ત્રણ મહિના થવાના, પણ મણિપુરમાં શાંતિ નથી. આટલા સમયમાં 70 હજારથી વધુ લોકો ઘરબાર વગરના થયા છે. દોઢસોથી વધુ લોકોનાં મોત થયાં છે. આગ ચાંપવાના 5 હજારથી વધુ બનાવો બન્યા છે અને દુષ્કર્મની ઘટનાઓનો તો છેડો જ નથી જડતો. 6 હજારથી વધુ એફ.આઇ.આર. નોંધાઈ છે, તો એથી વધુ ધરપકડ થઈ છે. ટોળાંએ 200થી વધુ ચર્ચ અને 17 મંદિરો નષ્ટ કર્યાં છે કે તેને ક્ષતિઓ પહોંચાડી છે. મણિપુરના ગવર્નર અનસૂયા ઉકેઈએ કબૂલ કર્યું છે કે આટલી હિંસા તેમણે જિંદગીમાં જોઈ નથી, વિપક્ષોની માંગ છતાં નથી તો મુખ્ય મંત્રી બિરેન સિંહે રાજીનામું આપ્યું કે નથી તો રાષ્ટ્રપતિ શાસન લદાયું. 1993માં પણ મણિપુરમાં વંશીય હિંસાફાટી નીકળી હતી ને તે વખતના સી.એમ. દોરેન્દ્ર સિંહે સામેથી તત્કાલીન નરસિંહરાવ સરકારને રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. અત્યારે 1993 કરતાં પરિસ્થિતિ વધુ વિકટ છે. બંધારણના ખંડ 18ની કલમ 356 મુજબ, બંધારણના સિદ્ધાંતોની અવગણના થતી હોય કે કલમ 365 મુજબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યના કાબૂ બહાર ગઈ હોય તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય. મણિપુરના મુખ્ય મંત્રી પોતે વડા પ્રધાન મોદીને કહેતાં હોય કે સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવાનો એક જ વીડિયો નથી, આવા તો સો છે, છતાં કેન્દ્ર સરકારને એમાં કશું અજુગતું લાગતું નથી તેનું આશ્ચર્ય છે.
આમ તો મણિપુરમાં મહિનાઓથી હિંસક બર્બરતા ફેલાયેલી છે, પણ 4 મેના, 19 જુલાઇએ વાઇરલ થયેલ એક વીડિયોએ દેશ-વિદેશમાં ભારે હોબાળો મચાવ્યો છે. 3 મેને રોજ બે સ્ત્રીઓને જાહેરમાં નગ્ન ફેરવવામાં આવી અને તેમનાં અંગો જોડે બીભત્સ રમત રમવામાં આવી. તેમનાં પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ વીડિયો વહેલો પણ વાઇરલ થયો હોત, પણ મુખ્ય મંત્રીએ જ કહ્યું છે તેમ ઈન્ટરનેટ, એમણે રાજ્યમાં બંધ રાખ્યું હતું. ખુદ મણિપુરના રાજ્યપાલે રાજ્યમાં બનતી ઘટનાઓથી કેન્દ્રને વાકેફ કર્યું છે, છતાં કમાલ એ છે કે રાજ્ય અસુરક્ષિત છે ને મુખ્ય મંત્રી સુરક્ષિત છે. પીડિતાઓનો વીડિયો વાયરલ થયો ત્યારે પહેલી વખત વડા પ્રધાન સંસદની બહાર, દેશ આખો અપમાનિત થયાની તથા સંસ્કારી સમાજ શર્મસાર થયાની સંવેદના પ્રગટ કરે છે. એ સાથે જ સુપ્રીમકોર્ટના સી.જે.આઈ. ચંદ્રચૂડ પણ વીડિયો સંદર્ભે કેન્દ્ર સરકારને ચેતવણી આપે છે કે 28 જુલાઈ સુધીમાં સરકાર શું પગલાં ભરે છે તેની જાણ કરે અન્યથા સુપ્રીમ પોતે દખલ કરશે. સુપ્રીમે દખલ કરવી પડે એવી સ્થિતિ છે, છતાં સરકાર રાજનીતિનો મોકો છોડતી નથી. કોઈ રાજ્યમાં સ્ત્રીઓને નગ્ન ફેરવવાની સ્થિતિ આવી નથી, ત્યારે વડા પ્રધાન મણિપુરના વીડિયો અંગે દુ:ખ પ્રગટ કરવાની સાથોસાથ રાજસ્થાન અને છત્તીસગઢ અંગે ટિપ્પણી કરતાં કહે છે કે એ રાજ્યોમાં ય દુષ્કર્મની ઘટનાઓ બની છે. એ દુ:ખદ છે કે સૌથી ખરાબ સ્થિતિ મણિપુરની હોય, ત્યારે રાજસ્થાન અને છત્તીસગઢને આગળ કરીને મણિપુરની ઘટનાને મોળી કરવાનો પ્રયત્ન વડા પ્રધાન કરે છે, તે એટલે કે ત્યાં ભા.જ.પ.નું શાસન છે ને રાજસ્થાન ને છત્તીસગઢમાં કાઁગ્રેસનું શાસન છે. આ રાજ્યોની સરખામણી કરી મણિપુરની ઘટનાઓની ગંભીરતાને નજર અંદાજ કરવાનું, ત્યાંની સ્થિતિને વધુ વકરાવવાની મોકળાશ કરી આપનારું છે. ટૂંકમાં, કાઁગ્રેસી કે અન્ય રાજ્યોની તુલના કરીને તેને નીચું બતાવી, મણિપુર પર ગમે એટલો ઢાંકપિછોડો થાય તો પણ, ત્યાં જે હિંસા અને બર્બરતા રોજિંદી થઈ પડી છે, તે અભૂતપૂર્વ છે.
એક વાત સ્પષ્ટ છે કે મણિપુર હોય કે રાજસ્થાન કે છત્તીસગઢ, સ્ત્રીનું અપમાન કોઈ પણ દૃષ્ટિએ કે નીતિએ અસહ્ય જ બનવું જોઈએ ને એ અંગેની કાર્યવાહી નિરપેક્ષ રીતે ને ત્વરિત ગતિએ થવી જોઈએ. 4 મેની ઘટના 19 જુલાઈએ મીડિયામાં ફરતી થઈ ને વડા પ્રધાન 21મીએ સંવેદના પ્રગટ કરે ત્યારે પ્રશ્ન એ થાય કે મણિપુરના રાજ્યપાલે રાજ્યની સ્થિતિનો મોકલેલો અહેવાલ વડા પ્રધાન સુધી પહોંચ્યો જ નહીં હોય, શું? કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બબ્બે વખત મણિપુર જઇ આવ્યા હોય ને ત્યાં સર્વપક્ષોની મીટિંગ લીધી હોય, એ શું વડા પ્રધાનની જાણ બહાર હશે? કહેવાનું તો એ પણ થાય કે વંદે ભારતને લીલીઝંડી બતાવવાનું એકાદ વખત રેલવે મંત્રીને સોંપીને, વડા પ્રધાન એક આંટો મણિપુરનો પણ મારી આવ્યા હોત તો ત્યાંની પ્રજાને આશ્વસ્ત થવાનું બન્યું હોત ! મણિપુર, અમેરિકા કે ફ્રાંસ કરતાં પણ દૂર હતું કે ત્યાં સુધી પહોંચવાનું વડા પ્રધાનને મુશ્કેલ લાગ્યું? કદાચ વડા પ્રધાન એ વિશ્વાસે રહ્યા હશે કે ત્યાં તો ભા.જ.પ.નું શાસન છે તો મુખ્ય મંત્રી બિરેન સિંહ સાચવી લેશે. એ જુદી વાત છે કે બિરેન સિંહે જ સો વીડિયોની વાત કરીને વડા પ્રધાનને આઘાત આપ્યો. જો કે, કુકી મહિલાઓનો વાયરલ વીડિયો જોઈને કોઈ નિર્ણય પર ન આવવાનું મૈતેઈ સમુદાયનું કહેવું છે, કારણ મૈતેઈ સ્ત્રીઓએ પણ ઘણું વેઠ્યું છે.
જો કે, વાઇરલ વીડિયો સામે આવ્યા પછી સાતેક જણની ધરપકડ કરવામાં આવી છે. એ વીડિયોમાંની એક સ્ત્રીનો પતિ, સરહદ પર કારગિલ યુદ્ધ લડી ચૂકેલો નિવૃત્ત સૂબેદાર છે. એણે એ વાતે દુ:ખ પ્રગટ કર્યું કે દેશની સુરક્ષા કરનાર, તેની પત્નીની સુરક્ષા ન કરી શક્યો. જીવ બચાવવા એ બે સ્ત્રીઓ સંબંધીઓ સાથે ભાગી છૂટી ને થોબલ પોલીસને શરણે પહોંચી. પોલીસ તેમને પોલીસ મથકે લાવે તેનાં બે કિલોમીટર પહેલાં ટોળું ત્યાં પહોંચ્યું અને પોલીસના કબજામાંથી છોડાવીને સ્ત્રીઓને ખેંચી ગયું. એ પછી સ્ત્રીઓને મારી નાખવાની ધમકી આપીને નગ્ન થવાની ફરજ પાડવામાં આવી. આનો પિતા અને ભાઈએ વિરોધ કર્યો તો તે બંનેની હત્યા કરી દેવામાં આવી. એમાંની એક સ્ત્રીનું કહેવું છે કે પોલીસે તેમની મદદ કરવાને બદલે ટોળાંને હવાલે કરી દીધી. આ સંદર્ભે મુખ્ય મંત્રી બિરેન સિંહ તો દોષિતોને ફાંસીની સજાની ભલામણ કરે છે, પણ અત્યાર સુધી તો એ વાતો જ છે.
અહીં સવાલોનો સવાલ એ થાય કે મણિપુરમાં આટલી હિંસા વકરી કેમ? એને માટે મણિપુરની ભૌગોલિક સ્થિતિ જાણવી જરૂરી છે. 38 લાખની વસ્તીવાળા મણિપુરમાં મુખ્યત્વે મૈતેઈ, કુકી અને નાગા સમુદાય વસે છે. મૈતેઈ મોટે ભાગે હિન્દુ છે, જ્યારે નાગા – કુકી ખ્રિસ્તી છે. મૈતેઈ મણિપુરની રાજધાની ઇમ્ફાલની ખીણમાં વસે છે. મૈતેઈ 50 ટકાથી વધુ છે ને તે ખીણના 10 ટકા વિસ્તારમાં રહે છે, જ્યારે બાકીની પ્રજા રાજ્યના 90 ટકા પર્વતીય વિસ્તારોમાં રહે છે. કુકી અને નાગાને આદિવાસી હોવાને નાતે વિશેષ દરજ્જો મળ્યો છે. ‘લેન્ડ રિફોર્મ એક્ટ’ને કારણે મૈતેઈ સમુદાય કુકી વિસ્તારોમાં વસી શકતો નથી, જ્યારે કુકી-નાગા સમુદાયને ખીણ પ્રદેશમાં પ્રવેશવાની બંધી નથી. મૈતેઈની માંગ છે કે તેમને પણ આદિજાતિનો દરજ્જો આપવામાં આવે. તે માટે હાઇકોર્ટમાં અરજી પણ થઈ છે ને કોર્ટે રાજ્ય સરકારને ભલામણ પણ કરી છે કે મૈતેઈને અનુસૂચિત જનજાતિ – STમાં સમાવવામાં આવે. મૈતેઈ માને છે કે કુકીને તો મ્યાનમારથી અગાઉના રાજાઓએ યુદ્ધ લડવા બોલાવ્યા હતા, જે પછી અહીં જ સ્થાયી થયા. આ લોકોએ જંગલો કાપીને અફીણની ખેતી કરી છે. આ બધું છડેચોક ચાલે છે ને એને લીધે નાગા ને કૂકી વચ્ચે પણ સંઘર્ષ ચાલે છે ને એ બંનેને, મૈતેઈને અનામતનો લાભ મળે એનો વાંધો છે. વાંધો એટલે કે વિધાનસભાની 60 બેઠકોમાંથી 40માં મૈતેઈનું વર્ચસ્વ છે. આવામાં જો એને અનામતનો લાભ મળે તો કુકી-નાગાના અધિકારોમાં ભાગ પડે. આ મુદ્દે મણિપુરમાં સંઘર્ષ વધ્યો છે. ઇમ્ફાલથી 63 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલા ચુરાચાંદપુર જિલ્લાથી 28 એપ્રિલે અથડામણ શરૂ થઈ. 3 મેના રોજ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયને મૈતેઈ સમુદાયની વિરુદ્ધ ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી. આ કૂચે જાતિ સંઘર્ષનું રૂપ લીધું ને મૈતેઈ અને કુકી સામસામે આવી ગયા.
આમ જોઈએ તો આ બે સમુદાય વચ્ચેનો સંઘર્ષ છે, પણ તેનો છેડો સ્ત્રીઓનાં અપમાનથી આવે છે. બંને સમુદાયની સ્ત્રીઓ આમાં કેટલી જવાબદાર છે, તે તો નથી ખબર, પણ તેણે એવો જઘન્ય અપરાધ તો કર્યો જ નથી કે તેને નગ્ન કરીને તેને પરેડ કરાવવી પડે. વડા પ્રધાન અન્ય રાજ્યોની સ્ત્રીઓનાં અપમાનની યાદ અપાવે કે મૈતેઈ સમુદાયના લોકો તેમની સ્ત્રીઓએ પણ વેઠ્યું છે એની વાત કરે તો અમુક સ્ત્રીઓનું શોષણ ક્ષમ્ય છે એવો અર્થ ન જ થાય. કોઈ પણ જાતિ, ધર્મ કે કોમની સ્ત્રી હોય, તેનું કોઈ પણ રીતનું અપમાન કેવળ ને કેવળ અક્ષમ્ય છે અને તેની સજા તે અપમાન કરનારને મળવી જોઈએ એટલું જ અહીં કહેવાનું છે. આપણે બધાં જ સ્ત્રીનાં સન્માનની વાતો કરીએ છીએ ને સાથે જ અપમાન કરવામાં ય સંકોચ નથી અનુભવતા. આ આજનું નથી. પરાપૂર્વથી ચાલ્યું આવે છે.
શૂર્પણખાનું નાક વાઢીને તેનું અપમાન લક્ષ્મણે કર્યું, પણ રાવણે, લક્ષ્મણને આંગળી પણ અડાડ્યા વગર અપહરણ સીતાનું કર્યું. એ સીતાનું જેણે રાવણનું કૈં બગાડયું ન હતું. દ્યુત પાંડવો હાર્યા, પણ ચીરહરણ તેમનું ન થયું, એનો ભોગ દ્રૌપદી બની. આવાં તો કૈં ઉદાહરણો છે. પુરુષે, પુરુષ જોડે બદલો લેવો હોય તો તે, તેની સ્ત્રીનાં અપમાન દ્વારા લેવાતો હોય છે. એમાં કોઈ દેશ, કોઈ રાજ્ય, કોઈ જાતિ, કોઈ ધર્મ અપવાદ નથી, જ્યારે આ તો નાનું મણિપુર છે, એની સરકાર સ્ત્રીઓને નગ્ન ફેરવીને, ઢાંકપિછોડો તો પોતાનો કરે છે. આ લખાય છે ત્યાં સુધી તો સરકારનો વાળ પણ વાંકો નથી થયો, એ જ બતાવે છે કે સરકાર માત્રના ચાવવાના ને બતાવવાના જુદા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જુલાઈ 2023