આર.એસ.એસ.ની માનસિકતા પહેલેથી જ આભડછેટની રહી છે તે સત્યાગ્રહ હોય કે અસહકારની ચળવળ, સંઘ હંમેશાં તેનાથી દૂર રહ્યો. સ્વતંત્રતાનાં 52 વર્ષ સુધી તો તિરંગાને પણ સંઘે નહોતો અપનાવ્યો.
આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો અને ગયો, એમાં ધ્વજ હજીયે ક્યાંક ક્યાંક દેખા દઇ દે છે અને 75 વર્ષ થયાં કે 76 વર્ષ થયાની ચર્ચાઓ પણ ચાલ્યા કરે છે. આ બધું સપાટી પરનું ‘નેરેટિવ’ છે. આઝાદીની લડતના કથાનકમાં પોતાનો સૂર રેલાવવાનો પ્રયાસ કરનારા રાજકીય તત્ત્વોની કોઇ ખોટ નથી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ એટલે કે આર.એસ.એસ. વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદને સૌથી સારી રીતે, બિનસાંપ્રદાયિક ઢબે સાકાર કરવાનો દાવો કરે છે. ગણતરીપૂર્વકની એવી કામગીરી ચાલી રહી છે જેમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ તો એક જ છે એવું લોકોને ગળે ઉતારી શકાય. જો કે આર.એસ.એસ.ના આ દાવાને પડકારાનાઓની સંખ્યા પણ મોટી છે. વળી આ પડકારનારાઓ એ લોકો છે જે સ્વાતંત્ર્ય સંગ્રામને સારી પેઠે પચાવી ગયા છે, તેની વિગતોનો અભ્યાસ કરી ચૂક્યા છે. આ તરફ આર.એસ.એસ. સ્વતંત્રતા સંગ્રામને જમણેરી દૃષ્ટિકોણથી બતાડવાનો સતત પ્રયત્ન કર્યા કરે છે.
લાંબા સમયથી આર.એસ.એસ.નો એ પ્રયાસ રહ્યો છે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયેલી અહિંસક લડતને નેવે મૂકી દેવી. ભારતના ઇતિહાસ પર એક ઝડપી નજર કરવી હોય તો 1857ના વિલ્પવથી શરૂઆત કરવી પડે. ભારતનો રાષ્ટ્રવાદ શરૂ થયો જ્યારે દાદાભાઇ નવરોજીએ ‘ડ્રેન ઑફ વેલ્થ’ની થિયરીની ચર્ચા કરી અને ત્યાર બાદ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઇ, ગાંધીજીનું આવવું, સ્વદેશી ચળવળ, સત્યાગ્રહો, જલિયાવાલા બાગ, ભગત સિંઘની ફાંસી, ભારત છોડો આંદોલન, આઝાદ હિંદ ફોજથી લઇને છેક અડધી રાત્રે મળેલી આઝાદી સુધીના આખા કથાનકમાં એ લોકોની હાજરી સુદ્ધાં નથી જે આજે રાષ્ટ્રવાદનો દેકારો કરી રહ્યા છે. જે આર.એસ.એસ. રાષ્ટ્રવાદનો રાગ તાણે છે એ જ આર.એસ.એસ.એ આઝાદીના બાવન વર્ષ પછી ત્રિરંગો લહેરાવ્યો નહોતો પણ 1998માં ભા.જ.પા. જ્યારે સત્તામાં આવ્યો ત્યારે ના છૂટકે રાષ્ટ્રીય ધ્વજને અપનાવવો પડ્યો. જ્યારે આઝાદ ભારતે પહેલીવાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો ત્યારે આર.એસ.એસ.ના હેડગેવારે ભગવો ઝંડો ફરકાવી કહ્યું હતું કે પૂર્ણ સ્વતંત્રતામાં સંઘ માને તો છે પણ તિરંગો તો નહીં લહેરાવીએ. ત્રિરંગાનો ત્રીજો રંગ શેતાની રંગ છે, ત્રણનો આંક પણ શેતાની ગણાય એટલે ભારતનો ધ્વજ તો ભગવો જ હોવો જોઇએ-ના દેકારા કરાયા હતા. આર.એસ.એસ.ની આ જ શૈલી રહી છે – પોતે રાષ્ટ્રભક્ત છે એવું કહેવાનું ખરું પણ ખરી રાષ્ટ્રીય ચળવળથી આભડછેટ રાખવાની.
આર.એસ.એસ.ની સ્થાપના થઇ હતી 1925માં અને તેના સ્થાપક હતા કે.બી. હેડગેવાર. સ્થાપનાથી માંડીને 1947 સુધી આર.એસ.એસ.એ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે લૉન્ચ કરેલી એકેય ચળવળમાં ભાગ નહોતો લીધો, ન તો તેમણે અંગ્રેજો સામે પોતાની રીતે કોઇ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી. હેડગેવાર તો કાઁગ્રેસના સભ્ય પણ હતા, તે નાગપુરમાં મધ્યમ સ્તરીય નેતા હતા અને અસહકારની ચળવળમાં જેલમાં પણ ગયા હતા પણ ત્યારે તે કાઁગ્રેસના સભ્ય તરીકે ચળવળમાં ભાગીદાર બન્યા હતા. તેમણે સંઘને આખી ઘટનાથી દૂર રહેવાની સૂચના આપી હતી અને આમ આર.એસ.એસ.એ સત્યાગ્રહ કે અન્ય કોઇ ચળવળમાં ભાગ નહોતો લીધો. હેડગેવાર હિંદુ મહાસભાના નેતા બી.એસ. મૂંજેના કટ્ટર અનુયાયી હતા. મૂંજેની વિચારધારા પર ફાસીવાદનો ઊંડો પ્રભાવ હતો અને તે પોતે મુસોલિનીની મળ્યા હતા. વળી સાવરકરે 1923માં હિંદુત્વ નામનું જે પુસ્તક લખ્યું હતું તેનો પણ હેડગેવાર પર ઊંડો પ્રભાવ હતો અને એ પુસ્તક અનુસાર ભારત માત્ર હિંદુઓની ભૂમિ છે એવી વાત રજૂ કરાઇ હતી. એમ પણ ચર્ચાયું છે કે વ્યવસ્થાને મામલે હેડગેવારનું મગજ ચાલતું અને સાવરકરના વિચારોનો પ્રભાવ કામગીરી પર પડતો. સાવરકરના મોટાભાઇ એ પાંચ લોકોમાંના એક હતા જેમણે 1925માં નાગપુર ખાતે આર.એસ.એસ.ની સ્થાપનાની બેઠકમાં હાજરી આપી હતી. આમ તો એક સમયે હિંદુ મહાસભા અને આર.એસ.એસ. વચ્ચે પણ ખટરાગ હતો કારણ કે હિંદુ મહાસભાને રાજકીય સ્તરે પ્રવૃત્ત રહેવું હતું પણ સંઘને એમ નહોતું કરવું. સાવરકર રાજકીય રીતે પ્રવૃત્ત રહ્યા પણ હિંદુ મહાસભાના આ નેતાને અંદામાન અને યેરવડાના જેલમાંથી એ જ શરતે છોડાયા હતા કે તે અંગ્રેજો વિરુદ્ધ કઇ કામગીરી નહીં કરે. હિંદુ મહાસભાની લગામ હાથમાં આવતા તરત જ સાવરકરે બે રાષ્ટ્રની થિયરીનાં ગાણાં ગાવાનું શરૂ કરી દીધું હતું. મુસલમાન, ગાંધી અને કાઁગ્રેસ વિરોધી વિધાનો માટે સાવરકર જાણીતા હતા. સંઘ પર જેમના વિચારોના પ્રભાવ રહ્યો તેવા સાવરકરે બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ વાઇસરોય સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે કાઁગ્રેસને હટાવી મંત્રીમંડળ હિંદુ મહાસભાને આપી દેવા જોઇએ. આ પછી પણ ઘણું થયું પરંતુ આર.એસ.એસ.ની વાત પર પાછા વળીએ તો ભારત છોડો આંદોલનથી આર.એસ.એસ.એ અંતર રાખ્યું અને સંઘના યુવા સભ્યોને એમ પાનો ચઢાવ્યો કે તેમણે હજી મોટી લડાઈ લડવાની છે તો આમાં શક્તિ ન વેડફે.
આર.એસ.એસ.ને સ્વાતંત્ર્ય સંગ્રામનો હિસ્સો બનાવવાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 1999માં અટલ બિહારી વાજપાઇએ હેડગેવારની 110મી જન્મતિથિ પર તેમના નામે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પહેલીવાર આર.એસ.એસ. સાથે સંકળાયેલા કોઇ નેતાના માનમાં ટપાલ ટિકિટ બહાર પડી હતી. જો કે રાજધર્મમાં માનનારા વાજપાઇ પર આર.એસ.એસ.ના નેતૃત્વનું ભારે દબાણ હતું કે હેડગેવાર અને ગોલવેળકરને ભારત રત્ન અપાય. મુત્સદ્દી વાજપાઇ સારી પેઠે જાણતા હતા કે આવું ન થવા દેવાય. ખરેખર તો આર.એસ.એસ. જ્યારથી રચાયો ત્યારથી સામ્રાજ્યવાદ વિરોધી ચળવળને કોઇને કોઇ રીતે ખોરવી દેવાની પેરવીમાં જ રહ્યો. આધુનિક ઇતિહાસની વાત કરીએ તો થોડાં વર્ષો પહેલાં નાગપુર યુનિવર્સિટીમાં કોમવાદ પરના હિસ્સા હટાવીને આર.એસ.એસે. રાષ્ટ્રના ઘડતરમાં શું ફાળો હતોના પ્રકરણ ઉમેરાયા હતા. 2014માં મોદી સરકાર રચાઇ પછી ફરી સાવરકરને મહાન બનાવવાની ભાંજગડ શરૂ થઇ પણ વિરોધને પગલે બધું ઠરી ગયું. જો કે આર.એસ.એસ.એ અંગ્રેજો સામેની લડતમાં શું ફાળો આપ્યો તે પરની ચર્ચા હજી પણ ચાલ્યા કરે છે. આર.એસ.એસ.નો ઘોંઘાટ એ વાતનો પુરાવો છે કે એમની વાતમાં દમ નથી કારણ કે જો હોય તો આટલો અવાજ ન કરવો પડે.
બાય ધી વેઃ
આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર ચળવળ પૂરતો નહોતો તેમાં દેશના ભવિષ્યને ઘડવાનો હેતુ પણ હતો. ગરીબી અને અસમાનતા દૂર કરવા જેવા સામાજિક સુધાર એ સમયે ચાલતી વિચારધારાઓના સંઘર્ષમાંથી નીકળનારું અમૃત હતાં. દેશના અલગ અલગ ધર્મ – કોમના લોકો એક થઇને અંગ્રેજોને દેશની બહાર કાઢવામાં વ્યસ્ત હતા ત્યારે આર.એસ.એસ. ‘આંતરિક શત્રુ’ શોધવામાં મચી પડ્યો હતો. મુસલમાનોને બૂરા સાબિત કરવામાં સંઘે ક્યારે ય પાછું વળીને નથી જોયું. આર.એસ.એસ.નું ઝનૂની વલણ, વેરની ભાવના અને હિંદુ સેના ખડી કરવાની ચાહ ગાંધી વિચારથી જોજનો છેટી છે. બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને સમતાવાદી ભારત માટે લડાયલા સ્વાતંત્ર્ય સંગ્રામથી દૂર રહેલાઓ આજે સ્વંત્રતાનો અર્થ બદલવા ધમપછાડા કરે છે અને દેશભક્તિની માન્યતાઓ સાથે ચેડા કરે છે. આર.એસ.એસ.નો રાષ્ટ્રવાદ છે ખરો પણ તે ભારતીય નથી હિંદુ રાષ્ટ્રવાદ છે, જેનું મૂળ મુસલમાનોના વિરોધમાં રહેલું છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઑગસ્ટ 2022