‘કોલ્હાટયાંચ પોર’ પુસ્તકના મુખપૃષ્ઠ પર લેખકનું નામ કિશોર શાંતાબાઈ કાલે વાંચતાં જરા આશ્ચર્ય અનુભવ્યું. સામાન્ય રીતે ભારતમાં પ્રણાલિકા એવી છે કે નામની પાછળ પિતાનું નામ લખવું. પરંતુ આ પુસ્તકના લેખકે પોતાના નામ પાછળ માતાનું નામ લખ્યું હતું! લેખકે પોતાના નામ પાછળ માતાનું નામ કેમ રાખ્યું હશે? તે બાબત જાણવાની મારી ઉત્કંઠા વઘી જતાં બીજાં પુસ્તકોને બાજુ પર મૂકી ‘કોલ્હાટયાંચ પોર’ને વાંચવા મશગૂલ થઈ ગયો.
લેખક કિશોર કાળેનું સંપૂર્ણ બાળપણ અને થનગનતી યુવાની પિતાની છત્રછાયા વિના માતાને ખોળે દુઃખદર્દમાં વીત્યાં હતાં. સંસ્કારી શબ્દમાં કહીએ તો તેમની માતા શાંતાબાઈ કાળે નર્તકી હતી અને કઠોર વાસ્તવિક શબ્દમાં કહીએ તો એમનું સમસ્ત જીવન વેશ્યાના જીવનથી કોઈ રીતે ઊતરતું નથી. આવા વાતાવરણમાં ઊછરેલા કિશોર કાળે M.B.B.S. થયા અને દયાસભર ડૉકટર પણ થયા.
કિશોર કાળેની માતા શાંતાબાઈ મહારાષ્ટ્ર્ની કોલ્હાટી નામની દલિત કોમની દીકરી છે. વર્તમાનમાં આ જાતિ મહારાષ્ટ્રના સોલાપુર અને લાતુર જિલ્લાની અતરાફમાં વિશેષ કરીને જોવા મળે છે. કમનસીબ વાત તો એ છે કે આ જાતિની સ્ત્રીઓ જે સંતાનોને જન્મ આપે છે તેને કદી પિતાનું નામ મળતું નથી.
લેખક કિશોર કાળે હ્રદય પર પથ્થર મૂકીને લખે છે કે કોલ્હાટી જાતિમાં યુવતીનું જીવન અત્યંત કરુણ છે. કુટુંબની સ્ત્રીઓને આ ધંઘામાં ધકેલી પુરુષવર્ગ આખું જીવન એશઆરામમાં વિતાવે છે. કોલ્હાટી પુરુષ કદી પણ નથી ઈચ્છતો કે તેના પરિવારની સ્ત્રીઓ ભણીગણીને હોંશિયાર બની મનગમતા વ્યવસાયમાં જોડાય.
કોલ્હાટી જાતિની કન્યા સોળ કે સત્તર વર્ષની યુવતી બને એટલે સમાજના રિવાજ મુજબ કન્યાને નવવધૂની જેમ શણગારી દેવદાસી સમી તેની ચિરા ઉતારવાની વિધિ કરવામાં આવે છે. ચિરા ઉતારવા માટે કન્યાની ઉંમર પ્રમાણે ગામની જે કોઇ વ્યકિત તેની કિંમત યુવતીના ઘરવાળાને ચુકવી આપે તે વ્યકિત કન્યા સાથે શારીરિક જાતીય સંબંધ બાંધવાનો અબાધિત અધિકાર પ્રાપ્ત કરે છે.
ડૉ. કિશોર કાળેની માતા શાંતાબાઈને પણ પોતાની યુવાનવયે સમાજની આ ભૂંડી પ્રથામાંથી પસાર થવું પડયું હતું! લેખક કિશોર કાળે લખે છે કે મારી માતા કેટલી લાચાર હતી કે પોતાના પરિવારને પાલવવા માટે જાલિમ સમાજના ઘોર અને કઠોર અપમાનને સહન કરી ઘૂંટડેઘૂંટડે વિષપાન કરતી જીવતી રહી.
ડૉ.કિશોર કાળે સખત શબ્દોમાં સમાજની આ પ્રથાને ધિક્કારતા તેમ જ પોતાના માતા સમી અનેક માતાઓએ આપેલ બલિદાનોનું તિલક પોતાના કપાળે કરતાં કહે છે કે કોઈ પણ બાળક પાછળ પિતાના નામને બદલે માતાનું નામ જ સમાજે લખવું જોઈએ, કારણ કે બાળકના જીવનઘડતરમાં તેના પિતા કરતાં તેની માતાને ફાળો વિશેષ હોય છે.
સમાજ પ્રત્યે આક્રોશ દર્શાવતા એ લખે છે કે ફકત કોલ્હાટી સમાજની જ સ્ત્રી રાતભર નથી નાચતી, પરંતુ પોતાને ઉજળિયાત ગણાવતા સમાજની સ્ત્રીઓ પણ નાચતી હોય છે. મારી માતા શાંતાબાઈ તો નવ ગજની સાડીમાં પોતના દેહને ઢાંકીને પગમાં બબ્બે કિલોનાં વજનદાર ઝાંઝર બાંધીને પુરુષોનું મનોરંજન કરતી ત્યારે તેના પરિવારને બે ટંકનું ભોજન મળતું.
e.mail : preetam.lakhlani@gmail.com