કાવ્યકૂકીઝ
શું છે કે પરીક્ષા આપે છે પરીક્ષાર્થીઓ
પણ તે લે છે બોર્ડ !
બોર્ડને બોર્ડર નથી એટલે એ ઓર્ડરમાં ય નથી
વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી તો કરે છે
પણ એ એટલું બધું અઘરું હોય છે કે
વાલીઓએ પણ કાપલાં તૈયાર કરવામાં
રાત દિવસ વાંચવું પડે છે
ઘણીવાર તો નામ વિદ્યાર્થીનું આવે છે
બાકી નાપાસ તો વાલીઓ જ થાય છે
તે એટલે કે એમના ખોટા કાપલાં
સંતાનો ઉતારી આવતાં હોય છે
ટૂંકમાં, વાલીઓનું કર્યું સંતાનોએ ભોગવવું પડે છે
આટલી તૈયારી પેપરસેટરે કરવાની હોતી નથી
પેપરસેટરે તો રેપર, સોરી, પેપર સેટ કરવાનું હોય છે
જેમ જેમ પેપર સેટ થતું જાય છે
તેમ તેમ વિદ્યાર્થી અપસેટ થતો જાય છે
પેપરસેટર પેપર એવી રીતે પણ સેટ કરે છે કે
ટેકસ્ટમાંથી કૈં પુછાઈ ન જાય
કે ગાઈડનું કૈં રહી ન જાય
કોઈને પેપર કાઢવાનો કંટાળો આવે છે તો
સીધું ગાઇડનું જ પ્રશ્નપત્ર પણ પૂછી મારે છે
એમ વાંચવા-વિચારવાની જફામાં કોણ પડે?
એ પેપરસેટ કરે છે ને વિદ્યાર્થી
પરીક્ષકનું ‘પેપરવેઇટ’ સેટ કરવામાં પડે છે
પેપરસેટર કૈં પણ પૂછે
ને પરીક્ષાર્થી કૈં પણ લખે એને પરીક્ષા કહેવાય
પાઠ્યપુસ્તકો તૈયાર જ એટલે થાય છે કે
વિદ્યાર્થી કે પેપરસેટર તે વાંચી ન કાઢે
એ જરૂરી નથી કે વિદ્યાર્થી ભણે
તેને ન ભણાવીને પણ પાઠ તો ભણાવાય જ છે !
પાઠ ભણાવાય છે પરીક્ષામાં પ્રશ્નો પૂછીને
એમ તો કોરોનાએ એટલી સગવડ કરી આપેલી કે
વિદ્યાર્થીઓ વગર પરીક્ષાએ જ પાસ થઇ જાય
કોરોનાએ સાબિત કરી દીધું કે
પરીક્ષાને લીધે જ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે
બાકી ઇન્ટેલિજન્ટ તો બધાં જ છે
સૌથી વધારે ઇન્ટેલિજન્ટ તો પેપરસેટર હોય છે
જેમ વિદ્યાર્થીને કોર્સની ખબર નથી હોતી
એમ જ પેપરસેટરને પણ નથી હોતી
ગુજરાતીના પેપરમાં એ શેક્સપિયર પૂછી શકે
ને પરીક્ષામાં ગણિતને બદલે
હિંદીનું પેપર અપાય ને વિદ્યાર્થી
ફિલ્મની સ્ટોરી સંસ્કૃતમાં લખી આવે
ને તપાસનાર ગુજરાતી હોય તો
વિદ્યાર્થી પાસ પણ થઈ જાય
વિદ્યાર્થીઓ જૂનો કે નવો કોર્સ નથી જાણતા
એમ પેપરસેટર પણ અજાણ હોય છે
એટલે ભોળા ભાવે
નવાને જૂનું ને જૂનાને નવું પૂછી મારે છે
શું છે કે પરીક્ષકને
વાંચવાનું ફરજિયાત હોતું નથી
એટલે બધા પાસ થાય છે
ને જે થોડા નાપાસ થાય છે
તે જાગી જવાથી કોઈનું પેપર વંચાઈ જવાને લીધે
કાલ ઊઠીને એવું પેપર પણ આવી શકે કે
એમાં જવાબો જ હોય ને
પ્રશ્નપત્ર વિદ્યાર્થીએ કાઢવાનું હોય .. !
0
e.mail : ravindra21111946@gmail.com