અસ્મિતાપર્વ – ૧૭માં હાજરી આપવા અસ્મિતાપર્વની શરૂઆત થાય તે પહેલાની સાંજે જૂનાગઢથી હું મહુવા ગુરુકૂળમાં જઈ ચઢયો. ગુરુકૂળના આંગણમાં સાંજ ઢળતા સાહિત્યકારો અને શ્રોતાઓ પોતપોતાનું ટોળું બનાવી, ભોજનાલયના દ્વાર ખૂલવાની રાહ જોતા અલકમલકની વાતો કરતાં ઊભાં હતાં. હું પ્રથમ વાર અમેરિકાથી અસ્મિતાપર્વમાં અને આ ગુજરાતી સાહિત્યના જિંદગીના પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યો હતો. એટલે મારે તો મારું અસ્તિતવ જાળવી, મારે ખુદના એકલા ટોળામાં સાવ એકલું એક કોર કોઈ બોલાવે તો તેની સાથે બેસવાનું હતું. મને તો ત્યાં કોઈ ઓળખતું નહોતું. જેવી હરિ ઈચ્છા, કોઈક તો મળી જશે! આ વિચાર સાથે હું ગુરુકૂળના દ્વાર પાસેના એક પગથિયા પર એકલો બેઠો હતો. એવામાં થોડેક દૂરના એક ટોળાંમાંથી કોઈએ મને સાદ પાડ્યો, ‘મિત્ર, આવી મજાની ઝરમર વરસતી સાંજે દૂર સાવ એકલા કેમ બેઠા છો?, અહીં આવોને અમારી સાથે …. તમે પણ આ મલપતી મહેક ભીની સાંજની મજા માણી શકો છો! પ્રેમ ભર્યો મીઠો ટહુકો કાને પડતા ક્ષણવાર માટે તો મને મનમાં થયું કે મને આટલાં પ્રેમથી બરકી રહેલ આ વ્યક્તિ શું ખરેખર મને ઓળખતી હશે? હજી હું તેમની પાસે જઈ ચડું તે પહેલાં શ્વેત ઝભો અને શ્વેત લેંઘાધારી, કાળી ફ્રેમના ચશ્માંમાંથી નેહ નીતરતી આંખોવાળી, હોઠોમાં મરક મરક મલકતી વ્યક્તિ ઉષ્મા સાથે મારી પાસે આવી, મારો હાથ ઝાલીને મને મિત્રોનાં ટોળાં પાસે લઈ ગઈ.
મને પોતાનો પરિચય આપતા કહ્યું, મિત્ર, હું ભાવનગરથી આવું છું અને મારું નામ છે ગુણવંત ઉપાઘ્યાય. મેં મારો પરિચય આપતા કહ્યું, વડીલ બંઘું, હું અમેરિકાથી આવું છું. મારું નામ પ્રીતમ લખલાણી છે. મારી સાથે હસ્તઘૂનન કરતા, ગુણવંતભાઈ કહે કે મિત્ર, મેં તમારી કવિતા ‘કવિતા’માં અને બીજાં બે ચાર સામયિકોમાં વાંચી છે. પછી કહે કે મિત્ર, એક સાવ સાચી વાત કહું છું કે મેં તમારી કવિતા વાંચી ત્યારે મનમાં એમ હતું કે તમે સુરેશ દલાલની ઉંમરના હશો! પણ અત્યારે તમને જોઈને હું આભો જ બની ગયો. મને લાગે છે કે તમે તો મારા કરતાં પણ ઘણાં નાના હશો? કેટલાં વરસથી અમેરિકામાં છો?, “મને અમેરિકામાં ૩૪ વરસ થઈ ગયાં, કદાચ, ગુણવંતભાઈ, તમે મારા કરતાં નાના હશો?, મને કહે કોઈ શકયતા જ નથી, મેં કહ્યું, સાહેબ, મને ૬૨મું ચાલે છે, ગઈ કાલે સાંજે મેં હેમંત નાણાવટીને કહ્યું તો તે પણ માનવા તૈયાર નહોતા. મને કહે પ્રીતમભાઈ, તમે શરીરની કાળજી સારી રાખી છે, તમે તો બહુ ફિકરથી જિંદગીને જીવી નાંખી! મેં કહ્યું, વડીલ, સાચવવા કરતાં જીવવાનો આનંદ તો ક્યાં ય વધારે હોય છે. મિત્ર હું મારા શ્વેત વાળને કારણ છું તેના કરતાં વઘારે ઉંમરમાં દેખાવ છું. એટલે આપણે કોઈ વડીલ કે સાહેબ નહીં પણ આજથી ફકત એક મિત્ર.
ત્યાં જ ભોજનાલયનો દ્વાર ખુલ્યો અને હરિ હરનો સાદ પડે અને બાવા દોડે તેમ ટોળાંએ દોડ મૂકી. મને ગુણવંતભાઈ કહે, મિત્ર, આપણને કોઈ ઉતાવળ નથી. આપણે નિરાંતે જઈશું, બઘાંને જમી લેવા દો જમવાની બિલકુલ ચિંતા ના કરશો. બાપુનો રોટલો અને ઓટલો મોટો છે. જમી કરી અમે ગુરુકૂળની લીલી લોનમાં આવ્યાં. લોનમાં ચારેકોર મિત્રો પોત પોતાનાં ટોળાં બનાવીને બેઠાં હતાં. અમે પણ એક ખૂણામાં ચાર પાંચ મિત્રોનું એક ટોળું બનાવી બેઠા ન બેઠા, એવામાં ગોઘરાથી ગઈ રાતે ભાવનગર ઘોઘમાર વરસાદમાં કવિસસંમેલનમા કાવ્ય પાઠ કરીને, ગુણવંતભાઈના ઘરે મહેમાન બનેલા કવિમિત્ર કુમાર જૈમિની શાસ્ત્રી અને વિનોદ ગાંઘી પણ આવી ચઢ્યા. તે મિત્રો સાથે અલક મલકની વાતોમાં પરોવાઈ ગયા.
ગઈ રાતે જૂનાગઢમાં હું મિત્ર સાથે મોડી રાત લગી જાગેલો અને વહેલી સવારે નીંદર ઊડી જતાં જાગી ગયેલ હોવાને કારણ મને વહેલી સાંજથી બગાસાં આવતાં હતાં. આ જોઈને જૈમિની શાસ્ત્રીએ કહ્યું મિત્ર, તમે અમારી વાતમાં બોર તો થતાં નથી ને? મેં કહ્યું, ના સાહેબ, ગઈ રાતે કારણ વગર જાગરણ થયું. વળી આજ સવારથી એક કપ ચા મળેલ નથી. બસ અત્યારે એકાદ કપ ચા મળી જાય તો હું ફ્રેશ થઈ જાઈશ. ગુણવંતભાઈ મને, કહે કે અત્યારે ગુરુકૂળમાં તો ચા મળવાની કોઈ શક્યતા નથી, પણ જો તમારે ખરેખર ચા પીવી જ હોય તો આપણે ચા માટે ગામમાં જવું પડશે! જૈમિની શાસ્ત્રી કહે, “પ્રીતમભાઈ, તમે અમારા મહેમાન કહેવાવ, ગમે તેમ અમે તમને ચા પીવડાવશું. ચાની ચિંતા તમે મારા પર છોડી દો.” ગુણવંતભાઈ કહે, જૈમિની, ચા પીવા તો ગામમાં જવું પડશે, ગામ કૈ નજીક નથી એકાદ દોઢ કિલોમીટર જેટલું તો દૂર, ખરું? જો તમે “કારની સગવડ કરો તો આપણે જઈએ,’ જૈમિનીભાઈ કહે, કારની સગવડ તો હું કરી દઉં છું તેમાં કયાં મોટી કોઈ ઘાડ પાડવાની છે? આમ કહી તે કારની સગવડ કરવા માટે ગોઠવાણા. થોડી વારમાં જૈમિની શાસ્ત્રીજી અજયસિંહ ચૌહણને લઈને આવ્યા, અને કહે કે મણિલાલ પટેલ નિરાંતે સૂઈ ગયા છે. તેની કારની ચાવી અજયસિંહ પાસે છે. અજયસિંહ આપણને ગામમા ચા પીવા માટે લઈ જશે. કારમાં અમે ઘેટાં પુરાય તેમ છ મિત્રો પુરાણા. એવામાં એક કવિ ક્યાંકથી હડી કાઢતો અમારી કાર પાસે આવ્યો, અને અજયસિંહને કહે કે દરવાજો ખોલો, મારે પણ ચા પીવા માટે આવવું છે. કારમાં જગ્યા હતી નહિં એટલે વિનોદ ગાંઘી કહે, કવિ તમે એમ કરો જૈમિનીભાઈના ખોળામાં બેસી જાવ, આ સાંભળીને શાસ્ત્રીજી કહે, વિનોદ તું કેમ ભૂલી જાય છે કે તું મારા ખોળામાં બેઠો છો. ત્યા એક લકડી કવિએ કોઈને પૂછયા વિના કારમાં પોતાની જાતને ઝંપલાવી દીઘી. ગુણવંતભાઈએ, કવિને ખોળામાં જાણે ગણપતિને સ્થાન દેતા હોય તે રીતે અમને હસતાં હસતાં કહ્યું, મિત્રો, સાંકડ મોક્ડ બેસી જાવને, ગામ ક્યાં દૂર છે?. કવિ મારી અને ગુણવંતભાઈની વચ્ચે ગોઠવાણા. એટલે મેં પૂછ્યું કવિ તમારું નામ શું છે? મને કહે સાહેબ, હું સોલીડ મહેતા છું અને સુરેન્દ્રનગરથી આવું છું.
અમે વાજતે ગાજતે મહુવા ગામના ચોકમાં પહોચ્યા, તો બે ચાર ચાની લારીઓ સાથોસાથ દસપંદર લારીઓ પેટ્રોમેક્ષના અજવાળે ખાવાની સામગ્રી લઈને ઊભી હતી. ચાની લારીઓ પેટ્રોમેક્ષ બુઝાવીને ઘરે જવાની તૈયારીમાં હતી. ગુણવંતભાઈએ ઘડિયાળમાં જોયું તો રાતના બાર વાગવા આવ્યા હતા. અમને ત્યાં આવેલ જોઈ અસ્મિતાપર્વમાં આવેલા બીજા પંદર વીસ ચાના રસિયા જે અમારી પહેલાં ત્યાં ચા પીવા માટે પહોચેલા, તે મિત્રોએ અમને જાણ કરી કે અમે કયારના અહીંયા ચા પીવા માટે આવ્યાં છીએ પણ બઘી ચાની લારી ઘરે જવાની તૈયારીમાં છે. ચાની તલપ તો અમને સમી સાંજથી લાગી છે. કોને કહેવાય, અને કરીએ પણ શું? કોઈ લારી વાળો ચા બનાવવા તૈયાર નથી.
ગુણવંતભાઈએ કહ્યું, મિત્રો, જરા ઘીરજ રાખો હું એકાદ ચાવાળા પાસે જઈને વાત કરું છું. ગુણવંતભાઈએ થોડેક દૂર ઊભેલા એક ચાવાળા પાસે જઈને કહ્યું, કે સાહેબ, ચા નહીં પીવડાવો? અમે અસ્મિતા પર્વમાં આવ્યા છીએ. બાપુના ગામમા આવીએ અને આમ ચા પીઘા વિનાના અમે અમારે ગામ પાછા ચાલ્યા જઈએ એ તો તમને ખરાબ લાગે અને બાપુ પણ આ વાત કોઈ પાસેથી સાંભળશે, તો તેમને પણ કેવું લાગશે? ચા વાળો કહે કે ભાઈ, તમારી વાત સાચી છે પણ અત્યારે ઘણું મોડું થઈ ગયું છે. એટલે તમને ના પાડું છું. ગુણવતંભાઈ કહે કે દોસ્ત, તમારી વાત સાચી છે, દિવસ આખો આ આકરા ઉનાળામાં ચા બનાવીને તમે થાકી ગયા હશો પણ ખાસ અત્યારે અમારે તમારી રેકડી પર ચા પીવા આવવાનું કારણ પેલા સૂટબુટમાં દેખાતા સાહેબ છે. તે અમેરિકાથી ખાસ અસ્મિતા પર્વમાં આવેલ છે. તેમણે અમેરિકામાં કોઈ મિત્ર પાસે સાંભળ્યું હશે કે મહુવા જાવ ત્યારે તમે ત્યાં જલારામ રેકડીવાળા રસિકભાઈની ચા પીવાનું ભૂલતા નહીં. સાહેબ સમી સાંજથી રસિકભાઈની રેકડીએ ચા પીવા જઈએનું રટણ લઈને બેઠા હતા. સાહેબની ઈચ્છાને કારણ અમે અત્યારે અહિંયા ચા પીવા લાંબા થયા છીએ. સાહેબ પાછા કાલે ચાલ્યા જવાના છે, દોસ્ત અમે તો મહુવા પાછા આવશું ત્યારે તમારી રેકડીએ ચા પીવા આવશું પણ સાહેબ પાછા કયારે આવશે તે તો ભલા રામને ખબર?
રસિકભાઈ કહે કે અરે! ભલા માણસ પહેલાં ફાટવું હતું ને કે વાત આમ છે. સાહેબ તો આપણા મહેમાન કહેવાય. આપણા એવા ભાગ્ય કયાંથી કે છેક દૂર દેશથી મહેમાન આપણા ઘરે સામે ચડીને ચા પીવા આવે. આમ કહી તેણે બંધ પડેલા સ્ટવમાં બે ચાર પંપ મારી સ્ટવ ચાલુ કરી, ઘોયેલ એક મોટી તપેલીમાં વીસ પચ્ચીસ કપ ચા મૂકી દીઘી. થોડી જ વારમાં રસિક્ભાઈના દસબાર વરસના છોકરાએ અમારા હાથમાં ચા’ના ભરેલા કપ મૂકી દીઘા. બીજા મિત્રો ચાના પૈસા રસિક્ભાઈના હાથમાં મૂકે તે પહેલાં ગુણવંતભાઈએ ઝભાના ખિસ્સામાંથી પાંચસોની એક નોટ કાઢી રસિકભાઈના હાથમાં પકડાવતા કહ્યું, કે આ બઘાં મિત્રોના પૈસા આમાંથી લઈ લેજો. હું અને બીજા મિત્રો આ દરિયા દિલી માણસની ઉદારતાને નિહાળતા ચાના મીઠા ઘૂંટડા લેવા માંડયાં.
ચાના મીઠા ઘૂંટડા લેતા ગુણવંતભાઈએ કહ્યું, તમે અહીંથી ભાવનગર જવાના છો? મે કહ્યું, હા સાહેબ, ભાવનગરમાં મારા મિત્ર માય ડીયર જયુએ (જંયતીભાઈ ગોહેલે) અને પર્થિક પરમારે મારા એક બે કાર્યક્રમ ગોઠવેલ છે. બહુ સરસ, પણ તમારો ઉતારો કયાં છે? ખરું તો મિત્રોએ જયાં ગોઠવ્યું હશે ત્યાં આપણે જવાનું હશે! પણ અત્યારે મારી પાસે તેની કોઈ માહિતી નથી. ગુણવંતભાઈ કહે કે, મિત્ર એમ કરોને, તમે ખુશીથી મારે ઘરે પઘારો, મારું ઘર દ્વારકાઘીશનો મહેલ નથી, પણ આનંદ પ્રમોદ પ્રેમથી કરી શકીએ તેવી સુદામાની કુટિર છે. તમને મજા આવશે. આમે ય ઘરે હું સાવ અત્યારે એકલો છું. ચાર પાંચ છ દિવસ માટે બઘા ફરવા ગયા છે. આપણે ખાશું પીશું અને સાહિત્યની અવનવી વાતો કરી ગમતાનો ગુલાલ કરશું.
હનુમાન જંયતીના લાડવા ને ભજિયાંનું અસ્મિતાપર્વનું છેલ્લું ભોજન કરી અમે ગુરુકૂળથી ભાવનગર તરફ જવા કારમાં કવિ કમલ વોરા, વિરેન મહેતા અને ગીતાબહેન નાયક નીકળ્યાં. આ મિત્રો મને ભાવનગર ઉતારીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થવાના હતા કારણ કે તેમની છ વાગ્યાની અમદાવાદથી મુંબઈ જવાની ફલાઈટ હતી.
ચૈત્ર મહિનાની ખરે બપોરે કવિ ગુણવંત ઉપાધ્યાય ભાવનગર એરપોર્ટ માર્ગ પર તેના અપાર્ટમેન્ટની બહાર એક પાનવાળાની દુકાને મારી રાહ જોતા ઊભા હતા. જેવી અમારી કાર તેના અપાર્ટમેન્ટ પાસે આવીને ઊભી રહી, એટલે કવિએ દરવાજો ખોલી અંદર બેસેલા ત્રણે મિત્રોને આવકારતા ઘરે ચા પાણી પીવાનું આંમત્રણ આપતા કહ્યું, મને આ લાભ આપશો તો આંનદ થશે. મિત્રોને અમદાવાદ ઍરપોર્ટ પહોંચવાની ઉતાવળ હોવાથી બીજી કોઈવાર ચા પીવા નહીં, પણ જમવા જ આવીશું એમ કહી, કવિની રજા લઈ તેઓએ કારને અમદાવાદ તરફ હાંકી મૂકી.
મારી એક મોટી બેગ ગુણવંતભાઈએ પોતાના હાથમાં લઈ લીઘી અને બગલ થેલો ખભે નાખી મને કહે કે તમે મારી પાછળ ઘીમે ઘીમે ચાલ્યા આવો. આપણે છેક ચોથે માળે જવાનું છે. દાદરા ચઢતા સહેજ ઘ્યાન રાખ જો, જો ભૂલથી પણ પગ છટકયો તો સીઘા છેક નીચે, અમે ચોથે માળે તેમના ઘરે પહોંચ્યા ત્યારે મને સમજાણું કે તેમની વાત ખરેખર સાચી હતી. ગુણવંતભાઈએ મને કહ્યું કે દોસ્ત, ગિરનાર ચઢવો સરળ છે પણ આ ચોથે માળ તમે પહોંચશો, ત્યારે ખબર પડશે કે અમે કેમ દિવસમાં દસવાર આ પગથિયા ચઢ ઉતર કરીને જતા હશું. હું જ્યારે ચાર માળના પગથિયાં ચઢીને તેમના દ્વારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ દેશમાં સામાન્ય માણસનું જીવન કેટલું કપરું છે.
મેં મારી જિંદગીમાં આજ પ્રથમવાર જોયું કે કવિ અને સામાન્ય માણસની જિંદગીમાં પારાવાર યાતના અને મુશ્કેલી ભરી હોવા છતાં આ દેશમાં માણસ કેટલી ખુશી – આનંદ સાથે જીવે છે! મારી બેગ અને બગલ થેલાને એક ખૂણામાં મૂકતા કવિએ મને કહ્યું, તમે જરા નિરાંતે હિંચકે બેસો, એમ કહી તેમના ઘરે મારું આગમન થાય તે પહેલાં લાવી રાખેલ બિસલેરીની એક બોટલમાંથી ગ્લાસમાં મને ઠડું પાણી આપી, કહે જરા આરામથી બેસો, એમ કહી બેડ રૂમમાંથી એક તકિયો લાવી, મને આપી, કહે તમે જરા હાથ પગ ઘોઈને ફ્રેશ થાવ એટલે હું ચા મૂકું છું.
કવિનું ઘર બહુ જ સામાન્ય હોવા છતા હું ક્ષણે ક્ષણે અનુભવતો હતો કે આ જ સુખનું સાચું સરનામું છે. કવિએ સરસ મજાની ચા સાથે ભાવનગરના ખાસ પ્રખ્યાત આખા ભરેલાં બટેટાનાં ભજિયાંનો મને ગરમા ગરમ નાસ્તો કરાવી, મારી સાથે અલકલમલકની વાતે વળગ્યા.
સમી સાંજે એક ભાઈ હાથમાં ગિટાર લઈને તેમના ઘરે આવી ચઢ્યા. તેમની સાથે મારો પરિચય કરાવતા કહે, આ ભાઈ છે ડૉ. ફિરદોસ દેખૈયા. તમે તેના દાદાના નામથી પરિચિત હશો. બેન્ડ માસ્તર માનનીય ગઝલકાર,’ હું માગું તો તારી ખુદાઈ દૂર નથી’ ગઝલના રચયિતા નાજીર દેખૈયાના પૌત્ર છે. ફિરદોસભાઈએ ગિટાર પર પોતે બનાવેલ તર્જ સાથે બેચાર ગઝલ પોતાના કંઠે સંભળાવી, મેં કહ્યું મજા આવી ગઈ. એટલે ગુણવંતભાઈએ મને પૂછયું, મિત્ર ભૂખ લાગી હશે, તો પછી ચાલો, આપણે જમવા જઈએ. મેં માથું ધુણાવી હાનો સંકેત કર્યો, એટલે કવિ બે મિનિટમાં તૈયાર થઈ ગયા. તેમણે અમને પૂછયું ગુજરાતી થાળી ખાશું કે પછી પંજાબી? અમે કહ્યું તમારી ઈચ્છા મુજબ તમને ગમતી રેસ્ટોરન્ટમાં આપણે જઈએ. તેમણે ગાડીને રંગોલી રેસ્ટોરન્ટ તરફ દોડાવતા મને કહ્યું હું હજી નવો શિખાવ ડ્રાઈવર છું. આજે બીજી વાર ગાડી રસ્તા પર દિવસમાં દોડાવુ છું, પણ બિલકુલ ચિંતા ન કરતા તમને કોઈ તકલીફ વિના રંગોલી પહોંચાડી દઈશ. અમે ત્રણે મિત્રોએ રંગોલીમાં ભૂખ હતી, તેના કરતાં વઘારે ખાઘું. રંગોલીનું મોટું બીલ હું ચૂકવું તે પહેલાં ગુણવંતભાઈએ વેઈટરના હાથમાં પાંચ છ પાંચસોની નોટ પકડાવી દીઘી. સવારે હજી હું ઊઠું અને તૈયાર થાઉં તે પહેલાં તેમણે ટેબલ પર જલેબી ફાંફડા સાથે ચાની તૈયારી તો કરી રાખી હતી અને નાવા માટે બાથરૂમ સાફ કરી મારા માટે નહાવા એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા સ્ટવ પર કવિએ મૂકી દીઘેલ.
આ પછી મારે ભાવનગર સાત આઠ વરસમાં પાંચ-છ વાર જવાનું બન્યું હશે. ઈશ્વરની ઈચ્છાથી કોઈને કોઈ કારણ મારે ગુણવંતભાઈના ઘરે બે ત્રણ વાર ફરી મહેમાન થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. ગુણવંતભાઈનું ઘર તો પંખીનો માળો, આ માણસનો રોટલો અને ઓટલો એક સંતના ઘરની જેમ મોટો, ફકત કવિ જ નહિં તેમના ઘર્મપત્ની, દીકરો અને દીકરાની વહુ, ગુજરાતીનાં પ્રાઘ્યાપક ડો. જીતલ ઉપાઘ્યાયની તો વાત જ શું કરું? ઉત્સાહનું લીલુ તોરણ! માણસ ભૂખ્યા, ઉંબરે માણસ મહેમાનનો દરવાજે ટકોરો સાંભળે અને આખું ઘર ઊમળકા ભેગું હડી કાઢતું મહેમાનને આવકારવા દોડી આવે નહીં તો ગુણવંતભાઈનું ઘર શેનું!
અમેરિકામાં હું ઘણાં મિત્રોના મહેલ જેવા મોટા મકાનોમાં મહેમાન થયો છું. પણ મેં કયારે ય કોઈ દિવસ તેમના મહેલોમાં ઘર જેવી લાગણી અનુભવી નથી. ગુણવતંભાઈના ઘરે ગયો છું ત્યારે પાછા ફરતા મનમાં થાય કે આજ હું પંખીના માળેથી જીવતરના ટહુકાનો આંનદ લઈને પરદેશ પાછો ફરી રહ્યો છું. તેમનું ઘર ખરા અર્થમાં ઘર છે, કોઈ ઈંટ ચૂનાનું મકાન નહિં. એટલે જ તેમના ઘરેથી અમદાવાદ પાછા ફરતા મેં ઘર નામક એક કાવ્ય બસમાં લખ્યું હતું. તે કાવ્ય મેં ‘કુમાર’ની બુઘસભામાં ઘીરુભાઈ પરીખને વાંચવા આપ્યુ ત્યારે ઘીરુભાઈ, હર્ષદ ત્રિવેદી અને પ્રફુલ રાવળ કાવ્ય સાંભળીને ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. કાવ્ય અછાંદસ હોવાથી ઘીરુભાઈએ કુમારમાં નહીં પણ કવિલોકમાં પ્રગટ કર્યું હતું. કાવ્ય પ્રાગટ્યનું કારણ કવિ તમે અને તમારું ઘર નિમિત્ત બન્યા હતા. તેનો આનંદ હું શબ્દમાં કેમ પ્રગટ કરું? શું પ્રેમ લાગણી કે કવિતા શબ્દમાં પ્રગટ થઈ શકે ખરી?
કવિ, છેલ્લી વાર હું અને કવિ ડૉ. પરેશ સોંલકી તમારે ઘરે આવી ચઢેલા, ત્યારે આપણે સવારે જલેબી ફાંફડાના નાસ્તા સાથે ચા પીતા સાહિત્યની વાત કરતા બેઠા હતા, તમે મને એક બહુ જ સરસ ચિનુ મોદીનો શેર, સંભળાવ્યો હતો, “ક્રોઘ તો ઈશાદ મને પણ આવે છે, વાત મારી ના ગમે તો વાત ના કર”, અને પછી તમે મને કહ્યું હતું કે બીજીવાર તમે થોડો સમય લઈને ભાવનગર આવજો, આપણે બઘા સાથે ગોપનાથને દરિયે જશું. દિવસ આખો મોજ મજા અને સાહિત્યની વાતો કરી મોડી સાંજે પાછા ફરીશું પણ કવિ તમે મને ગોપનાથના દરિયાનું વચન આપી ચૂપચાપ કશું કીઘા વિના તમે કિરતારના ઘર તરફ ચાલી નીકળ્યા. ગુણવતંભાઈ, આ સંતાકૂક્ડી ના કહેવાય આ તો તમે અમને છેતરી ચાલ્યા ગયા …. એક અંચાઈથી બીજું શું હોઈ શકે ….. મારા પ્રિય કવિ!
e.mail : preetam.lakhlani@gmail.com