ગુજરાતી અખબારોમાં છપાતી અનેક કોલમ હું વાંચતો-જોતો હોઉં છું. ઘણીવાર આવી કોલમમાં લખવામાં આવતા વિષય-વસ્તુને લઇને મને મનમાં થતું હોય છે કે, ન જાને આવી ‘કોલમ’ના આધારે કંઈ કેટલાં ‘બિંબ’ અને ‘પ્રતિબિંબ’ ટકી રહેતા હશે !
‘કોલમ’ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણી ગુજરાતીમાં કડિયાઓએ ‘બિંબ-કોલમનું ચણતર’ એમ બોલી-બોલીને એનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે ! કોલમ માટે ગુજરાતીમાં સાચો શબ્દ ‘સ્તંભ’ છે. જે વર્તમાન સમયમાં લખાતી કોલમોના રંગ-રૂપ અને છટા જોતાં આપણને એકદમ બંધ-બેસતો શબ્દ લાગે. કેમ કે, સ્તંભ એ દંભનો સહોદર છે. આપણે અમુક-તમુક સ્તંભ લેખકોને વાંચીએ ને મળીએ તો આપણે સ્તબ્ધ બની જઇએ – એ હદ્દે એ લેખકો દંભી હોય છે. ટર્નર, ફિટર અને લેથના કારીગરની માફક એવાં લેખકો શબ્દો સાથે કામ પાર પાડતા હોય છે. અખબારમાં પ્રચલિત ‘કોલમ-સેન્ટીમીટર’ની સંજ્ઞા મને જાહેરાત કરતાં તો એ કોલમિસ્ટના દૂષિત અને અનિષ્ટ મસ્તિષ્કનું માપ હોય એવું વધારે જણાય છે !
કટાર-લેખનમાં હવે બે-ચાર અપવાદોને મજરે મુકતા, મોટાભાગની કલમો સત્તા સામે મુજરો કરતી, કુરનિશ બજાવતી ગણતરીબાજ જોહરાબાઇ બની ગઇ છે. આવી બુઠ્ઠી અને જુઠ્ઠી કટારોને હું તો ન કટાર માનું, અને ન કલમ. પણ, મારાં માનવા-ન માનવાથી એમને કોઇ ફેર નથી પડવાનો.
ગુગલ, વિકિપીડિયા અને સોશ્યલ મીડિયામાંથી, અહીં-તહીંથી એકઠું કરીને, આવાં બખિયાબાજ કટાર લેખકો માત્ર ફકરા ને ફિતુરના થીગડાં મારે છે. ચારેકોરથી થતાં માહિતીઓના વિસ્ફોટે આજના લેખકને જાણે કે એક ‘ઉચ્ચક – બબુચક લહિયો’ બનાવી નાખ્યો છે. આવા લહિયાઓ જ્યારે લખવા બેસે છે ત્યારે એના સંવેદનને જાણે કે લકવો મારી જાય છે. આવા લહિયાઓ તો પોતાની જાતને શ્વેત કાગળ ઉપર સાચા મોતીનો ચારો ચણતા માનસરોવરના હંસ માનતા હોય છે. પણ એ લહિયાઓ એ હકીકતથી બેખબર હોય છે કે, એ લોકો ‘માનસરોવરના હંસ’ નહીં પણ ‘અપમાન ધરોહરના કંસ’ સમાન હોય છે.
માનસરોવરના હંસમાં તો ‘ક્ષીરનીર વિવેકની’ સમજણ હોય છે. જ્યારે આવા લહિયાઓ તો ‘સત્તાધારી’ના ચરણોમાં ગેલ કરતાં ગલુડિયાં સમાન હોય છે. એમને મન ‘વિસ્મય’ હોવું અને ‘વિષમય’ હોવું – બંને એક જ બાબત છે. આવા લોકોને જો ‘સત્તાધારી’ની સંધિ છૂટી પાડવાનું કહેવામાં આવે તો – એ લોકો એને ‘સત્ત આધારી’ તરીકે છૂટી પાડીને આપણને અચરજમાં નાખી દેતા હોય છે !
લેખનમાં ‘તટસ્થતા’ જાળવવી, એટલે કે ‘ન્યુટ્રલ’ હોવું – એ તો મને શબ્દ સાથે આચરવામાં આવતું ‘છળ-કપટ’ લાગે છે. લેખક તટસ્થ નહીં, પણ ‘સ્વસ્થ’ હોવો જોઈએ. એનો વિવેક એટલો મજબૂત અને સાબૂત હોવો જોઇએ કે, એ પોતાની જાત સાથેની નિસબત અને પ્રતિબદ્ધતા નિભાવી જાણે. ‘ન્યુટ્રલ’ તમે ખરેખર તો હોતા નથી, પણ પરાણે બની જતાં હો છો. ‘ન્યુટ્રલ’ હોવું અને ‘અનબાયસ્ડ’ હોવું – બંને એક જેવા ભલે લાગે – પણ હકીકતમાં એના અર્થ એક સરખા નહીં પણ તદ્દન અલગ-અલગ છે.
લેખનમાં ‘ન્યુટ્રલ’ હોવું એટલે પલાયનવાદી ગધેડાનું પૂછડું ઝાલવું ! પોતાને ‘ન્યુટ્રલ’ ઓળખાવતા લેખકોને ‘two face’ અને ‘two ass’ હોય છે ! એટલે કે ‘બે મોઢા’ અને ‘બે ધગડા’ હોય છે ! જ્યારે ‘અનબાયસ્ડ’ હોવું એટલે ન્યાયી ને નિર્ભીક હોવું. અનબાયસ્ડ લેખનમાં પાછલાં પૂર્વગ્રહની એક પણ પરછાઈ નથી હોતી. અનબાયસ્ડ લેખનમાં માંહ્યલામાં રહેલી માન્યતાની કોઇ આમાન્યા કે હઠાગ્રહ નથી હોતાં. એટલે અનબાયસ્ડ લેખન કોઇ મુદ્દાની તરફેણમાં પણ હોઇ શકે અને કોઇ મુદ્દાની વિરુદ્ધમાં પણ હોઇ શકે. એની સામે, ન્યુટ્રલ રાઇટિંગમાં મૂળ તો ‘સેઇફ રાઇડિંગ’નો કારસો રચવા જેવી વાત હોય છે. એટલે જ ન્યુટ્રલ રાઇટિંગના એક ફકરામાં ચાબૂક વીંઝાતી જોવા મળે તો તરત જ બીજા ફકરામાં આપણને લેખકની લેખિની હાથમાં ગુલાબ-જાંબુ ભરેલોનો કટોરો લઇને શરમાળ નવોઢા જેવી જોવા મળે !
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં પણ ન્યુટ્રલનું હોવું એટલે એક ‘અનપાવર્ડ’ કરન્ટ વગરની લાઈનની માફક સાથે રહેવું. ફેઇઝ એક લાઈવ પાવર્ડ લાઈન હોય છે. એ વિજ-ઉપકરણોનેને પાવર ફીડ કરે છે. અર્થિંગની ડ્યુટી અનવોન્ટેડ પાવરને ગ્રાઉન્ડ કરવાની હોય છે. એટલે કે ફેઇઝ પાવરનું વહન કરે છે. અર્થિંગ પાવરને સહન કરે છે. પણ ‘ન્યુટ્રલ’ની ઉપયોગિતા માત્ર ઇલેક્ટ્રિકલ સર્કીટને પૂરી કરવા માટે હોય છે. કે જેથી વિજ-પ્રવાહ સરક્યુલેટ થતો રહે.
ઇલેક્ટ્રિક સર્કીટમાં આવતા મોટાભાગના પ્રોબ્લેમ્સનું કારણ ‘bad neutral’ હોય છે. Neutral જ્યારે bad હોય ત્યારે એ ઉપકરણ અને અર્થિંગ બંનેને બગાડે છે. લેખનમાં પણ ન્યુટ્રલ લેખકો આવા બેડ-ન્યુટ્રલ સમાન હોય છે. એમની પાસે ન તો પોતીકી કોઇ ટોલરન્સ હોય છે, કે ન તો પોતીકી કોઇ વહનક્ષમતા. એટલે એ બેડલી ન્યુટ્રલ રહીને ‘અર્થ’ને નિરંતર ‘અનર્થ’ કરતા રહે છે. આવા ‘લે-ભાગું’ ન્યુટ્રલ લેખકોથી અંતર રાખવું. કેમ કે, ન્યુટ્રલ લેખકો પાસેથી આપણે કશું જ પામી શકતા નથી. ન્યુટ્રલ લેખકોનું તો માસ્તર માટેની કહેવત જેવું હોય છે કે ‘મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં’. જો કે, ન્યુટ્રલ લેખકો ઊઠાં ભણાવવામાં ભારે ઉસ્તાદ હોય છે.
અંતે, મારે ભારપૂર્વક એટલું જ કહેવું છે કે, આજે જ્યારે ઠેર-ઠેર માહિતીઓના રાફડા ફાટ્યા છે, ત્યારે કોઇ રાફડા પાસે હાંફળા-ફાંફળા થઇને ન જવું. વાચક તરીકેની સજ્જતા કેળવવી. નહીં તો આવા રાફડામાં રહેલા નાગ પળવારમાં એની તરફેણની ફેણ ફુલાવીને તમને તરત જ ડસી લેશે. એ ડસી લે પછી મને કહેતાં નહીં કે ‘તમે કેમ કીધું નહીં !’ કેમ કે, રાફડામાં રહેતા બધાં નાગ બિન-ઝેરી નથી હોતા! અસ્તુ. આ લખ્યું નથી અમસ્તુ.
•••
સૌજન્ય : ઇલિયાસભાઈ શેખની ફેઇસબૂક દીવાલેથી સાદર