સુરતની કોર્ટે ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) જાતિના અપમાન બદલ, કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવતો ચુકાદો આપ્યો અને તેનાં પગલે લોકસભાના સ્પીકરે કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ કર્યું, તે પછી રાહુલે કર્ણાટકના કોલાર ખાતેથી રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ એ જ જગ્યા હતી, જ્યાં 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે કેન્દ્ર સરકાર પર વાર કરતાં તેમણે કહ્યું હતું હતું કે, “તમામ ચોરનાં નામ મોદી કેમ છે?”
રાજકીય વર્તુળોમાં એવું અનુમાન હતું કે રાહુલ એ જ જગ્યાએ ફરીથી ‘નીરવ મોદી-લલિત મોદી’ વાળો આરોપ દોહરાવશે. રાહુલે જો કે ભાગેડુ બિઝનેસમેનો પર નિશાન સાધવાને બદલે ઓ.બી.સી. જાતિનો મુદ્દો ઉઠાવ્યો. રાજકીય રીતે એ મુદ્દો વધુ સંવેદનશીલ અને મહત્ત્વનો છે. રાહુલે ગૌતમ અદાણી વાળો મુદ્દો ઉઠાવ્યા પછી, ‘જેટલી વસ્તી, એટલો હક’ એવો નારો આપીને ચાર માંગણી કરી હતી;
પછાત જ્ઞાતિઓ માટેના આરક્ષણ પર 50 ટકાની મર્યાદા છે તે કેન્દ્ર સરકાર દૂર કરે, દેશમાં કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે તેના આંકડા સાર્વજનિક કરે, ઓ.બી.સી. વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં વધુ પ્રતિનિધિત્વ આપે અને દલિતો તેમ જ આદિવાસીઓને તેમની વસ્તી અનુસાર નોકરીઓમાં આરક્ષણ મળે.
રાહુલે કહ્યું કે તેમના પક્ષની સરકાર હતી ત્યારે તેણે 2011માં દેશમાં જાતિગત જનગણના કરાવી હતી. ભા.જ.પ.ની સરકાર તેના આંકડા જાહેર કરતી નથી. વિપક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર 10 વર્ષના નિયમ પ્રમાણે નવી વસ્તી ગણતરી પણ કરાવતી નથી (તેના માટે કોરોનાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું) કારણ કે તે ઓ.બી.સી. જાતિઓના આંકડા ગણવામાં ફસાવા નથી માંગતી. બીજું, મુસલમાનોની વસ્તીની સચ્ચાઈ સામે આવવા દેવા નથી માંગતી. ત્રીજું, દેશમાં કેટલા લોકોને સુવિધાઓ પહોંચે છે તેની વાસ્તવિકતા પણ ગમે તેવી નથી.
એ જે હોય તે, સરકારે 2021ની વસ્તી ગણતરી કેમ નથી કરાવી તેનું ગળે ઉતરે તેવું કારણ નથી આપ્યું. એવું મનાય છે કે તે 2024ની લોકસભા ચૂંટણી પૂરી થાય તેની રાહ જુવે છે. એટલે જ વિપક્ષો આ મુદ્દા પર એક થઇ રહ્યા છે.
આ માત્ર કાઁગ્રેસ કે રાહુલનો જ મુદ્દો નથી. 2024ની લોકસભા ચૂંટણી આવતાં સુધી અન્ય વિરોધ પક્ષો પણ ‘સામાજિક ન્યાય’ના નામે એક થઇ જાય એવું લાગી રહ્યું છે. કારણ એ છે કે વડા પ્રધાન સહિત ભા.જ.પ. પહેલેથી જ જાતિ આધારિત ગણનાની વિરુદ્ધ છે. રાહુલ ગાંધી પછી, જનતા દળ યુનાઇટેડ(જે.ડી.યુ.)ના નીતિશ કુમાર અને તેમની પાર્ટીએ આખા દેશમાં જાતિ આધારિત સર્વે કરાવવાની માંગણી કરી છે. બિહારમાં તો તેમની સરકારે આવો સર્વે શરૂ પણ કરી દીધો છે.
તાજેતરમાં, ડી.એમ.કે. નેતા અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર સોશિયલ જસ્ટિસનો રાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો હતો, જેમાં કાઁગ્રેસના અશોક ગેહલોત, આર.જે.ડી.ના તેજસ્વી યાદવ, એમ. વીરપ્પા મોઈલી, છગન ભુજબળ, ફારુક અબ્દુલા, સીતારામ યેચુરી, અખિલેશ યાદવ અને ડેરેક ઓ બ્રાયન જેવા ભા.જ.પ. વિરોધી પક્ષોના નેતા એક મંચ પર આવ્યા હતા.
2014માં, ભા.જ.પ. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સામાજિક વિકાસના નારા પર જ કાઁગ્રેસને સત્તામાંથી બહાર ફેંકવામાં સફળ રહી હતી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાંથી ‘જેટલી વસ્તી, એટલો હક’નો નારો આપીને જાતિગત જનગણનાની માંગણી કરી છે. દેખીતું છે કે ભા.જ.પ. એમાં ફસાવા માગતી નથી. રાહુલના બયાન પછી બીજા જ દિવસે, કાઁગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને જાતિ આધારિત જનગણના કરવાની અપીલ કરી છે. કાઁગ્રેસને લાગે છે કે આ એક એવો મુદ્દો છે જેના પર ભા.જ.પ.ને ઘેરી શકાય છે.
એમાં બીજું રાજકારણ એ પણ છે કે રાહુલ ગાંધીએ ઓ.બી.સી. વર્ગનું અપમાન કર્યું છે એવા આરોપસર સજા થઇ છે. ભા.જ.પ. કાઁગ્રેસને ઓ.બી.સી. વિરોધી બતાવી રહી છે. જેમ કે રાહુલે એ સભામાં કહ્યું હતું કે વડા પ્રધાન જો ઓ.બી.સી.ને તાકાતવર બનાવવા માંગતાં હોય તો પહેલાં એ સમજવું પડશે કે દેશમાં ઓ.બી.સી.ની સંખ્યા કેટલી છે. અમે 2011માં તેની ગણતરી કરાવી હતી, પરંતુ મોદી સરકાર એ ડેટાને છુપાવીને બેઠી છે.
કાઁગ્રેસને એવો પણ વિશ્વાસ છે કે અન્ય વિરોધ પક્ષો પણ આ મુદ્દા પર તેનું સમર્થન આપશે. તેને ખબર છે કે અ દેશમાં દલિત વિરોધી રહેવું કોઈને પોષાય તેમ નથી અને આ એક મુદ્દો એવો છે જ્યાં તમામ પક્ષો ભા.જ.પ.ને દલિત વિરોધી સાબિત કરવા મહેનત કરશે.
આ મુદ્દો નવો પણ નથી. અગાઉ, 1989માં વી.પી. સિંહની સરકારે દલિતોના મસીહા બનવા માટે મંડલ કમિશનની રચના કરી હતી અને પછાત જાતિઓ માટે આરક્ષણ લાગુ કર્યું હતું. એનાથી ભારતીય રાજનીતિમાં જબરદસ્ત ફેરફાર આવ્યો હતો, ઘણાં અંદોલનો થયાં, અનેક નવી પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. સિંહે એક ઝાટકે એવા વર્ગોને રાજકીય મુખ્યધારામાં લાવીને ઊભા કરી દીધા હતા, જે હાંસિયાની પણ બહાર હતા.
જાતિ આધારિત જનગણના ભારતમાં બહુ જૂની પરંપરા છે. 1955માં, જવાહરલાલ નહેરુએ કાકા કાલેલકર કમિશનની રચના કરીને સૂચનો માંગ્યાં હતા. જો કે કાઁગ્રેસ સરકારે 1961ની જનગણના વખતે એ સૂચનો લાગુ કર્યા નહોતાં. પાછળથી ઇન્દિરા ગાંધીની સરકારે ‘ગરીબી હટાવો’ના નારા હેઠળ એનો અમલ કર્યો હતો અને તે પછી વી.પી. સિંહની સરકારે ઓ.બી.સી. માટે આરક્ષણ શરૂ કર્યું હતું.
સિંહની આ દલિતો તરફી રાજનીતિની સફળતા જોઈને જ ભા.જ.પે. રામમંદિરનો નારો આપીને હિન્દુત્વનું રાજકીય કાર્ડ તૈયાર કર્યું હતું. ભા.જ.પ. બધાને હિંદુની એક જ છત્રી હેઠળ લાવવા માંગે છે, એટલે તે હિંદુની અંદર દલિતો અને પછાતોની અલગ ઓળખાણથી અસહજ છે. બદનસીબે, ભા.જ.પ. સવર્ણોની પાર્ટી છે એવી છાપ પણ ત્યારથી જ મજબૂત થઇ છે. ભા.જ.પ. તેની રાજનીતિને હિંદુ-મુસ્લિમના કૌંસમાં જ સીમિત રાખવા માંગે છે, પરંતુ હિંદુઓની અંદર પણ મંડલ-કમંડલની એક અલગ જ રાજનીતિ આકાર લેતી રહી છે.
દેશમાં પછાત જાતિના લોકોની વસ્તી 52 ટકા જેટલી હોવાનું મનાય છે, પણ તેમને 27 ટકા જ આરક્ષણ મળે છે. અમુક રાજ્યોમાં તો એથી ય ઓછું મળે છે. આ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે તેમની વસ્તીમાં વધારો થયો છે પણ એ હિસાબે આરક્ષણ મળતું નથી. ભા.જ.પ. પણ આ વર્ગના સમર્થનથી જ સત્તામાં આવી હતી, પણ હવે એ તેમને ભૂલી ગઈ છે અને બૃહદ્દ હિન્દુત્વના મુદ્દામાં વ્યસ્ત થઇ ગઈ છે.
રાજકીય પક્ષો માટે આ એક મોટી વોટ બેંક છે. જાતિગત ગણનાની માંગણી પાછળ ગણતરી એવી છે કે ભા.જ.પ. ક્યારે ય (એટલિસ્ટ, લોકસભાની ચૂંટણી સુધી) એમાં સંમત નહિ થાય કારણ કે તે તેના પરંપરાગત મતદારોને નારાજ કરવા માંગતી નથી.
કાઁગ્રેસ આ મુદ્દા પર આર.જે.ડી., ડી.એમ.કે., જે.ડી.યુ., સમાજવાદી પાર્ટી, આર.એલ.ડી., જે.એમ.એમ. જેવા વિરોધપક્ષોને એક કરવા માંગે છે. આ તમામ પક્ષો જાતિગત જનગણનાના પક્ષમાં છે. આર.જે.ડી. અને ડી.એમ.કે.ની જેમ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત જનગણના માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. જે.એમ.એમ.ના હેમંત સોરેન પણ તેની માંગણી કરી રહ્યા છે.
રાહુલ વિપક્ષોનું સમર્થન લેવા માટે તેનાથી પણ એક કદમ આગળ ગયા છે. તેમણે વડા પ્રધાનને અપીલ કરી છે કે તેમની સરકાર આરક્ષણ પર 50 ટકાની મર્યાદા ખતમ કરી દે. એવું મનાય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષોની યુતિ રચાય તો તેમના કોમન મિનિમમ પ્રોગ્રામમાં આ માંગણીને સમાવવામાં આવશે. ત્યાં સુધી કે, ભા.જ.પે. ઊભા કરેલા એન.ડી.એ.માં સામેલ ઘણા પક્ષો પણ જાતિ આધારિત જનગણનાની માંગણી કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી પોતાને ઓ.બી.સી. વર્ગના સભ્ય તરીકે લગાતાર પેશ કરે છે. રાહુલ ઓ.બી.સી. વિરોધી છે તેવા કેસ અને પ્રચાર પાછળ પણ ગણતરી એવી જ છે કે પછાત મતો ભા.જ.પ. તરફી રહે. રાહુલે ઓ.બી.સી.ના આંકડા જાહેર કરવાની અને ‘જેટલી વસ્તી, એટલો હક’નો આરક્ષણનો નારો આપીને વળતો દાવ ખેલ્યો છે. તેમણે સીધો જ આરોપ મુક્યો છે કે ભા.જ.પ.ને ઓ.બી.સી.ના મતો જ જોઈએ છીએ, તેમના કલ્યાણમાં કોઈ રસ નથી.
આનાથી ઓ.બી.સી. વર્ગમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાનો ભા.જ.પ. સામે પડકાર ઊભો થાય તેવું લાગે છે. જેટલી વસ્તી એટલું આરક્ષણ એ એક નવું સામાજિક સમીકરણ છે. એ જો કારગત નીવડ્યું તો વી.પી. સિંહના સમયની જેમ ફરી એકવાર દેશમાં મંડલનું રાજકારણ જોર પકડશે. દેખીતું જ છે કે તેની સામે કમંડલનું રાજકારણ પણ એટલું જ આક્રમક હશે.
લાસ્ટ લાઈન:
“જે ધર્મ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની વાત કરે એ મને ગમે.”
– બાબાસાહેબ આંબેડકર
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 23 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર