વિકસાવ્યું. સાંખ્ય અને યોગનું યુગ્મ છે. યોગશાસ્ત્ર કસરત કરવા માટે નથી, ચિત્તનું શોધન કરવા માટે છે. અહીંથી યોગની વાત શરૂ થાય છે, એમ કહ્યા પછી યોગસૂત્રનું પહેલું સૂત્ર છે : योग: चित्तवृत्ति निरोध: ચિત્તની વૃત્તિઓને જે અવરોધે, એક જગ્યાએ સ્થિર કરે એ યોગ. યોગનો ધંધો કરનારાઓએ તેને કસરતમાં ફેરવી નાખ્યો છે.
સતનું, સંસ્કારનું સિંચન કરવામાં આપણી જાતનું અને સકળ માનવસંસારનું કલ્યાણ છે એમ ઋષિમુનિઓ કહી ગયા છે અને અનુભવે આપણે જાણીએ પણ છીએ પણ નીચતા? સાંખ્યકાર કહે છે એમ ત્રણેય ગુણના પ્રમાણને વધારી-ઘટાડી શકાય છે અને એ રીતે નીચતાનાં પ્રમાણને પણ વધારી-ઘટાડી શકાય. બહુ સરળ છે. મહર્ષિ પતંજલિએ સતની સાધના કરવામાં જે જે ચીજને અવરોધરૂપ, કશાય અને ત્યાજ્ય કહી છે તેને અપનાવવામાં આવે અને તેનું ચિંતન કરી કરીને તેને ઘનીભૂત કરવામાં આવે. અને તમને કદાચ જાણ હશે કે પતંજલિએ જેને ત્યાજ્ય કહી છે એવા કશાયોમાં એમાં એક અસ્મિતા પણ છે. “હું” અને “અમે”નો એક એવો સાંકડો પરિઘ રચવામાં આવે અને તેને એટલો ઘનીભૂત કરવામાં આવે કે એમાં વિવેક પ્રવેશી જ ન શકે. બસ વાત પૂરી. અસ્મિતાનો કિલ્લો બંધાઈ ગયો. અને હા, કશાયનો એક અર્થ રંગ પણ થાય છે. પતંજલિ ચડેલા રંગને ઉતારવાની અને ઉજળા કરવાની વાત કરે છે તો સામે છેડે અસ્મિતાના કિલ્લા રચનારાઓ રંગ ચડાવે છે. એટલો રંગ ચડાવે, એટલો રંગ ચડાવે કે મૂળ ચહેરો શોધ્યો ન જડે.
થોડા દિવસ પહેલાં મને મારી દીકરીએ પૂછ્યું કે હું મારા દીકરાનું નામ રૂમી રાખવા માગું છું. ૧૩મી સદીનો બહુ મોટો પર્શિયન કવિ હતો, સૂફી પરંપરા તેનાથી શરૂ થઈ હતી એમ માનવામાં આવે છે, માનવતાવાદી પણ હતો તો તમારો શો અભિપ્રાય છે? મેં તેને કહ્યું કે રૂમી ઇસ્લામની સર્વોપરિતામાં છેક સુધી માનતો રહ્યો અને એ મને સ્વીકાર્ય નથી. જે સર્વોપરિતાનો દાવો કરે એનાથી દૂર રહેવું. આ જગતમાં કોઈ ધર્મ, પ્રજા, દેશ, સંસ્કૃતિ, ભાષા સર્વોપરિ નથી. દરેકમાં કશુંક વિશેષ છે અને દરેકમાં કશુંક ખૂટે છે. માટે સર્વોપરિતાનો દાવો કરનારાઓના પડછાયાથી પણ દૂર રહેવું. એ હિંસાનું, અશાંતિનું અને અરાજકતાનું કારણ છે.
આજે સ્થિતિ એવી છે કે પતંજલિને કસરતમાં ફેરવી નાખીને હિંદુ અસ્મિતાવાદીઓ ધંધો કરે છે અને અબજોપતિ થઈ ગયા છે. પતંજલિને એવી રીતે માફકસર(એપ્રોપ્રિયેશન)ના બનાવી નાખવામાં આવ્યા છે જે રીતે ગાંધીજીને સ્વચ્છતામાં માફકસરના બનાવવામાં આવ્યા છે. પતંજલિ અને ગાંધીને માફકસરના બનાવ્યા પછી તેમણે કહ્યું એનાથી વિપરીત માર્ગ અપનાવીને અસ્મિતાના રંગ ચડાવી શકાય છે. ગોદી મીડિયા ચોવીસે કલાક આ કામ કરે છે. આ સિવાય અસ્મિતાને નામે ખાસ પ્રજાવિશેષને બહેકાવવાની આખી એક યંત્રણા પણ વિકસાવવામાં આવી છે.
આટલા વિવેચન પછી સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ ગયું હશે કે નીચતાનો પણ એક ખપ છે અને અત્યારના સંસદીય રાજકારણમાં એનો વધારે ખપ છે અને માટે તેને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. મૂંગા રહીને, આંખ આડા કાન કરીને, છૂટોદોર આપીને, કાયદાના પાલનમાં ભેદભાવ કરીને, વગેરે. અને લોકો આમાં પોતાનાં ઐશ્વર્યનો અથવા પોતે સર્વોપરિ હોવાનો અહેસાસ અનુભવે છે. અંગ્રેજી વાક્યપ્રયોગ કરીએ તો આ ફેટલ એટ્રેક્શન છે. કિંમત એ લોકો નહીં ચૂકવે જે નીચતાને પોષે છે, એને સંરક્ષણ પૂરું પાડીને રાજકીય લાભ લે છે, કિંમત એ લોકો પણ નહીં ચૂકવે જે નીચતા આચરે છે, કિંમત એ લોકો ચૂકવશે જે નીચતામાં ઐશ્વર્યનો કે સર્વોપરિતાનો જૂઠો અનુભવ કરે છે. જેની સામે નીચતા આચરવામાં આવે છે એ તેનો તાત્કાલિક અનુભવ કરશે અને જે ખોટો અહેસાસ અનુભવે છે એ ભવિષ્યમાં તેનો અનુભવ કરશે.
એક પ્રશ્ન હું વારંવાર પૂછતો રહું છું અને આજે ફરી પૂછું છું. જગતમાં એવો એક દેશ બતાવો જે આ માર્ગે સંપન્ન થયો હોય. એક દેશ, વધારે નહીં માત્ર એક દેશ. સાંપ્રત સમય છોડો, હજારો વરસનો ઇતિહાસ ખંખોળી જુઓ અને એવો એક દેશ કે રિયાસત બતાવો જે સંપન્ન થયાં હોય. એક પણ નહીં મળે, ગેરંટી. અસ્મિતા, સંખ્યા અને સત્તા એ ત્રણ ભેગાં થયાં કે વિનાશ નિશ્ચિત માનવો. મહર્ષિ પતંજલિ મૂર્ખ નહોતા. તેમણે દૂરનું વિચારીને અસ્મિતાનો સમાવેશ કશાયમાં કર્યો છે.
અહીં અંગ્રેજો પાસેથી ધડો લેવા જેવો છે. તેમણે ભારતમાં અંગ્રેજી શાસનની સર્વોપરિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો, અંગ્રેજોની નહીં. પોર્ચુગીઝો તેમનાં કરતાં પહેલાં ભારતમાં આવ્યા હતા, ભારતનાં પ્રદેશો પણ કબજે કર્યા હતા, પરંતુ તેમણે તેમની વાંશિક અને ધાર્મિક સર્વોપરિતા લાદી હતી અને તેને કારણે તેમનો અંગ્રેજો સામે પરાજય થયો હતો. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ભારતની પ્રજા શાસકોની અને તેના ભાયાતોની દાદાગીરી વિનાના ખરા અર્થમાં કાયદાના શાસન માટે તરસે છે. એ સમયે સ્થિતિ એવી હતી કે જ્યારે કોઈ ભારતીય રિયાસતનો અંગ્રેજો સામે પરાજય થતો હતો ત્યારે લોકો રાજી થતા હતા. કવિ દલપતરામની “હરખ હવે તું હિન્દુસ્તાન” કવિતા વાંચી જાવ. ૧૮૧૮ની સાલમાં પૂનામાં પેશ્વાઓનો પરાજય થયો અને અંગ્રેજ શાસન લાગુ થયું ત્યારે બહુજન સમાજના લોકોએ દિવાળી ઉજવે એમ દીવા કર્યા હતા. મહારાષ્ટ્રમાં ‘ઘાસીરામ કોતવાલ’ અને ગુજરાતીમાં ‘મોરબીની વાણીયાણ’ જેવી ઘટનાઓ લોકસાહિત્ય કે લોકસંસ્કૃતિનો હિસ્સો બની છે એના પરથી કલ્પના કરો કે શાસનનું સ્વરૂપ કેવું હશે!
કોઈ નીચ અંગ્રેજનાં ચારિત્ર્યને લઈને આવી કોઈ કૃતિ જોવા મળે છે? મારા જોવામાં તો નથી આવી. ઇસ્ટ ઇન્ડિયા કંપની તેના અફસરોને સત્તાવારપણે કહેતી હતી કે ભારતમાં ભ્રષ્ટાચાર કરીને જેટલા રૂપિયા કમાવા હોય એટલા કમાઈ શકો છો, પણ સત્તાના મદમાં નીચતા અને અત્યાચારની એક પણ ઘટના નહીં બનવી જોઈએ. માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભ્રષ્ટાચારના પર્યાય તરીકે ઓળખાય છે, સામર્થ્યહિન સામે નીચતાના પર્યાય તરીકે નહીં.