ના, આ ક્રિકેટના છક્કાની વાત નથી, ધોરણ છના છક્કાની વાત છે. એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણને સાવ પાંગળું ને નિસ્તેજ બનાવી મૂક્યું છે ને એ દુ:ખદ છે કે કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી. જિલ્લા શિક્ષણાધિકારીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ, આચાર્યો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ નિર્જીવની જેમ જ જે રીતે વર્તે છે તે બધી રીતે શરમજનક છે.
આ વર્ષે પ્રવાસી શિક્ષકોને 30 એપ્રિલ સુધી નિમણૂક અપાયેલી હતી, તે 30 માર્ચ સુધી ટુંકાવી દઈને મહિનાનો પગાર બચાવાયો. પ્રવાસી શિક્ષકોએ જે શિક્ષણકાર્ય કર્યું તેની પરીક્ષા પૂરી થાય તે પહેલાં તેમને છૂટા કરી દેવાયા. હવે પરીક્ષા પછી, પેપરો તપાસવાના તેનું શું કરવાનું એ મામલે આચાર્યો મૂંઝાયા છે. પ્રવાસી શિક્ષકો 30 એપ્રિલ સુધી હોત, તો તેમની પાસેથી એ કામ લેવાયું હોત ને જે વિષયો તેમણે ભણાવ્યા તેનું પરીક્ષણ સારી રીતે થઈ શક્યું હોત, તે કામ હવે એવા શિક્ષકોને આપવાનું થશે, જેમણે એ વિષયો ભણાવ્યા નથી. 30 એપ્રિલનો પોતાનો જ પરિપત્ર 30 માર્ચનો કરી દઈને શિક્ષણ સમિતિ પોતાની જ વિરુદ્ધ કેવી રીતે પડે છે તેનું આ વરવું ઉદાહરણ છે.
એ વાત સાબિત કરવાની રહી જ નથી કે શિક્ષણ ખાતું કેવળ તુક્કાઓ પર ચાલે છે. ઘણી વાર તેને પ્રયોગોનો આફરો ચડે છે. ગુણવત્તાની સુધારણા માટે એટલા અખતરાઓ શિક્ષણ વિભાગ કરે છે કે ગુણવત્તા સિવાયનું જ બધું સુધરે છે. એમાં ઠરેલપણું ભાગ્યે જ હોય છે. બધું રાતોરાત સુધારી દેવું હોય છે ને એમાં કોઈ આયોજન લગભગ હોતું નથી. રાજ્ય પરીક્ષા બોર્ડનો 20મી માર્ચના પરિપત્રનો સંદર્ભ લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતે 23/03/2023ને રોજ, શૈક્ષણિક વર્ષ 2023-24 માટે, ધોરણ-6માં પ્રવેશ મેળવવા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લેવા બાબત, તમામ શાળાઓના મુખ્ય શિક્ષકોને પરિપત્ર પાઠવ્યો છે. તેમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કૂલ્સ (RSS) શરૂ થવા જઇ રહી છે. આ શાળાઓમાં, રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પરીક્ષા દ્વારા શોધીને, તેમને ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સરકાર આપવા માંગે છે.
ઉપરોક્ત શાળાઓમાં 6થી 12 ધોરણ સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવાનું કહેવાયું છે. જો કે આગામી શૈક્ષણિક વર્ષથી જ આ સ્કૂલો શરૂ થવા જઇ રહી છે. 23 માર્ચે એ અંગેનો પરિપત્ર થયો ને 23મીથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું ને તે 5 એપ્રિલે પૂરું પણ થઈ ગયું. જ્ઞાન સ્કૂલો માટે પરીક્ષા 27મી એપ્રિલે લેવાવાની છે જેને માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 1થી 5નો અભ્યાસ કરનાર વિદ્યાર્થી લાયક ગણાશે અને એમાં પાસ થનારને મેરિટને આધારે ધોરણ છમાં પ્રવેશ અપાશે.
આ બધું પહેલી નજરે તો આકર્ષે એવું છે, પણ એમાં જે સમય ફાળવાયો છે તે ખૂબ ઓછો છે. આ પરીક્ષાને લગતી માહિતીથી વિદ્યાર્થીઓને અને વાલીઓને માહિતગાર કરવાનું ને 23/3 થી 5/4 સુધીમાં ફોર્મ ભરાવવાનું મુશ્કેલ હતું. ઘણાં એ માહિતી ન મેળવી શક્યા હોય એમ બને. વારુ, આ સમય ગાળામાં જ વાર્ષિક પરીક્ષાઓ પણ નજીકમાં જ હતી એટલે પણ બધાં સુધી વાત પહોંચાડવાનું અઘરું થયું હોય તો નવાઈ નહીં. પરિપત્રો એટલા બહાર પડે છે કે સરકાર પોતે જ પોતાનો પરિપત્ર ભૂલી જાય છે. જેમ કે, RTEની કલમ 15 મુજબ કોઈ પણ શાળામાં પ્રવેશ માટે પરીક્ષા ન લેવાની વાત છે તો ધોરણ 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શા માટે એ પ્રશ્ન ઘણાંને મૂંઝવે એમ બને. બીજો મુદ્દો એ છે કે સમાન શિક્ષણની તકો વાળી વાત અહીં ચહેરાય છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થશે તે હોંશિયાર અને જે પરીક્ષા નહીં આપે કે નાપાસ થાય એ નબળો એવો ભેદ, સરકાર જ પ્રાથમિકના વિદ્યાર્થીઓમાં ઊભો કરશે. ધોરણ પાંચની પરીક્ષા પાસ કરનાર ધોરણ 6માં તો જશે, પણ સરકારે જાહેર કરેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં નાપાસ થનાર જ્ઞાન સ્કૂલોમાં ધોરણ 6માં નહીં જઇ શકે.
બીજી એક સગવડ સરકારે એ ઊભી કરી છે કે કોઈ વિદ્યાર્થી ધોરણ 6માં સમિતિની સ્કૂલમાં પાસ થાય છે, પણ જો તેણે જ્ઞાન સ્કૂલમાં જવું છે તો તે પરીક્ષા આપી શકશે ને તેમાં પાસ થશે તો પણ, તેણે અભ્યાસ તો ધોરણ 6નો જ કરવાનો રહેશે. એટલે કે પાસ થયો હોય તો પણ તેણે 6 ધોરણ રિપીટ કરવાનું થશે. આવો ‘જ્ઞાન વર્ધક’ નિર્ણય ‘જ્ઞાની’ઓ જ કરી શકે કે પાસ થયેલાને પાસ ન ગણીને એ જ ધોરણમાં અભ્યાસ કરાવવો. એક બાજુ વગર પરીક્ષાએ બે વર્ષ સુધી માસ પ્રમોશન અપાયું ને બીજી બાજુએ ધોરણ 6 પાસ થયેલાને નાપાસ ગણી તેને એ જ વર્ષમાં અભ્યાસ કરાવવો જરા પણ ડહાપણ ભરેલું નથી. એક જ વિદ્યાર્થી 6થી 7માં જઇ શકે, પણ જ્ઞાન સ્કૂલમાં તે ન જઇ શકે ત્યારે સવાલ થાય કે જે સ્કૂલ શરૂ જ નથી થઈ તેનું જ્ઞાન એવું તે કેવું અદ્દભુત છે કે પાસ પણ નાપાસ ગણાય ને તે પણ એક જ રાજ્યની સ્કૂલનો વિદ્યાર્થી? એના કરતાં તો પ્રાથમિકમાં સાતમાંમાં જવું વધુ ડહાપણ ભરેલું છે. કોઈ પણ ધોરણમાં પાસ થયેલાને એ જ વર્ષમાં ફરી દાખલ કરાવીને વર્ષ બગાડવાનું તો ગુજરાતનાં શિક્ષણ વિભાગને જ સૂઝે.
એ પણ નથી સમજાતું કે જ્ઞાન સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ખેંચીને જે વધે તેને પ્રાથમિકમાં રાખીને સરકાર દ્વારા જ એ ભાન કરાવવું કે તમે નબળા છો એ કેટલી હદે ન્યાય ને તર્કસંગત છે તે પ્રશ્ન જ છે. વારુ, જે વિદ્યાર્થીઓ હોંશિયાર તરીકે આગળ જ્ઞાન સ્કૂલમાં જઇ રહ્યા છે એને તૈયાર તો પ્રાથમિકના એ શિક્ષકોએ જ કરાવ્યા છે જે પાછળથી એ જ સ્કૂલોમાં રહેવાના છે. હોંશિયાર વિદ્યાર્થી આગળ જશે, પણ એને તૈયાર કરાવનાર શિક્ષકો કે સ્કૂલને સરકાર કોઈ રીતે એપ્રિશિયેટ કરવાની નથી. હા, વધારે વિદ્યાર્થીઓને એ રીતે તૈયાર કરાવનાર સ્કૂલોની સરકાર નોંધ લેશે, પણ તે તો સરકાર પોતાનાં રેકોર્ડ માટે કરશે, એમાં સ્કૂલનું શું દળદાર ફીટશે તે નથી ખબર.
સરકારે જે જ્ઞાન સ્કૂલોની વિશેષતાઓની ગાઈ વગાડીને જાહેરાત કરી છે, તે ખરેખર છે શું તેની વિગતો આપી નથી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, કળા, રમતગમત, રેસિડેન્શિયલ સ્કૂલ્સ વગેરેની વાતો કરી છે ને તાલુકા કક્ષાએ શરૂ કરવાની વાત પણ છે, પણ એ અત્યાર સુધી તો વાતો જ છે. એ સ્કૂલો ક્યાં હશે, એનું મકાન કેવું હશે, એની વ્યવસ્થાઓ છે કે કરવાની છે, કરવાની છે તો કોણ કરવાનું છે, એના શિક્ષકો કોણ હશે ને એની પાત્રતા શી હશે … વગેરે વાતો અંગે ખાસ સ્પષ્ટતા સરકાર તરફથી નથી. જો એનું મકાન કે વિદ્યાર્થીઓનાં છાત્રાલયો, શૈક્ષણિક તંત્ર … તૈયાર કરવાનું બાકી હોય તો નવી ટર્મ જૂનમાં શરૂ થાય ત્યારે આ બધુ તૈયાર થઈ જશે એવું સરકારને કયા આધારે લાગે છે તેની સ્પષ્ટતા નથી. પરીક્ષામાં પાંચેક લાખ વિદ્યાર્થીઓ નોંધાવાની વાત સરકાર જ કરે છે. તે પછી એનું પરીક્ષણ કાર્ય, એનું રિઝલ્ટ ને એનું એડમિશન … આ બધું પણ નવી ટર્મ શરૂ થાય ત્યાં સુધીમાં પૂરું થાય એવું લાગતું નથી. આમ તો 6થી 12 ધોરણ સુધીનાં સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ કરવાની રહે, એમાનું અત્યારે કૈં જ ન હોય તો નવી ટર્મ સુધીમાં તો ભગવાન વિશ્વકર્મા પણ નહીં કરી શકે. હા, સરકારને વળી નવો તુક્કો આવે ને એ બધું જ બંધ કરી દે તો વાત જુદી છે.
એવું પણ મનાય છે કે આ આખી વ્યવસ્થા ખાનગી તંત્રોને સોંપાય ને એમ શિક્ષણનું ખાનગીકરણ કરવાનો સરકારનો હેતુ બર આવે. મુદ્દો તો એ પણ છે કે હોંશિયાર વિદ્યાર્થીઓ જ્ઞાન સ્કૂલોમાં જતાં, પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઘટ પડશે. વિદ્યાર્થીઓની ઘટ ઊભી કરીને સરકાર શિક્ષકોની ઘટ આપોઆપ જ દૂર કરવા માંગતી હોવાનો વહેમ પણ પડે છે. સરકાર કહે છે કે વિદ્યાર્થીઓની ઘટ નહીં પડે, કારણ દરેક સ્કૂલમાંથી અંદાજે ત્રણેક વિદ્યાર્થીઓ જ જ્ઞાન સ્કૂલોમાં જશે. એટલે શિક્ષકો પણ ફાજલ નહીં પડે. એવું હોય તો સારું જ છે, પણ ત્રણની એવરેજ પકડીએ ને સરકાર કહે છે તે હિસાબે ચાર પ્રકારની જ્ઞાન સ્કૂલોમાં 53,200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય તો અંદાજે અઢારેક હજાર સ્કૂલોમાંથી પસંદગી કરવાની થાય. હવે આ વિદ્યાર્થીઓ પ્રાથમિક અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી જ લેવાના હોય તો અઢારેક હજાર એવી સ્કૂલો ગુજરાતમાં હશે જ એમ મન મનાવવાનું રહે. એ પણ જવા દઇએ, પણ પ્રાથમિક સ્કૂલોમાંથી સરવાળે 53,200 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઘટે છે એ તો ખરું ને ! કાલના જ સમાચાર છે કે ચીખલી તાલુકામાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની પરીક્ષા માટે 2,473માંથી 2,388 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી 300 વિદ્યાર્થીઓ પણ પાસ થાય તો એટલા વિદ્યાર્થીઓ તો સ્કૂલમાંથી ઓછા થવાના. એક એવી સ્કૂલ જે શરૂ થઈ જ નથી, એને માટે વિદ્યાર્થીઓ ઉઘરાવી આપવાના ને છે ત્યાંથી વિદ્યાર્થીઓ ઘટાડવાના, આ આખો વ્યાયામ પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો છે એવું નથી લાગતું? દેખીતું છે કે આજે નહીં ને કાલે વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર ઘટતાં શિક્ષકો ફાજલ પડે જ ને સરકાર કહે છે કે એવું નહીં થાય, એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે.
સવાલોનો સવાલ તો એ પણ છે કે આખું વ્યવસ્થા તંત્ર સરકારનું છે, છતાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયેલું છે ને જ્ઞાન સ્કૂલો પરનો કાબૂ બીજાઓનો હશે ને આ સ્કૂલો સ્પેશિયલ હશે, ત્યારે તેનું માળખું વ્યવસ્થિત ગોઠવાઈ શકશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે સમજાતું નથી. આ આખી વ્યવસ્થા સરકાર જ ઊભી કરવાની હોય તો સરકારને તેની પોતાની સ્કૂલો પર ભરોસો કેમ નથી ને અન્ય ખાનગી તંત્રો પર કેમ છે તેનો ખુલાસો થવો જોઈએ. જ્ઞાન સ્કૂલો બરાબર ચાલે છે કે નહીં ને નથી ચાલતી તો સરકારે તે અંગે શી જોગવાઇઓ કરી છે એની પણ સ્પષ્ટતા થવી જોઈએ.
રહી વાત ખર્ચની તો અત્યારે સરકાર વિદ્યાર્થી દીઠ ચાળીસેક હજારનો ખર્ચ કરે છે ને જ્ઞાન સ્કૂલોને વિદ્યાર્થી દીઠ વીસ હજાર આપવાની છે. તો સવાલ એ થાય કે બીજા જો વીસ હજારમાં જ્ઞાન સ્કૂલના વિદ્યાર્થીઓને જોગવી શકતા હોય તો સરકાર કઇ ખુશીમાં પ્રાથમિકના વિદ્યાર્થી પાછળ ચાળીસ હજાર ખર્ચે છે? એનો અર્થ તો એ થાય કે વીસ હજારમાં પહોંચી શકાય એ કામનાં સરકાર જાતે પોતે ચાળીસ હજાર ચૂકવે છે. આ તો ભ્રષ્ટાચારને ઇંગિત કરે છે. કાલના જ સમાચાર છે કે 25,000 રૂપિયામાં એજન્ટ આર.ટી.ઈ. હેઠળ કોઈ પણ સ્કૂલમાં એડમિશન કરાવી આપશે. જો આ સ્થિતિ હોય તો જ્ઞાન સ્કૂલોમાં જ્ઞાનનો ખરેખર મહિમા થશે જ એવું કઇ રીતે માનવું?
આ આખો ઉપક્રમ વિચારણાને જ નહીં, ફેર વિચારણાને પાત્ર પણ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઍપ્રિલ 2023