14-19 ઓગષ્ટ 2022 દરમિયાન અમેરિકાના વર્જિનિયા અને મેરીલેન્ડ સ્ટેટનો પ્રવાસ કર્યો. અમેરિકા શા માટે વિકસિત છે, તેનો જવાબ તેમની યુનિવર્સિટીમાંથી મળે છે. 17 ઓગષ્ટના રોજ UVA-યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની મુલાકાત લીધી. આ યુનિવર્સિટીની સ્થાપના 1819માં, થોમસ જેફરસને (13 એપ્રિલ 1743-4 જુલાઈ 1826) કરી હતી. આ યુનિવર્સિટીનો સમાવેશ UNESCO World Heritage Siteમાં થયો છે. થોમસ જેફરસન 4 માર્ચ 1801થી 4 માર્ચ 1809 સુધી અમેરિકાના ત્રીજા પ્રમુખ હતા. તેઓ લોકશાહીના હિમાયતી / લેખક / સંગીતકાર / દાર્શનિક / archaeologist / architect હતા. તેઓ અમેરિકાના સ્થાપકો માંહેના એક હતા. The Declaration of Independence – સ્વતંત્રતાની ઘોષણાનો (4 જુલાઈ, 1776) મુસદ્દો ઘડનાર પ્રમુખ લેખક હતા. તેમાં આ પ્રસિદ્ધ વાક્ય લખ્યું હતું : ‘all men are created equal – બધા માણસો સમાન બનાવવામાં આવ્યા છે.’ તેમને પુસ્તકોનો ગજબ શોખ હતો. તેમણે 10 જૂન 1815ના રોજ લખ્યું હતું કે ‘I cannot live without books – હું પુસ્તકો વિના જીવી શકતો નથી.’ જેફરસનને 5000 એકર જમીન અને 175 ગુલામો વારસામાં મળ્યા હતાં. ખેતી અને બીજા કામ માટે તેમની પાસે 600 જેટલા ગુલામો હતા. બાકીના ગુલામો તેમના ફાર્મમાં જન્મ્યા હતા. તેમણે આર્થિક કારણોસર 110 ગુલામોને વેચ્યાં હતાં !
જેફરસનના મૃત્યુ બાદ 39 વર્ષ બાદ 1865માં પ્રમુખ અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા દૂર કરી હતી. જેફરસને 1819માં UVAની સ્થાપના કરી ત્યારે તેમની ઉંમર 76 વર્ષની હતી. ભારતમાં કોઈ વડા પ્રધાને નિવૃત્તિ બાદ યુનિવર્સિટી સ્થાપી નથી ! જેફરસન માનતા કે શિક્ષણથી જ સ્થિર સમાજનું નિર્માણ થઈ શકે ! યુનિવર્સિટીની વચ્ચે ચર્ચની જગ્યાએ તેણે પુસ્તકાલય ઊભું કર્યું હતું ! જેફરસને 1 ઓગસ્ટ 1816ના રોજ લખ્યું હતું કે ‘bigotry is the disease of ignorance. education & free discussion are the antidotes – ધર્માંધતા એ અજ્ઞાનતાનો રોગ છે, શિક્ષણ અને મુક્ત ચર્ચા એ મારણ છે.’
UVAનું વિશાળ કેમ્પસ / ઈમારતો / હોસ્ટેલ જોઈને આંખ ઠરે; ગ્રીક અને રોમન સ્થાપત્ય શૈલીની ઈમારતો પ્રભાવશાળી છે. મનમાં વસવસો પણ રહે કે આવી જગ્યાએ અભ્યાસનો મોકો ન મળ્યો ! UVAના architect જેફરસન હતા. મહેલ જેવા પોતાના નિવાસસ્થાન ‘મોન્ટિસેલો’ના આર્કિટેક્ટ જેફરસન પોતે જ હતા. 5000 એકર જમીન વચ્ચે ટેકરી ઉપર આ નિવાસસ્થાન 1772માં બન્યું હતું. ‘મોન્ટિસેલો’ પ્રવાસીઓ જોઈ શકે છે. જે નિખાલસતા ભારતમાં શક્ય નથી તે અહીં જોવા મળી ! ‘મોન્ટિસેલો’માં Sally Hemings – સૈલી હેમિંગ્સને સ્થાન આપવામાં આવ્યું છે. જેફરસન 44 વર્ષના હતા ત્યારે, 16 વરસની મિશ્ર નસ્લની ગુલામ છોકરી સૈલી હેમિંગ્સ સાથે સંબંધ થયો હતો; જેનાથી તેમને 6 બાળકો થયા હતાં. ભારતમાં નેતાઓને ‘અવતારી’ તરીકે રજૂ કરવામાં આવે છે !
1819માં, ગુજરાતમાં ભક્તિકાળ ચાલતો હતો. 1821માં જેફરસને આત્મકથા લખી. જેફરસનના સમકાલીન સહજાનંદ સ્વામિએ (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) 1826માં શિક્ષાપત્રી લખી હતી; જેમાં પોતાના પછી મંદિરોનો વહીવટ / આચાર્યપદું વારસાગત સોંપવું તેવી સામંતવાદી વ્યવસ્થા કરી હતી ! જેફરસને બ્રિટિશ ગુલામી સામે જંગ છેડ્યો હતો; 1806માં જેફરસને બ્રિટિશ સામાનનો બહિષ્કાર કરવા આહવાન કર્યું હતું. જ્યારે સહજાનંદ બ્રિટિશ પોલિટિકલ એજન્ટને ત્યાં સામેથી મળવા જતા; તેમણે ગુલામી ટકાવી રાખવામાં મદદ કરી હતી; લોકોને ભક્તિ માર્ગે ચડાવ્યા હતા ! જેફરસન ધર્મ અને દર્શનમાં ઊંડી રુચિ હતી; પરંતુ સંગઠિત ધર્મનો ત્યાગ કર્યો હતો; સહજાનંદે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો ! જેફરસને 1819માં ભવ્ય યુનિવર્સિટી સ્થાપી; જ્યારે સહજાનંદે 1828માં પ્રથમ મંદિર ગઢડામાં સ્થાપ્યું હતું ! વિશ્વનો ઇતિહાસ કહે છે કે વિકાસ મંદિરોથી થતો નથી; ધર્મમુક્ત યુનિવર્સિટીથી થાય છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર